Opinion Magazine
Number of visits: 9680345
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી’ અને કલ્ચરલ મેલ્ટીંગ પૉટ : અમેરિકા

પ્રવીણકાન્ત શાસ્ત્રી|Opinion - Opinion|8 February 2021

‘શાસ્ત્રી, આજે ડેનીને ત્યાં જવાનું છે તે યાદ છે ને?’

‘હુ ઈસ ધીસ?’ હું એકદમ ચમક્યો! અવાજ જાણીતો; પણ ન ઓળખાયો. મારાથી પુછાઈ ગયું.

તરત ખડખડાટ હાસ્ય. ‘સાસ્ટરી હું ટારો ચન્ડુ, વન એન્ડ ઓન્લી ‘ચન્ડુ ચાવાલો’. હું સુઢરવા માંગું; ટો પન ટું મને સુઢરવા જ નઠી ડેવાનો. ટને ફોન કર્ટા પેલ્લા, ડશ વખટ મનમાં પ્રેક્ટીસ કરી, સુઢ્ઢ ગુજરાટીમાં ફોન કૈરો. ટો તને મારી ઓર્ખાન પન ન પરી?’

‘ના ના, ચંદુભાઈ ઓળખાણ પડી. બસ, કાયમ મારી સાથે ચોખ્ખું ગુજરાતી બોલતા રહેજો. હા, મને યાદ છે આપણે ડેનીને ત્યાં જવાનું છે.’

ગયે મહિને ડૉ. રાગિણીની બર્થડે સમયે ડેનીભાઈની અચાનક જ મુલાકાત થઈ ગયેલી. ડેનીભાઈ તો અમે કહીએ; બાકી એમનું સાચું નામ દીનેશ તો પાસપોર્ટ પર જ રહી ગયેલું. ઘરનું નામ દીનુ. શેરીનું નામ દીનેશભાઈ અને અમેરિકામાં ડેનિયલ; પણ ઓળખાય માત્ર ‘ડેની’ તરીકે. અમારા મહોલ્લામાંના મનુ પંડ્યાનો એ ભાણેજ. મુંબઈમાં ઉછરેલા, વેકેશનમાં મામાને ત્યાં આવે. અમારા કરતાં ચારેક વર્ષ મોટા. ગોરા અને ઊંચા. પારસી બાવા જેવી પર્સનાલિટી. સુરત આવે ત્યારે અમારા ટોળામાં ભળી જાય. અમે એને દીનેશભાઈ કહેતા. મામા મનુ પંડ્યા ગુજરી ગયા પછી એમનું સુરત આવવાનું બંધ થયું. અચાનક અહીં અમેરિકામાં, મંગુને ત્યાંની પાર્ટીમાં ભેટો થઈ ગયો. પાર્ટીની ધમાલમાં વધુ વાતો ન થઈ; પણ એમણે અમને એમને ત્યાં ‘ગેટ ટુ ગેધર’ માટે આમંત્રણ આપ્યું હતું.

એ યાદ કરાવવા જ ચંદુએ ફોન કર્યો. એમની રાબેતા મુજબની સુરતી ભાષામાં નહીં; પણ ચોખ્ખી ભાષામાં. એમ તો તેઓ બધા સાથે સીધી વાત કરતા. મને જોઈને જ એમનું સુરતીપણું સળવળતું. મારી સાથે ધીમે ધીમે નોર્મલ થવાની કોશિશ કરતા હતા. અમે ત્રણચાર મિત્રો જ દીનેશભાઈને ત્યાં જવાના હતા. કાંઈ મોટી પાર્ટી ન હતી.

અમે સાંજે એમને ત્યાં ભેગા થયા. તેઓ મામાને ત્યાં આવતા, ત્યારનાં સંસ્મરણો વાગોળ્યાં. અમારા સમ્બન્ધો એટલા અંગત ન હતા કે એમના અંગત જીવન વિશે એમને કંઈ પૂછી શકીએ; પણ જાણવાની ઈચ્છા તો ખરી જ. બધા કરતાં મેં દીનેશભાઈ વિશે ઘણી વાતો સાંભળી હતી.

અમારો મંગુ સીધી જ વાત કરનારો. એણે સીધું જ આશાભાભીને પૂછ્યું, ‘ભાભીજી, આપ અમારા દીનેશભાઈ સાથેની કોઈ રોમાન્ટિક પોલ જાણતા હોય તો જણાવો ને! તેઓ તો અમારા ખૂબ જ સીરિયસ વડીલ. એમને તો પૂછવાની હિમ્મત ન જ થાય!’

‘તમારા ભાઈ તો સીરિયસ હોવાના ડ્રામા કરે છે. બાકી એણે જ અમને બાલી ઉમ્મરમાં ફસાવ્યા છે.’ દીનેશભાઈ સ્મિત કરતા રહ્યા.

‘અમે બન્ને નોર્થ કેરોલિના યુનિવર્સિટીમાં ફાર્મસીમાં ડૉક્ટરેટ કરતા હતા. ઓળખાણ થઈ. એ મને મસકા મારીને પ્રોજેક્ટ વર્ક માટે એમના એપાર્ટમેન્ટમાં બોલાવતા. જાતે રસોઈ કરતા; પણ રસોઈમાં કોઈ જાતના ઢંગઢડા નહીં. વાંકીચૂકી ભાખરી, કાચા રાઈસ અને બળેલી દાળ બે વખત ખાધાં. પછી મારે જ કહેવું પડતું કે, ‘ડેની, હું આવીને મારી રીતે રસોઈ બનાવીશ.’ તડકા દાલ, રાઈસ, પરોઠા, ચીકન, મટરપનીર હું બનાવતી. પછી તો એના એપાર્ટમેન્ટમાં વીકેન્ડમાં બે વાર મારે કુકીંગ કરવાનું માથે જ પડી ગયું. પાંચ દિવસ બહાર ખાવાનું. ફ્રેન્ડશિપ, લવ અને લિવીંગ ટુ ગેધરમાં, આ કૂડી પંજાબન, ગુજ્જુ કી બાતોં મેં ફઁસ ગઈ. સતીશના જન્મના એક મહિના પહેલાં જ અમે લગ્ન કર્યાં. ઈટ વોઝ નાઈન્ટીન ફિફ્ટી એઈટ.’

‘હા, મને યાદ છે કે તમે બાબાને લઈને મામાને ત્યાં આવ્યાં હતાં. દશેક મિનિટ મારા પેરન્ટ્સને પણ પગે લાગવા મારે ત્યાં આવ્યાં હતાં.’

‘હા શાસ્ત્રીભાઈ, મેં પંજાબણ સાથે લગ્ન કર્યાં એટલે અમારા ફેમિલીને જ્ઞાતવાળાઓએ જ્ઞાત બહાર મુક્યા હતા. મારા ફાધર અને અંકલને કાંઈ પડી ન હતી; પણ મધરને વસવસો આખી જિન્દગી રહ્યો હતો. અમારાં લગ્નનો નહીં; પણ ન્યાત બહાર થયાનો.’

ડીનર પછી એમણે બીગ સ્ક્રીન પર એમના ફેમિલી અને લાઈફ ઈવેન્ટ્સની સ્લાઈડ બતાવી. એમનું લગ્ન પહેલાંનું સહજીવન, મોટી ફાર્મસ્યુટિકલ કંપનીઓના રિસર્ચ ડિપાર્ટ્મેન્ટમાં કામ કરતાં ફોટાઓ. એમના ત્રણ દીકરા અને બે દીકરીના ઉછેર અને તેમનાં લગ્ન અને ગ્રાન્ડ ચિલ્ડ્રનના ફોટાઓ અને આશાભાભીની રનીંગ કોમેન્ટ્રીએ એટલો તો ખ્યાલ આપી દીધો કે અમે કોઈ ઇન્ડિયનને ત્યાં નહીં; પણ અમેરિકનને ત્યાં બેઠા હતા. અમે અમેરિકામાં પણ સુરતી જ રહ્યા હતા. અમારા અમેરિકાના ચાળીસ પચાસ વર્ષના વસવાટ પછી પણ; પૂરા અમેરિકન થયા ન હતા. અમારા અહીં જન્મેલા છોકરાંઓ પંચોતેર ટકા અમેરિકન અને અમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન પંચાણુ ટકા અમેરિકન. અમે તો પંચાણું ટકા દેશીના દેશી જ રહ્યા. અમારાં ડેની અને આશાભાભી પહેલી જનરેશનથી જ અમેરિકન થઈ ગયાં હતાં!

ડેની, દીનેશભાઈ, ગંભીર વડીલમિત્ર. વાતોનો વિષય હતો, ‘અમેરિકા’. ‘લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી’ અને ‘કલ્ચરલ મેલ્ટીંગ પૉટ’. તે દીનેશભાઈનું અને તેમના પરિવારનું જીવન પરથી સાક્ષાત્‌ નજરે પડતું હતું. એમનો સૌથી મોટો દીકરો સતીશ અહીં જ જન્મેલી તમીલ છોકરી સાથે પરણ્યો હતો. કહેવાય તો ઇન્ડિયન; પણ કલ્ચર અમેરિકન જ. બીજા નંબરનો રશિયન ઇમિગ્રાંટને પરણ્યો હતો. ત્રીજા નંબરના છોકરાએ જમૈકન બ્લેક અમેરિકન છોકરી સાથે લગ્ન કર્યાં હતાં. એની એક દીકરીએ આઇરિશ અમેરિકન સાથે લગ્ન કર્યાં હતાં. અને બીજી જપાનીસ સાથે પરણી હતી.

આશાભાભીએ કહ્યું કે, ‘યુનાઈટેડ સ્ટેટ્સ એ ઇમિગ્રન્ટ્સનો દેશ છે. અમેરિકા લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી કહેવાય છે. સમગ્ર વિશ્વમાંથી લોકો, વધુ સારી રીતે જીવન જીવવા માટે અહીં આવે છે. દરેક ઇમિગ્રન્ટ તેમની સાથે તેમની સંસ્કૃતિ લાવે છે. તેમના રીતરિવાજો અને માન્યતાઓ લાવે છે. દુનિયાભરમાંથી આવતી પહેલી પેઢીની સંસ્કૃતિનું, અહીં બીજી અને ત્રીજી પેઢીએ ‘મેલ્ટીંગ’ થઈને એક ‘નવી જ સંસ્કૃતિ’ બને છે અને તે છે ‘અમેરિકન સંસ્કૃતિ’ – ‘અમેરિકન કલ્ચર.’

‘અમારે ત્યાં કુટુંબ સાથે અવારનવાર અમે ગુજરાતી અને પંજાબી તહેવારો ઉજવીએ છીએ. દીકરાઓને ત્યાં એમની પત્નીના કૌટુંબિક કે ધાર્મિક તહેવારોમાં પણ અમે સામેલ થઈએ છીએ. ઘરમાં વહુઓનાં માબાપ તેમના દેશની ભાષા બોલે છે; પણ છોકરાંઓ તો અમેરિકન ઇંગ્લિશ જ બોલે છે અને સમજે છે.’

દીનેશભાઈએ કહ્યું, ‘આ દેશ એક વિશાળ સુપના મોટા પૉટ જેવો છે. એમાં બીજા દેશોમાંથી આવતા બધા ઇમિગ્રન્ટસ કંઈકના કંઈક ઈન્ગ્રેડિયન્સ ઉમેરતા જાય છે. એક નવો સ્વાદ ઉમેરે છે. માની લો કે એક સ્વાદિષ્ટ પાઁવભાજી. આ જ ‘અમેરિકન કલ્ચર’ છે. દરેક ઇમિગ્રાન્ટ અમેરિકા આવ્યા પછી, તેઓ અન્ય લોકો સાથે જોડાઈ જાય છે. એકબીજાની સંસ્કૃતિ વિશે શીખે છે. આ ‘અમેરિકન મેલ્ટીંગ પૉટના સુપની’ વિશિષ્ટતા એવી છે કે બધા અલગ હોવા છતાં; બધા એક છે એવો અનુભવ થાય છે.’

આશા ભાભીએ કહ્યું કે, ‘અમારા ફેમિલીમાં ‘ક્રોસ-કલ્ચરલ લગ્નો’ એ અમારે માટે ‘રેસિયલ ટોલરન્સ’ સર્જવાનું કામ કર્યું છે. ‘પ્યુ રિસર્ચ સેન્ટર’ના સર્વે મુજબ 2010માં અમેરિકામાં બ્લેક અને કોકેઝિયન વ્હાઈટના ‘ઈન્ટર રેસિયલ’ લગ્નો 15 ટકા હતાં; તે દર વર્ષે વધતાં જ રહ્યાં છે. આ લગ્નની સંખ્યામાં વધારો પણ રેસિયલ ટોલરન્સ વધારવામાં સારો એવો ફાળો આપે છે. એક નવી જ ‘માનસિક સહિષ્ણુતા’ સર્જાય છે. ‘પ્યુ રિસર્ચ સેન્ટર’ના અભ્યાસ મુજબ, 35 ટકા અમેરિકનોનાં કુટુમ્બમાં પોતાની જાતિમાં જ લગ્ન કર્યાં છે. જ્યારે 65 ટકા અમેરિકનોએ આંતરજાતીય લગ્નો કર્યાં છે. યુવાન લોકોમાં ‘ક્રોસ-સાંસ્કૃતિક’ લગ્નને સ્વીકારી શકવાની ક્ષમતા વધારે હોય છે.

‘ઓલ મિલીનિયલ્સ સ્વીક ઈન્ટરફેરી ડેટીંગ એન્ડ મેરેજ’, સંસ્થાના સર્વે મુજબ 88 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ કોઈ અન્ય જૂથ સાથેનાં લગ્ન સ્વીકારે છે. આ કારણોસર, વધુ ક્રોસ-સાંસ્કૃતિક સંબંધોની અપેક્ષા રાખી શકાય છે.

‘કેટલાક ‘પ્રોફેશનલ એથ્લેટ્સ’ કે પ્રખ્યાત લોકોએ પણ આંતરદેશીય કે આંતરજાતીય મેરેજ કર્યાં છે. તેમાં રોબર્ટ ડી નીરો અને ગ્રેસ હાઈટવર, જ્યોર્જ લુકાસ અને મેલોડી હોબસન, ઓડ્રા મેકડોનાલ્ડ, વીલ સ્વેન્સન, માર્ક ઝુકરબર્ગ, પ્રિસીલા ચાનનો સમાવેશ થાય છે.  લોકો તેમને સ્વીકારે છે. ‘યુ.એસ. સેન્સસ બ્યુરો’ના જણાવ્યા અનુસાર, 30 વર્ષમાં, શક્ય છે કે વ્હાઈટ કરતાં બ્લેક કે મિક્સ વધારે હશે.

આપણા ભારતની ચર્ચા નીકળી. દીનેશભાઈએ અમને પણ ઝપેટમાં લીધા. ‘તમે તો અમેરિકામાં પણ સુરતી જ બની રહેવા માંગો છો.’ કહ્યું અમને બધાને; પણ એમની મર્માળુ નજર તો અમારા ચંદુ પર જ હતી. ‘એક ‘સમાન સનાતન હિન્દુ’ પણ બની શકતા નથી. એમાં પણ પાછી અનેક સંપ્રદાયોની મારામારી.’

દીનેશભાઈ જાણે ક્લાસ રૂમમાં છોકરાં ભણાવતા હોય એમ કહેતા હતા. ‘હું માનું છું કે અમેરિકાની જેમ જ જો ભારતને એક દેશ બનાવવો હોય તો ક્રોસ કલ્ચર મેરેજિસ કરવા દો. આપોઆપ જાતિવાદ બંધ થશે. મારા એક ડૉક્ટર પટેલમિત્ર તો અમેરિકામાં પણ પોતાના સંતાન માટે ‘પાંચ ગામ’ કે ‘સાત ગામ’નાં છોકરા–છોકરી શોધતા રહે છે. પછી સંતાનો ધડાકા કરે કે તેઓ તો અમેરિકનના પ્રેમમાં છે અને પોતાની મરજી મુજબ પરણવાનાં છે. ત્યારે રાતાપીળા થઈ જાય છે. બીચારા દેશી ડોસાઓ!!’

ઇન્ડિયામાં જાતિવાદી રાજકારણે જે વાતાવરણ ઊભું થયું છે તેની ચર્ચા કરતાં દીનેશભાઈએ એમના ડેલાવેર યુનિવર્સિટીના પ્રૉફેસર મિત્ર ડો. દીવ્યેશભાઈનો અભિપ્રાય જણાવ્યો. દીવ્યેશભાઈના કહેવા મુજબ : ‘જ્યાં સુધી આપણા ગુજરાત અને દેશમાં, જ્ઞાતિના ભેદભાવની વાતો થતી રહેશે, ‘ઉચ્ચ જ્ઞાતિ’ અને ‘નીચી જ્ઞાતિ’ની ચર્ચાઓ થતી રહેશે, પોતાની જ્ઞાતિના ગૌરવની લાગણીની વાતો કરતા રહેશે, (જાણે કેમ પોતે નક્કી કરીને કોઈ ચોક્કસ જ્ઞાતિમાં જન્મ ન લીધો હોય, તેમ!), જ્યાં સુધી આપણે આવી માનસિકતામાંથી બહાર નીકળીશું નહીં, ત્યાં સુધી દેશ અરાજકતામાંથી બહાર આવશે જ નહીં અને રાજકારણીઓ ચૂંટણીના સમય઼માં ધર્મ અને જાતિના આવા નુસખાના આધારે લાભ લેતા રહેશે. જે જ્ઞાતિના લોકો સાચી પરિસ્થિતિ સમજશે તેઓ તો આવી લપમાં નહીં પડે.

‘દીનેશભાઈ ડેનિયલ બની ગયા હતા. એમનાં બાળકોને કોઈ જાતિવાદ ન હતો, કોઈ પ્રાંતવાદ ન હતો, કોઈ ભાષાવાદ ન હતો કે કોઈ પણ વાદનો હઠાગ્રહ ન હતો. જો ભારતમાં આંતરપ્રાંતીય અને આંતરજાતીય લગ્નો થાય તો જ ભાષાવાદ અને જાતિવાદ નાબૂદ થાય.’

એમની વાત સો ટકા સાચી જ છે. અમે બધા પહેલી પેઢીના ઇમિગ્રાન્ટ્સ બીજી અને ત્રીજી પેઢીનાં ગ્રાન્ડચિલડ્રનનાં આંતરજ્ઞાતિનાં અને આંતરજાતિનાં લગ્નો જોતાં આવ્યા છીએ અને સ્વીકારતા પણ થયા છે. ભારતમાં પણ આવાં લગ્નો થશે તો જ એકતા સ્થપાશે. જાતીય ક્રોસબ્રિડીંગથી ઉત્પન્ન થતી પ્રજા વધુ શક્તિશાળી હોય છે. ભારતને એ જરૂરી છે.

ત્યાર પછી તો અમારી વાતોના ઘણા વિષયો બદલાયા. દીનેશભાઈ અને આશાભાભી સાથે ઘણી વાતો થઈ. એક ખાસ મજાની વાત એ થઈ કે, ચંદુભાઈએ જાતે જ જાહેર કર્યું કે હવે હું ‘શાસ્ત્રી’ને, ‘સાસટરી’ નહીં કહું; પણ ‘શાસ્ત્રીભાઈ’ જ કહીશ. અને હવેથી મારે મને ‘ચંદુભાઈ’ નહીં; પણ ‘ચંદુ’ જ કહેવાનું. આપણા કરતાં મોટા છે. તેમાં વળી, અમારા મંગુએ પાછી સળી કરી, ‘ચંદુ, તને આટલાં વર્ષે આ બ્રહ્મજ્ઞાન કેવી રીતે થયું કે શાસ્ત્રીજી આપણા કરતાં મોટા છે?’ ચંદુની પૂંછ કદીયે સીધી નહીં જ થાય. જેટલી વાર ‘શાસ્ત્રીભાઈ’ને બદલે ‘સાસ્ટરી’ કહે એટલી વાર તારે શાસ્ત્રીજીને સો ડોલર આપવા.’

‘મંગુ, ટુ ડોસો ઠિયો ટો બી એવોને એવો જ રે’વાનો. ઢીસ ઈસ ઈન બિટ્વીન સાસ્ટરી એન્ડ આઈ. ટારે વચમાં પરવાની જરૂર નઠી.’

હસતાં રમતાં અમે છૂટાં પડ્યાં.

[માર્ચ, 2018માં અમેરિકાના ગુજરાતી અખબાર ‘તીરંગા’માં પ્રકાશિત થયેલો આ હાસ્યલેખ, લેખકની અને ‘તીરંગા’ના તંત્રી–પ્રકાશકની મંજૂરીથી સાભાર.]

સર્જકસમ્પર્ક : 6-SAVERIA COURT, HOWELL – NJ – 07731 – USA 

eMail : shastripravinkant@gmail.com

Website : https://pravinshastri.wordpress.com/


સર્જકનું સર્જન : લેખકની પ્રથમ નવલકથા ‘શ્વેતા’; અમેરિકાના પ્રસિદ્ધ ગુજરાતી માસિક ‘ગુજરાત દર્પણ’માં ધારાવાહિક રીતે પ્રકાશિત થયેલી, અમેરિકાની રંગીન જીવનશૈલીને ઉજાગર કરતી, સર્જકની પ્રથમ નવલકથા ‘શ્વેતા’ (પ્રથમ આવૃત્તિ : 2011; પ્રકાશક : લેખક પોતે; ટાઈપસેટીંગ અને મુદ્રક : ચિન્મય જોશી, શ્રી રંગ પ્રિન્ટર્સ, સુરત. તેની ઈ.આવૃત્તિનું પ્રકાશન : 2017માં થયું, જે તમે મફ્ફત ડાઉનલોડ કરી શકો છો, વાંચવા અને ગમે તો મિત્રોને તેની નિ:શુલ્ક લહાણ કરવા નીચેની લીંક પરથી તે મળશે :

https://pravinshastri.files.wordpress.com/2017/07/e0aab6e0ab8de0aab5e0ab87e0aaa4e0aabe_e0aba9.pdf

♦●♦

સૌજન્ય :  ‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ સોળમું – અંકઃ 472 –February 14, 2021

Loading

સશસ્ત્ર ક્રાંતિ માટે વિરાટ માનવસમૂહ, શસ્ત્રો અને મરણિયો જુસ્સો જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|7 February 2021

ભગતસિંહ ફાંસીને માંચડે ચડતા પહેલાં તેના સાથીઓને સલાહ આપતો ગયો હતો કે ભારતને આઝાદી અપાવનારો સૌથી વ્યવહારુ માર્ગ શાંતિમય લોકઆંદોલન છે અને અહીં તહીં ફટાકેબાજી કરવાથી ખુવારી થશે અને આઝાદી નહીં મળે. તેણે અલબત્ત જરૂર પડે તો જવાબી હિંસા માટેનો વિકલ્પ ખુલ્લો રાખ્યો હતો. આ અર્થમાં તે ગાંધીવાદી નહોતો.

સવાલ એ છે કે આમ તેણે શા માટે કહ્યું? શા માટે દેશવ્યાપી સશસ્ત્ર ક્રાંતિ ન થઈ શકે?

ગાંધીજી એક સત્યાગ્રહ કરે, પછી થોડાં વર્ષે બીજો સત્યાગ્રહ કરે, પછી વળી થોડાં વર્ષે ત્રીજો સત્યાગ્રહ કરે એનાં કરતાં સશસ્ત્ર ક્રાંતિમાં એક ઘા ને બે કટકા. કાં આપણે જીતીએ કાં અંગ્રેજો જીતે. અને વળી તૈયારી પાકી હોય તો આપણે શા માટે ન જીતીએ? અંગ્રેજો છે કેટલા? સંખ્યાની દૃષ્ટિએ તેઓ નગણ્ય છે. તેમનું સૈન્ય પણ ભારતીય સૈનિકોનું બનેલું છે અને જ્યારે ક્રાંતિ થશે ત્યારે તેઓ વતનના પક્ષે અર્થાત્‌ ક્રાંતિકારીઓના પક્ષે બળવો કરશે. તેમને બળવો કરવા પ્રેરી શકાય. આખરે તેઓ આ ધરતીનાં સંતાન છે. આમ પરાજીત થવાનો તો સવાલ જ નથી. સૌથી અસરકાર અને ઝડપી માર્ગ સશસ્ત્ર ક્રાંતિનો છે.

આવું ત્યારે ઘણા લોકો વિચારતા હતા અને ઘણા લોકોએ એવો પ્રયાસ પણ કર્યો હતો. એક રોમાંચ હતો, પણ ભગતસિંહ કહે છે કે એ વ્યવહારુ નથી.

કેન્દ્ર સરકારે ખેતી અંગે જે કાયદાઓ ઘડ્યા છે તેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે એ તમે જાણો છો. લાખોની સંખ્યામાં કડકડતી ઠંડીમાં ખેડૂતો બે મહિનાથી દિલ્હીમાં બેઠા છે, પણ સરકાર દાદ આપતી નથી. હવે સંખ્યાની દૃષ્ટિથી જુઓ તો ખેડૂતોની સંખ્યા પોલીસની સંખ્યા કરતાં અનેક ગણી વધારે છે. અરે, પોલીસ અને લશ્કરી જવાનોની સંયુક્ત સંખ્યા કરતાં પણ દેશમાં ખેડૂતોની સંખ્યા વધારે છે. એ પણ હકીકત છે કે પોલીસમાં અને લશ્કરમાં ભરતી થયેલા જવાનો મોટા ભાગે ખેડૂત પરિવારમાંથી જ આવે છે અને તેમનાં મનમાં પણ દાઝ હશે. આમ ઉપર આઝાદી માટે સશસ્ત્ર ક્રાંતિના પક્ષમાં અનુકૂળતાની જે દલીલો ક્રાંતિકારીઓ અથવા સશસ્ત્ર ક્રાંતિના સમર્થકો કરતા હતા એ બધી જ દલીલો અહીં લાગુ પડી શકે એમ છે. કદાચ ઘણા તપેલા ખેડૂતોને એવું લાગતું પણ હશે કે આવા સત્યાગ્રહ કરતાં શસ્ત્રો હાથમાં લેવા જોઈએ અને આ સરકારને ઉથલાવી પાડવી જોઈએ.

હવે દલીલ ખાતર ઘડીભર ધારી લો કે ખેડૂતોના નેતાઓએ ખરેખર શસ્ત્રો દ્વારા કેન્દ્ર સરકારને ઉથલાવવાનો નિર્ણય લીધો છે તો તેઓ શું કરશે અથવા શું કરવું જોઈએ?

પહેલી જરૂરિયાત તો એ કે ખેડૂતોના મનમાં અત્યારે જે રોષ છે એ રોષ સશસ્ત્ર ક્રાંતિ સફળ નીવડવા જેટલી તૈયારી ન થાય ત્યાં સુધી જાળવી રાખવો જોઈએ અને એ શક્ય નથી. બે મહિનાથી તેમનો રોષ જળવાઈ રહ્યો છે એનું કારણ તેઓ લાખોની સંખ્યામાં સાથે બેઠા છે એ છે. આ ઉપરાંત તેમને ભારતની જનતાની સહાનુભૂતિ મળી રહી છે. એ સહાનુભૂતિનું કારણ પણ તેમનું શાંતિમય લોકઆંદોલન છે. જો અંદોલન હિંસક હોત તો જાહેર જનતાની સહાનુભૂતિ ન મળી હોત. હવે માણસનો સ્વભાવ એવો છે કે તેનો ગુસ્સો થોડા સમયે ઓગળી જાય છે અને ઉત્તેજના શમી જાય છે. તો આ ઉત્તેજના ટકાવવી કેવી રીતે એ મુખ્ય સવાલ છે અને સ્વાભાવિક છે કે હજારો/લાખો માણસો સશસ્ત્ર વિદ્રોહ માટે તૈયાર થાય એમાં મહિનાઓ લાગે.

બીજી જરૂરિયાત છે ગુપ્તતાની. શસ્ત્ર દ્વારા સરકારને ઉથલાવવાની તૈયારી કરવી હોય તો એમાં કેટલા માણસોની મદદ લેવી પડે એની કલ્પના તમે કરી શકો છો. જ્યાં હજારોની સંખ્યામાં લોકો કામે લાગેલા હોય ત્યાં ગુપ્તતા જળવાઈ ન શકે. અને એ પણ ભારત જેવા દેશમાં જ્યાં એક ગામડું એવું નહીં મળે જેમાં સામાજિક તિરાડ ન હોય. જ્ઞાતિની તિરાડ, ધર્મની તિરાડ, આર્થિક સંબંધોમાં તિરાડ અને એવી બીજી અનેક પ્રકારની તિરાડો. જો કોઈ સમાજવિશેષ કે વર્ગવિશેષ હિંસાની તૈયારી કરતો હોય તો બીજા સમાજનો કે વર્ગનો માણસ સરકારને ખબર કરી દે.

ત્રીજી જરૂરિયાત છે શસ્ત્રોની. લાખોની સંખ્યામાં હથિયારો એકઠાં કરવામાં આવે ત્યારે વ્યાપક હિંસક ક્રાંતિ થઈ શકે અને એ શક્ય નથી. એ લાવવાં ક્યાંથી, કઈ રીતે, એને છૂપાવવા ક્યાં, શસ્ત્રો ખરીદવા પૈસા ક્યાંથી લાવવા, એને લોકો સુધી પહોંચાડવા કઈ રીતે, શસ્ત્રો ચલાવવાની તાલીમ કોણ આપે, વગેરે અનેક પ્રશ્નો છે.

ચોથી જરૂરિયાત છે એક સરખા હિતસંબંધની. ખેડૂતોની જ વાત કરીએ તો તમે જોયું હશે કે આંદોલનમાં મુખ્યત્વે પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતો જ ભાગ લઈ રહ્યા છે. એની નજીકના પ્રદેશોનો ટેકો મળી રહ્યો છે અને દક્ષિણ ભારત તેમ જ પૂર્વ ભારત તેનાથી લગભગ દૂર છે. આનું કારણ એ છે કે ખેડૂતોમાં પણ હિતસંબંધો એક સરખાં નથી. ભારતમાં ખેતી દરેકને એક સરખી પરવડે છે એવું નથી. જેને ખેતી કરવી પરવડે છે એ ઉત્તેજિત છે અને જેને ખાસ પરવડતી નથી એ ઉત્તેજિત નથી.

ભારતની આઝાદીની બાબતે પણ આ જ વાત લાગુ પડતી હતી. ભારતની આઝાદીમાં દરેક ભારતીયના હિતસંબંધો એક સરખાં નહોતાં. ભારતની લગભગ ૨૫ ટકા પ્રજા ભારતને આઝાદી ન મળે એમાં પોતાનું હિત જોતી હતી. બીજી પચીસ ટકા પ્રજા આઝાદીની બાબતે ઉદાસીન હતી અને એ પછી બીજી ૨૫ ટકા પ્રજા પોતાની શરતે આઝાદી માટે તૈયાર હતી. જ્યાં એકવાક્યતા ન હોય ત્યાં વ્યાપક ક્રાંતિ ન થઈ શકે.

પાંચમી જરૂરિયાત છે જુલ્મી શાસકોની. શાસકો એવા સિતમગર હોવા જોઈએ કે પ્રજા આગળ પાછળનું વિચાર્યા વિના થાકી ત્રાસીને કેસરિયાં કરી બેસે. અંગ્રેજો એવા સિતમગર નહોતા. તેઓ શોષણ કરતા હતા તો એ પણ કાયદા ઘડીને.

અને છેલ્લે સરકારની હિંસા કરવાની શક્તિ સંગઠિત, શિસ્તબદ્ધ અને તાલીમ પામેલી હોય છે. તેની પાસે શસ્ત્રો છે અને શસ્ત્રો ચલાવવાની તાલીમ પામેલા પોલીસમેનો અને સૈનિકો હોય છે. એનું આખા દેશમાં નેટવર્ક હોય છે અને આખા દેશમાં ફેલાયેલા હોય છે. ઉપરથી નીચે સુધી આદેશ પહોંચે એવું તંત્ર હોય છે. પ્રચંડ સંહારક શક્તિ ધરાવતી સરકારોને હિંસાને માર્ગે પડકારવી અને ઝૂકાવવી એ સહેલું કામ નથી.

ઉપર જે કારણો ગણાવ્યાં તેને પરિણામે આઝાદી પછી તેલંગાણામાંની સામ્યવાદીઓની હિંસક ક્રાંતિ નિષ્ફળ નીવડી હતી. પંજાબમાં ખાલિસ્તાનનું અંદોલન નિષ્ફળ નીવડ્યું હતું. એ સિવાય ઇશાન રાજ્યોમાં અલગતાવાદી આંદોલનો નિષ્ફળ નીવડ્યાં અને જ્યાં પ્રમાણમાં બીજી ઘણી વાતે અનુકૂળતા હોવા છતાં શ્રીલંકામાં તમિલોનું આંદોલન રાજ્યની હિંસા સામે નિષ્ફળ નીવડ્યું. આઝાદી પહેલાં કે આઝાદી પછી એક પણ હિંસક અંદોલન સફળ નીવડ્યું હોય એવું જોવા નથી મળતું.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 07 ફેબ્રુઆરી 2021

Loading

બર્માથી મ્યાનમાર વાયા રોહિંગ્યા અને આંગ સાન સૂ ચીઃ જ્યારે મ્યાનમારમાં તલવાર મ્યાનમાં ન રહી ત્યારે …

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|7 February 2021

સત્તા આગળ શાણપણ નકામું એ આપણે જાણીએ છીએ પણ માણસનું પોતાનું જ શાણપણ સત્તા આવે એટલે એળે જાય એનું જીવંત ઉદાહરણ મ્યાનમારમાં જોયું

છેલ્લા કેટલાક દિવસોથી મ્યાનમાર ચર્ચામાં છે. આપણે ખેડૂત આંદોલન, રિહાના, કંગના અને એવું બધું ચર્ચવા અને જોવામાં વ્યસ્ત છીએ; આપણા આ પાડોશી દેશમાં સત્તાના સમીકરણો બદલાઇ રહ્યાં છે. 74 વર્ષનાં આંગ સાન સૂ ચી જેમને નેવુંના દાયકામાં નોબેલ પીસ પ્રાઇઝ એનાયત કરાયું હતું તેઓ હાલમાં ક્યાં છે તે અંગે કોઇ સ્પષ્ટતાઓ નથી કરાઇ. મ્યાનમારના તંત્રનું સુકાન લશ્કરે બળજબરીથી હાથમાં લઇ લીધું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ રાષ્ટ્રોએ આ તખ્તાપલટની જૂદી જૂદી પ્રતિક્રિયાઓ આપી છે. 1લી ફેબ્રુઆરીએ થયેલી આ ઘટનાની જાહેરાત મ્યાનમાર સૈન્યની માલિકીના ટેલિવિઝન નેટવર્ક પરથી કરવામા આવી હતી. પાટનગર સાથેનાં બધાં જ કોમ્યુનિકેશન બંધ કરી દેવાયા અને સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ ચીને અટકમાં લેવાયાં તથા તેમના રાજકીય પક્ષ સાથેના બધાં જ કોમ્યુનિકેશન અટકાવી દેવાયા.

ચર્ચવા માટે તો આ આખી ઘટના સાથે સંબંધિત ઘણી બાબતો છે પણ એક સમયે બર્માને નામે ઓળખાતા આ દેશના ઇતિહાસ પર નજર કરવી પણ જરૂરી છે. છેલ્લા આ રીતે તખ્તાપલટ 1988માં થઇ હતી, જેને પગલે બર્માનું નામકરણ કરાયું અને તે મ્યાનમાર કહેવાયો, આ નિર્ણય પણ વર્ષો સુધી સતત વિવાદોમાં રહ્યો હતો.

જ્યારે 19મી સદીમાં અંગ્રેજોએ આજના મ્યાનમાર અને ત્યારના બર્મા સાથે સંધાણ કર્યું ત્યારે તેમણે બર્માનું નામકરણ કર્યું જે ત્યારના સત્તાધિશ બર્મન – બર્માર એથનિક જૂથને આધારે કરાયું. બર્માનો વહીવટ ત્યારે અંગ્રેજોના સામ્રાજ્ય ભારતના પ્રદેશ તરીકે જ થતો, જે 1937 સુધી ચાલ્યું. આ પછી બર્માને ભારતથી જૂદું કરાયું. સ્વતંત્રતા મળ્યા પછી યુનિયન ઑફ બર્મા તરીકે આ રાષ્ટ્રનું અસ્તિત્વ આગળ ધપ્યું. 1962માં સૈન્યએ પહેલી વાર નાગરિકોની સરકાર છીનવી અને 1974માં સોશ્યાલિસ્ટ રિપબ્લિક ઑફ યુનિયન ઑફ બર્મા નામાકરણ કરાયું. 1988માં બર્મામાં સૈન્યએ હિંસક હુમલા કર્યા જેમાં હજારો લોકો મરી પરવાર્યા અને ફરી નામ જે હતું તે એટલે કે યુનિયન ઑફ બર્મા કર્યું. જો કે આ અહીં અટકવાનું નહોતું. એક જ વર્ષમાં દેશનું નામ યુનિયન ઓફ મ્યાનમાર થયું. દેશમાં બીજાં સ્થળોનાં નામ પણ બદલાયાં અને રંગૂન જે ત્યાંનું પાટનગર હતું તેનું નામ થયું યાગોન અને 2005માં તો પાટનગર જ બદલાઇ ગયું અને નવું પાટનગર છે નેયપ્યિડૉ જે 370 કિલોમીટર ઉત્તરે આવેલું છે.  દેશનું નામ બદલવા પાછળનું મુખ્ય કારણ હતું કે જેટલા પણ સ્થાનિક સમુદાયો છે તેમને એક અધિકૃત ઓળખાણ મળે માત્ર બર્મિઝ પ્રજાને નહીં.  મ્યાનમારને સ્વીકૃતિ મળતાં પણ વાર લાગી કારણ કે આમ તો બર્મા અને મ્યાનમારનો અર્થ સરખો છે, માત્ર મ્યાનમાર વધુ ઔપચારિક નામ છે. 2010માં દેશ લોકશાહી તરફ ડગ ભરવા માંડ્યો પણ છતાં ય સૈન્યની તાકત યથાવત્ રહી અને સૈન્યના રાજકીય વિરોધીઓને પણ પોતાની અભિવ્યક્તિની છૂટ મળી તથા ચૂંટણી પણ યોજાવા માંડી. 2015માં આંગ સાન સૂ ચીનો પક્ષ ચૂંટણી જીત્યો અને 2020માં ફરી તેમનો વિજય થયો. મ્યાનમાર અને બર્મા વચ્ચે આમ તો મ્યાનમારને માન્યતા મળેલી છે પણ જે રાષ્ટ્રોને બર્મા વાપરવું છે એ લોકો બર્મા નામનો જ ઉપયોગ કરે છે.

હવે આપણે વર્તમાન સંજોગોની વાત કરીએ તો સૈન્યએ આંગ સાન સૂ ચી અને તેની સરકાર 2020માં થયેલી ચૂંટણીને મામલે સૈન્યના સપાટામાં આવી છે. મ્યાનમાર આર્મ્ડ ફોર્સિસના વડા મિન આંગ લિયાંગે તખતો પલટ્યો અને એક વર્ષ સુધી અહીં કટોકટી લાદી દીધી છે. સૈન્યનું કહેવું છે કે આ ચૂંટણીમાં અનેક પ્રકારની અનિયમિતતાઓ હતી અને ગરબડોને કારણે આ નેશનલ લીગ ફોર ડેમોક્રેસી પાર્ટી જીતી છે. સૈન્યએ 9 મિલિયન મત પર સવાલ ઉઠાવ્યો છે અને તે અયોગ્ય છે તેમ પણ કહ્યું છે. સૈન્યએ માંગણી કરી કે યુનાઇટેડ ઇલેક્શન કમિશન ઑફ મ્યાનમારે નવી સંસદની રચના પહેલાં સાબિત કરવું પડશે કે આ ચૂંટણી ન્યાયિક રીતે યોજાઇ છે. જો કે ત્યાંના ઇલેક્શન કમિશને આ માંગણીને ફગાવી દીધી. જ્યારથી સેનાએ તખતાપલટો કર્યો છે ત્યારથી આંગ સાન સૂચી અને રાષ્ટ્રપતિ વિન મ્યિંટ એક વખત પણ જાહેરમાં દેખાયાં નથી, તેઓ ક્યાં છે તે અંગે કોઇ સ્પષ્ટતાઓ કે જાણકારી આ લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં નથી કરાઇ. આ તરફ આંગ સાન સૂચી પર આક્ષેપો છે કે તેમણે વૉકીટૉકી આયાત કરી તેનો ઉપયોગ કર્યો, રાષ્ટ્રપતિ વિમ મ્યિંટે લોકોને વાઇરસ હોવા છતા મોટી સંખ્યામાં ભેગા કર્યા અને નિયમોનું ઉલ્લંઘન કર્યું, વગેરે.

મ્યાનમારના આર્મડ ફોર્સસિઝના વડા મિન આંગ લિયાન્ગ દ્વારા તખતોપલટો કરવામાં આવ્યો છે. લિયાન્ગે દેશમાં એક વર્ષ સુધી કટોકટી લાદી દીધી છે. સૂ ચી મ્યાનમારનાં સ્ટેટ કાઉન્સિલર બન્યાં પછી રોહિંગ્યા મુસ્લિમો પર થયેલા અમાનુષી અત્યાચારે તેમની નેતા તરીકે આકરી કસોટી કરી. રોહિંગ્યા મુસલમાનો પર થયેલી હિંસાને કારણે ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ ખાતે મ્યાનમાર સામે નરસંહારનો કેસ પણ ચાલી રહ્યો છે, વળી સૂ ચીની આંતરરાષ્ટ્રીય છબી આમે ય ધોવાઇ ગઇ છે, કારણ કે તેમણે એક સમયે સૈન્યની કામગીરીનો પાંગળો બચાવ પણ કરવાની કોશિશ કરી હતી. રોહિંગ્યા મુસલમાનોને જે પણ થયું છે તેમાં સૂ ચી સાથે જરાક સરખી લાગણી નથી થતી અને તે સ્વાભાવિક છે. ચૂંટણીને લઇને ખડી થયેલી આ બબાલ સૂ ચી સામેનો પહેલો એવો વિવાદ છે જે તેમના છૂટકારા પછી આ સ્તરે સૈન્ય સાથે થયો છે. આમ તો 2020ની ચૂંટણી પછી એન.એલ.ડી.ની ઇચ્છા હતી કે તેઓ સૈન્યનો રોલ રાજકારણમાં ઘટાડી દે પણ એ આમે ય સરળ નહોતું હોવાનું કારણ કે બંધારણીય સુધારાને મામલે પણ કડક મર્યાદાઓ લદાયેલી છે. સૈન્યએ આ પહેલાં પણ મ્યાનમારના બે બંધારણ ખારીજ કરેલાં છે.

સૂ ચીના ટેકેદારો આજે તેના વિરોધીઓ બની ચૂક્યાં છે. સત્તા આગળ શાણપણ નકામું એ આપણે જાણીએ છીએ પણ માણસનું પોતાનું જ શાણપણ સત્તા આવે એળે જાય એનું જીવંત ઉદાહરણ મ્યાનમારમાં જોયું એમ કહેવાય. આપણે આપણા ડહાપણને સાચવી રાખીએ તો સારું, આપણે ત્યાં ટ્વીટરથી પણ અરાજકતા દાવાનળની જેમ ફેલાય છે.

બાય ધી વેઃ 

મ્યાનમારમાં સૈન્યએ લોકશાહીનો માર્ગ પણ એટલે અપનાવ્યો હતો કારણકે તેઓ ચીન પર જે આધાર રાખે છે તે વહેલી તકે ઘટાડવા ધારતા હતા. આંતરરાષ્ટ્રિય સ્તરે સૈન્યના પ્રહાર અંગે ચીન અને રશિયા ચૂપ રહ્યા છે તો ASEAN દેશો સંજોગો થાળે પડે તેની રાહમાં છે. જાપાન આ લશ્કરનાં આ પગલાંને બળવો જરૂર કહે છે, પણ રાષ્ટ્ર સાથેના આર્થિક સંબંધો યથાવત્ રાખશે. યુ.એસ.એ. અને ઑસ્ટ્રેલિયાએ સેન્કશન્સની ધમકી આપી છે. ભારતને મ્યાનમાર સાથે સારાસારી રાખવી છે કારણ કે ચીનનાં જાતભાતનાં બળવાખોરો અને શસ્ત્રો આપનારા ખેપાનીઓ સામે લડવા અને તેમને રોકવા મ્યાનમારની મદદ મળે તે જરૂરી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  07 ફેબ્રુઆરી 2021 

Loading

...102030...2,0412,0422,0432,044...2,0502,0602,070...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved