એક ગુજરાતી તરીકે આપણે એ વાતે જરૂર ધોરણસર ગૌરવ લઈ શકીએ કે આંતરરાષ્ટ્રીય સ્તરે ‘ઑલ મેન’ સરખા પ્રયોગને સ્થાને ‘ઑલ હ્યુમન બીઇંગ્ઝ’ની પ્રતિષ્ઠાનું શ્રેય હંસા મહેતા સરખાં એક ગુજરાતી વિદુષીને નામે જમે બોલે છે. પણ આ મૂલ્યાત્મક શબ્દફેરમાં અભિપ્રેત છે તેમ સ્ત્રીપુરુષ બેઉ એક વ્યક્તિ તરીકે સમાન છે એવી પાયાની સમજથી માંડીને ખાસુ બધું અંતર કાપવું રહે છે. ચંદુ મહેરિયા અને મહાશ્વેતા જાનીની નિરીક્ષા ને નુક્તેચીનીમાં એનાં કેટલાંક ઇંગિતો રહેલા છે તો તાજેતરમાં એમ.જે. અકબર-પ્રિયા રામાની કેસચુકાદામાં કે આ અંક છપાવા જઈ રહ્યો છે ત્યારે ઓરિસ્સામાં બાવીસ બાવીસ વરસના કાનૂની સંઘર્ષ પછી અંજની મિશ્રા બળાત્કાર કેસના ચુકાદાના હેવાલોમાં કપાયેલી અને કાપવી રહેતી મજલનું નિદર્શન પડેલું છે.
— ‘નિરીક્ષક’ તંત્રી
કોરોના મધ્યે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું વાતાવરણ ગુજરાતમાં ચારે તરફ ફરતી પ્રચારની રિક્ષાઓનાં લાઉડસ્પીકરમાંથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘરઆંગણે અને કમ્પ્યૂટર અને મોબાઇલની બારીઓમાંથી સતત આસપાસ અનુભવાતું રહ્યું. આંતરરાષ્ટ્રીય મહિલાદિવસ નજીક જ છે, ત્યારે ચૂંટણીપ્રચારમાં સ્ત્રીઓની ભૂમિકા શું? સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓમાં ૫૦% રાજકીય હિસ્સેદારી છતાં સ્ત્રીઓનું સ્થાન શું હજી પિતૃસત્તાક સમાજનાં પ્રતિબિંબ એવા રાજકીય પક્ષો અને તેમની પુરુષકેન્દ્રી માનસિકતામાં જ અટવાયેલું છે? એમાં ય ગુજરાતના પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલના વડપણ હેઠળ વસંતપંચમીના દિવસે યોજાયેલા વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારના હલ્દી કુમકુમના કાર્યક્રમની ફેસબુક લિંક જોતાં મહિલા કાર્યકરો અને ઉમેદવારોને મહદ્ અંશે પુરુષ નેતાઓને પગે લાગતાં જોઈ અને પાટીલસાહેબનું વક્તવ્ય “દીકરીઓની સંખ્યા ઘટતી જાય છે. આજે શહેરોમાં અને ગામડાંઓમાં અનેક યુવાનોની ઉંમર ૩૫-૪૦ થઈ ગઈ હોવા છતાં યોગ્ય જીવનસાથી નહીં મળવાથી લગ્ન થયાં નથી. બહેનો જે અહીંયાં એકલી બેઠી છે, જે સુરક્ષિતતા અનુભવે છે પણ જો આ રીતે દીકરીઓની સંખ્યા ઘટશે, તો તેમને જ ઘરમાં તાળું મારીને બેસવું પડશે …….. સાસુઓ તેમની વહુઓનાં ગર્ભપાત કરાવી દે છે ….. આ સમસ્યાને ફકત બહેનો જ હલ કરી શકે …..” સાંભળી કૈંક આવા પ્રશ્નો મનમાં ઉદ્દભવ્યા.
ગુજરાત એની ગતિશીલતા, વિકાસ અને મોડી રાત સુધી ગરબે ઘૂમતી સ્ત્રીઓના ફોટા થકી રાજ્યમાં ‘અતિ સલામત સ્ત્રીઓ’ છે તેનાં બ્યૂગલ દુનિયાભરમાં વગાડે છે પણ કડવી વાસ્તવિકતા એ છે કે દીકરીઓના સતત ઘટતાં જન્મદર માટે ભારતભરમાં તળિયાનાં રાજ્યોમાં આવે છે એવા આપણા ગુજરાતની દીકરીઓ માની કૂખમાં જ અસલામત છે, જેની પાછળનું એક મહત્ત્વનું પરિબળ ગુજરાતનું આર્થિક, સામાજિક માળખું કે જેમાં મૂડીવાદી માનસિકતા બહુ મોટો ભાગ ભજવે છે, તેને ગણી શકાય. મૂડીવાદને પિતૃસત્તા સાથે સીધું જોડાણ છે. ધંધાઉદ્યોગમાં, રાજકારણમાં ગાદીએ બેસવા દીકરાની ઘેલછા સતત હજી પણ જોઈ જ શકાય છે.
૨૦૧૯માં લોકનીતિ CSDS દ્વારા મહિલાઓ અને રાજકારણ ઉપર થયેલા અભ્યાસમાં એક તારણ બહાર આવ્યું હતું કે સ્ત્રીઓને કેન્દ્ર અને રાજ્યની સાપેક્ષે સ્થાનિક કક્ષાના રાજકારણમાં વધુ રસ પડે છે.આ ખૂબ સ્વાભાવિક છે, કારણ કે આ જ એક રાજકારણનું સ્તર છે, જ્યાં સ્ત્રીઓ અનામતને કારણે સીધી હિસ્સેદારી લઈ શકે છે, એટલે રાજકીય પક્ષો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં બહેનોના પ્રશ્નો વિશે ‘થોડી ઘણી’ ચર્ચા કરે એ અપેક્ષિત છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચૂંટણીઓને નજીકથી જોતાં એ આમ તો ટૉકનિઝમથી વિશેષ કંઈ ખાસ જણાયું નથી.
ત્રણ દીકરીઓ અને એક દીકરાના પિતા સી.આર. પાટીલે સમાજમાં સંતુલન ના ખોરવાય તે માટે દીકરીઓના જન્મને બઢાવો આપવાની અને મોદીજીના ‘બેટી બચાવો બેટી પઢાઓ’ અભિયાનની મંચ ઉપરથી વાત તો છેડી દીધી પણ એની પાછળનાં જે કારણો દર્શાવ્યાં એ ખરેખર નેતાઓની અતિ પાંગળી અને સંકુચિત સમજનું પ્રદર્શન કરનાર છે. સૌથી પહેલાં તો તેમને એવું લાગે છે કે આજે ભલે દીકરીઓની સંખ્યા ગુજરાતમાં ઓછી છે અને કેટલા ય પુરુષો પરણ્યા વગરના છે છતાં ય સ્ત્રીઓ જાહેર કાર્યક્રમોમાં ભાગ લઈ શકે તેટલી સલામત છે. જો હજી સંખ્યા ઘટી તો સ્ત્રીઓને ઘરમાં તાળાં મારીને પુરાઈ રહેવું પડશે. એટલે પ્રશ્ન થાય કે શું આપણે પુરુષોને પત્નીઓ મળી રહે તેના માટે અને તેઓ વાંઢા નહિ રહે તો જ ‘અહિંસક’ રહેશે. એ એક માત્ર કારણ માટે દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવાનું છે? આનો આડકતરો અર્થ એ થયો કે મંચસ્થ નેતા સ્ત્રીને ફક્ત ઉપભોગના અને બાળક પેદા કરવાનાં સાધન માત્ર તરીકે જોઈ રહ્યા છે અને રાજકીય મંચ ઉપરથી આ એક વરવો મૅસેજ સમાજના બહોળા વર્ગને પહોંચાડી રહ્યા છે.
ભાષણમાં એક બીજો મુદ્દો એ કે તેમણે ફક્ત સ્ત્રીઓની પિતૃસત્તાક માનસિકતાની વાત કરી. દીકરો જણવા માટે સાસુઓ જ વહુઓને ત્રાસ આપે છે, તેમના ઉપર દબાણ ઊભું કરે છે, તેથી યુવાન સ્ત્રીઓએ સાસુઓને જવાબ આપતાં, ના પાડતાં શીખવું જ પડશે. અહીં પણ સાસબહુ સિરિયલોના કિરદારોની જેમ એક સ્ત્રીને જ બાળકીઓના જન્મને રોકનાર વિલન તરીકે બીજી સ્ત્રી સામે ઊભી કરી દીધી. સ્ત્રીઓ પિતૃસત્તાનું વહન કરે છે, એ કેટલાક અંશે સાચું છે. પણ શું દીકરીઓની સંખ્યાના અસંતુલન પાછળ પુરુષોની કોઈ ભૂમિકા જ નથી? ટૂંકમાં, બાળકનું લિંગ કયું હશે એ ફક્ત સ્ત્રીઓની પિતૃસત્તાક માનસિકતાને આધારે નક્કી થાય છે અને પુરુષો આ આખા ચિત્રમાં ક્યાં ય આવતા જ નથી, એવી રીતે આ વાતને રજૂ કરવી ખરેખર ઘાતક છે, કારણ કે આ વાતનો સંદેશ તો અંતે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે, ત્યાં આવીને અટક્યો.
આ ઘટના અને સી.આર. પાટીલનું વક્તવ્ય એક ઉદાહરણ માત્ર છે, બાકી ગુજરાતમાં ભા.જ.પ. હોય કે કાઁગ્રેસ, પક્ષો અને નેતાઓમાં સ્ત્રીઓના મુદ્દાઓને લઈને વૈચારિક શૂન્યતા જ છે. પક્ષમાં સ્ત્રીઓને ફક્ત સ્થાન મળે છે પણ ખરેખરી સત્તાથી સ્ત્રીઓ જોજનો દૂર છે. ક્યારે ય કોઈ પણ પક્ષના આંતરિક આર્થિક મૅનેજમેન્ટનું કામ સ્ત્રીનેતાને અપાયું હોય એવું જાણવા નહિ મળે. કાર્યક્રમોમાં સ્ટેજ ઉપર પૌરુષત્વના સિમ્બોલ તરીકે તલવારો નીકળતી જ રહે છે .. સ્ત્રીઓ કુમકુમ અને તિલગુડમાં જ અટવાતી રહે છે અને સ્ત્રીઓના મુદ્દાઓ ઉપર પુરુષો ઉપદેશાત્મક ભાષણો આપ્યા કરે છે. આજે દીકરીઓ જણવાનું કહે છે, કાલે બીજા ભાષણમાં દેશ માટે દીકરા જણવાનું કહેશે. રાજકીય પક્ષો પણ સંપૂર્ણપણે પિતૃસત્તાક અને મૂડીવાદી માળખામાં કામ કરતા રહ્યા છે, કરે છે અને કરતા રહેશે, જ્યાં સુધી આ જડબેસલાક સિસ્ટમમાં સ્ત્રીઓની ખરેખરી સહભાગીદારિતા ઊભી નહિ થાય ત્યાં સુધી … અને એના માટે હજી બહુ લાંબી મજલ કાપવી રહી.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2021; પૃ. 08