આજના કોરોનાના કપરા આર્થિક કાળમાં સાવર્ત્રિક તંગી વચ્ચે કોઈ સંસ્થાનો અહેવાલ સળંગ આર્ટપેપર પર છપાઈને આવે તો એ અચરજનો વિષય છે. ખેર, એમાં ય એના અધ્યક્ષશ્રીનો થયેલો મહિમા પણ અચરજ ઉપજાવે એવો છે. ગુજરાત સરકારની ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષે ચાર વર્ષની પોતાની યશસ્વી કામગીરીનો એમાં અહેવાલ આપ્યો છે. એમણે ચાર વર્ષની સિદ્ધિઓ ગણાવી ત્યાં સુધી તો વાત બરાબર છે, પરંતુ સંસ્થાને સ્વાયત્તતાના મુદ્દા પર પ્રવેશ કરાવી સાથે-સાથે સદંતર અતાર્કિક મુદ્દાઓ ઉછાળ્યા છે જે તથ્ય અને સત્યથી વેગળા છે.
અહીં એમની ચાર વર્ષની કામગીરી ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે વર્ણવતાં તેઓ ભૂલી ગયા છે કે એમણે જે કામગીરી કરી છે તે ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ના ચૂંટાયેલા નહીં, પણ નિમાયેલા અધ્યક્ષ તરીકે કરી છે, જે ગેરબંધારણીય છે. અગાઉની ગુજરાત સાહિત્ય અકાદમીની બબ્બે ચૂંટણીઓ દ્વારા મનુભાઈ પંચોળી ‘દર્શક’ અને ભોળાભાઈ પટેલ ચૂંટાઈને આવ્યા અને એમ અકાદમી આકારિત થઈ હતી, એ વાત સ્પષ્ટ કરે છે કે ચૂંટણી હોવાને કારણે ગુજરાત સાહિત્ય અકાદમીનું કોઈ બંધારણ હશે. એક તબક્કે આ બંધારણને બાજુમાં મૂકીને કે અવગણીને કેવળ ગુજરાત સરકારશ્રી તરફથી નિમાતા મહામાત્રથી ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ ચાલી ય ખરી. પછી એવું શું બન્યું કે મહામાત્રની નિમણૂકની જગ્યાની ઉપર ચૂંટાયેલા પ્રમુખ કે અધ્યક્ષને બદલે નિમાયેલા પ્રમુખ કે અધ્યક્ષને ગુજરાત સરકારશ્રી તરફથી મૂકી દેવામાં આવ્યા અને બંધારણની બાબતને ગેરકાયદેસર રીતે ગર્તામાં ધકેલી દેવામાં આવી છે.
બંધારણને બાજુએ રાખી, પ્રમુખ કે અધ્યક્ષની ચૂંટણીને ચાતરીને ગુજરાત સરકારશ્રી તરફથી પ્રમુખ કે અધ્યક્ષની નિમણૂકો થતી રહી એ કેવળ ઉમાશંકર જોશી, દર્શકના પ્રયત્નોથી ગુજરાત એકમાત્રને મળેલા ગૌરવપૂર્વકના બંધારણીય માળખાની વિરુદ્ધની નિમણૂકો છે. ગુજરાત સરકારશ્રીએ જો બંધારણ નાબૂદ કર્યું હોય તો એવી કશી જાણ પ્રજાને થઈ નથી, એટલે બંધારણને બાજુમાં રાખી અધ્યક્ષોની નિમણૂકો થતી રહી છે એ ગેરકાયદેસર છે.
‘ગુજરાત સાહિત્ય અકાદમી’ના અધ્યક્ષશ્રીએ પત્રમાં ‘ગુજરાત સાહિત્ય અકાદમી ભવન’ રચાય એમાં ગુજરાતી સાહિત્યનો મઘમઘતો ઉદ્યાન, દેશ આખાને પ્રેરણા આપે એવી મહેચ્છા દર્શાવી છે, તો એ બાબતે સ્પષ્ટ કરવું જોઈએ કે ગુજરાત સરકારશ્રી તરફથી ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ને સમસ્ત ભારતમાં એક માત્ર લોકશાહી ઢબથી ચૂંટાયેલી અકાદમી તરીકે ભૂતકાળમાં દેશ આખાને ગુજરાતે પ્રેરણા આપી હતી. આજે એને બદલે ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ના લોકશાહી માળખાને સદંતર અવગણી પોતાની જ પ્રતિષ્ઠાને ગુજરાતે હાનિ પહોંચાડી છે.
‘ગુજરાત સાહિત્ય અકાદમી’નું પોતાનું બંધારણ છે એ દીવા જેવી ચોખ્ખી બાબત છે. તો જ, બબ્બેવાર ચૂંટણીઓ થઈ છે. બબ્બે વાર પ્રમુખો વરાયા છે. આ પછી ગુજરાત સરકારશ્રીએ પોતે જ પોતાની લોકશાહી પરંપરા પર કુઠારાઘાત કરી, ભારતના એકમાત્ર મઘમઘતા ઉદાહરણને નષ્ટ કરી દીધું છે.
આ બંધારણની અત્યારે શી સ્થિતિ છે, એ ગુજરાત સરકારશ્રીએ જાહેર કરવું પડે અને જો બંધારણ ચાલુ હોય તો છેલ્લી વારના બબ્બે અધ્યક્ષશ્રીની નિમણૂકો અવશ્ય ગેરકાયદેસર ઠરે છે અને તો આજના અધ્યક્ષનો મહિમા માત્ર પણ સદંતર ગેરકાયદેસર ઠરવો જોઈએ.
ગુજરાત સાહિત્યનો મઘમઘતો ઉદ્યાન, દેશ આખાને પ્રેરણા આપે એવી ઇચ્છા જો હોય, તો વહેલી તકે સમસ્ત દેશમાં અપવાદરૂપ પોતાના સ્વતંત્ર બંધારણ પર ર્નિભર ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ને મુક્ત કરવામાં આવે અને ‘ગુજરાત સાહિત્ય અકાદમી ભવન’માં લોકશાહી સ્રોત સાથે એની પુનઃપ્રાણપ્રતિષ્ઠા થવી જોઇએ.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 02