Opinion Magazine
Number of visits: 9674844
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આનંદલોકમાં અઠવાડિયું …..

રમજાન હસણિયા|Opinion - Opinion|2 September 2021

સૂકા મલકમાં ધોધમાર વરસાદ થાય ને જેમ હરખથી તરબતર થઈ જવાય એવું જ કંઈક છેલ્લા અઠવાડિયામાં ક્ષણેક્ષણ અનુભવ્યું. અહીં પ્રેમની વર્ષામાં ન્હાવાનું હતું ને આનંદના સાગરમાં તરવાનું હતું.

ગુજરાતનો લીલોછમ દક્ષિણ વિસ્તાર મુંબઈ જતાં ટ્રેનમાં દર વખતે તેનાં લીલા લોહચુંબકથી ખેંચતો મને. તેમાં વળી વડીલોના પ્રેમનો ચુંબક ભળ્યો ને શ્રાવણ મહિને કેટલાંક જીવતાં તીર્થોની યાત્રાએ સપરિવાર નીકળી પડ્યા દક્ષિણ ગુજરાતના પ્રવાસે.

ત્રણેક વર્ષ પૂર્વે જીવનમાં પ્રવેશેલાં ને સાવ નિકટના આપ્તજન બની ગયેલાં નિરંજનાબહેન ક્લાર્થી, તરલાબહેન શાહ, આદિને મળવું, બાળકોને એમનાં દર્શન કરાવવાં ને ઉત્તમ કાર્ય કરતી સંસ્થાઓ બાળકોને બતાવવી એ મુખ્ય આશય હતો.

આખા પ્રવાસમાં મુખ્ય મુકામ રહ્યું સરદારનું સ્વરાજ આશ્રમ-બારડોલી. ગાંધીના ખોળામાં રમેલાં ને સરદારની છાયામાં બાળપુષ્પ રૂપે પાંગરેલાં નિરંજનાબહેન ક્લાર્થી આ આખા પ્રવાસનો પ્રાણ હતાં. સુરત સ્ટેશને ઉતરવાથી માંડીને પાછા સુરત સ્ટેશન મુકવા સુધીની પ્રત્યેક ક્ષણે જેમનો નિરંતર નેહ નીતરતો સંગ મળ્યો તે નાનીબે’ન.

સરપ્રાઈઝ રૂપે ગાડીમાં હાજર નાનીબે’ને સુરત સ્ટેશને બાળકોને આલિંગન આપી આવકાર્યા ત્યારે એ મિલન વેળાને આંખમાં સ્થિર કરી લેવાનું મન થઈ ગયું. મોટાં નાની ને નાનકડા રામનો સંગ આ દિવસોને મીઠપથી ભરી દેનારો બની રહ્યો.

સરદાર કન્યા વિદ્યાલયની દીકરીઓ દ્વારા સુમધુર ગીતોથી થયેલ સ્વાગત ભાવવિભોર કરી ગયું. બસોએક આંખોમાં અવિરત છલકાતો પ્રેમ બધાને ભીંજવી ગયો.

રક્ષાબંધનનો દિવસ હતો. આગળ ક્યારેક મારાથી બોલાઈ ગયું હશે કે ક્યારેક મારો હાથ પણ રાખડીઓથી છલકાઈ જશે ! તથાસ્તુ કહ્યા વગર મારી આ મનોકામના નાનીબે’ને પૂરી કરી. સંસ્થામાં ભણતી સોએક દીકરીઓ ને નાનીબે’ન સહિત સૌએ મારા નાનકડા હાથને પ્રેમની રક્ષાથી છલોછલ ભરી દીધો. પોતાના હાથે કાચા સૂતરના તાંતણે બનાવેલી ખાદીની રાખડીઓ મારા હાથ પર બંધાતી રહી, મીઠું મીઠું ગીત ગુંજન સમાંતરે ચાલતું રહ્યું ને અંતરમાં આનંદની છોળો ઉછળતી રહી. ભાઈ બહેનને નહિ બહેન ભાઈને રક્ષણ આપે છે એવી મારી અંગત વાતો કરી બહેનો પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા પણ અહીં જગ્યા મળી.

વ્હાલી નાનકડી બહેનો સાથે ગરબા લઈને ઉજવણીને આનંદભેર સંકેલી. સાંજે આસપાસ સ્વજનોના ઘરે જઈને સૌને મળ્યાં ને એમાં સંધ્યાબહેન ભટ્ટને ત્યાં ગોઠડી માંડી. તેમને પ્રત્યક્ષ મળવાની મજા પડી.

બીજા દિવસની સવારે સવારી ઉમરગામ ભણી ઉપડી. ગીતાબહેન નામે એક મોટું ચુંબક ત્યાંથી ખેંચી રહ્યું હતું. નાનકડી દિવડી, ચંદન તિલક ને હાથમાં અત્તર લગાડીને  ગીતાબહેને વિશિષ્ટ સ્વાગત કર્યું.  બધાએ ભેગાં મળી ભોજન લીધું ને સીધા ઉપડ્યા નારગોલના દરિયે .. બાળકો તો દરિયો જોઈ ગાંડા ગાંડા જ થાય. સાંતાક્લોઝ જેવાં મનીષભાઈએ સૌને આનંદ કરાવ્યો. ગીતાબહેને શીખવાડેલી રમત તો પછી આખું અઠવાડિયું રમતાં રહ્યાં. ઉમરગામના સ્વજનોની સાથે ઢગલા મોઢે વાતો કરી, પેટ છલકાઈ જાય એટલું ખાધું ને પ્રેમનું સંગીત તો બેકગ્રાઉન્ડમાં વાગતું જ રહ્યું.

વળતાં મકરંદભાઈ અને ઈશામાની જગ્યા નંદીગ્રામ જવું જ હતું. આ બધી મારે મન તીર્થભૂમિ જ છે. બાળકો સમજે કે ન સમજે પણ ચિત્તના કોઈ ખૂણે એકાદ નાનકડો સંસ્કાર આ જગ્યાનો પડી જાય તો પ્રવાસ સાર્થક. બંને સાધકોની સમાધિના દર્શન કર્યાં. એ જગ્યાની ચેતનાને આંખોમાં ભરી અમે એ જગ્યાએથી નીકળ્યા પણ જગ્યા અંતરથી હજુ નથી નીકળી.

'મારાં બચ્ચાંઓ કચ્છથી આવ્યાં છે તો લાવને એમને જરા ડાંગનું જંગલ બતાવું. નદી ને ધોધ બતાવું.' આવું કહી નાની અમને લઈ ગયાં ડાંગના જંગલોમાં. આંખ છલકાઈ જાય એટલી લીલપ.  ચોતરફ બસ વનરાજી ને વહેતાં વારિ …

ઉકાઈ ડેમનો પાણીનો જથ્થો જોઈએ તો દરિયો જ લાગે તો જંગલોની ગીચતા ને હરિયાળા મેદાનો જોઈ એમ થાય કે, 'લીલી પછેડી ઓઢીને એની આડમાં ધરતી આ કેવું મીઠું મીઠું ગાય છે !'

પંપા સરોવર ને શબરીધામનું ખેંચાણ થાય એ સ્વાભાવિક છે. બંને ધામના દર્શન કરી આંખ પણ પવિત્ર થઈ. ધીરજની પર્યાય એવી શબરીના ધામમાંથી નીકળતાં મારાથી બોલાઈ ગયું કે મા શબરી રાહ જોતાં શીખવાડજે. પ્રતિક્ષાની આરાધના કરનાર શબરીને ઘેર રામને આવવું પડે એ જ તો છે એનાં સંતત્વનો પરતાપ.

ત્યાંથી અમારો રથ દોડાવતાં ગુલ્લુભાઈ સાપુતારાના વાદળોને વીંધતા પહાડો પર લઈ ગયા. બાળકોના આનંદનો પાર નહિ. બોટિંગની મજા માણી, ખાધું, પીધું, ફોટા પાડ્યા, સાઈકલ ચલાવી, હર્યા, ફર્યા ને મજા કરી. જલસા કરો જેન્તીલાલ સૂત્ર અમારા માટે જ જાણે બનાવ્યું હોય એટલી મજા કરી.

બીજી સવારે  થોડાં વધુ ઊંચા પહાડ પર ચડ્યા. દૂર સુધી લીલાંછમ ડુંગર દેખાય, ઠંડો ગમે એવો વાયુ વાય ને આનંદ કરતાં કરતાં એક એક જગ્યા જોવાતી જાય. વળતા અંધજનો માટેની બહુ મોટી શાળાની મુલાકાતે ગયા. કેવાં કેવાં સ્થળે કેવાં કેવાં લોકો કેવાં કેવાં ઉમદા કામો કરે છે એની પ્રતીતિ આવી જગ્યાએ જઈએ ત્યારે થાય. બ્રેઈલ લિપિની લાયબ્રેરી, કમ્પ્યુટર પર શીખતાં બાળકો જોઈ આંખો છલકાઈ ગઈ.

ત્યાંથી ઊતરતાં  ગિરા ધોધ પહોંચ્યાં. અહાહા ! થઈ જવાય એવી જગ્યા. નદી ને ઝરણાં તો આખે રસ્તે ભાઈબંધની જેમ ભેગાં જ દોડતાં હતાં પણ આ તો પાણીનું એથીયે સુંદર રૂપ ! સફેદ દૂધ વહેતું હોય તેવું આ દૃશ્ય હજુ કીકીમાં કેદ કરી રાખ્યું છે.

રસ્તામાં સાગનાં વૃક્ષો આવ્યાં તો કાજુનાં ઝાડ પણ મેં પહેલીવાર જોયાં. વૃક્ષોનું વૈવિધ્ય પણ આશ્ચર્ય પમાડે તેવું.

પહાડ, જંગલ, નદી, ઝરણાં ને ધોધનો આનંદ લઈ ફરી પહોંચ્યા મુકામ પોસ્ટ બારડોલી.

ગુરુવારની સવારે વાલોડમાં શિક્ષણ ને સમાજસેવાની ધૂણી ધખાવીને બેઠેલાં તરલાબહેન શાહને મળવા નીકળી પડ્યાં. વેડછીનો વડલો કહેવાયેલાં જુગતરામ દવેની જગ્યા સૌએ જોઈ, ત્યાંની ધૂળ માથે ચડાવી તરલાબહેનના ઘરે પહોંચ્યા. અગણિત કુંડામાં શોભતાં ફૂલછોડ અમારાં સ્વાગત માટે ઊભાં હતાં. હસતા હસતા ઘણી વાતો કરી અમે સૌ સંગાથે નીકળ્યાં વનસ્થલી ભણી. ઉર્વીનભાઈ અને પ્રાંશુભાઈ સાથેની વાતો કરવાની મજા પડી.

તરલાબહેન શાહની રાહબરીમાં ચાલતી, ધસમસ વહેતી નદીનાં કાંઠે વૃક્ષોની છાંયમાં આવેલી શૈક્ષણિક સંસ્થા વનસ્થલી જોવાની સૌને ખૂબ મજા પડી. તરલાબહેને આયોજનપૂર્વક સૌ શિક્ષકોની સાથે પ્રથમ ગોઠડી મંડાવી. એક તરફ વાતો ચાલુ હતી ને બીજી તરફ નદી બોલાવી રહી હતી. વધુ સમય તેની ઉપેક્ષા થઈ શકે તેમ ન્હોતી. નદીને નિકટથી જોઈ – અનુભવી પાછા વળ્યા ને ફરી બાળકો સાથે થોડી વાતો કરી. ખાનગીમાં મને તો તેમની અદેખાઈ જ આવી. આવી જગ્યાએ રહીને ભણવાની તો કેવી મજા પડે !

સમૂહ ભોજનમાં શિખંડ ને ખમણ દબાવીને ખાધાં એ તો ખરું જ પણ કચ્છીઓને છાસ ન મળે તો ભાણું અધૂરું લાગે એની કાળજી નાનીબે’ન અને તરલાબહેન બંનેએ બરાબરની લીધેલી. જ્યાં પણ જમીએ ત્યાં અમારા માટે છાસ તો હાજર જ હોય. કાળજી લે તેને મા કહેવાય. ગીતાબહેને પણ સ્વાગતમાં છાશ જ પીવડાવેલી.

આ પ્રવાસમાં એક દિવસ મુંબઈના સ્વજન જયંતભાઈ ગંગર પણ ભળ્યા હતા. બપોર પછી અમને સૌને નાનીએ સરદાર મ્યુઝિયમ અને સરદાર નિવાસ પણ બતાવ્યાં. એમાં એક એક ફોટો કે જગ્યા બતાવતાં બતાવતાં એમનાં ચહેરા પર જે ઉત્સાહ ને તેજ આવી જાય તે જોઈ એમ જ લાગે કે સરદારે જાણે શરીર પ્રવેશ કર્યો ન હોય !

શુક્રવારની સવારે અમે પહોંચ્યા નવસારી. પ.પૂ. આચાર્ય વિજયશીલચંદ્રસૂરિ મહારાજના દર્શને. નાનીબે’નને જોઈને મહારાજ પણ રાજી રાજી. યુવાવયે મુકુલ ક્લાર્થીનાં પુસ્તકોના સેટ વાંચ્યાની વાતો કરી સાહેબજીએ તો નાનીને મળીને લેખકને મળ્યાની ખુશી અનુભવી. એમનાં સત્સંગનો લાભ મળ્યો તે અહોભાગ્ય !

નવસારીમાં જ રહેતાં ગાંધીજીના દીકરા હરિલાલ ગાંધીનાં દોહિત્રી નીલમબહેન પરીખને પણ મળવા ખાસ તેમનાં ઘરે ગયાં. એમનાં બેક પુસ્તકો વિશે પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીમાં વાત થયેલી ત્યારે તેઓ જોડાયેલાં. જીવનનાં નવ દાયકા વટાવી ચુકેલા ને ખૂબ કામ કરી જીવનને સાર્થક કરી શકેલાં નીલમબહેન પણ સૌને મળીને બહુ જ રાજી થયાં. સાવ પાતળી દેહયષ્ટિમાં શોભતું એમનું ગરિમાવંત જીવન જોઈ આંખો ધન્ય થઈ !

ત્યાંથી આપણો રથ આગળ વધ્યો દાંડી ભણી … ઐતિહાસિક દાંડીકૂચનાં ગામો વચ્ચે આવતાં ગયાં ને આખરે દરિયાકિનારે ચપટી મીઠું ઉપાડીને કરાયેલા સવિનય કાનૂનભંગની ભૂમિ પણ આવી.  દાંડીકૂચને સરસ રીતે ઉજાગર કરતું નવું બનેલું સ્મારક જોયું. કૂચ દરમિયાન બનેલી નાનકડી પણ મહત્ત્વની ઘટનાઓના દૃશ્યો જોઈ ઘણું જાણવા મળ્યું. છેલ્લે બાળકોની દરિયામોજ તો ખરી જ ….

છેવટે પરત ફરવાનો દિવસ આવી ગયો. સવારે દીકરીઓ સાથે ફરી થોડી વાતો કરી. એ અગાઉ રમતો રમેલાં, ગીતો ગાયેલાં ને મજા કરેલી તે તો ખરી જ. નાનીબે’ન અને પ્રજ્ઞાબહેન સાથે નિરાંતે બેસીને ખૂબ વાતો કરી. આ બધા દિવસોમાં જે નિરાંત અનુભવી તે છેલ્લે ક્યારે અનુભવેલી તે યાદ નથી.

માના ખોળામાં બાળક નચિંત હોય તેમ અમે સૌએ નાનીને ખોળે મજા કરી. ક્યાંયે કોઈ રોકટોક નહિ, કોઈ સૂચના નહિ, માત્ર ને માત્ર વ્હાલ, વ્હાલ ને વ્હાલ …

સતત પ્રવાસમાં અમારી સાથે હોય, ગમે તેટલો સમય થાય પણ થાકનું નામ તમે ચહેરા પર વાંચી ન શકો, કંટાળો કે આળસ સાથે કોઈ દૂરનો પણ નાતો નહિ. લોખંડી મહિલા બનીને કામ કરનાર નાની અંદરથી કેટલાં કોમળ કોમળ છે ને કેવાં ઉર્જાવાન છે તે તો આ રીતે સાથે રહે તે જ જાણી શકે.

જેમણે હજારો દીકરીઓનાં જીવનમાં જીવતરની કેળવણીનું વાવેતર કર્યું છે એમની ઓથમાં બાળકો અઠવાડિયું રહ્યાં એ જ મારે મન પરમ ભાગ્યની વાત.

સવાર પડે ને લગભગ બે હજાર ફૂલછોડથી શોભતું બારડોલીનું આ નાનકડું શાંતિનિકેતન મહેકી ઊઠે ફૂલોની મહેકથી. પણ એ મહેકની અંદર ભળી હોય નાનીની અસીમ પ્રેમની મહેક. એમની સાથે હીંચકે ઝૂલતા ઝૂલતા ચા પીવાની જે મજા પડે તે તો શબ્દોમાં કેમ કહું ?

એમનાં જ પગલે ચાલતાં પ્રજ્ઞાબહેનનાં કામોની વાત કરવા બેસું તો આનાથી લાબું લખવું પડે. નાનીના વિદ્યાર્થીની ને હવે કલાસ વન મેડિકલ ઓફિસર ડૉ. રામીબહેન ને પ્રજ્ઞાબહેન અમારા માટે થેપલાં વણવા બેસી જાય ત્યારે ગાવું જ પડે કે સબસે ઊંચી પ્રેમ સગાઈ … ચારેક દિવસ ચાલે એટલું ભાથું બાંધી આપે ને એથીયે મોટું જીવનભર ચાલે એવું પ્રેમભાથું પણ ….

ફરી ક્યારે આવશો એવું પુછાય ત્યારે ત્યાં જ રહી જવાનું મન થાય.

એક અઠવાડિયું આનંદલોકમાં રહીને જે મજા કરી તેનાં અહીં તો માત્ર શબ્દછાંટણા જ કર્યાં છે, બાકી તો એક એક દિવસ ને એક એક વ્યક્તિ વિશે લખવા પુસ્તક લખવું પડે, જે માટે પાછા નિરાંતે બારડોલી જવું પડે !!!!

e.mail : ramjanhasaniya@gmail.com

Loading

ટૂંકીવાર્તાની કલા વિશે મારાં મન્તવ્યો (5)

સુમન શાહ|Opinion - Literature|1 September 2021

(અનેક મિત્રોના સૂચનને વશ થઈ હવેથી દરેક લેખમાં એક જ મન્તવ્ય રજૂ કરીશ.)

ટૂંકીવાર્તામાં શું શું હોવું જોઇએ એ અંગે જાત જાતની વાતો અને સલાહો સાંભળવા મળે છે.

જેમ કે, “ચેખવ’સ ગન”-ની વાત. જેમ કે, ’પ્રૅગ્નન્ટ મૉમેન્ટ’-ની વાત. જેમ કે, ટૂંકીવાર્તામાં ટેલિગ્રામના તાર જેવી ‘બ્રીફનેસ’ હોવી જોઇએ. જેમ કે, ટૂંકીવાર્તામાં ‘એપિક ટેનર’ હોવી જોઇએ. જેમ કે, વાર્તાકાર મિત્રોને હું સલાહ આપતો હોઉં છું કે જીવનની નકલ નહીં પણ જીવનનો પીછો કરો, પછી શું કરવું તે માટે પોતાની સર્જકતાને પૂછો. વગરે વગેરે.

પણ ફોડ પાડીને કોઇ ભાગ્યે જ સમજાવે છે, એવી પૂર્વધારણાને કારણે, કે વાર્તાકારો બધું સમજે છે. પણ કોઈ કોઇ વાર્તાકારો સમજવા માગતા જ નથી, એમને એમ હોય છે કે – મારે સલાહની ક્યાં જરૂર છે, મારું તો વરસોથી સરસ મજાનું ચાલે છે.

આમ, આવી સલાહો નહીં વપરાયેલાં અથવા ઓછાં વપરાયેલાં શસ્ત્રોની જેમ આપણા વિવેચનસાહિત્યમાં પડી રહી છે. કોઈકે સમીક્ષા કરવી જોઈશે કે આવુંતેવું અતિ ઉપયોગી છે છતાં કયાં કારણોથી આપણે ત્યાં અધબોબડું રહી ગયું છે.

આજે, ચેખવ’સ ગન વિશે કહું :

૧૨ : ટૂંકીવાર્તામાં ચેખવ’સ ગન :

ચેખવે કથાલેખકને સલાહ આપેલી કે જો તમે પહેલા પ્રકરણમાં એમ બતાવો કે દીવાલ પર બંદૂક લટકે છે, તો બીજા કે ત્રીજા પ્રકરણમાં એ ફૂટવી જોઈએ. જો ફૂટવાની ન હોય તો એને લાવશો જ નહીં. નાટક માટે પણ કહેવાવા લાગ્યું કે પહેલા અંકમાં બંદૂકને દીવાલ પર બતાવી હોય તો બીજા કે ત્રીજા અંકમાં એ ફૂટવી જોઈએ.

મતલબ એટલો જ છે કે વાર્તાની કોઈપણ વીગત ફન્કશનલ હોવી જોઈશે – એટલે કે બંદૂક ફૂટે એમ એ વીગતે પોતાનું કામ કરવું જોઈશે. નહિતર એ વીગત ન લાવો. કશું પણ, કામ વગરનું નહીં ચાલે; ઘુસાડશો, તો દેખાડો લાગશે. પ્રત્યેક એકમ અખિલનો અંશ હોવો જોઈશે. વાર્તાકારે ઉચિત શબ્દ પર ઉચિત શબ્દ જોડીને વાર્તાની ઇમારત ચણવાની હોય છે. અપ્રસ્તુત, ફાલતુ વસ્તુ ન લાવો, માત્ર અને માત્ર અનિવાર્ય હોય એને જ લાવો. નહિતર, ઇમારતનો વિકાસ નહીં થાય, વાર્તામાં ઝોલ પડી જશે, વાચકો કંટાળશે. અનિવાર્ય જ કારગત નીવડશે. વસ્તુગુમ્ફનમાં કે પાત્રના આલેખનમાં બિનજરૂરી વીગતો લાવશો તો સમય-વ્યય સિવાય જુદું કશું થાય નહીં. નાની કે મોટી અનિવાર્ય વીગત જ વાર્તાના વિકાસમાં ઉપકારક પુરવાર થાય છે. એથી વાર્તા સર્વથા સુસંગત અનુભવાય છે.

વાર્તા કલાસૌન્દર્ય માટે છે. સૌન્દર્યને સુસંગતિ ખપે છે. મધ્યકાલીન કવિઓ સુન્દરીને વર્ણવવા ‘ગ્રીવા કપોત સરીખડી’-થી માંડીને એનાં અંગાંગને વર્ણવવા ઉપમાનો પર ઉપમાનો ખડક્યે જતા. એવો ‘કવિસમય’ હતો – ધાટી, પ્રથા. આપણો શામળ ભટ્ટ ‘નંદબત્રીસી’-માં રાજાએ ‘બેઠી દીઠી ત્યાં કામિની, એવી નહિ ભૂતળ ભામિની’-થી શરૂ કરીને, એને ગજગામિની તો કહે છે, પણ એના મુખને પૂનમનો ચન્દ્ર, નયનના આકારને અંબુજદલ, કટિના લાંકને સિંહાકાર તથા પાયને પોયણપાન સરીખા ને એની શ્રીકાયને કરેણકાંબ સરીખી કહે છે. ઉપમાનો સારાં, પણ સુસંગત નથી. એક જ સુન્દરીનું દરેક અંગ આવું ‘રૂપાળું’ હોય તો એ કેવી લાગે? એ ઉપમાનોથી સૌન્દર્યઘાતક વિસંગતિ અનુભવાય છે.

પ્રદ્યુમ્ન તન્નાએ એ મધ્યકાલીન સુન્દરીને, એક જ સુન્દરીના દેહને, એવાં બધાં ઉપમાનો સાથે ચીતરી બતાવેલી – ભયાનક દેખાતી’તી. એ ચિત્ર બચુભાઈએ ‘કુમાર’માં છાપેલું એમ યાદ આવે છે.

Picture Courtesy : TARDISLOCK – wordpress.co

સંસ્કારનગરી વડોદરામાં, પાંત્રીસેક વર્ષ પહેલાં, દર વર્ષે એકાંકી નાટ્યસ્પર્ધાનું સપ્તાહ ઉજવાતું હતું. રોજનાં ચાર કે પાંચ એકાંકી ભજવાય ને છેલ્લે દિવસે નિર્ણયો જાહેર થાય. એમાં મારે ત્રણ-ચાર વાર બે નિર્ણાયકો ઉપરાન્તના ત્રીજા નિર્ણાયક રૂપે જવાનું થયેલું. એક એકાંકીમાં ઑફિસનું દૃશ્ય હતું. ટેબલ પર ફાઇલો વગેરે હોય તે તો બરાબર પણ એના મોટા મોટા થોકડા ગોઠવેલા. પોતે બરાબર દેખાય તે માટે સાહેબ એને ખસેડ્યા કરતા’તા. લાલ, વાદળી ને કાળો એમ ત્રણ ત્રણ ફોન ગોઠવેલા. પ્યૂનને બોલાવવા માટેના બે બેલ રાખેલા – બન્નેના આકાર અલગ. પાત્રે ડોરબેલ વગાડીને દાખલ થવાનું. શી જરૂર? ઘર થોડું હતું? કારણ વગરનો આ ભભકો ચાડી ખાતો’તો કે દિગદર્શક પ્રૉપનો ઠઠાડો કરે છે પણ કલામાં નથી સમજતો. અમે નિર્ણાયકો મશ્કરી કરતા કે આમાં ફોનના અને બેલના કોઈ વેપારીઓને સંડોવ્યા હશે …

મજાની વાત એ છે કે ચેખવ’સ ગન વિશે વીસેક મિનિટની ફિલ્મ બની છે – ચેખવની એ સલાહનું પિક્ચરાઈઝેશન. એમાં એક પાત્ર ગન શોધી લાવે છે ને એ ફૂટે ત્યાં લગી મંડ્યો રહે છે. ફિલ્મ એક ક્વોટ છે, ક્વોટમાં પાત્રચેખવ બંદૂક ફોડવા આડો મરડાય છે, બીજાં પાત્રો એમાં સહાયક પ્રૉપ્સની ભૂમિકા ભજવે છે.

આમ તો, ચેખવ’સ ગનની વાત કોઈ પણ કલાસર્જનને લાગુ પડે છે. કેમ કે કલા, ન તો અલ્પોક્તિ સહી લે છે, ન તો અતિશયોક્તિ. ગઝલના સર્જકને રદીફ-કાફિયાનો મોટો હારડો સૂઝી શકે, પણ, એથી કરીને એ શેઅર પર શેઅર ઠોક્યે રાખે, તે કેમ ચાલે? આલાપમાં સૂરને અનાવશ્યકપણે લંબાવનારો ગાયક આપણને ચીડવે છે. એનો એ ચાળો આગળના ગાયનને વણસાડી મૂકે છે. કલામાં કશું પણ પ્રદર્શાનાર્થે નથી નભતું. ઊલટાનું એ એમ દર્શાવે છે કે તમે રાચો છો, અણઘડ છો, કલાકાર નથી.

= = =

(September 1, 2021: USA)

Loading

ભાઈબહેનની અજબ જોડી : બેન્જામિન ફ્રેન્કલિન અને જેન મેકમ

સોનલ પરીખ|Opinion - Opinion|1 September 2021

બેન્જામિન ફ્રેન્કલિન વિશ્વવિખ્યાત, જેન સીધીસાદી ગ્રામનારી. બેન્જામિનના જીવનનું કેન્દ્ર એ પોતે હતા. જેનના જીવનનું કેન્દ્ર તેનાં સંતાનો અને તેમનાં સંતાનો હતાં. જેન તેના ભાઈની સતત વધતી પ્રસિદ્ધિથી ચકિત થતી. તેના પ્રકાશમાં તેની બોસ્ટનની જર્જર જિંદગી ઝગમગી ઊઠતી. બેન્જામિને બીજાઓ સમક્ષ જેનનો ઉલ્લેખ પણ ભાગ્યે જ કર્યો છે.

પણ છ દાયકાથી વધારે લાંબો પત્રવ્યવ્હાર એમના સંબંધની લાઈફલાઈન હતી. બે જુદાં વિશ્વોમાં જીવતાં આ ભાઈબહેનનું સહિયારું પણ એક વિશ્વ હતું. આપણું આપણા ભાઈબહેનો સાથે સહિયારું એવું કોઈ વિશ્વ છે ખરું?

‘તું લખજે. મારી હેસિયત મુજબ હું સમજીશ.’ આ વાક્ય બહેનના પત્રોમાં વારંવાર ડોકાતું. એનો ભાઈ એની ‘હેસિયત’ જાણતો, છતાં પોતાની સિદ્ધિઓ વિશે જણાવતો – બણગા ફૂંકવા માટે નહીં, પણ દુનિયામાં થઈ રહેલાં પરિવર્તનો વિશે બહેન પણ જાણે એવી ભાવનાથી. આ ભાઈનું નામ બેન્જામિન ફ્રેન્કલિન.

બેન્જામિન ફ્રેન્કલિન એટલે જેના ઉલ્લેખ વગર સ્વતંત્ર અમેરિકાનો ઇતિહાસ અધૂરો રહે તેવો બહુઆયામી પ્રતિભાશાળી પુરુષ – લેખક, વિજ્ઞાની, રાજનીતિજ્ઞ, પ્રિન્ટર, પબ્લિશર, પોલિટિકલ ફિલોસોફર. સત્તર-અઢારમી સદીમાં યુરોપની કોલોનીઓમાં વહેંચાયેલા અમેરિકાને સ્વતંત્ર કરવામાં અને દુનિયામાં અગ્રેસર બનાવવામાં બેન્જામિન ફ્રેન્કલિનની નિર્ણાયક ભૂમિકા હતી. જેન આ વિરાટ પુરુષની સીધીસાદી બહેન હતી. ફ્રેન્કલિન પરિવારના સત્તર સંતાનોમાં બેન્જામિન ભાઈઓમાં અને જેન બહેનોમાં સૌથી નાનાં, ને ‘બેની એન્ડ જેની’ તરીકે ઓળખાતાં. રક્ષાબંધનનો શુભ તહેવાર દેશભરમાં ઊજવાઈ રહ્યો હોય ત્યારે ભાઈબહેનની આ અનોખી જોડીને યાદ કરવી ગમશે.

18મી સદીની શરૂઆતમાં આ બન્નેનો જન્મ. દુનિયાના ઇતિહાસમાં 18મી સદીનું ખૂબ મહત્ત્વ છે. અમેરિકન, ફ્રેન્ચ અને હૈતીની ક્રાંતિઓ આ સદીમાં થઈ. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. સમાજ, જીવનશૈલી અને પર્યાવરણમાં મોટા ફેરફારોની શરૂઆત થઈ. બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય દુનિયાભરમાં તપતો હતો. ભારતમાં મોગલ શાસનનો અંત અને આખા દેશ પર બ્રિટિશ પ્રભુત્વ આ જ સદીની ઘટનાઓ હતી.

અમેરિકા બ્રિટિશ અને અન્ય યુરોપીય દેશોની વસાહતોનું નામ હતું. ઈંગ્લેન્ડથી આવીને અહીં વસેલા જોશીઆ ફ્રેન્કલિન સાબુ અને મીણબત્તી બનાવતા. એ સમયની રીત પ્રમાણે દીકરો બેન્જામિન સ્કૂલમાં જતો, દીકરી જેન ભરત-ગૂંથણ અને ઘરકામ શીખતી. બેન્જામિન જે શીખે તે છ વર્ષ નાની બહેનને શીખવે. આમ તે વાંચતાં-લખતાં શીખી.

17 વર્ષની ઉંમરે બેન્જામિને ઘર છોડ્યું ત્યારે જેન 11 વર્ષની. 15 વર્ષની ઉંમરે જેનનાં લગ્ન બાવીસ વર્ષના એડવર્ડ મેકમ સાથે થયા. યુરોપમાં થતી શોધખોળો, લાયબ્રેરી વગેરે બેન્જામિનને આકર્ષતાં. યુરોપ જીતે છે કારણ કે તેની પાસે જ્ઞાન છે. આપણે પણ જીતવું હોય તો જ્ઞાન વધારવાનું છે એ તેને સમજાઈ ગયું હતું. તેમણે પ્રિન્ટિંગ-પબ્લિશિંગમાં નામ કાઢ્યું. લેખક બન્યા, વૈજ્ઞાનિક શોધખોળો કરી, લાયબ્રેરીઓ શરૂ કરી અને આખી પ્રજાની ઊર્જાને સ્વાતંત્ર્ય અને જ્ઞાનના રાજમાર્ગ પર લાવી મૂકી.

સાથે રહેવાનું થતું નહીં, બન્ને પત્રો લખતાં. પહેલો પત્ર બેન્જામિને 21 વર્ષની ઉંમરે લખેલો છે. બેન્જામિન પોતાના બદલાતા વિશાળ વિશ્વ વિશે ઘણું લખતા. જેન રસથી વાંચતી અને લખતી, ‘મને કેટલું સમજાયું તે ખબર નથી, પણ તું લખતો રહેજે.’ અને ‘મારા સ્પેલિંગ, ગ્રામર અને ભાષા ગરબડિયાં છે. પણ તું એને સમજી લેશે એમ ધારું છું.’ બેન્જામિન લખતા, ‘ચિંતા ન કર. તું સારું લખે છે.’ અને લખતા કે ‘જે વાતો મિત્રો સાથે અમસ્તા કરતા હોઈએ એ પત્રમાં લખાય નહીં. ધ્યાન રાખવું જોઈએ.’ પણ પછી મોકળાશથી ન લખવા માટે ઠપકો પણ આપતા.

જેનનો પતિ એડવર્ડ સ્કૉટિશ મોચી હતો અને માનસિક અસ્થિરતાથી પીડાતો હતો. આ અસ્થિરતા તેના બે સંતાનોને પણ વારસામાં મળી. લગ્ન પછી એ ફ્રેન્કલિન કુટુંબ સાથે રહેવા આવી ગયો હતો અને કમાવાના નિષ્ફળ પ્રયત્નો કરી દેવું વધારતો રહેતો. જેન પરિવારના સાબુ બનાવવાના ધંધામાં કામ કરી આવક ઊભી કરતી અને એક પછી એક જન્મતાં સંતાનોને ઉછેરતી. ઝડપથી તેનાં શરીર-મન કંતાતાં ગયાં. ભાઈ બેન્જામિન સાથે નિયમિત ચાલતો પત્રવ્યવહાર તેના જીવનનું બળ હતો.

જે વર્ષે બેન્જામિને અમેરિકામાં પહેલી લાયબ્રેરી શરૂ કરી તે વર્ષે જેન 21 વર્ષની થઈ હતી. બેન્જામિને તેને એક પુસ્તક આપ્યું, ‘ધ લેડીઝ લાયબ્રેરી.’ જેન 38 વર્ષની થઈ ત્યારે બેન્જામિને તેને પોતાની ‘એક્સપેરિમેન્ટ એન્ડ ઑબ્ઝર્વેશન્સ ઓન ઈલેક્ટ્રીસીટી’ મોકલી. બેન્જામિને બીજા કોઈ પણ કરતાં વધારે પત્રો જેનને લખ્યા છે.

બાવીસ વર્ષમાં જેન બાર વાર સગર્ભા થઈ. છેલ્લા સંતાનને જન્મ આપ્યો ત્યારે તે 39 વર્ષની હતી. બેન્જામિનને ત્રણ સંતાનો હતાં. એમની જિંદગી નવાં કામો, પુસ્તકો, પ્રયોગો અને રાજનીતિમાં વ્યસ્ત હતી. જેનનો એક દીકરો ટ્રેન્ટન યુદ્ધમાં ખોવાઈ ગયો હતો. બે દીકરાને માનસિક સમસ્યાઓ હતી. કેટલાક સંતાનોને આજે જેને ટી.બી. કહીએ છીએ તેવી બીમારી હતી. બારમાંના અગિયાર સંતાનોને તેણે પોતાના હાથે દફનાવ્યાં. એક જ સંતાન લાંબું જીવ્યું. પતિ 38 વર્ષના લગ્નજીવન બાદ મૃત્યુ પામ્યો. જેન અને એની બે દીકરીઓને સાબુની દુકાન કરવી હતી ત્યારે એ માટેની સામગ્રી બેન્જામિને લંડનથી મોકલી હતી.

જેન વિશે માહિતી મેળવવાના બે જ સ્રોત છે – બચેલા પત્રો અને એક નાની, ચાર ફૂલસ્કેપ પાનાં સાંધીને બનાવેલી બુકલેટ ‘અ બુક ઑફ એજિસ’. એમાં એણે એના પતિ અને બાળકોનાં જન્મ, લગ્ન અને મૃત્યુની તારીખો લખી છે. આટલી સામગ્રી પરથી જિલ લેપોરે નામની લેખિકાએ એક પુસ્તક લખ્યું છે, ‘બુક ઑફ એજિસ : એ લાઈફ એન્ડ ઓપિનિયન ઑફ જેન ફ્રેન્કલિન’ તેની શરૂઆતમાં તે લખે છે, ‘વિખ્યાત ભાઈના હાથમાં કલમ હતી અને અવિખ્યાત બહેનના હાથમાં સોયદોરા! ભાઈ દુનિયાભરમાં ફરતો હતો. જેનને થતું કોઈ મને કાઢે – આ ઘરમાંથી, બૉસ્ટનમાંથી, આ દુનિયામાંથી.’

જેન બેન્જામિનને પોતાનો ‘સેકન્ડ હાફ’ માનતી. જેન એમને માટે ‘અડધું વિશ્વ’ હતી, પણ આ બે અડધિયાંનાં વિશ્વો કેટલાં જુદાં હતાં! 1870-80ના દાયકામાં બેન્જામિન અમેરિકાના સ્વાતંત્ર્યયુદ્ધ અને બંધારણના ઘડતરમાં મગ્ન હતા, ત્યારે જેનની એક દીકરી સેલી ગુજરી ગઈ હતી. તેનાં ચાર છોકરાંને જેન ઉછેરતી હતી. એમાંનાં બે પણ મૃત્યુ પામ્યાં. ત્યાર પછી જેનનો પતિ અને બીજી એક દીકરી મૃત્યુ પામ્યાં. ‘ઈશ્વર આપે છે અને તે જ લઈ પણ લે છે. શું કહું, મારાથી સહન થતું નથી. પણ તું મને તારા લેખો વિશે ચોક્કસ જણાવતો રહેજે.’ જેને લખ્યું. સપ્ટેમ્બર 1767ના દિવસે જેને તેની છેલ્લી નોંધ લખી : ‘મારી વહાલી દીકરી પોલીનું મૃત્યુ થયું.’ આ લખતી વખતે તેના અક્ષર ધ્રૂજી ગયા છે, ‘દરિયાનાં મોજાંની જેમ દુ:ખ મારા પર ફરી વળ્યું છે.’ પછી લખે છે, ‘ઈશ્વર માલિક છે. હું શરણાગત છું.’

જેને પહેલા સંતાનનું નામ પિતાના નામ પરથી ને છેલ્લા, બારમા સંતાનનું નામ માતાના નામ પરથી પાડ્યું હતું. એ બન્ને એક વર્ષના થયા પહેલા જ મરી ગયા હતા. એક સંતાનનું નામ તેણે બેન્જામિન પણ પાડ્યું હતું. વારંવાર સુવાવડો, બાળઉછેર અને બાળમરણો વચ્ચે જેને વૃદ્ધ માની સેવા પણ કરી. બેન્જામિન સેનેટમાં ચૂંટાયા ત્યારે જેને મા વતી પત્ર લખ્યો. મા જેનના હાથમાં જ મરી ગઈ. તેનું દફન પણ જેને જ કર્યું. પછી બેન્જામિને કબર બંધાવી અને લખાણ કોતરાવ્યું. પૈતૃક સંપત્તિમાં મળેલો પોતાનો ભાગ તેમણે જેનને આપ્યો અને એક ઘર પણ, જેમાં તે થોડાં વર્ષ રહી – બચેલી એકમાત્ર દીકરી સાથે. જીવનના છેલ્લાં 30 વર્ષમાં બેન્જામિનના ભાઈઓ બહેનોમાંથી એક માત્ર જેન જીવિત હતી. 1790માં બેન્જામિનનું મૃત્યુ થયું. પોતાના મૃત્યુ પછી દર મહિને એક સરખી રકમ જેનને મળતી રહે એવી વ્યવ્સ્થા એમણે કરી હતી. જેન 1794માં મૃત્યુ પામી.

બેન્જામિન પારિવારિક ઇતિહાસ વિશે ખૂબ સંવેદનશીલ હતા. જેન એમને માટે પારિવારિક માહિતીઓનો સ્રોત હતી. પણ એમને મન પરિવાર એટલે ભૂતકાળ – પોતાના અત્યંત સફળ જીવનની પ્રસ્તાવના અને જેન માટે પરિવાર એટલે તેનું સર્વસ્વ, તેને ઘેરીને ઊભેલો વર્તમાન. બેન્જામિનના જીવનનું કેન્દ્ર એ પોતે હતા. જેનના જીવનનું કેન્દ્ર તેનાં સંતાનો અને તેમનાં સંતાનો હતાં. જેન તેના ભાઈની સતત વધતી પ્રસિદ્ધિથી ચકિત થતી. તેના પ્રકાશમાં તેની બોસ્ટનની જર્જર જિંદગી ઝગમગી ઊઠતી. બેન્જામિને બીજાઓ સમક્ષ જેનનો ઉલ્લેખ પણ ભાગ્યે જ કર્યો છે.

બે જુદાં વિશ્વોમાં જીવતાં આ ભાઈબહેનનું સહિયારું પણ એક વિશ્વ હતું. આપણું આપણા ભાઈબહેનો સાથે સહિયારું એવું કોઈ વિશ્વ છે ખરું?

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 22 ઑગસ્ટ 2021

Loading

...102030...1,8021,8031,8041,805...1,8101,8201,830...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved