Opinion Magazine
Number of visits: 9964019
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આરતી

રવીન્દ્ર પારેખ|Poetry|21 May 2021

ભીડ જ એટલી છે કે
દર્શન થવાનું અઘરું છે
પ્રસાદ લઈ લો
દર્શન તો પછી પણ થશે
ઘણા ભક્તો તો પ્રસાદ લઈને
બહારથી જ નીકળી જાય છે
ભગવાનની એટલી દયા તો છે કે 
કોઈ ભક્ત પ્રસાદ વગર ન જાય
પણ ભક્તો ધરાતા નથી
એમાં વળી પ્રસાદને બહાને 
નાસ્તિકો પણ ઘૂસી આવે
પણ ભગવાનને ન માને તેને તો ન અપાયને !
એ તો સેવકો સારા છે તો પ્રસાદ બચે છે, બાકી …
જો કે, ભગવાને તીર પણ એવાં ચલાવ્યાં છે કે 
નાસ્તિકો જ ન રહે
એ પણ છે કે બધાં જ કૈં ભગવાનને પામતાં નથી
પણ ભક્તિ કોને કહી છે !
ભગવાન ન હોય તેથી કૈં
ભક્તો ય ન હોય એવું થોડું છે?
ઘણીવાર મૂંઝવણ થાય કે
ભગવાન ભક્તોને આધીન છે કે 
ભક્તો ભગવાનને શરણે છે?
એ પણ છે કે વગર જોયે પણ ભક્તો 
ભગવાનનું રક્ષણ કરે છે
તો ભગવાનને પણ ભક્તોમાં અપાર શ્રદ્ધા છે
ભગવાને પથરો નાખ્યો તો ડૂબી ગયો
પણ ભક્તે નાખ્યો તો તરી ગયો
જોયું ને !
રામને નામે રામ તો ના તર્યા
પણ પથરા તરી ગયા છે …

 

e.mail : ravindra21111946@gmail.com

 

Loading

સિસ્ટમ બદલવી એ પણ શાસનનો વિષય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|20 May 2021

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે દેશમાં અત્યારે કોરોનાની જે પરિસ્થિતિ પેદા થઈ છે એ સરકારની નિષ્ફળતાનું, વ્યવસ્થાની ખામીનું અને પ્રજાની બેદરકારીનું પરિણામ છે. મોહન ભાગવતે બોલવું પડ્યું છે કારણ કે લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે અત્યારે સંકટની ઘડીએ સંઘ ક્યાં છે? જ્યારે પૂરી તાકાત સાથે હિન્દુત્વવાદીઓને દેશમાં રાજ કરવાનો મોકો મળ્યો ત્યારે આવા ફૂહડ કેમ સાબિત થયા? માત્ર કોરોના નહીં, દરેક મોરચે હિન્દુત્વવાદી શાસકો ફૂહડ સાબિત થયા છે અને કોરોનાએ તો કાળો કેર કર્યો છે ત્યારે સંઘના નેતાઓ કેમ મોઢું ખોલતા નથી?

ખેર, મોહન ભાગવતે અત્યારના કોરોનાસંકટ માટે જે ત્રણ કારણો બતાવ્યાં છે તેમાંથી પહેલા બે કારણો સાચા છે અને ત્રીજું કારણ ખોટું છે. એમ તો બીજું કારણ પણ સંપૂર્ણપણે સાચું નથી. સંપૂર્ણપણે માત્ર અને માત્ર પહેલું કારણ સાચું છે. એ કઈ રીતે એ જોઈએ.

જગતનો અનુભવ એમ કહે છે કે ફાસીવાદી શાસકો ધોરણસરના શાસનમાં બહુ રસ લેતા નથી. પ્રજાકલ્યાણલક્ષી શાસન તેમની પ્રાથમિકતા હોતી નથી એટલે આવડત કેળવવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. તેમની પ્રાથમિકતા તેમને મળેલા સમયમાં બને એટલી ઝડપથી નાગરિકોના ચિત્તનો અને રાજકીય પ્રતિપક્ષીઓની રાજકીય જગ્યાનો કબજો લેવાનો હોય છે. અંગ્રેજીમાં આને અનુક્રમે માઈન્ડ-સ્પેસ અને પોલિટીકલ સ્પેસ કહેવામાં આવે છે અને આ લેખમાં હવે પછી સુગમતા ખાતર અંગ્રેજી શબ્દપ્રયોગ પણ કરવામાં આવશે.

હિંદુ ધર્મના નામે રડાવીને અને ડરાવીને અને મુસલમાનો માટે નફરત પેદા કરીને અંદાજે પ્રત્યેક ચોથા હિંદુના ચિત્તનો કબજો તેમણે લઈ લીધો છે. એ કબજો છૂટવો ન જોઈએ. જો આગલી સરકારો કરતી હતી એવું ધોરણસરનું રાજ કરે તો વિવાદ પેદા થાય, કોઈ નિર્ણય કે પગલું લોકોના હિતમાં છે કે નહીં તેની ચર્ચા થાય, વિદેશી અખબારો અને વિદ્વાનો તેની ચર્ચા કરે, જે તે થીંક ટેંક તેમાં રસ લે, સંસદમાં ચર્ચા થાય અને સરકારે ખુલાસા કરવા પડે, કોઈ અદાલતમાં જાય અને અદાલત જવાબ માગે વગેરે વગેરે કેટલું થાય. આમાં સૌથી મોટું નુકસાન એ કે જેના ચિત્તનો કબજો લીધો હોય એ પણ યોગ્ય-અયોગ્યનો વિચાર કરતો થાય અને હાથમાંથી છટકી જાય. ગુલામો આઝાદ ન થવા જોઈએ. ગુલામોને ગુલામીના ગૌરવનો અનુભવ થવો જોઈએ. આને માટે ભર કોરોના કાળમાં રામમંદિર માટે ફાળાના જુલૂસ કાઢવામાં આવ્યા હતા અને ભર કોરોના કાળમાં કોઈ પણ પ્રકારના નિયમનો – પ્રતિબંધો વિના કુંભમેળો યોજવામાં આવ્યો હતો. તો પહેલી વાત એ કે ફાસીવાદી શાસકો ધોરણસરનું શાસન કરવાની ભાંજગડમાં પડતા નથી. જગત આખાનો આવો અનુભવ છે.

બીજી પ્રાથમિકતા તેમની રાજકીય પ્રતિસ્પર્ધીઓની રાજકીય જગ્યા આંચકી લેવાની હોય છે. કોઈ પાસે પોલિટીકલ સ્પેસ બચવી ન જોઈએ એટલે જેમના માઈન્ડ-સ્પેસ ઉપર કબજો કરવો મુશ્કેલ બને છે અને જેઓ ગુલામ થવા માગતા નથી, એવા જાગૃત નાગરિકો પાસે કોઈ રાજકીય વિકલ્પ જ ન બચે. અત્યારની સરકારનો વિરોધ કરનારાઓને તમે કહેતા સાંભળ્યા હશે કે ‘હા, વાત તો સાચી, પણ વિકલ્પ ક્યાં છે?’ પ્રત્યેક રાજકીય પ્રતિસ્પર્ધીની પોલિટીકલ સ્પેસ આંચકી લેવાની એટલે વિકલ્પ શોધનારાઓ જાય ક્યાં? માટે ભર કોરોના કાળમાં મધ્ય પ્રદેશની સરકાર તોડવામાં આવી હતી. ભર કોરોના કાળમાં રાજસ્થાનની સરકારને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભર કોરોના કાળમાં પોંડીચેરીની સરકારને તોડવામાં આવી હતી. ભર કોરોના કાળમાં રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ યોજવામાં આવી હતી. સરકારની મુદ્દત પૂરી થયે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરીને ચૂંટણીઓ ટાળી શકાતી હતી, પરંતુ તેમાં વિરોધ પક્ષોને રાજકીય જગ્યા મળી જવાનો ડર હતો. ચૂંટણીપંચને દબાવીને ચૂંટણી યોજવામાં આવી હતી અને વિશાળ રેલીઓ યોજીને પ્રચાર કરવામાં આવ્યો હતો. રાજકીય પ્રતિસ્પર્ધીને ગમે તે ભોગે ખતમ કરી નાખવાનો એટલે વિકલ્પ શોધનારાઓને વિકલ્પ જ ન જડે.

ટૂંકમાં વર્તમાન શાસકોએ ધોરણસરનું શાસન કરવાની જગ્યાએ ચાર કામ કર્યા હતા. એક, કોરોનાની મહામારીની ઉપેક્ષા કરી હતી. બે, તાળી-થાળીના ખેલ કરીને સંકટને હોય એના કરતાં હળવું અને નાનું બતાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણ, ગુલામોના માઈન્ડ-સ્પેસ પરનો કબજો જાળવી રાખવાના બેત રચ્યા હતા અને ચાર, વિચારી શકે એવા નાગરિકો પાસે કોઈ રાજકીય વિકલ્પ જ ન બચે એ માટે વિરોધ પક્ષોની પોલિટીકલ સ્પેસ આંચકી લેવાની. આમાં ભારતની પ્રજા છેતરાઈ હતી અને તેને છેતરવામાં આવી હતી. આમ આજની સ્થિતિ માટે દેશની પ્રજાની બેદરકારી જવાબદાર છે એવી મોહન ભાગવતની દલીલ ખોટી છે. 

રહી વાત સિસ્ટમની તો ભારતમાં ગવર્નીંગ સિસ્ટમ ખામીયુક્ત અને લગભગ જીર્ણ અવસ્થામાં છે એ કોણ નથી જાણતું? આખી દુનિયા આ જાણે છે. ૨૦૧૦ અને ૨૦૧૧માં સિસ્ટમને બદલવા માટે દેશભક્તોએ આંદોલન કર્યાં હતાં. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી સિસ્ટમ બદલવા માટે આકાશમાં સૂર્યની માફક પ્રગટ થયા હતા. ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ નવોદિત સૂર્ય ભારતને અમેરિકા અને પશ્ચિમ યુરોપના વિકસિત દેશોની કક્ષામાં મૂકી આપશે. આ સૂર્ય ચીનને ભૂ પિવડાવવાનો છે. આ સૂર્ય ભારતને વિશ્વગુરુ બનાવવાનો છે. આ સૂર્ય ભારતની પ્રત્યેક ઇંચ ભૂમિને પ્રકાશમય બનાવવાનો છે. હવે સવાલ એ છે કે આ બધું સિસ્ટમ બદલ્યા વિના થવાનું હતું? અને સિસ્ટમ બદલવી એ પણ ગવર્નન્સનો એટલે કે શાસનનો વિષય છે અને એમાં ઉપર કહ્યું એમ ફાસીવાદી શાસકોને રસ હોતો જ નથી. અહીં માઈન્ડ-સ્પેસ પરનો કબજો કેવો હોય છે એનો જવાબ અહીં મળી જશે. નરેન્દ્ર મોદી જ્યારે ભારતને વિકસિત દેશોની બરાબરીમાં લઈ જવાની વાતો કરતા હતા ત્યારે ગુલામો કિકિયારીઓ પાડતા હતા અને અત્યારે ભારતની હાલત અફઘાનિસ્તાન જેવી થઈ છે અને વિશ્વદેશો ઓક્સીજન જેવી મામૂલી ચીજની મદદ કરી રહ્યા છે ત્યારે પણ તેઓ કિકિયારીઓ પાડી રહ્યા છે.

સારા શાસકો સમસ્યાનો સ્વીકાર કરે. સારા શાસકો પડકારનું આકલન કરે. સારા શાસકો પડકારને સામી છાતીએ ઝીલે. સારા શાસકો પ્રજાને ગેરમાર્ગે ન દોરે, પણ વિશ્વાસમાં લે. સારા શાસકો અંગત સ્વાર્થના રાજકારણને બાજુએ રાખીને શાસનધર્મ બજાવે. સારા શાસકો પડકારને પહોંચી વળી શકે એવા લોકોની મદદ લે. સારા શાસકો જોખી-તોળીને બોલે અને જે બોલે એને પાળે. આ સારા શાસકોના ગુણ છે. કેમે કરીને જવાહરલાલ નેહરુના સગડ ભૂંસી નથી શકાતા એનો જવાબ હવે મળી ગયો હશે. મોદીના ભારતને આજે નેહરુના ભારતનો સહારો લેવો પડે છે. આને કવિન્યાય ન કહેવાય?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 20 મે 2021

Loading

હાથીભાઈ ડાન્સ કરે ને સસલો પાડે ફોટા! એક વાંદરો, મનમાં-મનમાં, કરતો ગરબડ ગોટા!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|20 May 2021

હૈયાને દરબાર

ચકીબેન! ચકીબેન!
મારી સાથે રમવા
આવશો કે નહીં?

જેવાં રમતિયાળ બાળગીતોથી આપણા જીવનની શરૂઆત થતી હોય છે. એ પછી મા-બાપ સજાગ હોય તો વળી બીજાં ગીતો પણ સાંભળવા અને શીખવા મળે જેમ કે, પોપટ પાંજરામાં મીઠું મીઠું બોલે, એક બિલાડી જાડી, નાની સરખી ખિસકોલીબાઈ જાત્રા કરવા જાય અને હાથીભાઈ તો જાડા …! ઘરમાં થોડું વધારે સાહિત્યિક વાતાવરણ હોય તો રમેશ પારેખનાં ગીતો, એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો, બંને બથ્થંબથ્થા બાઝી, કરતાં મોટો ઝઘડો … કે પછી હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠા, લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠા …! જેવાં ગીતો ય જાણવા-માણવા મળે, પરંતુ ર.પા. પછી બાળગીતોને ક્ષેત્રે ખેડાણ પ્રમાણમાં ઘણું ઓછું થઈ ગયું હતું. હકીકતમાં તો, બોધકથા, પ્રાર્થના, કવિતા અને બાળગીતો ગમ્મતપૂર્વક શિખવાડવામાં આવે તો એનાથી બાળકમાં માનસિક ગુણો જેવા કે આત્મવિશ્વાસ, નીડરતા, એકાગ્રતા, સ્વયંશિસ્ત કેળવાય છે.

આજકાલનાં ટાબરિયાં તો મોબાઇલ ફોનની કાર્ટૂન ગેમ્સમાંથી જ મનોરંજન મેળવે છે. પોતાની આ નવી દુનિયામાં બાળકો એવી રીતે મસ્ત હોય છે કે ખાવા-પીવાની કે ભણવાની પણ દરકાર હોતી નથી. ખાસ કરીને ચાર દીવાલોમાં પુરાયેલા આજના શહેરી બાળારાજાઓનો કુદરત સાથેનો સંપર્ક – નાતો છૂટી રહ્યો છે એવા વાતાવરણમાં જામનગરના કવિ-ગઝલકાર કિરીટ ગોસ્વામી બાળગીતો ક્ષેત્રે અદ્ભુત કામ કરી રહ્યા છે. વ્યવસાયે શિક્ષક એવા કિરીટ ગોસ્વામીએ ગુજરાતની શાળાઓમાં આશરે ૧૨૦ જેટલા બાળસાહિત્યના કાર્યક્રમ કર્યા છે. ‘ક્યાં માને છે પપ્પા?’ ગીત સંગ્રહને ૨૦૧૪માં સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક તથા ‘ખિસકોલીને કમ્પ્યુટર છે લેવું!’ને ૨૦૧૬માં અંજુ નરશી પ્રથમ પારિતોષિક મળી ચૂક્યું છે. ગુજરાત કલા પ્રતિષ્ઠાન દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ એવોર્ડ, અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ (૨૦૨૧) રાજ્યપાલશ્રીના હસ્તે એમણે મેળવ્યો છે. ભારતીય વિદ્યા ભવન દ્વારા એમનું સન્માન થયું છે તથા મોરારિબાપુના અસ્મિતાપર્વમાં પણ એમણે બાળગીતો પ્રસ્તુત કર્યાં છે.

બાળવાર્તા-બાળગીતો વ્યક્તિગત તથા વ્યક્તિત્વ વિકાસમાં ખૂબ અગત્યતા ધરાવે છે. એટલે જ માતા એ બાળકની પ્રથમ શિક્ષક છે અને કિરીટ ગોસ્વામી જેવા સમર્પિત શિક્ષક બાળકને મળે તો એની કલ્પનાશક્તિ અને વિકાસમાં ઘણો ફરક પડી શકે છે.

ગુજરાતી બાળગીતોમાં અનેક કવિઓનું યોગદાન છે. ઊંટ કહે આ સભામાં…ના કવિ દલપતરામથી માંડીને ત્રિભુવન વ્યાસ, રમણલાલ સોની, સુંદરમ્, રમેશ પારેખ અને આધુનિક કવિઓમાં કૃષ્ણ દવેએ પણ બાળસાહિત્યને ન્યાલ કર્યું છે. આ પ્રવાહમાં એક નવું નામ કિરીટ ગોસ્વામીનું છે. સાહિત્યકાર યશવંત મહેતા કહે છે કે, "કિરીટ ગોસ્વામી ગુજરાતી ભાષાના અત્યાર સુધીના પાંચ શ્રેષ્ઠ કવિઓમાં એક છે. પંદરેક વર્ષથી તેઓ બાળકાવ્યો લખે છે અને આજની પેઢીને ગમે એવી અદ્ભુત કલ્પના એમનાં બાળગીતોમાં જોવા મળે છે. તેઓ માત્ર બાળગીતો લખતા જ નથી, ગામેગામની શાળાઓમાં જઈને બાળકો સામે પરફોર્મ પણ કરે છે.

પ્રમાણમાં નાની વયે મા-બાપનું છત્ર ગુમાવનાર કિરીટ ગોસ્વામી કહે છે, "મા-બાપનાં મૃત્યુ પછીના શૂન્યાવકાશે મને બાળગીતો લખવા પ્રેર્યો. પછી તો મને એવી મજા આવવા લાગી કે મારી કવિતામાં બિલ્લી, ખિસકોલી, ઉંદર, વાંદરો, પક્ષીઓ અને ચાંદ-તારા જેવાં પ્રકૃતિ પ્રતીકો તો આવે પણ આધુનિક ઉપકરણો અને શાળાએ જતા બાળકની વર્તમાન મનોસ્થિતિ પણ આવતી હોવાથી બાળકોને ખૂબ મઝા આવવા લાગી. બાળકો વચ્ચે રહેવાથી મન પણ આનંદમય અને પ્રવૃત્તિથી સભર રહેવા લાગ્યું. મારા આઠ બાળગીત સંગ્રહ પ્રકાશિત થયા છે જેમાં ‘એક એક ડાળખી નિશાળ’માં સુંદર પ્રકૃતિ કાવ્યો છે તો, ‘ક્યાં માને છે પપ્પા’માં આધુનિક બાળકોના મનની વાત છે. સર્વાધિક લોકપ્રિય સંગ્રહ ‘ખિસકોલીને કમ્પ્યુટર છે લેવું’માં તો પરંપરાગત વિષયમાંથી કવિતાઓ બહાર લાવી બાળકોને સમજાય અને ગમે એવી ભાષા હોવાને લીધે સૌથી લોકપ્રિય કાવ્યસંગ્રહ થયો અને ઈનામને પાત્ર બન્યો હતો. ‘હાથી ભાઈનું સ્કૂટર’ તથા ‘એક બિલાડી બાંડી’ સંગ્રહો પણ બાળકોએ ખૂબ વધાવ્યા છે.

હંમેશાં ટોપી પહેરતા આ કવિને ‘ટોપીવાળી મા’ અને ‘બાળગીતોના બાદશાહ’ જેવાં બિરુદ પણ અપાયાં છે. કિરીટ ગોસ્વામી વિશે લાભશંકર પુરોહિત કહે છે કે, "કિરીટ ગોસ્વામીએ ટૂંક સમયમાં પ્રસિદ્ધિ મેળવી હોવા છતાં એ મોટાઈનો મુગટ ઉતારીને બાળકો સાથે સહજ રીતે રહી શકે છે એ એમની વિશેષતા છે. તાજેતરનો એમનો સંગ્રહ ‘રીંછ ભાઈ તો રમ પમ પમ’ વિશિષ્ટ એ રીતે છે કે એમાં ક્યુઆર કોડ સ્કેન કરીને ગીતો સાંભળી શકાય છે અને બાળ કલાકારો એ હોંશે હોંશે ગાય છે. મીની માસી શીખે છે કમ્પ્યુટર … જેવાં ગીતો સાંભળી બાળકો ડોલી ઊઠે છે.

હાથીભાઈ તો ડાન્સ કરે ને સસલો પાડે ફોટા … જેવાં કેટલાંક ગીતો અમદાવાદનાં નમ્રતા શોધને સરસ કમ્પોઝ કરીને ગાયાં છે. એ ગીતોમાં જાત જાતની મજેદાર કલ્પનાઓ છે. કોઈના પર રખાય નહીં ખાર … તથા એકલા ખવાય? … જેવાં કેટલાંક ગીતો બાળકોને જીવન ઉપયોગી માર્ગદર્શન આપે છે. કિરીટ ગોસ્વામી ગઝલ પણ સરસ લખે છે તેમ જ ‘માતૃભાષા અભિયાન’ના સહયોગમાં બાળસભાનું આયોજન કરે છે. બાળકો એમાં જોડાઈને પોતાની કૃતિ પણ રજૂ કરી શકે છે. કિરીટભાઈએ કેન્સરગ્રસ્ત તથા અંતરિયાળ ગામડાંઓમાં જઇને બાળસભાઓ યોજી છે. એમની કવિતા ધોરણ ચાર અને પાંચમાં બાલભારતી ગુજરાતીમાં પણ લેવાઈ છે. કિરીટ ગોસ્વામી પહેલાં બાળક છે પછી સર્જક. બાળગીતો લઈને ખૂબ રખડે છે અને ભાષાનું ભણતર અને બાળકોનું ઘડતર કરે છે. એમની કવિતાઓમાં નાની નાની પંક્તિઓ હોવાથી બાળકોને આસાનીથી યાદ રહી જાય છે. વધુ કંઈ ન કહેતાં એમની સરસ મજાની કવિતાઓમાં જ લટાર મારીએ તો વધારે મજા આવશે. તમારા ઘરમાં બાળકો હોય તો જરૂર આ બધાં ગીતો સંભળાવજો, કારણ કે માતૃભાષા દ્વારા જ વિશ્વભાષા અને બાહ્ય જગતની બારી ખૂલે છે. અહીં કેટલાંક મજેદાર બાળગીતો મૂક્યાં છે એની મજા માણો. આમાંનાં અમુક ગીતો નેટ પર કદાચ સાંભળવા મળી શકે. આ બધાં ગીતો કિરીટ ગોસ્વામીએ લખ્યાં છે અને જુદી જુદી રીતે સ્વરબદ્ધ થયાં છે.

રીંછભાઈ તો રમ પમ પમ રમ પમ પમ …!
ચાલે કેવા ધમ ધમ ધમ ધમ ધમ ધમ …!
નાની સરખી પૂંછડી,
એના કાન ટૂંકા-ટૂંકા!
સામે જે કોઇ આવે,
એના બોલાવી દે ભુક્કા!
મધ મળે તો જમ જમ જમ જમ જમ જમ!
રીંછભાઈ તો રમ પમ પમ રમ પમ પમ …
રીંછભાઈને વ્હાલી લાગે
નાની શી ખિસકોલી!
ખિસકોલીનું નામ લાડકું
રાખ્યું એણે ડોલી!
ડોલી નાચે છમ છમ છમ છમ છમ છમ!
રીંછભાઈ તો રમ પમ પમ રમ પમ પમ …

*****

એક … બે ને અઢી!
મમ્મીએ પીરસી છે મનગમતી કઢી!
કઢી પીવાને આવશે કાગડો …
બાબુ બીવડાવશે બની એને બાઘડો …
બાઘડાની ઢીલીઢપ ખેંચીશું ચડ્ડી!
એક … બે ને અઢી …
બિલ્લીની આંખોમાં ટમટમતા તારા!
બધાથી ખૂબ મારા દાદાજી પ્યારા!
દાદીમા વ્હાલ કરે, ખોટું-ખોટું વઢી!
એક … બે ને અઢી …!

*****

આ હાથીભાઈને મોજ …
ના સ્કૂલ જવાની ચિંતા, ના હોમવર્કનો બોજ!
જંગલ-જંગલ ફરવાનું
ને ઘાસ લીલુંછમ ચરવાનું …
ના મમ્મીની રોકટોક
કે ના પપ્પાથી ડરવાનું …
ના સ્પેલિંગ પાક્કા કરવાના,
નહિ લખવાની નોટ …
તો ય કદી ક્યાં કોઇ
કહે છે હાથીભાઈને ઠોઠ?
ને હું મસ્તી સ્હેજ કરું તો ટીચર ખીજે રોજ!
આ હાથીભાઈને મોજ …
હાથીભાઈને સૂંઢ-ફુવારો,
મને બાલદી કાં નાની?
તળાવ આખું ડહોળે
તોયે કોઇ કહે ના તોફાની!
ફાવે ત્યારે રમી શકે
એ ફાવે તેવી ગેમ …
મને ય થોડું જીવવા દોને
હાથીભાઈની જેમ!
પીછો કાં ના છોડે દફતર ને નોટોની ફોજ?
આ હાથીભાઈને મોજ …

*****

આ હોમવર્કનો દરિયો …
માણસખાઉ કોઇ રાક્ષસની
ફાંદ સમો વિસ્તરિયો!
આ હોમવર્કનો દરિયો …
જાડા-પાડા આ દરિયાનાં
મોજાંનો નૈ પાર …
ટીચર કહેતા – ગમે તેમ જાવાનું
સામે પાર …
મથું રાત-દી’ તો ય મળે ના
આ દરિયાનો તાગ!
જરાક ઝોકે ચડું, ત્યાં તરત
મમ્મી કહેતી – ‘જાગ!’
નાના એવા દફતરમાં
છે ભાર ગજબનો ભરિયો!
આ હોમવર્કનો દરિયો …
ચાંદામામા! તમે જ કહોને
આનો ઉપાય શું?
મજા ન આવે એવું ભણતર
કાયમ ભણાય શું?
એવો દરિયો શું ખંખોળે:
જેમાં ના હો મોતી!
મારે આ ગોખણપટ્ટીની
થી હોડકી જોતી!
છે ફરિયાદી મારી જેમ જ:
કાનો, કુલદીપ, હરિયો!
આ હોમવર્કનો દરિયો …

*****

નાની-શી ખિસકોલી
હું નાની-શી ખિસકોલી,
હું જાગું વ્હેલી-વ્હેલી!
હું ચિક ચિક .. ચિક ચિક .. બોલું
કવિતાઓ સાવ સ્હેલી!
હું સ્કૂલે જાઉં દોડી,
લઇ દફતર નાનું-નાનું!
હું લેસન કરતી ઝાઝું,
ને વાત ટીચરની માનું!
આ લીમડાભાઈની ડાળે,
હું કાયમ કરતી સ્કેટિંગ!
હું કમ્પ્યુટર ખોલીને
કરું કાબર સાથે ચેટિંગ!
હું ડાન્સ કરું મનગમતા
ને ડાઇવ મારું મોટી!
કોઇ ‘નટખટ’ કહી બોલાવે,
કોઇ કહે લાડથી ‘ગોટી’!
હું વાત હવાથી કરતી,
હરખે દઇ-દઇને તાલી!
હું સૌને ઘેર જાતી;
હું સૌને વ્હાલી-વ્હાલી!

*****

કીડી માગે કેક …
કાયમ કીડી માગે કેક!
કેક જરા દેખે ને ત્યાં તો કરતી ઠેકમઠેક!
રોજ કેક ખાવાનાં એ તો શોધ્યા કરતી બ્હાનાં,
ઘડીએ-ઘડીએ યાદ કરે છે બર્થ-ડે બધ્ધાનાં,
કેક ભાવતી એવી કે ના મન પર લાગે બ્રેક!
કાયમ કીડી માગે કેક …
પપ્પા લાવે ગુલાબજાંબુ, મમ્મી લાવે લાડુ …
કીડીને તો કેક જ ભાવે; રિસાઇ જુએ આડું …
ગમ્મે ત્યાંથી પકડી પાડે, કેકની મીઠી મ્હેક!
કાયમ કીડી માગે કેક …!

*****

મીની માસી શીખે છે કમ્પ્યુટર …
સાવ ઠોઠડા રહી જવાનાં ઉંદર અને છછુંદર!
ખૂબ ઝડપથી ટાઇપ કરે છે
હરખે મ્યાઉં-મ્યાઉં!
નથી માઉસને કહેતાં
– તન્ને ખાઉં-ખાઉં-ખાઉં!
ખૂબ કરે છે મહેનત, છોડી પહેલાં જેવી નીંદર!
મીની માસી શીખે છે કમ્પ્યુટર …
ફેસબુકમાં ફોટા મૂકે,
રોજ-રોજ મનગમતા!
પપ્પુભાઈની સાથે
કેવા ગેમ હોંશથી રમતાં!
સિંહરાજથી આગળ નીકળી, લાવે પેલો નંબર!
મીની માસી શીખે છે કમ્પ્યુટર …
હાથીભાઈ ડાન્સ કરે
ને સસલો પાડે ફોટા!
એક વાંદરો, મનમાં-મનમાં,
કરતો ગરબડ ગોટા!
ખિસકોલી મોબાઈલ લઇને
પહોંચી રીંછ પાસે …
ગૂગલ ખોલી, ક્યે કે –
"આમાં મધપૂડો દેખાશે …
રીંછ કહે – "મોઢામાં પાણી,
લાવ નહીં, તું ખોટા!
એક વાંદરો, મનમાં-મનમાં,
કરતો ગરબડ ગોટા!
કીડીબાઇના કમ્પ્યુટરમાં,
માઉસ કરે છે લોચા!
બિલ્લી કયે – "એના પર મૂકું
પગ આ મારા પોચા!
આગળ માઉસ, પાછળ બિલ્લી …
થૈ ગ્યા દોટમદોટા!
એક વાંદરો, મનમાં-મનમાં,
કરતો ગરબડ ગોટા!

•   કવિ : કિરીટ ગોસ્વામી    •   સ્વરાંકન-ગાયન : નમ્રતા શોધન

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 20 મે 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=691031

Loading

...102030...2,0012,0022,0032,004...2,0102,0202,030...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved