Opinion Magazine
Number of visits: 9963828
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અકાદમી પુનઃ પ્રાણપ્રતિષ્ઠા : ક્યારે

ચંદ્રકાન્ત ટોપીવાળા|Opinion - Opinion|15 July 2021

આજના કોરોનાના કપરા આર્થિક કાળમાં સાવર્ત્રિક તંગી વચ્ચે કોઈ સંસ્થાનો અહેવાલ સળંગ આર્ટપેપર પર છપાઈને આવે તો એ અચરજનો વિષય છે. ખેર, એમાં ય એના અધ્યક્ષશ્રીનો થયેલો મહિમા પણ અચરજ ઉપજાવે એવો છે. ગુજરાત સરકારની ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષે ચાર વર્ષની પોતાની યશસ્વી કામગીરીનો એમાં અહેવાલ આપ્યો છે. એમણે ચાર વર્ષની સિદ્ધિઓ ગણાવી ત્યાં સુધી તો વાત બરાબર છે, પરંતુ સંસ્થાને સ્વાયત્તતાના મુદ્દા પર પ્રવેશ કરાવી સાથે-સાથે સદંતર અતાર્કિક મુદ્દાઓ ઉછાળ્યા છે જે તથ્ય અને સત્યથી વેગળા છે.

અહીં એમની ચાર વર્ષની કામગીરી ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે વર્ણવતાં તેઓ ભૂલી ગયા છે કે એમણે જે કામગીરી કરી છે તે ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ના ચૂંટાયેલા નહીં, પણ નિમાયેલા અધ્યક્ષ તરીકે કરી છે, જે ગેરબંધારણીય છે. અગાઉની ગુજરાત સાહિત્ય અકાદમીની બબ્બે ચૂંટણીઓ દ્વારા મનુભાઈ પંચોળી ‘દર્શક’ અને ભોળાભાઈ પટેલ ચૂંટાઈને આવ્યા અને એમ અકાદમી આકારિત થઈ હતી, એ વાત સ્પષ્ટ કરે છે કે ચૂંટણી હોવાને કારણે ગુજરાત સાહિત્ય અકાદમીનું કોઈ બંધારણ હશે. એક તબક્કે આ બંધારણને બાજુમાં મૂકીને કે  અવગણીને કેવળ ગુજરાત સરકારશ્રી તરફથી નિમાતા મહામાત્રથી ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ ચાલી ય ખરી. પછી એવું શું બન્યું કે મહામાત્રની નિમણૂકની જગ્યાની ઉપર ચૂંટાયેલા પ્રમુખ કે અધ્યક્ષને બદલે નિમાયેલા પ્રમુખ કે અધ્યક્ષને ગુજરાત સરકારશ્રી તરફથી મૂકી દેવામાં આવ્યા અને બંધારણની બાબતને ગેરકાયદેસર રીતે ગર્તામાં ધકેલી દેવામાં આવી છે.

બંધારણને બાજુએ રાખી, પ્રમુખ કે અધ્યક્ષની ચૂંટણીને ચાતરીને ગુજરાત સરકારશ્રી તરફથી પ્રમુખ કે અધ્યક્ષની નિમણૂકો થતી રહી એ કેવળ ઉમાશંકર જોશી, દર્શકના પ્રયત્નોથી ગુજરાત એકમાત્રને મળેલા ગૌરવપૂર્વકના બંધારણીય માળખાની વિરુદ્ધની નિમણૂકો છે. ગુજરાત સરકારશ્રીએ જો બંધારણ નાબૂદ કર્યું હોય તો એવી કશી જાણ પ્રજાને થઈ નથી, એટલે બંધારણને બાજુમાં રાખી અધ્યક્ષોની નિમણૂકો થતી રહી છે એ ગેરકાયદેસર છે.

‘ગુજરાત સાહિત્ય અકાદમી’ના અધ્યક્ષશ્રીએ પત્રમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી ભવન’ રચાય એમાં ગુજરાતી સાહિત્યનો મઘમઘતો ઉદ્યાન, દેશ આખાને પ્રેરણા આપે એવી મહેચ્છા દર્શાવી છે, તો એ બાબતે સ્પષ્ટ કરવું જોઈએ કે ગુજરાત સરકારશ્રી તરફથી ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ને સમસ્ત ભારતમાં એક માત્ર લોકશાહી ઢબથી ચૂંટાયેલી અકાદમી તરીકે ભૂતકાળમાં દેશ આખાને ગુજરાતે પ્રેરણા આપી હતી. આજે એને બદલે ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ના લોકશાહી માળખાને સદંતર અવગણી પોતાની જ પ્રતિષ્ઠાને ગુજરાતે હાનિ પહોંચાડી છે.

‘ગુજરાત સાહિત્ય અકાદમી’નું પોતાનું બંધારણ છે એ દીવા જેવી ચોખ્ખી બાબત છે. તો જ, બબ્બેવાર ચૂંટણીઓ થઈ છે. બબ્બે વાર પ્રમુખો વરાયા છે. આ પછી ગુજરાત સરકારશ્રીએ પોતે જ પોતાની લોકશાહી પરંપરા પર કુઠારાઘાત કરી, ભારતના એકમાત્ર મઘમઘતા ઉદાહરણને નષ્ટ કરી દીધું છે.

આ બંધારણની અત્યારે શી સ્થિતિ છે, એ ગુજરાત સરકારશ્રીએ જાહેર કરવું પડે અને જો બંધારણ ચાલુ હોય તો છેલ્લી વારના બબ્બે અધ્યક્ષશ્રીની નિમણૂકો અવશ્ય ગેરકાયદેસર ઠરે છે અને તો આજના અધ્યક્ષનો મહિમા માત્ર પણ સદંતર ગેરકાયદેસર ઠરવો જોઈએ.

ગુજરાત સાહિત્યનો મઘમઘતો ઉદ્યાન, દેશ આખાને પ્રેરણા આપે એવી ઇચ્છા જો હોય, તો વહેલી તકે સમસ્ત દેશમાં અપવાદરૂપ પોતાના સ્વતંત્ર બંધારણ પર ર્નિભર ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ને મુક્ત કરવામાં આવે અને ‘ગુજરાત સાહિત્ય અકાદમી ભવન’માં લોકશાહી સ્રોત સાથે એની પુનઃપ્રાણપ્રતિષ્ઠા થવી જોઇએ.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 02

Loading

કેરળમાં દહેજનો પ્રશ્ન

રમેશ બી. શાહ|Opinion - Opinion|15 July 2021

ભારતના હિન્દુ સમાજમાં દહેજનો પ્રશ્ન વ્યાપક રીતે પ્રવર્તે છે. ગુજરાતમાં પણ સાસરિયાં દહેજ માટે પુત્રવધૂને ત્રાસ આપતાં હોય એવા કિસ્સા અવારનવાર અખબારોમાં ચમકે છે. પણ અહીં કેરળની ચર્ચા કરવી છે.

કેરળમાં થોડા દિવસ પહેલાં એક ચોવીસ વર્ષની યુવતીએ આપઘાત કર્યો. એમાં દહેજની માંગણી એના મૂળમાં હતી. આ ઘટનાએ કેરળમાં ભારે ઊહાપોહ જગાવ્યો હતો. ત્યાનાં મહિલાઓ માટેના કમિશનનાં અધ્યક્ષાને રાજીનામું આપવું પડ્યું હતું, કારણ કે એમનું વર્તન લોકોને અસંવેદનશીલ લાગ્યું હતું. કેરળમાં છેલ્લાં પાંચ વર્ષોમાં સ્ત્રીઓના આપઘાતના પચાસ કિસ્સા બન્યા છે.

કેરળનો દાખલો એટલા માટે નોંધપાત્ર બને છે કે કેરળમાં નમૂનારૂપ માનવવિકાસ થયો છે. માનવવિકાસના અર્થશાસ્ત્રીઓ, આર્થિક રીતે પછાત પ્રદેશમાં પણ માનવવિકાસ થઈ શકે, એના નમૂના રૂપે કેરળનો દાખલો ટાંકે છે. માનવવિકાસમાં સ્ત્રીઓનો વિકાસ પણ અભિપ્રેત છે. કેરળમાં સ્ત્રીઓમાં સાક્ષરતા લગભગ સો ટકા છે. એટલું જ નહીં, ઉચ્ચ શિક્ષણ લેતી સ્ત્રીઓનું  પ્રમાણ ઘણું મોટું છે. સ્ત્રીઓમાં શિક્ષણને કારણે કેરળમાં જન્મદર ખૂબ ઘટી ગયો છે. લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. પણ સ્ત્રીઓને એમના શિક્ષણનો જે લાભ મળવો જોઈએ તે મળ્યો નથી. બીજા શબ્દોમાં કહીએ તો સ્ત્રીઓનું સશક્તીકરણ થયું નથી. એના કેટલાંક ઉદાહરણ નોંધીએ.

કામ કરી શકે એવાં વયજૂથમાં રોજગારીમાં રોકાયેલી સ્ત્રીઓનું પ્રમાણ માત્ર વીસ ટકા છે. એ જ રીતે જાહેર જીવનમાં મિશ્ર ચિત્ર જોવા મળે છે. રાજકારણમાં સ્ત્રીઓનો પ્રવેશ ઘણો મર્યાદિત છે. વિધાનસભામાં સ્ત્રીઓની સંખ્યા દશ ટકાથી ઓછી છે. કેરળના પ્રધાનમંડળમાં એકવીસ સભ્યો છે. તેમાં સ્ત્રીઓની સંખ્યા ત્રણ છે. જોકે સ્થાનિક સત્તામંડળોમાં સ્ત્રીઓનું પ્રમાણ પુરુષો કરતાં વધારે માલૂમ પડે છે.

સ્ત્રીઓ ઘરની બહાર રોજગારીમાં જઈ શકતી નથી અને ઘર સંભાળે છે. એને પરિણામે એ અબળા જ રહે છે. એનો ગેરલાભ પુરુષપ્રધાન સમાજ લે છે. તેઓ સ્ત્રીઓની પાસેથી એટલે કે એનાં કુટુંબીજનો પાસેથી મોટી રકમની અપેક્ષા રાખતા હોય છે. કેરળમાં એક વધારાનું પરિબળ ઉમેરાયું છે. કેરળમાંથી વિદેશોમાં ગયેલા લોકોની કમાણીથી કેરળના સમાજમાં વપરાશમાં વૈભવ પ્રવેશ્યો છે. દેખા-દેખી આ વૈભવ ભોગવવા માટે પુત્રવધૂ પાસેથી બહુ મોટા દહેજની અપેક્ષા રાખવામાં આવે છે. એ ના સંતોષાતાં પુત્રવધૂ ઉપર જુલમ ગુજારવામાં આવે છે. એ જુલમથી ત્રાસીને કેટલીક સ્ત્રીઓ આપઘાત કરીને તેમાંથી છૂટકારો મેળવે છે. હિન્દુ સમાજમાં દીકરાદીકરીનું લગ્ન એક બહુ જ ખર્ચાળ રિવાજ બની ગયો છે. છોકરીને કરિયાવર મોટો કરવો પડે છે અને ભોજન પાછળ પણ મોટું ખર્ચ કરવું પડે છે. ભોજનમાં હજાર બે હજાર માણસો જમાડવામાં આવતા હોય એવા અનેક દાખલા જોવા મળે છે. છોકરીને કેટલું સોનું આપ્યું એ ગૌરવનો વિષય હોય, ટૂંકમાં, હિન્દુ સમાજમાં લગ્ન ઘણું ખર્ચાળ બની જાય છે. એમાં જે જ્ઞાતિઓમાં દહેજનો રિવાજ પ્રચલિત હોય ત્યાં કન્યાના પિતા ઉપર ઘણો વધારે બોજ આવી જાય છે. આમ તો ભારતના સમાજમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષોની સરખામણીમાં ઓછી છે. છતાં પુત્રીનો પિતા ગરજવાન સ્થિતિમાં રહે છે. આ પુરુષપ્રધાન સમાજનું વરવું સત્ય છે. લગ્ન સ્ત્રી-પુરુષની સમાનતા ઉપર રચાવું જોઈએ. એ સમાનતા હજી આપણે ત્યાં આવી નથી.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 04

Loading

વસંત-રજબ શહાદત

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 July 2021

આ વખતે પહેલી જુલાઈનો વસંત-રજબ શહાદત દિવસ, ‘ગુજરાત ટુડે’ના આગોતરા અહેવાલને પગલે એક સરસ સમાચાર લઈને આવ્યો કે ચારતોડા કબ્રસ્તાન(ગોમતીપર)માં ઉપેક્ષિત શી પડેલી ને વળી દબાણ’નો ભોગ બનેલી રજબઅલીની મજાર હવે નવાં રૂપરંગ સાથે આપણ સૌની સમક્ષ કોમી સૌહાર્દની મશાલ અને મિસાલ રૂપે આવશે. અખબારી અહેવાલને પગલે ધારાસભ્ય ખેડાવાલા તેમ જ કૉર્પોરેટરો ઇકબાલ શેખ અને ઝુલ્ફીખાન પઠાણે મજારને એનું નૂર ફેર અપાવવા જે કોશિશ શરૂ કરી છે, તે પ્રજાકીય કૃતજ્ઞતાની દૃષ્ટિએ ભલે મોડું પણ રૂડું પગલું લેખાશે.

૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરની ઘટનાને પગલે ગાંધી-માર્ક્સ એમ સઘળે છેડેથી કર્મશીલ બૌદ્ધિકોને જાગૃત નાગરિકો એકત્ર આવ્યા અને એમણે અમદાવાદમાં રાજ્યસ્તરના વિશાળ અધિવેશન વાટે મૂવમેન્ટ ફોર સેક્યુલર ડેમોક્રસી(એમએસડી : સેક્યુલર લોકશાહી આંદોલન)નો સૂત્રપાત કર્યો તે પછી તરતનાં વર્ષોમાં સૂઝી રહેલો એક વિગતમુદ્દો એ હતો કે વસંત-રજબની શહાદત જેવી ઇતિહાસ ઘટનાઓની સ્મૃતિ તાજી રાખવી જોઈએ. ત્યારથી પ્રતિવર્ષ જમાલપુર ખાંડની શેરીએ પહેલી જુલાઈએ એકત્ર મળવાનું શરૂ થયું. અલબત્ત, અમે કંઈ પહેલા હતા એમ તો નહોતું. વસંતરાવ અને રજબઅલી બેઉ આઝાદીપૂર્વે કૉઁગ્રેસ સેવાદળના સમર્પિત સૈનિકો હતા, એ કર્તવ્યનો સાદ સુણી એમણે જીવનની આહુતિ આપી જાણી હતી. એટલે સેવાદળે ખાંડની શેરીએ પ્રતિવર્ષની માનવંદના મુલાકાતનો એક સિલસિલો જરૂર ચાલુ રાખ્યો હતો, અને એ માટે એને સલામ ઘટે છે. માત્ર, વર્ષો વીતતાં ગયા તેમ સેવાદળનું બળ સહજક્રમે ઓસરતું ગયું અને ધીરે-ધીરે રસમ ચાલુ રહી પણ ફરતેનું ભામંડળ જાણે કે ઓજપાઈ ગયું. દરમિયાન, સેક્યુલર લોકશાહી આંદોલનના પ્રવેશ સાથે સેવાદળને ય સોબતી અને સધિયારો મળ્યો અને ખાંડની શેરીનું આ સંગમતીર્થ એકદમ જાગતું ને ગાજતું થઈ ગયું. કૉર્પોરેશન પણ સફાળું જાગ્યું અને સ્મારકવત્‌ કશુંક ખડું પણ થઈ ગયું.

વસંતરાવનાં બહેન હેમલતા હેગિષ્ટે જે પછીથી, જાહેરજીવનમાં, જ્યોતિસંઘના અગ્રણી લેખે ઝળક્યાં હતાં, એમણે નોંધ્યું છે કે ખાંડની શેરીએથી બેઉ બંધુઓનાં મૃતદેહ ખસેડાઈ રહ્યાં હતાં ત્યારે જ એક ગણગણાટ સહેજ ઊઠ્યો ન ઊઠ્યો ને શમી ગયો હતો કે બંનેના અંતિમ સંસ્કાર સાથે જ કરવા જોઈએ. અલબત્ત, સહજ હતું તેમ એ શક્ય ન બન્યું અને એકને સારુ સ્મશાન તો બીજાને સારુ કબ્રસ્તાન એ રૂઢિગત નિયતિ બની રહી. શહાદતને સ્થળે સ્મારક બન્યું ખરું, પણ રજબઅલીની મજાર બિલકુલ વિસ્મૃતવત્‌ બની ગઈ. રજબઅલીના પરિવારના મોટા ભાગના સભ્યો ઉત્તરોત્તર વકરતા કોમવાદ વચ્ચે આશંકિત ને આતંકિત શા બની રહ્યા, અને એમણે લગભગ ખૂણો પાળ્યો. નવી ઓળખમાં એમણે સલામતી શોધી, એ આપણા સામાજિક વાસ્તવની એક દુર્દૈવ સાહેદી છે.

જેટલું આપણે વસંતરાવના જીવન વિશે જાણીએ છીએ, એના પ્રમાણમાં રજબઅલી વિશે આપણી જાણકારી ખરે જ ઓછી છે. મહારાષ્ટ્રથી અહીં વસી ગયેલા હેગિષ્ટે પરિવારને સારુ અમદાવાદ એ પેઢાનપેઢી વતન જ બની રહ્યું હતું. એથી ઊલટું, રજબઅલી શહાદતનાં છેલ્લાં થોડાં સમય પર જ અમદાવાદ આવી વસ્યા હતા. હેગિષ્ટે પરિવાર જેવાં મૂળિયાં ને વ્યાપ એમનાં નહોતા .. બંનેની અભિન્ન મિત્રતા બલકે કર્મબાંધવી એક મિસાલરૂપ હતી એ જુદી વાત છે.

રજબઅલી સૌરાષ્ટ્રના. લીંબડીનું કુટુંબ. ભાવનગરમાં અને કરાચીમાં ભણતર. – રવિશંકર મહારાજની પરંપરામાં આવેલા ગ્રામસેવક બબલભાઈએ લખ્યું છે કે એમને યુવા રજબનો પ્રથમ પરિચય કરાંચીમાં થયો હતો. દાંડીકૂચ પછી જેલમાંથી બહાર આવ્યા બાદ બબલભાઈ કોઈ ગામડું શોધી એમાં રચનાકાર્યમાં ખૂંપી જવાનું વિચારતા હતા, તે પૂર્વે કરાંચીમાં પરિવારને મળી લેવું જોઈએ એ ખ્યાલે તે કરાંચી ગયા ત્યારે ત્યાંની પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય શિક્ષણસંસ્થા શારદામંદિરમાં જનજાગૃતિ માટેના એક પ્રદર્શનમાં એ હાથ બટાવવા ગયા, તે વખતે હજુ છાત્ર એવા રજબનો, એની હોંશીલી ભાવનામૂર્તિનો હૃદ્ય પરિચય થયાનું એમણે નોંધ્યું છે.

ભાવનગર દિવસોમાં પ્રિ. શહાણીએ, વલ્લભભાઈની કૉલેજ-મુલાકાત વખતે રજબઅલીને એક હોનહાર વિદ્યાર્થી તરીકે ઓળખાવ્યા હતા. વજુભાઈ શાહ, મનુભાઈ પંચોળી, જયાબહેન શાહ એ સૌ તરુણ કાર્યકરો તેમ પછીથી ‘સમય’ થકી પત્રકાર તરીકે ઝળકેલા સહપાઠી ભાનુભાઈ શુકલ વગેરે સાથેનો રજબનો કાર્યપરિચય ત્યારે જામ્યો. ધીમેધીમે, કેન્દ્ર અમદાવાદ ખસેડવું એવું એમને થયું અને રજબઅલીની પ્રતિભા જોતાં સાથીઓને તો એમ પણ લાગતું કે જે રીતે કૉંગ્રેસપ્રમુખ જવાહરલાલ નહેરુએ જયપ્રકાશ અને લોહિયા જેવા યુવાનોને સ્વરાજલડતની કેન્દ્રીય કચેરીમાં જોતર્યા હતા, એ જ રીતે રજબ જેવા પણ આગળ જતાં ઝળકી ઊઠશે.

ખેર, અહીં આખી દાસ્તાંમાં જવાનો ખ્યાલ નથી. ૨૦૦૬માં ૧૯૪૬ની વસંત-રજબ શહાદતને સાઠ વરસ થયાં, ત્યારે પરિચય પુસ્તિકામાં મેં વસંતરાવની જોડાજોડ રજબઅલીનીયે કંઈક જીવનરેખા આલેખી હતી. ઓણ, પહેલી જુલાઈએ એમની શહાદતને પંચોતેરમું વરસ બેઠું. હવે એ પુસ્તિકાનું સંવર્ધિત સંસ્કરણ, ૨૦૨૨ના જુલાઈમાં પંચોતેર વરસ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે આવે એવો મનસૂબો છે. દરમિયાન જો કે જયંતી દલાલ ને ઇન્દ્રવદન ઠાકોર આદિ વસંત-રજબ સમકાલીનોની આરંભિક પહેલ બાદ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ શરૂનાં વર્ષોમાં બહાર પાડેલ સ્મૃતિગ્રંથ અલભ્ય હતો, તે રિઝવાન કાદરીની કોશિશથી પુનઃપ્રાપ્ય બન્યો છે, એ અહીં સાનંદ સંભારવું જોઈએ.

પ્રશ્ન એ પડને જાગતું રાખવાનો છે, જેમાં સંચિત મૂલ્યો સારુ આ મિત્રોએ સર્વોચ્ચ કુરબાની આપી. આપણે એમને કોમી એકતાના બલિદાની વીરો તરીકે બિરદાવીએ છીએ અને એ વાત ખોટી અલબત્ત નથી, પણ જે સમજવાનું છે તે એ કે એમની કુરબાની કોઈ ક્ષણાવેશનો મામલો નહોતી. કોમી એકતા એમના સ્વરાજદર્શનનો અંગભૂત હિસ્સો હતી એ સાચું; પણ જેમાં સ્વતંત્રતા અને સમાનતા એકબીજાને શોધિત-વર્ધિત કરતાં રહે એવું સંપોષિત સ્વરાજદર્શન એમનું હતું. વિકાસની જે તરાહ આપણે પકડી છે, એમાં એ ક્યાં છે? રાષ્ટ્રની જે વ્યાખ્યા સત્તાપક્ષ દ્વારા કરાઈ રહી છે, એમાં એ ક્યાં છે? સ્વરાજનું પંચોતેરમું વરસ, વસંત-રજબની શહાદતને પંચોતેરમે વરસે જાગતા આ સવાલોનો જવાબ માગે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 05

Loading

...102030...1,9331,9341,9351,936...1,9401,9501,960...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved