Opinion Magazine
Number of visits: 9571623
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કટોકટીકાળમાં અગ્રદૂતોનો બોધ …

કિરણ કાપુરે|Opinion - Opinion|13 May 2021

કોરોનાએ અનેક સત્ય સપાટી પર લાવી દીધા છે. સામાન્ય સંજોગોમાં આ સત્ય આંખ સમક્ષ હોવા છતાં કોઈ જોઈ શકતું નથી. જે ચિત્ર માધ્યમો, આગેવાનો દ્વારા અને આસપાસના વિકાસના મોડલથી ઉપસાવવામાં આવે છે અને ત્યાં સુધી જ સૌની દૃષ્ટિ સીમિત થઈ જાય છે. આ સિલસિલો આજકાલનો નથી, અવિરતપણે સમાજમાં તેની ભજવણી થતી રહી છે. અને એટલે પૂર્વે સમાજના અગ્રદૂતો કહી શકાય તેવાંઓએ આ વિશે પોતાના અનુભવો શબ્દબદ્ધ કર્યાં છે. પ્રજા પ્રત્યે બેદરકારી દાખવવાની અને તેમને ખરા સમયે રઝળતી મૂકી દેવાનો ક્રમ અગાઉ પણ ચાલ્યો છે. પણ આ સ્થિતિ ક્યારે અને કેવી રીતે આવે છે તે વિશે તેમણે કરેલાં મંથન, મનનના થોડાં દાખલા જોઈએ; તો તેનાથી ભવિષ્ય અંગે બોધપાઠ જરૂર મેળવી શકાય.

જેમ કે ટૉલ્સટૉય લિખિત એક સુંદર પુસ્તક છે : ‘ત્યારે કરીશું શું?’ ગુજરાતીમાં આ પુસ્તકનો અનુવાદ નરહરિ પરીખ અને પાંડુરંગ વળામેએ કર્યો છે. નવલકથા હોવા છતાં તેની પ્રસ્તાવનામાં કાકાસાહેબ લખે છે તેમ, “ટૉલ્સટૉયે વર્ણવેલા પ્રસંગો કાલ્પનિક નથી, એણે કરેલી મીમાંસા ‘તાત્ત્વિક’નથી. પુસ્તકની શરૂઆત તો રસ્તા પર ભટકતા ભિખારીઓનાં સુખદુઃખથી થાય છે પણ એનો મુખ્ય વિષય તો આખા મનુષ્યસમાના કલ્યાણનો છે.” આ પુસ્તકમાં એક ઠેકાણે ટૉલ્સટૉય લખે છે તે આજની સ્થિતિનો ચિતાર આપતા હોય તેમ જોઈ શકાય છે. તેઓ લખે છે : “દાક્તરની સ્થિતિ તો એથીયે ખરાબ છે. તે આખી વિદ્યા જ એવી પાખંડ છે કે જે કશું કામ કરતાં ન હોય અ પોતાનું બધું કામ બીજા પાસે કરાવતા હોય તેવાને જ તે સાજા કરી શકે છે. તે શાસ્ત્રીય રીતે કામ કરી શકે તે માટે તેને પાર વિનાનાં ખર્ચાળ સાધનો જોઈએ, ખર્ચાળ દવાઓ જોઈએ, શાસ્ત્રીય અને સ્વચ્છ એવા મોટા ઓરડા જોઈએ, ખર્ચાળ ખોરાક જોઈએ અને ખર્ચાળ સંડાસ જોઈએ. તેની ફી ઉપરાંત આ બધું ખર્ચ ઊઠાવવું જોઈએ. એટલે એક દરદીને તે સાજો કરે તેટલામાં જેમને માથે આ બધા ખર્ચનો બોજો પડે છે તેવા સૌને તો તે ભૂખે મારે. મોટાં મોટાં શહેરોમાં નિષ્ણાતો પાસે અભ્યાસ કરીને તેણે બહુ નામના મેળવેલી હોય છે. ઇસ્પિતાલમાં ખાટલામાં પડી રહેવું જેમને પોસાય એવા જ દરદીઓની તે દવા કરી શકે છે. અથવા સાજા થયા પછી, સાજા રહેવા માટે જરૂરી સાધનો ખરીદ કરી શકે એવા અને છેક ઉત્તરમાંથી દક્ષિણમાં અને દક્ષિણમાંથી ઉત્તરમાં હવાફેર માટે જઈ શકે એવા હોય તથા અમુક પાણીવાળાં સ્થળોએ રહેવા જઈ શકે એવાં હોય, તેવાઓની જ તે દવા કરી શકે છે.”

ટૉલ્સટૉયની તમામ વાતથી વાચક સહમત ન થાય, પણ આજની આપણી સ્થિતિનું કંઈક અંશે થયેલું નિરૂપણ તેમના આ લખાણમાં જોવા મળે છે. આ પુસ્તકમાં માનવજીવનની કડવી વાસ્તવિકતાની રજૂઆત છે અને એટલે જ કાકાસાહેબે પુસ્તક વિશે લખ્યું છે : “એ બહુ ખરાબ ચોપડી છે. એ આપણને જાગ્રત કરે છે, અસ્વસ્થ કરે છે. ધર્મભીરુ કરે છે. આ ચોપડી વાંચ્યા પછી એશઆરામ અને મોજમજાનાં દૂધમાં પશ્ચાતાપનો ખારો કાંકરો પડે છે. જ્યારે પોતાનું જીવન કાંઈક સુધારીએ ત્યારે જ એ મનોવ્યથા ઓછી થાય. માણસાઈને જ સાવ ગૂંગળાવી મારીએ તો તો સવાલ જ નથી.”

માણસાઈને ગૂંગળાવી મારનારાં આપણા આગેવાનો છે અને અત્યારે આવેલી સ્થિતિ તેમની બેદરકારીને આભારી છે. ટૉલ્સટૉયે જેમ બજાર દ્વારા ઊભી થયેલી આપણી સ્થિતિને આલેખી છે, તેવી જ રીતે એરિક ફ્રોમે ‘શાણો સમાજ’ પુસ્તકમાં સત્તાવાદી મૂર્તિપૂજા નામના પ્રકરણમાં આગેવાનો વિશે લખ્યું છે. એરિક ફ્રોમનું આ પુસ્તક કાંતિ શાહ દ્વારા અનુવાદિત થયું છે. અહીં એરિક લખે છે : “ફાસીવાદ, નાઝીવાદ અને સ્ટાલિનવાદમાં સામ્ય એ છે કે તેઓએ વામણા ને વિચ્છિન્ન થઈ ગયેલ માણને એક નવો આશરો ને સહીસલામતી બક્ષ્યાં. આ સમાજવ્યવસ્થાઓમાં માનવીનું પરાયાપણું પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. વ્યક્તિને એવો અનુભવ કરાવાઈ રહ્યો છે કે તે શક્તિહીન અને તુચ્છ છે, પણ સાથે તેને એવું શીખવવામાં છે કે તેની બધી જ માનવીય શક્તિઓનું નેતામાં, રાજ્યમાં, પિતૃભૂમિતામાં આરોપણ કરવાનું. અ પોતે તેમને શરણે જવાનું છે તેમ જ તેમની પૂજા કરવાની છે. તે પોતાની સ્વતંત્રતાથી ભાગી છૂટે છે, અને એક નવી મૂર્તિપૂજાનું શરણું સ્વીકારે છે. … આ નવી વ્યવસ્થાઓનું ચણતર એમના કાર્યક્રમો તેમ જ એમના નેતાઓ વિશેના અત્યંત ખુલ્લંખુલ્લાં જુઠ્ઠાણાઓ પર થયું છે. એમના કાર્યક્રમોમાં તેઓએ કો’ક પ્રકારનો સમાજવાદ સિદ્ધ કરવાનો દાવો કર્યો છે, જ્યારે વ્યવહારમાં તેમણે જે કાંઈ કર્યુ તે આ શબ્દના અર્થથી વિરુદ્ધનું હતું. એમના નેતાઓનાં વ્યક્તિત્વો પણ અત્યંત છેતરામણાં હતાં.”

એરિક ફ્રોમની આ વાતનો ઉદ્દેશ આપણા દેશના સંદર્ભમાં સમજીએ તો જાણી શકાય કે કોરોનાનું જોર જ્યારે ઓછું થયું ત્યારે તેનો શ્રેય સરકારના નુમાંઈદગી કરનારાઓએ લીધો અને આજે કોરોના વકર્યો છે ત્યારે તેઓ પોતાની સત્તા વધુ વિસ્તરે તે માટે પ્રચાર કરી રહ્યા છે. વિદેશ ચિંતકોની જેમ આપણી ભાષાના સાહિત્યમાં આવા બોધ સાંપડે છે. મનુભાઈ પંચોળી ‘દર્શક’નું સૉક્રેટીસથી માર્ક્સ નામના પુસ્તકમાં ‘ઈશુ અને તેનો ધર્મ’ નામના પ્રકરણમાં લખે છે : “સમગ્ર રાજનીતિના કેન્દ્રમાં પ્રશ્ન એ છે કે રાજ્ય અનિવાર્ય છે, રાજ્યને દંડશક્તિ આપવી અનિવાર્ય છે. પણ તેને દંડશક્તિ કેટલી આપવી? તેના પર કેમ અંકુશ રાખવો? સત્તા એવો નશો ચડાવે છે કે, સત્તા મેળવનારા વધારે ને વધારે સત્તા પ્રાપ્ત કરવા હંમેશાં પ્રયત્નશીલ રહે છે અને બીજું, તેમને પોતાનાં કૃત્યોનો જવાબ આપવાનું પસંદ નથી.”

આ પુસ્તકમાં જ આગળ ‘રાષ્ટ્રવાદ : દુનિયાનું દોજખ’ નામના પ્રકરણમાં મનુભાઈ પંચોળી લખે છે : “આ દુનિયામાં કોઈ પણ નિમિત્તે કે જરૂરિયાતોના સંદર્ભમાં લોકપ્રિય નેતાઓ-સરમુખત્યારોનાં પ્રજાએ અંધઅનુયાયી થવું અને તેમને સર્વસત્તા સમર્પિત કરવી તે આત્મઘાતક છે. સત્તા હંમેશાં નશો ચડાવે છે અને લૉર્ડ ઍક્ટને ધ્યાન દોર્યું છે તેમ નિરંકુશ સત્તા નિરકુંશ નશો ચડાવે છે અને પછી મનુષ્ય સર્વ ભાન ભૂલી જાય છે. જર્મનો પણ માણસ જ હતા. તેમને સંતાનો-પરિવાર હતાં છતે તેમની અંધ દેશભક્તિના ખ્યાલે નેતાઓના પ્રભાવ સાવ જડ પશુથી પણ હીણાં બનાવ્યાં. એટલે માનવજાતે કોઈ પણ અંધભક્તિ કરવી ન જોઈએ અને હંમેશાં વિવેકનો દીવો પ્રજ્વલિત રાખવો ઘટે.”

કોરોના અગાઉ આવી કટોકટીની કોઈએ કલ્પના પણ નહોતી કરી. જો કે નાની નાની અનેક ઘટનાઓ કટોકટીના એલાર્મરૂપી તો દેશમાં બનતી જ હતી, પરંતુ તેનો બોધપાઠ ન લેવાયો અને આજે દેશ સ્વાસ્થની કટોકટીમાં આવી ચૂક્યો છે. રોજેરોજ કોરોનાનો આંકડો રેકોર્ડ બ્રેક કરી રહ્યો છે. મૃત્યુઆંક વધી રહ્યો છે. તેમ છતાં તેનાં અનુભવને ગાંઠે બાંધીને નિર્ણય લેવાઈ રહ્યા નથી. બંગાળમાં ગત્ મહિનામાં જે ચૂંટણી પ્રચાર થયો તે તેનું ઉદાહરણ છે. અગાઉ રાજ્યમાં પણ એ જ રાહે ચૂંટણી થઈ પછી ક્રિકેટ જલસો થયો.

હવે આ સ્થિતિ કેમ આવી તે વિશે એરિક ફ્રોમ ‘શાણો સમાજ’ પુસ્તકમાં ‘સમજશક્તિ, અંતરાત્મા અને ધર્મ’ નામના પ્રકરણમાં લખે છે : “આજે માણસની બુદ્ધિનો ઘણો વિકાસ થયો છે, પણ તેની સમજશક્તિ ઘણી ઘટી છે. વાસ્તવિક પરિસ્થિતિને એ જેમની તેમ સ્વીકારી લે છે. એ તેને ખાવા માગે છે, તેનો ઉપભોગ કરવા માગે છે, તેને સ્પર્શવા માગે છે, તેને અનુકૂળ બનાવીને પોતાના માટે તેનો ઉપયોગ કરવા માગે છે, પરંતુ એ પૂછતોયે નથી કે તેની પછવાડે શું છે, આજે તે જેવી છે, તેવી શા માટે છે, અને બધું ક્યાં જઈ રહ્યું છે. ગમારપણાનો અર્થ આપણે જો સમજશક્તિપણાનો અભાવ કરતા હોઈએ, તો તે આજે પહેલાં કરતાં વધ્યું છે. આજે લગભગ દરેક માણસ ગીતા કે કુરાનની જેમ છાપું વાંચે છે, તેમ છતાં રાજકીય બનાવી સમજણનો આજે અભાવ છે. આજે આપણને એવા શસ્ત્રાસ્ત્રો બનાવી આપે છે, જેના પર આપણી સમજશક્તિ અંકુશ રાખી શકતી નથી. આપણને ‘શું છે’ તેની ખબર છે, પણ ‘શા માટે’ છે તેની ખબર નથી.”

e.mail : kirankapure@gmail.com

Loading

‘પહેલી વારના વાચનનો હરખ’

નારાયણ દેસાઈ|Opinion - Literature|13 May 2021

મહાદેવની પ્રવૃત્તિઓનો, તેઓ ગાંધીજી સાથે જોડાયા ત્યાર પછી થોડા જ સમયમાં, શંકરની જટામાંથી છૂટેલી ગંગાની જેમ વિસ્તાર થવા લાગેલો. ગાંધીજીનાં વ્યક્તિગત કામો તો હતાં જ. તે ઉપરાંત એમનાં ભાષણોની નોંધો રાખવી શરૂ થઈ. ગાંધીજીનું તે કાળે જે મુખ્ય કાર્ય હોય તેને પત્રો દ્વારા, ચર્ચાઓ દ્વારા અને કોઈ કોઈ વાર નાનીમોટી બેઠકોમાં વાર્તાલાપ દ્વારા સમજાવવાનું  પણ શરૂ થયું. પણ અનેકવિધ પ્રવૃત્તિઓ છતાં મહાદેવ પોતાનો સ્વાધ્યાય નહીં છોડતા. તેઓ નિયમિત રીતે કાંઈક ને કાંઈક વાંચતા, અને તેમાં યે પોતાના કામને અંગે જરૂરી હોય એવું વાચન તો શોધી કાઢીને વાંચતા. એક સ્થળના સ્વાગતનો ભારી ભભકો જોઈ મહાદેવ ડાયરીમાં નોંધે છે, ‘આવા ભારે ભભકાનું વર્ણન તો વૉલ્ટર સ્કોટ જ કરી શકે. સ્કોટ વાંચવો પડશે.’

સાહિત્યની વાત આવી છે તો સાથે સાથે એટલું પણ કહી દઈએ કે મહાદેવભાઈએ જ નહીં, પણ ગાંધીજીએ પણ આ કાળ દરમિયાન ઠીક ઠીક ગુજરાતી સાહિત્ય વાંચ્યું હતું. અવારનવાર ગુરુશિષ્ય વચ્ચે સાહિત્યચર્ચા ચાલતી. સૈનિકભરતીના કામ દરમિયાન ગાંધીજીએ ભોગવેલી મરડાની ગંભીર માંદગી વખતે રોજ સવારે મહાદેવ ગાંધીજીને આનંદશંકર ધ્રુવની हिंदु धर्मनी बाळपोथी વાંચી સંભળાવતા. ‘એમાંથી હું તો રસના ઘૂંટડા પી રહ્યો છું.’ એમ ગાંધીજી કહેતા. મહાદેવભાઈ વાંચતા જાય અને ગાંધીજી ‘હદ વાળી છે, અદ્દભુત ભંડાર ઠલવ્યો છે’ એવા એવા ઉદ્દગારો કાઢે. પોતાના પરમ મિત્ર સી.એફ. ઍન્ડ્રૂઝને લખ્યું :

‘આ નિબંધો શુદ્ધ કાંચન છે. આ પ્રાંતમાં મોટામાં મોટા વિદ્વાન પૈકીના એ છે. આ નિબંધોથી મને ભારે સુખ મળ્યું છે. આત્માના મિલનનો અર્થ વધારે સારી રીતે સમજવામાં તેણે મને મદદ કરી છે.’

મણિલાલ નભુભાઈના कांता નાટક વિશે અભિપ્રાય મિશ્ર હતો : 

‘સારું નાટક છે. કલાત્મકતા છે, પણ અંગ્રેજી ભાવો ઘણા જ છે. જ્યાંત્યાં અંગ્રેજી ભણકારા વાગે છે. તરલાનું પાત્ર અંગ્રેજી નાટકોના પાત્ર જેવું છે. વાંચીને रिचर्ड ध थर्ड અથવા मेकबेथ યાદ આવે. रिचर्ड ध थर्ड વધારે.’

राईनो पर्वत વિશે કહે, ‘વીણાવતીને દાખલ કરીને રમણભાઈએ નાટકની કિંમત ઓછી કીધી છે. પાછલા ભાગમાં જાણે વિધવા પુનર્વિવાહનું ચોપાનિયું લખતા હોય તેવું થઈ ગયું છે. નાટક ઉત્તમ છે એમાં શક નથી. પણ આ ખામી તો છે જ. એણે ખૂબ ચડાવ્યું પણ આગળ જઈને પડ્યા.’

દોલતરામ પંડ્યાના अमरसत्र નાટક વિશેની ચર્ચા એ બંનેને ‘ક્લિષ્ટ’ શબ્દ અંગેની ચર્ચામાં ઉતારી ગઈ :

‘મહાદેવ, ‘अमरसत्र’ તો સારું છે, પાછળથી શ્લોકો પણ સારા આવે છે; પ્લૉટ તો ધૂળ જેવું છે, પણ લખાણ સારું છે અને દોલતરામ પંડ્યા કુદરતી લખતા હોય એવું લાગે છે.’

મેં કહ્યું : મેં વાંચ્યું નથી એટલે શું કહું ? પણ ક્લિષ્ટ શૈલી તો હોવી જોઈએ.

બાપુ કહે : તમે ક્લિષ્ટ કોને કહો ?

મેં કહ્યું : જે વિચાર વધારે સહેલી ભાષામાં મૂકી શકાતો હોય છતાં જે કઠણ ભાષામાં બતાવવાની ખાતર બતાવ્યો હોય, જેમાં કઠણતા એ ભૂષણ નહીં હોય પણ ભારરૂપ હોય તે ક્લિષ્ટ. અને એવી શૈલી દોલતરામ પંડ્યાની ગણાય છે.

બાપુ કહે : ના, સમજવું કઠણ પડે તેને ક્લિષ્ટ નહીં કહેવાય.

મેં કહ્યું : રમણભાઈનો જે સરળતાનો ગુણ છે, તે ગુણ દોલતરામ પંડ્યામાં છે જ નહીં.

તો કહે : તે ખરું, પણ એની કઠણ ભાષાને હું ક્લિષ્ટ નહીં કહું, કારણ, સમજતાં વાર લાગે તેથી આપણે કોઈ ભાષાને ક્લિષ્ટ નથી કહી શકતા.

મેં કહ્યું : જાણી જોઈને ક્લિષ્ટ કરી હોય, વિના કારણ કઠણ કરી હોય તે ક્લિષ્ટ કહેવાય. વિચાર ન સમજાવાને લીધે મણિલાલની ભાષા કઠણ લાગે પણ તે ક્લિષ્ટ નહીં. અલંકારોને લીધે કઠણ લાગે એવી ગોવર્ધનભાઈની ભાષા ક્લિષ્ટ નહીં, પણ શ્લિષ્ટ જ કહેવાઈ છે.

તો કહે કે : હશે. પણ મણિલાલની ભાષા ઘણે ઠેકાણે એવી નથી કે જેને સાદી રીતે બતાવાય છતાં કઠણ રીતે બતાવી હોય ?

મેં કહ્યું : ના.

વાત ત્યાં અટકી. પછી મેં પૂછ્યું :

અંગ્રેજી લેખકોમાં ક્લિષ્ટ ભાષા કોની ?

જરા વિચાર કરીને કહે : આપણને ક્લિષ્ટ લેખકો શીખવાતા નથી, એટલે શું કહેવાય ?

મેં કહ્યું : જોન્સન તો ન કહેવાય.

તો કહે : ના, નહીં જ.

મેં જરા હસતાં હસતાં કહ્યું : ઓસ્ટિનની જ્યુરિસ્પ્રુડન્સ ક્લિષ્ટ કહેવાય.

બાપુ : મને તો નથી લાગી. એની એક પ્રકારની રીત હતી, પણ મને તે તેમાં બહુ રસ પડતો.

મેં કહ્યું : ડાઈસીના જેટલો પ્રસાદ એમાં ખરો કે ?

તો કહે : ના. એ વાત સાચી, પ્રસાદ તો નથી જ. પછી કહે : તમે स्टीवन्स डिजेस्ट ऑफ एविडन्स વાંચેલો ? એના ઉપર હું તો ફિદા છું. આપણે કાયદાનાં પુસ્તકો પણ આપણી ભાષામાં લાવવાં જોઈએ. પણ આપણા વકીલોને ક્યાં ગુજરાતીમાં બોલવું જ છે ? એ લોકોને ભાન ક્યાં છે કે ગુજરાતીમાં એ પુસ્તકો મૂકી દેવાથી પ્રજાને કેટલી ચડાવાય ? અને આપણા સાક્ષરોને તો જાણે સાચી પ્રવૃત્તિ હાથ લાગી જ નથી. રેઢિયાળ પુસ્તકોનું ભાષાંતર કરે, પણ આવું કાંઈ સૂઝે છે ?

મેં કહ્યું : મારે દોલતરામ પંડ્યા વાંચવા જોઈશે. તમે વાંચશો એ મને ખાતરી હતી એટલે જ મેં તમારે માટે કઢાવેલી.

તો કહે : હું તો વાંચવાનો જ. મારે તો ગુજરાતીમાં રેઢિયાળમાં રેઢિયાળ પુસ્તક હોય તે વાંચ્યે જ છૂટકો છે. હા, મને લાગે છે કે, ગુજરાતી બાઇબલ મારાથી ન વંચાય. એનું કારણ એ છે કે અમુક વરસો સુધી એક વસ્તુ અદ્દભુત ભાષામાં વાંચેલી તેની તે જ વસ્તુ બીજી ખરાબ ભાષામાં વાંચવી કઠણ પડે. બાઇબલનું ભાષાંતર કરાવવાનું તો મિશનરીઓને માથે પડ્યું. એટલે ભવ્યમાં ભવ્ય પુસ્તકનું અને અંગ્રેજી સાહિત્યના ઉત્તમ નમૂનાનું ભાષાંતર તે તદ્દન રદ્દી થયું. આપણા સાક્ષરોને એ કરવાનું પણ સૂઝ્યું નથી. ક્યારે સૂઝશે ?

ગુજરાતી અને અંગ્રેજી સાહિત્ય મહાદેવે ગાંધીજી કરતાં ઘણું વધારે વાચ્યું હતું એટલે કોઈક વાર ગાંધીજીને કોઈ લેખકને વાંચીને હરખાતા જુએ તો મહાદેવ માત્ર એટલું જ કહે કે, ‘પહેલી વારના વાચનનો હરખ છે.’

(નારાયણ દેસાઈ લિખિત ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’, પૃ. 154-156)

Loading

લૂઝ કનેક્શન (11) : બન્ધન

સુમન શાહ|Opinion - Opinion|12 May 2021

તમે તમારા પ્રિય પુરુષને ચાહો છો? તમે તમારી પ્રિય સ્ત્રીને ચાહો છો? ઇચ્છો છો કે એ જીવનભર તમારો / તમારી રહે? ઇચ્છો છો કે તમે એકબીજાં જોડે આજીવન બંધાયેલાં રહો?

તમે જો એવું અતૂટ કે ન તોડી શકાય એવું બન્ધન ઝંખતાં હોવ, તો તમે બન્ને પૅરિસ જાઓ. ત્યાંની સીન નદીને કિનારે પ્હૉંચી જાઓ …

અઘરું લાગે છે? ખરચાળ? ન ચાલે. પ્હૉંચી જાઓ. સાથે એક તાળું લઈ જજો.

ત્યાં એક જગ્યા જોશો. એનું નામ છે, પૅરિસ લવ-લૉક બ્રિજ. પેલા તાળા પર તમારાં નામ લખીને તમારું એ પ્રેમતાળું બંધ કરી દેજો ને એને બ્રિજનાં સંખ્યાબંધ તાળાં ભેગું બાંધી દેજો. પછી, બહુ જ જરૂરી કામ કરજો – એ કે એ તાળાની ચાવી બાજુમાં વહેતી સીન નદીમાં ફૅંકી દેજો … 

સરવાળે શું થશે? તમે એકબીજાં જોડે પ્રેમથી મરણપર્યન્ત બંધાયેલાં રહેશો કેમ કે ચાવી હશે જ નહીં ને એટલે તાળું સદા બંધ હશે. પ્રેમ અકબંધ રહેશે ને તમે એકબીજાંને ગાઢપણે જીવ્યા કરશો. કેવી સરસ વ્યવસ્થા.

એક વાર્તાકાર તરીકે મને એવું આલેખન કરવાનું મન થાય કે તે રાતે બન્ને જણાંએ આવું બધું ખાધું – પીધું ને વગેરે જે કર્યું તે તો હતું પાર વિનાનું …

મને આપણું વટસાવિત્રી વ્રત યાદ આવે છે. ગામના એ વડને અબીલ-ગુલાલ ને કુમકુમ સૂતરના દોરા વીંટી બાઈઓ ફેરા ફરતી. શુંયે માગતી હતી. એવું મેં આમ્સટર્ડામમાં જોયું, એક વૃક્ષને કંઈ સૅંકડો રંગરંગીન દોરા વીટ્યા’તા. એક વિદેશી મૂવીમાં જોયું કે એક વૃક્ષ પર પ્રેમીઓએ ડાળે ડાળે નાની નાની ધજાઓ બાંધેલી, ફર ફર થતી’તી.

સીનના કાંઠેની એ લવ-લૉક પ્રથા પણ એવો જ એક વિધિ છે, રસમ છે. એક એવું વર્તન, એક એવું રસીલું જેશ્ચર, કે જેથી બન્ને પ્રિયજનોને સારું લાગે, વિશ્વાસ બેસે. ભરોંસો પડે કે કનેક્શન કદ્દી પણ લૂઝ તો નહીં જ થાય, ઊલટું, સ્ટ્રૉન્ગલિ કનેક્ટ રહેવાશે.

પૅરિસ લવ-લૉક રસમ અંગે ફ્રાન્સવાસી નગરજન સાર્ત્રને પૂછો તો જુદું ક્હૅશે. ક્હૅશે કે પ્રેમીએ તાળાં મારવાને બદલે એવી અસરકારક ચાવીઓ પ્રયોજવી જોઈએ જેથી એકબીજાંનાં બંધ અંતર ઊઘડી જાય. મને સાર્ત્રની ફિલસૂફી બહુ ગમે છે પણ એ માણસ પ્રેમ વિશે બોલે છે ત્યારે ફિલસૂફી અને પ્રેમજીવનની એવી ભેળસેળ કરી નાખે છે, જે એટલી જ ગમતીલી હોય છે. તેઓશ્રી પણ કંઈ ઓછા પ્રેમી ન્હૉતા !

મધ્યકાળમાં, લગભગ ૧૬મી સદીમાં, સ્ત્રીઓને ‘ચેસ્ટિટી બેલ્ટ’ પ્હૅરાવતા. ધાતુના હોય. ચેસ્ટિટીને નામે -પવિત્રતાને નામે – યૉનિપ્રદેશ પર તાળું. સાંસ્કૃતિક લાગે માટે જેમ ‘બેલ્ટ’ને ‘ચેસ્ટિટી’ શબ્દ ઓઢાળતા તેમ ‘લવ’ શબ્દ ઓઢાળીને એને ‘લવ-લૉક’ પણ ક્હૅતા.

ક્રુસેડ્ઝનો – ધર્મયુદ્ધોનો – જમાનો હતો. પતિ યુદ્ધમાં જોડાયો હોય અને મહિનાઓ લગી પત્ની ઘરે એકલી હોય. શું થાય? એક જ ભય કે કોઈ બીજો એને ભ્રષ્ટ કરી જશે. વળી, બને કે પત્ની પણ છેતરે. ચેસ્ટિટી બેલ્ટથી બેવડો હેતુ સરતો : પતિના ભયનું નિવારણ થતું. એ બાપડો નિચિન્ત થઈ ધરમ માટે લડી હકતો. બીજું એ કે પત્નીની વફાદારીની કસોટી થતી : જો કે એક સવાલ છે – એ કે ચાવી ક્હૅતાં, યુક્તિ કોની પાસે રહેતી હશે? ભલે ને ગમે તેની પાસે, તાળું ખોલી કામ પાર પાડતાં વાર શી? સંભવિત છે કે કોઈ કોઈ ભોળી સ્ત્રીઓ આ સાધનથી જાતને સુરક્ષિત સમજતી હોય. માણસપ્રાણીને કશું પણ દુરિત ધીમે ધીમે સદી જતું હોય છે …

સ્ત્રી ચેસ્ટ – પવિત્ર – રહેવી જોઈએ એ માન્યતા બહુ મોટો સાંસ્કૃતિક દમ્ભ છે. બેલ્ટ પ્હૅરાવનારો મહા શંકાથી ગ્રસ્ત હતો અને પરાઈ સ્ત્રીને ભ્રષ્ટ કરી જનારો મહા નાલાયક હતો. સ્ત્રી ‘વસ્તુ’ છે અને પુરુષ એનો ‘માલિક’ છે એવી હીન માનસિકતાથી એ પુરુષો જીવતા’તા.

ચેસ્ટિટી-બેલ્ટ પ્રથાને હું અમાનુષી ગણું છું. સ્ત્રીમનુષ્યના તેમ જ માનવસંસારના અતિ ઉપકારક અંગ પર તાળું મારો? સાર એમ મળે છે કે મોટા ભાગનો એ પુરુષવર્ગ હલકટ હતો.

હા, એ પ્રથાનો બચાવ કરનારા વિદ્વાનો છે. કેમ કે એ બધા પુરુષો છે. બાકી, મેં નથી જાણ્યું કે કોઈ વિદુષીએ એનો બચાવ કર્યો હોય.

Picture courtesy : Metadore Network

લગ્ન નામનું બન્ધન પણ ‘પવિત્ર’ કહેવાય છે. ચેસ્ટિટી-બેલ્ટ પ્રથા કદર્ય કહેવાય – જુગુપ્સક. જંગાલિયત છે, પશુતા છે. લગ્નમાં એ નથી. એ કારણે લગ્ન સુન્દર મનાયું છે, પવિત્ર મનાયું છે. લગ્ન પ્રસન્નકર પણ છે – ચીડાયેલા મૉઢે કોઈ ઘોડે નથી ચડતો – કોડિલી કન્યા અરધી અરધી થતી હોય છે.

આજકાલ મૈત્રી-કરાર કે લિવ-ઇન પ્રકારે સહવાસ ભોગવાય છે. એમાં બન્ધન છે જ નહીં, ઊલટું, ગમે તે ઘડીએ છૂટાં થઈ જવાની સગવડ છે. એમાં ૧+૧ = ૨ અને ૧ – ૧ = ૦ એમ સીધું હોય છે. એમાં જંગાલિયત નથી, ભલી સભ્યતા છે, પણ એમાં માનવીય હૂંફ નથી, માધુર્ય પણ નથી. કૉર્ટ-મૅરેજમાં પણ ગમે ત્યારે કાયમ માટે છૂટાં થઈ જવાની જોગવાઈ છે.

મારી આ વાતમાં છેવટે બચે છે, પ્રેમ. એને પણ ‘બન્ધન’ કહેવાય છે -પ્રેમબન્ધન. એમાં માબાપની સમ્મતિ અનિવાર્ય નથી. સમાજે સાક્ષી થવાની જરૂરત નથી. કૉર્ટની દરમ્યાનગીરી જરૂરી નથી. બંધાવું તો જાતે ને પ્રેમથી, છૂટાં પડવું તો જાતે ને પ્રેમથી. કોઈ કારણે મનમોટાવ કે અણબનાવ થાય, ભેગાં ન થવાય કે ન રહેવાય, ભલે, રાંકના રતન સમો પ્રેમ તો બચ્યો જ હોય છે.

હકીકતે, પ્રિયજનને પ્રેમ બન્ધનરૂપ લાગતો જ નથી. પ્રેમ એને માટે જીવન જીવવા માટેનું બળ હોય છે – પ્રાણ. એ અર્થમાં એને બન્ધન કહો તો ભલે કહો, પણ તમને વધારે સારો શબ્દ સૂઝતો નથી એટલે કહો છો. પ્રેમ પ્રેમ હોય છે – એક રસાયણ, એક કૅમિકલ.

કોઈ પણ કનેક્શનનું કૅમિકલ લવ છે. એ ઘણી સરળ વાત છે છતાં હું એ વિશે લખતાં થાકતો નથી. એક પ્રેમ જ એવી ચીજ છે જે વિશે લખતાં લેખકો થાકતા નથી …

= = =

(May 11, 2021: USA)

Loading

...102030...1,9001,9011,9021,903...1,9101,9201,930...

Search by

Opinion

  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved