Opinion Magazine
Number of visits: 9747015
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—105

દીપક મહેતા|Opinion - Opinion|24 July 2021

મુંબઈમાં વિડલાઈ પાડલાઈ ક્યાં આવ્યું, ખબર છે?

ઇતિહાસ રચ્યો બે એરોપ્લેને અહીં ઊતરીને

ગાંધીજીનો એ પ્રખ્યાત ફોટો ક્યાં લેવાયેલો?

શનિવાર, ૧૫ ઓક્ટોબર, ૧૯૩૨. વિલે પાર્લેનો ઘોડ બંદર રોડ વહેલી સવારથી ધમધમતો હતો. કારણ આજે અહીં ઇતિહાસ રચાવાનો હતો. માત્ર વિલે પાર્લે માટે નહિ, માત્ર મુંબઈ શહેર માટે નહિ. આખા દેશના ઇતિહાસમાં આજનો દિવસ સોનેરી અક્ષરે લખાવાનો હતો. ઘોડ બંદર રોડની પશ્ચિમે ૧૯૨૮માં તૈયાર થઈ હતી એક નાનકડી, સાંકડી, કાચી માટીની બનેલી હવાઈ પટ્ટી. એ વખતે નવી શરૂ થયેલી બોમ્બે ફ્લાઈંગ ક્લબ વિમાન કેમ ઉડાડવું તેની તાલીમ ત્યાં આપતી હતી. એટલે ઘણા લાંબા વખત સુધી લોકો એને ‘ફ્લાઈંગ ક્લબ એરોડ્રોમ’ તરીકે ઓળખતા. ૧૯૩૨ સુધીમાં હવાઈ પટ્ટી થોડી સુધરી હતી. નક્કી થયેલા સમયે આકાશમાં જાણે મોટું મગતરું ઊડતું હોય એવું દેખાયું. એ જેમ જેમ પાસે અને નીચે આવતું ગયું તેમ તેમ મોટું ને મોટું લાગવા માંડ્યું. હવાઈ પટ્ટીને છેડે એક ઝૂંપડું હતું. માથે છાપરું, તો કે તાડનાં સૂકાં પાંદડાંનું. એ ઝૂંપડાની બહાર એક પાટિયું લટકતું હતું: Tata Air Services.

અને થોડી વાર પછી મગતરું ધીમે ધીમે વિમાન પટ્ટી પર ઊતર્યું. એ હતું હેવીલેન્ડ નામની કંપનીએ બનાવેલું એક એન્જિનવાળું પુસ મોથ વિમાન. કરાચીથી આ વિમાન વહેલી સવારે ઊપડ્યું હતું, એક રસ્તાને રન-વે બનાવીને. વચમાં અમદાવાદ રોકાઈને તે જુહુ એરપોર્ટ પર ઊતર્યું હતું. તેમાંથી ઊતર્યો એક ૨૮ વરસનો તરવરતો પારસી યુવાન. સાથે લાવ્યો હતો આજના ૨૫ કિલો જેટલી ટપાલ ભરેલા કોથળા. એ યુવાન એટલે જે.આર.ડી. તાતા, આપણા દેશની વિમાન સેવાના જનક. ૧૯૦૪ના જુલાઈની ૨૯મી તારીખે પેરિસમાં જન્મ. પિતા રતનજી દાદાભાઈ તાતા અને માતા હતાં ફ્રેંચ બાનુ નામે સુન્ની. ૧૯૨૯ના ફેબ્રુઆરીની ૧૦મી તારીખે એક ઇન્સટ્રક્ટરની સાથે સાડા ત્રણ કલાક વિમાન ઉડાડ્યા પછી પાઈલટ તરીકેનું લાઈસન્સ મેળવ્યું હતું. ૧૯૨૯માં ફ્રેંચ નાગરિકત્વનો ત્યાગ કરીને જહાંગીરજી હિન્દુસ્તાન આવ્યા અને આ દેશના નાગરિક બન્યા.

જૂહુ એરોડ્રોમ પર ઊતર્યા પછી જે.આર.ડી. તાતા અને સાથીઓ

દેશની પહેલવહેલી વિમાની કંપની તાતા એર સર્વિસિસનાં વિમાનોએ પહેલે જ વરસે  ૨,૫૭,૪૯૫ કિલોમિટર જેટલી ઉડાનો ભરી હતી. ૧૫૫ મુસાફરોની હેરફેર કરી હતી અને ૧૦ ટન જેટલી ટપાલને દેશના જુદા જુદા ખૂણે પહોંચાડી હતી. એ જ વરસે તેની સૌથી લાંબા અંતરની વિમાની સેવા કરાચી અને ત્રિવેન્દ્રમ વચ્ચે શરૂ થઈ. તેમં ફક્ત છ મુસાફર બેસી શકતા, અને એ પણ ટપાલના કોથળા પર! બીજો કોઈ દેશ હોત તો આ ઐતિહાસિક પ્રસંગની યાદગીરીમાં વિલે પાર્લેમાં મોટું મ્યુઝિયમ બાંધ્યું હોત. વિમાન નહિ તો તેનું મોડેલ મૂક્યું હોત. પણ … જવા દો. તાતા એર સર્વિસિસની એ ઝૂંપડી ચોક્કસ કયે સ્થળે આવેલી એની ય આજે ખબર નથી. અરે, આ એરોડ્રોમ દેશનું સૌથી પહેલું એરોડ્રોમ છે એવું એકાદ પાટિયું પણ ક્યાં ય લગાડવાની તસ્દી આપણે લીધી નથી.

આજના ભારતનું પહેલવહેલું એરોડ્રોમ જ્યાં આવેલું છે એ વિલે પાર્લેનો પણ જે થોડો ઘણો ઇતિહાસ જળવાયો છે તે ભાતીગળ છે. મૂળ તો સાંતા ક્રુઝ પછીનાં બે ગામડાં. એકનું નામ પાડલે અને બીજાનું નામ ઇડલે. આજે જે ઈર્લાનું નાળું છે તે મૂળ તો હતી નાનકડી નદી. એ આ બે ગામડાંને જૂદાં પાડે. નદીની દક્ષિણે પાડલે, ઉત્તરે ઇડલે. આજે પણ વિલે પાર્લેની હદ નાળાની દક્ષિણે પૂરી થાય છે અને ઉત્તરે ઈર્લાની હદ શરૂ થાય છે જે અંધેરીનો એક ભાગ બની ગયું છે. મૂળ વસ્તી માછીમાર કોળીઓની અને ભંડારી અને આગરી જેવા ખેડૂતોની. તેમાંના મોટા ભાગના ખ્રિસ્તી. આજે પણ વિલે પાર્લે વેસ્ટમાં ખ્રિસ્તી દેવળો અને શિક્ષણ સંસ્થાઓ સારી એવી સંખ્યામાં જોવા મળે છે, અને અમુક વિસ્તાર પણ ખ્રિસ્તી વાડા તરીકે ઓળખાય છે.

મુંબઈમાં પ્લેગની મહામારી ફેલાઈ ત્યારે જેમ તળ મુંબઈથી લોકો સાંતાક્રુઝ રહેવા આવ્યા તેમ પાડલે અને ઈડલે એ બે ગામડાંમાં પણ રહેવા આવ્યા. ૧૯૦૬માં જ્યારે બી.બી.સી.આઈ. રેલવેએ સ્ટેશન બાંધ્યું ત્યારે તેનું નામ હતું ‘વિડલાઈ પાડલાઈ’! પછી વખત જતાં તેમાંથી થયું વિલે પાર્લે. તો બીજા મત પ્રમાણે આ નામ અહીંનાં બે મંદિરો પરથી પડ્યું છે: વિરલેશ્વર અને પાર્લેશ્વર. ખેર, ધીમે ધીમે અહીંની વસ્તીનું સ્વરૂપ બદલાતું ગયું. પશ્ચિમમાં ગુજરાતી વસ્તી વધતી ગઈ અને પૂર્વમાં મરાઠી, મુખ્યત્વે પૂણેકર મરાઠીઓની વસ્તી વધતી ગઈ. જો કે ઘણા વિસ્તારોમાં બંનેની વસ્તી જોડાજોડ પણ રહી. પાર્લા ઇસ્ટમાં સ્ટેશનની સામે એક મહેલ જેવો બંગલો ૧૯૦૪મા બંધાયો, નામ મોર બંગલો. નાનપણમાં ટ્રેનની બારીમાંથી મોર બંગલો ઘણી વાર જોયાનું આ લખનારને યાદ છે. એ બંધાવેલો ગોરધનદાસ ગોકુલદાસ તેજપાલે. બંગલાને માથે હતો રંગબેરંગી કાચની કપચીથી મઢેલો ઘુમ્મટ, અને તેને માથે હતો પિત્તળનો વિશાળકાય મોર. એટલે મોર બંગલો નામ. તેની આસપાસની ઘણી જમીન પણ ગોકુલદાસ તેજપાલ ઘરાણાની. ૧૯૪૨માં વારસદારોએ બંગલો, જમીન-જાયદાદ જૂદા જૂદા લોકોને વેચી દીધાં. છતાં ૧૯૫૭ સુધી, ભલે ભગ્નાવસ્થામાં, પણ મોર બંગલો હયાત હતો. આજે એ જગ્યાએ દીનાનાથ મંગેશકર નાટ્યગૃહ અને મ્યુનિસિપલ માર્કેટ આવેલાં છે. બાકીની કેટલીક જગ્યા પર તેજપાલ સ્કીમની ઇમારતો ઊભી છે.

જૂહુને કિનારે પૌત્ર સાથે ગાંધીજી

તો બીજે છેડે પાર્લા વેસ્ટમાં જૂહુના દરિયા કિનારે આવેલો એક બંગલો અનેક રૂપાંતરો પછી પણ નામ અને મહત્ત્વ જાળવી રહ્યો છે, જાનકી કુટિર. બજાજ કુટુંબે આ બંગલો બંધાવીને જમનાલાલ બજાજનાં પત્નીનું નામ એ બંગલાને આપ્યું. જમનાલાલ બજાજને એ વખતે ઘણા ગાંધીજીનો પાંચમો દીકરો કહેતા. જાનકી દેવી (૧૮૯૩-૧૯૭૯) પણ ગાંધીવાદી રંગે રંગાયેલાં હતાં. ગાંધીજી મુંબઈ આવતા ત્યારે ઘણી વાર આ જાનકી કુટિરમાં ઉતરતા. અહીં હોય ત્યારે નજીકના જૂહુ કિનારે સાંજે જાહેર પ્રાર્થના સભામાં પ્રવચન કરતા. ગાંધીજીનો એક ફોટો ખૂબ જાણીતો છે. દરિયા કિનારે ગાંધીજી લાકડી લઈને ચાલે છે. લાકડીનો એક છેડો તેમના હાથમાં છે, બીજો એક નાનકડા છોકરાના હાથમાં – જાણે ગાંધીજીને દોરીને લઈ જતો ન હોય! આ ફોટાને ઘણી વાર દાંડી કૂચ વખતના ફોટા તરીકે ઓળખાવવામાં આવે છે. પણ હકીકતમાં આ ફોટો જૂહુના દરિયા કિનારે લેવાયો હતો. ૧૯૩૭માં માંદગી પછી આરામ લેવા ગાંધીજી જાનકી કુટિરમાં રહેલા એ વખતનો છે. અને ફોટામાંનો છોકરો એ ગાંધીજીનો પૌત્ર કનુ રામદાસ ગાંધી છે.

પૃથ્વીરાજ કપૂર અને પૃથ્વી થિયેટરના માનમાં ટપાલ ટિકિટ

મોર બંગલાની જગ્યાએ આજે દીનાનાથ ઊભું છે, તો જાનકી કુટિરના પરિસરમાં પૃથ્વી થિયેટર ઊભું છે. દીનાનાથ મરાઠી રંગભૂમિનું કેન્દ્ર, તો પૃથ્વી પરંપરાગત નહિ તેવી રંગભૂમિનું કેન્દ્ર. ‘પૃથ્વી થિયેટર’ એ મૂળ તો ૧૯૪૨માં શરૂ થયેલી પૃથ્વીરાજ કપૂરની નાટક મંડળીનું નામ. પણ એનું કોઈ કાયમી સરનામું નહોતું. નાટકો ભજવવા માટે પૃથ્વીરાજ આખા દેશમાં ફર્યા કરતા. શરૂઆત કરેલી કવિ કાલિદાસના જગવિખ્યાત નાટક શાકુન્તલથી. એ પછી ભજવ્યાં દીવાર, પઠાણ, ગદ્દાર, આહુતિ, કલાકાર, પૈસા, કિસાન જેવાં નાટકો. સાથોસાથ કોઈ ને કોઈ ઉમદા કામ માટે ફંડફાળો પણ ઉઘરાવતા. ખેલ પૂરો થાય ત્યારે પૃથ્વીરાજ પોતે હાથમાં મોટી ચાદર લઈને બારણા પાસે ઊભા રહેતા. કોઈ પાસે પૈસા માગવાના નહિ. જે સ્વેચ્છાએ ઝોળીમાં પડે તે આંખ-માથા પર. પોતે ફિલ્મોમાં જે કમાતા એ આ નાટકો પાછળ ખરચતા. પોતાની નાટક મંડળીને માટે કાયમી જગ્યા હોય એવું સપનું. ૧૯૬૨માં આ જાનકી કુટિર વિસ્તારમાં જમીનનો નાનકડો ટુકડો લીઝ પર મેળવ્યો. ૧૯૭૨માં તેમનું અવસાન થયું અને એ જ વરસે પ્લોટનું લીઝ પણ પૂરું થયું. શશી કપૂર અને જેનિફર કેન્ડલે એ પ્લોટ ખરીદી લીધો. ત્યાં બંધાયેલા પૃથ્વી થિયેટરનું ઉદ્ઘાટન ૧૯૭૮ના નવેમ્બરની પાંચમી તારીખે જી.પી. દેશપાંડેના ઉધ્વસ્ત ધર્મશાળા નાટકના પ્રયોગથી થયું.

જુહુ એરોડ્રોમ પર મગતરા જેવું એરોપ્લેન ઊતર્યું એ ઐતિહાસિક ઘટનાની વાતથી શરૂઆત કરેલી. એ જ જૂહુ એરોડ્રોમ પર એક મહાકાય એરોપ્લેન ભૂલથી ઊતરી ગયેલું એ દુર્ઘટનાથી આજની વાત પૂરી કરીએ. ૧૯૭૨ના સપ્ટેમ્બરની ૨૪મી તારીખ. રવિવારની સવારનો સમય. આપણા બહુ મોટા ગજાના લેખક ગુલાબદાસ બ્રોકર ગ્રાઉન્ડ ફ્લોર પરના ઘરના વરંડામાં કોફી પીવા બેઠા છે. કોફીના કપની બાજુમાં ચાંદીની નાની પ્લેટમાં બે બિસ્કિટ. કોફીનો કપ મોઢે માંડ્યો ન માંડ્યો ને કાનના પડદા ચીરી નાખતી ઘરઘરાટી, સાવ નજીકથી. સામે જોયું. એક વિશાળકાય એરોપ્લેન ગાંડા થયેલા હાથીની જેમ ધસમસતું આવતું હતું. ઘરની બરાબર સામે, ઘોડ બંદર રોડની સામી બાજુએ આવેલા જુહુ એરોડ્રોમના નાનકડા રન વે પર.

જુહૂ એરોડ્રોમ પર ભૂલથી ઊતરેલું વિમાન

મોત હાથવેંતમાં. ‘ભાગો, ભાગો’ એવી બૂમો પાડતા ઘરની અંદર દોડ્યા. પણ બે-ચાર ક્ષણમાં ઘરઘરાટી થંભી ગઈ. રન વે પૂરો થતો હતો ત્યાં પાણીના નિકાલ માટેની નાનકડી ખાઈ હતી. પછી એર પોર્ટની દિવાલ. પછી રસ્તો. પેલા ધસમસતા પ્લેનનું આગલું પૈડું એ ખાઈમાં ફસાઈ ગયું અને ન છૂટકે પ્લેન ઊભું રહી ગયું. જાપાન એર લાઈન્સ, ફ્લાઈટ નંબર ૪૭૨. લંડનથી ઉપડીને ફ્રેંકફર્ટ, રોમ, બૈરુત, તહેરાન, બોમ્બે, બેંગકોક, અને હોંગકોંગ થઈને ટોકિયો જવાનું હતું. ભૂલથી પાઈલટે સાંતા ક્રુઝ એરપોર્ટને બદલે જુહુ એરપોર્ટ પર ઉતારી દીધું. એક પણ જીવ ગયો નહિ, ઘણાને નાની મોટી ઈજાઓ થઈ. એ પ્લેનનો પ્રવાસ ત્યાં જ પૂરો થયો પણ ‘વિડલાઈ પાડલઈ’નો આપણો પ્રવાસ પૂરો નથી થયો.

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 24 જુલાઈ 2021       

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

Loading

સરકારને સત્ય સાથે ભાગ્યે જ બને છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 July 2021

આરોગ્ય રાજ્ય મંત્રીએ રાજ્યસભામાં 20 જુલાઈએ એવો દાવો કર્યો છે કે રાજ્યોમાં કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓક્સિજનની અછતને કારણે એક પણ મૃત્યુ નોંધાયું નથી. દેખીતું છે કે વિપક્ષોને એનો વાંધો પડે જ. પ્રજા ભક્તિભાવને કારણે આનો વાંધો ન ઉઠાવે તે સમજી શકાય, પણ તે બરાબર જાણે છે કે તેની આસપાસ એપ્રિલ, 2021માં ઓક્સિજન ન મળવાને કારણે ઘણાં લોકો મોતને ઘાટ ઊતર્યાં છે ને પ્રજા ઓક્સિજન માટે કેવી રઘવાઈ થઈને આમથી તેમ અટવાતી હતી ! સરકાર પોતે પણ જાણે છે કે તે સાચું ચિત્ર પ્રજા સમક્ષ નથી મૂકી રહી. જો કે, તે પૂરેપૂરી ખોટી નથી.

હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને કારણે મૃત્યુ થયું હોય તો પણ, ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુનાં કારણમાં ઓક્સિજનની અછતને કારણે મૃત્યુ – એમ લખાતું નથી, એનું કારણ આઇ.સી.એમ.આર. (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)ની ગાઈડલાઇન છે. ગાઈડલાઇનમાં સ્પષ્ટ નિર્દેશ છે કે મૃત્યુનાં કારણમાં ‘હાઇપોક્સિયા’ કે ‘રેસ્પિરેટરી એરેસ્ટ’ એવું લખાય નહીં. એટલે આરોગ્ય રાજ્ય મંત્રી ઓક્સિજનની અછતને કારણે એક પણ મૃત્યુ થયું નથી, એમ જાહેર કરે તે સમજી શકાય પણ, આરોગ્ય રાજ્ય મંત્રી આઇ.સી.એમ.આર.ની ગાઈડલાઇન ન જાણતા હોય એવું તો કેમ માનવું? એમને એ તો ખબર હોય જ કે ગાઈડલાઇન પ્રમાણે મૃત્યુનાં કારણમાં ઓક્સિજનની અછત ડેથ સર્ટિફિકેટમાં તો કોઈ બતાવવાનું જ નથી. એ પણ જવા દઈએ, પણ મંત્રીશ્રી મીડિયામાં આવતા સમાચારો પણ નહીં જાણતા હોય એ કેવું? આંધળાને પણ દેખાય એવી વાત હોય જેમાં આખો દેશ મહામારીને કારણે ઓક્સિજનની અછતથી પીડાયો હોય ને એ ન મળતા અનેક રાજ્યોમાં ઓક્સિજનના અભાવમાં ઢગલો મૃત્યુ થયાં હોય તો સરકાર એવું જ્ઞાન કેવી રીતે કેળવી શકે કે ઓક્સિજનની અછતમાં એક પણ મૃત્યુ થયું નથી? કોરોના હોય છતાં મરનારને બીજા રોગથી મૃત્યુ થયાંનાં પ્રમાણપત્રો અપાતાં હોય તો ઓક્સિજનની અછતને બદલે મૃત્યુનાં કારણો બીજાં અપાય એવું ના બને? પણ, સરકાર છુપાવવું એને જ સત્ય માને છે.

ભારતે જ નહીં, વિશ્વના ઘણા દેશોએ મૃત્યુના આંકડા છુપાવ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ રમતો કરી છે, પણ આખું કોળું દાળમાં જવા દીધું નથી. ભારત એમ કહેતું હોય કે ઓક્સિજનની અછત સર્જાઈ જ નથી, તો ઓક્સિજન રેલવે દ્વારા પહોંચાડવાની જરૂર ઊભી કેમ થઈ કે ઓક્સિજનના પ્લાંટ્સ નાખવાનું કેમ ચાલ્યું ને ત્રીજી વેવના સ્વાગત માટે ઓક્સિજનની અછત ઊભી ન થાય એ માટેની તૈયારીઓ શોખ ખાતર કરવામાં આવી છે, એમ માનવાનું છે? જે સત્ય જગજાહેર હોય તેના પર ઢાંકપિછોડો ન કરાય, પણ સરકાર એ કરી રહી છે અને વિરોધને મામલે સરકાર એવું માને છે કે એ તો વિપક્ષોની સરકારને બદનામ કરવાની ચાલ છે. સરકારે એ ભ્રમમાંથી બહાર આવી જવાની જરૂર છે કે તેનો વિરોધ વિપક્ષ જ કરે છે. કોરોના કે મોંઘવારી વિપક્ષને જ લાગે છે એવું નથી. એ સામાન્ય માણસને પણ લાગે છે ને એને બધું દેખાય છે ને સમજાય પણ છે એટલે સરકાર કહે કે ઓક્સિજનની અછતથી મૃત્યુ થયું જ નથી તો તેને ખબર પડે છે કે સરકાર મૂરખ બનાવે છે. સરકાર કહે કે ભા.જ.પ.ની જ નહીં, પણ વિપક્ષની સરકારે પણ ઓક્સિજનની અછતથી થયેલાં મૃત્યુના આંકડા નોંધ્યા નથી તો એ પણ વિપક્ષી સરકારની ભૂલ જ છે ને આંકડા ન નોંધાય તેથી મૃત્યુ થયાં જ નથી એવું સરકાર ભલે માને, પ્રજા નહીં માને, કારણ, ઓક્સિજનના અભાવમાં મરતાં સ્વજનો સરકારે જોયાં નથી, એ પ્રજાએ જોયાં છે.

મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, તમિલનાડુ, બિહારની સરકારે પણ કેન્દ્ર્નો જ રાગ આલાપતા કહ્યું છે કે તેમનાં રાજ્યમાં પણ ઓક્સિજનના અભાવમાં કોઈનું મૃત્યુ થયું નથી. એમાં દિલ્હીની આપ સરકારનો સૂર જુદો છે. તેનું કહેવું છે કે તેમનાં રાજયમાં ઓક્સિજનની અછતથી મૃત્યુ થયાં જ છે. શિવસેનાના એક સાંસદે તો ત્યાં સુધી કહ્યું કે જેમના સંબંધી ઓક્સિજન ન મળવાને કારણે ગુજરી ગયા હોય એમણે કેન્દ્ર સરકારને કોર્ટમાં લઈ જવી જોઈએ. આ મામલે વિપક્ષોએ સંસદમાં વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવવાની વાત પણ કરી છે. કેન્દ્ર સરકાર ગમે એટલાં નાટક કરીને સત્ય છુપાવવાની કોશિશ કરે, પણ દિલ્હી, ગોવા, કર્ણાટક, આન્ધ્ર પ્રદેશ, હરિયાણા જેવાં રાજ્યોમાં આશરે બસો જેટલી વ્યક્તિઓએ ઓક્સિજનની અછતને કારણે જીવ ગુમાવ્યાનું છાપે ચડેલું જ છે, એ શું કેન્દ્રને દેખાતું નથી કે તેણે જોવું નથી?

ગુજરાતમાં ભા.જ.પ.નું શાસન છે એટલે તેના મુખ્ય મંત્રી કેન્દ્રની આરતી ઉતારે તે સમજી શકાય એવું છે. તેમણે પણ પીપૂડી વગાડી છે કે રાજ્યમાં એક પણ મૃત્યુ ઓક્સિજનના અભાવમાં થયું નથી. સાહેબ આવું અગાઉ પણ બોલી ચૂક્યા છે. ગુજરાત સરકારને ટાઢા પહોરની હાંકવામાં કોઈ પહોંચે એમ નથી. એપ્રિલમાં આખા રાજ્યની ઘાત ચાલતી હતી ત્યારે મુખ્ય મંત્રી એક તરફ ઓક્સિજનનો પૂરતો જથ્થો હોવાનું જણાવતા હતા ને બીજી તરફ બીજેથી ઓક્સિજન મેળવવાની ને ઓક્સિજન પ્લાન્ટ નાખવાની વાત કરતા હતા. અહીં સવાલ એ થાય કે જથ્થો પૂરતો હતો તો પ્લાન્ટ નાખવાની કે બીજેથી મેળવવાની વાત કેમ કરવી પડી? મુખ્ય મંત્રી ભલે કહેતા હોય કે ઓક્સિજનની કમીને કારણે કોઈ મર્યું નથી, પણ બનાસકાંઠામાં ઓક્સિજનનો પુરવઠો અચાનક ખૂટી જતાં 8 લોકો મૃત્યુ પામ્યા હતા એ વાત સિફતથી ભૂલી જવાઈ છે. સાહેબ એ પણ ભૂલી ગયા કે પૂરતી માત્રામાં ઓક્સિજન ના હોવાને કારણે સુરતની બે મોટી હોસ્પિટલો, સ્મીમેર અને સિવિલ, બંધ કરી દેવાઈ હતી. સાહેબને એ યાદ છે કે સુરતના લોકો ઓક્સિજન માટે વલખાં મારતાં હતાં ને હજીરાથી ટનબંધી ઓક્સિજન મધ્ય પ્રદેશ મોકલાયો હતો? ગુજરાત સરકારે જ કબૂલ કર્યું છે કે માર્ચ- એપ્રિલ, 2020માં જ 61,000 ડેથ સર્ટિફિકેટ ઇશ્યૂ થયાં હતાં. ત્યારે તો કોરોનાની શરૂઆત હતી, ને બધાં જ કૈં કોરોનાથી નહીં જ મર્યાં હોય, પણ ત્યારે પણ આંકડા છુપાવવાનું તો ચાલતું જ હતું ને આ કબૂલાત પણ વરસેક પછી થઈ હતી એટલે સાચું ના કહેવું એ રોગ તો કોરોના પહેલાંથી સરકારોને વળગેલો છે, પછી ઓક્સિજનની અછતને મામલે સરકાર સાચું બોલે એવી તો આશા જ કેમ રાખી શકાય? આમ આંખ આડા કાન કરવા જતાં કોઈ વાર કાન આડી આંખ થઈ જશેને તો ખુરશી દેખાતી બંધ થઈ જશે તે ભૂલવા જેવું નથી. એ ખરું કે ખોટું બોલવાથી પક્ષમાં પૂજા થાય, પણ પ્રજામાં તો વગોવણી જ થાય !

એપ્રિલ-મેમાં રોજના સાડાત્રણ લાખ લોકો દેશમાં સંક્રમિત થતા હતા, ત્રણેક હજાર જીવો જતા હતા, ઓક્સિજનની અછતને કારણે બે જ દિવસમાં 50 કોરોના દરદીઓએ જીવ ગુમાવ્યા હતા, દેશ કે રાજ્યમાં કોઈ આરોગ્ય મંત્રી છે કે કેમ તેની ય ખબર પડતી ન હતી, મીડિયા વારંવાર ઓક્સિજનની અછત અંગે ધ્યાન ખેંચતું હતું તે ત્યાં સુધી કે કોર્ટે સરકારને કહેવું પડ્યું કે ગમે તે કરો, પણ ઓક્સિજન લાવો, દિલ્હી કોર્ટે તો તારસ્વરે કહ્યું કે ઓક્સિજન સપ્લાયમાં જે કોઈ અડચણ ઊભી કરશે એને ફાંસી આપી દઇશું ને કેન્દ્ર સરકાર ઓક્સિજન એક્સ્પ્રેસ દોડાવવા કટિબદ્ધ થઈ તે બધું સમુસૂતરું ચાલતું હતું એટલે? કેન્દ્ર ભૂલકણું હોય તો તે પાછલી તારીખનો રેકોર્ડ જોઈ શકે ને તે પ્રમાણે હકીકતની જાણ પ્રજાને કરી શકે. તે એવું બેજવાબદારી ભર્યું વિધાન કરી જ કેવી રીતે શકે કે ઓક્સિજનના અભાવમાં એક પણ મૃત્યુ થયું નથી? ઓક્સિજન વગર લોકો મર્યાં છે ને મર્યાં પછી પણ લાઇનમાં ઊભા રહ્યાં છે કે ગંગામાં ખડકાયાં છે. આ બધું ભૂલી જવાય એવું છે? લોકોએ સ્વજનો ગુમાવ્યાં છે તે સરકારની બે પાંચ લાખની (સ)હાય મળે એટલે? લોકોને પૈસાની જરૂર છે તે આવક ઘટી છે ને મોંઘવારી વધી છે એટલે, તો પણ તેણે સ્વજનની લાશ પર કમાણીની આશા રાખી નથી. લોકોને તો એટલું જ છે કે સરકાર હોય તે હકીકત જણાવે.

પણ, સરકાર એવું કરતી નથી. લોકો કહે છે કે સરકારે સત્ય છુપાવવું જોઈએ? જો નહીં, તો કોના ડરે સરકાર સાચું નથી કહેતી? સાચું કરવા જતાં કોઈ સરકાર ગબડી હોય એવું ધ્યાનમાં નથી ને ખોટું કરવાથી તો ગબડી જ છે ! સિત્તેર વર્ષ શાસન કરવા છતાં જો કૉન્ગ્રેસની સરકાર ના રહી હોય તો ભા.જ.પ.ની સરકારે પણ એ ધ્યાનમાં લેવાનું રહે કે મોડું કે વહેલું ટકે તો સત્ય જ છે. સત્યથી દૂર તે સત્તાની નજીક – એવું લાગતું હોય તો પણ તે સાચું નથી. વધારે શું કહેવું?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 જુલાઈ 2021

Loading

બચાવ ગમે તેટલો કરો પણ પેગેસસ ભારતનું વોટરગેટ કૌભાંડ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|22 July 2021

સતાધીશોને આમ પણ લોકતંત્ર માફક આવતું નથી, એમાં હવે વિશાળકાય ઉદ્યોગગૃહોની પ્રચંડ પૂંજી અને દિવસરાત વિકાસ પામતી ટેકનોલોજીનું ઉમેરણ થયું છે. સત્તાધીશોને માફક એવા એવા સમાજની રચના અમે કરી આપીશું અને તમને માફક ન આવે એવા લોકો ઉપર અમે નજર રાખીશું, બોલો આની સામે અમને શું મળશે. અથવા સામે છેડેથી સત્તાધીશો કહેશે કે તમારે અમને માફક એવા સમાજની રચના કરી આપવાની છે અને માફક ન આવે એવા લોકોની ગતિવિધિની રજેરજ માહિતી આપવાની છે, બોલો શું લેશો? જગત આખામાં આ રીતની ભાગીદારી વિકસી રહી છે અને લોકતંત્ર ક્યારે ય નહોતી અનુભવી એટલી ભીંસ અનુભવી રહ્યું છે.

આવી જ ભાગીદારી ટેકનોલોજી ડેવલપ કરનારાઓ અને પૂંજીપતિઓ વચ્ચે પણ વિકસી રહી છે. પૂંજીપતિઓ ટેકનોલોજીસ્ટોને કહે છે કે તમારે આ ધરતી ઉપર વિચરતા પ્રત્યેક ‘કામના’ માણસના વિચાર, વ્યવહાર, પ્રાથમિકતા, પસંદગી-નાપસંદગી વિશેની માહિતી આપવાની છે. એમાંથી કેટલાક લોકોને નોખા તારવી આપવાના છે અને અમે કહીએ એ મુજબ એ લોકોને એક ખાસ પ્રકારના બીબાંમાં ઢાળવાના છે. તમારે એક મુક્ત રીતે વિચારતા માણસને ખાસ પ્રકારે વિચારતા અને વર્તતા ગ્રાહકમાં ફેરવી આપવાનો છે, બોલો શું લેશો? ‘કામના’ લોકો એ છે જેની પાસે પૈસા છે અને બજારમાં ક્રયશક્તિ ધરાવે છે. તેઓ નાણાં વિનાના ‘નકામા’ માણસોને પણ નોખા તારવી આપે છે કે જેથી તેમને વિકાસના માર્ગમાંથી દૂર હડસેલી શકાય. 

આવા દિવસોની કલ્પના તો ‘૧૯૮૪’ નામની જગવિખ્યાત કૃતિના કર્તા જ્યોર્જ ઓરવેલે પણ નહોતી કરી. માનવીને સુવિધાને નામે મોકળાશ આપવામાં આવી રહી છે અને સામે સ્વતંત્રતા આંચકી લેવામાં આવી રહી છે અને તેને તેનું ભાન પણ નથી! જગતમાં સત્તાધીશો, પૂંજીપતિઓ અને નજર રાખનારી ટેકનોલોજી વિકસાવનારા ટેકનોલોજીસ્ટો વચ્ચે ભાગીદારીનો ત્રિકોણ વિકસ્યો છે અને તેમાં વ્યક્તિગત જીવન અને જાહેરજીવનનો ભોગ લેવાઈ રહ્યો છે.

ઇઝરાયલની એન.એસ.ઓ. ગ્રુપ નામની કંપનીએ પેગેસસ સ્પાઈવેર વિકસાવ્યો છે જે પૈસા લઈને જાસુસી કરી આપવાનું કામ કરે છે. એન્ડ્રોઇડ હોય કે આઈ.ઓ.એસ., કોઈ પણ સીસ્ટમના મોબાઈલમાં આ સ્પાઈવેર પ્રવેશીને જાસૂસી કરી શકે છે. આઈ.ઓ.એસ. સિસ્ટમ વાપરતા એપલના મોબાઈલ પણ પેગેસસ સ્પાઈવેર સામે સુરક્ષિત નથી એની કબૂલાત એપલના સંચાલકોએ કરવી પડી છે. અત્યારે સુધી એપલના માલિકો દાવો કરતા હતા કે એપલના આઈફોન કોઈ પણ સ્પાઈવેર સામે સુરક્ષા આપે છે. હવે વાત બહાર આવી છે કે એન.એસ.ઓ. કંપનીના પેગેસસ સ્પાઈવેર ભારતમાં કેટલાક લોકોના મોબાઈલમાં પ્રવેશીને જાસૂસી કરતા હતા. જગતના બીજા પંદરેક દેશોમાં પણ કંપની તેના સ્પાઈવેર દ્વારા જાસૂસી કરતી હતી. જેમના ઉપર જાસૂસી કરવામાં આવતી હતી એમાં આજી-માજી શાસકો, વિરોધ પક્ષોના નેતાઓ, પત્રકારો, જજો, ચાવીરૂપ જગ્યાએ બેસેલા અધિકારીઓ વગેરેનો સમાવેશ થાય છે.

ભારતમાં જેમના ઉપર જાસૂસી કરવામાં આવી હતી એ નામ સૂચક છે. મોટા ભાગના લોકો એવા છે જેનો સીધો સત્તા અને ચૂંટણી સાથે સંબન્ધ છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જે વર્તમાન સત્તાધીશોના પ્રતિસ્પર્ધી છે. પ્રશાંત કિશોર જે ચૂંટણી જીતાડી આપવાનું કૌશલ ધરાવે છે અને હવે બી.જે.પી.ના વિરોધી હોય એવા પક્ષો માટે કામ કરે છે. ચૂંટણી પંચના ભૂતપૂર્વ આયુક્ત અશોક લવાસા જેમણે ચૂંટણીકીય આચારસંહિતાનો ભંગ કરવા છતાં ય આંખ આડા કાન કરીને બી.જે.પી.નો પક્ષપાત કરવા માટે ચૂંટણી પંચના બીજા બે આયુકતો સામે વાંધો લીધો હતો. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી, કારણ કે પશ્ચિમ બંગાળની ચૂંટણી લડવાની હતી. કર્ણાટકમાં કૉન્ગ્રેસ અને જનતા દળ(સેક્યુલર)ના નેતાઓની એ સમયે જાસૂસી કરવામાં આવી હતી, જ્યારે કર્ણાટકમાં કૉન્ગ્રેસ-જે.ડી.એસ.ની સરકાર તોડવાની હતી. મધ્ય પ્રદેશમાંથી આવતા બી.જે.પી.ના પોતાના સંસદસભ્ય અને કેન્દ્રીય પ્રધાન પ્રહ્લાદ પટેલ, કારણ કે મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર તોડવાની હતી અને પ્રહ્લાદ પટેલની વફાદારી શંકાસ્પદ હતી. રાજસ્થાનનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેના પી.એ.ની એ સમયે જાસૂસી કરવામાં આવી હતી જ્યારે રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકારને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને વસુંધરા રાજે ગેહલોતની સરકારને તોડવામાં આવે તેનો વિરોધ કરી રહ્યાં હતાં. આ સિવાય સરકારની આલોચના કરનારા પત્રકારો અને બીજા કર્મશીલો. આમાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’નાં પત્રકાર રીતિકા ચોપરાનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ, કારણ કે તેઓ ચૂંટણી પંચને કવર કરે છે.

જેમના ઉપર જાસૂસી કરવામાં આવી છે એનાં નામ ઉપર નજર કરશો તો એક વાત તરત ધ્યાનમાં આવશે જેના વિષે મેં આ કોલમમાં અનેકવાર કહ્યું છે. દેશના વર્તમાન સત્તાધીશોને માત્ર અને માત્ર સત્તામાં રસ છે, શાસનમાં નથી. કોઈ પણ ભોગે મેળવેલી સત્તા હાથમાંથી ન જવી જોઈએ અને જે રાજ્યોમાં સત્તા નથી તે કોઈ પણ માર્ગે હાથ કરવાની છે. તેમને જાણ છે કે માથાભારે હિંદુ રાષ્ટ્ર તો જ સ્થાપી શકાય અને ટકાવી શકાય જો અમર્યાદિત સત્તા હાથમાં હોય.

અને હા, સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ અને અત્યારે રાજ્ય સભાના સભ્ય રાજન ગોગોઈને કેમ ભૂલાય. ના તેમની જાસૂસી કરવામાં નહોતી આવી, પરંતુ સર્વોચ્ચ અદાલતની એ મહિલા કર્મચારીની જાસૂસી કરવામાં આવી હતી જેણે ન્યાયમૂર્તિ ગોગોઈ ઉપર શારીરિક છેડછાડ અને બદતમીજીનો આરોપ કર્યો હતો. એ સાધારણ છોકરીની શા માટે જાસૂસી કરવામાં આવી હશે? જરાક અક્કલ દોડાવશો તો જવાબ મળી રહેશે. ન્યાયમૂર્તિ ગોગોઈ સામે જે દારૂગોળો મળવાનો હતો એ પેલી છોકરી પાસેથી અને તેના સગાં તેમ જ સાથી કર્મચારીઓ પાસેથી મળવાનો હતો. ગોગોઈએ તો એ દારૂગોળાથી ડરીને અનુકૂળ ચુકાદો લખી આપવાનો હતો અને લખી પણ આપ્યો!

કેન્દ્ર સરકારે ખુલાસો કર્યો છે કે જાસૂસીની વાત ભારતને, ભારત સરકારને અને ભારતીય લોકતંત્રને બદનામ કરવા માટે ઉપજાવી કાઢવામાં આવી છે. કેન્દ્રના નવા નિયુક્ત થયેલા ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી ખાતાના પ્રધાન અશ્વિની વિષ્ણૌ સંસદમાં ખુલાસો કરતા હતા ત્યારે એ જ સમયે લંડનના ‘ગાર્ડિયન’ નામના અખબારે સમાચાર ફ્લેશ કર્યા હતા કે આ અશ્વિની વૈષ્ણૌ પર પણ જાસૂસી કરવામાં આવી હતી. શા માટે એ સમજાતું નથી. કદાચ તેમની વફાદારી ત્યારે શંકાસ્પદ હશે.

ખુલાસો ગળે ઉતરે એવો નથી અને એનાં કારણો છે. આ જગતમાં લોકતંત્ર, લોકતાંત્રિક સંસ્થાઓ, મૂલ્યવ્યવસ્થા, વોચડોગ ઇન્સ્ટિટ્યૂશન ભીંસમાં હોવા છતાં હજુ તે ટકી રહ્યાં છે અને સતત ઊહાપોહ કરતાં રહે છે. તેમના પ્રયત્નોના પરિણામે ૨૦૧૩ની સાલમાં વાસેનાર એરેન્જમેન્ટ તરીકે ઓળખાતી સુરક્ષાને લગતી બહુરાષ્ટ્રીય સંધિમાં સુધારો કરવામાં આવ્યો હતો અને ભારત સહિત જગતનાં ૪૦ કરતા વધુ દેશોએ તેના ઉપર સહી કરી છે. એ સુધારો એવો છે કે શસ્ત્રોની સાથે એવી ટેકનોલોજીના વેચાણ ઉપર પણ નિયંત્રણ અને નિયમન લાદવામાં આવે જેનો ભલા અને નિર્દોષ લોકો સામે દુરુપયોગ થઈ શકે છે. સ્પાઈવેર ટેકનોલોજી આવી છે. તેનો દેશની સુરક્ષા સામે ખતરો પેદા કરનારા ત્રાસવાદીઓ ઉપર જાસૂસી કરવા માટે પણ ઉપયોગ થઈ શકે અને રાજકીય કે વૈચારિક વિરોધી સામે પણ થઈ શકે.

આવો દુરુપયોગ રોકવા માટે ૨૦૧૩માં વાસેનાર સમજુતીમાં ઉમેરવામાં આવ્યું હતું કે હવે પછી જે કંપનીએ આ રીતની ટેકનોલોજી વિકસાવી હોય તેણે અને જે દેશમાં આ ટેકનોલોજી વિકસી હોય એ દેશની સરકારે જેને આવી ટેકનોલોજી વેચી કે આપી હોય તેની પાસેથી દુરુપયોગ કરવામાં નહીં આવે તેની બાંયધરી લેવી પડશે, એટલું જ નહીં, પણ તેનો દુરુપયોગ તો નથી થઈ રહ્યો તેના પર નજર પણ રાખવાની રહેશે. સુધારેલી વાસેનાર સમજુતીમાં જેનો દુરુપયોગ થવાની સંભાવના હોય એવી ટેકનોલોજીને ‘શસ્ત્ર’ તરીકે ઓળખાવમાં આવી છે અને તેને શસ્ત્રની કેટેગરીમાં મુકવામાં આવી છે. માટે પેગેસસ સ્પાઈવેર બનાવનારી કંપની કહે છે કે અમે ભારત સરકારને વાસેનાર સમજુતી મુજબ શુભ ઉદ્દેશ માટે ટેકનોલોજી આપી હતી. પણ નિયમનનું શું? કંપનીએ નૈતિક મર્યાદા પાળવામાં એટલી છૂટછાટ લીધી છે અને ઢીલ બતાવી છે કે તે હવે ટકી શકે એમ નથી. કંપની સામે અબજો ડોલર્સના નુકસાન ભરપાઈના કેસ ચાલી રહ્યા છે જેમાં તે  ઊઠી જવાની છે.

ઇઝરાયેલની સરકાર તેની જવાબદારીથી બચી ન શકે. ખબર છે? ૨૦૧૭ના જુલાઈ મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલની મુલાકાતે ગયા એ પછી તરત એટલે કે એ દિવસથી આ સ્પાઈવેરનો દુરુપયોગ સાથે ઉપયોગ શરૂ થયો. આ યોગાનુયોગ ન હોઈ શકે. હવે ઇઝરાયેલમાં સરકાર બદલાઈ ગઈ છે અને ઇઝરાયેલની સરકાર ઉપર દબાણ વધી રહ્યું છે.

પેગેસસ ભારતનું વોટરગેટ કૌભાંડ છે. ૧૯૭૨માં પ્રમુખપદની ચૂંટણી ટાણે રિપબ્લિકન પાર્ટીના અમેરિકન પ્રમુખ અને બીજી વખતના ઉમેદવાર રિચર્ડ નિકસને ડેમોક્રેટિક પાર્ટીના વડા મથકમાં જૌસૂસીયંત્રણા ગોઠવી હતી. એ કૌભાંડ સાબિત થયું હતું અને છેવટે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 22 જુલાઈ 2021

Loading

...102030...1,8741,8751,8761,877...1,8801,8901,900...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved