Opinion Magazine
Number of visits: 9964593
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અક્કલ બડી કે ભેંસ? : હવે તો ભેંસ જ બડી છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 April 2021

અક્કલ બડી કે ભેંસ? આવું પૂછાતું હોય ત્યારે સૂચવવું એ હોય છે કે બળ કરતાં બુદ્ધિ ચડે, પણ હવે અક્કલ કરતાં ભેંસ બડી હોય એવું લાગી રહ્યું છે. એનો અર્થ એવો પણ નથી કે અક્કલ બહેર મારી ગઈ છે. અક્કલ છે, પણ તેનો ઉપયોગ સ્વાર્થ કે બળ પુરવાર કરવા જ થાય છે. સરકાર પોતાના ઈરાદાઓ પાર પાડવામાં વધુ ને વધુ સફળ થાય તો એમ માનવું પડે કે તે પ્રજાને મૂરખ માને છે. પ્રજા મૂરખ છે તે તેણે 2020ના માર્ચથી આજ સુધીમાં ભીડભાડ કરીને વારંવાર સિદ્ધ કરી આપ્યું છે. એ સાચું છે કે કોરોના જેવી મહામારી સામે પ્રજા રઘવાઈ કે ભયભીત બને અને કોઈ પણ આદેશને આંખ મીંચીને સ્વીકારી લે, પણ એકથી વધુ વખત પ્રજાને ઉલ્લુ બનાવવામાં આવે ને તે બનતી પણ રહે તો અક્કલ તેણે ગીરવે મૂકી છે એમ માનવું પડે.

આ જ પ્રજાએ થાળી વગાડીને અને રાતના દીવા પ્રગટાવીને પુરવાર કર્યું કે પ્રજાને નેતૃત્વમાં વિશ્વાસ છે. પ્રજા થાળી ઠોકતી વખતે જાણતી હતી કે કોરોના જવાનો નથી, એને એ પણ ખબર હતી કે દીવાનું અજવાળું પકડીને કોરોના ઘરો સુધી પહોંચવાનો છે, પણ પ્રજાએ એ વિશ્વાસથી કર્યું ને સરકારનો વિશ્વાસ વધાર્યો. પછી તો એ વિશ્વાસ ન ટકે એવું બંને પક્ષે વર્ષ દરમિયાન ઘણું બન્યું. તાજેતરમાં જ વડા પ્રધાને રસીકરણનો મહિમા કરવા તેને ઉત્સવ તરીકે ઉજવવાની હાકલ કરી ને કરફ્યુને કોરોના કરફ્યુ તરીકે ઓળખાવવાનું કહ્યું. આ તેમણે રાજયોના મુખ્ય મંત્રીઓને વીડિયો કોન્ફરન્સમાં કહ્યું ને સૌએ તે સાંભળ્યું પણ ખરું. એ જ દિવસે દેશમાં 1.31 લાખ નવા કેસ આવ્યા હતા અને 802 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ગુજરાતની વાત કરીએ તો એ દિવસે 4,021 કેસ નવા ઉમેરાયા હતા ને 35 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં હજારો મૃત્યુ થયાં હોય ત્યાં ઉત્સવની માનસિકતા કોઈ સાધુસંતની પણ ભાગ્યે જ હોય, વળી આ સ્થિતિમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ ને રસીકરણ એ જ એક માત્ર ઉપાય હોય તો પણ, કોઈ રીતે ટીકાકરણને ઉત્સવ તરીકે લઈ શકાય નહીં. ટીકા મૂકવામાં એવું કૈં નથી જે આનંદ કે ઉત્સવની લાગણી જન્માવે.

વડા પ્રધાને 11 એપ્રિલથી 14 તારીખ સુધી ટીકા ઉત્સવની શરૂઆત કરી છે. આનાથી ટીકાકરણમાં કેટલો વેગ આવશે તે તો ખબર નથી, પણ વડા પ્રધાને પોતાની ટીકા કરાવવાનો ઉત્સવ માંડ્યો હોય એવું ચોક્કસ લાગે છે.  સાચું તો એ છે કે ઉત્સવ શબ્દ જ ભીડનો સંકેત આપે છે. ટીકા ઉત્સવને નામે ભીડને આમંત્રણ આપવા જેવું જ થશે ને એનું પરિણામ વધુ સંક્રમણમાં આવશે. આ અત્યારના સંજોગોમાં કરવા જેવું છે? લોકોમાં તારીખો જાહેર થવાને કારણે એવી ગેરસમજ પણ ફેલાઈ છે કે ટીકાકારણ 14મી સુધી જ ચાલશે. દેખીતું છે કે આ દિવસોમાં ભીડ વધે ને રસી ખૂટી પડે એમ બને. રસી અને ઇન્જેકશન માટે સરકાર દ્વારા એવું કહેવાય છે કેપૂરતો જથ્થો છે ને જે તે કેન્દ્રો પર તે ખૂટી પડ્યાની વાત પણ છે જ ! આમાં સાચું ચિત્ર હાથમાં આવતું નથી.

બીજી તરફ કરફ્યુનું પણ એવું જ છે. એ વકરતી સ્થિતિને કાબૂ કરવા તંત્રો દ્વારા લેવાતું કડક પગલું છે. આમે ય તે યાદ રાખવા જેવું હોતું નથી, ત્યાં તેને કોરોનાનું નામકરણ કરાવીને યાદ રખાવવાનું કોઈ રીતે ઉપકારક નથી. એક વિચાર તરીકે વડા પ્રધાન આવી વાતો મંત્રીઓ સામે મૂકે તે સમજી શકાય, પણ કોઈ માઈનો લાલ પૂછે નહીં કે સાહેબ, આવું કરવાથી સ્થિતિ કેવી રીતે સુધરે એમ છે, તે પણ અક્કલની બલિહારી જ ને ! એટલે જ માનવું પડે કે હવે અક્કલ નહીં, ભેંસ જ બડી છે.

મહારાષ્ટ્ર લોકડાઉનની ધારે આવીને ઊભું છે, એ ભયે અનેક લોકોની વતન તરફ હિજરત શરૂ થઈ છે. વારંવાર આમ વતન તરફ દોડવાનું કોઈને ગમતું નથી, પણ કામ વગર પારકાં શહેરમાં રોટલા ય કોણ આલે ને આલે તો ક્યાં સુધી? અનેક રાજ્યો, શહેરો નાનાંમોટાં લોકડાઉન કરીને બેઠાં છે, નાઇટ કરફ્યુ ઘણાં શહેરોમાં લાગુ થયો છે, આવામાં ઉત્સવ શબ્દ મશ્કરી જેવો નથી લાગતો? થાળી વગાડતાં વગાડતાં લોકો લોકડાઉનમાં પણ સડક પર ઊતરી આવેલાં તે યાદ છેને ! ને ઉત્સવનો ચસકો લાગશેને તો ટીકા બતાવવા પણ લોકો સડક ભરી દે એમ બને. ટૂંકમાં મધપૂડાને છંછેડવા જેવો નથી.

અક્કલ કરતાં ભેંસ બડી-નો બીજો દાખલો ચૂંટણી પંચે પૂરો પાડ્યો છે. ચૂંટણી પંચનો છેલ્લો પંચ એ છે કે હવે કોઈ ભીડ કરશે તો સભા-રેલી પર પ્રતિબંધ મૂકાશે. ચૂંટણી પંચને લાગ્યું છે કે નેતાઓ, ઉમેદવારો દ્વારા ગાઈડલાઇનનું પાલન થતું નથી. પંચે બધા રાજકીય પક્ષોને ચેતવણી આપી છે કે પશ્ચિમ બંગાળમાં બાકી રહેલા ચૂંટણીના તબક્કાઓમાં ગાઈડલાઇનનું પાલન નહીં થાય તો સભા રેલીઓ પર તે પ્રતિબંધ મૂકતાં અચકાશે નહીં. બધું પૂરું થવા આવ્યું ત્યારે ચૂંટણી પંચની ઊંઘ ઊડી છે. પશ્ચિમ બંગાળમાં આટલી સભાઓ-રેલીઓ થઈ, આટલા નેતાઓ ત્યાં ઊતરી પડ્યા, હિંસા થઈ, તોડફોડ થઈ, એક મહિનામાં કેસોમાં પંદર ગણો વધારો થયો ને આની પંચને ખબર જ ન પડી ને છેક હવે પંચ સફાળું બેઠું થયું છે ને પ્રતિબંધ મૂકવાની ચેતવણી આપે છે ત્યારે હસવું આવે છે. પંચ પ્રજાને નાદાન સમજે છે તે દુ:ખદ છે. હવે તો લાગે જ છે કે આ દેશમાં મૂરખાઓ જ વસે છે નહિતર પ્રતિબંધ મૂકવાની બાલિશ વાત પંચ કરે ને લોકો તે સંદર્ભે હરફ પણ ન કાઢે એવું તો બને જ કેમ?

આવામાં જ રણમાં મીઠી વીરડીઓ પણ ફૂટે ત્યારે આશ્વસ્ત થવાય કે બધું જ ખાડે ગયું નથી. આ જ ચૂંટણી પંચે કૉન્ગ્રેસ, આપ અને મુખ્ય મંત્રીની અરજીને ધ્યાને લઈને 18 એપ્રિલે યોજાનારી ગાંધીનગરની ચૂંટણી મુલતવી રાખી છે. આ બાબતે પંચને અભિનંદનો આપી શકાય ને વિનંતી પણ કરી શકાય કે પશ્ચિમ બંગાળમાં પણ બાકીની ચૂંટણી મુલતવી રખાય અથવા તો કમસે કમ લશ્કરી ઢબે ગાઈડલાઈનનું પાલન થાય એટલું જોવાય. એવું જ અભિનંદનીય કાર્ય મંદિરોએ કર્યું છે. સોમનાથ, શામળાજી, અક્ષરધામ જેવાં મહત્ત્વનાં મંદિરો દર્શન માટે બંધ કરવામાં આવ્યાં છે. એનાં ઓનલાઈન દર્શન થઈ શકશે, પણ મંદિરોમાં થતી ભીડ અટકાવીને મંદિરના સંચાલકોએ અનુકરણીય પગલું ભર્યું છે. આ ઉપરાંત કેટલાંક શહેરોમાં લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન સ્વીકાર્યું છે ને ધંધા રોજગાર મર્યાદિત કર્યા છે. સુરત જેવામાં પાનના ગલ્લા ને ચાની લારીઓ અચોક્કસ મુદ્દત માટે બંધ કરાવાઈ છે, એ જ સ્થિતિ શાકભાજીની લારીઓની પણ થાય એમ છે. એ ખરું કે રોજ કમાઈને રોજ ખાનારાઓની હાલત આવામાં કફોડી થઈ જાય છે, પણ એના વિના છૂટકો નથી. કાપડ, હોટેલ, હીરા ઉદ્યોગ, ટુરિઝમ વગેરે પર ફરી તવાઈ આવી છે.

સ્કૂલો મહિનાઓ પછી ખૂલેલી એ ફરી બંધ છે. બોર્ડની પરીક્ષાઓ ઓનલાઈન થવાની વાત છે, તે સિવાય બીજા વર્ગોમાં માસ પ્રમોશન સિવાય છૂટકો નથી. ઓનલાઈન શિક્ષણ કેવું ચાલે છે તે સૌ જાણે છે. કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષાઓનું શું થશે તે નથી ખબર, પણ એમાં પણ સમાધાન પર જ વાત આવે એમ બને. આમાં પ્રાથમિક શિક્ષકોની હાલત દયનીય છે. રાષ્ટ્રીય કામગીરીને નામે એમની પાસે કોઈ પણ કામગીરી કરાવી શકાય છે. ધંધાદારી સ્ત્રીને પસંદગી હોય છે, પણ પ્રાથમિક શિક્ષકને નથી. તેને કોવીડ-19ને નામે કોઈ પણ કામગીરી સોંપવામાં આવે છે અને એવા શિક્ષકો તેમના કોઈ વાંક વગર સંક્રમિત પણ થાય છે. શિક્ષક હોવાને નાતે જ તેણે જોખમ ઉઠાવવાનાં થાય છે, તાજેતરમાં જ સ્મશાનમાં ફરજ બજાવવાની કામગીરી શિક્ષકોને સોંપાઈ હતી, પછી વિરોધ થયો એટલે વાત અટકી. અહીં સવાલ એ થાય કે શિક્ષકને આટલા સસ્તા કેમ ધારી લેવાય છે? દેશમાં આટલા શિક્ષિત બેકારો છે, એમને વસતિ ગણતરીની કે ચૂંટણીની કે બીજી કામગીરી સોંપાય તો ટેકો થાય ને શિક્ષક ભણાવવાનું પણ કરી શકે, પણ શિક્ષણ વિભાગને શિક્ષકનાં શોષણ સિવાય બીજું કૈં સૂઝતું જ નથી.

અત્યારનો સમય કદાચ અરાજકતાનો છે. મૃત્યુ કે લગ્નમાં વ્યક્તિની સંખ્યા નક્કી કરવામાં આવી છે, પણ ચૂંટણી પ્રચારની રેલી માટે કોઈ નીતિ નક્કી કરવામાં આવી નથી. પશ્ચિમ બંગાળમાં રેલી કે સભાઓમાં એકઠી થયેલી ભીડને નેતાઓ દ્વારા સ્ટેટસમાં ખપાવાતી હોય તો દેખીતું છે કે ત્યાં કોઈ ગાઈડલાઇન લાગુ નહીં જ હોય ! એનું પરિણામ એ આવ્યું છે કે કોરોના વકર્યો છે. એક તરફ રસીનું રાજકારણ ચાલે છે ને બીજી તરફ રસી કે ઇન્જેકશન ન મળતાં લોકો કલાકોના કલાકો આમથી તેમ અટવાય છે. જે માંદા છે તેમની તો દયા ખાવાની જ છે, પણ જે તેમની સેવામાં છે એમની વધારે દયા ખાવા જેવી છે.

સ્મશાનમાં ને હોસ્પિટલોમાં વેઇટિંગ ચાલે છે. મૃતદેહની વિધિ માટે 2,000ની લાંચ આપવી પડે છે, એ સ્થિતિ હોસ્પિટલમાં આવે તો નવાઈ નહીં. શબવાહિની કે એમ્યુલન્સ ન મળતાં દરદીને કે શબને લારીમાં લઈ જવાં પડે એ કરુણતા છે. આવામાં જાત જાળવવા સિવાય બધું જ ગૌણ બની રહેવું જોઈએ. રસી મૂકાવ્યા પછી પણ છેડો આવતો નથી, બીજી કાળજી લેવાની જ હોય છે. અત્યારે તો એટલી યાતના રાહ જુએ છે કે આંસુ ખૂટી પડે ! સાચવીએ.

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 ઍપ્રિલ 2021

Loading

ખલીલ ધનતેજવી : ખેતરનો માણસ શહેરમાં સૂઈ ગયો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|12 April 2021

—————————-

અબ મૈં રાશન કી કતારોં મેં નજર આતા હૂં
અપને ખેતોં સે બિછડને કી સજા પાતા હૂં

ગયા રવિવારે [04 ઍપ્રિલ 2021], ૮૨ વર્ષની વયે જન્નતનશી થયેલા ગુજરાતી ગઝલના અંતિમ પહેરદાર, ખલીલ ધનતેજવીની જો કોઈ આત્મકથા કે જીવનચરિત્ર્ય હોય, તો તેનું શીર્ષક 'ખેત સે રાશન તક' એવું રાખી શકાય. તેમની જિંદગીની સફર એટલી જ છે; ગામના ખેતરમાંથી શરૂ થાય છે, અને રાશનપાણી માટે શહેરમાં ખતમ થાય છે. વચ્ચે કવિતા અમસ્તી જ આવી ગઈ!

કવિતા કેવી રીતે આવી તે તેમણે લખ્યું પણ છે. ૨૦૧૬માં, ખલીલભાઈએ તેમની કારકિર્દીની કથા નામે 'સોગંદનામું' લખ્યું હતું. તેમણે આત્મકથા લખવાનું ટાળ્યું હતું. કેમ? તેમના શબ્દોમાં, "આત્મકથા લખવા માટે પોતાની આસપાસનું ઝીણું-જાડું, સારું-નરસું, ગમતું-અગમતું બધું જ સમેટી લેવું પડે! કેટલાક માણસોએ પ્રોત્સાહિત કર્યો હોય ને કેટલાકે પજવ્યો પણ હોય તો એ બધાનાં નામોલ્લેખ સાથે કોણે કયારે ક્યા પ્રકારની પજવણી કરી એ બધું સ્પષ્ટ લખવું પડે, ને એમાં મોટા ભાગે નિકટના જ માણસો આવી જતા હોય. એટલા માટે આત્મકથા લખવાનું પડતું મુક્યું. પજવનારાઓને ય પડતા મુક્યા."

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ફળિયાવાળા, ભેંસોવાળા, હાથેથી દળવાની ઘંટીવાળા, ચુલાવાળા, નદીએ બેડાં ભરવાવાળા, છાણ-વાસીદુંવાળા અને ખેતરમાં ચાર કાપવાવાળા ધનતેજ ગામમાં સૂર્યોદય પહેલાં ખલીલભાઈનો જન્મ. "મારા જન્મ પછી જ સૂરજ ઊગ્યો હતો." ખલીલભાઈ લખે છે, "અર્થાત્‌ હું અંધારામાંથી અજવાળામાં આવ્યો, એ પછી જ જગતને સૂર્યપ્રકાશ પ્રાપ્ત થયો હતો." એ ૧૨ ડિસેમ્બર, ૧૯૩૫ની રોજ હતી.

તેમનું નામ ખલીલ તેમના દાદા તાજ મહંમદે પાડ્યું હતું. તેમના મૌલવીને ખલીલ અધૂરું લાગ્યું, એટલે પાછળ ઈબ્રાહીમ જોડ્યું; ખલીલ ઈબ્રાહીમ. ખલીલ એટલે મિત્ર અને ઈબ્રાહીમ એટલે હજરત મોહમંદ પયગંબરના પુરોગામી સત્તરમી પેઢીના પયગંબર ઈબ્રાહીમ. ખલીલભાઈ કહે છે, "સમય જતાં ઈબ્રાહીમ અને ખલીલ છૂટા પડી ગયા. વર્ષો પછી ખલીલની આભા નીચે ઈબ્રાહીમ ઢંકાઈ ગયો અને ખલીલ પંકાઈ ગયો."

ખલીલભાઈ પંકાયા કવિતા-ગઝલથી. ખલીલભાઈ ગુજરાતના આટલા મોટા શાયર થયા, તેની પાછળ સાહિત્યની કેટલી બધી સમૃદ્ધિ હશે એવો આપણને વિચાર આવે, પણ હકીકત એ છે કે તેમના બેકગ્રાઉન્ડમાં દૂર-દૂર સુધી સાહિત્યનાં સગડ નથી. ખલીલભાઈ લખે છે, "મારા ગામમાં પાંચ હજાર વર્ષ પૂર્વેય કોઈ લેખક કે કવિ થયો હોવાની કોઈ ભાળ મળતી નહોતી! મારા સમવયસ્કો કે સમકાલીનોમાં ય કોઈ લેખક-કવિ નહોતો!"

તેમણે કિશોરાવસ્થામાં એક વાર તેમના દાદાને ચાર પંક્તિઓ સંભાળવી હતી, તો દાદાએ ખુશ થઈને પૂછ્યું, "ક્યાંથી ઉતારી લાવ્યો છે?"

"ઉતારી નથી!" કિશોર ખલીલે કહ્યું, "આપમેળે જ ઉતરી છે!"

દાદા વિસ્મયથી જોતા રહી ગયા, અને રહસ્ય ખોલ્યું, "તારા બાપાને પણ શાયરીનો શોખ હતો. એણે શાયરીની આખી ડાયરી ભરી છે." એ ડાયરી જડી તો તેમાં મિર્ઝા ગાલિબ, મોહમ્મદ ઈબ્રાહીમ ઝૌક, મીર-તકી-મીર, મિર્ઝા મોહમ્મદ રફી સૌદા જેવા ધુરંધર શાયરોની શાયરીઓ હતી.

ખલીલભાઈ (ઉપર જે શેર લખ્યો છે તે પ્રમાણે) ખેતરના માણસ. બીજું કશું ન આવડે, પણ જે આવડતું હતું એમાં તેમનો એટલો ઝપાટો હતો કે ગામમાં એ સૌથી તેજ યુવાન કહેવાતા. એમાં કવિતા કેવી રીતે આવી, તેનું વિસ્મય તેમને પણ છે. એ લખે છે –

"ગામમાં મને સૌથી નોખો તારવી આપતી બાબતોમાં એક તો ખેતરમાં સીધા ચાસ કાઢવાની બાબત, નદીના પૂરમાં તરવાની બાબત અને જાનમાં સૌથી મોખરે ડમણિયું લઈ જવાની બાબત! આમાં ચોથી બાબત ઉમેરાય છે, તે છે કવિતા! કવિતા મારામાં અણધારી અને ઓચિંતી આવી હતી. કવિતાની પહેલી પંક્તિ આવી ત્યારે હું ખેતરના શેઢે ચાર વાઢતો હતો અને મારા હાથમાં કલમને બદલે દાતરડું હતું! હું કવિતાને ઓળખતો નહોતો એટલે કવિતાને શોધવા પણ ગયો નહતો! કવિતાની મને જરૂર પણ નહોતી. ખેતર, ખેતરનો શેઢો, ચાર વાઢવાની તલ્લીનતા અને દાતરડું! આમાં કવિતાનું ગૌત્ર મારે ક્યાં શોધવું!"

કદાચ અંગત અને સહિયારા જીવનમાં તેમણે અકસ્માતો અને ગરીબી બહુ જોઈ હતી, એટલે એ વેદના શબ્દો મારફતે વ્યક્ત થઇ હશે. બાર વર્ષની ઉંમરે, ચોથું ધોરણ પાસ કરીને, તેઓ ખેતરમાં જોતરાઈ ગયા હતા. એ લખે છે, “બાળપણ તો હું ક્યારનું ગુમાવી ચુક્યો હતો. કિશોરાવસ્થાને પણ એને જોઈતી ધીંગામસ્તી હું આપી શક્યો નહીં. ખેતી સિવાય બીજો કોઈ વ્યવસાય નહીં. સમય કરતાં થોડો વહેલો હું મોટો થઇ ગયો! મારું બાળપણ ખેતરમાં રગદોળાયું! નદીના પૂરમાં તણાયું! મારી કિશોરાવસ્થા દામ્પત્યજીવનની રજાઈમાં ઢબુરાઈ ગઈ! હું ભરપૂર રીતે બાળપણને માણી શક્યો નહીં! કિશોરાવસ્થાને ઓળખવાનો ય સમય મળ્યો નહીં અને ઊંચકીને લગ્નજીવનના સમુદ્રમાં ધકેલી દેવાયો! કિશોરાવસ્થામાં જ હું પ્રૌઢ પુરુષ બની ગયો!”

એ જીવનને પાટે ચઢાવવા માટે ખલીલભાઈ શબ્દોના સહારે પૈસા કમાવા માટે વડોદરા આવ્યા, અને ખેતર છૂટી ગયું. તેમણે અખબારમાં કામ કર્યું, સામાયિક શરૂ કર્યું, વાર્તાઓ લખી, ગઝલ સંગ્રહો બહાર પાડ્યા, નાટકો લખ્યાં ફિલ્મો (ખાપરો-ઝવેરી, ડોકટર રેખા, છૂટાછેડા, નગરવધુ, તુલસી જેવી દીકરી. ચુંદડી ચોખા) બનાવી. આ વ્યવસાયિક જદ્દોજહદ (તેમણે ગામેગામ ફરીને કાપડ પણ વેચ્યું હતું) અને બીમારીઓ થતા પ્રિયજનોની વસમી વિદાઈની પીડાઓ તેમની ગઝલોમાં વ્યક્ત થતી રહી.

ખલીલભાઈ લખે છે, “વેદનાને વિસારે પાડવા કલમનો સહારો લીધો. જાત વિશે વિચારવાને બદલે કવિતા માટે વિચારવા માંડ્યું. એમાં ય પેલું દુઃખ ડોકિયાં કરી જાય છે. મેં કવિતાથી શરૂઆત કરી હતી, પણ ત્યાં સીમિત ન રહ્યો. મેં ‘જાસાચિઠ્ઠી’ સિવાય બધું જ લખ્યું છે. હું મારા મનમાં રૂંધાતી વેદનાને વ્યક્ત કરવા લખું છું. અજાણ્યા અને અણધાર્યા વળાંકો મારા માર્ગમાં એક પછી એક આવતા ગયા અને હું એ વળાંક ઓળંગીને આગળ વધતો જ રહ્યો.”

ગયા રવિવારે ખલીલભાઈ છેલ્લા વળાંક પરથી ગાયબ થઇ ગયા!

વર્ષો પહેલાં પેલી ગઝલમાં તેમણે બીજો પણ એક શેર લખ્યો હતો :

અપની નીંદો કા લહૂ પોંછને કી કોશિશ મેં
જાગતે જાગતે થક જાતા હૂં સો જાતા હૂં

સૌજન્ય : લેખકની ફેઈસબૂક દિવાલેથી સાભાર

Loading

હિંદુઓનાં હિંદુ સંતાનો શક્તિશાળી બનવાં જોઈએ કે માથાભારે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|11 April 2021

ગયા સપ્તાહથી આપણે હિંદુ રાષ્ટ્રની ચર્ચા આરંભી છે. આપણા કેટલાક હિંદુ ભાઈઓને એમ લાગે છે કે આઝાદી પછી આપણા વડવાઓએ ભારતીય રાષ્ટ્રની સ્થાપના કરી એ મોટી ભૂલ હતી, તેમણે હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવી જોઈતી હતી. હિન્દુત્વવાદી હિંદુ ભાઈઓને તેમનો અભિપ્રાય ધરાવવાનો, તેને વ્યક્ત કરવાનો, તેને માટે પ્રચાર કરવાનો અને તેને સાકાર કરવા માટે રસ્તા ઉપર ઊતરીને આંદોલન કરવાનો અધિકાર છે. તેમણે આ બધું કર્યું પણ છે અને સત્તા સુધી પહોંચી ગયા છે. યાદ રહે, તેમને આ બધું કરવાની મોકળાશ ભારતીય રાષ્ટ્રે આપી હતી અને એ આપે તો જ તેને ભારતીય રાષ્ટ્ર કહી શકાય. નાગરિક અધિકાર, લોકતંત્ર, સેક્યુલરિઝમ અને કાયદાના રાજ વગરનું ભારતીય રાષ્ટ્ર ન હોઈ શકે. બાકી આઝાદી પછી ભારતીય રાષ્ટ્રના પહેલી પેઢીના શાસકો પાસે એટલી તાકાત હતી અને એટલી લોકચાહના હતી કે તેઓ ધારત તો હિન્દુત્વવાદીઓને ઘોડિયામાં જ દૂધ પીતા કરી શક્યા હોત.

તો પહેલી વાત તો એ કે અત્યારના હિંદુ રાષ્ટ્રના મશાલચીઓને ભારતીય રાષ્ટ્રે મોકળાશ આપી હતી અને એ મોકળાશ એટલી હતી કે તેઓ હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવા સત્તા સુધી પહોંચી શક્યા છે. હવે ઉપર કહ્યો એ સવાલ આવે છે કે હિંદુ રાષ્ટ્ર જ્યારે સ્થાપવા જ માગો છો અને સ્થાપવાની સ્થિતિમાં પણ છો તો એ કેવું હશે? શક્તિશાળી કે માથાભારે? હિંદુ રાષ્ટ્ર કેવા હિંદુઓને પેદા કરશે, શક્તિશાળી કે માથાભારે? હિંદુ રાષ્ટ્રનું ભવિષ્ય કોના હાથમાં સુરક્ષિત હશે, શક્તિશાળી હિંદુઓના હાથમાં કે માથાભારે હિંદુઓના હાથમાં? મહાન હિંદુ દેશનો જગતમાં જયજયકાર શક્તિશાળી હિંદુઓ દ્વારા થશે કે માથાભારે હિંદુઓ દ્વારા? જગતનો ઇતિહાસ શું કહે છે? મહાન રાષ્ટ્રો, સામ્રાજ્યો અને સભ્યતાઓને શક્તિશાળી પ્રજાએ આકાર આપ્યો છે કે માથાભારે પ્રજાએ?

હિંદુ રાષ્ટ્ર જ્યારે સ્થાપવા નીકળ્યા જ છો ત્યારે તમારે આ પ્રશ્નો વિષે વિચારવું જ પડશે. ખાસ કરીને જો તમે સાચા હિંદુ હો, જો તમને ભારતવર્ષ કે આર્યાવર્ત માટે સાચો પ્રેમ હોય અને જો તમે તમારાં સંતાનને તમારી છાતી ગજગજ ફૂલે એવા હિંદુ રામરાજ્યમાં સુખચેનમાં જીવતા જોવા માગતા હો તો તમારે આ પ્રશ્નો વિષે વિચારવું જ પડશે. શક્તિશાળી બનવામાં લાભ છે કે માથાભારે? સેક્યુલર હિંદુઓની ચિંતા કરવાની જરૂર નથી, એ જાય ભાડમાં. એ એમનું ફોડી લેશે. આપણાં અસલી હિંદુઓનાં હિંદુ સંતાનો શક્તિશાળી બનવાં જોઈએ કે માથાભારે? લાભાલાભની સમજ તો અસલી હિંદુઓ ધરાવતા જ હશે એમ હું માની લઉં છું.

એક નજર આપણા બાપદાદાઓએ અપનાવેલા વલણ ઉપર કરી લઈએ.

દેશમાં આઝાદીની લડત ચાલતી હતી ત્યારે એ સમયના આપણા બાપદાદાઓ એ સમયના આપણા નેતાઓને પૂછતા હતા કે તમે આઝાદીની વાત તો કરો છો, પણ પહેલા એ તો કહો કે આઝાદ ભારત કેવું હશે? એમાં શું હશે અને શું નહીં હોય? તેમને કહેવામાં આવ્યું હતું કે આઝાદ ભારતમાં હિંદુઓની બહુમતી હોવા છતાં પણ તે ભારતીય રાષ્ટ્ર હશે. શા માટે ભારતીય રાષ્ટ્ર? શા માટે હિંદુ રાષ્ટ્ર નહીં? એ સમયના સંસ્કૃત અને ભારતીય દર્શનના કેટલાક દિગ્ગજ પંડિતોએ આ પ્રશ્ન પૂછ્યા હતા. જ્યારે સ્પષ્ટ ભાષામાં ફોડ પાડવામાં આવ્યો કે આઝાદ ભારત ભારતીય રાષ્ટૃ હશે ત્યારે દરેક પ્રજાએ સવાલ કર્યા હતા કે તો પછી એ પણ બતાવો કે તેમાં શું હશે અને શું નહીં હોય? આ તો જોઈએ જ અને આ તો નહીં જ જોઈએ એવા આગ્રહ રાખવામાં આવ્યા હતા. તેમના અધિવેશનો મળતા હતા, ચર્ચાઓ થતી હતી, ઠરાવો થતા હતા, પ્રતિનિધિમંડળો નેતાઓને મળતા હતા, આવેદનો-નિવેદનો આપવામાં આવતાં હતાં, તેમની પત્રિકાઓ નીકળતી હતી, પ્રચાર-પ્રસાર થતા હતા, વગેરે બધું જ.

ટૂંકમાં આઝાદી પહેલાં આપણા બાપદાદાઓએ એ સમયના નેતાઓને ભારતીય રાષ્ટ્ર વિષે અનેક સવાલ પૂછ્યા હતા અને ખુલાસા માગ્યા હતા. ઇતિહાસ તપાસી જુઓ, આપણા એ સમયના નેતાઓનો અડધો સમય તો ભારતીય રાષ્ટ્રની સંકલ્પના વિષે ખુલાસા કરવામાં જતો હતો. થકવી દીધા હતા. ગાંધીજી દ્વારા સંપાદિત સામયિકોની ફાઈલો જોઈ લો; એમાં એક અંક એવો જોવા નહીં મળે જેમાં આઝાદ ભારત કેવું હશે એ વિષે ગાંધીજી પાસે કોઈને કોઈ સમાજે કે વાચકે પ્રશ્ન પૂછીને ખુલાસો ન માગ્યો હોય. આમ હું જવાબદારીપૂર્વક ગેરંટીથી કહું છું. એક અંક એવો જોવા નહીં મળે જેમાં ગાંધીજી પાસે ખુલાસો માગવામાં ન આવ્યો હોય.

આપણા એ સમયના અભણ કે અલ્પશિક્ષિત વડીલોને એટલી સમજ હતી કે દેશમાં કશુંક નવું થઈ રહ્યું છે તો એ કેવું હશે અને તેમાં શું હશે અને શું નહીં હોય એ સમજી લેવું જોઈએ. આપણું અને આપણી આવનારી પેઢીનું ભવિષ્ય દાવ પર લાગવાનું છે. અત્યારે દેશમાં ફરી એક વાર કશુંક નવું થઈ રહ્યું છે. આપણા કેટલાક હિંદુ ભાઈઓ ભારતીય રાષ્ટ્રને હિંદુ રાષ્ટ્રમાં પરિવર્તિત કરવા માગે છે ત્યારે તેમણે તેમના નેતાઓને પ્રશ્ન પૂછવા જોઈએ કે હિંદુ રાષ્ટ્ર કેવું હશે, તેમાં શું હશે અને શું નહીં હોય?

તમને આશ્ચર્ય થશે, હમણાં કહ્યું એમ ગાંધીજીનાં મુખપત્રોનો એવો એક અંક જોવા નહીં મળે જેમાં પ્રશ્નકર્તાએ ગાંધીજી પાસે આઝાદ ભારતના સ્વરૂપ વિષે ખુલાસો ન માગ્યો હોય અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખપત્રોનો એવો એક અંક જોવા નહીં મળે જેમાં હિંદુ રાષ્ટ્રના સ્વરૂપ વિષે કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય અને ખુલાસો આપવામાં આવ્યો હોય!

પણ તમને પ્રશ્ન પૂછતા ન આવડતું હોય કે તમે પ્રશ્ન ન પૂછો એટલે પ્રશ્ન મટી નથી જતો. પ્રશ્ન તો બચે જ છે કે હિંદુ રાષ્ટ્ર શક્તિશાળી હિંદુઓનું હશે કે માથાભારે હિંદુઓનું? તમારો પોતાનો, તમારા સંતાનોનો, હિંદુ રાષ્ટ્રનો અને હિંદુ પ્રજાનો ફાયદો શેમાં હશે?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 ઍપ્રિલ 2021

Loading

...102030...2,0542,0552,0562,057...2,0602,0702,080...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved