Opinion Magazine
Number of visits: 9747003
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બારમું પત્યું કે તેરમું ચાલુ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 June 2021

ધોરણ 10ની જેમ જ 12ની પરીક્ષા રદ્દ થઈ. રદ્દ થશે એવું લાગતું હતું, તેમાં સી.બી.એસ.ઈ.ની 12ની પરીક્ષા રદ્દ થઈ એટલે ખાતરી થઈ ગઈ કે ગુજરાતની પણ રદ્દ થશે જ. થઈ. જો કે આગળના પ્રવેશ માટે શિક્ષણ વિભાગ કઈ નીતિ નક્કી કરે છે તેનો ફોડ પડાયો નથી, પણ કેન્દ્ર જે નીતિ નક્કી કરશે તેને અનુસરવાની વાત શિક્ષણ મંત્રીએ કરી છે. કોઈ પણ બાબતમાં કેન્દ્રને અનુસરવાની ગુજરાત સરકારની વફાદારી જગ જાહેર છે, એમાં ક્યારેક મંત્રીઓ સ્વતંત્ર નિર્ણય લે છે તે એટલા માટે કે એ નિર્ણય વારંવાર બદલીને પોતાની અનિર્ણયાત્મકતાનો પ્રજાને પરિચય આપી શકે. શિક્ષણની બાબતમાં જ એટલી વખત તઘલખી નિર્ણયો લેવાયા છે કે તઘલખ ઓછો તરંગી લાગે. સરકાર કેન્દ્રને અનુસરવાની વાત કરે છે, પણ તે પણ પૂરું સાચું નથી. એ જો કેન્દ્રને અનુસરતી હોત તો સરકારે જુલાઈમાં 12ની પરીક્ષા લેવાનો વિગતવાર કાર્યક્રમ જાહેર કર્યો ન હોત, પણ કર્યો ને આખી વ્યવસ્થા કેવી રીતે થશે તેની વિગતો પણ આપી. આ વ્યવસ્થાનો અમલ કરવા, વચ્ચે મહિનાનો સમય હતો. વારુ, કોરોનાનું જોર નરમ પડ્યું હતું અને મહિનામાં આ જ ગતિ રહે તો જોર ઘણું ઓછું થવાની શક્યતા હતી. એ સ્થિતિમાં પરીક્ષા લઈ શકાઈ હોત. 12ના વિદ્યાર્થીઓ 17-18ની આસપાસના હોય છે એટલે એટલા નાના પણ ન હોય કે પોતાની કાળજી લઈ ન શકે. આ પરીક્ષા થઈ હોત તો ઘણી મૂંઝવણો દૂર થઈ હોત, પણ એકાએક સરકારને કેન્દ્રની વફાદારી યાદ આવી અને કેન્દ્રએ 12ની સી.બી.એસ.ઈ. અને અન્ય બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરી તો ગુજરાત સરકારે પણ 12ની પરીક્ષાઓ રદ્દ કરી દીધી. આમ પણ કેન્દ્ર પીવડાવે એટલું જ પાણી ગુજરાત પીએ છે એટલે આનાથી જુદું કૈં થવાનું ન હતું.

સરકારને કદાચ કોઈ તુક્કો આવે ને એ ફરી પરીક્ષા લેવાની જાહેરાત કરે તો વાત જુદી છે, બાકી, અત્યારે તો પરીક્ષાઓ રદ્દ થઈ છે તે હકીકત છે. પરીક્ષા રદ્દ થવાના મિશ્ર પ્રત્યાઘાતો શિક્ષણ જગતમાં પડ્યા છે, કોઈને પરીક્ષા રદ્દ થવાથી રાહત થઈ છે, તો કોઈને હોશિયાર વિદ્યાર્થીઓની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ ગયાનું પણ લાગે છે. પરીક્ષા રદ્દ થવાની તરફેણમાં અને વિરોધમાં, બંને બાજુ મત પડ્યા છે. તથ્ય બંને પક્ષે છે. બંને પક્ષે સમજ અને સગવડ પ્રમાણે દલીલો પણ થાય છે, પણ એ મામલે વખાણનારને વખોડવાનું ને વખોડનારને ન વખાણવાનું ઠીક નથી. એક વાત નક્કી છે કે રીત ગમે તે હોય, પણ 12ના વિદ્યાર્થીઓ કોલેજ પ્રવેશ માટે લાયક ઠેરવાયા છે. એ જુદી વાત છે કે પાત્રતા નક્કી કરવાની રીતો બદલાઈ છે ને એ જે પરિણામ નક્કી કરે તે પ્રમાણે ધારેલી વિદ્યાશાખા કે કોલેજમાં પ્રવેશ મળવામાં મુશ્કેલી થાય એમ બને. આમાં યુનિવર્સિટીઓ, કોલેજો પોતાની નીતિ નક્કી કરે, ખાનગી કોલેજો જુદી જ વેતરણમાં હોય એમ પણ બનવાનું. આ બધાંમાંથી પસાર થતાં વાલી કે વિદ્યાર્થી અધમૂઆ થઈ જાય તો નવાઈ નહીં ! ભણવા કરતાં ભણવાની વ્યવસ્થાઓ જ એટલી જટિલ છે કે આ બધાંમાંથી પસાર થયા પછી વિદ્યાર્થી કે વાલીના હાથમાં મોટે ભાગે નિરાશા જ આવે છે. 12ની પરીક્ષા રદ્દ થઈ એ સાથે જ ખાનગી કોલેજોને ઘીકેળાં થઈ ગયાંની વાતો પણ વહેતી થઈ છે. તે એ રીતે કે વધારે વિદ્યાર્થીઓ કોલેજ પ્રવેશ માટે પાત્ર ઠરતાં જે સીટો ખાલી રહેતી હતી તે ભરાઈ જવાની શક્યતાઓ વધી છે. આમાં એવું થવાનું કે જે પરિણામ આવે તેનાથી વિદ્યાર્થીને સંતોષ ન થાય અને જે વિદ્યાશાખામાં જવાની ઇચ્છા હોય તેનાથી જુદી જ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવીને સંતોષ માનવો પડે. વડા પ્રધાને જેમને પરિણામથી સંતોષ ન હોય એમને માટે પરીક્ષાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે ને વફાદાર ગુજરાત સરકાર તેને અનુસરે તો ગુજરાતના વિદ્યાર્થીઓને પણ પરીક્ષાનો વિકલ્પ મળે એમ બને, પણ એવી પરીક્ષાનો વિકલ્પ નજીક જણાતો નથી. સાચું તો એ છે કે પાત્રતા પ્રમાણેનું પરિણામ વિદ્યાર્થીઓને આમ પણ ઘણીવાર મળતું નથી, તો હાલના સંજોગોમાં તો તે મુશ્કેલ જ છે.

કોલેજોએ તો 12ની પરીક્ષા લેવાશે એમ માનીને પ્રવેશના દાખલાઓ પણ ગણી કાઢેલા, એ રીત હવે બદલવી પડે કદાચ. આમાં યુનિવર્સિટીઓ કે કોલેજો પ્રવેશ માટે પોતાની રીતે પ્રવેશ પરીક્ષાઓ યોજે, જે આમ પણ યોજાતી રહે છે તેનો સામનો વિદ્યાર્થીઓએ કરવાનો આવશે. એ નથી સમજાતું કે શિક્ષણ બોર્ડ એક તરફ પરીક્ષાઓ રદ્દ કરતી જાય છે ને બીજી તરફ ગુજકેટ કે જે.ઇ.ઈ. કે નીટ જેવી પરીક્ષાઓ લેવાવાની વાત ચાલ્યા કરે છે, તો પ્રશ્ન એ થાય કે આ પરીક્ષાઓને કોરોના નથી નડતો, તો ગુજરાત બોર્ડને જ કેમ નડે છે? પરીક્ષા લેવાનું એવું  ઓબ્સેશન શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓને થઈ ગયું છે કે તિરસ્કાર છૂટે. આ બધું ગુણવત્તા ચકાસવા થાય તો, તો ધૂળ નાખી, પણ એ નિમિત્તે ઉઘરાવાતી ફી દ્વારા, લાખો-કરોડોની કમાણી થાય એ ઉપક્રમ કેન્દ્રમાં હોય છે. આટલું વેઠયા પછી નોકરી માટે પસંદગી કરવાની વાત આવે છે ત્યારે મેરિટની તો ઐસીતૈસી થાય જ છે. સંસ્થાઓનું પોતાની રીતે પરીક્ષાઓ લેવાનું જ યોગ્ય હોય તો બોર્ડની કે યુનિવર્સિટીની પરીક્ષાઓનું પરિણામ, જે તે વર્ષની પરીક્ષાઓ પસાર કરી છે એટલું જ કે બીજું કૈં? મૂળ વાત એ છે કે બોર્ડ કે યુનિવર્સિટીની પરીક્ષાઓ પર જે તે સંસ્થાઓને ભરોસો જ નથી એટલે એ પોતાની રીતે પરીક્ષાઓ લે છે. એવું પણ બન્યું છે કે એક જ યુનિવર્સિટી દ્વારા યોજાતી તમામ પ્રવેશ પરીક્ષાઓને તે યુનિવર્સિટી પોતે જ માન્ય નથી ગણતી. ઉદાહરણ તરીકે નર્મદ યુનિવર્સિટીમાંથી એમ.એ. પાસ થનારે એ જ યુનિવર્સિટીમાં પીએચ.ડી.માં પ્રવેશ મેળવવા એંટ્રન્સ ટેસ્ટ આપવી પડે તો એનો અર્થ જ એ કે યુનિવર્સિટીને પોતે આપેલાં એમ.એ.નાં પરિણામ પર ભરોસો નથી, નહીં તો ટેસ્ટ શું કામ લે?

ખરેખર તો તમામ પ્રવેશ પરીક્ષાઓ કમાણી કરવાથી વિશેષ કોઈ હેતુ સિદ્ધ કરતી નથી. આવી તમામ પરીક્ષાઓ રદ્દ થાય તો વિદ્યાર્થીઓની ફી બચે, સમય અને સંસ્થાઓની મહેનત બચે ને વિદ્યાર્થીઓની તાણ ઘટે. કોઈ પણ પ્રવેશ માટે બોર્ડની કે યુનિવર્સિટીની છેલ્લી પરીક્ષાનું પરિણામ માન્ય ગણીને મેરિટને ધોરણે પ્રવેશ આપી જ શકાય. જો ગોલમાલ બોર્ડની કે યુનિવર્સિટીની પરીક્ષાઓમાં થતી હોય તો જે તે સંસ્થામાં તે ન જ થાય એમ માનવાને કોઈ કારણ નથી. બીજામાં મુકાયેલો વિશ્વાસ, સામાવાળાને પણ પોતાનામાં વિશ્વાસ મૂકવાની તક પૂરી પાડે છે.

પરીક્ષા વગર મૂલ્યાંકન શક્ય જ ન હોય તેમ આપણે સતત પરીક્ષાઓ જ લીધે રાખીએ છીએ. ઓનલાઈન શિક્ષણમાં પણ ભાર પરીક્ષા પર જ મુકાયો છે. એ પરીક્ષાઓ અને એનું મૂલ્યાંકન કેવું થયું છે તે સૌ જાણે છે. એ ઓપન બુક એક્ઝામ જેવું જ રહ્યું છે. સૌના સહકારથી એ કામ થયું છે, એમાં વિદ્યાર્થી તો નામનો જ ભાગીદાર રહ્યો છે. યુનિટ ટેસ્ટ કે મિડ ટર્મ એકઝામને આધાર ગણીને પરિણામ તૈયાર કરવામાં ન્યાય થાય એમ નથી, કારણ બધી સ્કૂલોમાં તેનું ધોરણ એક સમાન રહ્યું નથી. એવી પરીક્ષાઓનું પરિણામ 12 કે 10 માટે આધાર તરીકે લેવાનું ઠીક નથી. ખરેખર તો કોરોના પહેલાંની છેલ્લી વાર્ષિક પરીક્ષાને આધાર બનાવીને પરિણામ નક્કી કરવાનું વધારે સલાહ ભરેલું લાગે છે.

એ તો જે નીતિ નક્કી થાય તે ખરી, પણ માત્ર પરીક્ષા આધારિત મૂલ્યાંકનની પદ્ધતિએ વિદ્યાર્થીના માનસિક વિકાસને ઘણી રીતે રોક્યો છે. કોઈ પણ વિદ્યાર્થી પીએચ.ડી.ની ડિગ્રી મેળવે ત્યાં સુધીમાં તેની ક્રિએટિવિટીને કેટલી તક રહે છે તે વિચારવા જેવું છે. પરીક્ષા પદ્ધતિ અને પરીક્ષાના મારાએ વધુને વધુ ગ્રેડ કે માર્કસ કેવી રીતે મળે એનો જ વિચાર કર્યો છે. ગુણવત્તા એથી સુધરતી હશે, પણ સર્જનાત્મકતાને કે અર્થઘટનને ઝાઝી તક રહેતી નથી. ઉત્તમ શોધ અને ઉત્તમ સર્જન પરીક્ષામાં નિષ્ફળ કે સાધારણ રહેલ વ્યક્તિઓએ કર્યાંના ઘણા દાખલાઓ છે. એનો અર્થ એ થયો કે સર્જનાત્મકતા, શિક્ષણ કે પરીક્ષાથી નક્કી થતી નથી અથવા તો એમ કહી શકાય કે આજની શિક્ષણ કે પરીક્ષા પદ્ધતિ એવી નથી જે ક્રિએટિવિટીને પૂરતો અવકાશ આપે. અહીં એવી દલીલ થઈ શકે કે આવી શિક્ષણ ને પરીક્ષા પદ્ધતિ છતાં સર્જકો, વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ … વગેરે પાક્યા જ છે. એ સાચું, પણ એમાં શિક્ષણ કે પરીક્ષા કરતાં જે તે વ્યક્તિને મળેલું વાતાવરણ, પોતાની ચેતના ને શક્તિ વધારે જવાબદાર હોય એમ બને. શિક્ષણની, શિક્ષકની એમાં મદદ ખરી જ, પણ એવું પણ અપવાદોમાં હોવાનો સંભવ વધારે છે. મોટે ભાગે તો બધું બીબાંઢાળ અને યાંત્રિક જ વધુ રહે છે.

કહેવાનું તાત્પર્ય એ છે કે વ્યક્તિનો સર્જનાત્મક વિકાસ થાય એવું આટલાં વર્ષ શિક્ષણમાં ગાળવા છતાં, લાખો રૂપિયા ખર્ચવા છતાં ઓછું જ બને છે. સાફ વાત તો એ છે કે ઘણાં વર્ષો શિક્ષણમાં ખર્ચ્યા પછી કેવળ નિરર્થકતાનો જ અનુભવ થાય છે ને રડવાનું છે તે એનું છે.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 જૂન 2021

Loading

‘નળથી જળ’ માટે જળ ક્યાં ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 June 2021

તરસ્યા ગ્રામીણ ભારત માટે ૨૦૧૯ના સ્વાતંત્ર્ય પર્વે લાલ કિલ્લાની રાંગેથી વડા પ્રધાને ‘નલ સે જલ’ યોજનાની ઘોષણા કરી હતી. દેશના જે ૧૯ કરોડ ૧૮ લાખ ગ્રામીણ પરિવારોને પીવાનું પાણી નસીબ નથી, તેમને રૂ. ૩.૬ લાખ કરોડની ‘ગ્રામીણ જલ જીવન મિશન યોજના’ મારફત પાઈપ લાઈનથી સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવાનો સરકારે નિર્ધાર કર્યો હતો. તે પછીના વરસે ‘નળથી જળ’ યોજના વિસ્તારીને તેમાં ૪,૩૭૮ શહેરી વિસ્તારોને પણ સમાવવામાં આવ્યા છે. યોજનાના આરંભ સમયે, ૨૦૧૯માં, દેશના માત્ર ૩.કરોડ ૨૩ લાખ ઘરોને જ નળથી પીવાનું પાણી પહોંચતું હતું. ૨૦૨૪ સુધીમાં સરકાર પીવાનાં પાણીની પહોંચ બહાર રહેલા વીસેક કરોડ પરિવારોને આવરી લેવા માંગે છે. એપ્રિલ ૨૦૨૧ના મધ્ય ભાગ સુધીમાં ૭. કરોડ ૩૬ લાખ પરિવારોને નળથી જળ સુલભ કરી આપી ૩૮.૩૭ ટકા લક્ષ્ય હાંસલ કર્યાનો સરકારનો દાવો છે.

દેશના ૨ રાજ્યો, ૫૨ જિલ્લા ૬૬૩ તાલુકા અને ૪૦,૦૮૬ ગ્રામપંચાયતો હસ્તકના ૭૯,૧૯૬ ગામો ‘નલ સે જલ’ યોજના હેઠળ પીવાનું શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પાણી મેળવતા થયાં છે. ગોવા અને તેલંગાણા એ બે રાજ્યોએ ૧૦૦ ટકા લક્ષ્યાંક સિદ્ધ કરીને આ યોજના સંપૂર્ણ પાર પાડી છે. નળથી જળ યોજનાનો સાઠ ટકા કરતાં વધુ લક્ષ્યાંક પૂર્ણ કરાનારા રાજ્યો છે : આંદામાન –નિકોબાર અને પુડુચેરી (૮૮.૨ ટકા), હરિયાણા (૮૫.૬ ટકા), હિમાચલ પ્રદેશ (૭૫.૬ ટકા), સિક્કિમ (૭૩ ટકા,) પંજાબ (૬૮.૯ ટકા), બિહાર (૬૪.૧ ટકા), મહારાષ્ટ્ર (૬૦.૫ ટકા) જે રાજ્યોમાં ૧૦ ટકા લાભાર્થીઓ સુધી પણ યોજના પહોંચી નથી તેમાં પશ્ચિમ બંગાળ ૬.૨ ટકા સાથે મોખરે છે. અસમના ૬.૪, લદ્દાખના ૭.૫૪ અને ઉત્તર પ્રદેશના ૯.૧ ટકા ઘરો સુધી જ નળથી પાણી પહોંચ્યું છે. દસ ટકા કરતાં ઓછી સિદ્ધિ હાંસલ કરનારા યુ.પી. અને લદ્દાખ સહિત નવ રાજ્યો ૨૦૨૨માં તમામને નળથી જળ પહોંચાડી દેવાના છે !  બીજા આઠ રાજ્યો ૨૦૨૩માં અને બાકીના તમામ ૨૦૨૪ સુધીમાં પીવાનાં પાણીવિહોણા પરિવારોને જીઓ ટેસ્ટિંગ કરીને પાઈપલાઈન મારફતે પાણી  પહોંચાડવા પ્રતિબદ્ધ છે.

૮૨ ટકા પરિવારોને નળથી જળ યોજના હેઠળ પાણી પહોંચાડીને ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે. રાજ્યના ૨૦૨૧-૨૨ના બજેટના પૃષ્ઠ ૧૨ પર જણાવ્યા મુજબ ગાંધીનગર, મહેસાણા, પોરબંદર, બોટાદ અને આણંદ જિલ્લાના તમામ લાભાર્થીઓ સુધી આ યોજના પહોંચી ચૂકી છે. નર્મદા કેનાલ અને મોટા ડેમ આધારિત પાઈપ લાઈનથી પાણી પહોંચાડવાની નલ સે જલ યોજના માટે રાજ્યના બજેટમાં ૩૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે રાજ્યને રૂ. ૧૦૦ કરોડનું વિશેષ અનુદાન આપ્યું છે.

‘નલ સે જલ’ યોજનાનો હેતુ માત્ર પાણીવંચિત પરિવારોને પાણી પહોંચાડવાનો જ નથી. લાંબા ગાળા માટે પાણીના સ્ત્રોત ઊભા કરવા, પાણી સંરક્ષણ, પ્રદૂષણરહિત પાણીની ઓળખ અને પાણીની ન્યાયી વહેંચણી થાય તેવા પ્રબંધનનો હેતુ પણ છે. પૃથ્વી એક જળગ્રહ છે. તેના પોણાભાગ પર પાણી તો છે, પરંતુ તે સમુદ્રોનું છે. તેથી માનવીનો પાણી માટેનો આધાર વરસાદી પાણી, નદીઓનું પાણી અને ભૂગર્ભ જળ પર છે. ભૂજળનું માનવીએ અમર્યાદિત દોહન કર્યું છે તો નદીઓનાં પાણીને દૂષિત કરી પીવાલાયક રહેવા દીધાં નથી. પાણીના અભાવ કરતા સામાજિક-રાજકીય-આર્થિક વ્યવસ્થાના કારણે પાણીની અયોગ્ય વહેંચણી થતી હોવાથી ક્યાંક પાણીની રેલમછેલ છે તો ક્યાંક ચાંગળું પાણી પણ નથી.

પીવા માટે ઉપયોગી ભૂજળનો વેડફાટ અટકાવવા દંડાત્મક સજાની જોગવાઈ ૧૯૮૬ના પર્યાવરણ સંરક્ષણ અધિનિયમમાં છે. પરંતુ તેનો ભાગ્યે જ અમલ થાય છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે ઓકટોબર ૨૦૧૯માં ભૂજળની બરબાદી અને દુરુપયોગ રોકવા આદેશ કર્યો હતો. કેન્દ્રીય ભૂજળ બોર્ડે તેનો અમલ કરવા રાજ્યોને પત્ર લખી ઈતિશ્રી માની લીધી હતી. પરિણામે રાજસ્થાન સરકારે શહેરી ક્ષેત્રોમાં ભૂજળના દોહન પરનો પ્રતિબંધ તાજેતરમાં ઉઠાવી લીધો છે. દેશની મોટાભાગની વસ્તીની પાણીની જરૂરિયાત ભૂજળથી પૂરી થતી હોય ત્યારે તેના અયોગ્ય ઉપયોગને રોકવા માટે કોઈ કારગત કદમ ઉઠાવાતા નથી.

ભૂજળનું ઘટતું સ્તર અને તેને કારણે ઊભા થનારા ભાવિ સંકટને ધ્યાનમાં રાખીને ‘અટલ ભૂજળ યોજના’ ઘડવામાં આવી છે. આ યોજના અન્વયે પાણીનું સંકટ સહેતા વિસ્તારોમાં ભૂજળ સંસાધનોનું કાયમી અને નક્કર પ્રબંધન કરવાનું છે. ત્યારે યોજના માટે ફાળવેલા નાણા નહીં ખર્ચીને તંત્રએ તેની અસંવેદનશીલતા દર્શાવી છે. લોકસભા પ્રશ્નના જવાબમાં મળેલી માહિતી મુજબ ૨૦૨૦-૨૧ના વરસ દરમિયાન આ યોજના માટે કેન્દ્રે બસો કરોડ રૂપિયાની ફાળવણી તો કરી હતી પણ માત્ર ચોપન લાખ જ ખર્ચાયા હતા !

૧૯૫૧માં દેશમાં વ્યક્તિદીઠ ૧૪,૧૮૦ લીટર પાણી સહજતાથી ઉપલબ્ધ હતું. ૨૦૫૦ સુધીમાં તે ઘટીને ૩,૧૨૦ લીટર થવાની શક્યતા છે. નીતિ આયોગે ભૂજળનું દોહન આજની ગતિએ ચાલુ રહેશે તો ૨૦૩૦ સુધીમાં દેશની ૪૦ ટકા વસ્તીને પાણીનાં વલખાં પડવાની ચેતવણી આપી છે. એટલે પણ વરસાદી પાણીનો સંગ્રહ અનિવાર્ય છે. વરસે દહાડે આપણે ત્યાં ૪,૦૦૦ અબજ ઘન મીટર વરસાદી પાણી વરસે છે. તેમાંથી ૧,૮૦૦ અરબ ઘન મીટર  વાપરવા યોગ્ય હોય છે. પણ આપણી પહોંચમાં ૧,૧૧૦ અબજ ઘન મીટર વર્ષા જળ છે. જો કે આપણે માત્ર ૭૫૭ અબજ ઘન મીટર જ સંઘરી શકીએ છીએ. તે પૈકી ૪૦૦ અબજ ઘન મીટર જમીનમાં ઊતરે છે અને  દેશના તમામ બંધોમાં  ૨૫૪ અબજ ઘન મીટર પાણી સંગ્રહાય છે. નલ સે જલ યોજનામાં આ મોટા બંધોનું પાણી જ પાઈપ લાઈનથી નળ સુધી પહોંચવાનું છે.

પાણીનો બે-લગામ અને બેફામ ઉપયોગ અટકાવવાની પણ એટલી જ જરૂર છે. મોટે ભાગે ચોખ્ખાં પાણીનો જ ઉપયોગ ખેતીમાં થાય છે. તે અંગે ફેરવિચારની જરૂર છે. એક કિલો ડાંગર પકવવા ૨,૪૯૭ લીટર, કઠોળ માટે ૨,૦૦૦ લીટર, ઘઉં માટે ૧,૫૦૦ લીટર, એક ક્વિન્ટલ શેરડી માટે ૨ થી ૩ લાખ લીટર, એક કિલો ડુક્કરના માંસ માટે ૫,૯૮૮ લીટર અને એક જીન્સ પેન્ટ બનાવવા ૫,૦૦૦ લીટર પાણીનો ઉપયોગ થાય છે. શું પાણીના આ ઉપયોગ વિશે વિચારવાની જરૂર નથી ? સસ્તી વીજળી અને ભૂગર્ભ જળના ઉપયોગથી મબલખ અનાજ તો પેદા કર્યું, અનાજની બાબતમાં દેશ સ્વાવલંબી જ નથી બન્યો, જંગી બફર સ્ટોક પણ ઊભો કર્યો છે પરંતુ અન્ન સુરક્ષા પછી હવે જળ સુરક્ષા વિચારીશું કે નહીં ?

શહેરી સુવિધાભોગી સંપન્ન વર્ગ પાણીનો દુરુપયોગ કરે છે એટલે દૂરના વિસ્તારો અને ગામડાંઓને પીવાનું પાણી મળતું નથી. નલ સે જલ  યોજનાની પ્રાથમિકતા દલિત-આદિવાસી બહુલ  વસ્તી ધરાવતા જળવંચિત ગામો, દુકાળ પ્રભાવિત જિલ્લા, રણ વિસ્તારો અને પાણીની નબળી ગુણવત્તાવાળા વિસ્તારો છે. પરંતુ આપણું વહીવટીતંત્ર આવી પ્રાથમિકતાને ગાંઠે ખરું ? ગુજરાતમાં ૨૬.૮૨ લાખ જળવંચિત પરિવારોમાંથી ૧૦.૬૨ લાખ પરિવારો દલિત-આદિવાસી હોવા છતાં યોજનાના આરંભના વરસે જ ગુજરાત સરકારે ૧૧.૧૫ લાખ જળવંચિત પરિવારોને નળથી જળ પહોંચાડવાની દરખાસ્ત ભારત સરકારને કરી હતી. તેમાં માત્ર ૬૨,૦૪૩ જ દલિત-આદિવાસી પરિવારો (દરખાસ્તના કુલ પરિવારોના માત્ર ૫.૮૪ %) હતા. કેન્દ્રમાં અને ગુજરાતમાં બી.જે.પી.ની સરકાર હોવા છતાં કેન્દ્રે ગુજરાતની દરખાસ્તને ‘સમાજના નબળા વર્ગો પ્રત્યેની ઉદાસીનતા દર્શાવતી’ ગણાવીને પ્રાથમિકતાની યાદ અપાવી સુધારા માટે પરત કરી હતી.

૨૦૨૨માં ગુજરાતમાં અને ૨૦૨૪માં દેશમાં નળ સે જલ યોજના સો ટકા સિદ્ધિ મેળવે તેનાથી શું ઘરે ઘરે પાણી પહોંચી જશે તેમ માની શકાશે ? ગુજરાતમાં જળ સ્રોત વિનાના ૧,૦૨૬ ગામોને ૨૦૧૫-૧૬માં ટેન્કરથી પાણી પહોંચાડવું પડતું  હતું. ૨૦૧૯-૨૦માં તે ગામો વધીને ૧,૧૪૯ થયા હતા. જ્યાં નળ છે પણ તેમાંથી જળનું ટીપું પણ આવતું નથી તેવાં ગામો ગુજરાતમાં ૨૦૪ અને જ્યાં કોઈ પાણી પુરવઠા યોજના પહોંચી નથી તેથી ગામના સ્થાનિક સ્રોતથી પાણી મેળવે છે તેવા ૨૭ જિલ્લાના ૩,૫૦૭ ગામો છે.

નગરો-મહાનગરોમાં આ યોજનાની સફળતા માટે સરકારે અદ્દભુત કીમિયો કર્યો છે. રાજ્યની આઠ મહાનગરપાલિકામાં ગેરકાયદે નળ જોડાણને રૂ. ૫૦૦નો દંડ લઈને તે કાયદેસર કરી આપી યોજનાની સફળતાનો ગ્રાફ ઊંચો બતાવવાની છે. જાન્યુઆરી ૨૦૨૧ના અંતે અમદાવાદમાં ૩૦,૧૧૯ ગેરકાયદે વોટર કનેકશનો કાયદેસર કરી આપીને સરકાર મહાનગર અમદાવાદના જળવંચિત ત્રીસ હજાર કરતાં વધુ કુટુંબોને પીવાનું પાણી પહોંચાડી દીધું હોવાના યશોગાન ગાઈ રહી છે.

સરકારો તો એની જ મસ્તીમાં મસ્ત રહેવાની છે પણ પ્રજા તરીકે લોકોએ પાણીને ઘીની જેમ વાપરવાની અને વરસાદના પ્રત્યેક ટીંપાને વેડફાતું અટકાવવાની આદત કેળવવાની છે તો જ ભાવિ પેઢીને  પાણી માટે સર્જાનારા પાણિપતથી ઉગારી શકાશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

આરોઓવારો

રવીન્દ્ર પારેખ|Poetry|3 June 2021

ખોબામાં ઝીલું તે તારો વરસાદ
        અને આંખોમાં ઝીલું તે મારો,
તારો વરસાદ મને મધમીઠો લાગે,
                        પણ મારો વરસાદ જરા ખારો…
                        પછી ક્યાંય ન હો આરોઓવારો…

ઓણસાલ ચોમાસું મારવાડી એવું
        કે ખરચે છે માંડ જરા પાણી,
સૂરજ પર મૂકેલા પેણામાં જળની
        જુવાર માંડ ફૂટે થઈ ધાણી,
ફોરાં તો ઝીલું ન ઝીલું ત્યાં છટકે
                        તો થાય આ તે વર્ષા કે પારો?
                        પછી ક્યાંય ન હો આરોઓવારો…

વાદળાંઓ છાણ જેમ રોજ નડે રસ્તે
        તો દૂર કોણ કરે એવા ત્રાસને?
સાવરણું લઈને એક થાકેલી ભરવાડણ
        વાળે છે આખા આકાશને,
જળની સળીનો માંડ ઢગલો ઉપાડે
                        ને માથે મૂકે કે છૂટો ભારો,
                        પછી ક્યાંય ન હો આરોઓવારો…

➖

રમણ સોની  સંપાદિત ‘કવિતાચયન ૧૯૯૫’માંથી સાભાર

Loading

...102030...1,9321,9331,9341,935...1,9401,9501,960...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved