Opinion Magazine
Number of visits: 9456441
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સીધીકભાઈ તમને આ છેલ્લા સલામ …

રમજાન હસણિયા|Opinion - Opinion|3 April 2025

સીધીકભાઈ

ગઈ મધરાતે અબ્દુલનો ફોન આવેલો જોઈ ધ્રાસ્કો પડ્યો.  સામેથી ધ્રુજતા અવાજે અબ્દુલે કહ્યું, ‘સાહેબ , પપ્પા રજા કરે વ્યા !’ અચાનક જ એક સાવ પોતીકા સ્વજન સાથેનો સંગ છૂટી જતાં અનુભવાતો શૂન્યાવકાશ બંને તરફ છવાઈ ગયો. ફોન તો પૂરો થયો પણ આંખ બંધ થવાનું નામ ન્હોતી લે’તી. આંખ સામે એક સામટા સાવ અજાણ્યા જણમાંથી પોતીકા સ્વજન બની ગયેલા સીધીકભાઈ દેખાતાં રહ્યાં .. મન અતીતના એ સઘળાં ખૂણા ફરી આવ્યું કે જ્યાં જ્યાં એમનો ભેટો થયેલો.

સાવ પહેલી વખત વિદ્યાર્થીઓની જાન લઈને અમે ગામડાં ખૂંદવા નીકળેલાં ને અબ્દુલના ઘરે જમવા ધામા નાખેલા ત્યારનું તેમનું પ્રથમ દીદાર આંખ સામે આવી ગયું. અબ્દુલના પરિવારે બહુ જ પ્રેમથી લાડુનું જમણ બધાને કરાવેલું. એ ઘર, એ આંગણું, એ ખાટલા પર બેસવું, એ આનંદની છોળો ને રકાબીમાં પીવાતી ચાની ચુસ્કીઓ – બધું હજુ એકદમ તાજું છે. આ બધી વેળાએ એમનો સ્મિત વરસાવતો ચેહરો. ઓછું બોલે પણ મજાનું બોલે. 

પછી તો અબ્દુલ એવા પોતીકા થઈ ગયા કે સોનટેકરી રહેવા જ આવી ગયા. એમના આખા ઘરને માટે હું અબુકાકાનો સાહેબ. એટલો પ્રેમ ને આદર આપે કે મને સંકોચ થઈ આવે. અબ્દુલના જીવનના દરેક પ્રસંગે ઘરના સભ્ય જેમ સહજ હાજર રહેવાનું થયું. અબ્દુલના લગ્ન મારી ચૂંટણીની ડ્યુટીને કારણે પરિવારે એક દિવસ પાછળ કરી દીધેલ. ચૂંટણીની ડ્યુટી પૂરી કરીને અડધી રાતે હું ગેડી પહોંચેલો ને પછી સવાર સુધી બધા સાથે નાચેલો. એ લગ્નમાં જાણે મેં જ અબ્દુલને ભણાવી ગણાવીને મોટો કર્યો હોય તેમ જે મળે એમને મારો પરિચય કરાવી સીધીકભાઈ ફૂલ્યા ન્હોતા સમાતા. તેમની તબિયત ત્યારથી જ નબળી પડવા લાગી ગયેલી. અબ્દુલ એમની સાથે ફોટો પડાવતી વખતે આંખમાં પાણી ભરી ગયેલા ને પછી કચરો પડી જવાનો ડોળ કરીને પોતાનું દુઃખ છુપાવી લીધેલું. અબ્દુલની તીવ્ર સંવેદનશીલતા મેં વર્ગથી માંડીને જીવનની આ નાજુક ક્ષણ સુધી અનુભવી છે. 

વસુંધરાની વાણી ગેડીમાં ગોઠવેલી તે રાતે હું અબ્દુલના ઘરે જ રોકાઉં એવો એમના આખા ઘરનો પ્રેમાગ્રહ હતો. અમારી સાથે વાણીનો આનંદ લેવા પણ તેઓ આવેલા ને ઘરે મારી નાની નાની કાળજી લેતાં એમણે પોતાની પાસે જ મારી પથારી કરાવેલી. બીજી સવારે સીધીકભાઈ, એમના પત્ની ને હું એમનાં નાનકડાં રાંધણિયામાં બેઠેલાં. શિયાળાની સવારે ચૂલા પાસે હાથ શેકતા અમારી પાસે બા ચા  બનાવી રહ્યાં હતાં. ચા પીતાં પીતાં એમણે જે વાક્ય કહેલું એ મારે મન બહુ મોટું વિધાન હતું. એ બંને દંપતીએ સહજભાવે એવું કહ્યું કે, ‘અમે અબ્દુલને કહ્યું છે કે અમારું ઘડપણ પાડવા તો બીજા ત્રણ દીકરા ને આટલા બધા પોતરા છે, તું અમારા તરફથી મુક્ત છો, તારે સાહેબના દીકરા બની એમનું ઘડપણ પાડવાનું છે.’ અબ્દુલ તમને સાંપ્યો એવા વાક્ય તો તેઓ ઘણીવાર બોલેલા પણ આ વિધાનમાં એમના મા-બાપ તરીકેના દિવ્ય ત્યાગની અનુભૂતિ મને થયેલી. હું તો સ્તબ્ધ જ થઈ ગયેલો કે કોઈ વાલી શિક્ષકને આ કક્ષાએ પણ ચાહી શકે ? પોતાના સૌથી વધુ ભણેલા, ગણેલા હોનહાર દીકરાને આટલો સહજ રીતે કોઈનો કરી શકે ? ગામડાના તદ્દન સામાન્ય દેખાતાં આ સીધીકભાઈ ને તેમના પત્ની તે ક્ષણે મારા હૈયાના એવા ઊંચા આસને બેસી ગયેલાં કે જ્યાં ભાગ્યે જ કોઈ પહોંચી  શકે !

સીધીકભાઈની ઉદારતા માત્ર મારા જેવા સુધી સીમિત ન્હોતી. ગામમાં આવતા નવા શિક્ષકો, કોઈ અન્ય કર્મચારીઓ બધાને એમનું ઘર પોતાનું જ લાગે. બધાને ખવડાવે, પીવડાવે ને લ્હેર કરાવે. કેટલા ય ઘરવિહોણાને એમણે સાચવ્યા હશે. એમનો સર્વ ધર્મ પ્રત્યેનો લગાવ ને આદર પણ એવો. અમે ગેડીમાં હિંગળાજ માતાજીની શરણમાં પૂનમસભા કરેલી એમાં તેઓ ખાસ આવેલા ને આગળ જ બેઠેલા. નાતજાતના વાડાથી તેઓ જોજનો દૂર હતા. પોતે નેક નમાજી ને ધર્મને સાચી રીતે સમજવાવાળા.

અબ્દુલ સાથે સોનટેકરી પણ આવી ગયેલા. એમને સંસ્થાનું વાતાવરણ બહુ ગમતું. અબ્દુલ મારી સાથે હોય ત્યારે તેઓ સંપૂર્ણ નચિંત રહેતા. અબ્દુલના લગ્નમાં હું સતત એમની સાથે હતો. દીકરો પરણાવવાની ખુશી બંને એકબીજાની આંખોમાં વાંચી રહ્યા હતા. 

પ્રેમાળ પિતા, વત્સલ દાદા ને સૌના પ્રિય એવા સીધીકભાઈને વર્ષો પહેલાં ટી.બી. થયેલો, એની અસરથી  કે અન્ય કોઈ કારણથી એમનું એક ફેફસું બહુ જ ખરાબ થઈ ગયેલું. ક્યોર થવાનો કોઈ ચાન્સ ન્હોતો. પણ તેમ છતાં એમના બાળકોએ સારવારમાં કોઈ કસર ન મૂકી. સારામાં સારા ડોક્ટરને બતાવ્યા. જ્યાંથી સારી સારવારની વાત મળે ત્યાં લઈ જાય. મને ખબર પડી એટલે મિત્ર ડોક્ટર નવુભા સોઢાને બતાવવા લઈ ગયા. હું સાથે ગયો. મારા સાથે હોવા માત્રથી એમના જીવમાં જીવ આવી ગયેલો. મારા જાણીતા ડૉક્ટર છે એટલે એમને સારું થઈ જશે એવી એમને શ્રદ્ધા. અમે પણ હસતા હસાવતા ને વાતો કરતા ગયા ને એ હળવાશ એમને સ્પર્શી ગઈ. અબ્દુલ કહે, ‘સાહેબ, પપ્પાએ બહુ મન પર લઈ લીધું છે, સરખું ખાતા પીતા પણ નથી. તમે કહેશો તો એ માનશે.’ બન્યું પણ એવું નવુભા સાહેબની દવા પણ કામ આવી ને થોડી અમારી સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ પણ. એ દિવસે મસ્ત હોટેલમાં જમ્યા. ધીરે ધીરે ચાલતા પણ તેઓ આવ્યા. વળતે તો ગીતો ને રાસડા ગાતાં ગાતાં આવ્યા. તબિયત સુધરી પણ ખરી. પણ સમય જતાં એમાં અપડાઉન આવ્યા કર્યું. અબ્દુલે પિતાની સેવા માટે નોકરી પણ છોડી દીધી. પિતાથી અગત્યનું બીજું શું હોય ? એમ કહેતાં એ દીકરા પરનું માન ઓર વધી ગયેલું. પણ અબ્દુલની ચિંતા કરતાં તેમણે મને ફોન કરેલો. ‘સાહેબ અબ્દુલ કાંઈ કામ નથી કરતો, તમે કંઈક સમજાવો.’ એમને રાજી કરવા ફોન પર મેં અબ્દુલને લાંબુ ભાષણ પણ આપ્યું. પણ છેલ્લે તેમને મળવા ન જઈ શકાયું એનો અફસોસ સદાય રહેશે. તેઓ તો એટલા પ્રેમાળ પિતા કે પરિવારની ઈદ પણ ન બગાડી. બધાએ ઈદ માણી લીધી એના બીજા દિવસની રાતે એક વાગે પોતાનું આયુષ્ય સંકેલાતું જોઈ બધાને પાસે બોલાવી લીધા. ને પોતાની લીલી વાડીને આંખ સામે જોઈ નિરાંતે ચિરનિદ્રામાં પોઢી ગયા. 

જનાજામાં એમના અંતિમ દીદાર કરતી વેળાએ પાસે બેઠેલા અબ્દુલને હું આશ્વસ્ત કરી રહ્યો હતો, પણ હું પોતે અંદરથી ધ્રુજી રહ્યો હતો આવા વત્સલ સ્વજન ગુમાવીને. એમને કાંધ આપતી વેળા એમના પિતૃત્વને પણ ખભ્ભે લઈ લીધું. 

મારી એમને એ જ અંજલિ.

સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સંગાથનું સુખ !

રમજાન હસણિયા|Opinion - Opinion|3 April 2025

કુદરતને આપણી ઉપર વ્હાલ વરસાવવાનું મન થાય તો શું કરે ? એ સ્વજનોનું રૂપ લઈને ઘરે આવી જાય ! હેત વરસાવે, સાથે જમે, ઊઠે , બેસે ને વાતાવરણ ભર્યું ભર્યું કરી દે ! 

મારા પ્રિય કવિ વંચિત કુકમાવાલાની મારી અત્યંત પ્રિય કવિતા આ વાતની હામી ભરે છે. ‘મારી હરિ ખોલશે ડેલી’ કવિતામાં તેઓ લખે છે કે : 

હરિ હાથ પકડીને અમને ઘર વચ્ચે લઈ જાશે,

રાંધણિયામાં મારી સાથે મારા જેવું ખાશે,

આડા પડશે ખેંચી લેશે મારી ચાદર મેલી …

મારી હરિ ખોલશે ડેલી ..

સમી સાંજના આંગણ વચ્ચે આટા પાટા રમશે,

મને જીતાડી દેશે પોતે હાર બધીયે ખમશે,

સ્હેજ મલકશે ને ઘર થાશે આપોઆપ હવેલી …

મારી હરિ ખોલશે ડેલી ..

આપણા ઘરે પણ હરિ આવું જ કંઈક કરવા થોડા સ્વજનોનું રૂપ લઈને આવી ગયા ! ૨૩મી તારીખની સવારે સૂર્ય મહારાજના સોનેરી કિરણો સાથે ધીમે ધીમે આવતી એક ટ્રેન આ દેવદૂતોને મુંબઈથી સામખિયારી લઈ આવી. સ્ટેશન પર જ મિલનનાં દૃશ્યો આસપાસના લોકો માટે કૌતુકનું કારણ બની રહ્યાં. એક એક જણ પ્રેમના છલકાતાં સાગર લઈને ઊમટી પડ્યા હતા. પ્રથમ સ્પર્શે જ એમની ભીતરની ભીનાશ મને ભીંજવી ગઈ. નિયામત અઠવાડિયા અગાઉથી તૈયારીમાં ઘર સરખું કરી રહી હતી. આગલી સાંજે એણે આખ્ખું આંગણું વાળીને સજ્જ કરી દીધેલું. ઘરમાં હાજર હોય એવાં ધૂળેટીનાં વધેલાં રંગોથી બાળકોએ મનમાં આવી એવી નાની નાની રંગોળીઓ કરી દીધેલી. સવારના પહોરની ઠંડકમાં સ્વજનોના પ્રેમની ભીનાશ અનુભવતાં અનુભવતાં વાતોના વડા ઉતારતા ઉતારતા ક્યારે નીલપરનું આંગણું આવી ગયું એની ખબર જ ન રહી.

બધા આવીને ઘરની નાનકડી વ્યવસ્થાઓમાં ગોઠવાયા. મુકતાબહેન અને નકુલભાઈએ  બીજા પણ બે ઘરની વ્યવસ્થા કરી આપેલી, એટલે કેટલાંક સ્વજનોની અનુકૂળતા ત્યાં સરસ સચવાઈ. પણ એ ઓરડા તો ન્હાવા ધોવા કે સૂવા પૂરતા જ. બાકી તો આપણું ઘર જ મુખ્ય થાણું બની રહ્યું. 

સંગાથનું સુખ બહુ મોટું સુખ છે. ગત નવ દિવસ આ સુખ પેટ ભરીને મેળવ્યું. બે સાંજ થોડું આસપાસની જગ્યાઓએ ભ્રમણ કર્યું. એક દિવસ બાદરગઢના મીની ગિરનારની પરકમ્મા કરી તો બીજા દિવસે દેવલમાની નિશ્રામાં અલખ ઘણી આશ્રમે ટીન્ડલવા જઈ આવ્યાં. બંને દિવસે સંધ્યાના રંગો ને અસ્ત થતાં સૂરજનું સૌંદર્ય સૌએ માણ્યું, પણ અમને તો એની સાથે પ્રેમના સૂર્યનો ઉદય પણ અનુભવાયો. સંધ્યા આરતીનો સહજ લાભ સૌને મળ્યો ને સાથોસાથ ભજનનું ભોજન પણ લીધું. ઉડતાં પોપટને જોવાની મજા, ટેકરીએ ચડવાની મજા, ગુફામાં ઉતરવાની મજા, ખુલ્લી ગાડીમાં ગીતો ગાવાની મજા ને આસપાસ આવતાં ઝાંખરાથી બચવા એકબીજાના ખોળામાં પડી જવાની મજા સૌએ લીધી. જગ્યાઓ તો સરસ હતી જ પણ એને વધુ સુંદર બનાવી રહ્યો હતો સૌનો પ્રેમલ સંગાથ !

રોજ સવારે આંખ ખૂલે ત્યારે લીમડાની મઘમઘતી સુગંધને નાકમાં ભરવા ને સવારની તાજપને ભીતર ભરી લેવા બધાં નીકળી પડતાં. સાંજ થાય એટલે ફરી એ જ ભ્રમણ ! નિયામત ને હું  અમારા નિત્યક્રમમાં હોઈએ પણ આ તો ઘરનાં જ સ્વજનો એટલે મન પડે ત્યાં ફરવા જાય. ક્યારેક કોઈની વાડીએ જતા રહે તો ક્યારેક સેતુર ખાવા જતા રહે. ક્યારેક તળાવ તો ક્યારેક અમસ્તા પરિસરમાં ભ્રમણ કરી આનંદ લૂંટી લે એવા આ ચતુર લૂંટારા ! એકાદ દિવસ દેરાસર જઈ આવ્યા, બાકી કોઈપણ પ્રકારની આમતેમ દોડાદોડ વગર બસ નિરાંતે રહ્યાં સૌ સંગાથે. 

ઘરનો હોલ સતત ધબકતો રહ્યો. વાહ  ! વાહ ! ના નાદથી. આનંદની છોળો સતત ઉછળતી રહી. પરીક્ષાના દિવસો હતા એટલે હું થોડો રોકાયેલો રહ્યો, પણ એમાંયે મારા કોલેજના સૌ સાથી મિત્રો ને આચાર્યશ્રીએ બને તેટલી અનુકૂળતા કરી આપી. વહેલી સવારથી મોડી રાત સુધી બસ, ચોતરફ પ્રેમની વર્ષામાં ન્હાવાની મજા પડી. કુદરત પણ એટલી રાજી કે એણે વાતાવરણમાં ઠંડક વધારી દીધી. બધું અનુકૂળ અનુકૂળ જ થતું ગયું. ટેટી ને કલિંગર ખાવાની મજા પડી. ગરબા રમવાની મજા. બધા બોક્સ ને થેલા ભરીને લાવેલા તે મુંબઈ, પુનાનો નાસ્તો ઝાપટવાની પણ મજા પડી. 

બસ લીલા લ્હેર જ સમજોને !

આવેલાં વડીલોમાં એક સરોજબહેન નામે ૮૬ વર્ષના દાદી હતાં, એકટાણું જ કરે. બપોરે જ જમે, બાકી અમને જમાડે. ૮૬ વર્ષે એટલી સ્ફૂર્તિ કે જુવાનને પણ શરમાવે. પણ ક્યાં ય ધર્મ કરતાં હોવાની સભાનતા નહિ. અમે ઊઠીએ એ પહેલા ઊઠી પોતાનું પ્રતિક્રમણ, સામાયિક કરવા બેસી જાય. સરસ વાંચે ને રાતે બધા થાકી જાય ત્યારે અજબ ગજબની શબ્દ રમતો રમાડી બધાને ફરી તાજા માજા કરી દે. કોઈ આગ્રહ નહિ, કોઈ ડિમાન્ડ નહિ. એમનું હોવું અનુભવાય જ નહીં એટલા હળવા. તો જયંતભાઈ અને જ્યોતિબહેન જેવા પ્રેમાળ દંપતીની તો શી વાત કરવી ! જ્યોતિબહેન સવારે વહેલા ઊઠીને ધ્યાન કરવા બેસે ને ઓરડો સાધનાખંડમાં ફેરવાઈ જાય. એમને ધ્યાનમાં બેઠેલા જોવાનું સુખ આંખોને મળ્યું એ પણ એક ધન્યતા જ. રસોડાનાં કામમાં ચુપચાપ ગોઠવાઈ જાય. ઓછું જમે ને વધુ જમીએ એવી રસોઈ બનાવે. ખાસ તો રોટલી એવી સરસ કે જાણે ખાધા જ કરીએ. તો જયંતભાઈનું હોવું જ સાધુતાનું હોવું લાગે. એમનું ભીતરનું ઊંડાણ તાગ ન મળી શકે એવું. બધી વસ્તુને વિધાયક નજરથી જોતા આ સ્વજનને અમે બધા ગાંધીજી કહીને બોલાવીએ. કિરણભાઈ, ભુવનચંદ્રજી મહારાજ આદિ પાસે એમની ચેતના ઘડાઈ છે, ખૂબ ભીતરી ઉઘાડ એટલે હાથ વારંવાર એમના ચરણ ભણી લંબાઈ જાય. જે હોય એમાં રાજી રહેનારા, ચુપચાપ સેવાનાં મોટાંમોટાં કામ કરનારા ને અહીં આવીને દૂધ લેવા પણ જાય ને અમને ઠંડુ પાણી હાથમાં આપે એવા આ સ્વજન ! ખબર ન પડે તેમ દૂધના કૂપન લઈ આવે ને સંસ્થાને પણ માતબર દાન આપી મોટો ટેકો કરી જાય. ચહેરા પર સ્મિત પણ ખરું ને ભીતર ગંભીરતા પણ ખરી. હસે, હસાવે ને જલસા કરાવે. 

કીર્તિદાબહેન સાવ બાળક જેવાં, ભોળાં, નિર્દોષ. એમના તો કુંજબાળા, કુંદનબાળા જેવા કેટલાં ય નામો પાડ્યાં ને આનંદ કર્યો. ભારતીબહેન પણ એવા જ ભાવથી ભર્યાં ભર્યાં. એમણે બાળકોને કુલ્ફી ખવડાવીને જલસો કરાવ્યો. ત્રણેક વખત કુલ્ફીની મજા બાળકો સાથે સૌએ લીધી. ભાઈ ગૌરવે મોકલેલી નવી કુર્તીઓ સંસ્થાની બધી દીકરીઓએ ઈદના દિવસે જ પહેરી ને રાજી રાજી થઈ ગઈ. બધાં સ્વજનોને સંસ્થા માટે ભાવ એટલે ચુપચાપ દાનની રકમ નકુલભાઈના હાથમાં પહોંચાડી આવે. દીકરી કિંજલ અને મિહિરના નાનકડા રાજકુમાર નિરાગના જન્મની ખુશીમાં તેઓ ગાયોને લાડુ ખવડાવે, પક્ષીઓને ચણ નખાવે, કૂતરાને રોટલાં અપાવે ને આ બધા એ કામ સ્વહાથે કરી એનો આનંદ લે. મનસુખદાદાને લોનાવાલા બેઠે બેઠે પાનુમાની સ્મૃતિમાં કુલ્ફી ખવડાવવાનું મન થાય ને બાળકોને જલસા થઈ પડે. 

આ આનંદમંડળીમાં સાથે એક તેંત્રીસેક વર્ષનું બાળક પણ આવેલું. કેવલ એનું નામ. બહુ મજાનો. ગોલુ મોલુ. બરાબર ખાવા મળે એટલે રાજી. બસ ખાવું, પીવું, હમ સાથ સાથ હૈ ફિલ્મ જોવી ને સુઈ રહેવું એ એના ગમતાં કામ. પણ મારા પર એને બહુ ભાવ. મને સગો ભાઈ માને. ને ‘બોલ ભાઈ બોલ’, ‘બિન્દાસ બિન્દાસ’ જેવા શબ્દો બોલી મજા કરાવે. એના મોટા પેટ સાથે રમવાની, એની સાથે વાતો કરવાની બહુ મજા પડે. એની સાથે ડાન્સ કરવાની પણ એક અનોખી મજા. આવા વિશિષ્ટ બાળકના ઉત્તમોત્તમ મા-બાપ એટલે ભાવનાબહેન અને મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ તારક મહેતાના ચંપકચાચા જેવા લાગે એટલે એમને અમે પહેલેથી બાપુજી જ કહીએ. બાપુજી ને ભાવનાબહેન દેખાવે સાવ સાદા સીધા લાગે. પગમાં ચંપલ પણ જરૂર ન હોય તો ન પહેરે એવા. ટ્રેનમાં સ્લીપર કોચમાં મુસાફરી કરે, ઘરમાં પણ ખપ પૂરતું જ રાચરચીલું. પણ બીજાનું દુઃખ સ્હેજે ન જોઈ શકે એવા. મેં કોઈની પણ મદદ માટે ટહેલ નાખી હોય તો એમનો મદદની રકમનો આંકડો કાયમ મોટો હોય. ક્યારેક તો મારે રોકવા પડે એટલા ભાવવિભોર થઈ જાય. પોતે બહુ જ સાદગીથી રહે ને બીજા માટે ખરચતા સ્હેજ પણ ન અચકાય. મોટી મોટી મદદ કોઈને ખબર ન પડે તેમ કરે. ભાવનાબહેન પણ અંદરથી એકદમ સુલઝેલ વ્યક્તિ. તરત આંખ ભીંની થઈ જાય એવા ભર્યાં ભર્યાં. કેવલની વિશેષતાઓનો સ્વીકાર ને એની વિશેષ કાળજી જ આ બંનેની મોટી સાધના. બંનેને  બાળકો બહુ ગમે. બાપુજી મીઠી આંબલી ઉતારવા મથતા કોઈ બાળકની મદદે દોડી જાય તો ભાવનાબહેન પણ છોકરીઓના ચોટલા વાળવા લાગી જાય ને નિયામતને કમ્પની આપવા પગપાળા પ્રવાસમાં પણ જાય. 

બધાં એવાં કે એક એક વ્યક્તિ નોખું વ્યક્તિચિત્ર માંગી લે; પણ આ તો એક આછી પીંછીએ કરેલું લસરકું જ ગણજો.

આવા સ્વજનો નવ દિવસ અકારણ સાથે રહેવા આવે, સાવ સહજ સાથે રહે, સતત પ્રેમ વરસાવે ને રમઝાન મહિનામાં અલ્લાહ પાકની રહેમત ઉતરી આવ્યાનો અનુભવ કરાવી ઈદની સાંજે ભેટી ભેટીને ભીતર ભરી દઈ વિદાય લે, એ પહેલાં દીકરીઓને ક્યારે ય ન મળી હોય એટલી મોટી ઈદી આપી જાય અને અમને એથીયે મોટી પ્રેમની ઈદી આપી ધન્ય કરી જાય.

કહે છે કે રમઝાન મહિનામાં અલ્લાહના ફરિસ્તા ઘરે આવે છે ને ઘરને ખુશીઓથી  ભરી દે છે. અમને તો આ રમઝાન મહિનામાં અલ્લાહે એનો પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો. બસ, પરસ્પરનો આ પ્રેમ ચોતરફ વિસ્તરો, નફરતોની દીવાલો ઓગળી જાઓ ને પ્રેમનો સાગર છલકાઈ જાઓ. 

આમીન … આમીન .. આમીન.

સાધુ … સાધુ …. સાધુ …

સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

શું સરકાર જેલના વડાને જેલમાં પૂરશે?

રમેશ સવાણી|Opinion - Opinion|2 April 2025

રમેશ સવાણી

‘સ્વમાન’ યૂટ્યુબ ચેનલે, 31 માર્ચ 2025ના રોજ, ગોંડલની ગુંડાગીરી અંગે રાજુ સખિયાનો ઈન્ટરવ્યૂ લીધો છે; તે સરકાર અને નાગરિકો માટે આંખ ખોલનારો છે. તેમાં જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાના ગુનાહિત ઇતિહાસનો પર્દાફાશ કર્યો છે. પોલીસ કઈ હદે ગુલામ બની ગઈ છે તેનો ચિતાર મળે છે. ગુંડાઓનો જન્મ કઈ રીતે થાય છે? ગુંડાઓને પોલીસ અધિકારીઓ / મામલતદા ર/ SDM – સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ / જેલના વડા કઈ રીતે મોટા બનાવે છે તે જોઈએ :

15 ઓગષ્ટ 1988ના રોજ, ગોંડલની સંગ્રામસિંહજી હાઇસ્કૂલ ખાતે ગોંડલના ડેપ્યુટી કલેક્ટર અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જે.પી. દવે દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજેલ. તેમાં તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયા દેવની બાજુમાં બેઠા હતા. તે સમયે અનિરુદ્ધસિંહ જાડેજાએ પોપટભાઈની ગોળી મારી હત્યા કરી. SRPFના મદદનીશ સેનાપતિ ઝાલા; પોપટભાઈ સોરઠિયાની ડાબી બાજુ બેઠા હતા, તેમણે અનિરુદ્ધસિંહને ભાગતો જોયો. તેણે તરત જ અનિરુદ્ધસિંહને પકડી લીધો. અનિરુદ્ધસિંહે પોતાની પિસ્તોલ ફેંકી તે SRPના અધિકારી આઈ.બી. શેખાવતે સુરક્ષિત કરી. TADA – Terrorist and Disruptive Activities (Prevention) Act, 1987ની કલમ-3/ 5, આર્મ્સ એક્ટની કલમ 25(1)(a), IPC કલમ-302/ 114 હેઠળ અનિરુદ્ધસિંહ તથા નિલેશકુમાર મનસુખલાલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. 

જેમ ગુંડાઓ સામેના કેસમાં સાક્ષીઓ ફરી જાય છે તેમ આ હત્યા કેસમાં પણ થયું. હત્યાને નજરે જોનાર પણ hostile થઈ ગયા ! ટ્રાયલ દરમિયાન, 45 સાક્ષીઓ ફરી ગયા. ડેપ્યુટી કલેક્ટર અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જે.પી. દવે ફરી ગયા ! નગરપાલિકાના ચીફ ઓફિસર ડી.પી. તરૈયા ફરી ગયા ! સ્થાનિક ડોક્ટર વી.પી. સોજીત્રા અને મામલતદાર ફરી ગયા ! તેથી ટ્રાયલ કોર્ટે ઠરાવેલ કે “[1] ફરિયાદ પક્ષ એ સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે કે આરોપી અનિરુદ્ધસિંહ  ઘટના સ્થળે પિસ્તોલ સાથે હાજર હતો ! [2] ફરિયાદ પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે કે અનિરુદ્ધસિંહે એ ઘટના પછી તરત જ ત્યાં બેઠેલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ડાબી બાજુએથી હત્યા માટે વપરાયેલ પિસ્તોલ અને રૂમાલ ફેંક્યા હતા ! [3] ફરિયાદ પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે કે અનિરુદ્ધસિંહ મૃતકની ખુરશીથી કેટલા અંતરે ઊભો હતો ! [4] ફરિયાદ પક્ષ અનિરુદ્ધસિંહે મૃતક પર ગોળીબાર કર્યો તે અંગે કોઈ પણ સાંયોગિક પુરાવા રજૂ કરવામાં પણ નિષ્ફળ ગયો છે !” તેથી આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂક્યા. 

સરકારે TADA એક્ટની કલમ-19 હેઠળ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. 10 જુલાઈ 1997ના રોજ  અનિરુદ્ધસિંહને IPC કલમ-302, TADA કલમ – 5 હેઠળ આજીવન  કેદની સજા કરી. સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે “સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જેવી જવાબદાર વ્યક્તિઓએ ફરિયાદને સમર્થન કરેલ નથી. આઝાદી દિવસ પર ધ્વજવંદન સમારોહ સમયે હાજર રહેલા અને જેમની હાજરીમાં વર્તમાન ધારાસભ્યની હત્યાનો ભયંકર ગુનો આચરવામાં આવ્યો હતો, તેમણે ફરિયાદ પક્ષને મદદ કરવામાં અને સત્ય બોલવામાં પોતાની ફરજ ભૂલ્યા છે. જો કે, અમે આ ભયાનક ગુનાની વાસ્તવિકતાઓ પ્રત્યે આંખો બંધ કરી શકતા નથી. સંજોગોને ધ્યાનમાં લેતા, અમને એવું કહેવામાં કોઈ ખચકાટ નથી કે મૃતક પોપટભાઈની હત્યા અનિરુદ્ધસિંહે કરી છે, અન્ય કોઈએ નહીં. ટ્રાયલ કોર્ટે યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પુરાવાઓનું મૂલ્યાંકન કરેલ નથી. અમે માનીએ છીએ કે ફરિયાદ પક્ષે શંકાની બહાર પોતાનો કેસ સાબિત કર્યો છે કે અનિરુદ્ધસિંહ પાસે લાઇસન્સ વગરનું હથિયાર હતું. તે એક અનધિકૃત હથિયાર હતું. અનિરુદ્ધસિંહે ટાડા કાયદાની કલમ 5 હેઠળ ગુનો કર્યો છે અને કલમ 302 IPC હેઠળ સજાપાત્ર હત્યાનો ગુનો પણ કર્યો છે. ટ્રાયલ કોર્ટનો નિર્દોષ છૂટકારાનો ચુકાદો રદ્દ કરવામાં આવે છે. અનિરુદ્ધસિંહને કલમ 302 IPC હેઠળ દોષિત ઠેરવવામાં આવે છે અને તેને ‘આજીવન કેદ’ની સજા ફટકારવામાં આવે છે. ગુનાની તારીખથી નવ વર્ષથી વધુ સમય વીતી ગયો હોવાથી, અમને ફાંસીની સજા ફટકારવી યોગ્ય લાગતી નથી, જો કે તેણે સ્વતંત્રતા દિવસ પર ધ્વજવંદન સમારોહમાં હાજરી આપી રહેલા એક જવાબદાર ધારાસભ્યની હત્યા કરવાનો જઘન્ય અને ભયાનક ગુનો કર્યો છે. તેને ટાડા કાયદાની કલમ 5 હેઠળ ‘3 વર્ષની કેદ’ની સજા પણ ફટકારવામાં આવે છે.”

સુપ્રીમ કોર્ટે 10 જુલાઈ 1997ના રોજ સજા કર્યા પછી અનિરુદ્ધસિંહ લગભગ 3 વરસ સુધી 28 એપ્રિલ 2000 સુધી નાસતોફરતો રહ્યો ! પછી પકડાયો. ગુજરાત સરકારને લાગતું હતું કે અનિરુદ્ધસિંહ ફરી નાસી જશે, એટલે 25 ઓક્ટોબર 2000ના રોજ, CrPC કલમ-268(1) A હેઠળ અનિરુદ્ધસિંહને જેલ બહાર નહીં કાઢવા હુકમ કર્યો. અનિરુદ્ધસિંહે પેરોલ પર મુક્ત થવાની અરજી કરી હતી તે સરકારે નામંજૂર કરી હતી. અનિરુદ્ધસિંહે હાઇકોર્ટમાં અપીલ કરી તેને 5 દિવસની પેરોલ મંજૂર કરી હતી પણ હાઇકોર્ટની ડિવિઝન બેંચ દ્વારા પેરોલનો આદેશ રદ્દ કરવામાં આવ્યો હતો. 

અનિરુદ્ધસિંહ સજા ભોગવી રહ્યો હતો તે દરમિયાન 25 જાન્યુઆરી 2017ના રોજ, પ્રજાસત્તાક દિવસના અવસરે આજીવન કેદની સજા ભોગવી રહેલા ગુનેગારોના એક વર્ગને વહેલી સજામુક્તિની મંજૂરી આપવા આદેશ થયો હતો. જેલ સલાહકાર સમિતિ દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાં અનિરુદ્ધસિંહનો સમાવેશ થતો ન હતો. બીજા વર્ષે 29 જાન્યુઆરી 2018ના રોજ, જેલના વડા ટી.એસ. બિસ્ટે, સરકારની લેખિત સૂચના વિના, જાતે મનસ્વી નિર્ણય લઈ; જૂનાગઢ જિલ્લા જેલ અધિક્ષકને, અનિરુદ્ધસિંહને જેલમુક્ત કરવા લેખિત સૂચના આપી. બીજે દિવસે અનિરુદ્ધસિંહને જેલમાંથી છોડી મૂક્યો. 

થોડાં સવાલ : 

[1] દલિત એક્ટિવિસ્ટ વાલજીભાઈ પટેલે જેલના વડા ટી.એસ. બિસ્ટે અનિરુદ્ધસિંહને જેલમુકત કરવા 29 જાન્યુઆરી 2018ના રોજ જે આદેશ કર્યો હતો તેની નકલ RTI હેઠળ માંગી હતી; જે આપવામાં ન આવી. માહિતી આયોગમાં અપીલ કરી તો પણ આદેશની નકલ આપવામાં ન આવી. આ આદેશ છૂપાવવાની સરકારને કેમ જરૂર પડી હશે? 

[2] 29 જાન્યુઆરી 2018નો આદેશ બરાબર જૂઓ. અનિરુદ્ધસિંહના પુત્ર શક્તિસિંહે 29 જાન્યુઆરી 2018ના રોજ પોતાના પિતાને જેલમુક્ત કરવા અરજી કરી. તે જ દિવસે, તરત જ ટી.એસ. બિસ્ટે જૂનાગઢ જિલ્લા જેલ અધિક્ષકને પત્ર લખી સૂચના આપી કે અનિરુદ્ધસિંહને છોડી દો ! બીજા દિવસે અનિરુદ્ધસિંહને જેલમુક્ત કરી દેવામાં આવે છે. એક હત્યારા માટે ટી.એસ. બિસ્ટની આ કેવી તાલાવેલી? 

[3] ટી.એસ. બિસ્ટના 29 જાન્યુઆરી 2018ના પત્રમાં ગૃહવિભાગના 25 જાન્યુઆરી 2017ના ઠરાવને ટાંકેલો છે. પરંતુ તે ઠરાવ મુજબ તો અનિરુદ્ધસિંહ વહેલી જેલમુક્તિ માટે પાત્રતા ધરાવતો ન હતો. વળી આ ઠરાવ તો એક વર્ષ જૂનો છે; તે મુજબ અનિરુદ્ધસિંહને કઈ રીતે જેલમુક્ત કરી શકાય? 

[4] આજીવન કેદની સજા પામેલ ગુનેગારની સજામાફી માટે ‘જેલ સલાહકાર સમિતિ’ની ભલામણ પણ ન હતી કે સરકારની લેખિત સૂચના પણ ન હતી છતાં બિસ્ટે પોતાની સત્તા ન હોવા છતાં ગેરકાયદેસર રીતે અનિરુદ્ધસિંહને જેલ મુક્ત કર્યો. આમ બિસ્ટે સુપ્રીમ કોર્ટથી / રાજ્ય સરકારની ઉપરવટ જઈને એવું ગેરકાયદેસર કૃત્ય કરેલ કે જે સબબ તેમની સામે ગુનો નોંધી તેમને જેલમાં પૂરવા પડે. સવાલ એ છે કે શું હાલના જેલના વડાને / રાજ્યના ગૃહ સચિવને / ગૃહ મંત્રીને / મુખ્ય મંત્રીને / ગુજરાત હાઇકોર્ટને આની જાણ નથી? 

[5] બિસ્ટને ગુજરાત સરકારને પૂછવાનું પણ જરૂરી લાગ્યું નહીં ! સુપ્રીમ કોર્ટે સજા કર્યા બાદ 3 વરસ સુધી હત્યારો નાસતો ફરે; ગુજરાત સરકારને લાગતું હતું કે અનિરુદ્ધસિંહ ફરી નાસી જશે, એટલે CrPC કલમ-268(1) A હેઠળ અનિરુદ્ધસિંહને જેલ બહાર નહીં કાઢવાનો હુકમ કર્યો હતો. ટૂંકમાં અનિરુદ્ધસિંહ ખતરનાક કેદી હતો તે બિસ્ટ જાણતા હતા છતાં બિસ્ટ અને અનિરુદ્ધસિંહ એક ટેબલ પર જમવા બેસે તે શું સૂચવે છે? શું આ શરમજનક ઘટના નથી? હાઇકોર્ટની ડિવિઝન બેંચે પણ અનિરુદ્ધસિંહને પેરોલ પર છોડવાનો ઈન્કાર કરેલ તે બિસ્ટ જાણતા ન હતા? શું બિસ્ટે કોઈ ગરીબ / દલિત / આદિવાસી કેદી સાથે ક્યારે ય સહભોજન કરેલ છે? 

[6] જૂનાગઢ જેલમાંથી અનિરુદ્ધસિંહ લોકોને ધમકીઓ આપવા માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો; એની જાણ જેલના વડા બિસ્ટને નહીં હોય? 

[7] ખોટી રીતે / ગુનાહિત જેલમુક્તિ પછી અનિરુદ્ધસિંહ સામે ગુના દાખલ થયા તેની જાણ બિસ્ટને નહીં હોય? શું અનિરુદ્ધસિંહે જેલમુક્તિની શરતોનો ભંગ કરેલ ન હતો? શું સરકારને આની જાણ ન હતી? 

[8] 25 જાન્યુઆરી 2017ના ગૃહવિભાગેથી ઠરાવનો લાભ એટલે કે કેદીને જેલમુક્ત કરવો કે કેમ? તે રાજ્ય સરકાર નક્કી કરી શકે? શું બિસ્ટ ‘રાજ્ય સરકાર’ હતા? જેલ સલાહકાર સમિતિને પણ પૂછવાનું નહીં? શું બિસ્ટે કોઈ બીજા હેતુથી પ્રેરાઈને અનિરુદ્ધસિંહને તાત્કાલિક જેલમુક્ત કરાવેલ? શું બિસ્ટે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરેલ નથી? શું બિસ્ટે એક હત્યારાને ગેરકાયદેસર છોડી મૂકેલ નથી? શું બિસ્ટે; બંધારણના આર્ટિકલ-161 અથવા CrPC કલમ 432 હેઠળ સક્ષમ સત્તાધિકારી દ્વારા કોઈપણ આદેશ વિના ભયંકર ગુનેગારને જેલમુક્ત કરેલ નથી? કોઈપણ સત્તા વિના જેલમુક્તિનો આદેશ / સૂચના ગેરકાયદેસર નથી? શું બિસ્ટના આ તરંગી / મનસ્વી / ભ્રષ્ટાચારી કૃત્ય સબબ ગુજરાત હાઈકોર્ટ CBIને તપાસ સોંપી ન શકે? શું લોકોએ આવા ભ્રષ્ટાચારી / અન્યાયી કરતૂતો સહન કરવા તેવું હાઈકોર્ટ તથા સરકાર માનતી હશે? 

[9] આજીવન કેદની સજાના ગુનેગારોને ચાર સેન્ટ્રલ જેલ-રાજકોટ / અમદાવાદ / વડોદરા / સુરતમાં રાખવામાં આવે છે. તો અનિરુદ્ધસિંહને સેન્ટ્રલ જેલમાં રાખવાને બદલે જૂનાગઢ જિલ્લા જેલમાં કોની સૂચનાથી રાખવામાં આવેલ? આવી સગવડતા કેમ અપાઈ હતી? શું આવી સૂચના ગૃહ મંત્રી / મુખ્ય મંત્રીએ આપેલ હતી? 

[10] અનિરુદ્ધસિંહની વહેલી જેલમુક્તિ માટે બિસ્ટને સૂચના અમિત શાહે આપી હોય તેવું અનુમાન થઈ શકે તેમ છે; કેમ કે મે-2024માં, લોકસભાની ચૂંટણી વેળાએ અનિરુદ્ધસિંહ જુહાપુરામાં અમિત શાહની વિરુદ્ધમાં મુસ્લિમોના મત ન પડે તે માટે ‘મતદાનનો બહિષ્કાર’ કરાવી રહ્યો હતો ! શક્ય છે કે અનિરુદ્ધસિંહને જેલમુક્ત કરવા અમિત શાહે જ ટી.એસ. બિસ્ટને ગેરકાયદેસર સૂચના આપી હોય ! કદાચ એટલે જ રાજ્યના ગૃહ સચિવ / ગૃહ મંત્રી / મુખ્ય મંત્રી ચૂપ હશે? 

[11] ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અનિરુદ્ધસિંહની ગેરકાયદેસર જેલમુક્તિને પડકારતી હરેશભાઈ રમેશભાઇ સોરઠિયાની પીટિશન પેન્ડિંગ છે; છતાં આવા જાહેર મુદ્દાને સ્પર્શતી બાબતે હાઈકોર્ટ આળસ કેમ કરતી હશે? શું હાઈકોર્ટ આ પીટિશન પાછી ખેંચે તેની પ્રતીક્ષા કરતી હશે? કોઈ ગરીબ / લાચાર / દલિત / આદિવાસી / મધ્યમવર્ગે હાઈકોર્ટ સામે જોવાનું જ નહીં ને? શું હાઈકોર્ટ ધનવાન ગુંડાઓના રક્ષણ માટે છે? 

[12] અનિરુદ્ધસિંહને જેલમાંથી બિલકુલ ખોટી રીતે છોડી મૂકવામાં આવેલ છે; અને તે માટે તત્કાલીન જેલના વડા ટી.એસ. બિસ્ટ જવાબદાર છે; છતાં આ કૌભાંડ બાબતે ગુજરાતના મીડિયા ચૂપ કેમ છે? ગુજરાતના ચૂંટાયેલા ધારાસભ્યો / સંસદસભ્યો મૌન કેમ છે? શું સરકાર તત્કાલિન જેલના વડા બિસ્ટને જેલમાં પૂરશે?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...196197198199...210220230...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved