Opinion Magazine
Number of visits: 9663812
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એલિટ અને બહુજન ગુજરાત વચ્ચે ‘સેતુ’ રૂપ ઉમાશંકર અધ્યયન કેન્દ્ર 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|24 July 2025

અવસર : ઉમાશંકર જયંતીની ઉજવણી

કાવ્યગાન અને કાવ્યપઠનના અતિ વચ્ચે એક મૂલગ્રાહી સંશોધક અને એથીયે વિશેષ તો જાહેર જીવન અને સામાજિક નિસબતના જે જણ, એનાં ધોરણસરનાં ઓસાણ ક્યાં ને કેટલાને 

પ્રકાશ ન. શાહ

માનો કે અતિવ્યાપ્રિત લાગે, પણ નાનાલાલ પછી એક ઉમાશંકર આવ્યા જેમણે કવિ તરીકે ગુજરાતના ચિત્ત પર એક અસર જગવી અને પડને જાગતું રાખ્યું. બંને મોટ્ટા કવિ અને બલ્લુકાકાની કસોટીએ પોતપોતાની ઇતિહાસદૃષ્ટિ ધરાવતી પ્રતિભાઓ. બહુ સરસ કહ્યું હતું એકવાર બ.ક.ઠા.એ કે, ઉમાશંકર હવે ઇત્યાદિ પ્રકારના કવિઓ પૈકી નથી.

મુંબઈ-ગુજરાતમાં આ છેડેથી પેલે છેડે કેટકેટલે ઠેકાણે, ખાસ તો વિદ્યાસંસ્થાઓમાં, હમણેથી ઉમાશંકર જયંતી ઉજવવાનો ચાલ કંઈક વેગે વરતાય છે. અખબારોમાં એનું બિંબ ઝિલાય, ન ઝિલાય, પણ હાલ હાથવગા સોશિયલ મીડિયા પરની લગરિક લટારથીયે એના વ્યાપનો અંદાજ જરૂર આવે છે. પણ આ ઉજવાતાગવાતા ઉમાશંકર રિયા છે?

‘ભોમિયા વિના’ના કવિ હશે કે પછી વધીવધીને વિશાળે જગવિસ્તારે એકલો માનવી નથી એવું દાયકાઓ પૂર્વ કવનાર પર્યાવરણપટુ કવિ હશે. ભલું હશે તો કોઈક ક્યાંક યાદ પણ કરશે કે કાકાસાહેબે એમને માટે એ મતલબનું કહેલું કે, તું કવિ છો, પણ તારો પિંડ વિચારકનો છે. પણ કાવ્યગાન ને કાવ્યપઠનના ‘અતિ’માં – હા, ‘અતિ’માં – એક મૂલગામી તો જાહેર જીવન અને સામાજિક નિસબતના જણ, એનાં ધોરણસરનાં ઓસાણ ક્યાં ને કેટલાને.

ઉમાશંકર જોશી

હમણેનાં વરસોમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ જરા વધુ જ જોસ્સાથી ઉમાશંકર જયંતી મનાવે છે ત્યારે કંઈક વિલક્ષણ રીતે ઉપેક્ષિત ઉમાશંકરનું ચિત્ર આપણી સામે આવે છે. એમણે સરકારી અકાદમીનું સન્માન લેવાની ના પાડી હતી અને દેશની અકાદમીના ચૂંટાયેલા પ્રમુખ પોતે રહ્યા છે, એ એક માર્ગદર્શક વિગત નમૂના દાખલ ટાંકીને સ્વાયત્ત અકાદમીનો સંદેશ આપ્યો હતો. પછીનાં વરસોમાં દર્શકના યોજકત્વમાં સ્વાયત્ત અકાદમી શક્ય બની, અને અન્ય રાજ્યોમાં ત્યારે કે અત્યારે નહીં એવું નવું ને નરવું ગુજરાત મોડેલ એણે પૂરું પાડ્યું; પણ આજે અકાદમી ચૂંટણી વગરની રચનાઓથી નકરી સરકારગ્રસ્ત બની ગઈ છે અને સંબંધિત સૌ ગયેલી સ્વાયત્તતાના ખટકા વગર મોટે મોટે ઉમાશંકર-ઉજવણાં કરે છે. (ડોલરરાય માંકડે એક વાર આબાદ સંભાર્યું હતું. ઋગ્વેદના વસિષ્ઠ સૂક્તને કે, વર્ષાકાળે ડ્રાંઉં ડ્રાંઉં કરતાં દેડકાં પેઠે દક્ષિણાકાળે ઋષિઓ મંત્રોચ્ચાર કરવા લાગે છે.)

આ માહોલમાં એક આછુંપાતળું પણ હૈયાધારણ અને અંશ પણ આશાકિરણ, ઉમાશંકર જોશી ગુજરાત અધ્યયન કેન્દ્રની પ્રવૃત્તિઓના પ્રારંભનું છે. હમણેની બેઠકમાં એક રાઠવા શોધ છાત્રાએ પોતાની વાત મૂકી તે એલિટ ગુજરાતને બહુજન ગુજરાત સાથે મુખોમુખ મૂકી આપતો પ્રસન્નકર અનુભવ હતો. રજની કોઠારીના માર્ગદર્શક સહયોગમાં અચ્યુત યાજ્ઞિકે ‘સેતુ’ મારફતે ઉપાડેલા કામ પછી આ બીજું એક મોટું પ્રસ્થાન છે, જે આશા જગવે છે અને સરકારી ગુજરાતના ઉપેક્ષિત ઉમાશંકરને ન્યાય બલકે અર્ધ્ય આપી શકે. દલિત મિત્રો સાથે અહીં ચાલેલી અભ્યાસ આપલે તો ઘનશ્યામ શાહ, કાનજી પટેલ, સરૂપ ધ્રુવ, ઇંદિરા હિરવે, સરખાં અભ્યાસીઓની સક્રિય સંડોવણી પથ્ય છે, અને પાથેય પણ છે. ઉમાશંકર શતાબ્દીની ગેરસરકારી ઉજવણી વખતે ચંદુ મહેરિયા, મનીષી જાની, સ્વાતિ જોશીના સંપાદનમાં તૈયાર થયેલા અનુત્તમ ગ્રંથ ‘ઉમાશંકર જોશીની વિચારયાત્રા’ વાંચતા જે અપેક્ષાઓ જાગી હતી એના અનુસંધાનમાં આ કેન્દ્ર અવશ્ય એક આવકાર્ય પ્રસ્થાન છે.

સ્વાતંત્ર્યના મુદ્દે ઉમાશંકરે ભરકટોકટીએ રાજ્યસભામાં કરેલ ઊહાપોહ આ અરસામાં સ્વાભાવિક જ સવિશેષ યાદ આવે છે. પણ તે સાથે, કદાચ અધોરેખિતપણે સંભારવા જેવો વિગતમુદ્દો એ છે કે, રાજ્યસભામાં નિયુક્ત થયા પછીનું એમનું પ્રથમ પ્રવચન ‘હરિજનો અને ગિરિજનો’ની સમસ્યા પરનું હતું. રાજકીય કટોકટી (ઇમરજન્સી) તો બરોબર પણ આપણા હાડમાં પેંધેલી ગેરબરાબરી, એ જે કટોકટી (ક્રાઇસિસ) છે એનું શું.

જેની હમણાં જિકર કરી તે અધ્યયન કેન્દ્ર આ ચિંતામાં ઊભું થઈ રહ્યું છે, તે જ તેના પહેલકારોનો આપણા કવિને અંજલિ આપવાનો અધિકાર સૂચવે છે … આ ઉપક્રમનું અભિવાદન!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 23 જુલાઈ 2025

Loading

જીવતરમાં

પ્રીતમ લખલાણી|Poetry|24 July 2025

નેવેથી
ઘોઘમાર વરસતા ટહુકે
લથબથ ભીંજાતું
ગારમાટીનું મારું ખોરડું!
ઝરમર ઝરમર
હર ઘડીએ
ફળિયે
ડાળડાળથી
ઝીણાં ફૂલડાં વરસાવતાં
લીમડા તળે
મોજમાં દાણાં ચણતી
ચીં ચીં કરતી ચકલી મારા મનની મોલાત
ગમાણના ખીલે
વ્હાલથી વાછડીને ચૂમતી
બોઘડું છલકાવતી
કાબરી
મારી ડેલીનું રજવાડું!
ચારે કોર લીલા મોલ જોઈને
ઘૂઘરીના
રણકે હાલકડોલક થતું ગાડું
હરખાતું આવી ચઢે છે.
ઢળતી સાંજે
મારી ડેલીએ.
ઢોલિયો ઢાળીને બે ઘડી
નિરાંતે બેઠો હોઉં છું
‘ને ત્યાં જ કાને પડે છે
ચોરાની ઝાલરનો
રણકાર
હડી કાઢતો દોડી જાઉં છું.
ચોરે,
બે હાથ જોડી
ઠાકોરજી પાસે
રોજની જેમ આજે પણ માગું છું,
‘હે મારા વ્હાલા!
હજી મને
કેટલી જોવડાવીશ તું રાહ!
બસ મને જલ્દી અપાવી દે
અમેરિકા જવાન વિઝા!’
ઘરે આવું છું
અને દીવો પ્રગટાવતી પત્ની પૂછે છે?
વાળુપાણી કરવું છે કે હજી છે વાર!
મૂકો થાળી ગોરાંદે
પેટમાં ઉંદરડા દોડે છે અને ત્યાં જ
ભાખોડિયા ભરતું
ઘર
હડી કાઢતું કાખમાં લેવા
કરે છે તેના બે નાજુક ઊંચા હાથ અને
મનમાં
પડઘાય છે એક પ્રશ્ન?
શું ખૂટે છે હજી જીવતરમાં?
કે બઘું સંકેલીને જવું છે તારે પરદેશ!

65 Falcon drive, West Henrietta, NY 14586 (U.S.A.)
e.mail : preetam.lakhlani@gmail.com

Loading

‘ઉટાહ’ અને ‘ગુજરાત’ની વિધાનસભામાં શું તફાવત છે? 

રમેશ સવાણી|Diaspora - Features|23 July 2025

રમેશ સવાણી

Utah-ઉટાહ એ યુનાઇટેડ સ્ટેટ્સમાં પશ્ચિમમાં આવેલું રાજ્ય છે. જે એરિઝોના, કોલોરાડો અને ન્યૂ મેક્સિકો સાથે સરહદ વહેંચે છે. તે ઉત્તરપૂર્વમાં વ્યોમિંગ, ઉત્તરમાં ઇડાહો અને પશ્ચિમમાં નેવાડા સાથે પણ સરહદ ધરાવે છે. ઉટાહની વસ્તી માત્ર 35 લાખની છે, ક્ષેત્રફળની દૃષ્ટિએ 13મું રાજ્ય છે. ‘સોલ્ટ લેક સિટી’ ઉટાહ રાજ્યની રાજધાની છે. જેમ ગુજરાતની રાજધાની ગાંધીનગર છે.

ઉટાહમાં હજારો વર્ષોથી વિવિધ સ્વદેશી જૂથો વસે છે, જેમ કે પ્રાચીન Puebloans – પુએબ્લોઅન્સ, Navajo – નાવાજો અને Ute – ઉટે. 16મી સદીના મધ્યમાં અહીં સૌ પ્રથમ આવનારા સ્પેનિશ હતા. પ્રારંભિક યુરોપિયન વસાહતીઓ યુનાઇટેડ સ્ટેટ્સના હતા; આમાં એવા Mormons – મોર્મોન્સ હતા જેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં હાંસિયામાં ધકેલાઈ ગયા હતા અને સતાવણીના કારણે ભાગી રહ્યા હતા. 1848માં, મેક્સિકન-અમેરિકન યુદ્ધ પછી, આ પ્રદેશને US સાથે જોડવામાં આવ્યો. મોર્મોન સમુદાય અને સંઘીય સરકાર વચ્ચેના વિવાદોના કારણે ઉટાહ રાજ્ય તરીકે પાછળથી જોડાયું. 1896માં, બહુપત્નીત્વને ગેરકાયદેસર ઠેરવવા સંમત થયા પછી, ઉટાહને 45મા રાજ્ય તરીકે સ્વીકારવામાં આવ્યું હતું. ઉટાહના લોકો Utahns – ઉટાહન્સ તરીકે ઓળખાય છે. બધા ઉટાહન્સમાંથી અડધાથી વધુ લોકો મોર્મોન્સ છે, જેમાંથી મોટા ભાગના ચર્ચ ઓફ જીસસ ક્રાઇસ્ટ ઓફ લેટર-ડે સેન્ટ્સ(LDS ચર્ચ)ના સભ્યો છે, LDS ચર્ચ ઉટાહની સંસ્કૃતિ, રાજકારણ અને રોજિંદા જીવનને ખૂબ પ્રભાવિત કરે છે. જો કે, 1990ના દાયકાથી, ઉટાહ ધાર્મિક રીતે વૈવિધ્યસભર અને વધુ બિનસાંપ્રદાયિક બન્યું છે.

22 જુલાઈ 2025ના રોજ સોલ્ટ લેક સિટીમાં ફર્યા. પ્રથમ અમે ઉટાહની ‘વિધાનસભા’ જોઈ. વિધાનસભા ચાલુ ન હતી. કોઈપણ જાતની સુરક્ષાની ચકાસણી વિના અમે પ્રવેશી શક્યા. ધારાસભ્યો જ્યાં બેસે છે તે હોલ જોઈ શક્યા. આખું સંકુલ આરામથી જોયું. ફોટો-વીડિયોમાં ક્ષણોને કેદ કરી. આ સુંદર ઇમારતમાં ઉટાહ રાજ્ય વિધાનસભા હોલ / ચેમ્બર / કાર્યાલયો, ગવર્નર, લેફ્ટનન્ટ ગવર્નર, એટર્ની જનરલ, રાજ્ય ઓડિટર અને તેમના કર્મચારીઓની કચેરીઓ આવેલી છે. આ ઈમારતનો પાયો 26 ડિસેમ્બર 1912ના રોજ નંખાયો હતો અને 9 ઓક્ટોબર 1916ના રોજ તેનું ઉદ્દઘાટન થયું હતું. 109 વરસ જૂની ઈમારત હજુ ગઈ કાલે જ બની હોય તેમ લાગતું હતું ! જો કે 2004–2008 દરમિયાન Renovation થયું હતું. આ ઈમારત 404 ફૂટ લાંબી, 240 ફૂટ પહોળી અને 285 ફૂટ ઊંચી છે. એક ભોંયરાં સાથે પાંચ માળ છે. ઈમારતની બહાર 32 ફૂટ ઊંચા અને 3.5 ફૂટ વ્યાસવાળા 52 Corinthian columns કોરીન્થિયન સ્તંભો છે. જે ઈમારતના દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ બાજુઓને આકર્ષક બનાવે છે. ઈમારતને ઉટાહના ઇતિહાસ અને વારસાને દર્શાવતા ઘણા ચિત્રો / શિલ્પોથી શણગારેલી છે, જેમાં પ્રથમ પ્રાદેશિક ગવર્નર બ્રિઘમ યંગ અને ઉટાહના વતની અને ઇલેક્ટ્રોનિક ટેલિવિઝનના વિકાસકર્તા ફિલો ટી. ફાર્ન્સવર્થની પ્રતિમાઓનો સમાવેશ થાય છે. 1916માં, ઇલેક્ટ્રિક ટ્રાફિક લાઇટના શોધક Lester Wire – લેસ્ટર વાયર જે સોલ્ટ લેક સિટીના પોલીસ અધિકારી હતા, તેમને અહીં યાદ કરેલ છે.

પ્રથમ માળમાં વચ્ચે 11 ફૂટ ઊંચી ચાર કાંસ્ય પ્રતિમાઓ છે જે સામૂહિક રીતે ‘ધ ગ્રેટ ઉટાહ’ તરીકે ઓળખાય છે. જે વિજ્ઞાન અને ટેકનોલોજી, જમીન અને સમુદાય, ઇમિગ્રેશન અને વસાહત, તેમ જ કળા અને શિક્ષણનું પ્રતિનિધિત્વ કરે છે. આ ચારે ય શિલ્પો એટલે ઉટાહની સંસ્કૃતિ / મૂળભૂત મૂલ્યો અને આદર્શોના પ્રતીક છે. ઉટાહના શોધક અને વૈજ્ઞાનિક Philo T. Farnsworth – ફિલો ટી. ફાર્ન્સવર્થનું શિલ્પ છે, જેમણે પ્રથમ કેમેરા ટ્યુબ ઇમેજ ડિસેક્ટર અને ઓલ-ઇલેક્ટ્રિક ટેલિવિઝન વિકસાવ્યું હતું, 1915માં, ગુંબજની છત પરથી રોટુન્ડા ઝુમ્મર લટકાવવામાં આવ્યું હતું. આ ઝુમ્મરનું વજન 1,400 કિલોગ્રામ છે, તેને ટેકો આપતી સાંકળનું વજન 450 કિલોગ્રામ છે. ગવર્નરના કાર્યાલયમાં ‘ટોર્નેડો ડેસ્ક’ અને ‘બુકકેસ’ છે; જે 1999માં સોલ્ટ લેક સિટીમાં વાવાઝોડાએ તબાહી મચાવી ત્યારે કેપિટોલ ગ્રાઉન્ડ પર પડી ગયેલાં વૃક્ષોમાંથી બનાવવામાં આવેલ. જે ઉટાહની ભાવના અને નિશ્ચયનું પ્રતીક છે, તે યાદ અપાવે છે કે something good can come from a disaster – આપત્તિમાંથી કંઈક સારું થઈ શકે છે !

આ ઈમારતની ખાસિયત એ છે કે મોટાભાગનો ચોથો માળ નીચેના માળ માટે ખુલ્લો છે, જેનાથી મુલાકાતીઓ ત્રીજા કે બીજા માળે અનેક સ્થળોએ નીચે જોઈ શકે છે. ઈમારતની ડિઝાઇન પ્રાચીન ગ્રીક અને રોમન મૂળ પર આધારિત છે, જે સ્થાપત્યની રીતે અમેરિકન લોકશાહીનું પ્રતીક બની ગઈ છે. રોટુન્ડા કેન્દ્રમાંથી દેખાતા ત્રણેય ચેમ્બર અને સરકારની પારદર્શિતાને સૂચવતી સ્કાયલાઇટ્સ છે. ઇમારતમાં Laurel wreaths – લોરેલ માળા વિજય, જોમ અને સફળતાનું પ્રતીક છે. Lions – સિંહો ગૌરવ, શક્તિ, સત્તા અને રક્ષણનું પ્રતીક છે. Beehive – મધમાખી – ઉટાહનું રાજ્ય પ્રતીક છે, ઉદ્યોગ અને એકતાનું પ્રતીક છે. ઈમારત અંદર વિશાળ ભીંતચિત્રો અને શિલ્પો, ઈમારત બહાર મૂકેલા શિલ્પો ઉટાહના ઇતિહાસ અને લોકજીવનને પ્રસ્તુત કરે છે. ઉટાહના ભૂતકાળ અને વર્તમાનને જીવંત બનાવે છે. લિબર્ટી બેલની 55 પ્રતિકૃતિઓમાંથી એક અહીં છે. Cyclorama – સાયક્લોરામા (ગોળ ભાગ), 19મી સદીના ઉટાહ જીવનના દૃશ્યો દર્શાવે છે, જેમ કે ‘Gulls Save the Wheat Fields – ગુલ્સ સેવ ધ વ્હીટ ફિલ્ડ્સ’ અને ‘Driving the Golden Spike – ડ્રાઇવિંગ ધ ગોલ્ડન સ્પાઇક’. ચાર મોટા થાંભલાઓ પરના pendentives – પેન્ડેન્ટિવમાં આ પ્રદેશના પ્રારંભિક સંશોધનોને દર્શાવતા ભીંતચિત્રો છે. ઈમારતના આંગણામાં મોર્મોન બટાલિયન સ્મારક છે. ઉટાહના ઇતિહાસની મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓની પ્રતિમાઓ છે. ભીંતચિત્રોમાં ‘ડ્રીમ ઓફ બ્રિઘમ યંગ’ / ‘જીમ બ્રિજર’ અને ‘ડિસ્કવરી ઓફ ધ ગ્રેટ સોલ્ટ લેક’નો સમાવેશ થાય છે. દર વરસે 2 લાખ કરતાં વધુ લોકો આ ઈમારતની મુલાકાત લે છે. 

ગૂગલ પર ઉટાહ અને ગુજરાત વિધાનસભાની માહિતી છે જ, જે જોવાથી પણ ખ્યાલ આવશે કે ગુજરાતના 6 કરોડથી વધુ લોકો કરતાં ઉટાહના 35 લાખ લોકો સંસ્કૃતિ સમજવામાં અને તેને જાળવવામાં આગળ છે !

મનમાં સવાલ ઉદ્દભવે કે ‘ઉટાહ’ અને ‘ગુજરાત’ની વિધાનસભામાં શું તફાવત છે? [1] ઉટાહ વિધાનસભાની ઈમારતમાં સ્થાનિક લોકજીવનને / ઇતિહાસને મહત્ત્વ અપાયું છે. ગુજરાત વિધાનસભામાં આ બાબત ગૂમ છે. ગુજરાતનો જન્મ થયો ન હતો અને ગુજરાત મુંબઈ રાજ્યનો ભાગ હતું તે અંગેના તથા સૌરાષ્ટ્ર રાજ્યનું વિલિનિકરણ ગુજરાતમાં થયું તે અંગેના ઐતિહાસિક દસ્તાવેજો મૂકેલા નથી. ઐતિહાસિક મહાનુભાવો ગૂમ છે. [2] ગુજરાત વિધાનસભા ઈમારતમાં ગુજરાતના સમાજજીવનને પ્રભાવિત કરનાર મહાનુભાવોના શિલ્પો નથી. ગુજરાતના લોકજીવનને વ્યક્ત કરતાં ભીંતચિત્રો નથી. [3] વિધાનસભા કુદરતી પ્રકાશથી ઝળહળી ઊઠે તેવી વ્યવસ્થા નથી. અને પારદર્શકતા પ્રતીકને કોઈ સ્થાન નથી. [4] ગુજરાત વિધાનસભાની અંદર મુલાકાતીઓ વિના રોકટોક જઈ શકે તેવી વ્યવસ્થા નથી. [5] ગુજરાત વિધાનસભા ગુજરાતના લોકોનું પ્રતિનિધિત્વ કરતી હોય તેવું લાગતું નથી. કેમ કે તેમાં ગુજરાતની મહત્ત્વની ક્રાંતિઓના / આંદોલનોના શિલ્પો કે ચિત્રોથી અંકિત કરેલ નથી. વિજ્ઞાન અને ટેકનોલોજી / જમીન અને સમુદાય / ઇમિગ્રેશન અને વસાહત / તેમ જ કલા અને શિક્ષણનું પ્રતિનિધિત્વ જોવા મળતું નથી. ગુજરાતની સંસ્કૃતિ / તેના મૂળભૂત મૂલ્યો અને આદર્શોના પ્રતીક જોવા મળતા નથી.

23 જુલાઈ 2015 
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...201202203204...210220230...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved