Opinion Magazine
Number of visits: 9456492
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઝકિયા જાફરી : ઠંડી શક્તિ અને શાંત ગરિમાના સ્વામી

તીસ્તા સેતલવાડ (અનુવાદ : હિદાયત પરમાર)|Opinion - Opinion|27 March 2025

ઝાકિયા જાફરી

મધ્ય પ્રદેશના બુરહાનપુરથી દુલ્હન બનીને સાઠના દાયકામાં ગુજરાતમાં અમદાવાદ આવીને વસેલાં ઝકિયા જાફરીએ ૮૬ વર્ષની ઉંમરે, પહેલી ફેબ્રુઆરીના રોજ, આપણી વચ્ચેથી વિદાય લીધી છે. ઝકિયા જાફરી અહેસાન જાફરીનાં પત્ની હતાં, જેઓ અમદાવાદના ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસના પ્રમુખ અને સંસદસભ્ય તરીકે સેવાઓ બજાવી ચૂક્યા હતા. અહેસાન જાફરી એક ધારાશાસ્ત્રી, ચિંતક અને કવિ હતા. ઝકિયા તેમનાં પત્ની, એક ગૃહિણી અને તેમનાં ત્રણ બાળકોનાં પ્રેમાળ માતા હતાં.

૨૦૦૨ની ૨૮મી ફેબ્રુઆરીના ગોઝારા દિવસે ઝકિયાનું જીવન બદલાઈ ગયું. ત્યારે તેઓ ૬૩ વર્ષનાં હતાં. તે દિવસે સવારે ૧૧ વાગ્યે ચમનપુરા(અમદાવાદ)માં આવેલી ગુલબર્ગ સોસાયટીમાં ઘૂસી આવેલા ટોળાએ ૬૯થી વધુ લોકોની નિર્મમ હત્યા કરી હતી, જેમાં અહેસાન સાહેબ પોતે પણ હતા. અહેસાન સાહેબે મદદ માટે અનેક ફોનો કર્યા છતાં સાંજે છ વાગ્યા સુધી તેમને કોઈ મદદ મળી ન હતી. ઝકિયાઆપાએ ૨૮મી ફેબ્રુઆરીની રાત શાહીબાગ  પોલીસ સ્ટેશનમાં વીતાવી અને બે દિવસ પછી એક સંબંધીને ત્યાં એમણે આશરો લીધો હતો જ્યાં દીકરા તનવીર સાથે તેમની મુલાકાત થઈ શકી.

ઝકિયાઆપા પોતાના પતિની ક્રૂર હત્યા બાદ ૨૨ વર્ષ સુધી ઊંડા અંગત દુ:ખમાં રહ્યાં. અપરાધભાવ સાથે ઝઝૂમતાં રહ્યાં – જીવિત રહેવાનો અપરાધભાવ. અહેસાન સાહેબે અન્ય ડઝનબંધ લોકો સાથે ઝકિયાને પણ સલામત સ્થળે મોકલી દીધાં અને પોતે છેલ્લી પ્રાર્થના પછી ટોળાને આત્મસમર્પિત થયા. અહેસાન સાહેબની સાથે આ કપરા સમયે ઊભા રહેલ લોકોએ પણ અન્ય જિંદગીને બચાવીને કુરબાની વ્હોરી હતી.

ઝકિયાની રાતની ઊંઘ જરૂર વેરાન થઈ પણ તેઓ હાર્યાં ન હતાં. અત્યંત વિપરીત અને કઠણ પરિસ્થિતિઓ વચ્ચે તેમણે ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ અંગે સી.જે.પી. (સિટીઝન્સ ફોર જસ્ટીસ એન્ડ પીસ) સાથે મળીને ન્યાય માટે દાદ માંગી. આ કેસની સુનાવણી માટે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ પેન્ડીંગ છે. ૧૭ જૂન, ૨૦૧૬ના રોજ ટ્રાયલ કોર્ટના ન્યાયાધીશે ૧૧ વ્યક્તિઓને આજીવન કેદની સજા ફટકારી હતી, જ્યારે અન્ય ૧૩ આરોપીઓને દસ વર્ષ સુધીની સજા અપાઈ હતી. કાવતરાના તમામ આરોપોને નકારી કાઢવામાં આવ્યા, સાથે જ ત્રણ પોલીસ સાક્ષીઓ, ફાયર બ્રિગેડના રેકોર્ડસ અને પોલીસ કંટ્રોલરૂમના પુરાવાઓ પણ નકારી કાઢવામાં આવ્યા હતા. તનવીર જાફરી (ઝકિયાના દીકરા) કહે છે, “અદાલતોમાં જીત એ માત્ર અડધી કહાની છે. લોકોનાં સ્મરણ અને ઇતિહાસનાં પાનાઓમાં અમે લડત લડી અને અહેસાન સાહેબ તેમ જ ઝકિયાઆપા લાખો લોકો માટે પ્રેરણારૂપ છે. આપણી સામૂહિક લડાઈએ બીજાઓને લડવાનો આત્મવિશ્વાસ આપ્યો છે. અમે અને સી.જે.પી.એ આધાર-પુરાવાઓની આ બધી સાધન-સામગ્રી રેકોર્ડ પર લાવી શક્યા એ જ આપણી જીત છે.”

ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના આ કેસમાં ઘણા ઘણા મિત્રો, વકીલોનો અપ્રતીમ ટેકો રહ્યો છે. કેટકેટલા વકીલોએ પાછળ રહીને માગદર્શન પૂરું પાડ્યું છે. ટ્રાયલ કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં એટલા બધા વકીલોનો સહકાર રહ્યો છે જેનો અહીં ઉલ્લેખ કરી શકાય તેમ નથી, પરંતુ તેમના પ્રયત્નો ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહ્યા છે. સી.જે.પી.માં અમારા માટે, અમારી ટીમો દ્વારા પૂરી પાડવામાં આવતી ઉત્કૃષ્ટ કાનૂની સહાય, કલમ ૩૯-એ હેઠળ બંધારણીય અધિકારનું પ્રતીક છે. અને આ કઠણ લડત લડ્યા અને તેમાં અમારા ટ્રસ્ટીઓ પણ દૃઢપણે સમર્થનમાં ઊભા રહ્યા. પરંતુ ખાસ કરીને ઝકિયા જાફરી કેસમાં તેમનો ત્યાગ, પ્રતિબદ્ધતા અને સેવાઓ અમૂલ્ય હતાં. ૨૦૦૬થી ૨૦૧૧ સુધી જ્યારે આ કેસ પ્રથમ વખત સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે તેમનું યોગદાન ખૂબ મોટું રહ્યું.

અને અંતમાં ઝકિયાઆપાને અંજલિ આપતાં મેં કહ્યું હતું તે અહીં ટાંકું છું : “તમે અદાલતો, અમારાં ઘરો અને દિલોની શોભા વધારી છે. તમે અતૂટ ધૈર્ય સાથે તે કર્યું. નુકસાન તો એમને થયું છે જેઓ નુકસાનના પ્રમાણ અને તીવ્રતાને ઓળખી શક્યા નહીં.”

સમૂહ માધ્યમો, જે ખાસ કરીને આજે ભયભીત છે અને કવરેજમાં સિલેક્ટીવ અને ઘણી વાર ઇતિહાસને ભૂંસી નાંખવા માટે જવાબદાર પણ છે. પરંતુ, ઝકિયા જાફરી અને અહેસાન સાહેબનાં વિશુદ્ધ નૈતિક મૂલ્યો અને તેમની લડતની દૃઢતાને અવગણવું એટલું સહેલું નથી. તેમના (ઝકિયાના) અવસાનને મળેલ વિશાળ કવરેજ આ બાબતનો પુરાવો છે.

[The Wireનો લેખ ટૂંકાવીને]
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 માર્ચ 2025; પૃ. 19 

Loading

વિશ્વ રંગભૂમિ દિવસ પ્રસંગે કન્યા વિદાય વગરનો શકુંતલાનો ‘ઊરદુ ઓપેરા’

દીપક મહેતા|Opinion - Literature|27 March 2025

નાહી સિર પર ફિર ભંવરે રે,

કમલ સમઝ નહીં નાદાન મોહે…નાહી 

મોહે સંગ આવત, કાહે સતાવત,

પીછે ન આ તુ ગુમાની રે.

લટ છટકા કે દૂર કરુંગી,

સિસ ન ઘુમ હમરે …કમલ સમઝ 

સખીઅન આવો, મોહે છુડાવો,

ભવરે ને કર દી દીવાની રે.

બરજોરી એ તો મોહે કરત હયે,

મોરે બાલ છુટત સગરે… કમલ સમઝ 

પીલુ રાગમાં ગવાતી આ ઠુમરી ૧૯મી સદીની છેલ્લી પચ્ચીસીમાં મુંબઈ શહેરમાં ભજવાયેલા અને પુસ્તિકા રૂપે છપાયેલા નાટકમાં એક સ્ત્રીપાત્ર ગાય છે. આ સ્ત્રીપાત્ર કોણ હશે? ગમે તેટલું માથું ખંજવાળીએ તો પણ મોટે ભાગે જવાબ ન મળે. એ નાટકનું નામ છે : ’શકુંતલાનો ઊરદુ ઓપેરા : તમામ ગાયન રૂપી ખેલ, ઊરદુ રાગ રાગનીમાં.’ એટલે કે આ ઠુમરી ગાય છે શકુંતલા. આ નાટકના બનાવનાર કહેતાં લેખક છે નસરવાનજી મેરવાનજી ખાનસાહેબ.

એક જમાનામાં અમેરિકાને દુનિયાનું મેલ્ટિંગ પોટ કહેવામાં આવતું. ૧૯મી સદીના હિન્દુસ્તાનનું મેલ્ટિંગ પોટ હતું મુંબઈ. દેશના અને દુનિયાના જુદા જુદા ભાગમાંથી આવીને અહીં લોકો વસ્યા હતા. તેમનાં ‘વતન’, ભાષા, ધર્મ, જીવન જુદાં જુદાં હતાં. ક્યારેક તેને કારણે સંઘર્ષ પણ થતો, જેને એ જમાનામાં ‘હુલ્લડ’ કે ‘દંગલ’ કહેવાનો રિવાજ હતો. પણ એકંદરે આ બધા લોકો હળીમળીને, સંપીને રહેતા. એટલું જ નહિ તેમની વચ્ચે ભાષા, સાહિત્ય, રંગભૂમિ, નાટક, સંગીત વગેરેમાં લેવડદેવડ થતી રહેતી. 

આ નાટક આવી લેવડદેવડનો એક મજેનો દાખલો છે. તેમાં પાંચ સાંસ્કૃતિક પરંપરાનો સુમેળ સધાયો છે. આ નાટકનાં કથાનક, પાત્રો કવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુન્તલ નાટકનાં છે. અને તેનાં મૂળ મહાભારતના આદિપર્વમાં છે, એટલે કે સંસ્કૃત સાહિત્યની પરંપરાનાં છે. એની ભાષા હિન્દુસ્તાની – આજે આપણે જેને ઉર્દૂ કહીએ છીએ – છે. પણ એ ભાષા છપાઈ છે ગુજરાતી લિપિમાં. એના લેખક ખાનસાહેબ પારસી છે. અને નાટકનું સ્વરૂપ પશ્ચિમના ઓપેરાનું છે. અને આ નાટક એ જમાનામાં છપાયું છે એટલું જ નહિ, ભજવાયું છે, સફળતાથી ભજવાયું છે. આજે કોઈને સવાલ થાય કે દુષ્યંત શકુંતલા જેવાં પાત્રો ઉર્દૂ બોલે એ કેવું લાગે? પ્રેક્ષકો એ અપનાવી શકે? પીટર બ્રુક્સના નાટકમાં મહાભારતનાં પાત્રો અંગ્રેજી બોલે એ આજે આપણે જેમ સ્વીકારીએ છીએ તેમ એ વખતનો પ્રેક્ષક પણ આવી વાત સ્વીકારી લેતો. 

આજે મુંબઈની રંગભૂમિ ગુજરાતી, મરાઠી, હિન્દી, અંગ્રેજી, વગેરેમાં વહેંચાઈ ગઈ છે. નાટક લખનારા અને ભજવનારાઓ વચ્ચે થોડી લેવડદેવડ થતી રહે, પણ એ દરેકનો પ્રેક્ષક વર્ગ અલગ અલગ છે. એ વખતે એવું નહોતું. પારસીઓ ભજવે તે નાટક જોવા બિન-પારસીઓ પણ જતા. મરાઠી નાટકો બીજી ભાષા બોલતા લોકો પણ જોતા. આ નાટક જેવાં હિન્દુસ્તાની નાટક જોવા ગુજરાતી, પારસી, મરાઠી, ઉર્દૂભાષી અને બીજા લોકો પણ જતા. ૧૯મી સદીનાં છેલ્લા ૨૫ વરસમાં અને ૨૦મી સદીની પહેલી પચ્ચીસી દરમ્યાન આ સ્થિતિ હતી. અને આવું કાંઈ નાટકની બાબતમાં જ થતું એવું નહોતું. શિક્ષણ, સમાજ સુધારો, સાહિત્ય, પત્રકારત્વ, નાટક ઉપરાંત બીજી કલાઓ, બધાં ક્ષેત્રોમાં જુદા જુદા વર્ગના લોકો ભેગા મળીને કામ કરતા. એ જમાનાનું મુંબઈ સાચા અર્થમાં ‘કોસ્મોપોલિટન’ શહેર હતું. 

શકુંતલા અને બે સખીઓ − રાજા રવિ વર્માનું ચિત્ર

ખેર, આપણે ‘શકુંતલાનો ઊરદુ ઓપેરા નાટક’ તરફ પાછા વળીએ. છે તો છાપેલાં ૨૬ પાનાંનું નાટક પણ અહીં બધું જ પદ્યમાં, ગીતમાં કહેવાયું છે. એટલે આ ૨૬ પાનાં ભજવતાં સહેજે ચાર-પાંચ કલાક તો લાગતા હશે. કારણ અહીં બાર જેટલાં નાનાં-મોટાં પાત્રો છે. ભૈરવી, ઝિંઝોટી, પીલુ, જોગિયા, બિહાગ, ખમાજ, કાફી, જેવા શાસ્ત્રીય સંગીતના રાગોમાં ગવાતાં ગીતો છે.  એક ગીત ‘લ્યુસી નીલ’ નામના અંગ્રેજી ગીતની ચાલ પ્રમાણે પણ ગાવાનું છે! (એ વખતનાં ઘણાં પારસી-ગુજરાતી નાટકોમાં આવાં અંગ્રેજી ચાલનાં ગીતો મૂકવામાં આવતાં.) નાટકમાં ઠુમરી, હોરી, ગઝલ, દાદરા, તરાના, પદ, લાવણી, મરસિયા(!), જેવા ગેય પ્રકારો છે. આખા નાટકને બે જ ‘બાબ’(અંક)માં સમાવ્યું છે, બંને  અંકમાં છ-છ ‘પરદા’ (દૃશ્યો) છે. એ વખતના રિવાજ પ્રમાણે અહીં એક આખું દૃષ્ય ‘કોમેડી’ કે ‘ફારસ’નું પણ છે. આવું કોઈ દૃષ્ય કાલિદાસના શાકુન્તલ નાટકમાં નથી. ખાનસાહેબ એ ક્યાંથી લઈ આવ્યા એ જાણી શકાયું નથી. તો બીજી બાજુ કાલિદાસના શાકુન્તલનો સૌથી વધુ જાણીતો અને હૃદયસ્પર્શી એવો કન્યાવિદાયનો પ્રસંગ અહીં છે જ નહિ! પુસ્તક કોટ વિસ્તારની પારસી બજાર સ્ટ્રીટમાં આવેલ ‘જહાંગીર બેજનજી કરાણી ચોપડી વેચનારે’ પ્રગટ કર્યું છે.

દુષ્યન્તને પત્ર લખતી શકુંતલા – ટપાલ ટિકિટ પર

આ ખાનસાહેબ હતા કોણ? પારસીઓ વિશેના એનસાઈકલોપીડિયા જેવા ‘પારસી પ્રકાશ’માં એક નાનકડો ફકરો જોવા મળે છે. એ પ્રમાણે ૧૮૮૨ના માર્ચની ૨૦મી તારીખે માત્ર ૨૯ વર્ષની ઉંમરે તેઓ બેહસ્તનશીન થયા. એટલે કે તેમનો જન્મ ૧૮૫૩માં થયો હોય. પિતાનું નામ જમશેદજી રતનજી બેલગામવાલા. ખાનસાહેબ વનસ્પતિ શાસ્ત્ર(બોટની)ના અને હિન્દુસ્તાની ભાષાના જાણકાર હતા. ‘આરામ’ ઉપનામથી તેમણે હિન્દુસ્તાની નાટકો લખ્યાં છે. ઉપરાંત પારસી ગુજરાતીમાં તેમણે ‘મેહર મસ્તની મુસાફરી’ નામનું પુસ્તક પ્રગટ કર્યું હતું. જે સર્વાન્ટિસની જગવિખ્યાત નવલકથા ‘દોન કિહોટે’નું પારસી પાત્રો અને સુરતની ભૂમિકા ધરાવતું રૂપાંતર હતું. ‘શકુંતલાનો ઊરદુ ઓપેરા’ વાંચ્યા પછી આપણે કહી શકીએ કે તેઓ હિન્દુસ્તાની ઉપરાંત સંસ્કૃત, અંગ્રેજી, ગુજરાતી, ભાષા-સાહિત્યના તથા આપણા શાસ્ત્રીય સંગીતના અચ્છા જાણકાર હોવા જોઈએ. 

વધુ ખાંખાખોળાં કરતાં બીજી કેટલીક હકીકતો પણ જાણવા મળે છે. ખાનસાહેબનાં બે પ્રકારનાં નાટક જોવા મળે છે. એદલજી ખોરીએ પહેલાં પારસી ગુજરાતીમાં લખેલાં નાટકોના હિન્દુસ્તાની ભાષામાં કરેલા અનુવાદ. આવાં નાટકોમાં સોને કે મોલ કી ખુરશેદ (૧૮૭૧), નૂરજહાં, જહાંગીર, મજહબે ઇશ્ક, બકાવલી-તાજૂલમલૂક, ગુલબકાવલી, હાતિમ (બધાં ૧૮૭૨), જાલમજોર (૧૮૭૬)નો સમાવેશ થય છે. આ નાટકો ભજવાતાં પણ બંને ભાષામાં. તેમનાં મૌલિક હિન્દુસ્તાની નાટકોની પ્રકાશન સાલ મળતી નથી પણ તેમાં આ નાટકોનો સમાવેશ થાય છે : ગુલવાસવનોવર, છેલબટાઉ મોહનારાની, પદમાવત, લાલો ગૌહર, ચંદ્રાવલી, વગેરે. શકુંતલા ઉપરાંત ખાનસાહેબે બીજાં ઓપેરા પ્રકારનાં નાટકો લખ્યાં છે. બદરેમનીર-બેનઝીર તેમનું પહેલું ઓપેરા. બીજું ઓપેરા જહાંગીરશાહ-ગૌહર જે ૧૮૭૪માં પ્રગટ થયું. અને ત્રીજું આ શકુંતલા, જેની ભજવણીની કે પ્રકાશનની સાલ હજી સુધી મળી નથી. પારસી નાટક મંડળીએ પૂનામાં ભજવેલ ‘ઇન્દ્રસભા’ નાટક જોયા પછી અન્નાસાહેબ કિર્લોસ્કરને મરાઠીમાં સંગીત નાટક લખવાનો વિચાર આવ્યો. ૧૮૮૦માં ભજવાયેલું તેમનું ‘સંગીત શાકુન્તલ’ મરાઠીનું પહેલું સંગીત નાટક. પછી તો વર્ષો જતાં એ પરંપરા ખૂબ સમૃદ્ધ થઈ. પણ મોટે ભાગે તેમના ‘સંગીત શાકુન્તલ’ પહેલાં ખાનસાહેબનું ‘શકુંતલાનો ઊરદુ ઓપેરા’ નાટક લખાયું અને ભજવાયું. કારણ ૧૮૭૬ પછી લખાયેલું તેમનું કોઈ નાટક મળતું નથી. અને ૧૮૮૨માં તો તેમનું અવસાન થયું છે.

ખાનસાહેબનું બીજું એક પુસ્તક

ખાનસાહેબે જેમનાં ગુજરાતી નાટકોના હિન્દુસ્તાની અનુવાદ કર્યા તે એદલજી જમશેદજી ખોરીનો જન્મ ૧૮૪૭માં. હજી ભણવાનું ચાલુ હતું ત્યારે બીજા બે પારસી મિત્રો સાથે મળીને ‘અરેબિયન નાઈટસ’નો ગુજરાતી અનુવાદ બે દળદાર ભાગોમાં ૧૮૬૫માં પ્રગટ કરેલો. ૧૮૬૯માં વિક્ટોરિયા નાટક મંડળીએ નાટક માટે હરીફાઈ જાહેર કરી ત્યારે ૩૦૦ રૂપિયાનું પહેલું ઇનામ ખોરીના ‘રુસ્તમ અને સોહરાબ’ નાટકને મળેલું અને તેથી એ મંડળીએ ભજવેલું, અને ૧૮૭૦માં એ મંડળીએ જ છાપીને પ્રગટ કરેલું. ખોરીનું આ પહેલું નાટક. ‘ખોદાબક્સ’ ૧૮૭૧માં ઝોરાસ્ટ્રિયન નાટક મંડળીએ ભજવેલું અને ખોરીએ પોતે પ્રગટ કરેલું. એ જ વર્ષે વિક્ટોરિયા નાટક મંડળી માટે તેમણે ‘સોનાનાં મુલની ખોરશેદ’ લખ્યું જેનો હિન્દુસ્તાની અનુવાદ બેહરામજી ફરદુનજી મર્ઝબાને કરેલો તે વિક્ટોરિયાએ ભજવેલો અને પ્રગટ કરેલો. હિન્દુસ્તાની (ઉર્દૂ) ભાષામાં ભજવાયેલું આ પહેલવહેલું નાટક. આ ઉપરાંત તેમણે બીજાં ત્રણ-ચાર નાટક લખ્યાં જેના હિન્દુસ્તાની અનુવાદ ખાનસાહેબે કર્યા અને ભજવાયાં. પણ પછી ખોરીની કારકિર્દીએ અણધાર્યો વળાંક લીધો. તેઓ કાયદાના અભ્યાસ માટે ઇન્ગ્લંડ ગયા અને ૧૮૮૨માં બેરિસ્ટર બન્યા. પહેલાં સિંગાપુરમાં અને પછી ઇન્ગ્લંડમાં પ્રેક્ટિસ કરી, પણ નાટક સાથેનો સંબંધ સદંતર તૂટી ગયો. ૧૯૧૭ના જૂનની ૧૦મી તારીખે ઇન્ગ્લંડમાં જ તેઓ બેહસ્તનશીન થયા. 

ભજવાઈ રહેલું એક પારસી-ગુજરાતી નાટક

પારસી નાટક મંડળીઓ પારસી ગુજરાતી નાટકો ભજવતી હતી, ક્યારેક ‘શુદ્ધ’ ગુજરાતી નાટક અને અંગ્રેજી નાટક પણ ભજવી લેતી. પણ તેમણે હિન્દુસ્તાની નાટકો ભજવવાનું કેમ શરૂ કર્યું? બે મુખ્ય કારણ. એક તો મુંબઈમાં પ્રેક્ષકોના વધુ મોટા સમૂહ સુધી પહોંચવા માટે. મુસ્લિમો ઉપરાંત એ જમાનામાં ઘણા પારસીઓ અને હિંદુઓ પણ ઊર્દૂ ભાષા જાણતા હતા. પોર્ટુગીઝો અને અંગ્રેજોના આગમન પહેલાં દેશના ઘણા મોટા ભાગની દરબારી અને કાનૂની ભાષા હિન્દુસ્તાની હતી. એટલે ઘણા લોકો માટે ભલે થોડી ઘણી, પણ આ ભાષા જાણવાનું જરૂરી હતું. આવા લોકો ગુજરાતી કે અંગ્રેજી ઉપરાંત હિન્દુસ્તાની નાટકો જોવા પણ આવે તો પ્રેક્ષકો વધે. બીજું, ઘણી પારસી નાટક મંડળીઓ દર વર્ષે મુંબઈની બહાર, ખાસ કરીને ઉત્તર અને પૂર્વ ભારતમાં, નાટકો ભજવવા માટે પ્રવાસે જતી. વિક્ટોરિયા અને બીજી એક-બે મંડળી તો  પરદેશના પ્રવાસે પણ જતી. આવા પ્રવાસો દરમ્યાન માત્ર ગુજરાતી નાટકો ભજવવાને બદલે સાથે હિન્દુસ્તાની નાટકો પણ ભજવ્યાં હોય તો વધુ આર્થિક લાભ થાય. બીજું કારણ એ કે હિન્દુસ્તાની નાટકોમાં વિવિધ પ્રકારનાં સંગીત અને નૃત્યને વધુ અવકાશ હતો અને તેનાથી આકર્ષાઈને પણ પ્રેક્ષકો આવી શકે. એટલે વિક્ટોરિયા નાટક મંડળી પછી બીજી પારસી મંડળીઓ પણ હિન્દુસ્તાની નાટક ભજવવા લાગી.

આ લખનારે હિન્દુસ્તાની નાટકોનાં લગભગ પચાસ પુસ્તક મેળવ્યાં છે. તેમાંનું એકેએક ગુજરાતી લિપિમાં છપાયું છે. તેમાંનાં ઘણાં પુસ્તકોનાં પૂંઠા અને ટાઈટલ પેજ પર છપાયું હોય છે : ‘ઝબાને ઊર્દૂ બ હર્ફે ગુજરાતી’. એટલે કે ભાષા ઉર્દૂ, પણ લિપિ ગુજરાતી. આમ કેમ? ઉર્દૂ જે લિપિમાં લખાય છે તેમાં જોડાક્ષર મળીને લગભગ ૨૦ હજાર જેટલા અક્ષરો વપરાય છે. ૧૯૮૧ પહેલાં ઉર્દૂ છાપવા માટેના ટાઈપ (ફોન્ટ) જ બની શક્યા નહોતા. એટલે ત્યાં સુધી લિથોગ્રાફ (શિલાછાપ) પદ્ધતિથી ઉર્દૂ લખાણ છાપવું પડતું. આ માટે પહેલાં પુસ્તકનું એક એક પાનું લહિયા પાસે ખાસ જાતના પોચા પથ્થર પર લખાવવું પડતું અને પછી તેના વડે છાપકામ કરવું પડતું. આ આખી પ્રક્રિયા ખર્ચાળ અને વધુ સમય માગી લે તેવી હતી. વળી એવા પણ ઘણા લોકો હતા જે હિન્દુસ્તાની ભાષા જાણતા, પણ તેની લિપિ નહિ. મુવેબલ ટાઈપ વાપરીને ગુજરાતી છાપકામની શરૂઆત મુંબઈમાં તો છેક ૧૮મી સદીના છેલ્લા દાયકામાં થઈ ગઈ હતી, અને પારસીઓ તેમાં અગ્રણી હતા. એટલે, હાજર સો હથિયાર કરીને તેમણે આ ઉર્દૂ નાટકો ગુજરાતી લિપિમાં છાપ્યાં.  

XXX XXX XXX

E.mail : deepakbmehta@gmail.com

Loading

અમેરિકન દારૂ ઢીંચીને અમેરિકન બાઇક પર ફરો તો ભારત આત્મનિર્ભર બને!

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|27 March 2025

હેમંતકુમાર શાહ

આજકાલ સૌની નજર બીજી એપ્રિલ પર છે. કારણ કે એ દિવસે અમેરિકા ભારતની નિકાસ પર વધુ આયાત જકાત નાખશે એવી ધારણા છે. 

ડોનાલ્ડ ટ્રમ્પની દલીલ એ છે કે ભારત અમેરિકાની ચીજો પર સરેરાશ ૧૨.૫ ટકા આયાત જકાત નાખે છે અને અમેરિકા તો ભારતની ચીજો પર સરેરાશ માત્ર ૨.૨ ટકા જ આયાત જકાત નાખે છે. એટલે અમેરિકાને ભારત સાથેના વેપારમાં વરસેદહાડે ૪,૫૬૦ કરોડ ડોલરની ખોટ જાય છે. 

હવે ડોનાલ્ડ ટ્રમ્પ એમ સમજે છે કે મોદીના રાજમાં ભારતનો વિકાસ થઈ ગયો છે એટલે ભારતને આયાત જકાતમાં રાહત આપવાની જરૂર નથી. એટલે ટ્રમ્પ ભારતની ચીજો પર આયાત જકાત વધારવા અધીરા થયા છે.

ભારત જે નિકાસ અમેરિકામાં કરે છે તે આને પરિણામે ઘટે એમ બને. એટલે એ બચાવવા માટે મોદી સરકાર હવાતિયાં મારી રહી છે. પરિણામે મોદી સરકાર દારૂ અને બાઈક સહિતની અનેક અમેરિકન ચીજો પરની આયાત જકાત પણ ઘટાડી રહી છે અને હજુ વધારે ઘટાડે એમ પણ બને. 

અમેરિકાની હાર્લી ડેવિડસન સહિતની વિદેશી બાઈક પરની આયાત જકાત ગઈ પહેલી ફેબ્રુઆરીના રોજ નાણાં પ્રધાને તેમના બજેટ પ્રવચનમાં, એટલે કે ૨૦મી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે પદગ્રહણ કર્યું તેના ૧૩ જ દિવસમાં, ૫૦ ટકાથી ઘટાડીને ૪૦ ટકા અને કેટલાક કિસ્સામાં ૨૦ ટકા કરી નાખી હતી. તે હજુ વધારે ઘટાડવામાં આવે એમ પણ બને.

એ જ રીતે, અમેરિકાની બર્બોન વ્હિસ્કી પરની આયાત જકાત ૧૫મી ફેબ્રુઆરીના રોજ ૧૫૦ ટકાથી ઘટાડીને ૫૦ ટકા કરી નાખવામાં આવી હતી! ૨૦૨૩-૨૪માં ૨૫ કરોડ રૂપિયાની આ વ્હિસ્કીની આયાત અમેરિકાથી ભારતમાં કરવામાં આવી હતી.

હવે જો અમેરિકન ચીજો પરની આયાત જકાત મોદી સરકાર ઘટાડે તો ભારતનાં બજારોમાં અમેરિકન ચીજો હાલ કરતાં વધારે ઠલવાય. અને વોટ્સએપ દેશભક્તિ કરનારા ભારતીયો સસ્તી અમેરિકન ચીજો વધુ ખરીદે અને હાર્લી ડેવિડસન પર તિરંગો લહેરાવતા ફરે.

મોદીની ૫૬ ઇંચની છાતી કેટલી સંકોચાઈ ગઈ છે! સહેજ પણ હિંમત નથી કે એ ટ્રમ્પને એમ કહે કે થાય તે કરી લો, નહિ ઘટે આયાત જકાત. 

ટેરિફ એટલે કે આયાત જકાતના એટલે કે વેપાર યુદ્ધમાં મોદી હારી રહ્યા છે. 

કેમ? કારણ કે બે લાખ રૂ.થી માંડીને બે કરોડ રૂપિયાની બાઈક ફેરવનારા અને મોંઘોદાટ વિદેશી શરાબ ઢીંચનારા દેશભક્ત હિન્દુ ભારતીયોની મોદીને બહુ ચિંતા છે! કારણ એ છે કે એ હિન્દુત્વની બેંક છે. કોઈ પણ હિસાબે એમને તો રાજી રાખવા જ પડે ને.

બોલો, આત્મનિર્ભર મહાભારત કી જય! 

તા.૨૭-૦૩-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...205206207208...220230240...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved