Opinion Magazine
Number of visits: 9746710
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ મુશ્કેલ સમયમાં (58)

સુમન શાહ|Opinion - Opinion|18 July 2021

આ મુશ્કેલ સમયમાં અનેક મિત્રો પોતાનાં સંસ્મરણો લખવા માંડ્યા છે. ઘણા બધા લોકો નવરાશના માર્યા ગપ્પાં તો હાંકે છે પણ વાત વાતમાં પોતાનાં નાનપણની કે જુવાનીની વાતો કરવા લાગી જાય છે.

કોરોનાએ માનવજાતનું ઘણું ઊંધું પાડી દીધું છે. ભવિષ્ય પંગુની જેમ અડવડિયાં ખાય છે. એમ હોય ત્યારે આમ જ બને. ભૂતકાળમાં સંભવેલા કેટલાયે પ્રસંગોની ચિત્તમાં હરફર ચાલ્યા કરે. ઘટનાઓ દેખાયા કરે, કેટલીક તો એવી અવિસ્મરણીય હોય કે ભૂલી ભુલાય નહીં, નજર સામે ભજવાયા કરે – જાણે કશી ફિલમ શરૂ થઈ …

મેં મારા મિત્ર વિપુલ વ્યાસને કહી રાખ્યું છે કે – તું મારી સાથે આપણે ગામ ડભોઈ આવજે. એ પણ ડભોઈનો છે. હું તને ગાયકવાડના સમયની મારી નિશાળ બતાવીશ – જો બચી હશે તો. કાગળકામવાળા નટુ માસ્તર, ડ્રૉઇન્ગટીચર માધુસ્કર ને ગણિત કે અંગ્રેજીના બીજા ટીચરોની વાતો કરીશ. હું ટીચર થયો કેવી રીતે થયો એ કહીશ.

ગલી ગલીમાં, શેરીઓ ને ફળિયાંઓમાં લઈ જઈશ – શેઠફળિયું, ઊંચા ટીમ્બા, પટેલવાગો, તાઈવાગો, મહૂડી ભાગોળ, કડિયાવાડ, આપણી હીરાભાગોળ, ને ક્હૅતો જઈશ – અહીં મને આમ થયેલું, અહીં ઓલાએ આમ કરેલું, તેમ કરેલું. કહેતો જઈશ – એ બધું આ જગ્યાએથી શરૂ થયેલું – અહીં પૂરું થયેલું … યુ પ્લીઝ વિલ વીડિયો મી. તું બધું વીડિઓ કરજે, પછી આપણે બધાં, સાથે બેસીને માણીશું.

વિપુલ કહે, જરૂર જઇશું. પણ આ કોરોનાએ હજી જવા દીધા નથી. ક્યારે તે ય એ જાણે …

બાકી, મને મારા ગામની છીંકણીઓળની છીંકણીની મીઠી પણ તેજ સુગન્ધો યાદ આવે છે, વાર લગાડું તો છીંક પણ આવે. ચૉક્સીઓળનો અમ્બુ સોની કસોટી પથ્થર પર ઘરાકનો દાગીનો પરખતો દેખાય. શંકર ધોબી ઇસ્ત્રી હલાવતો હોય – અંદરના કૉલસા ઠરી તો નથી ગયા ને. ભાડભૂંજાવગામાં ફૂટતી ધાણીની સોડમ યાદ આવે છે. દયારામ સ્કૂલે જતાં એક પેઇન્ટરનું ઘર આવતું’તું. ચીતરેલાં પેઇન્ટિન્ગ્સ ને દુકાનોવાળાનાં સાઇનબૉર્ડ્સ એના ઓરડેથી એણે ઓટલે મૂક્યાં હોય, જોવા ઊભો રહું. નીચે ખૂણામાં પોતાનું નામ અચૂક ચીતરે – પેન્ટર રમણલાલ.

શ્રીમાળીવગામાં થઈને હું નાંદોદી ભાગોળે જતો, ને ત્યાંથી ગામ બ્હારના એક ચૉગાનમાં. ત્યાંથી બા-ના કહેવાથી ઘર માટે માથું ધોવાની કાળી માટી લાવતો. મોટીબાએ શીખવેલું. ને મોટીબાને એની બા-એ. પરમ્પરા તે એનું નામ.

ચૉગાન એવું મોટું કે સૂઇ જવાનું મન થાય, ને ત્યારે આકાશનો ઘુમ્મટ બહુ નીચો લાગે, ઊંઘી પણ જવાય. એ માટીને છાશમાં પલાળીને માથું ચોળવાનું, ધોઈ નાખવાનું ને પછી સરસ ન્હાઈ લેવાનું. ત્યારે, ન્હાવા માટેનો ઉત્તમ સાબુ લાઇફબૉય હતો, સુન્દરી આપણી ઍક્ટ્રેસોનો લક્સ તો પછી આવ્યો. સારામાં સારો ધોવા માટેનો, સનલાઈટ. કાળી માટી પછી આવ્યા અરીઠા, પછી શિકાકાઈ, ને છેલ્લે આવ્યાં શેમ્પૂ. માટીમાં નેચરલ કન્ડિશનર હતું. એથી વાળની સુંવાળપ ચમકતી, હથેળી ફેરવ્યા જ કરો. કૂણા તડકે બેસી સૂકવીએ એટલે એક અકથ્ય પીમળ આવે. ત્યારે હું વાળ લાંબા રાખતો, ઝટકાવીને સામે લાવું, ચ્હૅરો ઢંકાઈ જતો.

ઝારોલાની વાડી, દરજીની વાડી, વાડીઓમાં જમણવાર થતા. બહુ લોક હોય ત્યારે વાડી બ્હાર રસ્તાની બાજુએ પાથરણું પાથરી પંગતમાં બેસવાનું, પતરાળાં-પડિયા ગોઠવી રાહ જોવાની, ક્યારે ગરમ ગરમ દાળ આવશે … અમારી દશાલાડની વાડીમાં નાત આખીને નૉંતરું હોય. બાજુમાં વાવ હતી. સૌ પહેલાં બધી વાનગીઓની થાળી એમાં પધરાવતા, કેમ કે ત્યાંનું કોઈ ભૂત કે કોઈ ડાકણ સઘળી રસોઇને અભડાવે નહીં – બાકી, ઠેર ઠેર કીડીઓ ને ઘિમેલો ઉભરાઈ જતી.

દરજીની વાડીમાં જ્ઞાતિનાં વાર્ષિક સમ્મેલનોની પ્રૅક્ટિસો થતી. હું ત્યારે સારું ગાઈ શકતો'તો, ૧૪-૧૫નો હોઈશ. મારી સાથે કોઇક ગાતું'તું. એકવાર સમ્મેલનવાળાઓએ મને સ્ત્રીનો પાઠ આપેલો. ચોટલો ને સ્ત્રીને હોય એવું બધું બઝાડેલું. જૅન્તી અફીણી મારો 'એ' હતો. વાડી આમ સાંકડી પણ મને ગમતી’તી કેમ કે ઘરની નજીક હતી. દેશી ઘી-ના લાડુ અને લાલ તેલમાં તરતા વાલ ને કમોદના મ્હૅકતા ભાતમાં ભેળવેલી સૂરણવાળી ઊની ઊની દાળના સબડકા હજી ભુલાતા નથી …

સ્મરણોનો પાર નથી. વણજારાની વણજાર સમજો. ઘેટાં ડોકાં ધુણાવતાં એકની પાછળ એક ને જોડે જોડે એવી જ હારોમાં ચાલ્યે જતાં હોય. કોઈ કોઈ સ્મરણો બકરાંની જેમ અકારણ જ બૅંઍંઍં કરી મૂકે … મને સમજાય નહીં કે કેમ … એક ટીચરે મારા કશા જ વાંક વિના મને તમાચો મારેલો. મારી બા ધાઈને નિશાળે પ્હૉંચી ગયેલી – હમજે છે હુ તારા મગજમાં? માસ્તર છે કે રાખ્ખસ? પેલો ક્હૅ, ભૂલ થૈ ગઇ. જવાબમાં બા ગાળ જેવું બબડેલી … મૃત પત્નીના ટાઢાબોળ દેહને બાઝી રહેલા મને મારા ધબકારા આંસુમાં ઠરી ગયેલા અનુભવાતા'તા. કયો અપરાધ પડ્યો? એ શૂળ અહીં તહીં હજી ભૉંકાય છે. સ્મૃતિનાં બકરાં અકારણ જ બૅંઍંઍં નથી કરતાં, વણજારમાંથી બ્હાર નીકળી જાય છે – ઊંચી ડોકે એકલાંઅટૂલાં આકાશે શું યે જુએ છે …

મને થાય, હું આમ યાદોમાં ખૂંપી જઉં છું, કેવો છું …

બોર્હેસ

Picture courtesy : World Literature Today

પણ એવે વખતે મને હોર્હે લૂઇસ બોર્હેસે [Jorge Luis Borhes] લખેલી એક ટૂંકીવાર્તા, Funes the Memorious યાદ આવે છે. એની થોડી વાત કરું : મુખ્ય પાત્રનું નામ છે, ઇરેનેવ ફોનેસ. એ ફોનેસ ‘મેમોરિયસ’ છે. એટલે કે સ્મરણપ્રવણ. સ્મરણશીલ અથવા કહો કે સ્મરણિયો. મારે આ વાર્તાનો અનુવાદ કરવાનો હોય તો શીર્ષક રાખું – સ્મરણિયો ફોનેસ.

ફોનેસ

Picture courtesy : Leer Es Lo Mejor

ફોનેસ ૧૯ વર્ષનો છે. સ્મરણિયો છે એનો અવળો અર્થ એ કે એ કશું જ ભૂલી શકતો નથી. વીતેલાં વરસોમાંથી કોઈ એક દિવસ ખૉળી કાઢે ને એ દિવસને જેવો હતો તેવો કહી બતાવે. એની સ્મૃતિ ખૂલતી જાય, ખૂલતી જાય. મૂળે જે બન્યું હોય, અનુભવાયું હોય, તેની વીગતો બસ ઊકલ્યા જ કરે. એમાં ને એમાં, સ્મરણિયા ફોનેસનો આખો દિવસ ખરચાઈ જાય.

કથક એને ૧૮૮૪માં મળેલો, ઉરુગ્વેના ફ્રે બેન્તોસમાં. એક વાર કથક અને એનો ભત્રીજો બર્નાર્ડો ક્યાંક જતા’તા. એકાએક કશા સધર્ન વિન્ડ શરૂ થયેલા – પ્રચણ્ડ અને ભયાવહ પવનો. વૃક્ષો ગાંડાં થઈ ગયેલાં. કથકને થાય, આ ખુલ્લાંમાં, કડાકાભડાકા સાથે વરસાદ પડશે, તો તો શું યે થશે. કહે છે, અમે તો વંટોળ જોડે યુદ્ધે ચડેલા. ઢાળવાળા સાંકડા રસ્તેથી ઊતરતા’તા, જાણે તૂટેલી કોઈ દીવાલ સૂઈ ગયેલી. ત્યાં એકાએક અંધારું થઈ ગયું. મેં ઉપલાણમાં કોઈનાં ઝડપી ને ભેદી પગલાં સાંભળ્યાં. આંખો માંડીને તાક્યું તો એક છોકરો હતો. સાંકડા રસ્તે થઈને આવતો’તો. કથકને એ પરખાઈ જાય છે. એ એ જ હતો, જેનું કથકે વાર્તાના પ્રારમ્ભે ગ્રાફિક ડિસ્ક્રિપ્શન કર્યું છે – પ્હૉળા પાયજામાવાળો, કંતાનનાં જૂતાંવાળો, કરડા ચ્હેરાવાળા મૉંમાં જેણે સિગારેટ દબાવી રાખેલી, એ ફોનેસ.

આકાશમાં તો ઝંઝાવાતી વાદળો પર વાદળો તોફાને ચડ્યાં’તાં. ત્યાં એકાએક ભત્રીજાએ ફોનેસને પૂછ્યું : કેટલા વાગ્યા છે, ઇરેનેવ? : ઊંચે આકાશમાં જોયા વગર, જરાપણ અટક્યા વગર, ફોનેસ કહે છે : આઠમાં ચાર મિનિટ બાકી છે, બર્નાર્ડો … ફોનેસે વૉચમાં જોઈને ન્હૉતું કહ્યું, મિનિટ ગણવા ય ન્હૉતો રોકાયો.

એક દિવસ ફોનેસ ઘોડા પરથી પડી જાય છે. એ પછી એ જુએ છે કે પોતાની યાદશક્તિ તીવ્ર થઈ ગઈ છે. કોઇપણ ચીજ એને આખે આખી દેખાવા લાગી, એકોએક વીગતો સાથે. દાખલા તરીકે, ફોનેસ વાદળાંના આકાર કેવા છે, તરત કહી શકતો, ભલે ને બદલાયા કરતાં હોય.

આ કથક તે બોર્હેસ પોતે, એમ મનાય છે. એ માન્યતા સાચી છે, પણ મને નથી ગમતી.

૧૮૮૭માં કથક બુએનો ઍરિસ પાછો ફરે છે, એને લેટિન શીખવી હોય છે. ઘોડા પરથી પડી જવાને કારણે ફોનેસને ઇજા તે અરસામાં જ થયેલી. કથકને ફોનેસની ચિઠ્ઠી મળે છે – એમ કે કોઈક એને કથકનાં લેટિન પુસ્તકો અને ડિક્ષનરી આપી ગયું છે. કથક અસમંજસમાં પડી જાય છે, સામું જણાવે છે કે એ પુસ્તકો કેટલાં તો અઘરાં છે, પૂરાં સમજાયાં જ નથી, પોતાનો ભ્રમ ક્યારનો ભાંગી ગયો છે.

દરમ્યાન, કથકના પિતા માંદા હોવાનો તાર આવે છે. કથક નીકળવાની તૈયારી કરતો હોય છે, એને પુસ્તકો યાદ આવે છે, ફોનેસને ત્યાં પ્હૉંચી જાય છે. ફોનેસની મા ક્હૅ છે – એ બેઠો પેટિયોમાં. અચરજની વાત એ કે ફોનેસ પર્ફૅક્ટ લેટિનમાં કથકનું સ્વાગત કરે છે ! એટલું જ નહીં, ‘હિસ્ટોરિયા નેચરાલિસ’ ગ્રન્થના ૭-મા ભાગના ૨૪-મા પ્રકરણના પહેલા ફકરાનું આબાદ પઠન કરી બતાવે છે ! એટલું જ નહીં, ગ્રન્થમાં પ્રોડિજિયસ મેમરીવાળાઓના, એટલે કે નાની વયથી જ અસાધારણ સ્મૃતિ ધરાવનારાઓના, જેટલા કંઈ કિસ્સા વર્ણવાયેલા, એક પછી એક ગણી બતાવે છે.

સ્મરણિયા ફોનેસની યાદદાસ્ત આમ, જેટલી તીવ્ર હતી એટલી જ અકળ હતી. એ શું પ્લેટોના ‘આઇડીઆ’ને સમજતો’તો? ના. સાધારણીકરણ તે શું, અમૂર્તતા તે શું, એને કશી જ ખબર ન્હૉતી. પછીથી તો, એણે ગણકયન્ત્ર બનાવેલું. પણ દરેક સંખ્યાને પોતાને જે ઠીક લાગે એ નામ આપતો'તો. કથક કહેતો – આમ ન કરાય, સંખ્યાને નામ આપવાં બરાબર નથી, દોષ કહેવાય.

પણ ફોનેસને કશું જ પલ્લે પડતું નહીં. એ તો ગામડા ગામનો ગરીબડો ભોળિયો હતો. કથક સરસ જણાવે છે કે એનામાં ‘કશીક તોતડાતી મહાનતા’ હતી. બિચારાને ઊંઘ આવે નહીં કેમ કે આસપાસનાં મકાનોના આકાર ને એની દીવાલોમાં પડેલી તિરાડો દેખાયા કરે …

કથકને એણે કહેલું કે જે કંઈ માર્વેલસ – અજબગજબ ને ચમત્કારી – કહેવાયું હોય છે, એનાથી ચકિત રહેવાની પોતાને હમેશાં મજા પડે છે.

જોવા જઈએ તો ફોનેસ પોતે પણ એવો જ ચમત્કારી પ્રોડિજી હતો.

જોવા જઈએ તો બોર્હેસની સૃષ્ટિ પણ એટલી જ માર્વેલસ છે. સ્પૅનિશ ભાષા-સાહિત્યમાં તો ખરું જ પણ વિશ્વ-સાહિત્યમાં એમનું અનોખું સ્થાન છે. આમ તો આર્જેન્ટિનાના સાહિત્યકાર ગણાય. ટૂંકીવાર્તાઓ, કાવ્યો, નિબન્ધો, લેખો, લખ્યાં છે, અનુવાદો કર્યા છે. યુનિવર્સિટી ઑફ બુએનો ઍરિસમાં અંગ્રેજી ભાષા-સાહિત્યના પ્રૉફેસર હતા. દુખદ વાત એ કે ૫૫-ની વયે દૃષ્ટિ જતી રહેલી, સાવ અન્ધ થઈ ગયેલા.

આ કોરોના પૅન્ડામિક સંસારમાં સારીનરસી અસંખ્ય સ્મૃતિઓ મૂકી જવાનો છે. માણસને ત્યારે સ્મરણિયા ફોનેસ થવું નહીં ગમે, પણ મને ગમશે. કેમ કે, જેવાં હોય એવાં, પણ સ્મરણો વિનાનો હું મને ખાલી ખોખું લાગું …

= = =

(July 17, 2021:USA)

Loading

પેરસીટમોલ

જાગૃત ગાડીત|Opinion - Opinion|17 July 2021

ગઈ ૨૪ મેએ જ્યારે મેં ‘રસીકરણ’ વિશે લેખ મેઇલ કર્યો, ત્યારે સત્યની ક્ષણ નજીક જ હતી. ૨૬મીએ મને તાવ શરૂ થયો. સિઝનલ ફ્લુ હશે! બે દિવસમાં પત્નીને પણ તાવ આવ્યો. ટેસ્ટ કરાવવા ગયો, ત્યારે તો ખાતરી જ હતી કે કોવિડ છે. ચિંતા એ હતી કે ક્યાંક false negative (આશરે ૧૫ ટકા શક્યતા) રિપોર્ટ પકડાવી ન દે. હું પેલાને નાક અને ગળામાં એની સળી વધારે ખોસવાનો આગ્રહ કરતો હતો. છોકરાએ હસતાં-હસતાં થમ્સઅપ કર્યું, ‘કાકા, ચિંતા ના કરો! જે હશે તે આવી જ જશે.’

સાંજે અપેક્ષિત positive રિપોર્ટ આવી ગયો. CT value (બધાંને જાણવી હોય છે!) ૧૭ની આસપાસ હતી. ઓળખીતાઓની પાસેથી થોડાં ચિંતિત સૂચનો મળ્યાં. આટલા ટેસ્ટ કે સ્કૅન કરાવવાં જ જોઈએ વગેરે. પત્નીને મારી થોડી ચિંતા હતી. ૫૭ની ઉંમરે ઘણા જે માટે નિયમિત દવાઓ લેતા હોય છે, તે ક્રોનિક તકલીફો મને પણ છે. પણ હું દવાઓ લેવાને બદલે જીવનપદ્ધતિને થોડી સુધારી પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરું છું. પણ આપણે કંઈ બાપુ નથી. ખાવાપીવાનો લોભ શોખ વધુ છે. સ્થિતિ આંશિક નિયંત્રણમાં રહે છે.

કોરોનામાં અચાનક આમ કે તેમ થઈ જાય એવો મોટો ખોફ ફેલાયેલો છે. Comorbidities બધા જાણે છે. CRP, D-Dimer, CT scan! અમુક દવાઓ તો લેવી જ જોઈએ, એવા અઢળક વૉટ્‌સએપ મૅસેજીસ! પણ મારી પૉલિસી નક્કી હતી. કોવિડ ઍક્યુટ ચેપ છે. થોડો વખત રહીને એની સાઈકલ પૂરી થાય એટલે વિદાય થશે. તાવ કે એવાં બીજાં લક્ષણો આપણામાં પ્રસ્થાપિત લાખો કરોડો વર્ષોથી કેળવાયેલી સંવેદનશીલ ઇમ્યુનિટીનો બચાવ-રિસ્પૉન્સ છે. તેની સાથે બિલકુલ અનિવાર્ય ન હોય ત્યાં સુધી છેડછાડ ન કરી શકાય.

મને નવ દિવસ સાધારણ (દરરોજ ૯૯થી ૧૦૧.૫ સુધી બદલાતો) અને પાંચ દિવસ ઓછો (૯૯થી ૧૦૦) તાવ રહ્યો. તાવ ઉતારવા એક પણ પેરસીટમોલ લીધી નથી. છઠ્ઠા દિવસથી મને થોડી ઉધરસ આવી. સાતમા-આઠમા દિવસથી ઉધરસ સાથે ગળફો (ખારો સ્વાદ) નીકળવાનો શરૂ થયો, જે તાવ ગયા પછી પણ થોડા દિવસ રહ્યું. એ માટે પણ કોઈ દવા લીધી નહીં. સતત એમ જ વાંચ્યું છે કે કોવિડમાં સૂકી ઉધરસ જ આવે છે. પણ મારા કેસમાં ગળફો કાઢવા માટે જ ઉધરસ આવી. ઇમ્યુનિટીને એની રીતે કામ કરવા દો, તો મોટે ભાગે દાખલો સાચો જ ગણે છે.

થોડી તકલીફ જરૂર થઈ. ત્રણચાર દિવસ કોઈ રીતે ઊંઘ આવે નહીં. દિવસે તો મટકું પણ ન મારી શકાય. બેએક (સાતમે-આઠમે) દિવસ ખાસી બેચેની લાગી. ભૂખ ઓછી થઈ. માંડ એક રોટલી કે ભાખરી કે થોડી ખીચડી ખાઈ શકાય. બેએક દિવસ (કદાચ સાતમો-આઠમો) મોઢાનો સ્વાદ ગયો. ભાખરી ખાતાં પૂઠું ચાવતા હોઈએ એવું લાગે. આ અનુભવ આટલો ખતરનાક હશે એ ખબર નહોતી. પણ એ બે દિવસ જ રહ્યું. મુખ્ય વાત એ છે કે તાવ ગયા પછી એક અઠવાડિયામાં બધું સામાન્ય થઈ ગયું.

દિવસમાં અમુક વાર શરીરનું તાપમાન અને ઑક્સિજન સેચ્યુરેશન (SPO2)  જોઈ લેતો હતો. Respiratory rate (RR) પણ સામાન્ય રેન્જમાં જ હતો. પણ આ વાઇરસના ખતરનાક ઇરાદાઓ વિશે એટલી હાઇપ જન્મી છે કે તાર્કિક સમજણ હોવા છતાં ચિંતા થાય કે આ જશે તો ખરો ને? કોઈ જોખમ તો પેદા નહીં થાય ને? સાલું રસી ન લઈને મૂર્ખામી તો નથી કરી ને? ભય એ તાર્કિક અને વૈજ્ઞાનિક સમજણની ઉપર પ્રવર્તે છે એ દેખાયું. ડેનિયલ કાયનેમાન!

દવા ન લો, પણ વિટામિન્સ કે બીજા સપ્લિમેન્ટ તો લો! કોઈ કાઢાઉકાળા તો પીઓ! કમ સે કમ અજમાલવિંગની પોટલી સૂંઘો, નાસ લો, ગરમ પાણીમાં લીંબુ નીચવીને પીઓ! કંઈક તો કરો! બધી સલાહોનો સાભાર અસ્વીકાર! હિતેચ્છુઓને થોડું માઠું લાગે છે, પણ સાચું કહું તો સક્રિય ચેપ વખતે આવું બધું શરીરમાં ઉમેરવું સલાહભર્યું નથી લાગતું.

આજકાલ ‘ઇમ્યુનિટી’ વિશેની આવકારદાયક સભાનતા એકદમ વધી છે. બધાને તાત્કાલિક કંઈ ખાઈને કે પીને ઇમ્યુનિટી વધારી દેવી છે. ગયા વર્ષથી વિવિધ વિટામિન્સ, મિનરલ્સ, અજમો, સૂંઠ, લવિંગ, વિવિધ કાઢા, લીંબુ વગેરે પર ભારે આક્રમણ થયું છે. ઘણા કસરત અને સાદા ખોરાક તરફ પણ વળ્યા છે. પણ ઇમ્યુનિટી તત્કાળ સુધારી કે boost કરી શકાય એવી સિસ્ટમ નથી.

અને શરીરમાં સક્રિય ચેપ હોય ત્યારે ઇમ્યુનિટી વધારવા ન બેસાય. કોવિડમાં મોટા ભાગની જીવલેણ સમસ્યાઓ ઇમ્યુનિટીની અતિ સક્રિયતાથી થઈ છે. નવા વાઇરસની હાજરીમાં શરીરનું Homeostasis સંવેદનશીલ હાઈ એલર્ટ પર સ્ટ્રેસમાં હોય છે. કાયમ જેની ટેવ હોય એવો સાદો ખોરાક અને આરામ સિવાય વધારાની વસ્તુઓ વધુ સંવેદનશીલ બનેલા Homeostasisમાં ભયજનક ખલેલ પાડી શકે. તો બધા કોવિડ પૉઝિટિવ લોકોને સરકાર તરફથી વિટામિન્સ, મિનરલ સપ્લિમેન્ટ, પેરસીટમોલ અને અન્ય દવાઓની એકસરખી કિટ કેમ વહેંચવામાં આવી? એનાથી કેટલા કેસ ખોટી રીતે બગડ્યા એનો કોઈની પાસે હિસાબ કે અભ્યાસ નથી.

‘તમારી હિંમત બહુ છે. વગર દવાએ કોરોનાને હરાવ્યો!’ કોઈ આમ કહે ત્યારે હું ત્રણ સુધારા કરું છું. એક, કોરોનાની આમે ય કોઈ દવા નથી. બીજું, મેં કોરોનાને હરાવ્યો કઈ રીતે? એ તો મસ્તીથી મને ગેસ્ટહાઉસ બનાવીને રહ્યો અને પૂરું આયુષ્ય ભોગવીને ગયો. મીયાંની મીંદડી થઈ બે અઠવાડિયાં ઘરમાં તો હું બેસી રહ્યો. મેં હાકોટા પડકારા કર્યા હોય કે મૂછે તાવ દીધા હોય એવું યાદ આવતું નથી. અને ત્રીજું, દવા ન લેવામાં મારી હિંમત નહીં પણ કાયરતા જવાબદાર છે. શરીરમાં નવો વાઇરસ સક્રિય બન્યો હોય, ત્યારે પૂર્વજો પાસેથી મળેલી અત્યંત સંવેદનશીલ અને બુદ્ધિમાન ઇમ્યુન સિસ્ટમ જે પ્રતિભાવ પેદા કરે, તેની સાથે બિનજરૂરી છેડછાડ કરવાની હિંમત હું બિલકુલ ધરાવતો નથી.

આ યુદ્ધની અવૈજ્ઞાનિક અને હાસ્યાસ્પદ પરિભાષાએ દાટ વાળ્યો છે. ‘કોરોના સામે જંગ’, ‘કોરોના વૉરિયર’! મેડિકલ પ્રોફેશન પણ અમુક અંશે આ પરિભાષાનો ભોગ બન્યો છે. ડૉક્ટરો અને તેમનાં પરિવારજનો વાઇરસના નામથી ડરેલાં દેખાય, ત્યારે સામાન્ય માણસોનું આતંકિત થવું સ્વાભાવિક છે. ભય અને આતંકમાં તાર્કિક રૅશનલ વિચાર પછડાયો છે. ઘણી બિનજરૂરી દોડાદોડ, દવાઓ અને ઇલાજના નામે અંધાધૂંધી થઈ છે. CT Scan, રેમડેસીવિર, હાઇડ્રૉક્સિક્લોરોક્વીન, આઇવરમેક્ટીન, પ્લાઝ્‌મા થેરાપી, પ્લાઝમા ડોનેશન કૅમ્પ! કદી બગડે નહીં એવા ઘણા કેસ એ રીતે બગડ્યા છે. ઘણા ડૉક્ટરોએ આ મહામારીમાં ભારણ હેઠળ અત્યંત ટાંચાં સાધનોથી પ્રશંશનીય કામ કર્યું છે. પણ સૌ પ્રથમ યુદ્ધની પરિભાષાનો વિરોધ કરી chill pill  મીડિયા, સરકાર અને લોકોને ગળાવવાની જરૂર હતી.

સ્વાનુભવથી હું જોઈ શક્યો છું કે કોવિડમાં ઇમ્યુનિટીએ તાવનો સમજણપૂર્વક વ્યૂહાત્મક ઉપયોગ કર્યો છે. તાવ જીવાણુને મારવા આવે છે, એ સૌથી સાદી સમજ છે. પણ તાવના એક કાંકરે શરીર કેટલાં પક્ષી મારે છે, એ ચોક્કસ કોઈ કહી શકે એમ નથી. કોવિડમાં blood-clottingની સમસ્યાઓ ઘણી થઈ. કદાચ hemodynamic stability જાળવવામાં તાવ મહત્ત્વની ભૂમિકા ભજવે. અને તાવ ફક્ત જીવાણુ-નિયંત્રણ કરતો હોય તો પણ તે ઉતારવાની દવા લેવામાં કયું ડહાપણ છે?

અસંખ્ય કેસમાં તાવ ઉતારવાની કોશિશથી જ સ્થિતિ બગડી છે. શક્ય હોય ત્યાં સુધી તાવ આવી જવા દેવાની સલાહ મેડિકલ પ્રોફેશન તરફથી મળવી જોઈતી હતી. પણ ઊલટાનું તાવ ઉપરાંત ખાંસી વગેરેની દવાઓ પણ આજની તારીખમાં ICMR/AIIMSની વેબસાઇટ પર ઘરે રહેલા દરદીઓ માટે symptomatic management માટે સૂચવાયેલી દેખાય છે. શરીરને પોતાના સંરક્ષણના ઉપાયો કરતાં રોકવાથી ચેપ વધુ ઊંડે ન જાય? Viral shedding અને એકથી બીજાને ચેપ લાગવાની શક્યતા ન વધે ? પણ આવા કોઈ અભ્યાસ થતા હોય એમ લાગતું નથી.

મોટા ભાગે મેડિકલ પ્રૅક્ટિસ લક્ષણોના મેનેજમેન્ટને જ પોતાનું કામ બનાવી બેઠી છે. અમુક સંજોગોમાં લક્ષણોને નિયંત્રિત કરવાં કે તેમને દબાવવાં ચોક્કસ જરૂરી હોય, પણ ઘણા ભાગે એમ કરવામાં જોખમ અને નુકસાન જ વધુ હોય છે. નવો વાઇરસ શરીરમાં આવે, ત્યારે બંનેને એકબીજાને નુકસાન કરવામાં કોઈ રસ હોતો નથી, પણ પોતપોતાને બચાવવા માટે વ્યૂહાત્મક બાજી જરૂર ગોઠવે છે. આ સંજોગોમાં તાવ શરીર માટે રામબાણ છે.

‘ડોલો’ એટલી પ્રખ્યાત થઇ કે ‘રેમડેસિવિર’ ફૅશનમાં આવી તે પહેલાં ઘણા લોકો ‘ડોલો’ને કોરોનાની મુખ્ય દવા માનતા હતા. ‘તાવ આવે તો કોરોના હોઈ શકે!’, પણ તાવ એ કોવિડ નથી. લોકો તાવથી ગભરાતા થઈ ગયા. દરેક મોટે દરવાજે થર્મલગન લઈ ચોકીદારો ગોઠવાઈ ગયા. એનાથી બચવા ઘણા લોકો પેરસીટમોલ લઈને કામ પર ગયા.

કદાચ લાખો કોવિડકેસ તાવ ઉતારવા માટે પેરસીટમોલના દુરુપયોગથી બગડ્યા હશે. એમાંના કેટલા ય અન્ય સગવડોની ઉપલબ્ધિને અભાવે રામશરણ થયા હશે. પેરસીટમોલ (કે તાવ ઉતારવાની અન્ય કોઈ દવા) ન મળતી હોત તો કેટલા બચ્યા હોત? એનો હિસાબ તમને કોઈ નહીં આપી શકે. જે થોડા ઘણા ડૉક્ટરોએ કોવિડમાં તાવ ઉતારવા સામે લાલબત્તી ધરી હોય તેમને હું સલામ કરું છું.

e.mail : jagrut.gadit@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 12-13

Loading

નફાનું ખાનગીકરણ, ખોટનું રાષ્ટ્રીયકરણ !

ચંદુ મહેરિયા|Opinion - Opinion|17 July 2021

૧૯૯૧ની ૨૧મી જૂને નહેરુ-ગાંધીપરિવાર સિવાયના પ્રથમ કૉન્ગ્રેસી વડા પ્રધાન તરીકે પી.વી. નરસિંહ રાવે સત્તાના સૂત્રો સંભાળ્યાં તે ભારતીય રાજનીતિની નોંધપાત્ર ઘટના હતી. ખાડીયુદ્ધ અને સોવિયેત રશિયાના વિઘટન વચ્ચે દેશની આર્થિક સ્થિતિ તળિયે હતી. એટલે ૨૪મી જુલાઈ ૧૯૯૧ના રોજ નરસિંહરાવે તેમના અર્થશાસ્ત્રી નાણામંત્રી મનમોહન સિંઘની સલાહ અનુસરી દેશના અર્થતંત્રને બજારને હવાલે કરતું ઉદારીકરણ સ્વીકારી લીધું હતું. કૉન્ગ્રેસના સમાજવાદને તિલાંજલિ આપી આર્થિક સુધારાની નીતિ અંગીકારીને કૉન્ગ્રેસે ભારતીય અર્થકારણને ઐતિહાસિક વળાંક આપ્યો હતો.

આઝાદી સમયે દેશે ન મૂડીવાદી, ન સમાજવાદી એવી મિશ્ર અર્થવ્યવસ્થા અપનાવી હતી. સાથે નહેરુ કલ્પનાના સમાજવાદને કારણે રાષ્ટ્રીયકરણ અને જાહેર ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો હતો. ૧૯૪૯માં રિઝર્વ બૅન્ક ઓફ ઇન્ડિયાનું અને ૧૯૫૫માં સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. પોતાના પ્રધાનમંત્રીત્વકાળ દરમિયાન ઇંદિરા ગાંધીએ ૧૯૬૯માં ૧૪ બૅન્કોનું તો મોરારજી દેસાઈએ ૧૯૮૦માં ૬ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. ૨૦૧૭માં દેશમાં ૨૭ રાષ્ટ્રીયકૃત બૅન્ક હતી. ૧૯૫૦થી ૧૯૬૦ના ગાળામાં કેન્દ્ર અને રાજ્યોએ ૧,૨૦૦ જેટલી સરકારી કંપનીઓ બનાવી હતી. આજે દેશમાં ૨૫૭ જાહેરક્ષેત્રના ઉદ્યોગો છે અને તેમાંથી ૧૮૪ નફો કરે છે.

૧૯૯૧ના બજારકેન્દ્રી ઉદારીકરણને કારણે ખાનગીકરણનો વાયરો ફૂંકાયો હતો. ઉદારીકરણના ત્રણ દાયકાના અંતે આજે ઉદારીકરણના બીજા તબક્કામાં સરકાર ખાનગીકરણની ખુલ્લેઆમ તરફેણ કરે છે. વિનિવેશ થકી ખાનગીકરણના આરંભનો તો સરકારોએ ક્યારનો અમલ કરી દીધો છે. સરકાર જ્યારે વિનિવેશનો માર્ગ અપનાવે છે, ત્યારે તે બૅન્ક, વીમા કંપની કે જાહેર ક્ષેત્રના ઉપક્રમનો અમુક હિસ્સો ખાનગી વ્યક્તિ કે કંપનીંને વેચે છે, પરંતુ નિયંત્રણ પોતાના હસ્તક રાખે છે જ્યારે ખાનગીકરણમાં તે બહુમતી હિસ્સો વેચીને સંચાલન ખાનગી હાથોને સોંપી દે છે. ઉદારીકરણના આરંભે ૧૯૯૧-૯૨માં ૩૧ સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની સરકારે વિનિવેશ મંત્રાલય અને વિનિવેશ આયોગની રચના કરી હતી.

ઉદારીકરણના ત્રણ દાયકામાં વિશ્વ અર્થવ્યવસ્થામાં ભારતની ભાગીદારી ત્રણ ગણી વધી હોવાનું અને ખાનગીકરણને કારણે બૅન્કિંગ, સંચાર, મોબાઇલ અને વિમાનસેવામાં સુધારો થયાનું કહેવાય છે. જાહેરક્ષેત્રમાં કામચોરી, ભ્રષ્ટાચાર, જરૂરિયાત કરતાં વધુ સ્ટાફ છે. બૅન્કોની એન.પી.એ. (નૉન પરફૉર્મિંગ એસેટ્‌સ) વધી રહી છે. છેલ્લાં ત્રણ વરસોમાં કેન્દ્ર સરકારે સરકારી બૅન્કોને રૂ. ૧૫૦ લાખ કરોડ ખોટ સરભર કરવા આપ્યા છે. જાહેરક્ષેત્રના કેટલાક ઉદ્યોગો પણ ખોટમાં ચાલે છે. તેને કારણે પણ ખાનગીકરણ જરૂરી હોવાની દલીલો થાય છે.

હાલમાં મહામારી પ્રભાવિત અર્થવ્યવસ્થામાં સંસાધનોનું સંકટ છે અને સરકાર આર્થિક રીતે તંગહાલ છે, એટલે તે સામાજિક યોજનાઓ માટે જરૂરી નાણાં મેળવવા, રાજકોષીય ખાધ ઘટાડવા ખાનગીકરણનો રાહ આપદ્‌ ધર્મ તરીકે અપનાવી રહ્યાનું કહેવાય છે. ૧૯૯૪થી ૨૦૦૫માં કેન્દ્ર સરકાર વિનિવેશથી રૂ.૬,૩૪૪ કરોડ કમાઈ હતી. ૨૦૦૯થી ૧૪માં રૂ. ૧ લાખ કરોડની કૉન્ગ્રેસ સરકારે તો ૨૦૧૪થી ૧૯માં રૂ. ૨.૮૨ લાખ કરોડની બી.જે.પી. સરકારે જાહેર ક્ષેત્રના વેચાણમાંથી કમાણી કરી હતી. ૨૦૦૬માં ઇન્ડિયન ઑઇલ કંપનીમાં સરકારી ભાગીદારી ૮૨ ટકા હતી, ૨૦૧૯માં ૫૨ ટકા છે. ૨૦૧૭માં સરકારી બૅન્કો ૨૭ હતી, તે ખાનગીકરણ અને વિલયથી ઘટાડીને આજે ૧૨ કરવામાં આવી છે. એટલે ખાનગીકરણ કે વિનિવેશ વર્તમાન સરકારનો કોઈ આપદ્‌ ધર્મ નથી. ખાનગીકરણને બહાને સરકારોની ઉડાઉગીરી લાંબા સમયની છે.

૨૦૨૧-૨૨ના અંદાજપત્રમાં સરકારે બે બૅન્કો અને એક સરકારી કંપનીનું ખાનગીકરણ કરીને ૧.૭૫ લાખ કરોડ મેળવવાનું લક્ષ્ય ઘોષિત કર્યું છે. નીતિ આયોગે લગભગ ૧૦૦ જેટલી જાહેર સંપત્તિ અને જાહેક્ષેત્રના ૧૩ ઉપક્રમો ખાનગીકરણ માટે તારવ્યા છે. આ વરસના બજેટનો લક્ષ્યાંક હાંસલ કરવા સેન્ટ્રલ બૅન્ક અને ઇન્ડિયન ઓવરસિસ બૅન્કનું ખાનગીકરણ કરવાનું નક્કી થઈ ગયું છે. અમદાવાદ સહિત ઘણાં શહેરોના આંતરરાષ્ટ્રીય વિમાનમથકો ખાનગી કંપનીઓના હવાલે કરી દીધાં છે. પી.પી.પી. કહેતાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના રૂપાળા નામે સવાસો રેલવે સ્ટેશનોનું ખાનગીકરણ થવાનું છે.

વર્તમાન સરકાર મૂડીવાદીઓની તરફદાર એવી ‘સૂટબૂટની સરકાર’ હોવાની વિપક્ષી આલોચનાથી સહેજ પણ ડર્યા કે ડગ્યા વિના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ખાનગી ક્ષેત્રનાં ગુણગાન ગાયાં હતાં. “ધંધોવ્યવસાય કરવાનું સરકારનું કામ નથી” તેમ કહીને વડા પ્રધાને ખાનગી ક્ષેત્રની પ્રશંશા કરીને જાહેરક્ષેત્ર જરૂરી છે, પણ દેશના વિકાસમાં ખાનગી ક્ષેત્રનું મહત્ત્વ પણ જરા ય ઓછું ન હોવાનું જણાવ્યું હતું. બધું જ સરકાર કરશે તે બાબતને જમાનાજૂની ગણાવી, લોકોના જીવનમાંથી નકામી સરકારી દખલ ઓછી કરી, ન સરકારનો અભાવ કે ન પ્રભાવ એવી પ્રતિબદ્ધતા પ્રધાન મંત્રીએ વ્યક્ત કરી હતી.

સરકાર બોજારૂપ કે ધોળા હાથી જેવાં જાહેર ક્ષેત્રોને વારસાના નામે ન સાચવે તે સમજી શકાય છે, પરંતુ નફો કરતા જાહેર ક્ષેત્રના ખાનગીકરણનો ર્નિણય કરતી મૂડીપતિઓની તરફદાર છે. સરકાર  ‘ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ’(બી.પી.સી.એલ.)નું ખાનગીકરણ કરવાની છે  આ સરકારી કંપની  દેશની બીજી સૌથી મોટી પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની અને ત્રીજી મોટી તેલ-રિફાઇનરી છે, તેની ગણના જાહેરક્ષેત્રની ‘નવરત્ન’ કંપનીઓમાં થાય છે, જેનો સરેરાશ વાર્ષિક કારોબાર ૨૫,૦૦૦ કરોડથી વધુ હોય અને છેલ્લાં ત્રણ વરસોમાં જેણે ૫,૦૦૦ કરોડ નફો કર્યો હોય તેવા જાહેરક્ષેત્રના નવ ઉપક્રમોને સરકારે ‘નવરત્ન’ ગણ્યા છે. ભારત પેટ્રોલિયમ કંપની તે પૈકીની એક છે. વીસ હજાર કર્મચારીઓ ધરાવતી આ કંપનીએ તાળાબંધીના કપરાકાળમાં રાંધણગૅસ અને અન્ય ઈંધણોની અછત સર્જાવા દીધી નથી. ભારત સરકારનો આ કંપનીમાં ત્રેપન ટકા જેટલો હિસ્સો છે. ગયા વરસે તેનો નફો સાત ગણો વધ્યો હતો. તેનો સીધો નફો ૧૨,૮૫૧ કરોડ હતો. અને છતાં તેનું ખાનગીકરણ થવાનું છે ! 

આશરે સવા લાખ કર્મચારીઓ અને ત્રીસેક કરોડ પૉલિસીધારકો ધરાવતી, ૧૯૫૬માં સ્થાપિત, દેશની સરકારી વીમાકંપની લાઇફ ઇન્સ્યોરન્સ કૉર્પોરેશન(એલ.આ.ઇસી.)ને હજુ બે વરસ પહેલાં જ, ૨૦૧૯માં, ખોટ કરતી આઈ.ડી.બી.આઈ. બૅન્કનો ૯૪ ટકા હિસ્સો ખરીદવાની સરકારે ફરજ પાડી હતી. હવે એ જ એલ.આઈ.સી.માં એફ.ડી.આઈ.(વિદેશી રોકાણનો હિસ્સો)ની મર્યાદા ૪૯ ટકાથી વધારીને સરકાર ૭૪ ટકા કરવાની છે. પાંચ લાખ કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતી સો જાહેર સંપત્તિનું વેચાણ કરીને સરકાર રૂ. ૨.૫ લાખ કરોડ ઊભા કરવાની છે. સરકારે ખોટ કરતા જાહેર ક્ષેત્રને નાણાકીય મદદ કરવાના બોજમાંથી મુક્ત થવું જોઈએ, પણ  નફાકારક અને સુચારુ રૂપે ચાલતી આવી કંપનીઓનું ખાનગીકરણ કરે તો સવાલ ઊઠશે જ. શિક્ષણ, આરોગ્ય, પાણી, વીજળી, રેલવે, હાઈવે, દૂરસંચાર, માળખાકીય સુવિધાઓ જેવાં ઘણાં ક્ષેત્રોનું ખાનગીકરણ થઈ રહ્યું છે. લાગે છે કે સરકાર નફાનું ખાનગીકરણ અને ખોટનું રાષ્ટ્રીયકરણ કરી રહી છે !

રાષ્ટ્રીયકરણ સમયે આખા દેશમાં બૅન્કોની ૮,૨૦૦ શાખાઓ હતી. આજે આશરે ૮૫ લાખ છે. રાષ્ટ્રીયકરણને કારણે બૅન્ક ગામડાંઓ સુધી પહોંચી છે, અને તેનો ઉદ્દેશ લોકોની સેવાનો બન્યો છે. નાના ઉદ્યોગકારો, ખેડૂતો, નોકરિયાતો, મહિલાઓ, અસંગઠિતો અને વિદ્યાર્થીઓ માટે બૅન્કલૉન સુલભ બની છે. જનધન ખાતાં, ઝીરો બૅલેન્સ ખાતાં અને સરકારી યોજનાઓના લાભો બૅન્ક મારફત આપવાને કારણે ગરીબોની પહોંચ બૅન્કો સુધી શક્ય બનતાં આમઆદમીની નાણાકીય સમાવેશિતા થઈ છે. જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના કારણે સમાજના વંચિત વર્ગોને રોજગારીની તકો મળી છે. સરકારી ઉપક્રમોમાં અનામત નીતિને કારણે દલિતો-આદિવાસીઓ નોકરી મેળવી શક્યા છે. રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને અધિકારીઓની સાંઠગાંઠ અને સરકારી દખલને કારણે મસમોટી રકમોની લોનો અપાય અને તે ન ચૂકવાય કે બૅન્કોએ આપેલી લોનો માંડવાળ કરવાના રાજકીય ર્નિણયો થાય તેને કારણે બેન્કોના ખાનગીકરણનો માર્ગ અખત્યાર કરવો યોગ્ય નથી.

જાહેર ક્ષેત્રનો નફો સાર્વજનિક હોય છે, જ્યારે ખાનગી ક્ષેત્રનો નફો વ્યક્તિગત હોય છે. ખાનગી ક્ષેત્રની કાર્યકુશળતા વખાણીને જાહેર ક્ષેત્રને ઉતારી પાડવું યોગ્ય નથી. સાર્વજનિક ક્ષેત્રોને કારણે સરકારની જે જવાબદેહી હોય છે, તેનો ખાનગી ક્ષેત્રમાં અભાવ હોય છે. ખાનગી ક્ષેત્રનો આદર્શ ઓછા દામ વધુ કામનો હોઈ જાહેર ક્ષેત્ર અને બૅન્કોના ખાનગીકરણની સૌથી મોટી અસર કર્મચારીઓ પર પડે છે. દેશમાં બેરોજગારી ચરમ પર છે, ત્યારે જ ખાનગીકરણને કારણે છટણી થતાં બેકારી વધશે. ખાનગી ક્ષેત્રનો એક માત્ર ઉદ્દેશ નફો કમાવાનો છે, ત્યારે તે જાહેરક્ષેત્રની જેમ પછાત વિસ્તારોમાં ન જતાં ગરીબોની જે નાણાકીય સમાવેશિતા શક્ય બની છે, તે જોખમાશે. સામાજિક ઉત્તરદાયિત્વનો અભાવ, ભેળસેળ, ઊતરતી ગુણવત્તા, કાળું નાણુ, પર્યાવરણને નુકસાન, પ્રદૂષણમાં વધારો જેવી બાબતો ખાનગીકરણની ઓળખ છે. સાર્વજનિક ક્ષેત્ર તેની મર્યાદાઓ છતાં આ બાબતોથી દૂર છે. એટલા માટે પણ જાહેરક્ષેત્રોનું ખાનગીકરણ નુકસાનકારક છે. વળી, ખાનગી ક્ષેત્ર પણ કંઈ દૂધે ધોયેલું નથી. ખાનગી ક્ષેત્રની યસ, આઈ.સી.આઈ.સી.આઈ., લક્ષ્મીવિલાસ અને ઍક્સિસ બૅન્ક પણ ખોટ કરતી બૅન્કો છે. શિક્ષણ સંસ્થાઓ અને આરોગ્ય ક્ષેત્રમાં ખાનગીકરણના માઠાં પરિણામો દેશ ભોગવી રહ્યો છે. એટલે ખાનગીકરણનો વ્યાપ વધારી દેશવાસીઓની ધીરજની વધુ કસોટી ન લેવી જોઈએ.

દેશમાં ૪૭૩ વર્ગ કિલોમીટરે એક કૃષિબજાર છે. ૨૦૦૬માં રાષ્ટ્રીય કિસાન આયોગે દર ૮૦ કિલોમીટરે એક કૃષિબજાર ઊભું કરવા ભલામણ કરી હતી. પરંતુ ખાનગી ક્ષેત્રને જેટલો રસ કૉર્પોરેટ ફાર્મિંગમાં છે કે અનાજનાં મોટાં ગોડાઉન ઊભા કરવામાં છે તેટલો નાનાં કૃષિબજારો ઊભાં કરવામાં નથી. ૨૦૦૩માં જાપાને તેની ટપાલ સેવાનું ખાનગીકરણ કર્યું હતું, પરંતુ સંસદના ઉપલા ગૃહમાં તેનો અસ્વીકાર થતાં તત્કાલીન જાપાની વડા પ્રધાન કોઈ જુમીએ ૨૦૦૫ની સામાન્ય ચૂંટણી આ મુદ્દે જ લડવાનું એલાન કરી વિજય મેળવ્યો હતો. પણ ભારતમાં બધું ચોરીછૂપીથી થાય છે.

ભારતમાં બૅન્કો રાષ્ટ્રીયકરણનો અને જાહેર ક્ષેત્રની સ્થાપનાનો ર્નિણય જો રાજકીય હતો, તો તેને તિલાંજલિ આપી ખાનગીકરણનો ર્નિણય પણ રાજકીય છે. તે બાબતમાં કૉન્ગ્રેસ-ભા.જ.પ .એકસંપ છે. એટલે રાજનીતિ અને અર્થનીતિની ભેળસેળ થતી રહેશે અને લોકો તેનો ભોગ બનતા રહેશે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 06-07

Loading

...102030...1,8771,8781,8791,880...1,8901,9001,910...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved