Opinion Magazine
Number of visits: 9680429
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે સરદાર પટેલ …

કિરણ કાપુરે|Opinion - Opinion|22 February 2021

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે અને અઠવાડિયે આડે રહેલી ચૂંટણીનો રંગ ધીરે ધીરે જામી રહ્યો છે. આજકાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ રાષ્ટ્રિય મુદ્દા અને રાષ્ટ્રીય આગેવાનોની જ બોલબાલા છે. સ્થાનિક સ્તરના રાજકારણનું પણ કેન્દ્રિયકરણ થઈ ચૂક્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પડેલા આ ટ્રેન્ડના કારણે હવે જરૂરી હોય તેવી સેવા પરથી ધ્યાન હટીને માત્ર ને માત્ર મોટાં મોટાં પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત થયું છે. અમદાવાદનું જ ઉદાહરણ લઈએ તો એક સમયે શહેરની જાહેર બસ સેવા શ્રેષ્ઠ ગણાતી, પરંતુ આજે તે વ્યવસ્થા પડી ભાંગી છે અને તેના સ્થાને શહેરમાં બી.આર.ટી.એસ.નું નેટવર્ક ગોઠવાઈ ચૂક્યું છે. એ જ રીતે હવે મેટ્રોનું કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. આજે શહેરનો વિકાસ તેની તાસીર મુજબ નહીં પણ ઉપરથી લાદેલા પ્રોજેક્ટથી થાય છે. તેમાં શહેર મૂળ ઓળખ તો ગુમાવે જ છે, પણ સાથે સાથે જે જંગી નાણાં ખર્ચાય છે તેનો લાભ આમ આદમી સુધી પહોંચતો નથી.

સ્થાનિક સ્વરાજ બોડીમાં ચૂંટાયેલા આગેવાનો આજે ધાર્યું કરી શકતા નથી, પણ અંગ્રેજોના શાસન દરમિયાન 1924ના અરસામાં દેશભરમાં સ્થાનિક સ્વરાજની બોડીમાં દેશના આગેવાનોનો પ્રવેશ થયો હતો. જુદા જુદા પ્રાન્તોમાં દેશના આગેવાનોએ મ્યુનિસિપાલિટીમાં પ્રવેશ કરીને સ્થાનિક સ્વરાજના કાર્યો હાથ ધર્યા હતા. અલ્હાબાદમાં જવાહરલાલ નેહરુ, પટણામાં રાજેન્દ્રપ્રસાદ, કલકત્તામાં સુભાષચંદ્ર બોઝ, મુંબઈમાં વિઠ્ઠલભાઈ પટેલ અને અમદાવાદમાં સરદાર પટેલ ચૂંટાઈ આવ્યા હતા. આ તમામ આગેવાનોમાં સરદાર પટેલે કરેલાં કાર્યની નોંધ દેશભરમાં લેવાઈ હતી. જો કે સરદાર પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં 1917માં જ દાખલ થઈ ચૂક્યા હતા, પરંતુ તેમના હાથમાં પૂરી બાગડોર પ્રમુખકાળ દરમિયાન 1924માં આવી હતી. તેમણે આ અગિયાર વર્ષમાં કેટલાંક કામ ખૂબ ઝડપથી પૂર્ણ કર્યા અને શહેરની કાયાપાલટ કરી હતી. સરદારના આ કામનો ઉલ્લેખ તેમનાં બૃહદ્દ ચરિત્ર લખનાર રાજમોહન ગાંધી, રામનારાયણ ના. પાઠક અને યશવંત દોશીએ વિસ્તારથી લીધી છે.

રા.ના. પાઠક લખે છે : “સરદારે પ્રમુખપદે આવતાં જ પ્રજાહિતનાં એક પછી એક કાર્યો હાથ ધર્યા. અમદાવાદનો મોટામાં મોટો પ્રશ્ન પાણીનો હતો. શહેરમાં ગટરો ન હતી. આ બંને કાર્યોમાં તેમણે મ્યુનિસિપાલિટીના એન્જિનિયર તથા તેના સાથીઓને એકાગ્ર બનાવ્યા. પરંતુ તેઓ બે કલાક ટેબલ પર બેસીને સહીઓ કરનારા પ્રમુખ ન હતા; ચોવીસ કલાકના પ્રજાસેવક હતા. સવારમાં ઇજનેર સાથે પોતે શહેરમાં ગટરો નંખાતી તે જગ્યાએ પહોંચી જતા. વૉટર વર્ક્સ અને બીજા કામો શરૂ થયેલાં એ સ્થળે ચક્કર લગાવતા અને ફરતા ફરતા બપોરે બાર વાગ્યે ઘેર પહોંચતા. પાછા ત્રણ વાગ્યે ઑફિસમાં હાજર થઈ જતા. દરેક કાગળ જાતે વાંચતા. તે ખાતાના અધિકારીને બોલાવી તેની સાથે ચર્ચાવિચારણા કરી કામનો ઝડપી નિકાલ લાવવા માટે સૂચનાઓ આપતા. આજનો રાજનગરનો વિકાસ એ વલ્લભભાઈની દીર્ઘદૃષ્ટિને આભારી છે. … એ વખતે અમદાવાદ ફરતો કોટ હતો. અંદરના ભાગનું ક્ષેત્રફળ 1,200 એકરનું હતું તેમા ત્રીજા ભાગમાં – 425 એકરમાં જ ગટરો હતી. તેમણે આખા શહેરમાં ગટરો નાખી દેવાની યોજના કીર અને ચાર વર્ષમાં પોતાની પ્રમુખ તરીકેની કારકિર્દી દરમિયાન એ કાર્ય પૂરું કર્યું. ગટરના પાણીનો ખેતી માટે ઉપયોગ થાય તે માટે જમાલપુર દરવાજા બહાર એક પમ્પિંગ સ્ટેશન અને સુએજ ફાર્મ હતું, તેમાં નવાં એન્જિનો તથા સાધનો વસાવી સગવડ કરી.”

“એવી જ રીતે શહેરને તાત્કાલિક જરૂરિયાત હૉસ્પિટલની હતી. સિવિલ હૉસ્પિટલ વધતી જતી વસ્તીને પહોંચી વળતી ન હતી. એને માટે દાન મેળવવાની તજવીજ થઈ. સ્વ. શેઠ વાડીલાલ સારાભાઈની મિલકતનો વહીવટ, એક્ઝિક્યૂટર તરીકે મુંબઈના શેઠ મનસુખલાલ છગનલાલ અને શેઠ મણિલાલ ઝવેરીના હસ્તક આવ્યો. સ્વર્ગસ્થના વસિયતનામા મુજબ એ મિલકતનો ઉપયોગ વૈદકીય મદદ કેળવણી વગેરે પ્રકારનાં કામોમા કરવાનો હતો. આ ગૃહસ્થો – ખાસ કરીને મનસુખલાલ – વલ્લભભાઈના પ્રશંસક હતા. એમની – વલ્લભભાઈની – જ સૂચનાથી ટ્રસ્ટીઓએ, અમદાવાદના જનરલ હૉસ્પિટલ માટે રૂપિયા ચાર લાખની ઉદાર સખાવત આપવાનું જણાવ્યું. આમ સામાન્ય હૉસ્પિટલ અને પ્રસૂતિગૃહ અંગે જે યોજનાઓ મ્યુનિસિપાલિટી વિચારતી હતી તેને મૂર્ત સ્વરૂપ આપવાનું સરળ થઈ ગયું.”

સરદારના કોર્પોરેશનના કાર્યને લઈને રાજમોહન ગાંધીએ વિસ્તૃત વર્ણન કરવાની જગ્યાએ મહત્ત્વની બાબતોને જ સમાવી છે, જેમાં તેઓ લખે છે : “જાતમહેનત વલ્લભભાઈના પ્રભાવનું રહસ્ય હતું. રોજ સવારે વલ્લભભાઈ દરેક વોર્ડમાં જતા અથવા ઇજનેર કે ઓવરસિયરને સાથે લઈને કામ ચાલતું હોય ત્યાં પહોંચી જતા. … શહેરમાંની ગરદી ઘટાડવા માટેની તેમની યોજના સામે ઉગ્ર વિરોધ થયો. કિલ્લા વિસ્તારની બહારની જગાના વિકાસની તરફદારી કરવા માટે તેમને ખેડૂતોના દુશ્મન કહેવામાં આવ્યા. અને જૂના સુલતાનોએ બાંધેલા કિલ્લાનો થોડો ભાગ તોડી નાખવા માટેની જૂની દરખાસ્તને ટેકો આપવા માટે તેમને મુસ્લિમ વિરોધી ઠરાવવામાં આવ્યા. આ દીવાલ તે જમાનાના સ્થાપત્યનો ઉત્તમ નમૂનો હોવાથી તે તોડી નાખવામાં વિરોધમાં કેટલાક બિનમુસ્લિમો પણ જોડાયા. વલ્લભભાઈએ વૈકલ્પિક યોજનાની માગણી કરી, તેનો જવાબ કોઈની પાસે હતો નહીં. અને તેથી દીવાલ તોડવાનું કામ શરૂ થયું. … ઉંદરો અને રખડતાં કૂતરાંઓને મારી નાખવાની દરખાસ્તને વલ્લભભાઈએ ટેકો આપ્યો.આ ખોડાં ઢોરને મારી નાખવાની તેમણે હિમાયત કરી ત્યારે જૈનો અને હિંદુઓ નારાજ થયા. રખડતાં કૂતરાં પકડવા સામે વિરોધ દર્શાવનાર જૈનોને તેમણે કૂતરાંઓ પર દયા દાખવીને તેમને પોતાના ઘરમાં રાખવાની વિનંતી કરી. મુસલમાનો ગાયબળદની કતલ કરે છે તે ખાળવાની વિનંતી કરનાર હિંદુઓને તેમણે સણસણતો સવાલ પૂછ્યો, “આ ગાયબળદ વેચવા કોણ જાય છે?” આવું વેચાણ હિંદુઓ કરતા હતા તે બધા જાણતા હતા.”

આગળ રાજમોહન ગાંધી એક સરસ વાત ટાંકે છે : “એલિસબ્રિજ યોજનાના વિરોધમાં આયોજિત કરવામાં આવેલી ત્રણ જાહેર સભાઓમાં તેમણે હાજરી આપી. આજના આગેવાનો કરતાં અળગા પડીને વલ્લભભાઈ ટીકાકારોના સામી છાતીએ મુકાબલો કરતા. આ સભાઓમાં વલ્લભભાઈનાં પ્રવચનોમાં હિંમત, નિખાલસતા અને સમજાવટની છાંટ જણાઈ આવે છે. તેમ કેટલીક જગાએ તેમાં અધીરાપણું, અહંકાર અને ધાકધમકી પણ જોવા મળે છે. … એકંદરે જોઈએ તો એલિસબ્રિજ યોજનાની ચર્ચામાં વલ્લભભાઈનો લોકશાહી અભિગમ જણાઈ આવે છે. કાઉન્સિલમાં મોટી બહુમતિ હોવા છતાં ટીકાકારો પાસે જઈને વાત સાંભળવાની તેમની તૈયારી હતી.”

સંગીન રીતે મ્યુનિસિપાલિટીનો વહિવટ ચલાવ્યા બાદ આ અનુભવની આપલે અન્ય મ્યુનિસિપાલિટીઓ સાથે થાય તે માટે 1927ના જુલાઈ માસમાં સુરતમાં પ્રથમ સ્થાનિક સ્વરાજની પરિષદ બોલાવવામાં આવી. વલ્લભભાઈએ તેમાં પ્રમુખ સ્થાને હતા. આ પરિષદમાં સરદાર પટેલે પોતાના અનુભવ વિશદ રીતે રજૂ કર્યા. નગરજનોની સુવિધાની વાત તેમણે કરેલી, તે ટૂંકમાં રા.ના. પાઠકે મૂકી આપી છે. સરદારની આ વાતમાં તેઓ કહે છે : “સ્વચ્છ અને પૂરતા પાણીની, સારી ગટરોની, સાંકડા અને ગલીચ રસ્તાઓ ખુલ્લા કરવાની, સારા રસ્તાઓની, હવાઅજવાળાવાળાં શાળાઓનાં મકાનોની, બાળકોની રમવાની જગ્યાઓની, સફાઈ સુધારવાની, મ્યુનિસિપાલિટીની ઑફિસનાં મકાનોની, દવાખાનાંના મકાનોની, બજારોની, કતલખાનાની, એવી એવી તાત્કાલિક જરૂરિયાતોની ચોમેરથી બૂમ પડે છે, જ્યારે નાણાંને અભાવે ઘણીખરી મ્યુનિસિપાલિટીઓ પીડાય છે અને એમાંનું કાંઈ કરી શકતી નથી.” સદ્ભાગ્યે આજે નાણાં કમી નથી, પરંતુ ઉપર સરદારે જણાવેલી નગરજનોની પાયાની જરૂરિયાતથી ધ્યાન હટી ગયું છે અને એટલે જ 1935માં ભરૂચમાં યોજાયેલી ત્રીજી સ્થાનિક સ્વરાજની પરિષદના વક્તવ્યમાં સરદારે કહેલી વાત દરેક જાહેર સેવકે યાદ રાખવી રહી. તેમણે પરિષદને સંબોધતા અંતે કહ્યું હતું : “મ્યુનિસિપાલિટી અને લોકલ બોર્ડના સભાસદની જગ્યાએ માનમરતબની કે સ્વાર્થ સાધવાની ઉમેદથી જવું એ પાપ છે. સેવાધર્મનું એ સ્થાન છે. ગરીબ ને અજ્ઞાન કર ભરનારાઓના નાણાંના વહીવટના ટ્રસ્ટી બની બેસવું એ ભારે જવાબદારીભર્યું કાર્ય છે. એ જવાબદારી અદા કરવાની બુદ્ધિ અને શક્તિ પ્રભુ તમને આપો.”

e.mail : kirankapure@gmail.com

પ્રગટ : 14 ફેબ્રુઆરી 2021

Loading

સુધરાઈ પ્રમુખ તરીકે દેશના પ્રથમ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ!

કિરણ કાપુરે|Opinion - Opinion|22 February 2021

ગત્ રવિવારે મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે સરદાર પટેલની વાત કરી અને તેમણે તે પદ પર રહીને અદ્વિતીય કાર્યની ઝલક પણ મેળવી. અંગ્રેજ શાસન દરમિયાન 1924ના અરસામાં જ્યારે સરદાર પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા હતા, તે ગાળા દરમિયાન અન્ય શહેરોમાં પણ પછીથી સરદારની જેમ રાષ્ટ્રીય આગેવાન બનેલાં આગેવાનો ચૂંટાઈ આવ્યા હતા. જેમાં અલ્હાબાદમાં જવાહરલાલ નેહરુ, પટણામાં રાજેન્દ્રપ્રસાદ અને કલકત્તામાં સુભાષચંદ્ર બોઝ હતા. તેમાં જવાહરલાલ નેહરુ તો દેશના પ્રથમ વડા પ્રધાન પદે બિરાજ્યા હતા. તેમનો પણ પહેલોવહેલો જાહેર કાર્યક્ષેત્રમાં પદભાર સંભાળવાનો પહેલોવહેલો અનુભવ અલ્હાબાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકેનો હતો. એ જ પ્રમાણે દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બનનાર રાજેન્દ્ર પ્રસાદે પણ પટણામાં જવાબદારી સ્વીકારી હતી.

જવાહરલાલ નેહરુએ પોતાના મ્યુનિસિપલ કાર્યકાળને વિસ્તૃત રીતે પોતાની આત્મકથા ‘મારી જીવનકથા : જવાહરલાલ નેહરુ’માં જગ્યા આપી છે. આ અનુભવ હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે ત્યારે જાણવા છે. સરદારે જેમ અમદાવાદ શહેરની કાયાપાલટ કરવાનું કાર્ય કર્યું હતું અને તેઓ મ્યુનિસિપિલ કાર્યમાં ઓતપ્રોત રહ્યા હતા, તેવું નેહરુના કિસ્સામાં અલ્હાબાદ સંદર્ભે અનુભવાતું નથી. તેઓ ‘મ્યુનિસિપલ કામ’ના પહેલાં જ પેરેગ્રાફમાં લખે છે : “બે વર્ષ સુધી મે અલ્લાહાબાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખનું કામ ચલાવ્યા કર્યું. પણ એને વિશેની મારી અનિચ્છા વધતી જતી હતી. હું પ્રમુખનું ત્રણ વર્ષને માટે હતો, પણ બીજું વર્ષ શરૂ થયું ન હતું ત્યાં તો હું મારી જવાબદારીમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરવા લાગ્યો. કામ મને ગમ્યું હતું, અને તેની પાછળ પુષ્કળ સમય અને વિચાર આપ્યો હતો. મને ઠીક ઠીક સફળતા પણ મળી હતી, અને મારા સાથીઓનો સદ્દભાવ પણ પ્રાપ્ત કર્યો હતો. પ્રાંતિક સરકાર(એટલે કે અંગ્રેજ સરકાર)ને મારા રાજકીય વિચારો વિશે અણગમો હતો, તે ભૂલી મારા કેટલાંક મ્યુનિસિપલ કામોની તેણે પ્રશંસા સુધ્ધાં કરી હતી, પણ કોણ જાણે મને એમ લાગ્યું કે હું કોઈ વાડામાં બંધાઈ ગયો છું, અને કંઈક સંગીન કાર્ય કરવા જતા રસ્તામાં અંતરાયો અને બંધીઓ ઊભી જ છે.”

સરદાર પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં કામ બતાવીને પછીથી રાજીનામું આપ્યું હતું, પરંતુ નેહરુના કિસ્સામાં નોંધપાત્ર કાર્ય અલ્લાહાબાદમાં થયું હોય તેવું તેમના લખાણમાં અભિપ્રેરીત થતું નથી. ઉપરાંત નેહરુ આ મ્યુનિસિપાલિટીમાં તે વખતે કેવી રીતે કાર્ય થતું તે મૂકી આપે છે. તેઓ લખે છે : “મ્યુનિસિપાલિટીનાં પ્રમુખ તરીકે મારે એક તરફથી સત્તાવાદી સરકારની(અંગ્રેજોના) નોકરશાહીના ગાડા સાથે કામ લેવાનું હતું – આ રગશિયું ગાડું જૂને ચીલે જ ચાલનારું હતું અને તેની ગતિ અને દિશા બદલાવવી અશક્ય હતું. બીજી તરફથી મારા સાથી મ્યુનિસિપાલિટીના સભ્યો જોડે કામ લેવાનું હતું, અને એમાંના ઘણાંખરા  પણ કામ ઉત્સાહથી ઉપાડી લેતા, પણ એકદંર રીત જોતા તેમનામાં દૂરદૃષ્ટિ ન હતી, બદલવાને માટે કે સુધરવા માટે ધગશ ન હતી. જે રસ્તે ચલતા આવ્યા છીએ તે રસ્તો કાંઈ ખોટો નથી, સફળ ન થાય એવા નવા પ્રયોગોમાં શા સારું પડવું ? આદર્શવાદી અને ઉત્સાહી સભ્યો પણ ધીમે ધીમે જડ ચીલે ચાલવાથી ઉપન્ન થતા પ્રમાદને કેફને વશ થતા. માત્ર એક વિષય એવો હતો કે જેની ચર્ચા ઊભી થતાં સભ્યોમાં નવું ચેતન આવવાની ખાતરી રહેતી – સગાંવહાંલાઓને ઠેકાણે પડાવાનો અને નિમણૂકોનો વિષય. આ વિષયમાં તેઓ રસ લેતા તેથી હંમેશાં મ્યુનિસિપાલિટીનનું કામ સુધરે એમ તો ન જ બનતું.”

મ્યુનિસિપાલિટીના પ્રમુખ પદેથી તેઓ કેવી રીતે અલગ થયા અને તે વિશે પણ તેઓ લખે છે. તેમના શબ્દોમાં ‘છૂટકારો’ મેળવ્યો હોય તેવો અનુભવ દેખા દે છે. તેઓ લખે છે : “મ્યુનિસિપાલિટીનું કામ એક બે વર્ષ કર્યા પછી મને લાગ્યું કે હું મારી શક્તિઓનો સારામાં સારો ઉપયોગ ત્યા કરતો નથી. બહુ બહુ તો હું ત્યાં કામને કંઈક વેગ આપી શકતો અથવા તો એમાં વધારે કુશળતા લાવી શકતો. પણ હું કોઈ કરવા જેવો સુધારો તો દાખલ કરાવી શકું એમ હતું જ નહીં. મારે પ્રમુખપદનું રાજીનામું આપવું હતું, પણ બોર્ડના બધા સભ્યોએ મને ચાલું રહેવાનું દબાણ કર્યું. તેમની પાસેથી એકસરખી માયા અને સદ્દભાવનો મેં અનુભવ કર્યો હતો, એટલે તેમને ના પાડવી કઠણ હતી. પણ બીજા વર્ષની આખરે મેં રાજીનામું આપ્યું.” આ રાજીનામું આપવા પાછળ નેહરુએ દર્શાવેલાં ઉપરના કારણો તો હતા જ, પણ સાથે તેમના પત્નીની સતત બગડતી જતી તબિયત પણ હતી. પત્નીના સારવાર અર્થે યુરોપ લઈ જવાનું બન્યું અને તેઓએ રાજીનામું આપ્યું. પછીથી તો તેઓ જ્યારે ભારત પાછા ફર્યા ત્યાર બાદ તેઓ રાષ્ટ્રીય કક્ષાના રાજકારણમાં જ વધુ સક્રીય થયા. જો કે તેમનો મ્યુનિસિપાલિટીના પ્રમુખપદનો કાર્યકાળ સરદાર જેટલો યશસ્વી અને કાર્યશીલ ન રહ્યો.

e.mail : kirankapure@gmail.com

પ્રગટ : 21 ફેબ્રુઆરી 2021

Loading

સરકારના કાન હવે મૂડીવાદીઓને જ સાંભળે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|21 February 2021

ગયા વખતના લેખમાં આપણે જોયું કે ભારતની રાજકીય વ્યવસ્થા (ઇન્ડિયન પોલિટીકલ સિસ્ટમ) સત્તાકેન્દ્રી થવા લાગી. એ સત્તાકેન્દ્રી થવા લાગી એટલે ચૂંટણીલક્ષી થવા લાગી. પ્રજાના હિતોની ચિંતા કરનારા સ્વચ્છ અને ભલા માણસો લોકપ્રતિનિધિગૃહોમાં પ્રવેશી ન શકે એ માટે ચૂંટણી મોંઘી કરવામાં આવી. મોંઘી એટલે એટલી મોંઘી કરવામાં આવી કે માત્ર દમડી અને દાદાગીરીવાળા લોકો જ ચૂંટણી લડી શકે અને એ રીતે એવા લોકો આપોઆપ લાયક ઉમેદવાર બની ગયા. એનાથી આગળ વધીને ઉદ્યોગપતિઓ સીધા પોતાના દલાલોને સંસદમાં મોકલવા લાગ્યા.

બીજી બાજુ ખેતીવાડી અને ખેડૂતો હાંસિયામાં ધકેલાઈ રહ્યા હતા અને પેલો વિકાસનો ચતુષ્કોણ ત્રિકોણમાં ફેરવાઈ ગયો હતો. ખેડૂતોને પ્રેમ કરવાનું અને પ્રોત્સાહન આપવાનું તો ક્યારનું ય બંધ થઈ ગયું હતું. શાસકોએ હવે ગામડે જવાનું છોડી દીધું હતું. જરૂર નહોતી. એક તો ખેડૂતો સત્તાકેન્દ્રી અને ચૂંટણીલક્ષી ભારતીય રાજકીય વ્યવસ્થાને પોષી શકે એમ હતા નહીં, તે એટલે સુધી કે લાભ લઈને પણ પોષી શકે એમ નહોતા, જે રીતે ઉદ્યોગપતિઓ પોષતા હતા. બીજું, ખેડૂતોની કોઈ વોટબેંક નથી. એ હિંદુ છે, મુસ્લિમ છે, પટેલ છે, કણબી છે, બીજું બધું જ છે; પણ ખેડૂત હોવા છતાં ય ખેડૂત નથી. ત્રીજું ખેડૂતનો પણ જમીન અને ખેતી માટેનો પ્રેમ ઓછો થવા લાગ્યો. છેલ્લાં સિત્તેર વરસમાં ભાયે ભાગ પડતા ગયા, નવા સેઢા પડતા ગયા જેને પરિણામે ખેતરો ખોબા જેવડા બનતા ગયાં. જેણે ભારતની ભૂખ ભાંગી, જેણે ભારતને અન્ન સ્વાવલંબી કર્યું અને જેણે ભારતના ઔદ્યોગિકરણને પોષ્યું એ દેવાદાર થવા લાગ્યો.

આગલા લેખોનો આટલો લાંબો ઉપસંહાર એટલા માટે કરવો પડ્યો કે કેટલાક લોકોને પાથીએ પાથીએ તેલ નાખવું પડે એમ છે. ખોળે બેઠા પછી વિચારવાનું નહીં અને બીજી દિશામાં જોવાનું નહીં.

***

અર્થશાસ્ત્રમાં એક જમાનામાં પરકોલેશન થિયરી ફેશનમાં હતી. જમણેરી અર્થશાસ્ત્રીઓ કહેતા હતા કે સંપત્તિની વહેંચણીની ચિંતા કરવાની જરૂર નથી. સંપત્તિનું સ્વરૂપ જ એવું હોય છે કે તેને મૂઠીમાં પકડી રાખી શકાતી નથી. તે રેતીની જેમ નીચે ખરશે અથવા પાણીની જેમ નીચેની તરફ ગળશે. જો કાયદાઓ કરીને ફરજિયાત સંપત્તિની વહેંચણી કરશો અને જે લોકો કમાયા છે એની પાસેથી આંચકી લેશો તો તેને વધુ કમાવામાં રસ નહીં રહે. ઉદાસીન ઉત્પાદકતા રાષ્ટ્રીય ઉત્પાદકતાને પ્રભાવિત કરશે અને સરવાળે દેશ પાછળ રહી જશે. એ સમયે અનેક લોકોને જમણેરી અર્થશાસ્ત્રીઓની આ વાત ગળે ઉતરતી હતી. લક્ષ્મી ચંચળ હોય છે એવો આજ સુધીનો માનવજાતનો અનુભવ પણ છે.

બીજી થિયરી શાસકોની હતી જેને કલ્યાણ રાજ્યની અથવા વેલ્ફેર સ્ટેટ થિયરી કહેવામાં આવે છે. એમાં એમ કહેવામાં આવતું હતું કે લોકતાંત્રિક દેશોમાં શાસકોએ સમયાંતરે લોકો પાસે મત માગવા જવું પડતું હોય છે, એટલે તેમને અંતિમ છેડાની આક્રમક નીતિ અપનાવવી પોસાય જ નહીં. શાસકો ઝડપી વિકાસ માટે ઉદ્યોગપતિઓને મદદ કરતા હોય તો પણ તેમણે જનસાધારણના કલ્યાણની ચિંતા કરવી જ પડવાની. ટૂંકમાં દુભાયેલા વંચિતોના રોષને પરિણામે શાસકીય વ્યવસ્થા પડી ન ભાંગે એ સારુ શાસકોએ સંપત્તિની વહેંચણી ધરાર કરવી જ પડે. બીજો કોઈ મહાન ઉદ્દેશ ન હોય તો પણ સત્તા ટકાવી રાખવા માટે, વ્યવસ્થા ટકાવી રાખવા માટે અને શાંતિ જાળવી રાખવા માટે મજબૂરીના ભાગરૂપે પણ સંપત્તિની વહેંચણી કરવી પડે.

જો સંપત્તિની વહેંચણી કરવી જ પડે એમ હોય તો ધનપતિઓ પાસેથી સંપત્તિ ઝૂંટવીને રાષ્ટ્રીય ઉત્પાદકતાને નુકસાન પહોંચાડનારો સામ્યવાદી માર્ગ અપનાવવા કરતાં કોઈ બીજો માર્ગ અપનાવવામાં આવે તો કેવું? આ બીજો માર્ગ એટલે કલ્યાણ રાજ્યનો માર્ગ. એમાં સરકાર કસ્ટમ ડ્યુટી, આબકારી જકાત, કરવેરા અને બીજા સેસ લાગુ કરીને કમાનારાઓ પાસેથી ધન મેળવે અને પ્રજાકલ્યાણ માટે ખર્ચે. આમાં ઉત્પાદકતા જળવાઈ રહે, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે અને વિકાસથી કોઈ વંચિત ન રહે.

જમણેરી અર્થશાસ્ત્રીઓએ જે ત્રીજી થિયરી આપી હતી એ અંગ્રેજીમાં લિસ્સે ફૅઅર [Laissez-faire] થિયરી તરીકે ઓળખાય છે. એમાં એમ કહેવાય છે કે મૂડીવાદ વડલાના ઝાડ જેવો હોય છે. એને ફેલાતા આવડે છે તો સાથે ટકી રહેતા પણ આવડે છે. વડલો જો એક જ થડ ઉપર બસો મીટરના ઘેરાવામાં ફેલાય તો એ ટકી ન શકે અને વાવાઝોડામાં પોતાના ભારથી ધરાશયી થઈ જાય. વડલો વડવાઈઓ જમીનમાં ઊતારીને નવાં નવાં થડ પેદા કરે છે અને એના ઉપર ટકી રહે છે. ઈમારતના પાયા અને પીલરો અને વડલાની વડવાઈઓ એક જ કામ કરે છે, ટકાવી રાખવાનું. વડલો દેખાવમાં એક જ ઝાડ લાગે છે પણ એ ઝાડોનું ઝાડ હોય છે અથવા વડલાઓનો વડલો હોય છે.

મૂડીવાદમાં આ જે ફેલાઈને ટકી રહેવાનું કૌશલ છે એ વડલાની વડવાઈઓની જેમ મૂડીનું રાષ્ટ્રકૂળ રચે છે. મૂડીવાદને મૂડીની જરૂર છે. મૂડીવાદી અર્થતંત્રને વિજ્ઞાન, ટેકનોલોજી અને અન્ય સ્કીલની જરૂર છે. મૂડીવાદને શ્રમિક, સેલ્સમેન એમ અનેક પ્રકારની માનવશક્તિની જરૂર છે. મૂડીવાદને માર્કેટની જરૂર છે. મૂડીવાદને સમાજમાં શાંતિ અને વ્યવસ્થાની જરૂર છે. મૂડીવાદને કામ કરનારા લોકોની શ્રદ્ધા જળવાઈ રહે એની જરૂર છે. મૂડીવાદને સંશોધન કરનારી સંસ્થાઓની જરૂર છે. મૂડીવાદને માણસ હજુ વધારે સારો માણસ બને એની પણ જરૂર છે. સમાજમાં જે કોઈ પરિબળો સર્જકતા અને ઉત્પાદકતાને પ્રોત્સાહન આપે એ બધાં પરિબળોની મૂડીવાદને જરૂર છે. માટે મૂડીવાદરૂપી વડલો જરૂરિયાત મુજબ વડવાઈઓ જમીનમાં રોપતો રહેશે.

તમે કદાચ કહેશો કે મૂડીવાદનું સ્વરૂપ સ્વાર્થી છે તો જમણેરી અર્થશાસ્ત્રીઓ જવાબમાં કહેતા કે જો સ્વાર્થ વડલાની જેમ કોમનવેલ્થ રચી આપતો હોય અને ઉપરથી છાંયો પણ આપતો હોય તો એ સ્વાર્થ પરમાર્થ જેવો છે.

આને માટે જરૂરિયાત એટલી કે સરકારે ઓછામાં ઓછો હસ્તક્ષેપ કરવો જોઈએ અને વડલાને એની રીતે ઊગવા અને વિકસવા દેવો જોઈએ. આ જે ચોથી થિયરી ફેશનમાં હતી અને આજે પણ છે એ છે, ‘અ-સરકારી એ અસરકારી’ અંગ્રેજીમાં minimal governance અથવા a government that govern least. સરકાર સંપત્તિ અને તેના સર્જનની પ્રક્રિયાથી દૂર રહે. સરકારે વ્યવસાયિક પ્રવૃત્તિ નહીં કરવી જોઈએ. સરકારે માર્કેટનું નિયમન નહીં કરવું જોઈએ. સરકારે સંપત્તિના ન્યાયી વિતરણ માટેની તજવીજ નહીં કરવી જોઈએ. બધું જ એની મેળે થતું રહેશે અને ઘીના ઠામમાં ઘી પડશે.

પહેલી ત્રણ થિયરીઓ ૧૯મી સદીના ઉત્તરાર્ધથી લઈને વીસમી સદીના અંત સુધી ફેશનમાં હતી. ચોથી થિયરી મૂડીવાદનું કદ વિકસ્યું એ પછી ફેશનમાં આવી. પહેલી ત્રણ થિયરી સામ્યવાદને ખાળવા માટે અને લાભ મેળવવા લાઈનમાં ઊભેલો માણસ અધીરો ન થઈ જાય એના માટેની હતી.

પણ આજે હવે અનુભવ શું કહે છે? 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 21 ફેબ્રુઆરી 2021

Loading

...102030...2,0242,0252,0262,027...2,0302,0402,050...

Search by

Opinion

  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved