Opinion Magazine
Number of visits: 9573441
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નિષ્ક્રિયતાના નેરેટિવનાં થોડાં ગાબડાં વિશે

ભરત મહેતા|Opinion - Opinion|16 December 2020

‘નિરીક્ષક’ના છેલ્લા બે અંકમાં હવે ગુજરાતી સાહિત્ય પરિષદે શું કરવું જોઈએ, આ ચૂંટણી તો પાંખી બહુમતીથી જીતી છે, તો આવડો શો શોરબકોર, હર્ષદ ત્રિવેદી પણ સ્વાયત્તતાના પક્ષે જ હતા. એમની પહેલી પ્રચારપત્રિકામાં તો સ્વાયત્તતાના મામલે જ રાજીનામું આપેલું એમ પણ કહેવાયું હતું. પરિષદ નરી નિષ્ક્રિય થઈ ચૂકી છે, એવી ફરિયાદો આદરણીય શેખસાહેબ, પલાણસાહેબ અને સોનીસાહેબે વ્યક્ત કરી છે.

ત્રણેય મહાનુભાવો મારા માટે અત્યંત આદરણીય છે. છતાં એક મંત્રી તરીકે, વ્યક્તિ તરીકે મારે કંઈક કહેવું છે. પ્રકાશભાઈ, જીત્યાનો હરખ શેખસાહેબને થવો જોઈતો હતો. બીજું, એમણે જેમને સમર્થન આપ્યું હતું, એ હર્ષદ ત્રિવેદીએ બેઉ સંસ્થામાંથી આક્ષેપો થતાં રાજીનામું આપ્યું હતું. લડાઈ અધૂરી છોડી, રણ છોડી પલાયન કરેલું. ‘આક્ષેપો’ કરનારાઓનો સબળ મુકાબલો ન કર્યો જ્યારે પ્રકાશભાઈ પરિષદની અંદર અને બહાર હરહંમેશાં રણમોઝાર જ રહ્યા છે એ બધા જાણીએ છીએ. સામા પક્ષે હું પ્રવીણ પંડ્યાની એ વાતમાં સંમત નથી કે હર્ષદ ત્રિવેદી ‘રાજસત્તાના પીઠબળથી ઊભેલા’ ઉમેદવાર હતા. છતાં એટલું ઉમેરું શેખસાહેબ કે પ્રકાશભાઇ અને હર્ષદભાઈમાં તમારો ઝુકાવ હર્ષદભાઈ તરફી હોય એ મારા ગળે ક્યારે ય ઊતરી શકશે નહીં. જરાક સ્ટુડિયોની બહાર આવીને જુઓ, તો તમને સમજાશે કે આપણને પ્રકાશભાઈની આજે કેટકેટલી જરૂર છે! ભોગીલાલ ગાંધીની એ જીવંત પરંપરા છે. ‘હૂ હૂ’ નવલકથા લખ્યા પછી પણ પલાણસાહેબ તો સમયાંતરે ‘નિરીક્ષક’ને લાભાન્વિત કરતા રહે છે, તેથી એ પ્રકાશભાઈ તરફી ન હોય એ તો દીવા જેવું સ્પષ્ટ છે.

શેખસાહેબે પ્રેરિત બે વ્યાખ્યાનમાળાની ફરિયાદ બિલકુલ સરમાથા પર તેમ છતાં આખેઆખી પરિષદને એટલા માત્રથી નિષ્ક્રિય ન ગણાય તેમ જ પ્રકાશભાઈ પરથી પસંદગી બીજે ઢોળી ન દેવાય. ગયા તબક્કામાં પ્રકાશભાઈ કેવળ ને કેવળ મધ્યસ્થ સમિતિના સભ્ય હતા. ત્રણ દાયકાની સેવાનો બદલો ટપલીદાવથી લેવાનો? સોશિયલ મીડિયામાં તો ‘નિરંજન ડોહાની લાશ પરિષદમાંથી નીકળી હતી, હવે પ્રકાશ ડોહાની નીકળશે’, એવું લખવામાં આવ્યું! કેમ મહામંત્રી, ઉપપ્રમુખો, કારોબારી સભ્યો અને મધ્યસ્થ સમિતિને કોઈ પૂછતું નથી? હજુ તો પ્રમુખ અને મધ્યસ્થનાં પરિણામો જાહેર થયાં, ત્યાં તો આપણા સાલસ કવિમિત્ર અને સરસ નવલકથાકાર અશોકપુરી ગોસ્વામીએ લખ્યું -‘પરિષદમાં નકારાત્મક જૂથ ચૂંટાઈ આવ્યું છે.’ અભિપ્રાયમાં આવી ઉતાવળ? કોણ નકારાત્મક છે જણાવોને ! મહામંત્રીએ તો જાહેરમાં થતાં આક્ષેપો સામે મૌનવ્રત ધારણ કર્યું છે, એટલે એ પ્રફુલ્લ જ રહેશે.

મારે થોડી પેટછૂટી વાત કરવી છે, જાંઘદર્શન કરાવવું છે. પરિષદ જેટલી રઘુવીર ચૌધરીના મંત્રીકાળમાં, પ્રકાશ ન.શાહના મંત્રીકાળમાં સક્રિય હતી, એટલી ક્યારે ય ન હતી. તેમ છતાં ચંદ્રકાન્ત ટોપીવાળાના ગાળામાં જે સંમેલન/જ્ઞાનસત્રો અને સિતાંશુભાઈના ગાળામાં જે સંમેલનો/ જ્ઞાનસત્રો થયાં એનું સ્તર કેટલું ઉન્નત હતું, એ આ મહાનુભાવોને કહેવાનું ન હોય. આ ગાળામાં ડર. પારુલ દેસાઈએ તૈયાર કરેલાં ઇતિહાસગ્રંથો, સ્વાધ્યાયપીઠ દ્વારા સંપાદિત થયેલી ચાર રચનાઓ, પરીક્ષિત જોશીએ કરેલી અઢળક ગ્રંથાલય-પ્રવૃત્તિ-આ કામ નથી? ‘પરબ’ રાબેતા-મુજબ જ નીકળતું રહે છે. સોનીસાહેબને જણાવવાનું કે એમાં ‘શબ્દસૃષ્ટિ’ના લેખકો પણ લખે છે. હું કોરોનાપૂર્વે થોડીક વ્યાખ્યાનમાળાઓ યોજી શક્યો.

શેખસાહેબ પ્રેરિત બેઉ વ્યાખ્યાનમાળાઓ એમની સહાયથી સરસ જ ચાલતી હતી. એ વ્યાખ્યાનમાળામાં લબ્ધપ્રતિષ્ઠ વ્યક્તિઓ જ આવતી હોય છે. આ વખતે ઈ-મેઇલ પર ઈ-મેઇલ કરવા છતાં જવાબ ન આવ્યા. ત્યાર પછી મેં અશોક ભૌમિકનું નામ સૂચવ્યું એમણે સ્વીકાર્યું. બે વ્યાખ્યાનો માળાના ત્રણ વક્તા સર્વશ્રી  સુનિલ કોઠારી, શિરીષ પંચાલ અને અશોક ભૌમિક છે. ભૌમિકજી ઑનલાઇન વ્યાખ્યાન આપવા તૈયાર જ નથી, સુનિલ કોઠારીએ વ્યાખ્યાનની પ્રત આપી છે, પણ વ્યાખ્યાન કોરોનાનું પતવા દો પછી એમ કહે છે. શિરીષભાઈ સાથે મેં વાત કરી રાખી છે. ઑનલાઇનમાં ગરિમા જળવાતી જ નથી. હું અને પીયૂષ ઠક્કર મળીને બેઉ વ્યાખ્યાનમાળાઓ ગરિમાપૂર્ણ રીતે કરીશું, એની ખાતરી આપું છું.

ગયા વખતની ચૂંટણીમાં સિતાંશુભાઈ અને બળવંતભાઈ સામસામે હતા. ત્યારે બેઉ સામે મારો એક જ સવાલ હતો કે તમને આ ઉંમરે પરિષદ એકાએક કેમ સાંભરી? આ વખતે બળવંત જાની, શેખસાહેબ અને શિરીષ પંચાલ સમર્થિત હર્ષદ ત્રિવેદી સાથે હતા! ગયા વખતે હર્ષદ ત્રિવેદી સિતાંશુભાઈના સમર્થનમાં હતા! એ વખતે મારું સમર્થન બેમાંથી એકેય ઉમેદવારને ન હતું. પરિષદ સાથેના લગાવને લઈને મને પ્રશ્નો હતા. સિતાંશુભાઈ માટે પત્રિકાથી માંડી સમર્થન લગી. રમણ સોની, જયદેવભાઈ, શિરીષ પંચાલ બધા જ હતા. સિતાંશુભાઇ પ્રમુખ બન્યા પછી હું લગભગ ખડેપગે એમની સાથે રહ્યો છું. જરૂર પડી છે, ત્યારે એમને પ્રશ્નો પૂછ્યા જ છે. આજે પણ દિલથી કહું છું કે જે પણ જીત્યા હોત, એમની સાથે એટલી જ સારી રીતે કામ કરત. પરિષદ આપણી અગ્રિમતા હોવી જોઈએ, અંગત રાગદ્વેષ નહીં.

મૂળ વાત મારી એ છે કે પરિષદનું કે પ્રકાશભાઈનું ચુસ્ત અમ્પાયરિંગ કરતાં મિત્રો અકાદમીની વાત આવે, ત્યારે વિકેટકીપિંગ કરતાં હોય છે! પલાણસાહેબ સ્વાયત્તતામાં માને જ છે. તેમ છતાં અકાદમીના કાર્યક્રમોમાં ઘણી વાર શોભામાં અભિવૃદ્ધિ કરતાં રહ્યા. મને આશ્ચર્ય એ થતું હતું કે પલાણસાહેબ, મધુ રાય, આશા ગોહિલ જો અકાદમીના કાર્યક્રમોમાં જતાં હોય, તો એ એમનો અધિકાર છે પણ જ્યાં લગી ‘નારાયણ દેસાઈ ઠરાવ’, સામાન્યસભામાં પસાર કરાયેલ ઊભો હતો, ત્યાં લગી એ પરિષદના કાર્યક્રમોમાં શા માટે ? એ સવાલ મેં સિતાંશુભાઈને પૂછ્યો જ છે. બીજી તરફ મેં અજય રાવલનું નામ વડાલી કૉૅલેજમાં એક વ્યાખ્યાન સંદર્ભે મૂક્યું અને નિમંત્રણ છપાયાં પછી મહામંત્રીએ ન થવા દીધું! મોટાને સહુ માફ જેવું આ ગણાય. પરિષદના ઠરાવની આમન્યા ન જાળવીને ચૂંટાયેલા મધ્યસ્થ સમિતિના સભ્યો અકાદમીના કાર્યક્રમોમાં જવા માંડ્યા કે પુરસ્કાર સ્વીકારવા માંડ્યા. સ્વાયત્તતાના સંમેલનમાં મંત્રીઓ પણ ઉપસ્થિત ન હોય, બૅનર ન હોય, પ્રેસનોટ ન હોય, તો આ ચૂક ન ગણાય?

વધુ વિગતમાં જેમને રસ હોય એમને નિષ્ક્રિયતાનું નેરેટિવ કેવી રીતે ઊભું થયું એ જણાવીશ. એક વર્ષ પહેલાં સોંપાયેલાં સંપાદનોની વિગત આજ લગી સંપાદકોને મળી નથી! આમાં પ્રમુખનો જ માત્ર વાંક? મારી પ્રતીતિ એ રહી છે કે વિદેશ હતા ત્યારે પણ સિતાંશુભાઈ સતત સક્રિય હતા. વસ્તુતઃ પ્રમુખ મોટે ભાગે નીતિનિર્દેશક હોય. ખરું કામ બે ઉપપ્રમુખો, કારોબારી સભ્યો, મધ્યસ્થ સમિતિ અને મંત્રીઓએ કરવાનું હોય. નિષ્ક્રિયતાનો સવાલ પૂછવો હોય, તો આ સહુને પૂછવો પડે. મને યાદ નથી કે કોઈના ય કામમાં પ્રમુખ તરીકે સિતાંશુભાઈએ દખલ કરી હોય. એનાથી ઊલટું એમણે આનંદની ઉજાણી કે ‘ઇ’ મૅગેઝિન શરૂ કર્યું હોંશથી, તો એ હોંશ જોવાના બદલે ઘણા મિત્રોએ કહ્યું કે કારોબારીની સંમતિ લેવી જોઈએ! સિતાંશુભાઈ સિવાયના મેં ઘણા પ્રમુખો જોયા છે એ શું અતિ સક્રિય હતા ?

મારી સહુ મિત્રોને વિનંતી છે કે પરિષદમાં સહુ સક્રિય બનો. બહારથી, ‘પ્રેક્ષાગાર’માંથી કિકિયારીઓ ન પાડો. શરીફાબહેન, નરેશભાઈ, પલાણસાહેબ સહુ આવો. પોતે સહુ સ્વાયત્તતામાં માને છે, તો પોતાની સંસ્થામાંથી ગુજરાત સરકારને સ્વાયત્તતા અંગે આવેદનપત્ર મોકલો.

કનુભાઈ સૂચકે બરાબર સૂચવ્યું કે ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાનો ઠેકો કેવળ પ્રકાશભાઈ જ શા માટે ઉપાડે ? અન્ય મિત્રો ઉપાડે. હર્ષદભાઈ પ્રમાણમાં યુવાન છે, આ આંદોલન સક્રિય બનાવી ભાવિ પ્રમુખ બની જ શકે. પલાણસાહેબની આગેવાનીમાં પણ હું લડવૈયા તરીકે જોડાવા તૈયાર છું.

‘૮૩માં બારમું ધોરણ પાસ કરી મેં પરિષદમાં પગ મૂકેલો, આજે હું જે કાંઈ છું, એ પરિષદને આભારી છે. મેં મારી પહેલી ચોપડી જ પરિષદના ગ્રંથપાલ સ્વ. પ્રકાશ વેગડને અર્પણ કરેલી. ‘ગ્રંથાલયધારાના પ્રચંડ હિમાયતી સૂચિપુરુષને ….’ માતૃસંસ્થાની ચિંતામાં બે શબ્દો વધુ લખાઈ ગયા હોય, તો મિત્રો માઠું ન લગાડે એવી હૃદયથી વિનંતી છે. મુનશી, ઉમાશંકર જોશી, રઘુવીર ચૌધરી, સિતાંશુભાઈની પરંપરા આપણે આગળ વધારીએ એવી આશા સાથે.

ડિસેમ્બર ૫, ૨૦૨૦.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2020; પૃ. 15

Loading

ગાંધીના સંગમાં સરદારના વ્યંગ

અશ્વિનકુમાર|Gandhiana|16 December 2020

ગાંધીજી અને સરદાર વચ્ચે લગભગ ત્રીસ વર્ષનો સુવાસભર્યો સહવાસ છે. પ્રારંભમાં મોહનદાસને વલ્લભભાઈ 'અક્કડપુરુષ' લાગે છે. ગોરંભમાં એ જ સરદાર ગાંધીજીનો 'જમણો હાથ' બની રહે છે. ૯-૧-૧૯૧૫ના રોજ વતન-વાપસી બાદ બહુ થોડા વખતમાં ગાંધીજીને 'મહાત્માજી'નું બિરુદ મળ્યું હતું. એ વેળાએ વલ્લભભાઈએ ટીકા કરી હતી કે, "આપણે ત્યાં મહાત્માઓ બેસુમાર છે." ('ગાંધી'સ ટ્રુથ', એરિક એરિક્સન, પૃ. ૯૦) આ જ વલ્લભભાઈ ગાંધીવિદાયના આઘાતમાં ૯-૨-૧૯૪૮ના રોજ નરહરિ પરીખને પત્રમાં લખે છે : "આપણે માથેથી છત્ર ચાલી ગયું." ('સરદારશ્રીના પત્રો – ૪', પૃ. ૩૬૫)

ગાંધી-સરદાર સંબંધ વિશે કાકાસાહેબ કાલેલકર ‘ગાંધી પરિવારના જ્યોતિર્ધરો'માં નોંધે છે : "ગાંધીજી અને સરદાર વલ્લભભાઈએ એકબીજાને બરાબર ઓળખ્યા. બંનેને આનંદ હતો કે આપણને એક સારા લગભગ સમાનધર્મી મળી ગયા. સરદાર વલ્લભભાઈમાં ચારિત્રની ઊંચાઈ ન હોત તો ગાંધીજી એમને પોતાનો 'જમણો હાથ' ન બનાવત. ગાંધીજીમાં તેજસ્વિતા અને તીવ્ર દેશભક્તિ ન હોત તો વલ્લભભાઈ જેવા માની પુરુષ એમના સિપાહી ન બનત. બંનેમાં આદર્શની સમાનતા ન હોત તો ત્રીસ વરસ સુધી બંનેનો આટલો ઘનિષ્ઠ સહયોગ ચાલી ન શક્યો હોત."

સરદાર વ્યક્તિ તરીકે પાક્કા છે, અભિવ્યક્તિમાં એક્કા છે. પાંચ ફૂટ સાડા પાંચ ઇંચ જેટલી ઊંચાઈ અને એકસો છેતાળીસ રતલ આસપાસનું વજન ધરાવતા વલ્લભભાઈ પાસે અમર્યાદિત, અસાધારણ, અજોડ વિનોદવૃત્તિ છે. તેમની લાયકાત અને વકીલાતથી એમનાં વાણી-વર્તનમાં વ્યંગરંગ ભળે છે. સરદારમાં નિર્ભયતા, નેતૃત્વશક્તિ, નિખાલસતા છે. વ્યંગના ચાબુક મારવા માટે આટલા ગુણો પૂરતા છે! મો. ક. ગાં. કરતાં વ. ઝ. પ. ઉંમરમાં છ વર્ષ અને ઓગણત્રીસ દિવસ નાના છે. સરદાર માટે ગાંધીજી સાથે વિનોદ-વિહાર કરવા આટલું વયઅંતર પૂરતું ઓછું અને પ્રમાણમાં સલામત છે! 'વિનોદ-વલ્લભ' સરદાર લોકજીવનની વાસ્તવિકતા પણ જાણે છે અને ગાંધીજીવનની નિકટતા પણ માણે છે. મો.ક. ગાંધી સાથે મોકળાશ અનુભવનાર વલ્લભભાઈ સત્યના પ્રયોગવીર સામે વ્યંગના પ્રયોગો કરી શકે છે. કારણ કે, ગાંધીજી હસી શકે છે, સહી શકે છે!

મોહન-વલ્લભ-મહાદેવના ત્રિવેણી સંગમમાં, યરવડામંદિર સાચે જ દિવ્ય-ભવ્ય-નવ્ય જણાય છે. મહાદેવભાઈની રોજ-નોંધમાં સરદારના વ્યંગ-રૂપનું મનોહર દર્શન કરી શકાય છે. 'સરદાર : એક સમર્પિત જીવન'ના લેખક રાજમોહન ગાંધીના મતાનુસાર, " … આ ડાયરીમાં વલ્લભભાઈનું જીવંત સ્વરૂપ જોવા મળે છે, તેટલું બીજે કશે મળતું નથી …" (પૃ. : ૨૧૩) જાન્યુઆરી, ૧૯૩૨થી મે, ૧૯૩૩ સુધીના ગાંધીસોબતના સોળ માસના જેલ-જીવનમાં સરદારની વિનોદ-ચાંદની સોળે કળાએ ખીલેલી અનુભવી શકાય છે. જેલવાસ દરમિયાન ગાંધીજી માટે ખજૂર ધોવાનું, દાતણ કૂટવાનું, સોડા બનાવવાનું … વગેરે કામ વલ્લભભાઈએ દિલથી સ્વીકાર્યું હતું.

'મહાદેવભાઈની ડાયરી'ના પહેલા ભાગમાં નોંધ છે : વલ્લભભાઈ બાપુને હસાવવામાં બાકી નથી રાખતા. આજે પૂછે : "કેટલાં ખજૂર ધોઉં?" બાપુ કહે : "પંદર." એટલે વલ્લભભાઈ કહે : "પંદરમાં અને વીશમાં ફેર શું?" બાપુ કહે : "ત્યારે 'દશ.' કારણ દશમાં અને પંદરમાં ફેર શું?" (પૃ. ૯) જમી રહ્યા પછી વલ્લભભાઈ હંમેશની જેમ દાતણ કૂટીને તૈયાર કરવા બેઠા. પછી કહે : "ગણ્યાગાંઠ્યા દાંત રહ્યા છે તો પણ બાપુ ઘસ ઘસ કરે છે. પોલું હોય તો ઠીક પણ સાંબેલું વગાડ વગાડ કરે છે." (પૃ. ૧૩) વલ્લભભાઈની ગમ્મત આખો દિવસ ચાલતી જ હોય. બાપુ બધી વસ્તુમાં 'સોડા' નાખવાનું કહે છે. એટલે વલ્લભભાઈને એ એક મોટો મજાકનો વિષય થઈ પડ્યો છે. કંઈક અડચણ આવે એટલે કહે : "સોડા નાખોની!" અને એની હાસ્યજનકતા બતાવવાને સારુ  … વૈદ્યના નેપાળાની વાત કરીને ખૂબ હસાવ્યા. (પૃ. ૧૪)

ગાંધીજી જેલમાં ક્યારેક મોડે સુધી બેસીને બહુ કાગળો લખાવતા. આ અંગે મહાદેવભાઈ નોંધે છે : "વલ્લભભાઈ પણ હવે મંત્રીની પદવીએ ચઢ્યા અને ઢગલા કાગળો ઉકેલવામાં મદદ કરવા લાગ્યા. એમને તો પાછું મનગમતું કામ. એમના વિનોદનો ફુવારો તો ચાલતો જ હોય. કોઈના કાગળમાં જોયું કે સ્ત્રી કુરૂપ છે એટલે ગમતી નથી, એટલે તુરત બાપુને કહે : "લખોની કે આંખ ફોડી નાખીને એની સાથે રહે, એટલે કુરૂપ જોવાનું નહીં રહે!" "(મહાદેવભાઈની ડાયરી, ભાગ-૨, પૃ. ૨૭૫)

સરદાર પાસે સચોટ તળભાષા જીભવગી છે. ગાંધીજી કહે છે : "વલ્લભભાઈની ખેડૂતી ગુજરાતી તેની પાસેથી કોઈ હરી જ ન શકે." (કિ.ઘ. મશરૂવાળાને પત્ર, ૨૧-૯-૧૯૩૨, 'ગાંધીજીનો અક્ષરદેહ', ૫૧:૧૨૦) આ જ રીતે સરદારના વિનોદ-સામર્થ્ય વિશે ગાંધીજી 'હરિજન'(૨૫-૨-૧૯૩૩)માં લખે છે : " … મારી પાસે સરદાર વલ્લભભાઈ પટેલ રૂપે એક લાડકો વિદૂષક છે. તેઓ મને પોતાની અણધારી ગંમતની વાતોથી હસાવીને લગભગ બેવડ વાળી દે છે. તેમની હાજરીમાં ખિન્નતા પોતાનું ભૂંડું મુખ છુપાવીને ભાગી જાય છે. ગમે તેવી ભારે નિરાશા પણ તેમને લાંબો વખત ઉદાસ રાખી શકતી નથી અને તેઓ મને એકથી બીજી મિનિટ માટે ગંભીર રહેવા દેતા નથી. તેઓ મારા 'સાધુપણા'ને પણ છોડતા નથી! … " ('ગાંધીજીનો અક્ષરદેહ', ૫૩:૪૫૦)

સરદાર ખિન્ન નહીં, પ્રસન્ન રહેવા માટે સર્જાયેલા છે. ગાંધીકથાકાર નારાયણ દેસાઈ 'મને કેમ વીસરે રે?'માં લખે છે : "સરદારનો વિનોદ એમની આંતરિક પ્રસન્નતામાંથી સ્ફૂરતો. અલબત્ત એ કોઈ વાર સામાને દઝાડે એવો આકરો પણ થઈ જતો. કદાચ વકીલાતના જમાનાના એ સંસ્કાર હશે. પરંતુ કઠોર ગણાતા સરદારના હૃદયમાં જો વિનોદ અને હાસ્યરસનાં ઝરણાં ન હોત તો જીવનની આટઆટલી આકરી કસોટીઓમાંથી પાર ન ઊતર્યા હોત." આપણે સરદારના જીવનમાંથી એટલું તો પામીએ કે હાસ્ય એ જિંદગી જીવવાનું રહસ્ય છે.

આજના મોટા ભાગના લોકનેતાઓનાં વિચાર-વાણી-વર્તન ઓછા હાસ્યપ્રેરક અને વધારે હાસ્યાસ્પદ છે. સરદાર જેવો વિનોદ પ્રગટાવવા માટે અણીશુદ્ધ ચારિત્ર, તળનો સંપર્ક, સમસ્યાની સમજણ, લોકભાષામાં અભિવ્યક્તિ અને ગાંધીજી જેવા જીવન-કવનનો સંગ પણ જોઈએ!

……………………………………………………………………………………………………………..

સંદર્ભ-સૂચિ :

Erikson, Erik (1970). Gandhi's Truth: On the Origins of Militant Nonviolence. Faber and Faber Limited : London.

કાલેલકર, કાકાસાહેબ (૧૯૭૫). ગાંધીપરિવારના જ્યોતિર્ધરો. નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

ગાંધી, મોહનદાસ (૧૯૭૮). ગાંધીજીનો અક્ષરદેહ(ગ્રંથ ૫૧). નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

ગાંધી, મોહનદાસ (૧૯૭૮). ગાંધીજીનો અક્ષરદેહ(ગ્રંથ ૫૩). નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

ગાંધી, રાજમોહન (૨૦૧૦). સરદાર પટેલ : એક સમર્પિત જીવન (અનુવાદક : નગીનદાસ સંઘવી; પહેલી આવૃત્તિ, ૧૯૯૪; અગિયારમું પુનર્મુદ્રણ, ૨૦૧૦). નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

દેસાઈ, નારાયણ (૧૯૮૬). મને કેમ વિસરે રે?. બાલગોવિંદ પ્રકાશન : અમદાવાદ.

પટેલ, મણિબહેન (સંયોજક-સંપાદક) (૧૯૮૧). સરદારશ્રીના પત્રો – ૪ : બાપુ, સરદાર અને મહાદેવભાઈ (જન્મશતાબ્દી ગ્રંથમાળા – ગ્રંથ ચોથો) (પહેલી આવૃત્તિ, ૧૯૭૭; ત્રીજી આવૃત્તિ, ૧૯૮૧) સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન : અમદાવાદ.

પરીખ, નરહરિ (સં.) (૧૯૪૮). મહાદેવભાઈની ડાયરી પુસ્તક પહેલું. નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

પરીખ, નરહરિ (સં.) (૧૯૪૯). મહાદેવભાઈની ડાયરી પુસ્તક બીજું. નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

……………………………………………………………………………………………………………..

Email-id: ashwinkumar.phd@gmail.com

Blog-name:  અશ્વિનિયત / Ashwiniyat

Blog-link: http://https://ashwinningstroke.blogspot.com  

Loading

સરકારમાં “સર” છે તો “કાર” પણ છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 December 2020

આજે થોડી હળવી વાત કરવી છે એટલે કોઈ પાઘડીના માપનું માથું ન કરે અને એન્જોય કરે એટલી જ વિનંતી છે. શું છે કે લોકો ગાળ દઈ શકે એટલે ઈશ્વરે, સરકાર અને વહુનું સર્જન કરેલું છે ને બંનેને જેમ સર્જનની તક આપી છે એમ જ વિસર્જનની તક પણ કુદરતે આપી છે. સરકારને ગાળ ને વહુને ગાલ આપી શકાય. વહુ, સહુની નથી થતી તેમ સરકાર પણ સહુની નથી થતી. સરકાર સારું કામ ન કરે તો લોકો બદલી કાઢે છે, પણ વહુ સારું કામ ન કરે તો તેને બદલવાનું સહેલું નથી. એ જુદી વાત છે કે વહુ જ સાસરું બદલતી રહીને સુ-વર પામતી રહે. વહુ મળે તો “સર” રહેવાનું અઘરું છે ને “કાર” હોય તો તે કાઢવી પડે એમ પણ બને. જો કે સરકારમાં “સર” અને “કાર”ની ગેરંટી છે. સરકારનું એવું છે કે એને માનવી પડે. ન માનો તો એ પટાવે અથવા તો પતાવે. “વાતોનાં વડાં” પ્રધાન હોય ને સૂતરફેણી જેવી દાઢી ફરકાવતાં ઋષિ કહે કે કૃષિ કાનૂન ભલા માટે જ છે તો માની લેવાનું. એને પૂછવા નહીં જવાનું કે કાનૂન કોના ભલા માટે છે? ખરેખર તો એ પૂછવાનો પ્રશ્ન જ નથી, એ તો સમજવાનો ને સાનમાં સમજી જવાનો પ્રશ્ન છે. સીધી વાત એ છે કે કોઈ સરકાર ગરીબ રહી નથી, એ હક પ્રજાનો જ છે. પછી એ કહે કે કાનૂન ભલા માટે છે તો સમજી જવાનું કે કોના ભલા માટે છે ! તેને બદલે તમે ચક્કા જામ કરવા નીકળો તો છક્કા તમારા છૂટે તેમાં નવાઈ નથી. એમાં થશે શું કે ચક્કા જામ તમે કરશો ને ભાવ છાનામાના પેટ્રોલના વધશે ને તે ય એવી રીતે જેમ આંગળીના નખ વધે છે.

હવે સરકાર સામે તમે શીંગડાં ભરાવો તો થોડો વખત તો ચાલશે બધું પણ, છેલ્લે સમાધાનમાં જ ધાન છે એ ભાન થઈને રહેશે. તમે ટોલ ટેક્સ નહીં ભરો તો ટેક્સ ટાલ પર આવશે ને એની મેળે જ બાલ ઊતરી જશે ને ત્યારે હેલ્મેટ પણ તેને ઢાંકી નહીં શકે. કોરોનાની ખબર તો પડતાં પડશે, પણ કોરોના ટેક્સ તો ઘણાની ટાલ પાડી દેશે ને ટાલ પર તો ઓલરેડી ટેક્સ હશે જ એટલે બાવાના બે ય બગડશે. એટલું સમજો કે સરકારમાં અક્કલ વધારે જ હોય છે. એ જાણે છે કે કોરોના કાળમાં પૈસા કેવી રીતે ખરચવા? એને ખબર છે કે કોરોના કરતાં સંસદની જરૂર વધારે છે. કોરોના તો આજ છે ને કાલ નથી, જ્યારે સંસદ તો કાયમી છે. એ વગર એ નવું સંસદભવન કરવા બેસે? Sansad ખરેખર તો son-sad છે, જેમાં son બેસે ને દેશને ય બેસાડી દે એમ બને. સરકારને ખબર છે કે બુલેટ ટ્રેન હોય તો અમીરોના ને ગોળી હોય તો ગરીબોના હિતમાં જ હોય છે. આપણે તો દેશમાં જ રહીએ છીએ, જ્યારે સરકાર તો વિદેશમાં પણ રહે છે, બલકે, ઘણીવાર તો ત્યાં જ વધારે રહે છે. એવે વખતે એ દેશનો, વિદેશમાં કેવો ઇમ્પેક્ટ પડે એ ન જુએ? એ વિદેશમાં છાપ બગાડે તો અહીં ઇન,“વેસ્ટ” કયો કાકો કરે?

ખરેખર તો ઈન્ડસ્ટ્રી ઇઝ ઇન ડસ્ટ ! ડોંચ્યુ નો ધેટ? ઈન્ડસ્ટ્રીને ઉપર નહીં લાવીએ તો લોકો “ઉપર” જશે ને એ ઉપર જશે તો સરકાર નીચે રહેવાની હતી? એ ય ઊંચી જશે જ ! એ પણ ઊડશે તો ઇંડસ્ટ્રિયાલિસ્ટના જીવ પર જ ને ! એ ઉપર આવશે તો સરકાર પ્લેનમાં કે હેલિકોપ્ટરમાં ઊડી શકશે ! એને કૈં તમે “ઉડાડવાના” હતા? દાણીઓ ને દોણીઓ છે તો બાણીઓ ને બોણીઓ છે ને તેની જ તો ધાણીઓ ફૂટે છે, નહીં તો બધું ધૂળધાણી થઈને રહે. સમજો, જરા, સમજો !

સરકાર અને સરદારમાં અસરદાર સરદાર છે, એટલે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. હવે યુનિટી સ્ટેચ્યુઓ વચ્ચે જ રહી છે. બાકી લોકો તો ઠોકો તો જ ઠેકાણે આવે છે. લોક છે તો પરલોક છે, બાકી ત્યાં જાય કોણ? કોઈ દાણી સરદારને અ-સરદાર કરવા મથે તો લોકોને તો કોઈ ફરક પડતો નથી. બહુ બહુ તો એ મેસેજ ફોરવર્ડ કરી જાણે. બહુ થાય તો “ખરું ચાલે છે !” કહીને ખોટું કરવા લાગી જશે કે એકાદ સૂત્ર ફટકારશે – વિમાન ઘર કરતાં સ્વમાન ઘર તો ઊંચું જ હોવાનું ! – શું છે કે જમાનો “એડ્સ”નો છે. મંત્રીઓને ફોટાનો ક્રેઝ હોય તો ઉદ્યોગપતિઓને ખોટાનો ન હોય? સંપત્તિ સરદારને ઢાંકે ને દાણીને હાંકે એમાં નવાઈ નથી. આ લોકો અગમચેતીમાં ચીનથી આગળ છે. એ જેમ રોગ પહેલાં રસી શોધી રાખે છે એમ જ દાણી અનાજ પહેલાં સ્ટોરેજ પણ પ્લાન કરી લે છે. ચીનથી આવેલો કોરોના ચીનમાં નથી ફેલાયો એટલો વિશ્વમાં ફેલાયો છે તે સમજાય છે?

વેલ, જેમાં સર છે ને કાર પણ છે ને જો તે સરકાર નથી, તો નક્કી તે ડોક્ટર છે. ડોક્ટરને કેટલાક ડોક-ક્ટર પણ કહે છે, પણ બધા જ એવા નથી. કોરોનામાં ડોકટરોએ જીવ આપ્યો છે તો જીવ લીધો પણ છે. બે પ્રકારના ડોકટરો કોરોનાએ આપ્યા છે. જાનની પરવા કર્યા વગર ડોક્ટરે, દરદીઓને બચાવ્યા છે તો દરદીઓએ પણ જાન આપીને ડોક્ટરોને બચાવ્યા છે. ડોક્ટરોની એક ટીમ એવી પણ આવી જેણે કોરોનામાંથી કિડનીની કમાણી કરી. એમાં શું હતું કે કોરોનામાં દરદી મરે તો ડેડબોડી સંબંધીઓને અપાતી ન હતી ને ડોકટરોએ સેવા તો કરી જ હતી, દરદીને દુનિયા છોડાવવાની, તો ડોક્ટરે શું કરવાનું? હવે જે દુનિયા જ છોડી ગયો છે તેને કિડની તો કામ લાગવાની નથી, તો બેસ્ટ વે, કિડની કાઢીને મેવાની વ્યવસ્થા કરી લો. ટૂંકમાં, ડોક્ટરો બે પ્રકારના હોય છે. એક ખાનગી ને બીજા જાહેર. ખાનગીમાં દિલ ઘટે ને બિલ વધે. જાહેરમાં દિલ ને બિલ બંને ઓળખાણને આભારી છે. ઓળખાણ હોય તો દિલ ને બિલ બંને બચે ને એ ન હોય તો સિવિલ, ઈવિલની ગરજ સારે એટલું નક્કી.

ડોક્ટરમાં કેટલાક ભાગુ હોય છે તો કેટલાક લેભાગુ હોય છે. ભાગુ એટલે એવા જે ભાગતા ફરે. લેભાગુ એવા જે (પૈસા) લઈને ભાગતા ફરે. કેટલાક ડોક્ટરો એટલા ભલા હોય છે કે તે નિદાનમાં પણ દાન જુએ છે. એવું બને કે નિદાન ટાઇફોઇડનું થાય ને દરદી મલેરિયાથી ગુજરી જાય, તો કેટલાક મલેરિયાનું નિદાન કરે તો દરદીની તાકાત નથી કે તે ટાઇફોઈડથી મરે. એ મલેરિયાથી જ મરે. આ વખતે તો ડોક્ટરો નવરા પણ બહુ રહ્યા. લોકડાઉનમાં દવાખાના બંધ, તો કરે શું? ઘરમાં જ સ્ટેથોસ્કોપ ફેરવતા રહ્યા. તો ય ટાઈમ વધ્યો, તો પોતાનું જ બી.પી. માપતા રહ્યા. જો કે હમણાં તો ઘણા હડતાળ પર ગયા છે. થયું એવું કે આયુર્વેદના અનુસ્નાતકોને સરકારે સર્જરીની છૂટ આપી. આમ તો એ સર્જરી કરતા જ હતા, પણ મેડ મેડ મેડિક્લેઇમને ઓફિશિયલ કરવા સરકારે વિધિવત્‌ જાહેરાત કરી કે હવેથી આયુર્વેદના સ્નાતકો પણ સર્જરી કરી શકશે. આ વાતે આયુર્વેદે, એલોપથીની સિમ્પથી ગુમાવી અને ડોક્ટરોની એક જમાત હડતાળ પર ઊતરી. એને કદાચ થયું હશે કે દરદીને મારનારા અમે જીવતા જાગતા બેઠા છીએ તે ઓછા છીએ કે આયુર્વેદ એમાં ભાગ પડાવે? ધીસ ઈઝ નોટ ફેર ! ને બસ ! ડોક્ટરો હડતાળ પર ઊતર્યા. સારું છે કે દરદીઓને અક્કલ નથી, નહિતર એ પણ બધા હડતાળ પર ઊતર્યા હોત ! એવું થયું હોત તો ઘણા દરદીઓ અવગતે જતા બચી ગયા હોત ! જો કે દરદીઓ ડોક્ટરોને ભગવાન માને છે ને એ ભલે ભગવાનને ત્યાં પહોંચાડતા હોય તો પણ, દરદીઓ, ડોક્ટરોથી છેડો ફાડી શકતા નથી. છેડો મૂકવાનો થાય તો પણ કે ક્યારેક દરદીનાં સગાંઓ ડોક્ટર પર હાથ સાફ કરી લેતા હોય તો પણ, દરદીઓ ડોક્ટરોની સામે હડતાળ પર જઈ શકતા નથી, કારણ, ગમે તે હોય, પણ છેલ્લે તો ડોક્ટર જ તેનો હાથ ને પગ ઝાલે છે. એ પગ તે ડોક્ટરના પેટ પર મૂકે તો દરદીઓની સાત પેઢી લાજે. ડોક્ટરને હાર્ટ હોય કે ન હોય, પણ દરદીને તો હાર્ટ હોય જ છે, એટલે છોરું કછોરું થાય, પણ માવતર, કમાવતર ન જ થાય, ખરુંને ?

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 15 ડિસેમ્બર 2020

Loading

...102030...2,0542,0552,0562,057...2,0602,0702,080...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved