Opinion Magazine
Number of visits: 9676912
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મેગ્નેટમેનના સમાચારોથી ગેરમાર્ગે દોરાશો નહીં

દિલીપ સતાશિયા|Opinion - Opinion|30 June 2021

આજકાલ મોટા ભાગનાં સમાચારપત્રો અને સોશિયલ મીડિયામાં, કોરોના રસી લીધા પછી શરીરમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન થાય છે, એવા સમાચારો પ્રસિદ્ધ થઈ રહ્યા છે.  શરીરમાં ચુંબકીય ક્ષેત્રનું કારણ કોરોનાની રસીને બતાવવામાં આવી રહ્યું છે, જે તદ્દન અંધશ્રદ્ધાભર્યા સમાચાર છે.

આ ઘટનાની પાછળ વિજ્ઞાનનું સાચું કારણ જાણવાથી ખ્યાલ આવે છે કે આ એક સામાન્ય ઘટના છે અને તે બધા માટે સમાન રીતે શક્ય છે.

હવે વિજ્ઞાનની વાત કરીએ. સૌ પ્રથમ, જો શરીરમાં ચુંબકત્વ પેદા થતું હોય, તો માત્ર લોખંડની વસ્તુ જ ચોંટે. પરંતુ અહીં લોખંડ સિવાય ટી.વી.-રિમોટ, મોબાઇલફોન, સ્ટીલની ચમચી અને સિક્કાઓ ચોંટે છે, તેથી ચુંબકત્વને આની સાથે કોઈ લેવાદેવા નથી. જેમના ઘરમાં ચુંબક હોય એ લોકો પ્રયોગ કરીને જાતે ચકાસણી કરી શકે છે.

બીજું, આપણા લોહીમાં અમુક ટકા લોહ પણ હોય છે. તેથી જો શરીરમાં ચુંબકત્વ પેદા થાય, તો લોહીના રુધિરાભિસરણ તંત્રમાં પણ ફરક પડી જાય. ટૂંકમાં રસી અને શરીરમાં ચુંબકત્વને કાંઈ લેવાદેવા નથી.

જે લોકો મૅગ્નેટમેન બની ગયા છે તે બધાને ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવશે કે શરીરના જે ભાગ ઉપર રૂંવાટી નથી ત્યાં આવી વસ્તુઓ ચોંટેલી દેખાય છે. એટલે કે જે ભાગ ઉપર રૂંવાટી નથી ત્યાં ચામડી ખૂબ જ લીસી હોવાના કારણે તેમના શરીર ઉપર આવી બધી વસ્તુ ચોંટે છે. સ્ટીલનાં વાસણો, સિક્કા, રિમોટ કે મોબાઇલ જેવી વસ્તુઓની સપાટી પણ લીસી હોય છે.

અત્યારે વરસાદની તૈયારી છે એટલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે છે, તેથી શરીર ઉપર પરસેવો વધુ થાય અને ચિકાસ જેવું થઈ જવાને કારણે સરફેસટૅન્શન ખૂબ જ વધી જાય છે. ગુજરાતીમાં તેને પૃષ્ઠતાણ કહેવામાં આવે છે. ભૌતિકશાસ્ત્રના પૃષ્ઠતાણના નિયમને કારણે શરીરની ચામડી પર આવી કોઈ વસ્તુ ચીપકી જાય એમાં કોઈ ચમત્કાર નથી. અને હા, અહીંયાં વસ્તુઓ ચોંટી જતી નથી, પણ પૃષ્ઠતાણને કારણે થોડોક સમય ચામડી પર ટકી જાય છે. અને શરીરના જે ભાગ ઉપર રૂંવાટી હોય છે, ત્યાં પૃષ્ઠતાણ નહીંવત્‌ હોય છે, તેથી ત્યાં આવી વસ્તુઓ ચોંટી જતી નથી. આમ, કોરોનાની રસીને કારણે આવું થાય તે વાતમાં કોઈ તથ્ય નથી.

આપ સૌને યુનિવર્સ સાયન્સ ફોરમ તરફથી ખાસ વિનંતી કરીએ છીએ કે વર્તમાનપત્રો, ટી.વી. કે સોશિયલ મીડિયામાં મૅગ્નેટમેનના સમાચારોથી ગેરમાર્ગે દોરાશો નહીં, અંધશ્રદ્ધામાં ફસાશો નહીં, કોરોનાની રસી જલદીથી  લઈ લેશો.

યુનિવર્સ સાયન્સ ફોરમ, મો. ૯૯૦૯૧ ૮૯૯૬૯

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 15

Loading

લવજેહાદ, કાયદો અને મહિલાસ્વાતંત્ર્ય

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 June 2021

ગુજરાત વિધાનસભાના બજેટસત્રમાં પસાર કરાયેલા, રાજકીય રીતે લવજેહાદ વિરોધી કાયદા તરીકે પ્રચારિત, ‘ગુજરાત ધર્મસ્વાતંત્ર્ય (સુધારા) વિધેયક, ૨૦૨૧’ને રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે. સરકારે નિયમો ઘડી આ  કાયદાનો ૧૬મી જૂન, ૨૦૨૧થી અમલ પણ શરૂ કરી દીધો છે. અગાઉ ભારતીય જનતા પક્ષ શાસિત ઉત્ત રપ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને ઉત્તરા ખંડમાં લવજેહાદ વિરોધી કાયદા ઘડાયા હતા. હવે ગુજરાત પણ તેમની પંગતમાં આવી ગયું છે. આ કાયદા મુજબ ૨૦૦૩ના ગુજરાત ધર્મસ્વાતંત્ર્ય અધિનિયમમાં કેટલાક  સુધારા કરવામાં આવ્યા છે. મહિલાઓને બળજબરીથી, ફોસલાવીને કે કપટથી લગ્ન કરવાનો અસલી મકસદ ધર્મપરિવર્તનનો હોય, તો તેને ગુનો ગણી ત્રણથી દસ વરસની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં થયેલી ચર્ચાઓ અને હિંદુત્વ બળોની લવજેહાદ વિરોધી ઝુંબેશ પરથી સમજાય છે કે મુસ્લિમ પુરુષો દ્વારા બિનમુસ્લિમ સ્ત્રીઓને પ્રેમ અને લગ્નના નામે ફસાવી તેમનું ધર્માંતર કરાવવામાં આવી રહ્યાનું, તે માટેના સામૂહિક પ્રયાસો કે ષડ્‌યંત્રો થતાં હોવા જેવી બાબતોની જોગવાઈ ધરાવતા આ કાયદા પાછળ મૂળે રાજકીય હેતુ છે.

એકાદ દાયકાથી કેરળ, તટીય કર્ણાટક, પશ્ચિમી ઉત્તર પ્રદેશ ઉપરાંત કેટલાંક બી.જે.પી.શાસિત રાજ્યોમાં લવજેહાદની બુમરાણ જોવા મળે છે. કર્ણાટકના રામસેનાના નેતા અને ‘લવજેહાદ : રેડ ઍલર્ટ ફૉર હિંદુ ગર્લ્સ’ના લેખક પ્રમોદ મુત્તાલિકે ૨૦૦૯માં સૌ પ્રથમ વાર લવજેહાદ શબ્દ પ્રયોજ્યો હોવાનું ઇતિહાસકાર ચારુ ગુપ્તાએ ‘મિથ ઑફ લવજેહાદ’ પુસ્તકમાં નોંધ્યું છે. અન્ય અભ્યાસીઓ કેરળમાં ખ્રિસ્તી ચર્ચે આ શબ્દ પ્રથમ વાર પ્રયોજ્યો હોવાનું જણાવે છે. જો કે હવે લવજેહાદનો મુદ્દો સાંપ્રદાયિક રાજકીય એજન્ડા અને મતોની ફસલ લણી આપનાર બની ગયો છે. તેથી જ પચીસ વરસથી જ્યાં ભા.જ.પા.નું શાસન તપે છે, તે ગુજરાતમાં પણ આવો કાયદો ઘડવો તે દીર્ઘ રાજવટની નિષ્ફળતા અને નાલેશી ગણાય, તે વાતની લગીરે ફિકર વિના લવજેહાદ વિરોધી કાયદો ઘડાયો છે.

લવજેહાદ વિરોધી વર્તમાન કાયદા અને અભિયાનને અદાલતોનું પણ પીઠબળ મળ્યું હતું. ૨૦૧૭માં ઉત્તરા ખંડની વડી અદાલતે લગ્ન માટે ધર્મપરિવર્તનને અટકાવવાનો કાયદો ઘડવા રાજ્યસરકારને સૂચન કર્યું હતું. અલ્હાબાદ હાઈકોર્ટના સિંગલ જજની એક બૅન્ચે ૨૦૧૪માં મુસ્લિમ યુવાનો સાથે લગ્ન કરવાને લીધે અસલામતી અનુભવતી પાંચ હિંદુ યુવતીઓની પોલીસ રક્ષણની માંગ નકારી હતી. અદાલતે તેના ચુકાદામાં માત્ર લગ્નના હેતુ માટે કરવામાં આવતા ધર્મપરિવર્તનને અસ્વીકાર્ય ગણ્યું હતું. આસ્થા અને વિશ્વાસમાં વાસ્તવિક પરિવર્તન સિવાયના ધર્મપરિવર્તનને અદાલતે અમાન્ય ઠેરવ્યું હતું. ૨૦૦૯માં કેરળ હાઈકોર્ટને લવજેહાદના આરોપોમાં તથ્ય જણાયું હતું.

કર્ણાટક હાઈકોર્ટની ડિવિઝન બૅન્ચે તો ૨૦૦૨થી ૨૦૦૯ દરમિયાન રાજ્યભરમાંથી ગૂમ થયેલી ૨૧,૮૯૦ છોકરીઓના કેસો લવજેહાદની શંકાવાળા ગણી તેની તપાસ સી.આઈ.ડી. ને સોંપી હતી. જો કે ગૂમ થયેલી છોકરીઓમાંથી ૨૨૯નાં જ આંતરધાર્મિક લગ્નો થયાં હતાં અને તેમાંથી માત્ર ત્રેસઠે જ ધર્મપરિવર્તન કર્યાનું સી.આઈ.ડી. તપાસમાં ખૂલ્યું હતું. વળી, આ તપાસમાં પોલીસને લગ્નના બહાને ધર્મપરિવર્તનનો કોઈ સામૂહિક પ્રયાસ કે ષડયંત્ર ન જણાતાં ૨૦૧૩માં અદાલતે આ કેસનો વીંટો વાળી દીધો હતો.

સુપ્રીમ કોર્ટે પણ લવજેહાદના આરોપોની તપાસ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(એન.આઈ.એ.)ને સોંપી હતી. તે પછી સર્વોચ્ચ અદાલતે કેરળના હાદિયા કેસમાં લવજેહાદના આરોપો નકાર્યા હતા અને ધર્મપરિવર્તન મંજૂર રાખ્યું હતું. સુપ્રીમ કોર્ટે અને અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરના ચુકાદાઓમાં પુખ્ત ઉમરની કોઈ પણ વ્યક્તિને ધર્મ કે જ્ઞાતિના બાધ સિવાય પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્નનો અધિકાર હોવાનું અને આવો અધિકાર બંધારણના અનુચ્છેદ ૨૧નું અભિન્ન અંગ હોવાનું જણાવવામાં આવ્યું છે.

વર્તમાન લોકસભામાં કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી કિશન રેડ્ડીએ કૉંગ્રેસના કેરળના સાંસદ બેન્ની બેહનાનના લોકસભા-પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે લવજેહાદ જેવો કોઈ શબ્દ કાયદામાં પરિભાષિત નથી. કેન્દ્રિય તપાસ સંસ્થાઓની તપાસના આધારે તેમણે જણાવ્યું હતું કે લવજેહાદનો કોઈ મામલો કેન્દ્રસરકારની જાણમાં નથી. સરકારી સંસ્થા ‘ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર પોપ્યુલેશન સાયન્સિઝ’નો ૨૦૧૩નો સર્વે ભારતમાં આંતરધાર્મિક લગ્નો બહોળા પ્રમાણમાં થતાં હોવાના આરોપોનો છેદ ઉડાડે છે. આ અભ્યાસમાં જણાયું છે કે ૧૫થી ૪૯ વરસની વિવાહિત મહિલાઓમાંથી માત્ર ૨.૨૧ ટકાએ જ ધર્મબહાર લગ્નો કર્યાં છે. શહેરોમાં આંતરધાર્મિક લગ્નોનું પ્રમાણ ૨.૯ ટકા અને ગામડાંઓમાં ૧.૮ ટકા જ છે. સૌથી વધુ ૩.૫ ટકા આંતરધાર્મિક લગ્નો ખ્રિસ્તી મહિલાઓ કરે છે. તે પછીના ક્રમે શીખ ૩.૨ ટકા અને હિંદુ ૧.૫ ટકા છે. માત્ર ૦.૬ ટકા મુસ્લિમ મહિલાઓ જ ધર્મબહાર લગ્ન કરે છે. જે બી.જે.પી. રાજ્યોમાં લવજેહાદની ઝુંબેશો ચાલે છે ત્યાં આંતરધાર્મિક લગ્નોનું પ્રમાણ ઘણું ઓછું છે. દેશમાં સૌથી વધુ ૭.૮ ટકા આંતરધાર્મિક લગ્નો પંજાબમાં થાય છે. પંજાબની શીખ-હિંદુ લગ્નપરંપરાનું આ પરિણામ છે. તે પછીના ક્રમે ઝારખંડમાં ૫.૭ અને આંધ્રમાં ૪.૯ ટકા મહિલાઓ આંતરધાર્મિક લગ્નો કરે છે.

રાજ્યોના લવજેહાદ વિરોધી કાયદા અને જમણેરી બળોનું મહિલાવિરોધી અભિયાન પણ છે. તે મહિલાઓની વ્યક્તિગત અને સંસ્થાગત સ્વતંત્રતાને તો અવરોધે જ છે,  પ્રેમના દાયરાને પણ સાંકડો કરે છે. લવજેહાદ શબ્દ જ પરસ્પર વિરોધી છે. બે જુદા-જુદા ધર્મોની વ્યક્તિઓ લગ્ન કરે, તો તેમને સાંકળતી સમાન બાબત પ્રેમ હોય કે ધર્મ ? મહિલાઓને નાદાન, નબળી અને અણસમજુ સમજીને તેને કસાઈઓના હાથમાં જતી બચાવવાનો દાવો કરનારા ખરેખર તો તેમને વસ્તુ કે ચીજ ગણે છે. શાયદ એટલે જ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ મદન લોકુર આવા કાયદાઓને લોકશાહી સરકારોનું ખાપપંચાયત કે જાતિપંચાયત જેવું વલણ ગણે છે. નિવૃત્ત ન્યાયાધીશ એ.પી. શાહના મતે મહિલાઓની સ્વતંત્રતા પિતૃસત્તા અને પુરુષોને ડરાવે છે. લવજેહાદના કાયદા જાણે કે મહિલાઓ પોતાનું સારુંનરસું જાતે વિચારી શકતી નથી તેમ ઠસાવી તેમની સ્વતંત્ર ઓળખ પર પ્રહાર કરે છે.

૧૯૫૪નો સ્પેશિયલ મૅરેજઍકટ અલગ-અલગ ધર્મોમાં માનતાં યુગલોને તેમની ધાર્મિક માન્યતા અકબંધ રાખીને લગ્નની અનુમતિ આપે છે. ઇન્ડિયન પિનલ કોડની ઘણી જોગવાઈઓ હેઠળ બળજબરી, લોભ, લાલચ કે છેતરપિંડીથી થતાં લગ્નો સામે મહિલાને પર્યાપ્ત કાનૂની રક્ષણ મળેલું છે. એ સંજોગોમાં લવજેહાદ વિરોધી અલગ કાયદાઓમાં રાજકીય હેતુની બૂ આવવી સ્વાભાવિક છે. જુદા ધર્મ કે જ્ઞાતિના કે એક જ ધર્મ કે જ્ઞાતિના પણ વડીલોની સંમતિ વિના પ્રેમલગ્ન કર્યા બાદ અસલામતી અનુભવતા અને પોલીસ તંત્ર સમક્ષ રક્ષણની માંગમાં નિષ્ફળ રહેતાં અનેક યુગલો હાઈકોર્ટમાં પોલીસરક્ષણ માટે ધા નાંખે છે. ગુજરાત હાઈકોર્ટનાં જસ્ટિસ સોનિયાબહેન ગોકાણીએ એપ્રિલ, ૨૦૧૯માં આવા કેસો અંગેના ચુકાદામાં ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ સિંગલ વિન્ડોસિસ્ટમ ઊભી કરી તેમની ફરિયાદોનો નિકાલ કરવા આદેશ કર્યો હતો. પરંતુ ગુજરાત સરકાર પ્રેમલગ્નોને કારણે પોલીસ રક્ષણ માંગતાં યુગલોને તુરત રક્ષણ મળે તેવી વ્યવસ્થા કરવાને બદલે ભર કોરોને લવજેહાદ વિરોધી કાયદો લઈ આવી છે !

ભારતમાં અલ્પ છતાં આંતરધાર્મિક લગ્નોની એક દીર્ઘ પરંપરા છે. તે દેશના બિનસાંપ્રદાયિક પોતને મજબૂત કરે છે અને ધાર્મિક-સાંસ્કૃતિક વિવિધતા છતાં દેશની એકતાનાં દર્શન કરાવે છે. મહિલાસ્વાતંત્ર્યને અવરોધતા લવજેહાદ જેવાં અભિયાનોને બદલે આંતરધાર્મિક અને આંતરજ્ઞાતીય લગ્નોનું પ્રમાણ વધે, તો દેશ ખરા અર્થમાં સમરસ બની શકશે.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

જગત વિચારે છે કે શું ચીનનું મોડલ અપનાવી સફળતા મેળવી શકાય ?

રમેશ ઓઝા|Opinion - Opinion|30 June 2021

એક યુગ હતો જ્યારે રશિયા અને ચીનના સામ્યવાદી શાસકો તેમની પાર્ટી કૉન્ગ્રેસમાં જે ભાષણો કરતા અને ઠરાવો કરતા તેના વિષે દિવસોના દિવસો સુધી અર્થઘટનો કરવામાં આવતા. એક એક શબ્દની છણાવટ કરવામાં આવતી. આનાં બે કારણો હતાં. એક તો એ કે ઠરાવો અને ભાષણોની ભાષા ગૂઢ, સંકુલ તેમ જ જટિલ રહેતી. થોડું સુક્ષ્મ સમાજવિવેચનના કારણે અને વધુ કદાચ જાણીબૂજીને ‘થિયરી’ અને ‘લાઈન’ના ટિપીકલ સામ્યવાદી વળગણના કારણે. બીજું કારણ એ હતું કે ત્યારે સામ્યવાદી વિશ્વની સંભાવના નજરે પડતી હતી. અત્યારે ભલે સામ્યવાદી શાસન થોડાક દેશો પૂરતું મર્યાદિત હોય, પણ તેમનો ઉદ્દેશ જગતભરમાં ફેલાવાનો હતો. જે લોકો ડાબેરી હતા તેઓ તેમાં આશા શોધતા હતા અને જેઓ જમણેરી હતા તેઓ તેમાં ભયસ્થાન શોધતા હતા. આમાં પણ રશિયા કરતાં ચીનના નેતાઓના ઠરાવો અને ભાષણોની વધુ ઝીણી વિવેચના કરવામાં આવતી હતી. દલાઈ લામા કહે છે એમ માઓ ઝેદોંગ શત્રુ છે એમ માનીને તમે તેમને મળવા ગયા હોય અને તે મિત્ર છે એવો અભિપ્રાય બનાવીને પાછા ફરો. અત્યંત ગૂઢ નેતૃત્વ, ગૂઢ ભાષા અને ગૂઢ રાજકીય શૈલી ચીનનાં સામ્યવાદી શાસકોનાં લક્ષણો છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આવો અનુભવ થયો છે. અમદાવદમાં સાબરમતી નદીના તીરે વડા પ્રધાન શી ઝિંગપીંગને ઢોકળા ખવડાવતા હતા ત્યારે એ જ વખતે ચીની લશ્કર ભારતમાં લડાખમાં ઘૂસ્યું હતું.

ગઈ પહેલી જુલાઈએ ચીનના સામ્યવાદી પક્ષે તેની સ્થાપનાની શતાબ્દી ઉજવી. ઉજવણી દુનિયા જોતી રહે એવી ભવ્ય હતી. જગત ચીનમાંથી પ્રસરેલા કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે ચીન તેનાથી લગભગ મુક્ત છે. આ પણ એક ગૂઢ રહસ્ય છે. આવો ભવ્ય સમારોહ બીજા દેશમાં યોજાવો શક્ય નથી. ભારતમાં ટ્રમ્પના સ્વાગતમાં તાયફો યોજાયો, કુંભમેળાનું આયોજન થયું અને ચૂંટણીની વિરાટ રેલીઓ યોજાઈ; પણ આપણે જાણીએ છીએ દેશની જનતાએ તેની મોટી કિંમત ચૂકવી. અનેક લોકોના જાન ગયા, પણ ચીનમાં આવું બન્યું નથી અને જો બન્યું છે તો આપણે જાણતા નથી. ખેર, ચીનના સામ્યવાદી પક્ષના શતાબ્દી સમારોહમાં ચીનના સર્વેસર્વાં શી ઝિંગપીંગે લાંબુ લગભગ દોઢ કલાકનું ભાષણ આપ્યું. એ ભાષણ એટલું સીધું અને સ્પષ્ટ છે કે કોઈએ તેના અર્થઘટન કરવા માટે રાત ઉજાગરા કરવા પડે એમ નથી.

એ ભાષણ એક વિજેતા દેશના સેનાપતિનું હોય એવું હતું. ‘ચીનની જરૂરિયાત મુજબનો ખાસ પ્રકારનાં ચીની લક્ષણો ધરાવતો’ ચીની સામ્યવાદ સફળ નીવડ્યો છે તેની તેમણે ગૌરવભેર જાહેરાત કરી હતી. 'ચીનની જરૂરિયાત મુજબનો ખાસ પ્રકારનાં ચીની લક્ષણો ધરાવતો' એવી સ્પષ્ટોક્તિ તેમણે તેમના ભાષણમાં અનેકવાર કરી છે. લગભગ પંદરથી વીસ વખત. શા માટે ન કરે? મુક્ત અર્થતંત્ર અને બંધિયાર રાજ્યતંત્રના વર્ણસંકર ચીની મોડેલની એક સમયે હાંસી ઉડાવવામાં આવતી હતી અને આ વર્ણસંકર મોડેલ તેના વિરોધાભાસને કારણે તૂટી પડશે એમ માનવામાં આવતું હતું. આજે એ મોડેલ સફળ સાબિત થયું છે, ટકાઉ પણ સાબિત થયું છે અને આશ્ચર્ય એ વાતનું છે કે જગત તેનું અનુકરણ કરવા મથી રહ્યું છે. ભાષણ વખતે શી ઝિંગપીંગની દેહભાષા (બોડી લેન્ગવેજ) જોશો તો ધ્યાનમાં આવશે કે તેઓ મૂછમાં નહોતા હસતા, પણ જાણે કે અટ્ટહાસ્ય કરતા હતા.

પરંપરાગત સામ્યવાદમાં મૂડી, માર્કેટ અને ઉત્પાદકતાના સાધનો (મીન્સ ઑફ પ્રોડક્શન) ઉપર અંકુશ રાખવામાં આવતો હતો. આ ત્રણ ચીજ અસમાન અર્થવ્યવસ્થા પેદા કરે છે અને સર્વહારાનું શોષણ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો અર્થતંત્ર રાજ્ય દ્વારા અંકુશિત હતું. ૧૯૭૮માં દેંગ ઝીયાઓપીંગ ચીનમાં સર્વેસર્વા બન્યા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું હતું કે અર્થતંત્રને અંકુશમાં રાખવાથી કોઈનું કલ્યાણ થવાનું નથી. એવું કોણે કહ્યું કે અર્થતંત્રની સફળતા માટે મોકળી સમાજવ્યવસ્થા (લોકતંત્ર) અનિવાર્ય છે અને એ બે વચ્ચેનો સબંધ અવિનાભાવી છે? ઊલટું લોખંડી રાજ્ય, સમાજને બંધિયાર રાખીને અર્થતંત્રને મોકળું મેદાન આપે તો હજુ વધારે ઝડપથી વિકાસ સાધી શકાય. તેમના એ વર્ણસંકર મોડેલને ત્યારે હસી કાઢવામાં આવ્યું હતું, પરંતુ આજે ચાર દાયકા પછી આપણે જોઈએ છીએ કે ચીનના સામ્યવાદી તાનાશાહ અટ્ટહાસ્ય કરી રહ્યા છે અને જગત જોઈ રહ્યું છે.

આશ્ચર્યની વાત છે કે જગતના લોકશાહી દેશો, જે લોકતંત્ર માટે ગૌરવ અનુભવતા હતા એ અત્યારે ચીનની ઈર્ષા કરી રહ્યા છે અને વિચારી રહ્યા છે કે પોતાને ત્યાં લોકતંત્ર ઘટાડીને કે ખતમ કરીને ચીનનો માર્ગ અપનાવીએ તો કેમ! મુક્ત સમાજ અને મૂડીવાદી અર્થતંત્ર વચ્ચે અવિનાભાવી સંબંધ છે એ ખોટી વાત છે અને સત્ય સામેના છેડે છે એવું તેમને લાગવા માંડ્યું છે. એક ડગલું વધારે ચાલશો તો એ પણ ધ્યાનમાં આવશે કે આ બ્રહ્મજ્ઞાન લોકશાહી દેશોમાં શાસકોને થયું છે એનાં કરતાં મૂડીપતિઓ શાસકોને કરાવી રહ્યા છે. દેશનો વિકાસ કરવો છે? બીજાની બરાબરી કરવી છે? આગળ નીકળી જવું છે? શાસક તરીકેનો યશ જોઈએ છે? તો સમાજને મુઠ્ઠીમાં રાખવો જરૂરી છે. સમાજને મુઠ્ઠીમાં બાંધો અને અમને આપો. અમે ડિજીટલ ટેકનોલોજી દ્વારા સમાજને મુઠ્ઠીમાં બાંધીએ તો વચ્ચે નહીં આવવાનું. મુઠ્ઠીમાં બાંધેલો માનવી અમારા માટે ગ્રાહક છે અને તમારા માટે એક મતદાતા છે. આનાથી વિશેષ તે કશું જ નથી. જો તેના અધિકારોનું રક્ષણ કરશો તો માર્કેટનું રક્ષણ નહીં કરી શકો અને જો માર્કેટનું રક્ષણ નહીં કરો તો પૈસો પેદા નહીં થાય. ટૂંકમાં પૈસા પેદા કરવા માટે સમાજને મુઠ્ઠીમાં રાખવામાં અમને મદદ કરશો અને એ રીતે અમારું રક્ષણ કરશો તો અમે તમારું રક્ષણ કરીશું. તમારું રક્ષણ પણ અંતે પૈસો જ કરવાનો છે. આમ શાસકો મૂડીપતિઓની મુઠ્ઠીમાં છે અને તે બન્નેની મુઠ્ઠીમાં સમાજ છે.

આ અસ્સલ પ્રિ-ડિજીટલ યુગનું ચીની મોડેલ છે અને અત્યારે ડિજીટલ યુગમાં જરૂરી ફેરફાર સાથે ભારત સહિત જગતના દેશો તેને અપનાવવા મથી રહ્યા છે. આ સ્થિતિમાં શી ઝિંગપીંગ વિજેતાના મિજાજમાં હોય એમાં શું આશ્ચર્ય!

તેમણે એક વિજેતા તરીકે કહ્યું છે કે એક સમયે ચીનનું અપમાન કરવામાં આવતું હતું એ દિવસો ગયા. ચીન પાસે ધરાર તેની અનિચ્છાએ સમજૂતીઓ અને સંધિઓ કરાવવામાં આવતી હતી અને તેના પર ચીનની સહી લેવામાં આવતી હતી એ દિવસો ગયા. ચીનના બાવડા આમળવામાં આવતા હતા એ દિવસો ગયા. ચીનને સલાહો (દેખીતી રીતે લોકતંત્રની) આપવામાં આવતી હતી એ દિવસો ગયા. હવે કોઈ ચીનને હાથ લગાડી શકે એમ નથી. તેમણે એમ પણ કહ્યું છે કે સમૃદ્ધ અને શક્તિશાળી દેશ પાસે શક્તિશાળી લશ્કર પણ હોવું જોઈએ અને ચીન તે ધરાવે છે. ટૂંકમાં તેમણે વિશ્વસમાજને કહી દીધું છે કે ચીન એક નવી શક્તિશાળી વાસ્તવિકતા છે અને એ વાસ્તવિકતાનો તેના દરેક પાસા (મુખ્યત્વે આર્થિક અને લશ્કરી) સાથે સ્વીકાર કરવામાં આવે. સ્વીકાર કરવો જ પડે એમ છે એમ સ્પષ્ટ કહ્યા વિના તેમણે તે કહી દીધું છે.

તેમણે ચીનની પ્રજાને પણ ચેતવણી આપી છે. ચીનને આ જે યશ મળ્યો છે એ સામ્યવાદી પક્ષને કારણે મળ્યો છે. સામ્યવાદી પક્ષ આવો દૈવી યશ મેળવી શક્યો છે તેના કૃતનિશ્ચયી, દીર્ઘદૃષ્ટિ ધરાવતા સ્વાર્થરહિત નેતૃત્વના કારણે. આ શ્રદ્ધા જળવાઈ રહેવી જોઈએ. પક્ષમાં અને નેતાઓમાં બન્ને. તેમની ભાષા અને દેહભાષા જોશો તો સ્પષ્ટ દેખાશે કે આ સલાહ નથી, અરજ તો બિલકુલ નથી, પણ ખુલ્લી ચેતવણી છે.

માનવીય મોકળાશના મૃત્યુઘંટનો મહિમા કરનારું તેમનું ભાષણ હતું જેની સામે જગતના શાસકોએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. એક દિવસ જગતમાં આવું પણ બનશે તેની કલ્પના આ લખનારે વીતેલી સદીમાં નહોતી કરી!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 08 જુલાઈ 2021

Loading

...102030...1,8681,8691,8701,871...1,8801,8901,900...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved