કોરોના વાયરસની પરિસ્થિતિમાં ઠેરઠેર જોવા મળે છે કે ઓક્સિજનના મશીન, ઇન્જેક્શન વગેરેનું પ્રમાણ ઓછું .. દરદીઓથી ઊભરાતી હોસ્પિટલ્સ. ભયનો માહોલ .. એ સામે એવું લાગે છે કે માણસ પોતે પણ આ બીમારી માટે જવાબદાર નથી શું? પ્રદૂષણ, વૃક્ષોનો વાળી દેવાતો સોથ, અસ્વચ્છતા વગેરે … જો એ હટે તો રોગ ઘટે / મટે, પર્યાવરણનું જતન માણસજાતના અસ્તિત્વનો એક આધાર છે. એવો સંવાદી સંદેશ મારી આ લઘુકથામાં વણી લેવાનો પ્રયત્ન છે. આશા છે એ આપને ગમશે.
લઘુકથા
વતનમાં કે બહારગામમાં, સરકારી હોય કે ખાનગી, એકેય દવાખાનામાં ક્યાં ય જગ્યા જ નહોતી. શહેરના અગ્રણી ને ધનવાન એવા મનોજકુમાર કોરોના વાયરસની બીમારીમાં સપડાયા હતા. એ મોં માંગ્યા પૈસા દેવા તૈયાર હતા, પરંતુ એકેય પથારી ખાલી નહીં! દરદીઓનો ધસારો ને તનને ઘસારો. સરકારી દવાખાનાની બહાર ખુલ્લામાં ખાટલાની વધારાની વ્યવસ્થા કરવામાં આવી હતી, ત્યાં માંડમાંડ મેળ પડ્યો. ઓક્સિજન લેવલ ઘણું નીચું. ફેફસાંમાં કફ વધારે, જેમાં ચેપનું પ્રમાણ સાઈઠ ટકા, જે ચિંતાજનક! ઇન્જેક્શનો ખૂટી પડ્યાં હતાં. ઓક્સિજન પૂરો પાડતા મશીનમાંનું એકેય ફાજલ નહોતું. જો કે તબીબો ભલા ને કુશળ. એમણે થઇ શકે એ સઘળી સારવાર તરત જ શરૂ કરી દીધી.
લીંબુનું શરબત, હળદર, સૂંઠ, આદુ, તાજાં ફળો .. વગેરેનો મારો ચાલુ. અચાનક, થોડી વારમાં જ મનોજકુમારનું ઓક્સિજનનું લેવલ સુધર્યું. એ સ્વસ્થ ને કુટુંબીજનો સ્તબ્ધ! અકલ્પ્ય ..!
બે જ દિવસમાં એ સાજા થઈ ગયા. ત્રીજા દિવસે તો એ સાજાસારા પણ થઇ ગયા. અત્યાર સુધી એણે બહુ પૈસા બનાવ્યા હતા. રસ્તા પહોળા કરવામાં જરૂર ન હોવા છતાં ..! હવે એણે પોતાના મકાનના વિશાળ ફળિયામાં રહેલી લાદીઓ ઉખડાવી માટી નખાવી અને ..! આ ફળિયા ઉપરાંત સમગ્ર શહેરમાં એ …!
પેલા સરકારી દવાખાનાના સંકુલમાં બહાર જે ખુલ્લી જગ્યાએ મનોજકુમારને રાખવામાં આવ્યા હતા, એની ઉપર ઘટાદાર કડવા લીમડાનું ઝાડ હતું, ને બાજુમાં હતો વડલો.
0 0 0 – – – 0 0 0
(‘ફૂલછાબ’ સમાચારપત્રની તા.૨૧/૦૪/૨૦૨૧ની પંચામૃત પૂર્તિમાં પ્રકાશિત અહીં થોડા ફેરફાર સાથે)
E Mail: durgeshoza@yahoo.co.in
![]()


જેમ કે ટૉલ્સટૉય લિખિત એક સુંદર પુસ્તક છે : ‘ત્યારે કરીશું શું?’ ગુજરાતીમાં આ પુસ્તકનો અનુવાદ નરહરિ પરીખ અને પાંડુરંગ વળામેએ કર્યો છે. નવલકથા હોવા છતાં તેની પ્રસ્તાવનામાં કાકાસાહેબ લખે છે તેમ, “ટૉલ્સટૉયે વર્ણવેલા પ્રસંગો કાલ્પનિક નથી, એણે કરેલી મીમાંસા ‘તાત્ત્વિક’નથી. પુસ્તકની શરૂઆત તો રસ્તા પર ભટકતા ભિખારીઓનાં સુખદુઃખથી થાય છે પણ એનો મુખ્ય વિષય તો આખા મનુષ્યસમાના કલ્યાણનો છે.” આ પુસ્તકમાં એક ઠેકાણે ટૉલ્સટૉય લખે છે તે આજની સ્થિતિનો ચિતાર આપતા હોય તેમ જોઈ શકાય છે. તેઓ લખે છે : “દાક્તરની સ્થિતિ તો એથીયે ખરાબ છે. તે આખી વિદ્યા જ એવી પાખંડ છે કે જે કશું કામ કરતાં ન હોય અ પોતાનું બધું કામ બીજા પાસે કરાવતા હોય તેવાને જ તે સાજા કરી શકે છે. તે શાસ્ત્રીય રીતે કામ કરી શકે તે માટે તેને પાર વિનાનાં ખર્ચાળ સાધનો જોઈએ, ખર્ચાળ દવાઓ જોઈએ, શાસ્ત્રીય અને સ્વચ્છ એવા મોટા ઓરડા જોઈએ, ખર્ચાળ ખોરાક જોઈએ અને ખર્ચાળ સંડાસ જોઈએ. તેની ફી ઉપરાંત આ બધું ખર્ચ ઊઠાવવું જોઈએ. એટલે એક દરદીને તે સાજો કરે તેટલામાં જેમને માથે આ બધા ખર્ચનો બોજો પડે છે તેવા સૌને તો તે ભૂખે મારે. મોટાં મોટાં શહેરોમાં નિષ્ણાતો પાસે અભ્યાસ કરીને તેણે બહુ નામના મેળવેલી હોય છે. ઇસ્પિતાલમાં ખાટલામાં પડી રહેવું જેમને પોસાય એવા જ દરદીઓની તે દવા કરી શકે છે. અથવા સાજા થયા પછી, સાજા રહેવા માટે જરૂરી સાધનો ખરીદ કરી શકે એવા અને છેક ઉત્તરમાંથી દક્ષિણમાં અને દક્ષિણમાંથી ઉત્તરમાં હવાફેર માટે જઈ શકે એવા હોય તથા અમુક પાણીવાળાં સ્થળોએ રહેવા જઈ શકે એવાં હોય, તેવાઓની જ તે દવા કરી શકે છે.”
માણસાઈને ગૂંગળાવી મારનારાં આપણા આગેવાનો છે અને અત્યારે આવેલી સ્થિતિ તેમની બેદરકારીને આભારી છે. ટૉલ્સટૉયે જેમ બજાર દ્વારા ઊભી થયેલી આપણી સ્થિતિને આલેખી છે, તેવી જ રીતે એરિક ફ્રોમે ‘શાણો સમાજ’ પુસ્તકમાં સત્તાવાદી મૂર્તિપૂજા નામના પ્રકરણમાં આગેવાનો વિશે લખ્યું છે. એરિક ફ્રોમનું આ પુસ્તક કાંતિ શાહ દ્વારા અનુવાદિત થયું છે. અહીં એરિક લખે છે : “ફાસીવાદ, નાઝીવાદ અને સ્ટાલિનવાદમાં સામ્ય એ છે કે તેઓએ વામણા ને વિચ્છિન્ન થઈ ગયેલ માણને એક નવો આશરો ને સહીસલામતી બક્ષ્યાં. આ સમાજવ્યવસ્થાઓમાં માનવીનું પરાયાપણું પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. વ્યક્તિને એવો અનુભવ કરાવાઈ રહ્યો છે કે તે શક્તિહીન અને તુચ્છ છે, પણ સાથે તેને એવું શીખવવામાં છે કે તેની બધી જ માનવીય શક્તિઓનું નેતામાં, રાજ્યમાં, પિતૃભૂમિતામાં આરોપણ કરવાનું. અ પોતે તેમને શરણે જવાનું છે તેમ જ તેમની પૂજા કરવાની છે. તે પોતાની સ્વતંત્રતાથી ભાગી છૂટે છે, અને એક નવી મૂર્તિપૂજાનું શરણું સ્વીકારે છે. … આ નવી વ્યવસ્થાઓનું ચણતર એમના કાર્યક્રમો તેમ જ એમના નેતાઓ વિશેના અત્યંત ખુલ્લંખુલ્લાં જુઠ્ઠાણાઓ પર થયું છે. એમના કાર્યક્રમોમાં તેઓએ કો’ક પ્રકારનો સમાજવાદ સિદ્ધ કરવાનો દાવો કર્યો છે, જ્યારે વ્યવહારમાં તેમણે જે કાંઈ કર્યુ તે આ શબ્દના અર્થથી વિરુદ્ધનું હતું. એમના નેતાઓનાં વ્યક્તિત્વો પણ અત્યંત છેતરામણાં હતાં.”
આ પુસ્તકમાં જ આગળ ‘રાષ્ટ્રવાદ : દુનિયાનું દોજખ’ નામના પ્રકરણમાં મનુભાઈ પંચોળી લખે છે : “આ દુનિયામાં કોઈ પણ નિમિત્તે કે જરૂરિયાતોના સંદર્ભમાં લોકપ્રિય નેતાઓ-સરમુખત્યારોનાં પ્રજાએ અંધઅનુયાયી થવું અને તેમને સર્વસત્તા સમર્પિત કરવી તે આત્મઘાતક છે. સત્તા હંમેશાં નશો ચડાવે છે અને લૉર્ડ ઍક્ટને ધ્યાન દોર્યું છે તેમ નિરંકુશ સત્તા નિરકુંશ નશો ચડાવે છે અને પછી મનુષ્ય સર્વ ભાન ભૂલી જાય છે. જર્મનો પણ માણસ જ હતા. તેમને સંતાનો-પરિવાર હતાં છતે તેમની અંધ દેશભક્તિના ખ્યાલે નેતાઓના પ્રભાવ સાવ જડ પશુથી પણ હીણાં બનાવ્યાં. એટલે માનવજાતે કોઈ પણ અંધભક્તિ કરવી ન જોઈએ અને હંમેશાં વિવેકનો દીવો પ્રજ્વલિત રાખવો ઘટે.”