Opinion Magazine
Number of visits: 9572880
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એ સ્વરાજની કલ્પના બ્રિટિશ સામ્રાજ્ય અંતર્ગત સ્વરાજની હતી

રમેશ ઓઝા|Opinion - Opinion|24 January 2021

૧૮૫૭ના વિદ્રોહને પહેલા સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાવવામાં આવે છે, એ અસત્ય કથન છે. એ સમયે સ્વતંત્રતાની માગણી કોઈએ કરી નહોતી અને એવી કોઈ કલ્પના પણ નહોતી. જો એમ હોત તો બળવાખોર ભારતીય સિપાઈઓ દિલ્હી જવાની જગ્યાએ કલકત્તા ગયા હોત, જ્યાં કંપની સરકારની રાજધાની હતી. સિપાઈઓને તો એ વાતની પણ જાણ નહોતી કે જેને તેઓ શેહેનશાહ એ હિન્દ તરીકે માનતા હતા અને જેની મદદ લેવા દિલ્હી ગયા હતા એ છેલ્લો મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર કંપની સરકારના પેન્શન ઉપર જીવતો હતો અને બિચારો કંપની બહાદુરને અરજ કરતો હતો કે ખર્ચા નીકળતા નથી માટે પેન્શનની રકમ વધારી આપવામાં આવે. રાજા રામમોહન રોય બહાદુર શાહ ઝફરની અરજી લઈને લંડન ગયા હતા. સિપાઈઓની લડત તેમના પોતાના પ્રશ્ને હતી અને તેને ભારતની આઝાદી સાથે કોઈ નિસ્બત નહોતી. એ લડત પણ લશ્કરી છાવણીઓ પૂરતી ઉત્તર ભારતમાં સીમિત હતી.

દરેક પ્રજા પોતાને માફક આવે એ રીતે ઇતિહાસ લખતી હોય છે અને એ રીતે આ ખાસ રીતે લખવામાં આવેલો ઇતિહાસ (કન્સ્ટ્રક્ટેડ હિસ્ટરી) છે. હકીકત તો એ છે કે આખી ૧૯મી સદીમાં કોઈએ ભારતની આઝાદીની માગણી કરી નહોતી. એવી આઝાદી જેવી આજે આપણે ભોગવીએ છીએ અને કલ્પના કરીએ છીએ. કૉન્ગ્રેસે નહોતી કરી, કૉન્ગ્રેસના કોઈ નેતાએ નહોતી કરી, મુસલમાનો, શીખો કે કોઈ બીજાએ નહોતી કરી. કૉન્ગ્રેસમાંના જહાલ નેતાઓએ નહોતી કરી અને હકીકત તો એ છે કે કોઈ ક્રાંતિકારીએ પણ નહોતી કરી. લોકમાન્ય તિલકે જ્યારે કહ્યું કે ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે’, ત્યારે સ્વરાજનો અર્થ આપણે જે આઝાદી ભોગવીએ છીએ અને સમજીએ છીએ એવો નહોતો થતો.

૧૮૫૭ના વિદ્રોહને પરિણામે ભારત કંપની સરકારના તાબામાંથી સીધું અંગ્રેજ સરકારના તાબામાં ગયું અને એ પછી ભારતમાં જાહેરજીવનનો પ્રારંભ થયો ત્યારથી લઈને ૧૯૨૯માં કૉન્ગ્રેસે પૂર્ણ સ્વરાજનો ઠરાવ કર્યો, ત્યાં સુધી આપણે જે આઝાદી ભોગવીએ છીએ એવી આઝાદીની માગણી નહોતી કરવામાં આવી. જે માગણી કરવામાં આવતી હતી એ ડોમિનિય સ્ટેટસની માગણી કરવામાં આવતી હતી. બ્રિટિશ સામ્રાજ્ય અંતર્ગત સ્વરાજ. એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે ૧૯૨૯માં કૉન્ગ્રેસે પૂર્ણ સ્વરાજની માગણીનો ઠરાવ કર્યો હોવા છતાં બીજી ગોળમેજ પરિષદમાં કૉન્ગ્રેસના પ્રતિનિધિ ગાંધીજીએ આઝાદીની માગણી નહોતી કરી. હા, ગાંધીજી બ્રિટિશ સરકારને વખતોવખત યાદ અપાવતા હતા કે તેમનું લક્ષ પૂર્ણ સ્વરાજ છે. બીજી ગોળમેજ પરિષદમાં આખી ચર્ચા એ વાતની આસપાસ ચાલી હતી કે બ્રિટિશ સરકાર ભારતની પ્રજાને કેટલા અધિકારો આપવાની છે, કેટલી સત્તા આપવાની છે અને ભારતની પ્રજા આપસમાં એને કઈ રીતે એ વહેંચવાની અને ભોગવવાની છે. આખી ચર્ચા કેટલો ભાગ મળવાનો છે અને ભોગવટાની વહેંચણીની આસપાસ ચાલી હતી. ગાંધીજી સહિત કોઈ કહેતા કોઈએ તેમાં આઝાદીની માગણી નહોતી કરી.

શા માટે? તેઓ ડરતા હતા? તેઓ ઓછા દેશપ્રેમી હતા? બુદ્ધુ હતા? ઓછા રાષ્ટ્રવાદી હતા? શા માટે ભારતના લગભગ તમામ નેતાઓ ડોમિનિયન સ્ટેટસની માગણી કરતા હતા અને ચોખ્ખી આઝાદીની માગણી નહોતા કરતા?

આનું કારણ હતું ભારતની જટિલ વાસ્તવિકતા છે. આવડો મોટો દેશ અને પચરંગી પ્રજા. આટલી વિવિધતા જગતનો કયો દેશ ધરાવે છે! વિવિધ પ્રજા વચ્ચે એકતા પણ હતી અને અંતર પણ હતું. ક્વચિત દુશ્મની પણ હતી અને અશ્રદ્ધા પણ હતી. એમાં પાછી પ્રજા ગરીબ અને અશિક્ષિત. મધ્યકાલીન સામંતશાહી યુગમાંથી સીધી ગુલામ બની હતી. પશ્ચિમની આધુનિકતાની, પ્રજાની સત્તાકીય ભાગીદારીની, આધુનિક વહીવટીતંત્રની સમજ તો ભારતની પ્રજાને ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં આધુનિક શિક્ષણ પામેલી પેઢી અસ્તિત્વમાં આવી એ પછી થઈ હતી અને એ સમજ સાર્વત્રિક થવાને હજુ વાર હતી. આ પ્રજા આજે આપણે જેવી આઝાદી ભોગવીએ છીએ એ ભોગવવાની સ્થિતિમાં નહોતી. માટે ઉત્તરોત્તર સત્તા મળતી જાય, પ્રજા સતામાં ભાગીદારી માટે સજ્જ થતી જાય, ભારતની વિવિધ પ્રજા આપસમાં ભોગવટાની સમજૂતી કરતી જાય એ ઉત્તમ માર્ગ હતો. આ સિવાય ગરીબ, શોષિત અને આપસમાં વહેંચાયેલી પ્રજા લડીને આઝાદી મેળવી શકે એમ પણ નહોતી.

૧૯૨૯નો પૂર્ણ સ્વરાજનો ઠરાવ હોવા છતાં ૧૯૩૧માં ગોળમેજ પરિષદમાં આઝાદીની જગ્યાએ ડોમિનિયન સ્ટેટસ કે એની નજીકની સત્તાની માગણી કરવામાં આવી એનું કારણ જરૂરી પ્રજાકીય તૈયારી હતું. ભારતના લોકોને આધુનિક રાજ્ય અને વહીવટીતંત્રનો અનુભવ મળવો જોઈએ. એ પછી ૧૯૩૫માં એક કાયદો બન્યો જેના દ્વારા ૧૯૩૭માં ભારતના તમામ અંગ્રેજ પ્રાંતોમાં ચૂંટણી યોજાઈ અને સરકારો રચાઈ. સરકાર રચવા સામે કૉન્ગ્રેસમાં સમાજવાદીઓનો વિરોધ હોવા છતાં ગાંધીજીએ સરકાર રચવાની દરખાસ્તનું સ્વાગત કર્યું હતું, એનું કારણ કમશઃ સત્તામાં ભાગીદારી વધારતા જઈને સજ્જ થવાનું હતું. ૧૯૩૭-૧૯૩૯ના શાસનના અનુભવે ધ્યાનમાં આવ્યું કે ભારતની પ્રજા પુખ્ત મતદાનવાળા સાર્વત્રિક લોકતંત્ર સાથે શાસન કરી શકે એમ છે. એવું શાસન જે કેન્દ્રીય પણ હોય અને સમવાય પણ હોય.

હવે કલ્પના કરો કે ૧૮૫૭નો વિદ્રોહ ખરેખર આઝાદી માટેનો હોત, આસેતુહિમાલય એવો સાર્વત્રિક હોત અને પરાજીત અંગ્રેજોએ ભારતમાંથી ઉચાળા ભરવા પડ્યા હોત તો ભારત આજ જેવો આઝાદ દેશ હોત ખરો? પહેલી વાત તો એ કે એવું બન્યું નહોતું અને બનવાનું નહોતું એનું કારણ પ્રજાકીય ભાગીદારીવાળા આજના જેવા ભારતીય રાષ્ટ્રની કલ્પના જ ત્યારે વિકસી નહોતી એટલે વિદ્રોહ નિષ્ફળ નીવડ્યો હતો. બીજી વાત એ કે એ છતાં પણ જો ભારતને ત્યારે આઝાદી મળી હોત તો એ પ્રજાકીય ભાગીદારીવાળા આજના જેવા ભારતીય રાષ્ટ્રની કલ્પનાના અભાવમાં ટકી શકી ન હોત.

ભારતના લગભગ તમામ જવાબદાર નેતાઓ ભારતની આ વાસ્તવિકતા જાણતા હતા. માટે લોકમાન્ય તિલક જેવા જહાલોમાં જહાલ નેતાએ પણ સંપૂર્ણ આઝાદીની માગણી નહોતી કરી અને તેમણે સશસ્ત્ર ક્રાંતિને પણ પ્રોત્સાહિત નહોતી કરી. તેમને બન્ને વાતની જાણ હતી કે ભારતમાં સશસ્ત્ર ક્રાંતિ વ્યવહારુ નથી અને ભારતની પ્રજા હજુ સંપૂર્ણ સ્વરાજને લાયક નથી. જહાલો જહાલ હતા પણ મર્યાદિત અર્થમાં. તેઓ સત્તામાં ભાગીદારી મેળવવા માટે ઉતાવળા હતા અને અંગ્રેજોનું નાક દબાવવામાં માનતા હતા. 

પણ કેટલાક યુવાનો સશસ્ત્ર ક્રાંતિનાં સપનાં જોતાં હતાં જે અવ્યવહારુ હતાં. તેમનો ત્યાગ ઘણો મોટો હતો પણ દુર્ભાગ્યે ભારતને આઝાદી અપાવવામાં તેમનું યોગદાન નિર્ણાયક સાબિત ન થઈ શક્યું અને તેમની મૂલ્યવાન જિંદગી એળે ગઈ.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 24 જાન્યુઆરી 2021

Loading

અમૅરિકાના ૪૬મા રાષ્ટ્રપતિ જોસફ આર. બાઈડન જુનિયરની ૨૦ જાન્યુઆરીના શપથ સમારોહ પ્રસંગની ઈનોગ્યુરલ સ્પીચ

અનુવાદ : રૂપાલી બર્ક|Opinion - Opinion|24 January 2021

બાઈડન યુગનો આવકાર

ચીફ જસ્ટીસ રૉબર્ટ્સ, વાઇસ પ્રૅસિડન્ટ હૅરિસ, સ્પીકર પલોઝી, લીડર સ્ક્યુમર, લીડર મૅકૉનૅલ, વાઇસ પ્રૅસિડન્ટ પૅન્સ, વિશિષ્ટ મહેમાનો તથા મારા સાથી અમૅરિકનો :

આજે અમૅરિકાનો દિવસ છે.

આજે લોકશાહીનો દિવસ છે.

ઇતિહાસ અને આશાનો દિવસ.

નવીનીકરણ અને નિશ્ચયનો દિવસ.

યુગો સુધી યાદ રહેશે એવી આકરી કસોટી દરમ્યાન અમૅરિકાની નવી કસોટી થઈ છે અને અમૅરિકાએ પડકાર ઝીલી બતાવ્યો છે.

આજે, આપણે એક ઉમેદવારનો નહીં બલકે એક માન્યતાનો, લોકશાહીની માન્યતાનો વિજય મનાવી રહ્યાં છીએ.

લોકોની મરજી સાંભળવામાં આવી છે અને લોકોની મરજીને લક્ષમાં લેવામાં આવી છે.

આપણે શીખ્યાં છીએ કે લોકશાહી મૂલ્યવાન છે.

લોકશાહી નાજુક છે.

અને આ ક્ષણે, મારા દોસ્તો, લોકશાહીનું પ્રભુત્વ જળવાયું છે.

તેથી હવે, આ પાવન સ્થળ ઉપર જ્યાં થોડાક જ દિવસો અગાઉ હિંસાએ આ કેપિટલનો પાયો હચમચાવી કાઢવા ધાર્યો હતો, આપણે ઈશ્વર હેઠળ, એક રાષ્ટ્ર તરીકે એકઠા મળ્યાં છીએ, અવિભાજ્ય, બે સદીથી વધુ કરતા આવ્યાં છીએ એમ સત્તાની શાંતિપૂર્ણ ફેરબદલી પાર પાડવા માટે.

આપણે આગળ જોઈએ છીએ, આપણા આગવા અમૅરિકી અંદાજમાં — બેચેન, સાહસિક અને આશાવાદી — અને એ રાષ્ટ્ર ભણી મીટ માંડીને જે આપણે જાણીએ છીએ કે બની શકીએ છીએ અને બનવું પડશે.

અત્રે હાજર બન્ને પક્ષોના મારા પૂર્વગામીઓનો હું આભાર માનું છું.

મારા હૃદયના ઊંડાણથી હું એમનો આભાર માનું છું.

આપણાં બંધારણની સ્થિતિસ્થાપક્તા અને આપણાં રાષ્ટ્રની શક્તિ તમે જાણો છો.

જેમ પ્રૅસિડન્ટ કાર્ટર પણ જાણે છે જેમની સાથે મેં ગઈ કાલે રાત્રે વાત કરી, પરંતુ તેઓ હાજર રહી શક્યા નથી, એમની જીવનભરની સેવા માટે આપણે એમને સલામ કરીએ છીએ.

સૌ પ્રથમ જ્યૉર્જ વૉશિંગ્ટને લીધાં પછી, આ તમામ રાષ્ટ્રભક્તોએ લીધેલાં પવિત્ર સોગંદ મેં હમણાં જ લીધા.

પરંતુ અમૅરિકાની કહાણી અમારામાંનાં કોઈ એક પર નહીં, અમારામાંનાં અમુક પર નહીં બલકે આપણા સૌ પર આધાર રાખે છે.

વધુ પરિપૂર્ણ સંમિલનની ખેવના રાખનાર “વી ધ પીપલ” ઉપર આધાર રાખે છે.

આ મહાન રાષ્ટ્ર છે અને આપણે ભલા લોકો છીએ.

સદીઓ પર્યંત તોફાન અને સંઘર્ષ, શાંતિ અને યુદ્ધ વટાવી આટલે દૂર આવ્યાં છીએ. પરંતુ હજુ આપણે વધુ દૂર જવાનું છે. 

આપણે ઝડપ અને ઉતાવળથી આગળ ધપીશું કારણ કે સંકટ અને શક્યતાના આ શિયાળામાં આપણે ઘણું કરવાનું છે.

ઘણું સમારકામ કરવાનું છે.

ઘણું પુન:સ્થાપિત કરવાનું છે.

ઘણાં ઘા ભરવાનાં છે.

ઘણું બાંધવાનું છે.

અને ઘણું મેળવવાનું છે.

હાલ આપણો જે કાળ ચાલી રહ્યો છે એનાથી વધુ પડકારરૂપ કાળ આપણા રાષ્ટ્રના ઇતિહાસમાં ઓછા આવ્યા છે.

સદીમાં એકવાર આવે એવો વાયરસ ચૂપચાપ આપણા દેશમાં શિકાર પર નીકળ્યો છે.

સમગ્ર બીજા વિશ્વ યુદ્ધમાં જેટલી જાનહાનિ નહોતી થઈ એટલી એક વર્ષમાં અમૅરિકામાં થઈ છે.

લાખો નોકરીઓ જતી રહી છે.

હજારો વેપારો બંધ થઈ ગયા છે.

૪૦૦ વર્ષથી સંભળાતો આવતો વંશીય ન્યાય માટેનો પોકાર આપણને ઝંઝોળે છે. ન્યાયનું સ્વપ્ન સાકાર કરવામાં હવે વિલંબ નહીં થાય.

આપણો ગ્રહ જ અસ્તિત્વ માટે પોકારી રહ્યો છે. એના પોકારને હવે વધુ મરણિયો કે વધુ સ્ફુટ થવા દેવામાં નહીં આવે.

ને હવે, રાજકીય ઉગ્રવાદ, શ્વેત સર્વોપરિતા, ઘરેલું આતંકવાદે માથું ઊંચક્યું છે જેને આપણે પડકારવાનાં છે અને જેને આપણે પરાજિત કરીને જંપીશું.

આ પડકારોને પહોંચી વળવા — અમૅરિકાના આત્માને પુન:સ્થાપિત કરવા અને અમૅરિકાના ભાવિને સુરક્ષિત બનાવવા — શબ્દો કરતાં વધુનો ખપ પડશે.

એના માટે લોકશાહીમાં હાથમાં આવવી સૌથી મુશ્કેલ ચીજનો ખપ પડશે :

એકતા.

એકતા.

વૉશિંગ્ટનમાં અન્ય એક જાન્યુઆરીમાં, ૧૮૬૩ના નવા વર્ષના દિવસે ઍબ્રહૅમ લિંકને ઇમૅન્સિપેશન પ્રોક્લમૅશન પર હસ્તાક્ષર કર્યા હતા.

જ્યારે એમણે કાગળ પર કલમ મૂકી, એમણે કહ્યું, “જો મારું નામ ઇતિહાસમાં યાદ રખાશે તો એ આ કાર્ય માટે હશે અને આમાં મારો સમગ્ર આત્મા પરોવાયેલો છે.”

મારો સમગ્ર આત્મા પરોવાયેલો છે.

આજે, આ જાન્યુઆરીએ, મારો સમગ્ર આત્મા આમાં પરોવાયેલો છે :

અમૅરિકાને એકઠું લાવવું.

આપણાં લોકોને એક કરવા.

આપણાં રાષ્ટ્રમાં એકતા સ્થાપવી.

આ કાર્યમાં પ્રત્યેક અમૅરિકનને મારો સાથ આપવા આહ્વાન કરું છું.

આપણી સમક્ષ ઊભા થયેલાં દુશ્મનો સામે એક થઈને લડવું.

આક્રોશ, નારાજગી, ઘૃણા.

ઉગ્રવાદ, અરાજક્તા, હિંસા.

રોગચાળો, બેરોજગારી, નિરાશા.

એકતા રાખીને આપણે મહાન કાર્યો કરી શકીશું, મહત્ત્વનાં કાર્યો કરી શકીશું.

ખોટાને ખરામાં ફેરવી શકીશું.

લોકોને સારી નોકરીઓ અપાવી શકીશું.

આપણાં સંતાનોને સુરક્ષિત શાળાઓમાં ભણાવી શકીશું.

આ ખતરનાક વાયરસને માત આપી શકીશું.

આપણે કાર્યને પુરસ્કૃત કરી શકીશું, મધ્યમ વર્ગને બેઠો કરી શકીશું અને આરોગ્ય સેવાઓ બધાંને મળે એની ખાતરી કરી શકીશું.

વંશીય ન્યાયનો અમલ કરી શકીશું.

એક વાર ફરી સારા અર્થે અમૅરિકાને આપણે વિશ્વને દોરનારું બનાવી શકીશું.

હું જાણું છું કે એકતાની વાત અમુકને મૂર્ખ તુક્કા જેવી લાગતી હશે.

હું જાણું છું કે આપણું વિભાજન કરનારા પરિબળો ઊંડા અને વાસ્તવિક છે.

પરંતુ હું એ પણ જાણું છું કે એ નવા નથી.

આપણે સર્વ સમાન બનાવાયા છીએ એ અમૅરિકન આદર્શ અને આપણને લાંબા સમયથી વિભાજિત કરનાર વંશવાદ, દેશીયતાવાદ, ભય અને રાક્ષસીકરણની વરવી અને અધમ વાસ્તવિક્તા વચ્ચેનો અવિરત સંઘર્ષ આપણાં ઇતિહાસમાં નોંધાયેલો છે.

યુદ્ધ સાર્વકાલિક છે.

વિજય ક્યારે ય નિશ્ચિત હોતો નથી.

આંતરવિગ્રહ, મહામંદી, વિશ્વ યુદ્ધ, ૯/૧૧ દરમ્યાન, સંઘર્ષ, બલિદાન અને અડચણો દરમ્યાન આપણા “સારા દૂતો” હંમેશાં પ્રવર્ત્યાં છે.

આ દરેક પળમાં આપણે પર્યાપ્ત સંખ્યામાં ભેગા મળીને આપણને આગળ લઈ જઈ શક્યાં છીએ.

અને, આપણે આજે પણ એવું કરી જ શકીશું.

ઇતિહાસ, વિશ્વાસ અને વિચારશક્તિ માર્ગ ચીંધતા હોય છે, એકતાનો માર્ગ.

આપણે એકબીજાને શત્રુ તરીકે નહીં પરંતુ પાડોશી તરીકે જોવા જોઈએ.

આપણે એકબીજા સાથે માન સંમાનથી વર્તવું જોઈએ.

આપણે સહિયારી શક્તિથી બૂમાબૂમ બંધ કરીને આવેશને ઠંડા પાડવા જોઈએ.

એનું કારણ એ કે એકતા વિના શાંતિ ન હોઈ શકે, માત્ર કડવાશ અને આક્રોશ હોઈ શકે.

પ્રગતિ નહીં, માત્ર થકવી નાખતો આક્રોશ.

રાષ્ટ્રને સ્થાને અંધાધૂંધીનું વાતાવરણ.

કટોકટી અને પડકારની આ આપણી ઐતિહાસિક ક્ષણ છે અને આગળ વધવાનો માર્ગ કેવળ એકતા છે.

અને આ ક્ષણને આપણે યુનાઈટૅડ સ્ટેટ્સ ઑફ અમૅરિકા તરીકે વધાવવાની છે. 

જો આપણે એમ કરીશું તો હું તમને ખાતરી આપું છું કે આપણે નિષ્ફળ નહીં જઈએ.

જ્યારે ક્યારે પણ આપણે અમૅરિકામાં સાથે મળીને કર્મ કર્યું છે, આપણે ક્યારે ય પણ નિષ્ફળ ગયાં નથી.

અને માટે આ ક્ષણે, આ સ્થળે, ચાલો નવી શરૂઆત કરીએ.

આપણે સૌ.

ચાલો એકબીજાને સાંભળીએ.

એકબીજાને કાન ધરીએ.

એકબીજાને જોઈએ.

એકબીજાને સંમાન આપીએ.

રાજકારણ પોતાના માર્ગમાં આવતી દરેક ચીજને નષ્ટ કરનારી ભભૂકતી આગ ન હોવી જોઈએ.

દરેક અસંમતિ સંપૂર્ણ યુદ્ધ માટેનું કારણ ન હોવી જોઈએ.

અને આપણે એવી સંસ્કૃતિને નકારવી પડશે જેમાં હકીકતોને જ તોડી મરોડીને અને ઊપજાવીને પણ રજૂ કરવામાં આવે છે.

મારા સાથી અમૅરિકનો, આપણે આનાથી જુદાં બનવું પડશે.

અમૅરિકાએ આના કરતાં વધુ સારું હોવું પડશે.

ને હું માનું છું કે અમૅરિકા આના કરતાં સારું છે.

તમારી આસપાસ નજર ફેરવો.

આપણે અહીં ઊભા છીએ કેપિટલ ડોમના પડછાયા તળે જેનું બાંધકામ આંતરવિગ્રહ દરમ્યાન પૂરું કરવામાં આવેલું જ્યારે સંમિલનની  શક્યતા જ ધૂંધળી હતી.

તેમ છતાં આપણે યાતનામાંથી હેમખેમ પાર ઊતર્યાં.

આપણે અહીં ઊભા છીએ સામે પથરાયેલાં ગ્રેટ મૉલ સામે જ્યાં ડૉ. કિંગે એમનાં સ્વપ્ન વિશે વાત કરેલી.

આપણે અહીં ઊભા છીએ જ્યાં ૧૦૮ વર્ષ પહેલાં હજારો વિરોધ કરનારાઓેએ બહાદુર અશ્વેત મહિલાઓને મતાધિકાર માટે કૂચ કરતાં અટકાવવાનો પ્રયાસ કરેલો.

આજની તવારીખમાં આપણે અમૅરિકન ઇતિહાસમાં રાષ્ટ્રીય પદે ચૂંટાયેલાં પ્રથમ મહિલા — વાઇસ પ્રૅસિડન્ટ કમલા હૅરિસની સોગંદ વિધિનો પ્રસંગ નોંધાશે.

ના કહેશો મને કે પરિસ્થિતિ બદલાવાની નથી.

આપણે અહીં ઊભા છીએ આર્લિંગટન નેશ્નલ સૅમૅટૅરીથી પોટોમૅક સામે જ્યાં સમર્પણના છેલ્લાં પૂરા પરિમાણ આપેલા વીરો ચીર નિદ્રામાં પોઢેલાં છે.

અને અહીં આપણે ઊભા છીએ થોડઅક જ દિવસો બાદ જ્યાં એક તોફાની ટોળાએ વિચાર્યું હતું કે લોકોની મરજીને દબાવવા, લોકશાહીનું કાર્ય અટકાવવા અને આ પવિત્ર ભૂમિ પરથી આપણને નસાડવા માટે હિંસાનો ઉપયોગ કરી શકશે.

એવું થયું નહીં.

એવું ક્યારે ય થઈ શકશે નહીં.

ના આજે.

ના કાલે.

ના ક્યારે ય.

જે તમામે અમને ટેકો આપ્યો એમણે અમારામાં મૂકેલાં વિશ્વાસથી મારું શીષ નમી જાય છે.

જે તમામે અમને ટેકો નથી આપ્યો, એમને મારે આ કહેવું છે :

આપણે આગળ વધી રહ્યાં છીએ ત્યારે મને સાંભળો. મારા અને મારા હૃદયનો તાગ મેળવો.

અને તો ય તમે અસંમત હોવ તો ભલે.

આ જ તો લોકશાહી છે. આ જ તો અમૅરિકા છે. આપણાં ગણતંત્રના દાયરામાં રહીને શાંતિપૂર્ણ અસંમતિ વ્યક્ત કરવાનો હક, એ જ તો આપણાં રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ છે.

તો ય મને ધ્યાન દઈ સાંભળો : અસંમતિને કારણે આપણાંમાં ફૂટ પડવી ના જોઈએ.

ને હું તમને વચન આપું છું : હું તમામ અમૅરિકનો માટે રાષ્ટ્રપતિ હોઈશ.

મને ટેકો આપનારા માટે જેટલા દિલથી લડીશ એટલો જ મને ટેકો નહીં આપનારા માટે લડીશ.

ઘણી સદીઓ પૂર્વે મારા ખ્રિસ્તી પંથના સંત ઑગસ્ટીને લખેલું કે લોકો એમને પ્રિય એવાં સર્વસામાન્ય હેતુઓથી ઓળખાતો જનસમૂહ હોય છે.

આપણને અમૅરિકનો તરીકે ઓળખાવે એવાં આપણને પ્રિય કયાં સર્વસામાન્ય હેતુઓ છે?

મને લાગે છે હું ઉત્તર જાણું છું.

તક.

સુરક્ષા.

આઝાદી.

સંમાન.

આદર.

માન.

અને, હા, સત્ય.

તાજેતરના અઠવાડિયાઓએ આપણને દુ:ખદ પાઠ ભણાવ્યો છે.

એક તરફ સત્ય હોય છે અને બીજી તરફ અસત્ય હોય છે.

સત્તા અને લાભ માટે બોલાયેલું અસત્ય.

ને નાગરિકો તરીકે, અમૅરિકનો તરીકે અને વિશેષ આગેવાનો તરીકે — બંધારણનું સંમાન કરવાના અને આપણાં રાષ્ટ્રની રક્ષા કરવાના જેમણે સોગંદ લીધા છે —સત્યની રક્ષા કરવાની અને અસત્યને પરાજીત કરવાની આપણા દરેકની ફરજ છે.

હું સમજી શકું છું કે ઘણાં અમૅરિકનો ભાવિ તરફ થોડાંક ભીતિ અને ગભરાટથી મીટ માંડી બેઠા છે.

હું સમજી શકું છું એમને એમની નોકરીની ફિકર છે, એમના પરિવારોની સંભાળની ચિંતા છે, હવે શું થશે એની ઇંતેજારી છે. 

હું બરાબર સમજુ છું.

પરંતુ એનો ઉત્તર અંતર ભણી જવાની નહીં, હુંસાતુંસીમાં પડેલાં ભાગલાંઓ તરફની ગતિ નહીં, તમારા જેવો દેખાવ નથી અથવા તમારી જેમ ભક્તિ કરતાં નથી અથવા તમે જે સ્રોતોથી સમાચારો મેળવો છો ત્યાંથી જે લોકો સમાચારો મેળવતાં નથી એમને શંકાની નજરથી જોવામાં નથી.

લાલને ભૂરાની સામે, ગ્રામીણને શહેરી સામે, ઉદારને રૂઢિચુસ્ત સામે ખડા કરી દેતા આ આંતરવિગ્રહને ખતમ કરવો જ રહ્યો.

આપણે આપણાં હૃદયને કઠોર કરવા કરતાં આપણા આત્માને ખુલ્લું કરીશું તો એ જરૂર સિદ્ધ કરી શકીશું.

જો આપણે થોડીક સહિષ્ણુતા અને નમ્રતા કેળવીશું.

એક ક્ષણ માટે જો આપણે બીજાના બૂટમાં પગ મૂકી ઊભાં રહીશું.

કારણ કે જિંદગીનું આવું છે : તમારી નિયતિ શું હશે એ કહી શકાતું નથી.

કોઈક દિવસો એવા હોય છે કે આપણને મદદની જરૂર પડે છે.

બીજી એવા દિવસો હોય છે જ્યારે મદદ આપવાનો આપણો વારો આવે છે.

આપણે એકબીજા સાથે આવાં હોવું જોઈએ.

જો આપણે આવાં બનીશું તો આપણો દેશ વધુ મજબૂત, વધુ સમૃદ્ધ, ભવિષ્યનો સામનો કરવા વધુ સજ્જ બનશે.

મારા સાથી અમૅરિકનો, આપણી સમક્ષ જે કાર્ય પડેલું છે તેનાં માટે આપણને એકબીજાની જરૂર પડશે.

આ કાળા શિયાળાને પહોંચી વળવા આપણને આપણી તમામ શક્તિઓની જરૂર પડશે.

વાયરસના સૌથી વિકટ અને જીવલેણ ગાળામાં આપણે પ્રવેશી રહ્યાં છીએ.

રાજકારણને બાજુએ મૂકી આપણે એક રાષ્ટ્ર તરીકે આ મહામારીનો સામનો કરવો રહ્યો.

હું તમને આ વચન આપું છું : જેમ બાઇબલમાં કહ્યું છે કે રાતભર રૂદન ચાલે પરંતુ સવાર આનંદ લઈને આવશે.

આપણે સાથે મળીને આમાંથી પાર નીકળીશું.

વિશ્વ આજે જોઈ રહ્યું છે.

તેથી આપણી સીમા પારના લોકોને મારો સંદેશ છે : અમૅરિકાની કસોટી કરવામાં આવી અને એમાંથી અમે વધુ મજબૂત થઈને બહાર આવ્યાં છીએ.

અમે અમારા જોડાણો સુધારીશું અને વિશ્વ સાથે ફરી એકવાર જોડાઈશું.

માત્ર ગઈકાલનાં પડકારોને પહોંચી વળવા નહીં પરંતુ આજનાં અને આવતીકાલનાં પણ.

અમે આગેવાની કરીશું, અમારી શક્તિના ઉદાહરણથી નહીં પરંતુ અમારા ઉદાહરણની શક્તિથી.

શાંતિ, પ્રગતિ અને સુરક્ષા માટે અમે મજબૂત અને વિશ્વાસુ સાથી પુરવાર થઈશું.

આ રાષ્ટ્રમાં અમે ઘણું બધું વેઠ્યું છે.

અને રાષ્ટ્રપતિ તરીકે મારા પ્રથમ કાર્યમાં ગત વર્ષ દરમ્યાન મહામારીમાં આપણે જેમને ખોયાં છે એમને યાદ કરીને શાંત પ્રાર્થનામાં એક ક્ષણ માટે મારી સાથે જોડાવવા હું તમને વિનંતી કરું છું.

એ ૪,૦૦,૦૦૦ સાથી અમૅરિકનો —માતાઓ અને પિતાઓ, પતિઓ અને પત્નીઓ, દીકરાઓ અને દીકરીઓ, મિત્રો, પાડોશીઓ અને સહકર્મચારીઓ.

લોકો તરીકે અને રાષ્ટ્ર તરીકે આપણે કરી શકીશું અને કરવું જોઈએ એવી આપણને ખાતરી છે એવાં બનીને આપણે એમનું સંમાન કરીશું.

જેમણે જીવ ગુમાવ્યાં છે એમના માટે, શોક મનાવતા એમના સ્વજનો માટે અને આપણા દેશ માટે શાંત પ્રાર્થના કરીએ.

આમેન.

આ પરીક્ષાનો સમય છે.

લોકશાહી અને સત્ય પર પ્રહારનો સમય છે.

બેકાબૂ વાયરસ.

વધતી અસમાનતા.

પ્રણાલીગત વંશવાદનો ડંખ.

હવામાન સંકટ.

વિશ્વમાં અમૅરિકાની ભૂમિકા.

આમાંનું કોઈ પણ એક આપણને અગાધ રીતે પડકારી શકે છે.

પરંતુ હકીકત એ છે કે આપણે એ તમામનો સામનો કરી રહ્યાં છીએ જેથી આ રાષ્ટ્રના માથે અતિ ગંભીર જવાબદારીઓ છે.

આપણે હવે કમર કસવી પડશે.

આપણે બધાંએ.

આ સાહસનો સમય છે કારણ કે કેટલું બધું કરવાનું છે.

અને આ નિશ્ચિત છે.

આપણા યુગનાં પ્રપાતી સંકટોનું નિરાકરણ આપણે કેવી રીતે લાવીએ છીએ એ માટે આપણને, તમને અને મને મૂલવવામાં આવશે.

શું આપણે આ ક્ષણને પહોંચી વળી શકીશું?

આ દુર્લભ અને કઠિન ઘડી પર વિજય મેળવી શકીશું?

શું આપણાં કર્તવ્યોનું પાલન કરીને આપણાં સંતાનોને નવું અને વધુ સારું વિશ્વ વારસામાં આપી શકીશું?

હું માનું છું કે આપણે એવું કરવું જ જોઈએ અને આપણે એવું જરૂર કરીશું.

અને એમ કરીશું ત્યારે અમૅરિકન કહાણીનો નવો અધ્યાય લખીશું.

મારા માટે ખૂબ અર્થ ધરાવતાં ગીત જેવી આ વાર્તા કદાચ લાગશે.

એનું શીર્ષક છે “અમૅરિકન ઍન્થમ” અને એનો એક ફકરો મારા મને ખાસ છે :

“સદીઓના કાર્ય અને પ્રાર્થનાએ
આપણને આ દિવસ સુધી પહોંચાડ્યાં છે
શું હશે આપણો વારસો?
શું કહેશે આપણાં સંતાનો?…
મારા દિવસોનો અંત આવે ત્યારે
જાણવા દેજો મને હૃદયમાં
અમૅરિકા
અમૅરિકા
મારું શ્રેષ્ઠ મેં તને આપ્યું.”

ચાલો, આપણા રાષ્ટ્રની લખાતી કહાણીમાં આપણા કાર્ય અને પ્રાર્થનાને ઉમેરીએ.

આપણા દિવસોનો અંત આવે ત્યાં સુધી જો આપણે આમ કરીશું તો આપણાં સંતાનો અને તેમનાં સંતાનો કહેશે કે આપણે આપણું શ્રેષ્ઠ આપીને ગયાં.

એમણે એમની ફરજ નિભાવી હતી.

એમણે ઘવાયેલી ભૂમિને મલમ લગાવેલો.

મારા સાથી અમૅરિકનો, મેં જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં વિરમીશ, પવિત્ર સોગંદ સાથે.

ઈશ્વરની અને તમારા બધાંની સાક્ષીએ હું તમને વચન આપું છું.

હું હંમેશાં તમને સાથ આપીશ.

હું બંધારણની રક્ષા કરીશ.

હું આપણી લોકશાહીની રક્ષા કરીશ.

હું અમૅરિકાની રક્ષા કરીશ.

મારી ક્ષમતાની સંપૂર્ણ શક્તિ તમારી સેવામાં ખર્ચી કાઢીશ, સત્તાનો નહીં પરંતુ શક્યતાઓનો વિચાર કરીશ.

અંગત લાભનો નહીં પરંતુ જાહેર હિતનો.

એકતાનો, વિભાજનનો નહીં.

પ્રકાશનો, અંધકારનો નહીં.

શિષ્ટાચાર અને માનસંમાનની અમૅરિકન કહાણી.

પ્રેમ અને સાજાપણાંની.

મહાનતા અને સારપની.

આપણ સૌને માર્ગદર્શન આપનારી આ કહાણી બનો.

જે કહાણી આપણને પ્રેરણા આપે છે.

આવનારી પેઢીઓને કહેનારી કહાણી કે આપણે ઇતિહાસનો પોકાર ઝીલી બતાવેલો.

આપણે એ પળને પહોંચી વળેલાં.

કે આપણી નજર સામે લોકશાહી અને આશા, સત્ય અને ન્યાય મૃત્યુ ના પામ્યાં પરંતુ બહાલ થયાં કે આપણાં અમૅરિકાએ ઘરઆંગણે સ્વતંત્રતા જાળવી રાખી અને ફરી એકવાર વિશ્વ માટે દીવાદાંડી બની બતાવ્યું.

આપણા પૂર્વજોને, એકબીજાને અને આવનારી પેઢીઓ પ્રત્યે આપણું આ ઋણ છે.

તેથી, ઉદ્દેશ્ય અને નિર્ધાર સાથે આપણાં સમયના કામો તરફ વળીએ.

વિશ્વાસના ટેકે.

પ્રતીતિથી પ્રેરિત.

ને એકબીજાને તથા આ દેશ જેને આપણે ચાહીએ છીએ એને સમર્પિત થઈને.

ઈશ્વર અમૅરિકાને આશીર્વાદિત કરો અને આપણાં સૈન્યોની રક્ષા કરો.

આભાર, અમૅરિકા.

~

સ્રોત :  https://edition.cnn.com/2021/01/20/politics/joe-biden-speech-transcript/index.html 

Loading

ચલ મન મુંબઈ નગરી—80

દીપક મહેતા|Opinion - Opinion|23 January 2021

જ્યારે મુંબઈમાં એક પણ સ્ટ્રીટ લાઈટ નહોતી!

મઝગાંવનો એક બંગલો ગેસ-લાઈટની રોશનીથી ઝળાંહળાં થઈ ગયો

અરદેશર શેઠના હાથ નીચે એક સો અંગ્રેજ એન્જિનિયર કામ કરતા!

‘સાંકડી શેરી. તેની બંને બાજુ મકાનોની હાર. મકાનો જાણે એકબીજાના ખભા પર ઢળી પડ્યાં હોય એવાં. ચાંદી જેવી ચમકતી ચાંદની પહેલાં એ મકાનોનાં છાપરાં પર પડતી હતી, ત્યાંથી ઢળીને કોતરણીવાળી લાકડાની બારીઓને આરસની બનાવી દેતી હતી. ત્યાંથી લપસીને ઘરના વરંડામાં રેલાતી હતી. મકાનના ગરીબડા છાપરાને, કમાનોને, ભીંતોને, ઉબડખાબડ ફર્શને ચાંદનીનો સ્પર્શ રળિયાત કરતો હતો, અને પછી ખાડા-ખડિયાવાળા રસ્તા પર શીતળ અજવાળાના જળના ખાબોચિયાની જેમ ઠરતી હતી. દુકાનો બધી બંધ હતી, અને અંધારાનો કામળો ઓઢીને ઊંઘતી હતી. પણ કોઈક કોઈક દુકાનની બહાર આવેલા કાળા પથ્થરના ઓટલાને ચાંદની અજવાળતી હતી. આછા અજવાળામાં એક બાજુ ભાંગેલો બાંકડો, તો બીજી બાજુ બંધ બારણું, તો વળી ક્યાંક ચક્રાકાર પગથિયાં જાણે કહી રહ્યાં હતાં : અમે પણ અહીં છીએ હોં! અને રસ્તાની ધાર પર, બંને બાજુ આખું શરીર – મોઢું સુધ્ધાં – ચાદરમાં લપેટીને માણસો હારબંધ સૂતા હતા, જાણે ઈજિપ્તથી આણેલાં મમીને લાઈનબંધ ગોઠવ્યાં ન હોય! ઉનાળાના અસહ્ય બફારામાં ઘરની અંદર સૂવું મુશ્કેલ, એટલે ઘણાખરા પુરુષો આ રીતે રસ્તા પર જ સૂતા.’

ચાંદની રાતે સૂતેલું મુંબઈ

કહી શકશો, આ વર્ણન કયા ગામડાનું હશે? ના, જી. આ કોઈ ગામડાનું નહિ, મુંબઈ શહેરનું વર્ણન છે. સર ફ્રેડરિક ટ્રીવ્સ [Sir Frederick Treves] નામના વિશ્વપ્રવાસી ડોક્ટરના પુસ્તક ‘ધ અધર સાઈડ ઓફ ધ લેન્ટર્ન’માં તેમણે મુંબઈની મુલાકાત વિષે લખ્યું છે તેમાં આ વર્ણન કર્યું છે. એક વાત તરફ ધ્યાન ગયું? મુંબઈના રસ્તાનું વર્ણન છે, ચાંદનીની વાત છે, પણ ક્યાં ય સ્ટ્રીટ લાઈટનો ઉલ્લેખ સુધ્ધાં નથી. ચાંદનીમાં નહાતી સડકનું તેમણે જે વર્ણન કર્યું છે તે સ્ટ્રીટ લાઈટ હોય તો શક્ય જ નથી. આજે તો વરસને વચલે દિવસે બે-ચાર કલાક માટે વીજળી ગુલ થઈ જાય તો હોહા થઈ જાય છે, અને તે માટે જવાબદાર કોણ એની ચર્ચા દિવસો સુધી ચાલે છે. પણ એક વખત એવો હતો કે મુંબઈ જેવા મુંબઈમાં એક પણ સ્ટ્રીટ લાઈટ નહોતી! એટલે તો એ વખતે લગન હોય કે સભા, ભાષણ કે બીજો કોઈ કાર્યક્રમ હોય, એ બપોરે ત્રણ-ચાર વાગે શરૂ થઈ છ વાગ્યા સુધીમાં પૂરો થઈ જતો. જેથી લોકો અંધારું થતાં પહેલાં ઘરે પહોંચી શકે. ૧૮૬૫ પહેલાં મુંબઈમાં અડીખમ કિલ્લો ઊભો હતો. એના ત્રણ દરવાજા – એપોલો ગેટ, ચર્ચ ગેટ અને બજાર ગેટ. અને આ ત્રણે દરવાજા રોજ સાંજે સાત વાગે બંધ થઈ જતા. સવારના સાત વાગે ખૂલે. કિલ્લામાંથી બહાર ગયા હો અને સાત પહેલાં ન પહોચ્યા, તો આખી રાત કિલ્લાની બહાર ગાળવી પડે. એ વખતે જાહેર કાર્યક્રમો, ભાષણો, સભાઓ, યોજી શકાય એવું એક જ સ્થળ, ટાઉન હોલ. પણ ત્યાંનો દરેક કાર્યક્રમ બપોરે ત્રણ-ચાર વાગ્યે શરૂ થાય અને સાડા છ પહેલાં પૂરો થાય જ. જેથી કિલ્લાની બહારથી આવેલા લોકો વખતસર જઈ શકે.

સર ફ્રેડરિક ટ્રીવ્સ અને તેમનું પુસ્તક

બીજી વાત : વીસમી સદી પહેલાં બંધાયેલાં જાહેર મકાનો જુઓ. વી.ટી. સ્ટેશન હોય કે  મ્યુનિસિપાલિટીનું મકાન હોય, રાજાબાઈ ટાવરમાં આવેલી લાયબ્રેરી હોય કે બોમ્બે હાયકોર્ટ હોય, આ બધાં મકાનોમાં બે વાત ધ્યાન ખેંચે : એક, ઘણી બધી બારીઓ, અને બે, આજના કરતાં ઘણી વધુ ઊંચી સિલિંગ કહેતાં છત. શા માટે? આ મકાનો બંધાયાં ત્યારે વીજળી નહોતી મુંબઈમાં. એટલે આ મકાનોમાં એ વખતે લાઈટ નહોતી, પંખા નહોતા, એ.સી. અને લિફ્ટની તો કલ્પના પણ નહોતી. આજે વીજળીથી ચાલતી જે અનેક સગવડો આપણે માટે સ્વાભાવિક થઈ ગઈ છે તેમાંની એક પણ એ વખતે નહોતી. એટલે કુદરતી હવા-ઉજાસ મકાનની અંદર બને તેટલાં વધુ આવે એ માટે પુષ્કળ બારીઓ. અને ગરમી ઓછી લાગે માટે ઊંચી ઊંચી સિલિંગ. આજનાં ખોખાં જેવાં મકાનો ત્યારે બાંધ્યાં હોત તો તેમાં લોકો ગૂંગળાઈ મર્યા હોત. આજે તો બારી હોય તો ય બંધ અને પડદાથી ઢાંકેલી હોય. ત્યારે પડદાને બદલે સ્ટેન્ડ ગ્લાસ વપરાતા – મકાનની શોભા વધારે અને અજવાળાને અંદર આવવા દે. અને હા, બારીઓ સામસામે હોય – ક્રોસ વેન્ટિલેશન માટે.

મુંબઈ યુનિવર્સિટી લાઈબ્રેરીનો અનેક બારીઓ વાળો રીડિંગ રૂમ

***

સાલ ૧૮૩૪. મહિનો માર્ચ. તારીખ દસ. છેલ્લા બે-ત્રણ દિવસથી મઝગાંવમાં આવેલા શેઠ અરદેશર ખરશેદજીના બંગલામાં સતત દોડધામ ચાલી રહી છે. બંગલો અને તેની આસપાસનો બગીચો શણગારાઈ રહ્યા છે. મુંબઈમાં અગાઉ કોઈએ જોઈ ન હોય તેવી વસ્તુઓ ત્યાં ગોઠવાઈ રહી છે. મુંબઈમાં વહાણ બાંધવાની પહેલ કરનાર લવજી વાડિયાના કુટુંબના નબીરા અરદેશર ખરશેદજીનો ધંધો પણ વહાણો બનાવવાનો. મઝગાંવમાં મોટા બંગલામાં રહે. દસમી તારીખની સાંજે તો કેટલા ય મહેમાનો એક પછી એક આવવા લાગ્યા. બંગલાની બહાર પાલખીઓ અને ઘોડા ગાડીની ભીડ જામી ગઈ. બધાના મોઢા પર આતુરતા હતી. અરદેશર શેઠ અને બીજા થોડા અગ્રણીઓ હાથમાં હારતોરા લઈને કંપાઉંડની બહાર ઊભા હતા. બંગલાની બહાર લોકોની એટલી તો ભીડ હતી કે ચાર ઘોડાવાળી શાહી બગીને બંગલા સુધી પહોંચતાં ઘણી મુશ્કેલી પડી. છેવટે બગી આવી પહોંચી અને તેમાંથી નામદાર ગવર્નર જોન ફિત્ઝગિબોન [John Fitzgibbon] દમામપૂર્વક ઊતર્યા. હારતોરા સ્વીકાર્યા પછી લાલ જાજમ પર ચાલીને બંગલામાં દાખલ થયા. હાજર રહેલા સૌ ઊભા થયા અને ‘ગોડ સેવ ધ ક્વીન’ ગવાયા પછી બધા બેઠા. ગવર્નર સાહેબ તેમને માટેના ખાસ સોનેરી સિંહાસન પાર બિરાજમાન થયા. અને અરદેશર શેઠ બે મિનિટ માટે અલોપ થઈ ગયા.

બે મિનિટ પછી તેમનો આખો બંગલો અને તેની આસપાસનો બગીચો ગેસ-લાઈટની રંગબેરંગી રોશનીથી ઝળાંહળાં થઈ ગયો. પણ કઈ રીતે? અરદેશર શેઠે કોલસો બાળીને તેમાંથી ગેસ બનાવવાનો એક નાનકડો પ્લાન્ટ પોતાના ઘરમાં જ નાખ્યો હતો અને તે દિવસે એ ગેસથી પોતાના બંગલાને અને બગીચાને ઝાકઝમાળ કર્યા. મુંબઈ શહેરમાં પહેલી વાર આ દિવસે ગેસના દીવાનું અજવાળું પથરાયું હતું. હાજર રહેલા સૌએ તાળીઓના ગડગડાટથી અરદેશર શેઠને અને બંગલાની રોશનીને વધાવી લીધાં. નામદાર ગવર્નરે અરદેશર શેઠને ખાસ પોશાક ભેટ આપ્યો. જતી વખતે ગવર્નરે અરદેશર શેઠને હળવેકથી પૂછ્યું : આજે અહીં જે થયું તે આખા મુંબઈ શહેરમાં ન થઈ શકે?

પોતાના કામકાજને કારણે અરદેશર શેઠ દેશ-વિદેશમાં ફરતા રહેતા અને ત્યાં જે કાંઈ નવું જુએ તે સાથે લેતા આવતા. આ રીતે સૌથી પહેલો સીવવાનો સંચો તેઓ જ મુંબઈમાં લાવ્યા હતા. એવી જ રીતે સૌથી પહેલો કેમેરા લાવનાર પણ એવણ જ. પોતાના બંગલા નજીકના એક જાહેર બગીચામાં તેમણે પોતાને ખર્ચે ફુવારો મૂકાવ્યો હતો જેને ચલાવવા માટે તેમણે પોતે સ્ટીમ એન્જિન બનાવ્યું હતું. માત્ર ૩૩ વરસની ઉંમરે તેઓ ૧૮૪૧માં રોયલ સોસાયટી ઓફ લંડનના ફેલો બન્યા હતા. આ માન મેળવનાર તેઓ પહેલા હિન્દી હતા. તે પછી ૭૫ વરસે બીજા એક હિન્દી એસ. રામાનુજન્‌ને આ માન મળ્યું હતું.

અરદેશર ખરસેદજી

અરદેશર શેઠનો જન્મ ૧૮૦૮ના ઓક્ટોબરની છઠ્ઠી તારીખે. શરૂઆતથી જ વાડિયા કુટુંબ ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે શઢવાળાં વહાણો મુંબઈમાં બાંધતું હતું. ગ્રેટ બ્રિટનમાં પણ એ વહાણો વખણાતાં હતાં. પણ પછી સ્ટીમ એન્જિનની શોધ થઈ અને ૧૮૧૨ પછી શઢવાળાં વહાણોની જગ્યાએ સ્ટીમશિપ કે સ્ટીમર આવી. થોડો વખત વાડિયા કુટુંબના ધંધામાં ઓટ આવી. ૧૮૨૨માં ચૌદ વરસની ઉંમરે અરદેશર પિતાના મદદનીશ તરીકે કંપનીમાં જોડાયા. પણ પછી તેમણે સ્ટીમ એન્જિનનો હુન્નર હાથવગો કરીને સ્ટીમરો બાંધવાનું શરૂ કર્યું અને વાડિયા કુટુંબ ફરી આગળ આવ્યું. ૧૮૩૮માં ગ્રેટ બ્રિટન જઈને ત્યાં એક વરસ રહેવા માટે તેમણે સરકારની પરવાનગી માગી. તે મળી એટલું જ નહિ, મુસાફરીના ભાડા પેટે ૬૦૦ રૂપિયા આપવાનું પણ સરકારે ઠરાવ્યું. પણ અણધારી માંદગીને કારણે એ વરસે તો તેઓ જઈ ન શક્યા. પણ બીજે વરસે ગાંઠના એક હજાર રૂપિયા ખરચીને ૧૮૩૯ના સપ્ટેમ્બરની ૧૩મી તારીખે તેઓ ગ્રેટ બ્રિટન જવા સ્ટીમરમાં રવાના થયા. અરદેશર શેઠ ચુસ્ત પારસી હતા એટલે પારસી રસોઈયા સિવાય બીજા કોઈના હાથનું રાંધેલું ખાતા નહિ. એટલે પોતાની સાથે પારસી રસોઈયાને પણ લઈ ગયેલા. પારસી રિવાજ પ્રમાણે તેઓ કાયમ માથે ટોપી પહેરવાના આગ્રહી હતા. લંડનમાં એક વાર એક પારસી યુવક મળવા આવ્યો. પણ તેણે ટોપી પહેરી નહોતી એટલે અરદેશર શેઠે તેને મળવાની ના પાડી દીધી.

સુએઝ સુધી સ્ટીમરમાં ગયા પછી બાકીનો પ્રવાસ તેમણે જમીન રસ્તે પૂરો કર્યો. લંડન પહોંચીને પહેલું કામ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ચેરમેન અને સેક્રેટરીની મુલાકાત લેવાનું કર્યું. ૧૮૪૦ના ફેબ્રુઆરીની ૧૦મી તારીખે રાણી વિક્ટોરિયાનાં લગ્ન થયાં ત્યારે તેમાં હાજર રહેવાનું નોતરું તેમને અપાયું હતું એટલું જ નહિ, એ જ વરસના જુલાઈની પહેલી તારીખે તેમણે રાણીની સત્તાવાર મુલાકાત લીધી હતી. એક વરસ સુધી સ્ટીમર બાંધવાનો પુષ્કળ અનુભવ મેળવ્યો. તેમણે બ્રિટન છોડ્યું તે પહેલાં જ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ તેમની નિમણૂક મહિને ૬૦૦ રૂપિયાના પગારે મુંબઈની સ્ટીમર ફેક્ટરીનાof an overland journey from Bombay to England ચીફ એન્જિનિયર એન્ડ ઇન્સ્પેક્ટર ઓફ મશીનરીના હોદ્દા પર કરી. ત્યાં એક સો જેટલા અંગ્રેજ એન્જિનિયરો તેમના હાથ નીચે કામ કરતા હતા. ગ્રેટ બ્રિટનની મુસાફરી અને ત્યાંના એક વરસના વસવાટ દરમ્યાન થયેલા અનુભવોને વર્ણવતું પુસ્તક તેમણે અંગ્રેજીમાં લખ્યું હતું જે ૧૮૪૦માં લંડનથી પ્રગટ થયું હતું. તેનું લાંબુ લચક નામ હતું : ‘ડાયરી ઓફ એન ઓવરલેન્ડ જર્ની ફ્રોમ બોમ્બે ટુ ઇંગલન્ડ એન્ડ ઓફ અ યર્સ રેસિડન્સ ઇન ગ્રેટ બ્રિટન, લંડન.’

૧૮૫૧માં તેઓ બીજી વાર ગ્રેટ બ્રિટન ગયા અને ત્યાંથી ગયા અમેરિકા. ત્યાં તેમણે લાકડાં કાપવાનાં મશીન જોયાં તે ખરીદીને મુંબઈ મોકલ્યાં. ૧૮૫૭ના ઓગસ્ટની પહેલી તારીખે અરદેશર શેઠ નોકરીમાંથી નિવૃત્ત થયા. લાંબી કારકીર્દી દરમ્યાન તેમના વ્યવસાયના કેટલાક લોકો અરદેશર શેઠના વિરોધી બન્યા હતા. વળી ગ્રેટ બ્રિટનની મુસાફરી દરમ્યાન તેમને એક બ્રિટિશ સ્ત્રી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. તેમનાં પારસી પત્ની આવાંબાઈ હયાત હતાં એટલે એ સ્ત્રી સાથે અરદેશર શેઠે લગ્ન કર્યાં નહોતાં, પણ એ બંનેનાં બે સંતાનોનો મુંબઈમાં જન્મ થયો હતો. એટલે તેમના સમાજે અરદેશર શેઠનો બહિષ્કાર કર્યો હતો. પરિણામે, નિવૃત્તિ પછી તેઓ ગ્રેટ બ્રિટન જઈ રિચમંડમાં સ્થાયી થયા હતા. ૧૮૭૭ના નવેમ્બરની ૧૬મી તારીખે ત્યાં જ તેમનું અવસાન થયું. ૧૯૬૯માં તેમના માનમાં ભારત સરકારે એક ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી હતી.

૧૯૬૯માં બહાર પડેલી ટપાલ ટિકિટ

અરદેશર શેઠના બંગલાની ગેસ લાઈટની રોશની જોઈને ૧૮૩૪માં મુંબઈના ગવર્નરે પૂછેલું કે આવી રોશની આખા મુંબઈ શહેરમાં ન થઈ શકે? એ પછી બરાબર દસ વરસે મુંબઈને પહેલી વાર સ્ટ્રીટ લાઈટ મળી. ૧૮૪૩માં કેટલાક મુખ્ય રસ્તાઓ પર દીવા મૂકાયા, પણ ગેસથી ચાલતા નહિ, કેરોસીન કહેતાં ઘાસલેટ કહેતાં રાકેલથી સળગતા દીવા. રોજ સાંજે એ દીવામાં ઘાસલેટ પૂરીને તેને સળગાવવા માટે ખાસ માણસો રાખવામાં આવ્યા. સવારે એ જ માણસો બધા દીવા એક પછી એક બુઝાવી દેતા! આજે તો લેડ લાઈટથી મુંબઈના ઘણા રસ્તા ઝળહળે છે એટલે એક જમાનામાં અહીં ઘાસલેટના દીવા હતા એ માનવું પણ મુશ્કેલ છે. શહેરને ગેસની સ્ટ્રીટ લાઈટ તો મળી છેક ૧૮૬૨માં. પણ એ અંગેની રસપ્રદ વાતો હવે પછી.

e.mail : deeepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 23 જાન્યુઆરી 2021

Loading

...102030...2,0172,0182,0192,020...2,0302,0402,050...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved