Opinion Magazine
Number of visits: 9677604
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—101

દીપક મહેતા|Opinion - Opinion|26 June 2021

પંચોતેર વરસ પહેલાંની પિકનિક બે જણાની

પીવાનું પાણી પ્લાસ્ટિકની બોટલમાં વેચાતું મળે એવી તો કોઈને કલ્પના પણ નહોતી

જ્યારે સસ્તું, સગવડભર્યું, સહેલાથી મળતું વાહન હતું ટ્રામ

પ્રિય વાચક! ચલ મન મુંબઈ નગરીના પાના પર આજે આ આપણી ૧૦૧મી મુલાકાત છે. તો એની ઉજવણીમાં થઈ જાય એક પિકનિક? આજની નહિ, લગભગ ૭૫ વરસ પહેલાંની એક પિકનિકની વાત સાંભળીએ પાંચ-છ વરસના છોકરા પાસેથી. આ વાત છે ૧૯૪૫ કે ૧૯૪૬ની. તારીખ કે મહિનો તો યાદ નથી, પણ રવિવાર હતો એટલું નક્કી. ત્યારે આપણા રામની ઉંમર પાંચ-છ વરસની. એ વખતે ગણના થતી ડાહ્યાડમરા છોકરાઓમાં. પણ તે દિવસે સવારના પહોરમાં રડી-ઝગડીને આખું ઘર માથે લીધું. કારણ? કારણ મોટાભાઈ સ્કૂલની પિકનિકમાં જાય, તો મારે કેમ નહિ જવાનું? બે ભાઈઓ વચ્ચે ઉંમરમાં દસેક વરસનો ફેર. એટલે તેઓ સ્કૂલમાં જાય, પણ આપણે તો હજી ઘરમાં જ લીલાલહેર. કારણ બાળક જન્મે એ પહેલાંથી તેને નર્સરી કે પ્લે ગ્રૂપ કે બાળમંદિરમાં ધકેલી દેવાનો ચાલ એ વખતે નહોતો.

મા અને ઘરનાં વડીલોએ સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો : ‘મોટા થઈને તમે પણ સ્કૂલમાં જશો ત્યારે પિકનિકમાં જશો.’ (નાગર જ્ઞાતિના રિવાજ પ્રમાણે ઘરમાં બાળકોને પણ ‘તમે’ કહીને જ બોલાવતા. તુંકારો ક્યારે ય નહિ.) પણ અ નાગર છોકરાએ તો નાડું પકરું એ પકરું. મોટેથી ભેંકડો તાણ્યો. ત્યારે ‘જેભાઈ’ વહારે ધાયા, જેમ કૃષ્ણ દ્રૌપદીની વહારે ધાયા હતા તેમ. કહે : ‘એમાં શી મોટી વાત છે? ચાલો, આપણે બે પિકનિક પર જઈએ. મોટું સંયુક્ત કુટુંબ. આ ‘જેભાઈ’ તે કાકાના દીકરા ભાઈ. એ વખતે ‘જયંતભાઈ’ નામ બોલવું ફાવે નહિ, એટલે ‘જેભાઈ.’ ઉંમરમાં તો ખાસ્સા મોટા, પણ એ બાળકના પાક્ક દોસ્ત. હવે પિકનિકમાં જવા મળશે, અને તે પણ ‘જેભાઈ’ સાથે, એટલે છોકરો તો રાજીનો રેડ. બે આંખે આંસુની ધારા વહી રહી હતી, તેને બદલે બે ય આંખે હવે ઊડે સ્મિતના ફુવારા.

એક જમાનાનાં સફરનાં સાથી : કુંજો અને ટિફિન બાસ્કેટ

રવિવારની સવારે પણ વહેલા ઊઠીને માએ મોટા ભાઈને આપવા નાસ્તો બનાવેલો. એ વખતે હજી પ્લાસ્ટિક કે સ્ટેનલેસ સ્ટીલનું આગમન થયું નહોતું. એટલે હવે એકને બદલે બે પિત્તળનાં ટિફિન બાસ્કેટમાં વાનગીઓ ભરાઈ. મોટાભાઈ કરતાં નાના ભાઈનું બાસ્કેટ પાછું મોટું. કારણ સાથે ‘જેભાઈ’ પણ હતા ને! પીવાનું પાણી પ્લાસ્ટિકની બોટલમાં વેચાતું મળે એવી તો એ વખતે કોઈએ કલ્પના પણ કરી નહોતી. એટલે જર્મન સિલ્વરના કુંજામાં પીવાનું પાણી ભરાયું. આજે તો હવે કોઈ ઘરમાં ભાગ્યે જ જોવા મળે, પણ એ વખતે આ જર્મન સિલ્વરનાં વાસણ એટલે ઘરની સમૃદ્ધિની નિશાની. ખાવા માટે પિત્તળની, કલાઈ કરાવેલી બે પ્લેટ, ચમચીઓ. બે-પાંચ દિવસ પહેલાં જ ઘરનાં પિત્તળનાં બધાં વાસણોને કલાઈ કરાવેલી, એટલે બંને પ્લેટમાં બાળકનું મોઢું ચમક ઝમક. એનું પ્રતિબિંબ પડે છોકરાની આંખોમાં. આ બધો અસબાબ કપડાની એક ઝોળીમાં ગોઠવાયો. (કાઠિયાવાડમાં ‘થેલી’ને ‘ઝોળી’ કહેવાનો ચાલ.) સ્વાભાવિક રીતે એ ઉપાડવાની તો ‘જેભાઈ’એ જ હોય ને! મોટા ભાઈ બચાડા પોતાની ઝોળી પોતે ઉપાડીને ગયા. તે જોઈ પેલા છોકરાનો જીવ એ વખતે રાજીનો રેડ થયો હોય તો ય, અત્યારે તો ‘બહુ બળેલો’ એમ જ લખવું પડે ને!

એક આનામાં આખા મુંબઈમાં ગમે ત્યાં ટૃામમાં ઘૂમો

ચાર માળનું મકાન. ૧૦૮ પગથિયાં ઉતરીને બે પિકનિકરની સવારી રસ્તા પર આવી. હવે બાળકે ‘જેભાઈ’ને પૂછ્યું : ‘પણ આપણે જવાના ક્યાં?’ જેભાઈ ઉવાચ : બોરી બંદર. એ વખતે એનું સરકારી નામ તો હતું વિક્ટોરિયા ટર્મિનસ. શોર્ટ ફોર્મ વી.ટી.. પણ લોકો તો તેને બોરીબંદર તરીકે જ ઓળખતા. આ સાંભળીને પેલા છોકરાએ છણકો કર્યો : ‘હું કાંઈ એટલું બધું ચાલીશ નહિ.’ જેભાઈ ઉવાચ : ‘પણ આપણે ક્યાં ચાલતા જવું છે, આપણે તો ટ્રામમાં જશું.’ એ જમાનામાં આવનજાવન માટે સૌથી સસ્તું, સગવડભર્યું, સહેલાથી મળતું વાહન તે ટ્રામ. આખા મુંબઈમાં ગમે ત્યાં જાવ, મોટી ઉંમરનાંની ટિકિટ એક આનો, બાળકના બે પૈસા! ટ્રામની ન્યાતમાં પાછાં બે તડાં. એકની પાછળ બીજો ડબ્બો જોડ્યો હોય એને છોકરો તુચ્છકારથી જોતો. એક ડબ્બાને માથે બીજો ડબ્બો મૂક્યો હોય એવી ટ્રામને અહોભાવથી જોતો. છોકરાએ હુકમ છોડ્યો : ‘આપણે તો બે માળવાળી ટ્રામમાં ઉપલે માળે છેક આગળની સીટ પર બેસીને જ જશું’. પહેલાં આવી બે ડબ્બા આગળ-પાછળ જોડેલા એવી ૬ નંબરની ટ્રામ. એ ધોબી તળાવથી ક્રાફર્ડ માર્કેટ થઈને બોરી બંદર પહોંચે. એ જવા દીધી. પછી ૭ નંબરની ટ્રામ આવી, એ બે માળવાળી. એ ધોબી તળાવથી ક્રૂકશેન્ક રોડ થઈને સીધી બોરીબંદર પહોંચે. બંને રોફભેર એમાં ચડ્યા. રવિવારની સવાર, એટલે નીચલો માળ પણ લગભગ ખાલી. છતાં પહોચ્યા ઉપલે માળે. એકદમ આગળની સીટ, એટલે મુંબઈરૂપદર્શનયોગ શરૂ થયો.

બોરીબંદર આવ્યું એટલે છોકરો અને જેભાઈ એકબીજાની આંગળી પકડીને ટ્રામમાંથી ઊતરી ગયા. જેભાઈએ થાણા કહેતાં ઠાણેની દોઢ ટિકિટ કઢાવી, અલબત્ત, થર્ડ ક્લાસની. એ વખતે લોકલ ટ્રેનમાં પણ ત્રણ ક્લાસ : ફર્સ્ટ, સેકન્ડ, અને થર્ડ. રોકડા છ ડબ્બાની ટ્રેન. ચાર ડબ્બા થર્ડ ક્લાસના, એક-એક ડબ્બો બીજા બે ક્લાસનો. થર્ડના ડબ્બામાં પંખાનું નામ નિશાન નહિ, અને બેસવા માટે લાકડાના બાંકડા. રવિવારની સવાર, એટલે સ્ટેશન પર કાગડા ય ન ઊડે. દરેક પ્લેટફોર્મ પર લાકડાનું એક જ ઇન્ડિકેટર. ઉપરના ભાગમાં ઘડિયાળના કાંટા હોય. નીચે ટ્રેન કયા સ્ટેશન સુધી જશે તેનું પાટિયું હોય. પાસે ઊભેલો રેલવેનો નોકર વખતોવખત ઘડિયાળના કાટા અને નામનાં પાટિયાં બદલતો જાય. પણ રવિવારે એ સગવડ બંધ. એટલે પૂછતાં પંડિત થવું પડે. જ્ઞાન લાધ્યું કે વીસ મિનિટ પછી થાણાની ટ્રેન જશે. આવતી ટ્રેનમાંથી માંડ પચીસ-ત્રીસ છડિયાં ઊતર્યાં. ચડનારા તો તેનાથી ય ઓછા. સામસામા બાંકડા પર, વિન્ડો સીટ – જેનો મોભો સિંહાસન જેટલો – પર છોકરાએ અને જેભાઈએ બેઠક જમાવી. એ વખતે બી.બી.સી.આઈ. લાઈન પરનાં સ્ટેશનો સામે જી.આઈ.પી. લાઇન પરનાં સ્ટેશન ગરીબડાં લાગે. સ્ટેશન આવે એટલે જેભાઈ તેનું નામ બોલે. ત્યાં ઊતરીને ક્યાં ક્યાં જવાય તે કહે. છોકરો એમાંનું એક પણ નામ જાણે નહિ. પણ એક વાત બરાબ્બર જાણે : જેભાઈ બધ્ધું જ જાણે છે. લગભગ ખાલી ડબ્બો. છ ડબ્બાનો લયબદ્ધ ખડખડાટ. બારીમાંથી ફરફરાટ પવન. અને જેભાઈની વાતો. થોડાં સ્ટેશન ગયાં ત્યાં તો સીટની સાઈડ પર માથું ટેકવીને છોકરો પહોંચી ગયો પંખાળી પરીઓના દેશમાં.

ઠાણે રેલવે સ્ટેશન, 1853

કેટલા વખત પછી એ તો કોણ જાણે, પણ જેભાઈનો અવાજ સંભળાયો : ઊઠો ભાઈ, હમણાં થાણા સ્ટેશન આવશે. ટ્રેન અહીં પૂરી થતી હતી એટલે બાદશાહી ચાલે ઊતર્યા. એ વખતે વોટર કૂલરનું તો નામોનિશાન નહિ. એટલે પ્લેટફોર્મ પરના લાકડાના બાંકડા પર બેસીને કુંજામાંથી પાણી પીધું. ‘ફ્રેશ’ થઈ આવ્યા. પછી સવારી ઊપડી થાણા-દર્શન માટે, અલબત્ત પગપાળા. એ વખતનું થાણા એટલે મોટું ગામડું. નાનાં નાનાં ઘર, બહુ બહુ તો બે માળનાં. ધૂળિયા રસ્તા. મોટર કે બસ તો ભાગ્યે જ જોવા મળે. પણ આજની ભાષામાં કહીએ તો ‘ગ્રીન કવર’ સારું. જો કે કવર કરવા જેવું ત્યારે ખાસ કાંઈ હતું નહિ. પા-અડધો કલાક પદયાત્રા કર્યા પછી એક બગીચો નજરે પડ્યો. બહાર નામના પાટિયા પર ફલાણો બગીચો એમ લખેલું એટલે માની લેવું પડે કે આ બગીચો છે. હકીકતમાં ઘાસવાળા મેદાનમાં પાંચ-દસ ઝાડ. એક ખૂણામાં બાળકો માટે હીંચકા, લસરપટ્ટી, વગેરે, પણ ભાંગેલાં-તૂટેલાં. બીજા ખૂણામાં જાહેર મૂતરડી, ગંધાતી. થોડી વાર છોકરો અને જેભાઈ પકડાપકડી રમ્યા. અલબત્ત, દરેક વખતે જેભાઈએ જ તરત પકડાઈ જવાનું. પછી જૂનું છાપું પાથરીને બેઠા અને ટિફિન બાસ્કિટના ડબ્બા ખોલ્યા. પિત્તળની બે પ્લેટમાં વાનગીઓ કાઢી. ટેસથી જલસો કર્યો. પછી બંનેએ ઘાસ પર જ લંબાવ્યું અને અંતકડી રમ્યા. જેભાઈ જાણી જોઈને હારી ગયા એટલે છોકરાએ તો જાણે લંકા જીતી!

જ્યારે દુકાનના ગાંઠિયા ખાવા એ પણ પરાક્રમ ગણાતું !

બપોર ઢળવા લાગી એટલે જેભાઈ કહે, ‘હવે ચાલો પાછા.’ ટહેલતાં ટહેલતાં પાછા પહોંચ્યા થાણા સ્ટેશન. સ્ટેશનની બહાર એક કન્દોઇની દુકાન. તેમાં તળાતા ગરમ ગરમ ગાંઠિયા. થોડે દૂરથી જોયા, સૂંઘ્યા. જાત સાથે ગાંઠિયાનું અદ્વૈત સાધવાની ઝંખના રોમેરોમ જાગી. ખારી શિંગ અને ચણા સિવાય બહારનું કશું જ ન ખવાય એવો ઘરનો નિયમ. જો કે જેભાઈ પોતે હતા નિયતિકૃતનિયમરહિત. એટલે કહે : ‘વચન આપો કે ઘરમાં કોઈને કહેશો નહિ, તો ગાંઠિયા ખાઈએ.’ સૂરજની સાખે આપ્યું વચન. જેભાઈએ પા શેર (એ વખતે હજી ‘કિલો’ભાઈ જન્મ્યા નહોતા.) ગાંઠિયાનું પડીકું બંધાવી લીધું. બોરીબંદર સુધીની મુસાફરી ગાંઠિયા ખાતાં ખાતાં ક્યારે પૂરી થઈ ગઈ એની ખબરે ન પડી. પાછા ફરતાં ટ્રામને બદલે વિક્ટોરિયા. ફરી ૧૦૮ પગથિયાં ઠેકતાં ઠેકતાં પહોચ્યા ઘરે. માએ જેભાઈને પૂછ્યું : ‘રસ્તામાં તમને હેરાન તો નહોતા કર્યા ને, મારા દીકરાએ’. પણ જેભાઈ કાંઈ જવાબ આપે તે પહેલાં તો છોકરાએ વધામણી ખાધી :’ મેં હેરાન કર્યા હોય તો જેભાઈ કાંઈ મને ગાંઠિયા ખવડાવે? વાક્ય પૂરું થાય તે પહેલાં જેભાઈ બીજા ઓરડામાં સરકી ગયા.

પ્રિય વાચક! તમે કહેશો કે આ તો શાકમાં આખું સાકરકોળું ગયું! પેલા ગાંઠિયાખાઉ છોકરાનું નામ તો લખ્યું જ નહિ. કદરદાન સાહેબાન, એ છોકરાનું નામ આ પાના પર જ ક્યાંક છાપ્યું છે, ફોટા સાથે. ફોટો એ છોકરાનો જ છે, પણ પંચોતેર વરસ પછીનો.

e.mail : deepakbmehta@gmail.com

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 26 જૂન 2021 

Loading

ગાયને દોહીને બકરીને પાવા જેવું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|25 June 2021

એમ લાગે છે કે રાજ્યમાં ગરીબો રહ્યા નથી. એવું ખરેખર હોય તો આનંદ થાય. જો, એ બધાં લોઅર મિડલ ક્લાસમાં આવી ગયાં હોય તો ગરીબોનો ઉદ્ધાર થયો એમ માનવું પડે ને એને માટે સરકારને શાબાશી આપવી પડે, પણ આંકડાઓ એમ કહે છે કે બેકારી વધવાને કારણે લોઅર મિડલ ક્લાસ પણ ગરીબોમાં ફેરવાઈ રહ્યો છે. અત્યારે એમનું જ્ઞાન કેટલું વધ્યું હશે તે તો નથી ખબર, પણ નિમ્ન મધ્યમ વર્ગને પરવડે એવી હાઉસિંગ યોજના અંગે વાત કરતાં નાણાં મંત્રી નિર્મલા સીતારામને લોઅર મિડલ ક્લાસની વાર્ષિક આવક 6થી 18 લાખ મૂકેલી. બીજા શબ્દમાં, જે ગરીબી રેખાની જરા ઉપર છે તે વર્ગની વાર્ષિક આવક 6થી 18 લાખ છે એવું નાણાં મંત્રી માને છે. મતલબ કે જેની વાર્ષિક આવક 6 લાખથી નીચે છે તે ગરીબ કહેવાય. બીજા શબ્દોમાં જેની માસિક આવક 50,000થી ઓછી હોય તે ગરીબ ગણાય. જ્યારે 12 એપ્રિલ, 2021ને રોજ જાહેર થયેલ મજૂરોને અપાતો લઘુત્તમ વેતન દર રોજનો 176 રૂપિયા છે જે એશિયામાં સૌથી વધારે છે. એ હિસાબે માસિક આવક 5,280 થાય. નાણાં મંત્રીને હિસાબે મહિનાની આવક 50,000થી ઓછી હોય તે ગરીબ ગણાય, જ્યારે એ જ સરકારમાં ગરીબોની આવક મહિનાની 5,280 હોય તે ગરીબ છે.

હવે જેની આવક 50,000થી ઓછી છે તે ગરીબને 71 રૂપિયે કિલોની રેશનિંગની દાળ ખરીદવાનો બહુ વાંધો નહીં આવે, પણ જેને મહિને લઘુત્તમ વેતન મળે છે એને કિલો દાળ ખરીદવાના ફાંફાં પડી જશે. ખરેખર તો રેશનિંગ જ કાઢી નાખવા જેવું છે. એ ગરીબોને માટે છે, પણ ગરીબોને નામે સરકારથી માંડીને દુકાનદાર સુધીના બધાં જ ગરીબો જોડે રમે છે. દુકાનદારની દાદાગીરી ને છેતરપિંડીનો ભોગ બનવા જ ગરીબ સસ્તા અનાજની દુકાને જાય છે. એમાં સસ્તો તો ગરીબ જ છે. એ જીવાત પડેલું અનાજ ખરીદે છે ને અપમાનિત થઈને ઘરે જાય છે. સરકારે, અપમાન ન કરે એવી સસ્તા અનાજની દુકાન ખોલવી જોઈએ, પણ સરકાર જ ગરીબોની મશ્કરી કરતી હોય ત્યાં એવી આશા કેમ રખાય?

ગરીબોની કાળજી લેવાનો દેખાવ સરકાર કેવી રીતે રીતે કરે છે તે જોઈએ. ગરીબોને પ્રોટીન મળી રહે એ માટે સરકારે તુવેરદાળ આપવા માંડી છે. તે 61 રૂપિયે કિલો અપાતી હતી, તેમાં આવતા મહિનાથી સીધો દસ રૂપિયાનો વધારો કરી દેતાં દાળ 71 રૂપિયે કિલોના ભાવે વેચવાની જાહેરાત થઈ છે. અહીં હસવું એ વાતે આવે છે કે જે 71 રૂપિયે કિલોની દાળ ખાઈ શકે છે તે ગરીબ છે. આમ તો તંત્રોની દાનત એવી જ હોય છે કે ગરીબ ખાય જ નહીં. એ ન ખાય તો વેપારીઓ વધેલા અનાજનો તોડ નથી પાડતા એવું ક્યાં છે? એવું થાય છે કે નહીં તે તો વેપારીઓ જાણે, પણ અગાઉ રેશનિંગમાં ઘઉં, ચોખા ન વેચાય તો બજાર ભાવે વેપારીઓએ વેચ્યા છે, એટલું જ નહીં, સસ્તું અનાજ ગરીબ ન ખરીદે એટલે માલ નથી કે હજી આવ્યો નથી એવું કહી કહીને ગરીબોને પાછા પણ કઢાયા છે.

આ 71 રૂપિયાનો ખેલ પણ સમજવા જેવો છે. જુલાઈથી માર્ચ માટે 64,326 મેટ્રિક ટન તુવેરદાળની જરૂર હોવાનું સરકારે ઇન્ડેન કેન્દ્ર સરકારને મોકલ્યું જે મુજબ નાફેડે 3 મહિના માટે ત્રીજા ભાગથી પણ ઓછાની એટલે કે 21,442 મેટ્રિક ટનની ફાળવણી કરી, જેનો ભાવ પાડ્યો કિલોના 91.68 રૂપિયા. એના પર સરકારે પુરવઠા નિગમનો વહીવટી ખર્ચ 8.78 પ્રતિ કિલો ઉમેરીને પેટ્રોલની જેમ દાળ પણ કિલોના 100.46 પર પહોંચાડી. આ ભાવે પડતી દાળ પર સરકાર કિલોએ 30 રૂપિયા સબસિડી આપે છે. 100.46માંથી એ બાદ જાય તો રેશનિંગની દાળ 71.46ના ભાવે વેચાય. સાધારણ કક્ષાની દાળ 71ના ભાવે જ રેશનિંગમાં મળવાની હોય તો એવી દાળ તો બજારમાંથી પણ મળી રહે એમ માની કેટલાક ગરીબો રેશનિંગમાંથી દાળ નથી પણ લેતા.

નાફેડનો ભાવ જ કિલો દાળનો 91.68 હોય તો એ ભાવ રેશનિંગ માટે વાજબી છે? કે બધા માટે ભાવ એક જ છે ને સરકાર રેશનિંગમાં 30 રૂપિયાની સબસિડી આપી દે છે એટલે તેની જવાબદારી પૂરી થઈ જાય છે?સરકાર ગરીબો માટે અનાજ કે દાળ ઓછા ભાવે આપી જ ન શકે એટલી ગરીબ છે? કેન્દ્ર સરકાર જ 91.68ના ભાવે રાજ્ય સરકારને વેચે એ બરાબર છે? 100ના ભાવમાં 30ની સબસિડી મળતી હોય તો પણ રાજ્યનો ગરીબ એટલો અમીર નથી કે 71ને ભાવે દાળ ખરીદી શકે. હદ તો એ છે કે 91ની દાળ પર રાજ્ય સરકાર કિલો દીઠ વહીવટી ખર્ચ 8.78 રૂપિયા લગાવે છે. રાજય સરકારને જરા પણ સંકોચ નથી થતો કે 91નો ભાવ જ વધારે છે તો તેના પર વહીવટી ખર્ચ લગાવાય જ કેવી રીતે? એટલો ખર્ચ સરકાર ભોગવી ન શકે? બીજું, સરકાર કિલો કિલો દાળ મંગાવે છે કે દર કિલો દીઠ વહીવટી ખર્ચ લગાવવો પડે? કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ બોજ સરકાર ઉપાડવા રાજી નથી ને એ જે તે ખર્ચ પ્રજાને માથે નાખી દે છે.

સાધારણ માણસને પણ સબસિડીની અપેક્ષા રહે એવી કારમી મોંઘવારીમાં ગરીબોને કેરોસીનમાં અપાતી સબસિડી બંધ કરી દેવાઈ છે. એટલું ઓછું હોય તેમ રાજકોટ જેવામાં તેની ફાળવણી 90 ટકાથી ઘટીને 63 ટકા પર આવી ગઈ છે. સબસિડી બંધ થઈ ને કેરોસીનના ભાવ વધીને લિટરના 40 રૂપિયા થઈ ગયા છે. સ્થિતિ એવી ઊભી થઈ છે કે ગરીબો વસ્તુ લેવાની બંધ કરી દે. આમ ભાવ પરવડે એવા હોય નહીં ને ઉપરથી વસ્તુનાં ઠેકાણાં ન હોય, ત્યારે મરવા વાંકે જ જીવવાનું રહે કે બીજું કૈં?

એક મહિનામાં પેટ્રોલ-ડીઝલમાં 4 રૂપિયા લિટરે વધ્યા છે ને આવું કરીને કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ટેક્સમાંથી 5.25 લાખ કરોડની કમાણી કરી છે. મોંઘવારી અને લોકડાઉનને કારણે વેચાણ ઘટ્યું, પણ સરકારનો નફો માત્ર પેટ્રોલ-ડીઝલમાં જ 25 ટકા વધ્યો છે. બધા વેપારીઓ ધંધા તૂટી જતાં માથે હાથ દઈને રડ્યા છે, પણ સરકાર ઈંધણમાં અગાઉ કદી કમાઈ ન હોય એટલું કમાઈ છે.

જો કે, ગરીબો પેટ્રોલ–ડીઝલ વાપરતા નથી, પણ દૂધ તો વાપરે છે. એ દૂધ લિટરે બે રૂપિયા મોંઘું થયું છે. એક જ દૂધ સુમુલ અને અમુલ ડેરીઓ એક જ ભાવે વેચતી નથી. તેમાં બેથી ચાર રૂપિયાનો ફરક છે. કમાલ તો એ છે કે અહીંથી ભેગું કરાયેલું દૂધ, અહીં જ પ્રોસેસ થાય છે, પણ તે દિલ્હી, વારાણસી કરતાં મોંઘાં ભાવે વેચાય છે. આ અહીંનું ખાઈને અહીં જ ખોદવા જેવું છે. ભાવ વધારાના કારણોમાં સુમુલ ડેરી ડીઝલ ભાવ વધારો, પશુ આહારને નડેલી મોંઘવારી જેવું કહે છે, જે અગાઉ પણ કહી ચૂકી છે. એટલું છે કે કોરોના કાળનો સરકારથી માંડીને અમુલ-સુમુલ જેવી સંસ્થાઓએ લાભ જ લીધો છે ને લોકોને અનેક રીતે વખતોવખત લૂંટયાં છે. માત્ર નફાખોરી એ જ હવે ધંધો ગણાય છે ને આ બધું લોકસેવાને નામે ચાલે છે. સીધો સવાલ એ છે કે બધું મોંઘું થયું એમાં ડેરીએ કેટલી ખોટ સહન કરી? એણે કૈં ગુમાવ્યું? સરકાર હોય કે સહકારી સંસ્થાઓ તેમના નફાને આંચ આવવા દેતી નથી. કૈં પણ વધે છે તો તે સીધું લોકોને પાસ ઓન કરી દેવાય છે. દાળ મોંઘી થાય છે તો વધારો લોકો ભોગવે છે. દૂધ વધે છે તો સહન લોકો કરે છે. પાકને નુકસાન થાય છે તો વધઘટ લોકોને માથે આવે છે. એમના સુધી જે કોઈ પહોંચાડે છે એમને લોકો માટે જરા જેટલી પણ હમદર્દી નથી. એ બધાં જ પૂરી નિર્દયતાથી લોકો પાસેથી વસૂલે છે. લોકો કોરોનામાં, વાવાઝોડામાં સપડાય છે તે જાણે સરકારને અને સંસ્થાઓને લોટરી લાગ્યા જેવું છે. કેવી યુક્તિથી લોકોને લૂંટી શકાય એમ છે એના દાખલા બધા ગણવા લાગે છે ને કટકે કટકે લોકોને વેતરતાં રહે છે.

આખા ભારતમાં સૌથી મોંઘું દૂધ અમુલ બ્રાન્ડ હેઠળ સુરત શહેર સહિત સુરત અને તાપી જિલ્લામાં વેચાય છે. આ વાજબી છે? સુમુલ પર તો એવો આરોપ પણ છે કે તેનો નફો ભા.જ.પ. પાર્ટી ફંડ માટે વપરાય છે. ડેરી સંચાલકો એવો બચાવ પણ કરે છે કે રૂપિયો વધે છે તો તેમાંથી 85 પૈસા પશુપાલકોને મળે છે. 15 પૈસા માટે સુમુલ આખો વેપલો કરે એ વાતમાં માલ નથી, છતાં માની લઈએ કે એમ છે, તો પણ પ્રશ્ન તો રહે જ છે કે પશુપાલકને પોષવા ભાવ વધારવો પડે ને એ રીતે ગરીબોને મદદ થાય, પણ જે દૂધ ખરીદે છે એ ગ્રાહકોમાં ઘણાં બધાં સાધારણ અને ગરીબ લોકો છે, એ જીવે એવું કૈં રાખવાનું છે કે કેમ? તો, ભાવ વધારીને એમનું ગળું કાતરવાથી કઈ સેવા થાય છે? ગાયને દોહીને બકરીને પાવા જેવું નથી આ?

પૂરી પ્રમાણિક્તા અને નિષ્ઠાથી વિચારીએ –

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 25 જૂન 2021

Loading

સુશાંતસિંહના મૃત્યુએ જગાડેલા સવાલો હજી હવામાં તરે છે

સોનલ પરીખ|Opinion - Opinion|24 June 2021

એન્જિનિયરિંગ માટેની એન્ટ્રન્સ ટેસ્ટમાં નિષ્ફળ જવાથી એક તરુણ આત્મહત્યાનો પ્રયાસ કરે છે. હૉસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા દીકરાની સ્થિતિથી ભાંગી પડેલો અનિરુદ્ધ કહે છે, ‘આપણી પાસે સફળ થવાની અનેક યોજનાઓ હોય છે, પણ નિષ્ફળ ગયા તો શું, એ વિશે કોઈ વાત પણ નથી કરતું.’ અને તે અલગ રહેતી પત્ની માયાને અને પોતાના કૉલેજના સાથીઓને બોલાવે છે. આ બધા કૉલેજના દિવસોમાં કેમ્પસમાં ‘લૂઝર્સ’ કહેવાતા પણ દરેક મુશ્કેલીમાં ઊંચું માથું રાખી ટકી જતા. પિતા અને તેના મિત્રોના વિદ્યાર્થીજીવન વિશે જાણીને દીકરામાં નવી હિંમત આવે છે. અનિરુદ્ધ કહે છે, ‘સફળતા અંતિમ નથી. નિષ્ફળતા પણ અંતિમ નથી. અગત્યનું એ છે કે તમે હિંમતથી ચાલતા રહો.’

2019ની ફિલ્મ ‘છિછોરે’ની આ વાર્તા છે. આવા ગંભીર વિષય પર હળવી પણ અસરકારક ફિલ્મ બનાવવા માટે નીતેશ તિવારી અભિનંદનના અધિકારી છે. તેમાં અનિરુદ્ધની ભૂમિકા સુશાંતસિંહ રાજપૂતે કરી હતી. તેનો અભિનય વખણાયો હતો. ત્યારે કોઈ એ જાણતું નહોતું કે ફિલ્મમાં ‘આત્મહત્યા એ કોઈ ઉપાય નથી.’ એમ કહેનાર સુશાંતસિંહ રાજપૂત બીજે જ વર્ષે પોતાનો પ્રાણ લેશે.

2020ના જૂન મહિનાની 14મી તારીખે સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. આખો દેશ એવો ખળભળી ગયો કે કોરોનાનો સકંજો પણ ભુલાઈ ગયો. આ ઘટનાને એક વર્ષ થઈ ગયું છતાં વિવાદો શમ્યા નથી. દરમ્યાન વર્ષ 2021માં ‘છિછોરે’ ફિલ્મ માટે તેને શ્રેષ્ઠ અભિનેતા તરીકેનો મરણોત્તર અવૉર્ડ જાહેર થયો છે.

પાંચ ભાઈબહેનોમાં સૌથી નાના સુશાંતને સૌ લાડથી ‘ગુલશન’ કહેતા. પટણામાં જન્મ, કૉલેજ દિલ્હીમાં કરી. ઘણું વાંચતો. એસ્ટ્રોનટ બનવાના કે એરફૉર્સમાં જવાનું સ્વપ્ન જોતાં સુશાંતે પરિવારના આગ્રહથી એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. એ શાહરૂખ ખાનથી ખૂબ પ્રભાવિત હતો એટલે સ્વપ્નોમાં બૉલિવૂડ પણ આવતું. ભણતાં ભણતાં શ્યામક દાવરના નૃત્યવર્ગો અને બેરી જોન્સનના અભિનયવર્ગો ભર્યા. એવો રસ પડી ગયો કે ચોથા વર્ષમાં કૉલેજ છોડી મુંબઈ આવી ગયો. આડીઅવળી જોબ્સ, નાદિરા બબ્બરનું ‘એકજૂટ’, 2008થી ફિલ્મો-ટી.વી.ની શરૂઆત, દિગ્દર્શનમાં રસ, ‘કાઈપો છે’, ‘પીકે’, ‘ડિટેકટિવ વ્યોમકેશ બક્ષી’, ‘એમ.એસ. ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘કેદારનાથ’ બાર ફિલ્મો, છ ટી.વી. શો, નવ અવૉર્ડ, દસ નૉમિનેશન – ગ્રાફ ઊંચો ચડતો ગયો. તેને ‘નેક્સ્ટ શાહરૂખ ખાન’ શબ્દોથી અભિનંદી શેખર કપૂરે ‘પાની’ ફિલ્મમાં લીધો. આ ફિલ્મ પછીથી યશરાજ ફિલ્મે લીધી, સુશાંતનો કોન્ટ્રાક્ટ કૅન્સલ થયો અને રહસ્યમય ઘટનાઓની શરૂઆત થઈ, જેનો અંત 2020ની 14મી જૂને તે તેના ઘરમાં પંખા પર લટકેલો મળી આવ્યો એ ઘટનામાં આવ્યો.

હકીકતો ખૂલતી ગઈ, કહાણીઓ બનતી ગઈ. માધ્યમોએ તેના મૃત્યુને અશોભનીય રીતે ચગાવ્યું. તેને ડિપ્રેશન અને બાયપોલાર ડિસઑર્ડર હોવાનું કહેવાયું, ડ્રગ્સ અને સંબંધોના કિસ્સા ઊભા થયા. યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી ગયું. 200થી વધુ લેખો એ ગાળામાં જ છપાયા. હજી વણઝાર ચાલુ જ છે. આ બધાથી, ખલાસ થઈ ગયેલી એક આશાસ્પદ જિંદગી પાછી નથી આવવાની. એના મૃત્યુથી જાગેલા અનેક સવાલો હજી હવામાં તરે છે.

સેલિબ્રિટિઝ અને સ્યુસાઈડ વચ્ચે શો સંબંધ છે? 1964માં ગુરુ દત્તે આત્મહત્યા કરી – દારૂ અને ઊંઘવાની ગોળીઓનું મોટું પ્રમાણ એના મૃત્યુનું કારણ હતું. એની ચર્ચાઓ હજી ઊખળ્યા કરે છે. કારકિર્દી શિખરે હતી, પણ ગીતા સાથેનાં લગ્ન ભાંગવાની અણી પર હતાં, વહીદા સાથેના સંબંધો ભવિષ્ય બતાવતા ન હતા. તેણે એકથી વધારે વાર આત્મહત્યાની કોશિશ કરેલી. શા માટે આ પ્રતિભાશાળી માણસ શરાબમાં ડૂબી ગયો? શા માટે મરી ગયો? કોઈ કાઉન્સેલર, કોઈ સકાયાટ્રિસ્ટને કેમ ન મળ્યો?

1994માં મનમોહન દેસાઈએ આપઘાત કર્યો. અનેક સફળ ફિલ્મોના સર્જક. પીઠનો દુ:ખાવો હતો, છેલ્લી ફિલ્મો સફળ નહોતી થઈ, પત્ની મૃત્યુ પામી હતી. નંદા સાથે પરણવાના હતા. કોઈ રસ્તો નહીં બચ્યો હોય? દિવ્યા ભારતી પડી ગઈ. સિલ્ક સ્મિતાએ સ્લીપિંગ પિલ્સ લીધી. પ્રત્યૂષા બેનર્જી અને જિયા ખાને ગળે ફાંસો ખાધો. કુલજિત રંધાવાએ તેની ગર્લફ્રેન્ડ બીજા સાથે પરણવાની હતી એટલે આપઘાત કર્યો. ભાવિ પતિ પરણેલો નીકળ્યો એટલે ગર્લફ્રેન્ડે પણ આપઘાત કર્યો. આ લોકો કોઈ ચિઠ્ઠી વગેરે છોડી જતા નથી એટલે એમનાં મૃત્યુ અકસ્માત, આત્મહત્યા અને હત્યા આ ત્રિપાંખિયા પ્રશ્નથી ચૂંથાઈ, વિવાદોનાં થોડાં વમળ જન્માવી એક દિવસ જંપી જાય છે. દુનિયા ફિલ્મોની હોય કે ફિલ્મબહારની, કોઈના માટે રોકાવાની ફૂરસદ કોને છે?

આ તો બોલિવૂડના થોડાં ઉદાહરણો છે. શોધીએ તો બીજાં અનેક મળે. હોલિવૂડની સેલિબ્રિટિઓ પણ આમાંથી બાકાત નથી. બધી રીતે સુખી અને સફળ નીવડેલી સેલિબ્રિટિઓ શા માટે જીવનનો અંત આણે છે?

ફ્રાન્સની લેખિકા એમિલિ ડર્ખનિલે ‘સ્યુસાઈડ’ નામનું પુસ્તક લખ્યું છે. તેણે આત્મહત્યાના પ્રકારો પાડ્યા છે અને સ્ટારડમને જીવલેણ કહ્યું છે. આ દુનિયાની સફળતા અને ચકાચોંધ લોભામણાં છે. પણ તેની પાછળ રહેલી નિષ્ફળતા અને અસલામતીની ભૂતાવળ કોઈને દેખાતી નથી. આત્મરતિ અને અહંકારના આ વિશ્વમાં સાચો સાથ કે સાચું માર્ગદર્શન મળતું નથી. કુટુંબજીવન નહીંવત હોય છે. શિક્ષણ કે વાંચનવિચારનો પાયો હોતો નથી. જીવસટોસટની હરીફાઈ, ઈમેજની ચિંતા, જૂથવાદ, એકલતા, ઉગ્રતા, શત્રુભાવ આ બધાથી મોટા પ્રમાણમાં એંક્ઝાયટી જેને પર્ટર્બેશન કહે છે તે જન્મે છે. સતત આ સ્થિતિથી વિચારો એક જ ઉગ્ર-તીવ્ર લાગણી પર એકાગ્ર થતા જાય છે – અ સ્ટેટ ઑફ હોપલેસનેસ, હેલ્પલેસનેસ એન્ડ વર્થલેસનેસ. પછી કોઈ રસ્તો બચતો નથી. ભયાનક આવેશની આગમાં તર્ક, જાણકારી, ઈચ્છા બધું સળગી જાય છે અને માણસ પોતાને ખલાસ કરી નાખે છે.

અપરાધની દુનિયાની જેમ ફિલ્મી દુનિયામાં પણ વન-વે એન્ટ્રી છે. એક વાર દાખલ થઈ જાઓ પછી નીકળી ન શકો. રસ્તાઓ અત્યંત લપસણાં હોય છે અને સફળતા, લોકપ્રિયતા ને સંબંધો અત્યંત બટકણાં હોય છે. ગ્લિટઝ અને ગ્લેમરના ઝળહળાટ પાછળ એકલતા અને અસલામતીનું ગાઢ અંધારું હોય છે. સામાન્ય તારણ એવું છે કે સ્ત્રીઓ આત્મહત્યાની વાતો વધારે કરે છે અને પુરુષો આત્મહત્યા વધારે કરે છે, પણ બૉલિવૂડમાં સ્ત્રીઓની આત્મહત્યાનું પ્રમાણ વધુ છે, કેમ કે અહીં સુંદરતાની બોલબાલા છે ને સંબંધો સ્વાર્થના છે. યુવતીઓ પાસે જાતજાતની અલિખિત અપેક્ષાઓ રખાય છે, શોષણ થાય પણ છે અને થવા દેવાય પણ છે. પ્રિયંકા ચોપરાએ આત્મહત્યાની કોશિશ એકથી વધારે વાર કરી છે. દિપિકા પદુકોણ અને સુસ્મિતાએ ડીપ્રેશનની સારવાર લીધાનું કબૂલ કર્યું છે.

ભારતમાં માનસિક સ્વાસ્થ્ય ઉપેક્ષિત અને પ્રતિબંધિત પ્રકારનું ક્ષેત્ર છે. પણ સુશાંતસિંહની આત્મહત્યા પછીની પોસ્ટ્સ જોઈ 32 વર્ષની ઉંમરે યુનિયન મિનિસ્ટર બનેલા મિલિંદ દેવરાએ પોતાના ડિપ્રેશન અને આત્મહત્યાના વિચારોની વાત બહુ નિખાલસતાથી કરી હતી અને આ સ્થિતિમાં પ્રોફેશનલ હેલ્પની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો.

આત્મહત્યાની વૃત્તિ એ ડિપ્રેશનનો સૌથી ખરાબ તબક્કો છે, પણ એ તબક્કે પણ માણસ ખરેખર મરવા માગતો નથી. એ ઈચ્છતો હોય છે પીડાનો અંત. તે સંકેતો આપતો હોય છે, પણ વ્યસ્ત જીવનશૈલીમાં રત આસપાસના લોકો તેને પકડી શકતા નથી. સુશાંતના કિસ્સામાં નોકરોને પગાર વહેલા ચૂકવવા, પોસ્ટનાં લખાણ, ફોન પરની વાતો, ઇમેજમાં મૂકેલું ‘સ્ટારી નાઈટ્સ’ ચિત્ર – આ બધા સંકેતો હતા.

‘સ્ટારી નાઈટ્સ’ ચિત્ર વાન ગૉગે પાગલખાનામાં સારવાર દરમ્યાન રચ્યું હતું. બીજે વર્ષે 37 વર્ષની ઉંમરે તેણે આત્મહત્યા કરી હતી. તેની પ્રતિભાને તેના જીવતા કોઈએ ઓળખી નહીં. તેનાં સૂરજમુખી ઊભાં સળગી ગયાં. આ ઘટનાને સવાસો વર્ષ થયાં. અદમ્ય સર્જકતા, પરિસ્થિતિઓ, હતાશાઓ, આત્મહત્યાઓનો સિલસિલો ચાલુ છે. જીવ લઈ લેતી હતાશામાંથી ઉગરવાની કોઈ ટેકનોલોજી કેમ નહીં શોધાઈ હોય?

e.mail : sonalparikh1000@gmail.com

Loading

...102030...1,8741,8751,8761,877...1,8801,8901,900...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved