Opinion Magazine
Number of visits: 9572891
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—77

દીપક મહેતા|Opinion - Opinion|2 January 2021

એશિયા ખંડની પહેલી મેડિકલ કોલેજ મુંબઈમાં

પહેલી ગુજરાતી સ્ત્રી-ગ્રેજ્યુએટ કોર્નેલિયા સોરાબજી

જ્યારે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટેના વિશ્વાસ પર

યુનિવર્સિટી પરીક્ષાઓનાં વહાણ ચાલતાં

‘ઝટ્ટ ડોળિ નાંખો રે, મનજળ થંભ થયેલું’

ઓગણીસમી સદીનાં આપણાં સમાજ, ધર્મ, શિક્ષણ, ભાષા, સાહિત્ય, આ બધાંની જે તાતી જરૂરિયાત હતી તે કવિ નર્મદના આ શબ્દોમાં છતી થાય છે. સમાજ સુધારો એ ઓગણીસમી સદીના જીવન અને સાહિત્યનું એક મહત્ત્વનું પરિબળ ખરું, પણ તે એકમાત્ર પરિબળ નહોતું. એ જમાનાનાં મુંબઈથી પ્રગટ થતાં કેટલાંક સામયિકોનાં નામ જુઓ : વિદ્યાસાગર (૧૮૪૦), ખોજદોસ્ત (૧૮૪૨), જ્ઞાનપ્રસારક (૧૮૪૮), રાસ્તગોફતાર (૧૮૫૧), સત્યપ્રકાશ (૧૮૫૩), જ્ઞાનદીપક (૧૮૫૬), અને બુદ્ધિવર્ધક (૧૮૫૬). આ સામયિકોનાં નામમાં આવતા વિદ્યા, ખોજ, જ્ઞાન, સત્ય, બુદ્ધિ, જેવા શબ્દો સૂચક છે. એ વખતે મુંબઈમાં અને આખા પશ્ચિમ ભારતમાં જે મથામણ ચાલી રહી હતી તે માત્ર સમાજ સુધારા અંગેની ન હતી. વ્યક્તિ અને સમાજના જીવનમાં વિદ્યાની, જ્ઞાનની, સત્યની, બુદ્ધિની પ્રતિષ્ઠા કરવાની હતી. આપણે જેને ‘સુધારક યુગ’ કહીએ છીએ તે હકીકતમાં નવજાગૃતિ યુગ છે. અને પશ્ચિમ ભારતમાં એ યુગનાં મંડાણ થયાં મુંબઈથી.

માનશો? ૧૮૫૭માં શરૂ થયેલી યુનિવર્સિટી ઓફ બોમ્બેએ ૧૮૫૯માં પહેલી વાર મેટ્રિકની પરીક્ષા લીધી, પણ ૧૮૭૫ સુધી એક પણ છોકરી આ પરીક્ષામાં બેઠી જ નહોતી! કારણ છોકરી પણ મેટ્રિકની પરીક્ષા આપી શકે એવો વિચાર જ કોઈને આવ્યો નહોતો! ૧૮૭૫માં યુનિવર્સિટીને બેળગાંવના પોસ્ટ માસ્તર એસ. ખરસેતજીએ કાગળ લખીને પૂછાવ્યું કે મારી દીકરી ફિરોઝા મેટ્રિકની પરીક્ષામાં બેસી શકે કે નહિ? આ પત્ર સિન્ડિકેટ પાસે ગયો. યુનિવર્સિટીની સ્થાપના કરતા કાયદામાં બધે વિદ્યાર્થી માટે અંગ્રેજીનું ‘હી’ સર્વનામ જ વપરાયું હતું. આથી સિન્ડિકેટે જવાબ આપ્યો કે કોઈ છોકરીને મેટ્રિકની પરીક્ષામાં બેસવા માટે પરવાનગી આપવાની સત્તા અમને કાયદા દ્વારા આપવામાં આવી નથી. પોસ્ટ માસ્તરે અને તેમની દીકરીએ તો વાત પડતી મૂકી, પણ ખુદ સિન્ડિકેટના જ કેટલાક સભ્યો આ નિર્ણયથી નાખુશ હતા. આઠ વર્ષ સુધી તેમણે કરેલા પ્રયત્નોને પરિણામે છેવટે કાયદામાં એવી કલમ ઉમેરવામાં આવી કે જો તેમની ઈચ્છા હોય તો છોકરીઓ પણ યુનિવર્સિટીની પરીક્ષામાં બેસી શકે છે. જાણે આવી તકની રાહ જોઈને જ બેઠી હોય તેમ પૂનાની એક છોકરીએ ૧૮૮૩માં પોતાનું નામ ડેક્કન કોલેજમાં નોંધાવ્યું અને ૧૮૮૮માં બી.એ.ની ડિગ્રી મેળવી. એ છોકરીનું નામ કોર્નેલિયા સોરાબજી. એ હતી મુંબઈ યુનિવર્સિટીની પહેલી સ્ત્રી ગ્રેજ્યુએટ, બોમ્બે પ્રેસિડેન્સીની પહેલી સ્ત્રી ગ્રેજ્યુએટ, અને પહેલવહેલી ગુજરાતીભાષી સ્ત્રી ગ્રેજ્યુએટ. એમનું કટુંબ મૂળે તો પારસી, પણ કોર્નેલિયાના જન્મ પહેલાં તેમના પિતા ખરસેતજી લંગડાનાએ સ્વેચ્છાએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો, અને ‘સોરાબજી’ અટક અપનાવી હતી.

કોર્નેલિયા સોરાબજી

બીએની ડિગ્રી તો મળી. પણ પછી શું? અમદાવાદની ગુજરાત કોલેજમાં સરકારે ‘ટીચિંગ ફેલોશિપ’ની ઓફર કરી. પણ છોકરીઓનાં શિક્ષણ માટે કામ કરવાનો ઈરાદો હતો એટલે પહેલાં તો એ ઓફર નકારી. પણ પછી વિચાર આવ્યો કે એક છોકરીના હાથ નીચે ભણવાથી છોકરાઓનું પણ ભલું થશે, એટલે ઓફર સ્વીકારી. ત્યાં જઈ પ્રિવિયસ અને બી.એ.નો અભ્યાસ કરતા છોકરાઓને (એ વખતે કોઈ છોકરી ત્યાં ભણતી નહોતી) અંગ્રેજી ભણાવ્યું. જોડાયા પછી ત્રણ મહિને તેમની નિમણૂંક અંગ્રેજીના પ્રોફેસર તરીકે કરવામાં આવી. અગાઉ આ જગ્યાએ કોઈને કોઈ બ્રિટિશરની જ નિમણૂંક થતી. એટલે કોર્નેલિયા પહેલાં બિન-બ્રિટિશ અંગ્રેજીના અધ્યાપક બન્યાં. ત્યારે તેમની ઉંમર હતી ફક્ત બાવીસ વરસ!

આ કોર્નેલિયા સોરાબજી વખત જતાં ગ્રેટ બ્રિટનમાં સ્થાયી થયાં હતાં. પણ પોતાના દેશને, તેની સંસ્કૃતિને ભૂલ્યાં નહોતાં. આ અંગેનો એક રસપ્રદ કિસ્સો : ગ્રેટ બ્રિટનના લોકો કોર્નેલિયાને ‘ન્યૂ વુમન ફ્રોમ ઇન્ડિયા’ તરીકે ઓળખવા લાગ્યા. વધતાં વધતાં કોર્નેલિયાની નામના રાણી વિક્ટોરિયા સુધી પહોંચી. એટલે રાણીએ મુલાકાત માટે આમંત્રણ આપ્યું. પણ રાણીના અધિકારીઓને કોર્નેલિયાએ કહ્યું કે રાણીસાહેબાને મળવા તો હું જરૂર આવું, પણ એક મુશ્કેલી છે : મુલાકાત વખતે હું પશ્ચિમી ઢબનો પોશાક નહિ પહેરું. મારા દેશના રિવાજ પ્રમાણે સાડી જ પહેરીશ. ‘નહિ રાણીજીનો હુકમ પણ પાછો કદિ ફરે’ એ નિયમથી ટેવાયેલા અધિકારીઓ મૂંઝાયા. શું કરવું? થોડી હિંમત કરી રાણીસાહેબાને કાને વાત નાખી. ઉદારતા અને સૌજન્યપૂર્વક મહારાણી વિક્ટોરિયાએ સંદેશો મોકલ્યો કે તું તારા દેશનો પોશાક પહેરીને આવે તેનો મને વાંધો નથી. આ સંદેશો પહોંચાડતી વખતે અધિકારીઓએ દબાતે અવાજે એક અરજ કરી : ‘આપ રોજ પહેરો છો તેવી સફેદ સાડી નહિ, પણ રંગીન સાડી પહેરો તો સારું.’ કોર્નેલિયાએ આ વાત સ્વીકારી અને પીળાશ પડતા ગુલાબી રંગની સાડી પહેરીને મહારાણીને મળવા ગયાં. યુનિવર્સિટી ઓફ બોમ્બેના જે કોન્વોકેશન હોલમાં તેમને ડિગ્રી મળી હતી તે જ કોન્વોકેશન હોલમાં બરાબર સો વર્ષ પછી, ૧૯૮૮માં, કોર્નેલિયા સોરાબજીનું તૈલચિત્ર મૂકવામાં આવ્યું.

૧૮૭૦ની આસપાસની હિંદુ કન્યાશાળા

એટલે, કન્યા-કેળવણી એ સુધારાનું કહો કે નવજાગૃતિનું પહેલું પગથિયું. પણ એ જમાનામાં છોકરીઓ અને છોકરાઓને સાથે ભણાવી શકાય એ તો શક્ય જ નહોતું. એટલે ધ બોમ્બે એજુકેશન સોસાયટીએ ૧૮૧૮માં મુંબઈમાં એક ગર્લ્સ સ્કૂલ પણ શરૂ કરી હતી, પણ તેમાં એક પણ હિંદુ છોકરી ભણતી નહોતી. તે અંગે સોસાયટીના ત્રીજા વાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે હિંદુઓમાં છોકરીઓને ભણાવવાનો ચાલ નથી તેથી આ સ્કૂલમાં એક પણ હિંદુ છોકરી ભણતી નથી. આ પરિસ્થિતિ પાછળ માત્ર ઉપેક્ષા જવાબદાર નહોતી. પરંપરાવાદી જૂથો દ્વારા ભોળા લોકોમાં જાતજાતની અફવાઓ ફેલાવવામાં આવતી હતી. જેમ કે જો છોકરીને ભણાવી હોય તો તે વહેલી વિધવા થાય. અથવા ભણવા માટે નિશાળે જતી છોકરીઓ વંઠી જતી હોય છે અને મોટેરાંનું કે વરના કહ્યામાં રહેતી નથી, વગેરે.

પણ વખત જતાં એક મુશ્કેલી નજર સામે આવી. છોકરો ભલે થોડુંઘણું, પણ ભણેલો હોય, અને છોકરી તદ્દન અભણ હોય તો એ પણ એક પ્રકારનું કજોડું બની શકે. એટલે માબાપને વધુ સારી દીકરી, છોકરાને વધુ સારી પત્ની, અને સાસરિયાંને વધુ સારી વહુ મળી રહે એટલા ખાતર પણ છોડીઓને થોડું ભણાવવી જોઈએ એમ લાગવા માંડ્યું. એટલે પહેલાં મુંબઈમાં, અને પછી ગુજરાતનાં કેટલાંક શહેરોમાં પહેલાં પારસીઓએ અને પછી બીજા વર્ગોના ઉજળિયાત લોકોએ દીકરીને મર્યાદિત પ્રમાણમાં ભણવા માટે ‘છોડીઓ માટેની નિશાળો’માં મોકલવાનું શરૂ કર્યું. તો તવંગર કુટુંબોમાં છોકરીઓને (અને છોકરાઓને પણ) ભણાવવા માટે ‘ઘર શિક્ષક’ રાખવાનું શરૂ થયું. અત્યંત તવંગર અથવા મોભાદાર કુટુંબોમાં આ માટે ‘ગોરી’ અને તે ન મળે તો એન્ગલો ઇન્ડિયન કે પારસી શિક્ષિકાઓ પણ રાખવામાં આવતી.

ગુજરાત અને કાઠિયાવાડમાં તો નવી કેળવણી સામેનો વિરોધ લાંબો વખત ટક્યો. પ્રમાણમાં પ્રગતિશીલ કહી શકાય એવા ભાવનગર રાજ્યમાં પણ બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી પહેલી સ્કૂલ છેક ૧૮૫૬માં કેટલાક બ્રિટિશ સાહેબો અને દીવાન ગૌરીશંકર ઉદયશંકરના આગ્રહથી સ્થપાઈ હતી. પણ એ જ દીવાને જ્યારે કન્યાશાળા સ્થાપવાનો વિચાર કર્યો ત્યારે એ માટે જગ્યા ભાડે આપવા કોઈ તૈયાર ન થયું. એટલે તેમણે એ પોતાના ઘરમાં શરૂ કરી અને તેમાં ભણવા માટે પોતાના કુટુંબની અને નજીકનાં સગાંઓની આઠથી દસ વરસની ઉંમરની દસ જેટલી છોકરીઓને દાખલ કરી. એટલું જ નહિ ઘણી સમજાવટ પછી એ કન્યાશાળાના ઉદ્ઘાટન વખતે પોતાની છ વરસની ઉંમરની રાજકુંવરી હાજર રહે એ માટે રાજવી દંપતીની સમ્મતિ મેળવી.

ગ્રાન્ટ મેડિકલ કોલેજનું મૂળ મકાન

અલબત્ત, શરૂઆતનાં ઘણાં વર્ષો છોકરાઓ અને છોકરીઓને એક સરખું શિક્ષણ આપવાની જરૂર ભાગ્યે જ કોઈને જણાઈ હતી. ‘બાળોઢાભ્યાસ પ્રકરણ’ નામના લાંબા નિબંધમાં કવીશ્વર દલપતરામ છોડીઓને કેવી ચોપડીઓ ભણાવવી જોઈએ તેની ખાસ્સી લાંબી યાદી આપે છે. તેમાંની કેટલીક : નીતિની, ચાલ-મિજાજની, શિયળની, આબરૂની, પાકશાસ્ત્રની, ધીરજ વિષે, સંપ વિષે, ઘરસૂત્ર વિષે, સંતોષ વિષે. કન્યા થોડુંઘણું વાંચતાં, લખતાં, ગણતાં શીખે અને કહ્યાગરી કુલવધૂ થઈને રહે એથી વધું બીજું શું જોઈએ? પણ આ ચોકઠામાંથી પહેલાં મુંબઈ બહાર નીકળ્યું અને પછી ગુજરાત તેને અનુસર્યું.

સર બહેરામજી જીજીભાઈ

૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ તેના કરતાં પણ પહેલાં, ૧૮૪૫માં ગ્રાન્ટ મેડિકલ કોલેજ શરૂ થઈ ચૂકી હતી અને તે પોતાની ડિગ્રી પણ આપતી હતી. આખા એશિયા ખંડની એ પહેલી મેડિકલ કોલેજ. પછીથી તે યુનિવર્સિટી સાથે સંલગ્ન થઈ. એટલે મેડિકલ શિક્ષણ, એલોપથિક ડોકટરો અને સારવાર પદ્ધતિ, શસ્ત્રક્રિયા વગેરેની શરૂઆત પણ મુંબઈથી જ થઈ. અમદાવાદ મેડિકલ સ્કૂલ નામની ગુજરાતની પહેલી મેડિકલ શિક્ષણ આપતી સંસ્થા છેક ૧૮૭૧માં શરૂ થઈ હતી. મુંબઈના સખાવતી પારસી વેપારી સર બહેરામજી જીજીભાઈએ ૧૮૭૯માં વીસ હજાર રૂપિયાનું દાન આપ્યા પછી તેનું નામ બી.જે. મેડિકલ સ્કૂલ કરવામાં આવ્યું. છેક ૧૯૧૭માં તે સ્કૂલમાંથી કોલેજ બની હતી. ૧૮૭૮માં શરૂ થયેલી પૂનાની મેડિકલ કોલેજ માટે પણ સર જીજીભાઈ બહેરામજીએ માતબર દાન આપ્યું હતું. 

૧૮૬૨ની મેટ્રિકની પરીક્ષાનો ગુજરાતીનો એક પેપર

અંગ્રેજી માધ્યમ દ્વારા અપાતા શિક્ષણ માટે આપણે મોટે ભાગે લોર્ડ મેકોલેને જવાબદાર ગણીને તેને ગાળો ભાંડીએ છીએ. પણ તેમની શિક્ષણ અંગેની વિચારણાની અસર જેટલી કલકત્તા અને મદ્રાસ પ્રેસિડેન્સીમાં પડી એટલી બોમ્બે પ્રેસિડેન્સીમાં લાંબા વખત સુધી પડી નહિ. તેનું મુખ્ય કરણ એ કે બ્રિટિશ પદ્ધતિના શિક્ષણની અહીં શરૂઆત થઈ ત્યારે તેના બે મુખ્ય પુરસ્કર્તા માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન અને કેપ્ટન જ્યોર્જ રિસ્તો જર્વિસ, બંને દૃઢપણે માનતા હતા કે ‘દેશી’ઓને શિક્ષણ તો તેમની માતૃભાષામાં જ અપાવું જોઈએ. એ વખતે પણ અંગ્રેજી માધ્યમની નિશાળો તો હતી જ, પણ મુખ્યત્ત્વે પરદેશી અને સ્થાનિક ખ્રિસ્તી વિદ્યાર્થીઓ માટે. પછી વખત જતાં જ્યારે બીજા વિદ્યાર્થીઓને પણ તેમાં દાખલ કરવા જોઈએ એવી માગણી ઊઠી ત્યારે સરકારે ‘એન્ગલો વર્નાક્યુલર’ સ્કૂલો શરૂ કરી. જેમાં શિક્ષણની શરૂઆત તો માતૃભાષામાં જ થાય, પણ પછી આગળ જતાં અમુક વિષયો અંગ્રેજીમાં ભણાવાય. યુનિવર્સિટી ઓફ બોમ્બે શરૂ થઈ ત્યારથી મેટ્રિકથી માંડીને બીએ સુધી ગુજરાતી, મરાઠી જેવી ભાષાઓ શીખવવાની સગવડ હતી. શરૂઆતમાં ઘણાં વર્ષો સુધી તો મેટ્રિકની પરીક્ષામાં ‘દેશી’ ભાષાઓનાં ત્રણ પેપર રહેતા. એક વ્યાકરણનો, બીજો ગુજરાતી-મરાઠી વગેરેમાંથી અંગ્રેજી અનુવાદનો અને ત્રીજો અંગ્રેજીમાંથી ‘દેશી’ ભાષાઓમાં અનુવાદનો. એ જમાનાની તાસીર કેવી હતી એનો એક દાખલો : આજે તો પરીક્ષાઓમાં ગેરરીતિ થતી અટકાવવા માટે યુનિવર્સિટીઓએ જાતજાતના નુસખા અજમાવવા પડે છે, અને છતાં પરીક્ષાઓનાં પરિણામોમાં ગોલમાલ થતી જ રહે છે. પણ મુંબઈ યુનિવર્સિટી શરૂ થઈ ત્યારથી ઘણાં વર્ષો સુધી દરેક પ્રશ્નપત્રને મથાળે તેના પેપર સેટર્સનાં નામ છપાતાં! અને વિદ્યાર્થીઓને નંબર આપવામાં આવતા નહોતા. ઉત્તરપત્રના દરેક પાનાને મથાળે વિદ્યાર્થીએ પોતાનું નામ લખવાનું રહેતું. એ વખતે સ્કૂલ-કોલેજોની સંખ્યા પ્રમાણમાં ઓછી, એટલે ઘણુંખરું વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકબીજાને ઓળખાતા હોય એવું બને. છતાં કોઈને ‘ગોલમાલ’ની બીક રહેતી નહિ. અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટેના વિશ્વાસ પર પરીક્ષાઓનાં વહાણ ચાલતાં.

શિક્ષણ એ એક એવો દરવાજો છે કે એક વાર એ ખોલો પછી અનેક નવી નવી બાબતો સમાજમાં દાખલ થયા વગર રહે જ નહિ. પણ આ રીતે આપણા સમાજમાં જે નવું અજવાળું પથરાયું, એની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : ‘ગુજરાતી મિડ-ડે”, 02 જાન્યુઆરી 2021

Loading

સદ્‌ગત જયંત મેઘાણી

અજય પાઠક|Opinion - Opinion|2 January 2021

ભાવનગરમાં ભાગ્યે જ કોઈ પુસ્તકપ્રેમી/વાચનપ્રેમી એવી વ્યક્તિ હશે જે ‘મિલાપ', ‘પ્રસાર’ના માધ્યમથી સર્વશ્રી મહેન્દ્રભાઈ મેઘાણી તથા જયંતભાઈ મેઘાણીના સંપર્કમાં ન આવી હોય. વાચનપ્રેમીઓની અનોખી માવજત કરનારા બંને પુસ્તક પ્રસારકો. તાજેતરમાં જયંતભાઈનું દુ-ખદ નિધન થયું. અંતિમ ક્ષણ સુધી કમ્પ્યૂટર પર કાર્યરત હતા તેમ જાણવા મળ્યું છે. કેટલાક સમય પહેલાં ‘પ્રસાર’ની પ્રવૃત્તિ જયંતભાઈએ સંકેલી લીધી હતી અને ‘નિરીક્ષક’ના માધ્યમથી સૌ મિત્રો, ચાહકો, પ્રસંશકોને આવજો કહ્યું હતું. તે સમયે કેટલાંક સ્મરણો-‘પ્રસાર’ સાથેનાં મેં ‘નિરીક્ષક’ના માધ્યમથી વાગોળ્યાં હતાં. વાંચીને જયંતભાઈએ ફોન કર્યો હતોઃ “અજયભાઈ, બહુ યાદ રાખ્યું છે!” અને મેં પણ ઉષ્માપૂર્ણ ઉત્તર વાળ્યો હતો.

ગાંધીસ્મૃતિના લાઇબ્રેરિયન તરીકે જયંતભાઈ કાર્યરત હતા ને મારો કૉલેજકાળ શરૂ થયો હતો. ૧૯૬૧થી ૧૯૬૭. એક આગવી વિશેષતા સાથે તેમનું તે કાર્ય દીપી રહ્યું હતું. ગાંધીસ્મૃતિ પુસ્તકાલયનો એક ચાહકવર્ગ, વાચકવર્ગ ઊભો થયો હતો. પછીથી, આ તો મેઘાણીનું સંતાન! સ્વતંત્ર કેડી કંડારવી ને જીવનસંઘર્ષને માણવો એ ખમીર! જયંતભાઈએ ગાંધીસ્મૃતિ છોડ્યું, ‘મિલાપ’માં થોડો સમય કાર્ય કરીને પોતાનું સ્વતંત્ર કામ આરંભ્યું, ‘પ્રસાર’ … અમે મિત્રો વળી પાછા ‘પ્રસાર’ના નિયમિત મુલાકાતી બન્યા. પુસ્તક ખરીદીને વાંચવાની ટેવ કેળવી. ગુજરાતી, અંગ્રેજી, ભાષા-સાહિત્ય તથા અનેક વિષયો પર જયંતભાઈ અમને યાત્રા કરાવે. ‘ફ્‌યુચર શૉક’, ‘થર્ડ વેવ’ (ટોફ્‌લર), ‘પ્લેઝર ઑફ ફિલોસૉફી(વિલ ડ્યુરાં)નાં પુસ્તકોની ૧૦-૨૦ નકલો પ્રસારમાંથી જાય ને જયંતભાઈ અમને મિત્રોને પોરસાવે. મેઘાણીસાહિત્યના ગ્રંથસંપૂટોની યોજનાના અમે મિત્રો ખરા પ્રસારક બન્યા, સ્વયંસેવકભાવથી. અમે મિત્રો એટલે બૅન્કના મિત્રો …! એ સમયગાળો એટલે ‘પ્રસાર’નો પહેલો દાયકો. ૧૯૭૦/૮૦.

છેલ્લા બે દાયકાથી જયંતભાઈના ગાઢ સંપર્કમાં રહેનાર અમારા મહેન્દ્રસિંહ પરમાર. હવે જયંતભાઈ લેખક, અનુવાદક, સમીક્ષક તરીકે બહાર આવ્યા. રવીન્દ્રનાથ ટાગોરના શબ્દને તેમ અંગ્રેજી કાવ્યોને અનુવાદિત કરવાનું સરસ કામ જયંતભાઈએ કર્યું.

જયંતભાઈએ બાયપાસ સર્જરી કરાવેલી. તે પછી તબિયત જાળવીને સતત કાર્યરત રહ્યા. મારા પિતાજી સ્વ. પ્રિયવદન પાઠક તથા મારી મોટી દીકરી હેમા તેમ મારા કુટુંબના સૌ સભ્યો વતી મારી ભાવાંજલિ અર્પણ કરું છું. જયંતભાઈ-લતાબહેન તથા નીરજ સૌ મારી બહેન દીના, સ્વ. કિરીટભાઈ તથા તારક સાથે નિકટના કુટુંબભાવથી સ્નેહભાવ જાળવનાર રહ્યા છે.

ભાવનગર

(પહેલી વાર મળ્યો હોઈશ ૧૯૭૧૭૨માં, પણ એમનો પરિચય તો વણમળ્યે જ થવા લાગ્યો હતો – એનાં થોડાં વરસ પહેલાંથી : પ્ર.ગ. માવળંકરના ‘અભ્યાસ’માં દેશવિદેશનાં નવાં પુસ્તકો વિશે સહૃદય નોંધ નિર્દેશથી. બીજી શક્યતાઓ છોડી એ ગાંધીસ્મૃતિ સાથે ગ્રંથાલયી તરીકે જોડાયા એમાં એમનો પુસ્તક પ્રીતિનું કેટલું મોટું બળ હશે એનો અંદાજે અહેસાસ ‘અભ્યાસ’ મારફત મળતો હતો. છેલ્લાં વર્ષોમાં એમની રવીન્દ્રપ્રીતિનો રૂડો અનુભવ થયો. એક સાથે એમણે એમનાં રવીન્દ્ર પ્રકાશનો મોકલ્યા ત્યારે થોડા દિવસ સુધી મારા તરફથી પહોંચ પ્રતિભાવ સુધ્ધાં નહીં મળતાં એમણે હૃદયના હકસર કરેલી ફરિયાદ હવે સ્મરણ માત્ર. સંજય ભાવેએ વિગતવિશદ લેખોનું જે પ્રતિમાની સ્થાપ્યું છે એવું કશુંક ‘નિરીક્ષક’માં કરી શકીએ તે પૂર્વે ક્ષણ સાચવી લેતા આ થોડા શબ્દો.

− પ્ર.ન.શા.)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2021; પૃ. 08

Loading

હાશ ! 2020 ગયું ને 2021 આવ્યું …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|1 January 2021

2020માં બે શૂન્ય હતાં. એ શૂન્યોએ બબ્બે આંખે રડાવીને વિદાય લીધી છે ને એકવીસમી સદીનું એકવીસમું વર્ષ આવ્યું છે, તો તેને આવકારતાં આપ સૌને અનંત અભિનંદનો ને શુભેચ્છાઓ પાઠવું છું.

0 0 0

હાશ ! 2020નું વર્ષ ગયું ને 2021 આવ્યું. આપણે એટલા નસીબદાર છીએ કે 2020ને જતું ને 2021ને આવતું જોઈ શક્યા છીએ, કારણ લાખો લોકો એ જોઈ શક્યા નથી. 2020નું વર્ષ વીત્યું છે ને ઘણું વીતાડતું ગયું છે તે હકીકત છે. ઘણાં વીતી ગયાં છે ને આંખો ભીની કરતાં ગયાં છે. આમ તો વીતેલો સમય પાછો આવતો નથી, પણ આવતો હોય તો ય કોઈ એમ ન ઇચ્છે કે 2020 પરત આવે. સૌની પાસે વીતેલાં વર્ષની કડવી સ્મૃતિઓ છે તો કોણ એને સાચવવા ઇચ્છશે?

કોરોના 2019નાં અંતે ચીનથી શરૂ થયો ને 2020માં દુનિયાભરમાં ફેલાયો. દુનિયાના લાખો જીવોને તેણે ભરડામાં લીધા. કોઈ યુદ્ધથી ન થાય એવી ભયંકર ખુવારી આ ન દેખાતા દુશ્મને કરી. આ રોગનાં પરિણામો તો ભયંકર હતાં જ ત્યાં, બ્રિટનથી તેનું બીજું ભયંકર સ્વરૂપ આ ડિસેમ્બરમાં પ્રગટ્યું અને તે ભારતમાં પણ પ્રવેશ્યું છે. ખબર નથી 2021માં કોરોનાનું જોર કેટલું નરમ પડશે, પણ નવું વર્ષ પણ દહેશત સાથે જ શરૂ થયું છે તે નોંધવું ઘટે.

કોરોનાની ભયંકરતા એ છે કે તે રોગીનો શિકાર તો કરે જ છે, પણ ચેપી હોવાને કારણે રોગીના સંબંધીઓને તેના સુધી પહોંચવા પણ નથી દેતો. એ વિડંબના રહી જ કે મૃતકનું મોઢું પણ તેના મિત્રો કે સંબંધીઓ જોવા ન પામ્યા. આ સ્થિતિએ ઘણા સંબંધીઓને લોહીનાં આંસુ પડાવ્યાં છે. આંસુ લૂંછાય તો પણ રોકાય નહીં એવી સ્થિતિ વીતેલાં વર્ષની રહી છે. અનેકોનાં કાળજાં ચિરાયાં છે ને વર્ષો સુધી તેની યાતના ઘટે એમ લાગતું નથી.

કોરોનાએ સાબિત કરી આપ્યું કે માણસ એકલો રહેવા જ સર્જાયેલો છે. તે એકલો હોય ત્યારે જ ઓછો ઉપદ્રવી છે. સમૂહમાં તો તે અનેક દુષ્કર્મો કરી શકે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ મનુષ્યને ચંદ્ર પર વસાહતો ઊભી કરવા સુધી ઊડતો કર્યો, પણ આ ધરતીને તેણે વસાહતોને લાયક રહેવા ન દીધી. કેટલું પ્રદૂષણ ફેલાવ્યું માણસે આ પૃથ્વી પર, સત્તા, સંપત્તિના લોભમાં ! સંપત્તિ ને સત્તા જ જાણે માનવ અસ્તિત્વનાં પર્યાય બની રહ્યાં. કોરોનાએ બતાવ્યું કે ઘરમાં રહી શકાય છે, ઓછી વસ્તુથી જીવી શકાય છે. સડકો પર ધુમાડા કાઢીએ તો જ કામ થાય એવું નથી, ઘરમાં પણ ઘણાં કામ હોય છે. એવો સમય પણ હતો કે કોઈ કામ માટે સમય બચતો ન હતો, પણ કોરોનાએ સિદ્ધ કરી દીધું કે સમય ખુટાડવાનું પણ સહેલું નથી. તેને લીધે કેમિકલ વગરનું પાણી જોવાનું બન્યું, હવા વધુ પારદર્શી થઈ, પક્ષીઓ દેખાતાં, સંભળાતાં થયાં, ઘરમાં માબાપ, સંતાનો રમતો રમતાં થયાં, સાહેબો વાસણ, કચરાપોતાં કરતા થયા. દુનિયા ઘર લાગવા માંડેલી તેને બદલે ઘર જ દુનિયા છે એ ભાન તીવ્ર થયું. પણ, આ સ્થિતિ પણ લાંબી ચાલી નહીં. કોઈ પણ સ્થિતિ લાંબી ચાલે તે માણસ સહન કરી શકતો નથી. મહિનાઓનું લોકડાઉન હટ્યું ને દુનિયા ફરી આળસ મરડીને બેઠી થઈ.

કોરોના ચીનથી ફેલાયો ને ઈટલી, ફ્રાંસ, અમેરિકા, રશિયા, ઈંગ્લેન્ડ, ભારત જેવા અનેક દેશોમાં ફેલાયો ને અનેક લોકોને ભરખી ગયો. ચીનનો ઇરાદો હતો કે આખા વિશ્વની ઈકોનોમી તૂટે ને એમ જ થયું. વિશ્વ પર મંદીનું મોજું ફરી વળ્યું. ભારતમાં ધંધા રોજગાર મંદ પડ્યા. બેકારી મોં ફાડતી સામે આવી. એમાંથી માર્ગ કાઢવા સરકારે લાખો કરોડના પેકેજિસ જાહેર કર્યાં. એમાં ઘણાં ફાવ્યા ને ઘણા હતા એવા જ કમભાગી પણ રહ્યા. કરોડો વેપારીઓ આજે પણ સરકારના પેકેજિસથી વંચિત છે તે પણ હકીકત છે.

ઓગસ્ટ 5ને રોજ લેબેનોનની રાજધાની બૈરુતમાં પ્રચંડ વિસ્ફોટ થયો ને અનેકોનાં મોત થયાં ને હજારો ઘાયલ થયા. આ અકસ્માત હતો, પણ ભારતે યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરવાનો પણ આવ્યો. પડોશી દેશો – પાકિસ્તાન અને ચીન – સાથે ભારતે સંઘર્ષમાં ઊતરવું પડે એવાં પૂરતાં કારણો એ બંને દેશોએ આપ્યાં ને આજે પણ એલ.એ.સી. અને એલ.ઓ.સી. પર સ્થિતિ તણાવ ભરી જ છે. અમેરિકા અને ચીન, સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે પણ સંબંધો વણસેલા જ છે. ન્યૂઝ ચેનલોનું ચાલે તો એ તો આખી દુનિયાને લડાવી મારે એમ છે. યુદ્ધની ભયાવહ પરિસ્થિતિનો જે ચિતાર લડાયક વિશ્લેષકો આપે છે તે ડરાવનારા છે ને વાસ્તવિકતાથી દૂર છે.

પછી તો દિવાળી આવી ને લોકો અકરાંતિયાની જેમ સડકો પર ટોળે વળ્યા. કોરોનાને તો એ જ જોઈતું હતું. તે ફાટીને ધુમાડે ગયો. થોડી વધુ લાશોના કોલસા પડ્યા. રાત્રિ કરફ્યુ આવ્યો. કોણ જાણે કેમ પણ લોકો અને સરકાર સરખાં અણઘડ છે. એક તરફ સરકારને જોખમનો ડર છે તો ય બધું ચાલુ કરીને બેઠી છે ને બીજી તરફ લોકોને કોરોનાની ગંભીરતા હૈયે વસતી જ નથી. તેમાં જો ઉત્સવો કે પ્રસંગો આવે છે તો લોકો ને રાજકારણીઓ સરખા રઘવાયા થઈ જાય છે. વિવાહ કે લગ્ન કે રેલીરેલા હોય તો લોકોની રેલ આવે છે ને બધું રેલમછેલ થઈ જાય છે. કોરોના ચૂંટણીને નડતો નથી. બિહારમાં ચૂંટણી થઈ, ભાષણો થયાં ને સભાસરઘસોને કોઈ વાંધો ના આવ્યો ને હવે પશ્ચિમ બંગાળની, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે છે તો એ પણ લોકોના ખર્ચે ને જોખમે થશે જ !

બધું ખુલ્લું છે, પણ સ્કૂલ કોલેજો બંધ છે. કેટલાક વિદ્યાર્થીઓનું મહત્ત્વનું વર્ષ બગડે એમ છે, પણ વાલીઓ અને સરકાર મૌન છે. ઓનલાઈન શિક્ષણ ચલાવીને સરકાર એમ માનતી હોય કે તેણે ફરજ બજાવી છે તો તે ભૂલે છે. ઓનલાઈન શિક્ષણ શહેરમાં પણ બધા વિદ્યાર્થીઓને પહોંચ્યું નથી ત્યાં ગામડાંની તો વાત જ કરવા જેવી નથી. ઓનલાઇનના અધકચરા પ્રયોગ પછી પણ, પરીક્ષાને મામલે સરકાર કેવળ અસ્પષ્ટ છે. આ પરીક્ષાઓ મજાક ન બને એ જોવાનું રહે. ઓનલાઈન કોર્સ જ્યાં જેટલો ચાલ્યો એને આધારે સરકાર પરીક્ષા લેવા તૈયાર થઈ છે. વધારામાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ 4 મેથી સી.બી.એસ.ઈ. બોર્ડની દસ અને બારની પરીક્ષા શરૂ થવાની જાહેરાત કરી છે, પણ જ્યાં શિક્ષણ જ નથી થયું ત્યાં મહત્ત્વનાં વર્ષોનાં શિક્ષણ કે પરીક્ષાનું શું એ મામલે સરકાર ચૂપ છે. એક વાત સ્પષ્ટ છે કે કોરોનામાં સૌથી વધુ હાનિ શિક્ષણને પહોંચી છે ને એને માટે સરકાર અનેક રીતે જવાબદાર છે. તેણે ચાલુ શૈક્ષણિક વર્ષ તો જોખમમાં મૂકયું જ છે, પણ આવનારું વર્ષ પણ જોખમમાં મૂકાય એવાં પૂરાં એંધાણ છે. એ સારી વાત છે કે વિદ્યાર્થીઓ જોખમમાં ન મૂકાય એમ વિચારીને સ્કૂલ, કોલેજો બંધ રખાઈ, પણ એ જ વિદ્યાર્થીઓને બીજે સાવચેતી સાથે જવાની છૂટ હોય તો સ્કૂલ, કોલેજની પરેજી પરાણે પળાવવાનો શો અર્થ છે, તે નથી સમજાતું.

એમ પણ લાગે છે કે કોરોનાએ મોતનો જે આંકડો પાડ્યો છે તે વિશ્વને ઓછો લાગે છે ને બાકીની ખોટ કદાચ ચીન, પાકિસ્તાન, અમેરિકા, ઈરાન, સાઉદી અરેબિયા યુદ્ધથી પૂરવા માંગે છે. ઘણાં 2021માં ત્રીજા વિશ્વયુદ્ધની આગાહી કરે છે તો પરમાણુ યુદ્ધની શક્યતાઓ પણ નકારી શકાય એમ નથી. આમાં કોઈ યુદ્ધ અનિવાર્ય નથી, પણ ચડસાચડસી અને સુપર પાવર થવાની સ્પર્ધામાં નિર્દોષોનું લોહી રેડવાની પિશાચી વૃત્તિ જ યુદ્ધને નામે કામ કરે તો નવાઈ નહીં.

છેલ્લે છેલ્લે અમેરિકી પ્રમુખની ચૂંટણી આવી ને તેણે પ્રમુખ ટ્રમ્પને બદલે જો બાઈડનને ચૂંટ્યા. શરૂઆતમાં ટ્રમ્પ હાર સ્વીકારવા તૈયાર ન હતા, પણ પછી તેમણે વાસ્તવિકતા સ્વીકારી લીધી છે. ટ્રમ્પની ભારત સાથે મૈત્રી હતી, પણ નવા પ્રમુખ બાઈડન સાથે એ કેટલી ટકશે તે જોવાનું રહે. બને કે બાઈડન પાકિસ્તાનને ફળે. કાશ્મીર મામલે અને 370 નાબૂદીના મુદ્દે બાઈડનનો મત ભારતનાં સમર્થનનો નથી તે ભારતે જાણી લેવાનું રહે.

ભારતમાં પણ છેલ્લે છેલ્લે ખેડૂતોએ કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન છેડ્યું છે. ખેડૂતો અને સરકાર વચ્ચે મંત્રણાઓ ચાલે છે, પણ ગાડી હજી પાટે ચડી નથી. ખેડૂતો ત્રણે કાયદાઓ રદ્દ કરવાનું કહે છે, પણ સરકારને એ મંજૂર નથી. સરકારે કૃષિ કાયદાઓ ઘડતી વખતે ઉદ્યોગપતિઓને વિશ્વાસમાં લીધાની વાત છે, પણ ખેડૂતોને પૂછવાની દરકાર તેણે કરી નથી. વળી, ત્રણે કાયદાઓ ચર્ચા વિના જ પસાર કરી દેવાયા એ પણ ઠીક થયું નથી. આશા રાખીએ કે 2021માં આ સમસ્યાનો ઉકેલ આવે ને ખેડૂતોને સંતોષ થાય એ રીતે આવે.

એમ લાગે છે કે નવું વર્ષ 2021 અનેક પડકારો લઈને આવ્યું છે. રસી કારગત નીવડે ને કોરોનાનું જોર ઘટે એવી પ્રાર્થના કરવાની રહે. પાકિસ્તાન અને ચીનનો ઉપદ્રવ રહેવાનો જ છે, એમાં પાકિસ્તાન સાથે તો આરપાર લડી લેવા જેવું જ છે, કારણ તેણે ભારતને આઝાદી મળી ત્યારથી જ રંજાડવાનું ચાલુ રાખ્યું છે. વિશ્વમાં આતંકવાદ ફેલાવવાનું નિમિત્ત પણ પાકિસ્તાન જ છે ને જતે દિવસે તે ચીનનો કોળિયો થાય એમ બને. એમ થાય તો વાયા પાકિસ્તાન, ચીન, ભારતની સરહદો સાથે છેડછાડ ચાલુ ન રાખે તો જ નવાઈ !

જોઈએ, નવું વર્ષ તો નીવડે ત્યારે વખાણીશું, પણ અત્યારે તો સૌને હૃદયપૂર્વક અભિનંદનો અને  શુભેચ્છાઓ પાઠવીએ …

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 01 જાન્યુઆરી 2021

Loading

...102030...2,0402,0412,0422,043...2,0502,0602,070...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved