Opinion Magazine
Number of visits: 9456359
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિનોદ કુમાર શુક્લાને જ્ઞાનપીઠ; સાથે ચાલવાનું જાણતો એક અદનો કવિ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|30 March 2025

રાજ ગોસ્વામી

દેશનો સૌથી સર્વોચ્ચ અને સૌથી જૂનું સાહિત્યિક સન્માન ‘જ્ઞાનપીઠ’ આ વર્ષે જેમને મળ્યું છે તે હિન્દીના કવિ-કથાકાર વિનોદ કુમાર શુક્લા જાણવા જેવા સર્જક છે. વિનોદ કુમાર શુક્લા આ પુરસ્કાર મેળવનારા હિન્દીના 12મા લેખક અને છત્તીસગઢના પ્રથમ વ્યક્તિ છે. તેમની મુખ્ય નવલકથાઓમાં ‘નૌકરી કી કમીઝ’, ‘દિવાર મેં એક ખીડકી રહેતી થી’ અને ‘ખિલેગા તો દેખેંગે’નો સમાવેશ થાય છે.

આ પુરસ્કાર વિનોદ કુમાર શુક્લાને તેમની નવલકથા ‘નૌકરી કી કમીઝ’ માટે આપવામાં આવ્યો છે. આ વાર્તા પરથી પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મણિ કૌલે 1999માં એ જ નામની ફિલ્મ બનાવી હતી. તેમની લોકપ્રિય વાર્તા ‘આદમી કી ઔરત’ પર અમિત દત્તાએ ફિલ્મ બનાવી હતી, જેને 66મા વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ (2009)માં સ્પેશિયલ ઇવેન્ટ એવોર્ડ મળ્યો હતો. 

તેમની નવલકથા ‘દિવાર મેં એક ખીડકી રહેતી થી’ને સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો અને તેને મોહન મહર્ષિ નામના નાટ્ય નિર્દેશક દ્વારા નાટકમાં રૂપાંતરિત કરવામાં આવી હતી.

શુક્લાએ સાહિત્યની તમામ પરંપરાઓને તોડીને સંપૂર્ણપણે એક અલગ જ વ્યાકરણની રચના કરી છે. 88 વર્ષના શુક્લાએ 65 વર્ષથી નિયમિત સાહિત્યિક અભ્યાસમાં સક્રિય રહીને જાતને અજોડ બનાવી છે. તેઓ દિવસમાં પાંચ-સાત કલાક અને રાત્રે બે કે ત્રણ કલાક વાંચે છે અને લખે છે. આંખો નબળી છે એટલે વાર્તાઓ અને કવિતાઓને તેમની પત્ની અને પુત્ર શાશ્વતને બોલીને લખાવે છે. તેમણે એકવાર કહ્યું હતું, ‘હું મારા લેખનથી મારી જિંદગીનો પીછો કરવા ઈચ્છું છું.’

વિનોદ કુમાર શુક્લા

તેમને બાળપણમાં જ સાહિત્યિક વાતાવરણ મળ્યું હતું. ‘માધુરી’ અને અન્ય સાહિત્યિક સામયિકો ઘરે આવતાં હતાં. તેમના પિતરાઈ ભાઈ સરસ કવિતા લખતા હતા. તેમણે વિનોદજીને એક નોટબૂક આપીને કહ્યું હતું કે અહીં-ત્યાં કાગળ પર ના લખતો, આના પર લખજે. ભાઈએ તેની પત્નીનાં ઘરેણાં વેચીને એક કવિતા સંગ્રહ પ્રકાશિત કર્યો. 

વિનોદજીની માતા વાંચનની શોખીન હતી. એકવાર તેમની પાસે બે રૂપિયાના સિક્કા જમા થઇ ગયા હતા. તેમણે માતાને પૂછ્યું હતું કે તેનું શું કરું. માતાએ કહ્યું હતું કે કોઈ સરસ પુસ્તક ખરીદજે. સરસ એટલે કેવું? માતાએ બંગાળી સર્જકો શરતચંદ્ર, બંકિમચંદ્ર, રવીન્દ્રનાથ ટાગોરનું નામ આપ્યું.

વિનોદજી એ પૈસામાંથી શરતચંદ્રની નવલકથા ‘વિજયા’ ખરીદી. તેમાં એક એવી યુવતીની વાર્તા હતી, જે તેના પિતાની જમીનદારીની માલકણ હોવા છતાં પિતાના મિત્ર અને તેના પુત્રના હાથે કથાપૂતળી બની જાય છે. વિનોદજીનું એ પહેલું પુસ્તક હતું. તેમની માતા તેમને કહેતી હતી કે જ્યારે પણ કશું લખે ત્યારે દુનિયાનું શ્રેષ્ઠ પુસ્તક વાંચીને લખજે. 

તેઓ કવિતા કરતા થયા ત્યારે, મોટા ભાગના નવોદિત કવિઓ સાથે બને છે તેમ, તેમની કવિતામાં બીજા પ્રસિદ્ધ કવિઓની નકલ આવી જતી. એકવાર તેમની કવિતામાં ભવાની પ્રસાદ મિશ્ર નામના જાણીતા હિન્દી કવિની એક પંક્તિ ‘મૈં ગીત બેચતા હૂં’ આવી ગઈ. તેમના પિતરાઈ ભાઈ તેનાથી બહુ નારાજ થયા હતા.

પંદરેક વર્ષના વિનોદજીની મુશ્કેલી એ હતી કે તેમના દિમાગમાં બીજાઓની કવિતાઓ જડાઈ ગઈ હતી અને તેઓ મૌલિક લખી શકતા નહોતા. તેમણે માતાને પૂછ્યું કે શું કરું. માતાએ તેના રસોડાની કુશળતાનો આધાર લઈને જે જવાબ આપ્યો તે લાજવાબ હતો. તેણે કહ્યું;

‘જો, તું તારી ચાળણી બનાવ. આપણે ચા બનાવીએ છીએ ત્યારે ચાને ગાળીએ છીએ, લોટની ચાળણી હોય છે, મેદાની ચાળણી હોય છે, તેવી રીતે જુદી જુદી વસ્તુઓની ચાળણી હોય છે. તું પણ તારા લેખનની એક ચાળણી બનાવ, જેથી તારું લખેલું જ તારી પાસે રહે, બીજાનું તારી પાસે ન આવે.’

ત્યારથી લઈને આજ સુધી, તેમનું ફોકસ રોજિંદુ જીવન રહ્યું છે. તેઓ તેમના સર્જનમાં કલ્પનાની દુનિયામાં ફસાયા વિના આસપાસના જીવન અને સામાન્ય માણસ જોડાયેલા રહે છે. તેઓ દાયકાઓથી એકધારી રીતે સામાન્ય જીવનની વિડંબનાઓ, મુંઝવણો, વ્યથાઓ અને નારાજગીઓને ઊંડી સહાનુભૂતિ, સમજ અને સાહસ સાથે અભિવ્યક્ત કરતા રહ્યા છે.

અશોક વાજપેઈ નામના જાણીતા લેખક શુક્લાજીના સાહિત્ય અંગે કહે છે, ‘વિનોદની જેમ એક ‘અનાયક’(નોન-હીરો)ને તેમનો આજીવન અધિવક્તા બનાવ્યો હોય તેવા બીજા કોઈ ભારતીય લેખકને શોધવો અઘરો છે.

એક કવિતામાં તેઓ વિનમ્રતાથી કહે છે, ‘જો વૃક્ષ મારા ઘરે મળવા ન આવી શકે, તો હું મળવા માટે વૃક્ષ પાસે જાઉં છું.’ માત્ર ઝાડ જ નહીં, માણસોને પણ એ જ સંવેદનશીલતા સાથે મળે છે અને કહે છે, ‘જેઓ મારા ઘરે ક્યારે ય નહીં આવે, હું તેમને મળવા જઈશ.’ આ વિનમ્રતા અને સંવેદનશીલતા તેમ જ ભારતીય વ્યક્તિના સરળ જીવનનું સત્ય તેમના તમામ કાર્યોમાં વહેતું જોવા મળે છે. તેમની એક અતિ પ્રસિદ્ધ રચના વાંચવામાં જેટલી સરળ છે, સમજવામાં એટલી જ ગહન છે. તેઓ લખે છે;

હતાશ થઈને એક માણસ બેસી ગયો હતો

એ માણસને હું ઓળખતો નહોતો 

હું હતાશાને ઓળખતો હતો 

એટલે હું એની પાસે ગયો 

મેં હાથ લંબાવ્યો 

મારો હાથ પકડીને એ ઊભો થયો 

મને એ ઓળખતો નહોતો 

મારા હાથ લંબાવવાને તે જાણતો હતો 

અમે બંને સાથે ચાલવા લાગ્યા 

બંને એકબીજાને ઓળખતા નહોતા 

અમે સાથે ચાલવાનું જાણતા હતા.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અરાજકતાનો અર્થ જાણો છો?

રમેશ ઓઝા|Opinion - Opinion|30 March 2025

રમેશ ઓઝા

અરાજકતાનો અર્થ જાણો છો? મારી વાચકમિત્રોને ભલામણ છે કે આ લેખ આગળ વાંચતા પહેલાં અ-રાજકતાનો અર્થ જાણી લો. આ દેશમાં અને આ ધરતી પર તમે પણ એક ભાગીદાર છો, તમારો પણ ભલે નાનકડો પણ કોઈક સ્વાર્થ છે અને સૌથી વધુ તો તમે તમારાં સંતાનોને ભાગીદારીનો વારસો આપી જવાના છો. માટે પાયાની વાત સમજવા માટે થોડી તસ્દી લેવી જોઈએ. બાકી કોઈના ભજન ગાવા માટે તો આખી જિંદગી પડી છે. દિવસમાં માત્ર પંદર મિનિટ આંખ ખોલવાનું સાહસ કરશો તો તમારું અને તમારા સંતાનોનું કલ્યાણ થશે.

અ-રાજકતા, અંગ્રેજીમાં anarchyનો અર્થ છે : રાજનો અભાવ, શાસનહિનતા, અર્થાત કાયદાના રાજનો અભાવ, અર્થાત ન્યાયનો અભાવ, અર્થાત મારે એની ભેંસ, અર્થાત બળિયાના બે ભાગ, અર્થાત કોઈ પૂછનાર ન હોય, વગેરે. જ્યાં કાયદાપણું ન હોય, પણ માથાભારેપણું હોય. આનાં અનુભવજન્ય લક્ષણો જાણવા હોય તો ૧૯મી સદીમાં રિયાસતોની પ્રજાએ લખેલું સાહિત્ય વાંચવું જોઈએ. મહાત્મા ફૂલે, કવિ દલપતરામ, ભારતેન્દુ હરિશ્ચંદ્ર વગેરેને વાંચવા જોઈએ. તેમણે અરાજકતાનો અનુભવ કર્યો હતો. આ ત્રણમાં એક શુદ્ર હતા, એક બ્રાહ્મણ હતા અને ત્રીજા કાયસ્થ જમીનદાર. અરાજકતાનો તાપ ત્રણેયે અનુભવ્યો હતો. તો આનો અર્થ એ થયો કે અરાજકતાનો અગ્નિ કોઈને ય છોડતો નથી. એની જ્વાળા નીચેથી ઉપર પહોંચે છે અને માટે એ ત્રણેયે અંગ્રેજી રાજનું સ્વાગત કર્યું હતું. એ સ્વાગત ધોળી ચામડીનું નહોતું, કાયદાના રાજનું હતું. હરખ હવે તું હિન્દુસ્તાન. દલપતરામે અંગ્રેજી શાસનનું હરખ પ્રગટ કરીને સ્વાગત કર્યું હતું. કલ્પના કરો કે અરાજકતા કેવી હશે!

સમાજમાં ક્યારે ય સંપૂર્ણ સમાનતા હોતી નથી. એટલે જે ઉપર હોય, વર્ચસ ધરાવતા હોય એ પોતાનું વર્ચસ જાળવી રાખવા માટે ઉધામા કરતા રહે છે. એ સ્થાપિત વ્યવસ્થા ન બદલાય, બીજો કોઈ આગળ ન આવે, આપણને કોઈ નુકસાન ન પહોંચાડે, આપણે કોઈને જવાબ આપવો ન પડે એ માટે આકાશપાતાળ એક કરતા હોય છે. આગળ જતાં જો કોઈ ટોકનાર ન હોય તો તેઓ શાસનવ્યવસ્થાને અને શાસકોને પોતાને અનુકૂળ આવે એ રીતે ખરીદી લેતા હોય છે. એમાંથી ભાગીદારીની ધરી રચાય. એ ધરી પ્રજાને નશામાં રાખવા માટે ધર્મ, દેશપ્રેમ, રાષ્ટ્રવાદ જેવા અસ્મિતાઓનો ઉપયોગ કરે. પણ આવું ત્યારે બને જ્યારે હમણાં કહ્યું એમ કોઈ ટોકનાર કે વારનાર ન હોય. દરેક સમાજમાં અને દરેક યુગમાં આવું બનતું હોય છે. સ્વાર્થ માનવપ્રવૃત્તિના કેન્દ્રમાં હોય છે અને જેનો સ્વાર્થ મોટો હોય એ પોતાનો સ્વાર્થ જળવાઈ રહે એ માટે દરેક પ્રકારના ખેલ ખેલતા રહે છે. રામરાજ્ય ક્યારે ય સાકાર ન થઈ શકે એવો પણ એ સાથે જ ક્યારે ય વિસરી ન શકાય એવો આદર્શ છે.

વ્યવસ્થામાં ક્ષતિ તો હોય અને હોવાની જ. સાચી અરાજકતા ત્યારે પેદા થાય જ્યારે કોઈ પ્રશ્ન પૂછનાર ન હોય. કોઈ ઊહાપોહ કરનાર ન હોય અને જો કોઈ હોય અને એવો પ્રયાસ કરે તો તેવા અવાજોને બંધ કરી દેવામાં આવતા હોય. બીજી બાજુ સાચી વાત લોકોના કાને ન પડે એ માટે ધર્મ જેવી અસ્મિતાઓને અને ઇતિહાસને લઈને ઘોંઘાટ પેદા કરવામાં આવે. બૂમબરાડા અને ચીસો. કાયદાનો અમલ કરતી સંસ્થાઓ પર કબજો કરવામાં આવે. અને એનાથી પણ આગળ? શિરમોરસમાન? ન્યાયતંત્રને ખતમ કરી નાખવામાં આવે અને ન્યાયધીશો ડરીને કે પછી વેચાઈને તેમાં સાથ આપે. આવું જ્યારે બને, અર્થાત અરાજકતાનાં દરેક લક્ષણ કોળાઇને ફૂલેફાલે ત્યારે એવા દેશને આજની રાજ્યશાસ્ત્રની પરિભાષામાં નિષ્ફળ રાજ (ફેઈલ્ડ સ્ટેટ) તરીકે ઓળખાવવામાં આવે છે. આપણી પડોશમાં અને જગત આખામાં આવા સો કરતાં વધુ દેશ છે. આ બધા દેશોની નિષ્ફળતાની યાત્રા પર જો એક નજર કરશો તો તેમાં એકસરખી સમાનતા નજર પડશે, પછી એ પાકિસ્તાન હોય કે ઉત્તર કોરિયા. કોઈ ફરક નહીં, એક જ પેટર્ન.

ભારત અત્યાર સુધી ફેઈલ્ડ સ્ટેટથી બચતું આવ્યું છે. એનાં ઘણાં લક્ષણો વરસોથી નજરે પડી રહ્યાં છે, પણ ચિંતા કરનારાઓ, ઊહાપોહ કરનારાઓ, રસ્તા પર ઉતરનારાઓ મોટી સંખ્યામાં હતા અને તેમના અવાજોને વાચા મળતી હતી. ટોકનારા અને વારનારા હતા. તેમને જેલમાં પૂરવામાં નહોતા આવતા. ઇ.ડી. અને સી.બી.આઈ.નો ઉપયોગ કરીને ત્રાસ આપવામાં નહોતો આવતો. મીડિયા ભ્રષ્ટ હતા એની ના નહીં, પણ સ્થાપિત હિતોનો વિરોધ કરનારાઓના અવાજોને દબાવી દેવાનું અને સ્થાપિત હિતોને અનુકૂળ આવે એવો ઘોંઘાટ પેદા કરવાનું કામ નહોતા કરતા. લોકતાંત્રિક સંસ્થાઓ નિર્બળ હતી, પણ શાસકો અને સ્થાપિત હિતોના ખિસ્સામાં નહોતી. સૌથી વધુ તો ન્યાયતંત્ર હજુ સાબૂત હતું. ઘણા એવા જજો હતા જે બંધારણને, ન્યાયને અને પોતાના અંતરાત્માને વફાદાર હતા. ટૂંકમાં આવી કેટલીક ચીજો હતી જે ભારતને ફેઈલ્ડ સ્ટેટ બનવાથી રોકતી હતી. જ્યારે પારકી છઠ્ઠીના જાગતલો, પ્રમાણિક અધિકારીઓ અને પ્રામાણિક જજો ખતમ થઈ જાય કે ખતમ કરી દેવામાં આવે અથવા તેમને સ્વતંત્રપણે બોલતા કે કામ કરતા રોકવામાં આવે અને પ્રજાનું ધ્યાન અન્યત્ર ભટકાવવા રાષ્ટ્રીય સ્તરે નિરર્થક વિતંડા થાય ત્યારે એ દેશને નિષ્ફળ બનતા કોઈ રોકી ન શકે.

ભક્તોને પાકિસ્તાન બહુ પસંદ છે. પાકિસ્તાનની નિષ્ફળતા જોઇને બહુ રાજી થાય છે. પાકિસ્તાન આ જ માર્ગે નિષ્ફળ ગયું કે તેણે બીજો કોઈ માર્ગ અપનાવ્યો હતો? ભક્તોમાં કોઈ વાંચવા વિચારવાની આવડત ધરાવતું હોય તો મારું માર્ગદર્શન કરે. પાકીસ્તાન આ માર્ગે નહીં પણ કોઈ  બીજો માર્ગ અપનાવ્યો હતો એટલે નિષ્ફળ ગયું એનાં પ્રમાણ આપે. ખાતરી કરી લો. ડીટ્ટો આ જ માર્ગ અપનાવ્યો હતો જે અત્યારે આપણે અનુસરી રહ્યા છીએ. કાનામાત્રનો પણ ફરક નથી.

તો કડવી હકીકત એ છે કે ભારત બહુ ઝડપથી નિષ્ફળ રાજ્ય બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. દિલ્હીની વડી અદાલતના જજના ઘરમાંથી કરોડો રૂપિયા (પંદર દિવસથી કરોડો રૂપિયા કહેવામાં આવે છે, પણ રકમ કોઈ કહેતું નથી એટલે કલ્પના કરો કે એ કરોડો એટલે કેટલા કરોડ હશે!) રોકડા આગ બૂઝાવવા ગયેલા બંબાવાળાઓને મળે ત્યારે દેશને આઘાત લાગવો જોઈતો હતો. ન્યાય અને કાયદાના રાજ્યનું રક્ષણ કરનારાઓની આ અવદશા જોઇને આંચકો લાગવો જોઈતો હતો. પણ ચર્ચા શિવાજી અને ઔરંગઝેબ વિષે થઈ રહી છે. કુણાલ કામરા વિષે થઈ રહી છે. આ નિષ્ફળ નીવડી રહેલ દેશનાં લક્ષણો છે. ફરી એકવાર નિષ્ફળ દેશોની નિષ્ફળતાની યાત્રા પર એક નજર કરી જુઓ. આ જ બધું જોવા મળશે.

થોડીક વાસ્તવિકતા તપાસીએ. એક સમયે ભારતને એશિયન ટાઈગર, ઈમર્જીંગ ઈકોનોમી, ચીનનું હરીફ બનવાની ક્ષમતા ધરાવનારા દેશ, ઝડપથી વિકસી રહેલા લોકતાંત્રિક (અહીં લોકતાંત્રિક શબ્દ મહત્ત્વનો છે) દેશ તરીકે બિરદાવવામાં આવતું હતું. આવું છેલ્લા આઠ દસ વરસમાં કોઈ પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રીએ ભારત વિષે કહ્યું હોય એવું તમારા જોવામાં આવ્યું છે? વિશ્વપ્રસિદ્ધ ગુજરાતી અર્થશાસ્ત્રી જગદીશ ભગવતી પણ નથી બોલતા જે એક સમયે નરેન્દ્ર મોદીના સમર્થક હતા. આપણે ભલે આપણી જાતને વિશ્વગુરુ તરીકે ઓળખાવીએ, જગત અપેક્ષા રાખતું બંધ થઈ ગયું છે. ભારત કઈ દિશામાં જઈ રહ્યું છે એ જગતને સમજાઈ રહ્યું છે એટલે તો વિદેશી રોકાણ આવતું બંધ થઈ ગયું છે અને જે આવ્યું હતું એ પાછું ખેંચાઈ રહ્યું છે. અને આપણા વાણિજ્ય પ્રધાન કહે છે કે વિદેશી રોકાણ પાછું જતું જોઇને હું સુખનો અનુભવ કરી રહ્યો છું. અનેક મર્યાદાઓ પછી પણ ભારતની તાકાત લોકતંત્રની હતી. જો કાયદાનું રાજ ન હોય, મારે એની ભેંસનો ન્યાય હોય અને ન્યાય મળવાનો ન હોય, કોઈ સાંભળનાર ન હોય તો કોણ અબજો રૂપિયા ભારતમાં રોકવા આગળ આવવાનું છે? તો પછી ભારત કરતાં ચીન શું ખોટું? ભારતમાંથી વિદેશી મૂડી ચીન જઈ રહી છે.

તો ભલા ભાઈ, આ દેશમાં તું પણ એક ભાગીદાર છે. તારો નહીં તો તારા સંતાનનાં ભવિષ્યનો તો વિચાર કર!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 માર્ચ 2025

Loading

ચલ મન મુંબઈ નગરી—282

દીપક મહેતા|Opinion - Opinion|29 March 2025

પાંસઠ હજાર લોકોએ બ્રિટિશ સરકારને લેખિત અરજી શા માટે કરી?            

પ્રજા તણો જોસ્સો બહુ જામ્યો, કોણ પરમ તે પાપી,

જેણે આ બે બાળાઓની જિંદગી નાખી કાપી. 

હા, મુંબઈના લોકોનો જોસ્સો બહુ જામ્યો હતો. એટલે સરકારી જવાબથી તેમને સંતોષ થયો નહિ. એટલે મુંબઈના ગવર્નર લોર્ડ હેરિસને અરજી મોકલવાનું નક્કી થયું. તેના પર માત્ર પારસીઓ જ નહિ, હિંદુ, મુસ્લિમ, યહૂદી, યુરોપિયન નાગરિકોએ પણ સહીઓ કરી. કુલ ૪૫,૦૦૦ સહી એકઠી થઈ! ૧૮૯૧ના જૂનની ૨૭મી તારીખે સરકારને મોકલાયેલી એ અરજીમાં આ ખટલા અંગે નવેસરથી વિચાર કરવા માટે એક કમિશનની નિમણૂક કરવાની માગણી રજૂ કરવામાં આવી હતી. ચોથી જુલાઈએ સરકારે તેનો જવાબ આપતો ઠરાવ બહાર પાડ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે રાજાબાઈ ટાવર કેસમાં (નોંધ્યું? સરકારે ‘ખૂન’ શબ્દ કાઢી નાખ્યો) મુંબઈના પ્રજાજનોના ઘણા મોટા વર્ગની લાગણીઓ સરકાર સમજી શકે છે અને તેની કદર કરે છે. આ બનાવમાં સંડોવાયેલી બે છોકરીઓના કુટુંબીજનો પ્રત્યે સરકાર સહાનુભૂતિ ધરાવે છે. અને એટલે આ અરજીમાં કરેલી રજૂઆત વિષે સરકારે ગંભીરતાપૂર્વક વિચાર કર્યો છે. પણ આ બાબત અંગે એક કમિશનની નિમણૂક કરવાની માગણી સ્વીકારવાનું સરકારને યોગ્ય લાગતું નથી. કારણ ભવિષ્યમાં આ ખટલો બોમ્બે હાઈ કોર્ટમાં નહિ જ જાય એવી ખાતરી નથી. અને જો તેમ થાય તો એ વખતે કમિશનની કામગીરી બોમ્બે હાઈકોર્ટના કામમાં અડચણરૂપ બને એવો પૂરો સંભવ છે. વળી જો હાઈ કોર્ટ અને કમિશન જુદા જુદા નિષ્કર્ષ પર આવે તો હાઈ કોર્ટના નિર્ણયની અવમાનના કરવાનો ગુનો કમિશન દ્વારા થયો ગણાય. પોલીસના માણસોએ, અને ખાસ કરીને સુપરીન્ટેન્ડન્ટ મેકડેરમોટે તપાસ દરમ્યાન પોતાનું વલણ બદલ્યું હતું એમ નિવેદનમાં કહેવાયું છે. પણ આવા કિસ્સાઓમાં સાધારણ રીતે પોલીસ શરૂઆતમાં એક શક્યતા સ્વીકારીને ચાલે છે, અને પુરાવાઓ ભેગા કરે છે. એ કર્યા પછી જો અગાઉની ધારણા બદલવાની જરૂર જણાય તો તેમ કરે છે. જ્યાં સુધી સજ્જડ પુરાવાને આધારે અનુમાન યોગ્ય ન ઠરે ત્યાં સુધી તે નિર્ણય કે નિષ્કર્ષ બની શકે નહિ. અને તો પોલીસે પોતાનો અભિપ્રાય બદલવાનું જરૂરી બને છે. આવું ઘણા કિસ્સાઓમાં બનતું હોય છે. આ ખટલો તેમાં અપવાદરૂપ નથી. એટલે હાલને તબક્કે કમિશનની નિમણૂક કરવાનું સરકારને જરૂરી કે યોગ્ય  લાગતું નથી.        

પણ મુંબઈના લોકોને મુંબઈ સરકારના આ જવાબથી સંતોષ ન થયો. એટલે આ મામલા અંગે એક અરજી ગ્રેટ બ્રિટન મોકલવાનું નક્કી થયું. આ અરજી પર કેટલા લોકોએ સહી કરી હશે?

હિંદુ : પુરુષ ૧૮,૦૨૭, સ્ત્રી ૩; પારસી: પુરુષ ૧૬,૯૬૫, સ્ત્રી ૪,૪૦૬; મુસ્લિમ: પુરુષ ૫,૦૨૯, સ્ત્રી ૧૮; ખ્રિસ્તી: પુરુષ ૧,૬૬૬, સ્ત્રી ૨૦; યહૂદી: પુરુષ ૩૨. કુલ ૪૬,૧૬૬. ઉપરાંત એ અરજી પર મુંબઈ બહાર વસનારા ૧૯,૬૬૮ લોકોએ સહી કરી હતી. એટલે કે કુલ આંકડો થયો ૬૫,૮૩૪!  હિન્દુસ્તાનના વહીવટ અંગે જેનો નિર્ણય છેવટનો ગણાય તે હિન્દુસ્તાનને લગતી બાબતોના પ્રધાનને આ અરજી મુંબઈ સરકાર મારફત પહોંચાડાઈ. તેનો જવાબ એ પ્રધાને મુંબઈ સરકારને મોકલ્યો જેને આધારે ૧૮૯૩ના જાન્યુઆરીની ત્રીજી તારીખે મુંબઈ સરકારે અરજદારોને જવાબ મોકલ્યો. એમાં જણાવ્યું હતું:

મુંબઈ સરકાર મારફત અમને મુંબઈ ઈલાકાના મોટી સંખ્યાના નાગરિકોની અરજી મળી છે. તે અંગે અમે પૂરતી સહાનુભૂતિપૂર્વક વિચાર કર્યો છે. બંને મરનાર છોકરીઓના કુટુંબને અને મુંબઈ ઇલાકાના લોકોને આ અંગે અમે દિલસોજી પાઠવીએ છીએ. અરજદારોએ જણાવ્યું છે કે આ કેસમાં મુંબઈની પોલીસે જે રીતે કામ ચલાવ્યું છે તેથી તેમને સંતોષ નથી. અને એટલે આ આખા મામલાની ફેરતપાસ કરવા માટે નવેસરથી એક કમિશન નીમવામાં આવે. અરજદારોની અરજી સાથે જ મુંબઈ સરકારે પોતાનો ખુલાસો પણ અમને મોકલ્યો છે. અરજદારોની અરજી અને મુંબઈ સરકારનો ખુલાસો, બંને, અમે ધ્યાને લીધા છે. અને તે અંગે અત્રેની કાઉન્સિલમાં જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. મરનાર બંને છોકરીઓ, તેમનાં કુટુંબીજનો અને બોમ્બે પ્રેસિડેન્સીના મોટી સંખ્યાના લોકોની સાથે કાઉન્સિલે પણ પૂરેપૂરી હમદર્દી બતાવી હતી. પણ જ્યાં સુધી અરજદારોની માગણીને લાગેવળગે છે ત્યાં સુધી આ આખા મામલાની ફેરતપાસ કરવા માટે કમિશનની નિમણૂક કરવાનું અમને વાજબી કે જરૂરી લાગતું નથી. મુંબઈ સરકારે પણ અરજી સાથે મોકલેલા પત્રમાં આ પ્રમાણેનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. અને કાઉન્સિલના સભ્યો તથા હું પોતે એ અભિપ્રાય સાથે મળતા થઈએ છીએ અને આ મામલાની ફેરતપાસ કરવા માટે કમિશન નીમવાનો નિર્ણય લઇ શકતા નથી. અમારો આ નિર્ણય અરજદારોને જણાવવા માટે અમે મુંબઈ સરકારને આદેશ આપીએ છીએ. 

અરદેશર ગોદરેજ

આ કેસ ચાલતો હતો તે દરમ્યાન બચુબાઈના પતિ અરદેશર ગોદરેજે સતત મૌન ધારણ કરી રાખ્યું હતું. પણ પછી ૧૮૯૧ના ઓગસ્ટની ૨૮મી તારીખે ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં પ્રગટ થયેલા એક પત્રમાં તેમણે જણાવ્યું કે બચુબાઈએ આપઘાતનો વિચાર પણ કરવો પડે એવા કોઈ જ સંજોગો નહોતા. તેમનું લગ્નજીવન પૂરેપૂરું સુખી હતું. આ મામલાની જે રીતે તપાસ કરવામાં આવી અને કેસ ચલાવવામાં આવ્યો તે અંગે પણ તેમણે અસંતોષ વ્યક્ત કર્યો. એ વખતે મુંબઈનાં બે અગ્રણી ગુજરાતી અખબાર એકમેકના કટ્ટર વિરોધી, બલકે દુ:શ્મન. એકનું વલણ ગોદરેજ તરફી હતું. એટલે બીજા છાપાએ તેનાથી ઊલટું વલણ અપનાવ્યું. તેણે જણાવ્યું કે મરનાર બંને છોકરીઓ અક્ષતયોનિ હતી એમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. પણ બંને હતી તો પરણેલી. એટલે લગ્નજીવન સંતોષકારક નહોતું અને પોતાને સંતાન નહોતું એટલે બંને છોકરીઓએ આપઘાત કર્યો. કેરાવાલા નામના કોઈ શખ્સનો હવાલો આપીને એમ પણ જણાવાયું કે બીજાં કેટલાંક કારણોસર પણ બંને પતિપત્ની વચ્ચે ખટરાગ હતો. અરદેશરે પોતાના પત્રમાં કહ્યું કે આ કેરાવાલાને અમારા કુટુંબમાંથી કોઈ ઓળખતું પણ નથી. અને તેણે આવી વાહિયાત વાતો શા માટે વહેતી કરી છે તે અમને સમજાતું નથી. આ પત્રમાં અરદેશરે  એમ પણ જણાવ્યું કે આ આખા મામલાની પોલીસે જે રીતે તપાસ કરી અને ખટલો ચલાવ્યો તે રીત અમને સંતોષકારક લાગી નથી. પણ તે અંગે વધુ ટીકાટિપ્પણી કરવાનું મને યોગ્ય લાગતું નથી. 

મુંબઈ પોલીસ, અદાલત, મુંબઈ સરકાર, અને ગ્રેટ બ્રિટનમાં બેઠેલા સર્વોચ્ચ પ્રધાન, બધાએ માની લીધું કે આ મામલો ખૂનનો નહોતો. તો આ મામલો હતો શેનો? એ કોઈએ તો જવાબ આપ્યો નહિ. પણ આપણે જરા વિચારીએ. પહેલી શક્યતા, અકસ્માત. પણ ટાવરના જે માળ પરથી બંને છોકરીઓ નીચે પટકાઈ એ માળના કઠેરા તો સાબૂત હતા. તો છોકરીઓ નીચે પટકાઈ શી રીતે? છતાં માની લઈએ કે આ બનાવ અકસ્માતનો હતો. તો બંને છોકરીઓ એક સાથે નીચે પટકાય. એક પછી એક નહિ. અને જેટલા સાક્ષીઓએ જુબાની આપી તે બધાએ કહ્યું કે પહેલાં બચુબાઈ અને પછી પીરોજબાઈ પટકાઈ હતી. જો આ કિસ્સો અકસ્માતનો હોય તો આમ બનવું મુશ્કેલ. બીજી શક્યતા: આપઘાત. પણ પહેલું તો એ કે બંને છોકરીઓ સુખી ઘરની હતી. તેમનાં લગ્નજીવનમાં પણ કશો ખટરાગ નહોતો. કોઈ એવી આફતમાં પણ ફસાઈ નહોતી કે જેમાંથી બહાર આવવાનો એકમાત્ર રસ્તો આપઘાત હોય. છતાં, ધારી લઈએ કે આ આપઘાતનો કિસ્સો હતો. પણ જો બંનેએ સાથે મળીને આપઘાતનો નિર્ણય લીધો હોય તો બંને ટાવર પરથી એક સાથે કૂદી પડે, કદાચ એકબીજાનો હાથ પકડીને. પણ અહીં તો બંને છોકરીઓ એક પછી એક પટકાઈ છે. અને આ બનાવ બન્યો ત્યારે બે કે ત્રણ પુરુષો ટાવરના એ જ માળ પર હાજર હતા. તો તેમણે છોકરીઓને આપઘાત કરતાં વારી નહિ હોય?

કદાચ આમ બન્યું હોય: બંને છોકરીઓ ટાવર પર પહોંચી તે પછી તરત માણેકજી અસલાજી અને તેનો સાથીદાર પણ ત્યાં પહોચ્યા હોય. છોકરીઓને એકલી જોઈને બંને પુરુષોએ પહેલાં ઠઠ્ઠા મશ્કરી કરી હોય. પછી અડપલાં કર્યા હોય. બંને છોકરીઓએ તેમનો સામનો કરવાનો પ્રયત્ન કરવાથી તેમના શરીરના જુદા જુદા ભાગો પર ઈજા થઇ હોય. (પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આવી ઈજાઓનો ઉલ્લેખ છે.) બંને અથવા એક પુરુષે પહેલાં બચુબાઈ પર બળાત્કારનો પ્રયત્ન કર્યો હોય. એ પ્રયત્નને નિષ્ફળ બનાવવા બચુબાઈએ ટાવર પરથી નીચે ઝંપલાવ્યું હોય. એટલે ટેકનિકલી એને ખૂન ગણાવી ન શકાય. આ બધું બન્યું ત્યારે પીરોજબાઈ હાજર હતી. જે કાંઈ અણધાર્યું બન્યું તેના આઘાતની કળ વળે તે પહેલાં બંને પુરુષોએ ભેગા મળીને તેને ટાવર પરથી નીચે ફેંકી હોય. પણ કેમ? કારણ ટાવર પર જે કાંઈ બન્યું તેની એકમાત્ર ચશ્મદીદ ગવાહ હતી પીરોજબાઈ. એટલે બંને હુમલાખોરોએ બળજબરીથી તેને ટાવર પરથી નીચે ફેંકી હોય. 

અલબત્ત, આ માત્ર અનુમાનો છે. સાચી હકીકત તો હવે ક્યારે ય બહાર આવશે નહિ. એટલે પેલા ‘દિલજાન’ કવિના શબ્દો સાથે આ ગમખ્વાર ઘટનાની વાત પૂરી કરીએ :

ધન્ય વનીતા! વફાદાર રહી નામ અમર બસ કીધું,

જગથી ગઈ, પણ જિંદગીમાં તમ નામ મહત્તમ કીધું. 

અરદેશર અને પીરોજશાહ ગોદરેજનાં માનમાં બહાર પડેલી ટપાલ ટિકિટ

ફૂટ નોટ : બચુબાઈના પતિ અરદેશર ગોદરેજ તે આજના ગોદરેજ ઉદ્યોગ સમૂહના સ્થાપક. બચુબાઈ સાથેનું લગ્નજીવન માંડ એકાદ વરસનું. પણ પછી અરદેશરે ક્યારે ય બીજાં લગ્ન કર્યાં નહિ. સંતાન નહિ, એટલે ગોદરેજ કંપનીઓનો ભાર પોતાની હયાતીમાં જ ભાઈ પીરોજશાહ ગોદરેજને સોંપી દીધો. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 29 માર્ચ 2025

Loading

...102030...201202203204...210220230...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved