Opinion Magazine
Number of visits: 9735943
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તોડફોડના રાજકારણનો શોભીતો ઉત્તર ખંગાળવો જ રહ્યો!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|26 February 2026

સંઘ શતાબ્દીએ સરકારી ‘કુલપતિ‘ નિમંત્રક, શિક્ષણની ઠેકડી કે બીજું કંઈ?

પ્રકાશ ન. શાહ

મંગળવારે ગુજરાત યુનિવર્સિટીમાં સંઘ શતાબ્દી નિમિત્તે યોજાયેલ પ્રદર્શિનીના વિરોધમાં એન.એસ.યુ.આઈ.એ શાંત નહીં એવા, કંઈક તોડફોડ સ્કૂલના ‘દેખાવો’ કર્યા તે અંગે સત્તાવાર એફ.આઈ.આર. નોંધાયાના હેવાલો અલબત્ત પોતાને ઠેકાણે ઠીક જ છે. ઊલટ પક્ષે, એન.એસ.યુ.આઈ.એ સ્વતંત્ર તપાસની માગણી કરી છે તે પણ (ભાંગફોડના કોઈ પણ બચાવ વગર) ઠીક જ છે. 

ખેર, આમાં જે થવાનું હશે તે થશે અને ઘીના ઠામમાં ઘી પડી રહેવાનું હશે તો પડી રહેશે. પ્રદર્શિનીના આયોજકો ભારત શોધ સંસ્થાન અને ભારતીય વિચાર મંચ (બેઉ સંઘ પરિવારની જ અધિકૃત સંસ્થાઓ) હોવાનું જણાય છે. વ્યાખ્યાનમાળા, મલ્ટીમીડિયા શો વગેરે જે કાર્યક્રમોની શૃંખલા સંઘ શતાબ્દી નિમિત્તે યોજાઈ રહી છે એમાં ગુજરાત યુનિવર્સિટી પોતે વિધિસર કે અવિધિસર અથવા સૈંયા કોતવાલ તરજ પર અર્ધવિધિસર પણ સંકળાયેલી હોવાનું સમજાય છે. શતાબ્દી કાર્યક્રમ શૃંખલાની ઉદ્દઘોષણા વાસ્તે યોજાયેલી પત્રકાર પરિષદમાં સંસ્થાન અને મંચના હોદ્દેદારો જ માત્ર નહીં પણ વાઇસ ચાન્સેલર નીરજા ગુપ્તા સુધ્ધાં સામેલ થયાં હતાં એ જોયાજાણ્યા પછી જુદેસર કદાચ કંઈ કહેવાનું રહેતું નથી. 

એટલે જો સર્વગ્રાહી ને નિષ્પક્ષ તપાસ કરવી હોય તો તે કથિત તોડફોડથી શરૂ થઈ તોડફોડમાં જ વિરમે એ તો એક નકો નકો તપાસ જ કહેવાશે, કેમ કે પાયાનો પ્રશ્ન – જો શરૂઆતથી જ શરૂ કરીએ તો – આર.એસ.એસ. શતાબ્દીની ઉજવણીમાં યુનિવર્સિટીની સીધી સંડોવણીના ઔચિત્યનો અથવા સાફ શબ્દોમાં કહીએ તો ઘોર અનૌચિત્યનો બની રહે છે. યુનિવર્સિટીનાં ભવનોમાં સંઘ શતાબ્દી મનાવાય અને એની સત્તાવાર જાહેરાતમાં – મતલબ, નિમંત્રિત તરીકે નહીં પણ નિમંત્રક તરીકે – નીરજાજીનું હોવું સ્વયંભૂ હતું કે અન્યથા એ પણ શૈક્ષણિક મૂલ્યોની દૃષ્ટિએ તપાસલાયક નિઃશંક છે. 

તપાસનું ક્ષેત્ર, એમ તો, પ્રદર્શિનીમાં મુકાયેલી સામગ્રીનુંયે હોઈ શકે. ભારતીય વિચાર મંચ વતી સંશોધનમંડિત ને દસ્તાવેજખચિત સામગ્રીને જફા પહોંચાડાયાની ફરિયાદલાગણી લગીર દર્દેદિલ તરાહ પર રજૂ થઈ છે. ‘હરિજન’ અને ‘કેસરી’ જેવા પત્રો, જે ‘રાષ્ટ્રપુરુષો’ દ્વારા પ્રગટ થયા હતા તેમાં સંઘ વિશે ગાંધીજી અને આંબેડકરના પોતાના અભિપ્રાયો (પ્રશંસાપત્રો) હતા તેની અભ્યાસતકથી મુલાકાતીઓ વંચિત રહ્યા, એવુંયે મંચની રજૂઆત પરથી સોડાતું હતું. આવે વખતે જે તે દસ્તાવેજી સામગ્રી સંદર્ભપૂર્વક આવીછે કે નિઃસંદર્ભ, એ મહત્ત્વની વિદ્યાકીય નિસબત બની રહે છે. યથાપ્રસંગ ગાંધીએ ને આંબેડકરે જે કહ્યું તે જરૂર કહ્યું. માત્ર એ એમનો સર્વાંગ ને સમગ્ર ને સર્વાગ્ર અભિપ્રાય હોવો જરૂરી નથી. સંઘ વિશે, દાખલા તરીકે કિશોર મકવાણાના આંબેડકર, મૂળે સંઘપૃષ્ઠભૂના જ ભંવર મેઘવંશીના આંબેડકરથી તત્ત્વતઃ જુદા હોઈ શકે છે. જો શૈક્ષણિક અભિગમની પ્રાથમિકતા અપેક્ષિત હોય તો સંઘ વિશે ગાંધી અને આંબેડકરની સમજ એમના ચોક્કસ તરેહનાં ચૂંટેલાં અવતરણોની બાંદી ન જ હોઈ શકે. 

પ્રદર્શિનીના આયોજકોએ સમગ્ર સાવરકર, સમગ્ર આંબેડકર, સમગ્ર ગાંધી સુલભ છે એ ધોરણે સઘળે છેડેથી એમના સંઘ વિષયક વિચારો મૂલ્યો છે કે ચોક્કસ એંગલથી, એ પણ વ્યાપક તપાસનો અંતે જેટલો ચિંતનનો એટલો જ ચિંતાનો મુદ્દો હોઈ શકે છે. સાવરકરે પ્રાયોપવેશનથી દેહત્યાગ કર્યાની તારીખ, જોગાનુજોગ, આજે જ છે. ત્યારે જો એમણે હિંદુત્વના વૈશ્વિક પરિમાણની રીતે વ્યાપક વાત કરી હતી તે ટાંકવું ખોટું ન હોય તોપણ અધૂરું અવશ્ય છે, કેમ કે હિંદુની એમની વ્યાખ્યા પિતૃભૂ-પુણ્યભૂને ધોરણે હતી અને એ કસોટીએ મુસ્લિમ ને ખ્રિસ્તી બારોબાર બાદ થઈ જાય છે. એટલે આખું રાષ્ટ્રચિંતન વાસ્તવમાં વંશભેદને ધોરણે ‘રેઇસિસ્ટ’ બની જાય છે. 

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે હજુ થોડાં વરસ પર જ અમદાવાદ યુનિવર્સિટીમાં રામચંદ્ર ગુહાનો શૈક્ષણિક ઉપક્રમ બંધ રખાવ્યો હતો એ યાદ કરીને ગુજરાત યુનિવર્સિટી, ભારતીય વિચારમંચ ને ભારત શોધ સંસ્થાન ખરી ને પૂરી તપાસમાં હાથ બટાવશે તો તે શૈક્ષણિક મૂલ્યોની દૃષ્ટિએ જરૂર સ્વાગતાર્હ બની રહેશે – અને તોડફોડના રાજકારણનો એ શોભીતો ઉત્તર પણ હશે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 25 ફેબ્રુઆરી 2026

Loading

જુઇશ પ્રજાએ સત્યાગ્રહ કર્યો હોત તો?

આશા બૂચ|Opinion - Opinion|25 February 2026

હાલમાં દુનિયાના મોટા ભાગના રાજકીય નેતાઓ આપખુદ વલણ અખત્યાર કરીને પોતાના તેમ જ બીજા દેશના નાગરિકો પર કેર વરસાવી રહ્યા છે, એ વિષયની ચર્ચા ઠેર ઠેર થતી સંભળાય છે.

એક દિવસ આવી જ એક ગોષ્ઠિમાં, નીચે મુજબની ચર્ચા સાંભળી. “અહિંસક સત્યાગ્રહ ગાંધીજી જેવા નેતાઓ જ અપનાવી શકે. એ જમાનો જ જુદો હતો. બ્રિટિશ સરકાર સામે આવો નબળો પ્રયાસ ચાલે. આજના જમાનામાં એ બધું નકામું. ગાંધીજી હિટલર સામે લડવા કેમ નહોતા ગયા?” આવું વિધાન અમારા એક મિત્રને મોઢે સાંભળ્યું અને મનમાં વિચાર વલોણું શરૂ.

નાઝી અત્યાચાર સામે 27 ફેબ્રુઆરીથી 6 માર્ચ 1943 દરમિયાન Rosenstrasse protest નામે ઓળખાયેલો સત્યાગ્રહ થયેલ. બિન યહૂદી જર્મન પત્નીઓ, મિશ્ર એટલે કે આર્યેતર જાતિના લોકો અને યહૂદીઓના જર્મન મિત્રોએ સાથે મળીને જર્મન મહિલાઓ સાથે લગ્ન કર્યાના ગુના હેઠળ યહૂદી પુરુષોને રોઝ સ્ટ્રીટના એક મકાનમાં કેદ કરવામાં આવેલા તેના વિરોધમાં ધરણા કરેલા. દસ બાર સ્ત્રીઓએ આદરેલા વિરોધમાં પછી તો સેંકડો અને હજારો સ્ત્રીઓ જોડાઈ અને આખર એ પુરુષોને તો મુક્તિ મળી, તે ઉપરાંત એ લોકોને અને અન્ય યહૂદી પુરુષોને હિટલરના સાથી ગેબલ્સે યાતના કેમ્પમાં ન મોકલ્યા અને એ રીતે આ મહિલાઓએ સત્યાગ્રહમાં સફળતા મેળવીને અજાણતાં બીજા અનેક યહૂદી પુરુષોને મોતમાંથી ઉગાર્યા.

કોણ કહે છે કે હિટલર જેવા ત્રાસવાદીના શાસન સામે સત્યાગ્રહ સફળ ન થાય? આ હકીકત ઘણા વાચકો જાણતા હશે. સવાલ એ થાય કે બીજાં યહૂદી સ્ત્રી-પુરુષોએ આવા અત્યાચારોનો વિરોધ કર્યો હોત તો હજારો યહૂદીઓના જાન બચવા પામ્યા હોત કે નહીં?

આ ઘટનાની સ્મૃતિનાં પગલે બીજા પણ કેટલાક સવાલો થયા. હિટલરે પોતાની સત્તા ટકાવી રાખવા અંતિમ ઉપાય તરીકે બધા યહૂદીઓને પીળા સ્ટારનો બિલ્લો લગાવવો ફરજિયાત કર્યો. એ ક્ષણે કોઈ એકાદ બે સ્ત્રી-પુરુષ ‘અમે તમારો હુકમ નહીં ઉઠાવીએ, અમે બિલ્લો નહીં લગાવીએ એમ કહ્યું હોત તો સંભવ છે, એમને લાઠીમાર સહેવો પડ્યો હોત, જેલમાં પૂર્યા હોત. પોતાના જ મિત્રો, સાથી કાર્યકરો, પાડોશીઓ જ્યારે તેમને ધિક્કારવા લાગ્યા ત્યારે તેમની આંખમાં આંખ નાખીને કોઈ યહૂદીએ પૂછ્યું હતું કે તમે આમ શા માટે અચાનક અમારા પર કેર વર્તાવો છો? શું તે વખતે માણસ માણસ સાથે બોલી જ નહોતો શકતો?

નાઝી પક્ષના શાસકોએ યહૂદીઓ વિરુદ્ધ કાયદા ઘડી એ લોકોને અસામાજિક અને રાષ્ટ્રદ્રોહી ગણાવ્યા (આ વલણ આજના ભારતીય નાગરિકોને પરિચિત લાગે તેવું છે.) એટલું જ નહીં આર્ય સિવાયના લોકોના જર્મનીની પ્રજા તરીકેના હકો છીનવી લીધા (આ પગલું પણ વર્તમાન ભારતમાં હિન્દુ સિવાયના નાગરિકો પ્રત્યેના વર્તનમાં થયેલા પરિવર્તન સાથે સામ્ય ધરાવે છે એ નિઃશંક છે). સદીઓથી પોતાના દેશમાં રહેતા અને પોતાના જ દેશની ઉન્નતિમાં સહભાગી થતા હતા એ યહૂદીઓ પ્રત્યે જર્મન નાગરિકો તેમના પ્રત્યે ન્યાયી વર્તન કરવાને બદલે પોતે જ પોલીસ ખાતામાં જોડાયા અને સામૂહિક હત્યા કરવા માટે સહાયક કેમ બન્યા?

આપણે કેટલાંક દસ્તાવેજી પુસ્તકો અને ફિલ્મ પરથી માહિતી મેળવી શક્યા છીએ તે મુજબ નાઝી સરકારે યહૂદીઓને પોતાનાં ઘર, ગામ અને શહેર છોડીને એક નિયત સ્થળે રહેવાની ફરજ પાડી. એવા સેંકડો-હજારો સ્ત્રી-પુરુષ-બાળકોને કૂચ કરતાં જોઈને વિમાસણ થાય જ કે એમાંના એક ને પણ રસ્તા પર બેસી જઈને ધરણા કરવાની હિંમત ન થઇ? બહુ બહુ તો ગોળીએ વીંધાઈ જાત ને? આખર એ લોકોનો એ જ અંત આવ્યો ને? કદાચ માઈલો સુધી પથરાયેલી મેદની જો ગુસ્ટાપોના હુકમ માનવાની ના પાડીને બેસી ગઈ હોત તો પરિણામ જુદું આવ્યું હોત?

કરુણતા તો એ છે કે યહૂદીઓને જીવતા સળગાવવા માટેની ચેમ્બર્સનું બાંધકામ, એમનાં કપડાં, વાળ અને અન્ય વસ્તુઓને ફેંકવા માટે બનાવવાની ખાઈ ખોદવાનું કામ વગેરે બધી મજૂરી તંદુરસ્ત યહૂદીઓ પાસે કરાવી હતી. તો તેમનામાંથી એક પણ માઈનો લાલ એવો ન નીકળ્યો કે જેણે હથોડી અને પાવડો ફેંકીને હાથ જોડી દીધા હોય? એકની પાછળ એક સો અને એક હજાર બેસી રહ્યા હોત તો ખુદ હિટલર પણ કંઈ ન કરી શકત. યાતના કેમ્પમાં યહૂદીઓને ભૂખે મારવામાં આવ્યા અને હાડપિંજર જેવાં સ્ત્રી પુરુષોને નગ્ન થવાની ફરજ પાડી ત્યારે કોઈ એક વ્યક્તિએ સામનો કર્યો હોત તો શું તેને બીજા કોઈનો પણ સાથ ન મળ્યો હોત? કહ્યાગરા શાળાના વિદ્યાર્થીઓની માફક સેંકડો સ્ત્રી-પુરુષ ને હારબંધ ગેસ ચેમ્બર તરફ ચાલતા જોઈને એ દૃશ્ય જોનારને ખુદને દોડીને ભાગી જવાનું મન થાય. આટલી બુદ્ધિશાળી, મહેનતુ અને ખમીરવંતી યહૂદી પ્રજા આમ એકાએક નમાલી કેવી રીતે થઈ ગઈ?

કદાચ નાઝી પક્ષનું શાસન શરૂ થયું ત્યારથી જ જર્મનીની પ્રજાને પોતાને થતા અન્યાય સામે અસહકાર કરવાની અને જુલ્મોનો અહિંસક સામનો કરવાની તાલીમ આપનાર કોઈ નહોતો પાક્યો તેથી આવડી મોટી સંખ્યામાં સામૂહિક હત્યાના ભોગ બનવું પડ્યું.

જર્મનીમાં હોલોકોસ્ટ થયા પછી બે જાતિઓ વચ્ચેના વૈમનસ્યને કારણે, બે ધર્મ વચ્ચે ફાટફૂટ પડાવવાને કારણે અને સ્થળાંતર કરીને આવેલા લોકો વચ્ચે વિભાજન ઊભું કરીને અનેક સામૂહિક હત્યા આચરવામાં આવી છે; જેમ કે કંબોડિયા (1970ના દાયકામાં), રૂવાંડા જેનોસાઇડ (1994), બોસ્નિયા જેનોસાઇડ (1995) અને તાજેતરમાં રોહીંગ્યા જેનોસાઇડ (2016 થી વર્તમાન સમય)

રાજકારણીઓની સ્વાર્થી મનોવૃત્તિને આપણે બદલી નહીં શકીએ, પણ દરેક દેશના નાગરિકોએ પોતાને તથા પોતાના દેશના અન્ય નાગરિકો પર અન્યાય અને જુલ્મ ન થાય તેવી સમાજ રચના કરવાની અને એવી અન્યાયી સ્થિતિ આવી પડે તો તેને વશ ન થવાની શક્તિ કેળવવી જરૂરી છે. જો એવી અન્યાયી પરિસ્થિતિનો સામનો કરવો જ પડે તો એવી સ્થિતિને વશ ન થવાની શક્તિ કેળવવી જરૂરી છે. સરકારના જૂઠા પ્રચારથી દૂર રહેવાની, અન્યાયી કાયદાઓ સામે અસહકાર કરીને તેનો અંત લાવવાની અને છેવટ અહિંસક પ્રતિકાર કરવાની તાલીમ આપવી જ રહે.

આજે લોકોને જેટલો વિશ્વાસ યુદ્ધ પર છે એનાથી વધુ શ્રદ્ધા વાટાઘાટ અને અહિંસક પ્રતિકાર પર બેસશે તે દિવસે શાંતિનો સૂર્ય ઊગશે.

e.mail : 71abuch@gmail.com

Loading

હું છું, મારી ભાષા છે, પણ આશા ક્યાં છે?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|25 February 2026

ગુજરાતી ભાષાને શાળાઓમાં ‘ફરજિયાત‘ કરવા માટે વિધેયક પસાર કરવું પડે, એ આપણી ભાષાપ્રીતિની સફળતા છે કે માતૃભાષાના અધઃપતનની સૌથી મોટી ચેતવણી?

પ્રકાશ ન. શાહ

હજુ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસનાં ઉજવણાં આછર્યાં ન આછર્યાં અને આ ‘બે શબ્દો’ સૂર્યપ્રકાશ જોશે.

શરૂઆત, પેલા કહે છે તેમ, શરૂઆતથી જ કરું? યુનેસ્કોએ નવસ્વાતંત્ર્યપ્રાપ્ત બાંગ્લાદેશની સત્તાવાર ભલામણ પછી 21મી ફેબ્રુઆરી સાથે આ દિવસ જોડ્યો હતો. પાકિસ્તાને ઉર્દૂને એકમેવ રાષ્ટ્રભાષા થોપવાની કોશિશ કરી એના વિરોધમાં પૂર્વ પાકિસ્તાન(પૂર્વ બંગાળ)ના છાત્રો સડકો પર ઊતર્યા ને પાકિસ્તાનના હુકમરાનોએ એમને અવિચારી રીતે ડામ્યા : તે દરમ્યાન કેટલાક બાંગ્લા છાત્રોએ શહાદત વહોરી. 1952ની 21મી ફેબ્રુઆરીની આ ઘટના આગળ ચાલતાં સ્વતંત્ર બાંગ્લાદેશના ઉદય ભણી લઈ ગઈ.

આપણે ત્યાં સ્વરાજ આંદોલન જોડાજોડ ધરમ મજહબને ધોરણે જે ‘રાષ્ટ્ર’વાળી ચાલી, એની સામે પાકિસ્તાનનું આ વિભાજન એક જુદી જ મિસાલ પેશ કરે છે અને કથિત મજહબી એકતાને છોડીને ભાષાનો મુદ્દો અગ્રસ્થાને આવે છે. મુદ્દે, ઉર્દૂ ન તો બધા મુસલમાનોની ભાષા છે, ન તો કેવળ મુસલમાનોની ભાષા છે, એ સાદી સુધબુધ નવા પાક હાકેમોમાં નહોતી ને આ નોબત આવી. એની સામે આપણે જે રાહ લીધો, સમવાયી અભિગમપૂર્વક, એને કારણે અલગ અલગ ભાષા સંસ્કૃતિવાળા પ્રદેશોને સહજીવન સારુ મોકળાશ મળી રહી: ક્યારેક નવા ભાગલાની કગારે લાગતું દ્રવિડ આંદોલન આજે છૂટા પડવા જેવા પૂર્વવત્ મિજાજમાં ન વરતાતું હોય તો તેનું રહસ્ય આ વિગતમાં છે.

રહો, આ ચર્ચા કેવળ ઉપખંડકેન્દ્રી બની રહે તે પૂર્વે યુનેસ્કોની ભૂમિકાને જરી સમજીએ. માતૃભાષાના મહિમામંડન સાથે એમાં અનુસ્યૂત આગ્રહ ભાષાવૈવિધ્યના સમાદરનો છે. સમાદર અંગેની એની ચિંતા ને ચર્ચા ક્યાં ક્યાં પહોંચે છે! આપણે તો હિંદી-ચીની-રૂસી-ઇંગ્લિશ-સ્પેનિશ-ફ્રેન્ચ એમ પાંચપચીસ દસવીસ ભાષાઓનાં નામમાં રમીએ છીએ. પણ દુનિયામાં નાની નાની કેટલી બધી થઈને 8,300 આસપાસ ભાષાઓ છે. 

ઊલટ પક્ષે, દુર્દૈવ વાસ્તવ એ છે કે આજે દુનિયાના વિદ્યાર્થીઓ પૈકી ખાસા 40 ટકા એવા છે જેમને પોતાની માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ નસીબ નથી, કેમ કે અડખે-પડખે બધે જ કથિ મોટી ભાષાઓ જળો પેઠે જામી ગઈ છે અને તે નાની ભાષાઓને ગ્રસતી જાય છે અગર એને દુય્યમ દરજ્જાનું જીવન જીવતા દૃશ્ય છતાં અદૃશ્યવત્ લોકમાં સીમિત કરે છે. નેશન ફર્સ્ટ, એક ભારત શ્રેષ્ઠ ભારત તરેહનાં દેશ-દેશનાં સ્લોગન તળે નાની ભાષાઓ કાં તો કરમાઈ જાય છે કે પછી નકરી ચંપાતી, નકો નકો જિંદગી બસર કરે છે.

વારુ, હમણે ગુજરાતીનાં ગીતો બહુ ગાયાં આપણે ને સાયન્સ સિટી સહિત સઘળે ફૂલેકાં ખાસાં ચડાવ્યાં આપણે, પણ એ ગીતો ગાવાનો અધિકાર ને માતૃભાષા દિવસના આંતરરાષ્ટ્રીય સ્વરૂપનો સાક્ષાત્કાર, આપણને છે ખરો? 1960માં ભાષાને ધોરણે ગુજરાતનું રાજકીય એકમ અસ્તિત્વમાં આવ્યું – અને છેએએક ફેબ્રુઆરી 2023માં એક વિષય તરીકે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજિયાત ગુજરાતી હોય જ, એવું વિલક્ષણ વિધેયક પસાર કરી શક્યા … જાણે નંદ ઘેર આનંદ ભયો. હરખે હુલસતા એક છાપાએ મથાળું પણ મજાનું ફટકાર્યું : ‘હું છું, મારી ભાષા છે, કંઈક થશે એવી આશા છે.’ ભાઈ, આશા તો કે’દીની મંડાઈ હતી, જ્યારે ખુદાવંદ ખંડેરાવના દરબારમાં દલપતરામ વડોદરે ગુજરાતી વાણી રાણીના વકીલ તરીકે પુગ્યા હતા. આગળ ચાલતાં સયાજીરાવના સમયમાં ગુજરાતીમાં વહીવટ પણ રૂઢ થયો, પણ પછી શું થયું? આ લખું છું ત્યારે 1959માં અમદાવાદના ટાઉન હૉલમાં સાહિત્ય પરિષદના વીસમા અધિવેશન વેળાએ કાકાસાહેબને પ્રમુખ પદેથી બોલતા સાંભળું છું કે એક સવારે વડોદરાનો વહીવટ ગુજરાતીને બદલે અંગ્રેજીમાં ચાલવા લાગ્યો તે સાથે ખબર પડી કે સ્વરાજ આવ્યું છે!

અંગ્રેજ રાજના સહજ સંપર્ક તરીકે અંગ્રેજીનો જે પરિચયલાભ થયો એને જરૂર ન છોડીએ, પણ જ્યાં જ્યાં એ અસ્થાને ને અકારણ અસવાર થઈ ગયું છે ત્યાં ત્યાં તો એને છોડી શકીએ ને? છેક બાળપણથી ધરાર અંગ્રેજી માધ્યમની શાળાઓનો જે નિ:શેષ અશાસ્ત્રીય વા વાયો છે એનું વારમ શું, એ પ્રશ્ન અવશ્ય અસ્થાને નથી. ઇતિહાસમાં ઠીક ઠીક પાછળ જઈને જે એક વાત મને વારે વારે સંભારવા જેવી લાગે છે એ તો આપણા એકના એક આનંદશંકરની કુલીન દ્વિધા, અને અંતે જતાં મતપરિવર્તન.

આનંદશંકર શરૂ શરૂમાં અંગ્રેજી મારફતે જ શાલેય શિક્ષણના આગ્રહી હતા તે ‘વસંત’ના તત્કાલીન અંકોમાંથી પસાર થનારના ખયાલમાં હોય જ. 1917ના ઓક્ટોબરમાં ભરૂચમાં ગુજરાતી કેળવણી પરિષદ મળી ત્યારે પ્રમુખ સ્થાનેથી ગાંધીજીએ કદાચ એમના જેવાને જ લક્ષ્યમાં રાખીને રેવરંડ ટેલર કૃત સર્વપ્રથમ ગુજરાતી વ્યાકરણના આરંભઉદ્દગારો સંભાર્યા હતા કે ‘ગુજરાતી – આર્યકુળની – સંસ્કૃતની પુત્રી – ઘણી ઉત્કૃષ્ટ ભાષાઓની સગી! તેને કોણ કદી અધમ કહે! પ્રભુ, એને આશીર્વાદ દેશો! જુગજુગના અંત સુધી તેની વાણીમાં સદવિદ્યા, સદજ્ઞાન, સદધર્મનો સુબોધ હજો!’

આગળ ચાલતાં, 1928માં નડિયાદની સાહિત્ય પરિષદમાં પ્રમુખ સ્થાનેથી બોલતાં આનંદશંકરે પોતાના મતપરિવર્તનની સાહેદી આપી હતી : ‘1857માં આપણી મુખ્ય યુનિવર્સિટીઓ સ્થપાઈ તે વખતે સર ચાર્લ્સ વૂડે પ્રગટ કરેલી આશા કે ગ્રેજ્યુએટો પોતાનું જ્ઞાન નીચેના વર્ગમાં ઉતારશે એ અત્યાર સુધી સફળ થઈ નથી, તેનું કારણ ગ્રેજ્યુએટોનો દોષ નથી, પણ યુનિવર્સિટીના શિક્ષણમાં સર્વ શાસ્ત્રના મણિ ગણમાં માતૃભાષા સૂત્રવત્ પરોવાયેલી નથી એ જ છે. રાજા રામમોહન રાય અને મેકોલેએ સ્થાપેલી અને ચાર્લ્સ વૂડે અભિષિક્ત કરેલી શિક્ષણ પ્રણાલી લગભગ સો વર્ષ સુધી એના એ રૂપમાં જ ચાલ્યાં કરે એ જ એની જડતાની પૂરી નિશાની છે.’

આરંભિક માધ્યમ તરીકે અને વહીવટની રીતે દેશ ભાષાઓની સવાઁગ પ્રતિષ્ઠા, નાનાં નાનાં ભાષાજૂથોને સ્વતંત્ર સ્થાનમાન, રાષ્ટ્રવાદ પરત્વે સમવાયી લોકતાંત્રિક અભિગમ – જેથી એકે ભાષા ધ લેંગ્વેજ બની સવાર ન થઈ જાય અને દેશ દેશ વચ્ચે સમવાયસમાદર, આ મહદ્ દર્શન, 21મી ફેબ્રુઆરીનાં રંગઉજવણાંના તરણા ઓથેથી સમજાઈ રહેશે? દુ:સાધ્ય હશે તો હશે, પણ અસાધ્ય અવશ્ય નથી.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 25 ફેબ્રુઆરી  2026

Loading

...10...17181920...304050...

Search by

Opinion

  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved