
૧૯૩૩થી ૨૦૨૧ : પૂરાં ૮૭-૮૮ વરસનું પૂર્ણાયુષ ભોગવી આપણા અપ્તરંગી વિદ્યાવ્યાસંગી ધીરુ પરીખ ગયા. ચમકદમક અને તડક-ભડક વગર અધ્યાપન-લેખન-સંપાદન, નંદાદીપની ધૃતિપૂર્વક એમણે આજીવન કર્યાં.
તુલનાત્મક સાહિત્યમાં એમની ગતિ, વિશ્વસાહિત્યમાં એમનો પ્રવેશ. આમ તો, કવિ તરીકે સુપ્રતિષ્ઠ, કુમાર ચંદ્રકે પુરસ્કૃત અને ‘કવિલોક’નું દાયિત્વ વહન કરનાર. પરંપરિત માત્રામેળ રચનાઓથી જાણીતા થવા લાગેલા એ સાચું, પણ એમનો પ્રવેશ વાર્તાસંગ્રહથી થયેલો એ તો હવે ઇતિહાસવસ્તુ છે. ‘રાસયુગમાં પ્રકૃતિનિરુપણ’ પર ડૉક્ટરેટ કરનાર ધીરુભાઈ તમને નિષ્કુળાનંદથી માંડી એલિયટની સૃષ્ટિ સુધી આંગળી ઝાલી ફેરવી શકે. ઠાવકા અલબત્ત, પણ અખાની ઢબે અકેકું અંગ લઈ છપ્પે ચડે ત્યારે તમને એમની સર્જકતા અને મિજાજનો એક જુદો જ પરિચય થઈ આવે.
‘પરમેશ્વરને મારી પછી પથ્થર સ્થાપ્યો’ જેવી, શું કહીશું-જ્વલંત? – પંક્તિ આપનાર ધીરુભાઈએ એમના સેવ્ય વિષયોને અનુષંગે પોતીકી તરેહની કર્મશીલતા પણ સતત દાખવી. ૧૯૯૦થી એમણે ‘કુમાર’ના પુનર્જીવનનું કાર્ય ઉપાડ્યું (લગભગ એ જ અરસામાં આ લખનારને શિરે ‘અખંડ આનંદ’ના દ્વિજ અવતારનું દાયિત્વ આવ્યું.) અને હા, ખાસ વાત. બચુભાઈ રાવતના અવતારકાર્ય સમી જે બુધસભા, એ સાહિત્ય પરિષદને સોંપાઈ તેનું દાયિત્વ એમણે પ્રતિબદ્ધપણે આજીવન સંભાળ્યું.
સચ્ચિદાનંદ સન્માન, રણજિતરામ સુવર્ણચંદ્રક બધું ખરું પણ આ ક્ષણે, મને લાગે છે, એમની છેલ્લી ઈનિંગ્ઝનો – એક અર્થમાં ‘સેકન્ડ કમિંગ’નો મારે વિશેષોલ્લેખ કરવો જોઈએ. ૨૦૦૭માં નારાયણ દેસાઈની અધ્યક્ષતામાં ગુજરાતી સાહિત્ય પરિષદે ગાંધીનગર અધિવેશનમાં સ્વાયત્તતાનો પ્રસ્તાવ પારિત કર્યો ત્યારે હજુ આશાનું એક અંજીરપાંદ તો હતું; કેમ કે અકાદમી આગળ ચાલતાં ચુંટાયેલા પ્રમુખ હસ્તક કાર્યરત થશે એવી અપેક્ષા ઊભી હતી. પણ ૨૦૧૫ના એપ્રિલમાં સરકારે પેરેશુટ પ્રમુખનો રાહ લીધો અને બંધારણીય પ્રક્રિયાને સરેઆમ રૂખસદ આપી ત્યારે લગભગ કોઠે પડી ગયેલી એવી એક અનવસ્થા ગુજરાતના સાહિત્યપ્રતિષ્ઠાનમાં હતી. એની વચ્ચે, સ્વતંત્રપણે જો કે સ્વાયત્તતા માટેનો અવાજ નહોતો એમ નથી. પણ આ અવાજનું ૨૦૧૫ના એ નિર્ણાયક ગાળામાં પરિષદના અધ્યક્ષ તરીકે ધીરુભાઈએ પ્રગટ સમર્થન કર્યું એમાં એમનું જે વિત્ત પ્રગટ થયું તે લાંબો સમય યાદ રહેશે. આ વાનું જેમ ઇતિહાસદર્જ છે તેમ એમાં સાથેનાઓ અને પછીનાઓ માટે દાયિત્વબોધ પણ રહેલો છે.
અલવિદા ધીરુભાઈ !
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 16
![]()


બીજી મેની ધોમધખતી બપોરે દોઢ વાગ્યાની આસપાસ કોલકાતાથી અંતરા-દેવસેનનો મૅસેજ આવે છે કે, ‘ભાલો ખેલા હોલો’. દેશદુનિયાની જેના પર નજર હતી એ બંગાળ વિધાનસભાનાં પરિણામો આવવા માંડ્યાં હતાં. મમતા બેનરજી સતત ત્રીજી વાર અને પહેલાં કરતાં વધારે બહુમતીથી બંગાળમાં સરકાર બનાવવા જઈ રહ્યાં હતાં. બંગાળમાં ‘ખેલા હોબે’નો નારો લોકજીભે હતો અને હરકોઈ ખેલા જોવા આતુર હતું. આ પરિણામો દેશની દશા-દિશા પર ઘેરી અસર કરવાનાં હતાં એ સૌ કોઈ જાણતું હતું.
અંતે વાત આ સમગ્ર ખેલામાં સૌથી અનોખા ઉમેદવાર મનોરંજન બ્યાપારી વિશે. એમની જીવનયાત્રા એક ચમત્કારથી ઓછી નથી. મનોરંજન બ્યાપારીનું બાળપણ અત્યંત ગરીબીમાં ફૂટપાથ અને ચાની લારી પર વાસણ ધોતાં પસાર થયું છે. શાળામાં જવાનું તો સ્વપ્નમાં પણ શક્ય નહોતું. યુવાનીમાં આંદોલનકારી તરીકે જેલવટો ભોગવવાનો આવ્યો. કાળા અક્ષરો જોડે પહેલી વાર પનારો પડ્યો. જેલમાં જ જાતે શિક્ષિત થયા. વાંચવાનું-લખવાનું શરૂ કર્યું. જેલમાંથી છૂટ્યા બાદ દાયકાઓ સુધી કોલકાતાની સડકો પર પેદલ રીક્ષા ખેંચવાનું કામ કર્યું. એક દિવસે એમની પેદલ રીક્ષામાં જે સવારી આવી એણે મનોરંજન બ્યાપારીનું જીવન જડમૂડળથી બદલી નાંખ્યું. તે સવારી એટલે જ્ઞાનપીઠ પુરસ્કૃત જગવિખ્યાત લેખિકા મહાશ્વેતાદેવી. તેઓ હાંસિયામાં ધકેલાયેલા લોકો માટે ફરિસ્તા સમાન હતાં. એમણે મનોરંજનની વાતો સાંભળીને લખવા માટે પ્રેરિત કર્યા. મહાશ્વેતાદેવીએ એમની વાર્તાઓ અને લેખો છાપવા માંડ્યાં. જોતજોતાંમાં બંગાળભરમાં સાહિત્યકાર તરીકે એમની ખ્યાતિ વધવા માંડી. એમનાં ઘણાં પુસ્તકો અંગ્રેજીમાં અનુવાદિત થયાં, ચર્ચિત બન્યાં અને મનોરંજન બ્યાપારીની ખ્યાતિ બંગાળના સીમાડાઓ ઓળંગી ગઈ. એમની આત્મકથાના અંગ્રેજી અનુવાદ ‘ઈન્ટરોગેટિંગ માય ચાંડાલ લાઇફ’ને ૨૦૧૯નું બહુ પ્રતિષ્ઠિત ‘ધ હિન્દુ લિટરરી’ સન્માન મળ્યું. મમતા બેનરજીએ સૌ પ્રથમ વાર બંગાળ દલિતસાહિત્ય અકાદમીનું ગઠન કર્યું ત્યારે મનોરંજન બ્યાપારીને એના પ્રથમ અધ્યક્ષ બનાવ્યા. આ ચૂંટણીમાં એમનો રાજકારણમાં પ્રવેશ થયો. તૃણમૂલના ઉમેદવાર તરીકે બાલાગઢ વિધાનસભા ક્ષેત્રથી ભારે બહુમતીથી ચૂંટાઈ આવ્યા. મનોરંજન બ્યાપારી જેવા ‘માટીર માનુષ’ ઉમેદવારનું ચૂંટાવું ભારતીય લોકશાહીમાં આપણી આસ્થાને મજબૂત કરે છે.
મમતા બેનરજીની ઝળહળતી ફતેહનો સીધો સંદર્ભ અલબત્ત કોલકાતાની રાજવટ છે, પણ એનાં મનોવૈજ્ઞાનિક આંદોલનો બેલાશક દેશવ્યાપી છે. ભા.જ.પ.ના અશ્વમેધ અભિલાષને દિલ્હીમાં આપ અને અરવિંદ કેજરીવાલે ક્યારેક ભોંઠામણનો જે અનુભવ કરાવ્યો હશે, પશ્ચિમ બંગાળમાં એવી જ આકરી ભોંઠામણ એને મમતા બેનરજીએ કરાવી છે : વ્હિલચૅરમાં અહીંતહીં સઘળે ફરી વળતાં મમતા અને બસો જેટલાં ચાર્ટર વિમાન ને હેલિકૉપ્ટરો વાટે ગરુડે ચડી ગિરધારી પેઠે દિલ્હીથી ઊતરી આવતી ન.મો.-અમિત મંડળી : આ બે સામસામાં ચિત્રો વચ્ચે મતદારને મમતા સ્વાભાવિક જ પોતાનાં પૈકી ને પોતાનાં લાગ્યાં.