ધોરણ 10ની જેમ જ 12ની પરીક્ષા રદ્દ થઈ. રદ્દ થશે એવું લાગતું હતું, તેમાં સી.બી.એસ.ઈ.ની 12ની પરીક્ષા રદ્દ થઈ એટલે ખાતરી થઈ ગઈ કે ગુજરાતની પણ રદ્દ થશે જ. થઈ. જો કે આગળના પ્રવેશ માટે શિક્ષણ વિભાગ કઈ નીતિ નક્કી કરે છે તેનો ફોડ પડાયો નથી, પણ કેન્દ્ર જે નીતિ નક્કી કરશે તેને અનુસરવાની વાત શિક્ષણ મંત્રીએ કરી છે. કોઈ પણ બાબતમાં કેન્દ્રને અનુસરવાની ગુજરાત સરકારની વફાદારી જગ જાહેર છે, એમાં ક્યારેક મંત્રીઓ સ્વતંત્ર નિર્ણય લે છે તે એટલા માટે કે એ નિર્ણય વારંવાર બદલીને પોતાની અનિર્ણયાત્મકતાનો પ્રજાને પરિચય આપી શકે. શિક્ષણની બાબતમાં જ એટલી વખત તઘલખી નિર્ણયો લેવાયા છે કે તઘલખ ઓછો તરંગી લાગે. સરકાર કેન્દ્રને અનુસરવાની વાત કરે છે, પણ તે પણ પૂરું સાચું નથી. એ જો કેન્દ્રને અનુસરતી હોત તો સરકારે જુલાઈમાં 12ની પરીક્ષા લેવાનો વિગતવાર કાર્યક્રમ જાહેર કર્યો ન હોત, પણ કર્યો ને આખી વ્યવસ્થા કેવી રીતે થશે તેની વિગતો પણ આપી. આ વ્યવસ્થાનો અમલ કરવા, વચ્ચે મહિનાનો સમય હતો. વારુ, કોરોનાનું જોર નરમ પડ્યું હતું અને મહિનામાં આ જ ગતિ રહે તો જોર ઘણું ઓછું થવાની શક્યતા હતી. એ સ્થિતિમાં પરીક્ષા લઈ શકાઈ હોત. 12ના વિદ્યાર્થીઓ 17-18ની આસપાસના હોય છે એટલે એટલા નાના પણ ન હોય કે પોતાની કાળજી લઈ ન શકે. આ પરીક્ષા થઈ હોત તો ઘણી મૂંઝવણો દૂર થઈ હોત, પણ એકાએક સરકારને કેન્દ્રની વફાદારી યાદ આવી અને કેન્દ્રએ 12ની સી.બી.એસ.ઈ. અને અન્ય બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરી તો ગુજરાત સરકારે પણ 12ની પરીક્ષાઓ રદ્દ કરી દીધી. આમ પણ કેન્દ્ર પીવડાવે એટલું જ પાણી ગુજરાત પીએ છે એટલે આનાથી જુદું કૈં થવાનું ન હતું.
સરકારને કદાચ કોઈ તુક્કો આવે ને એ ફરી પરીક્ષા લેવાની જાહેરાત કરે તો વાત જુદી છે, બાકી, અત્યારે તો પરીક્ષાઓ રદ્દ થઈ છે તે હકીકત છે. પરીક્ષા રદ્દ થવાના મિશ્ર પ્રત્યાઘાતો શિક્ષણ જગતમાં પડ્યા છે, કોઈને પરીક્ષા રદ્દ થવાથી રાહત થઈ છે, તો કોઈને હોશિયાર વિદ્યાર્થીઓની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ ગયાનું પણ લાગે છે. પરીક્ષા રદ્દ થવાની તરફેણમાં અને વિરોધમાં, બંને બાજુ મત પડ્યા છે. તથ્ય બંને પક્ષે છે. બંને પક્ષે સમજ અને સગવડ પ્રમાણે દલીલો પણ થાય છે, પણ એ મામલે વખાણનારને વખોડવાનું ને વખોડનારને ન વખાણવાનું ઠીક નથી. એક વાત નક્કી છે કે રીત ગમે તે હોય, પણ 12ના વિદ્યાર્થીઓ કોલેજ પ્રવેશ માટે લાયક ઠેરવાયા છે. એ જુદી વાત છે કે પાત્રતા નક્કી કરવાની રીતો બદલાઈ છે ને એ જે પરિણામ નક્કી કરે તે પ્રમાણે ધારેલી વિદ્યાશાખા કે કોલેજમાં પ્રવેશ મળવામાં મુશ્કેલી થાય એમ બને. આમાં યુનિવર્સિટીઓ, કોલેજો પોતાની નીતિ નક્કી કરે, ખાનગી કોલેજો જુદી જ વેતરણમાં હોય એમ પણ બનવાનું. આ બધાંમાંથી પસાર થતાં વાલી કે વિદ્યાર્થી અધમૂઆ થઈ જાય તો નવાઈ નહીં ! ભણવા કરતાં ભણવાની વ્યવસ્થાઓ જ એટલી જટિલ છે કે આ બધાંમાંથી પસાર થયા પછી વિદ્યાર્થી કે વાલીના હાથમાં મોટે ભાગે નિરાશા જ આવે છે. 12ની પરીક્ષા રદ્દ થઈ એ સાથે જ ખાનગી કોલેજોને ઘીકેળાં થઈ ગયાંની વાતો પણ વહેતી થઈ છે. તે એ રીતે કે વધારે વિદ્યાર્થીઓ કોલેજ પ્રવેશ માટે પાત્ર ઠરતાં જે સીટો ખાલી રહેતી હતી તે ભરાઈ જવાની શક્યતાઓ વધી છે. આમાં એવું થવાનું કે જે પરિણામ આવે તેનાથી વિદ્યાર્થીને સંતોષ ન થાય અને જે વિદ્યાશાખામાં જવાની ઇચ્છા હોય તેનાથી જુદી જ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવીને સંતોષ માનવો પડે. વડા પ્રધાને જેમને પરિણામથી સંતોષ ન હોય એમને માટે પરીક્ષાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે ને વફાદાર ગુજરાત સરકાર તેને અનુસરે તો ગુજરાતના વિદ્યાર્થીઓને પણ પરીક્ષાનો વિકલ્પ મળે એમ બને, પણ એવી પરીક્ષાનો વિકલ્પ નજીક જણાતો નથી. સાચું તો એ છે કે પાત્રતા પ્રમાણેનું પરિણામ વિદ્યાર્થીઓને આમ પણ ઘણીવાર મળતું નથી, તો હાલના સંજોગોમાં તો તે મુશ્કેલ જ છે.
કોલેજોએ તો 12ની પરીક્ષા લેવાશે એમ માનીને પ્રવેશના દાખલાઓ પણ ગણી કાઢેલા, એ રીત હવે બદલવી પડે કદાચ. આમાં યુનિવર્સિટીઓ કે કોલેજો પ્રવેશ માટે પોતાની રીતે પ્રવેશ પરીક્ષાઓ યોજે, જે આમ પણ યોજાતી રહે છે તેનો સામનો વિદ્યાર્થીઓએ કરવાનો આવશે. એ નથી સમજાતું કે શિક્ષણ બોર્ડ એક તરફ પરીક્ષાઓ રદ્દ કરતી જાય છે ને બીજી તરફ ગુજકેટ કે જે.ઇ.ઈ. કે નીટ જેવી પરીક્ષાઓ લેવાવાની વાત ચાલ્યા કરે છે, તો પ્રશ્ન એ થાય કે આ પરીક્ષાઓને કોરોના નથી નડતો, તો ગુજરાત બોર્ડને જ કેમ નડે છે? પરીક્ષા લેવાનું એવું ઓબ્સેશન શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓને થઈ ગયું છે કે તિરસ્કાર છૂટે. આ બધું ગુણવત્તા ચકાસવા થાય તો, તો ધૂળ નાખી, પણ એ નિમિત્તે ઉઘરાવાતી ફી દ્વારા, લાખો-કરોડોની કમાણી થાય એ ઉપક્રમ કેન્દ્રમાં હોય છે. આટલું વેઠયા પછી નોકરી માટે પસંદગી કરવાની વાત આવે છે ત્યારે મેરિટની તો ઐસીતૈસી થાય જ છે. સંસ્થાઓનું પોતાની રીતે પરીક્ષાઓ લેવાનું જ યોગ્ય હોય તો બોર્ડની કે યુનિવર્સિટીની પરીક્ષાઓનું પરિણામ, જે તે વર્ષની પરીક્ષાઓ પસાર કરી છે એટલું જ કે બીજું કૈં? મૂળ વાત એ છે કે બોર્ડ કે યુનિવર્સિટીની પરીક્ષાઓ પર જે તે સંસ્થાઓને ભરોસો જ નથી એટલે એ પોતાની રીતે પરીક્ષાઓ લે છે. એવું પણ બન્યું છે કે એક જ યુનિવર્સિટી દ્વારા યોજાતી તમામ પ્રવેશ પરીક્ષાઓને તે યુનિવર્સિટી પોતે જ માન્ય નથી ગણતી. ઉદાહરણ તરીકે નર્મદ યુનિવર્સિટીમાંથી એમ.એ. પાસ થનારે એ જ યુનિવર્સિટીમાં પીએચ.ડી.માં પ્રવેશ મેળવવા એંટ્રન્સ ટેસ્ટ આપવી પડે તો એનો અર્થ જ એ કે યુનિવર્સિટીને પોતે આપેલાં એમ.એ.નાં પરિણામ પર ભરોસો નથી, નહીં તો ટેસ્ટ શું કામ લે?
ખરેખર તો તમામ પ્રવેશ પરીક્ષાઓ કમાણી કરવાથી વિશેષ કોઈ હેતુ સિદ્ધ કરતી નથી. આવી તમામ પરીક્ષાઓ રદ્દ થાય તો વિદ્યાર્થીઓની ફી બચે, સમય અને સંસ્થાઓની મહેનત બચે ને વિદ્યાર્થીઓની તાણ ઘટે. કોઈ પણ પ્રવેશ માટે બોર્ડની કે યુનિવર્સિટીની છેલ્લી પરીક્ષાનું પરિણામ માન્ય ગણીને મેરિટને ધોરણે પ્રવેશ આપી જ શકાય. જો ગોલમાલ બોર્ડની કે યુનિવર્સિટીની પરીક્ષાઓમાં થતી હોય તો જે તે સંસ્થામાં તે ન જ થાય એમ માનવાને કોઈ કારણ નથી. બીજામાં મુકાયેલો વિશ્વાસ, સામાવાળાને પણ પોતાનામાં વિશ્વાસ મૂકવાની તક પૂરી પાડે છે.
પરીક્ષા વગર મૂલ્યાંકન શક્ય જ ન હોય તેમ આપણે સતત પરીક્ષાઓ જ લીધે રાખીએ છીએ. ઓનલાઈન શિક્ષણમાં પણ ભાર પરીક્ષા પર જ મુકાયો છે. એ પરીક્ષાઓ અને એનું મૂલ્યાંકન કેવું થયું છે તે સૌ જાણે છે. એ ઓપન બુક એક્ઝામ જેવું જ રહ્યું છે. સૌના સહકારથી એ કામ થયું છે, એમાં વિદ્યાર્થી તો નામનો જ ભાગીદાર રહ્યો છે. યુનિટ ટેસ્ટ કે મિડ ટર્મ એકઝામને આધાર ગણીને પરિણામ તૈયાર કરવામાં ન્યાય થાય એમ નથી, કારણ બધી સ્કૂલોમાં તેનું ધોરણ એક સમાન રહ્યું નથી. એવી પરીક્ષાઓનું પરિણામ 12 કે 10 માટે આધાર તરીકે લેવાનું ઠીક નથી. ખરેખર તો કોરોના પહેલાંની છેલ્લી વાર્ષિક પરીક્ષાને આધાર બનાવીને પરિણામ નક્કી કરવાનું વધારે સલાહ ભરેલું લાગે છે.
એ તો જે નીતિ નક્કી થાય તે ખરી, પણ માત્ર પરીક્ષા આધારિત મૂલ્યાંકનની પદ્ધતિએ વિદ્યાર્થીના માનસિક વિકાસને ઘણી રીતે રોક્યો છે. કોઈ પણ વિદ્યાર્થી પીએચ.ડી.ની ડિગ્રી મેળવે ત્યાં સુધીમાં તેની ક્રિએટિવિટીને કેટલી તક રહે છે તે વિચારવા જેવું છે. પરીક્ષા પદ્ધતિ અને પરીક્ષાના મારાએ વધુને વધુ ગ્રેડ કે માર્કસ કેવી રીતે મળે એનો જ વિચાર કર્યો છે. ગુણવત્તા એથી સુધરતી હશે, પણ સર્જનાત્મકતાને કે અર્થઘટનને ઝાઝી તક રહેતી નથી. ઉત્તમ શોધ અને ઉત્તમ સર્જન પરીક્ષામાં નિષ્ફળ કે સાધારણ રહેલ વ્યક્તિઓએ કર્યાંના ઘણા દાખલાઓ છે. એનો અર્થ એ થયો કે સર્જનાત્મકતા, શિક્ષણ કે પરીક્ષાથી નક્કી થતી નથી અથવા તો એમ કહી શકાય કે આજની શિક્ષણ કે પરીક્ષા પદ્ધતિ એવી નથી જે ક્રિએટિવિટીને પૂરતો અવકાશ આપે. અહીં એવી દલીલ થઈ શકે કે આવી શિક્ષણ ને પરીક્ષા પદ્ધતિ છતાં સર્જકો, વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ … વગેરે પાક્યા જ છે. એ સાચું, પણ એમાં શિક્ષણ કે પરીક્ષા કરતાં જે તે વ્યક્તિને મળેલું વાતાવરણ, પોતાની ચેતના ને શક્તિ વધારે જવાબદાર હોય એમ બને. શિક્ષણની, શિક્ષકની એમાં મદદ ખરી જ, પણ એવું પણ અપવાદોમાં હોવાનો સંભવ વધારે છે. મોટે ભાગે તો બધું બીબાંઢાળ અને યાંત્રિક જ વધુ રહે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે વ્યક્તિનો સર્જનાત્મક વિકાસ થાય એવું આટલાં વર્ષ શિક્ષણમાં ગાળવા છતાં, લાખો રૂપિયા ખર્ચવા છતાં ઓછું જ બને છે. સાફ વાત તો એ છે કે ઘણાં વર્ષો શિક્ષણમાં ખર્ચ્યા પછી કેવળ નિરર્થકતાનો જ અનુભવ થાય છે ને રડવાનું છે તે એનું છે.
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 જૂન 2021