Opinion Magazine
Number of visits: 9663185
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—323 

દીપક મહેતા|Opinion - Opinion|10 January 2026

મુંબઈના મહેલો જોયા પછી જોવા જઈએ મુંબઈની જેલો 

આપણે જોયા મુંબઈના મહેલ. હવે શું જોશું? મુંબઈની જેલ. ગભરાતા નહિ. જેમ મહેલમાં રહેવા નહોતા ગયા, તેમ જેલમાં પણ રહેવા નહિ જઈએ. ફક્ત જોશું, જાણશું. મુંબઈની પહેલી જેલ બંધાવી હતી મુંબઈના બીજા ગવર્નર જેરાલ્ડ ઓંગીઆરે. ખરા અર્થમાં મુંબઈનો ઘડવૈયો. પણ નથી મળતી એની જન્મ તારીખ. ઈ.સ. ૧૬૪૦ના કોઈક દિવસે જન્મ. જેમ જન્મ તારીખ મળતી નથી, તેમ નથી મળતું ક્યાં ય તેમનું બાવલું કે તેમનું ચિત્ર જોવા. ૧૬૭૭ના જૂનની ૩૦મી તારીખે તેમનું અવસાન થયું. ક્યાં ભણ્યા, શું ભણ્યા? નથી ખબર. ૧૬૬૧ના નવેમ્બરમાં સુરત ખાતેની અંગ્રેજોની ‘કોઠી’(ઓફિસ)માં કારકૂન તરીકે નીમાયા. પછી બન્યા સ્ટોર કીપર. પછી નોકરીમાં કેટલાં પગથિયાં, ક્યારે ચડ્યા એ જાણવા મળતું નથી. પણ ૧૬૬૯ના જુલાઈની ૧૪મી તારીખે સુરત-મુંબઈના પહેલા ગવર્નર સર જ્યોર્જ ઓક્સેન્ડનનું મૃત્યુ થયું તે પછી ઓંગીઆરની નિમણૂક મુંબઈના ગવર્નર તરીકે થઈ. ૧૬૭૦ના જાન્યુઆરીની ૧૧મી તારીખે ઓંગીઆર સુરતથી વહાણમાં બેઠા અને થોડા દિવસ પછી મુંબઈ પહોંચ્યા. 

તે મુંબઈ આવ્યા ત્યારે મુંબઈમાં લગભગ જંગલરાજ હતું. ચોર-લૂંટારા ધોળે દિવસે ય લોકોને રંજાડતા. ખુદ ડેપ્યુટી ગવર્નર કેપ્ટન હેન્રી યંગ લાંચ-રુશ્વત માટે નામચીન. ઓંગીઆરે એ અંગે તપાસ કરીને યોગ્ય પગલાં લીધાં. પછી વળી મુંબઈમાંના ગોરા લશ્કરની એક ટુકડીએ બળવો કર્યો. ઓંગીઆરે કડક હાથે બળવો દબાવી દીધો. એટલું જ નહિ, બળવાખોરોના નેતા કોર્પોરલ ફેકને ફાંસીની સજા કરી અને જાહેરમાં એ સજાનો અમલ કરાવ્યો.

મુંબઈ આવ્યા પછી ઓંગીઆરને સમજાયું કે અહીં કોટ વિસ્તારમાં એક વિશાળ મકાન બાંધવાની જરૂર છે. આ મકાનમાં મુંબઈની કોર્ટ બેસી શકે એવી સગવડ હોય. મુંબઈના લશ્કર અને અંગ્રેજ રહેવાસીઓ માટે જરૂરી એવો ખાધાખોરાકીનો સામાન રાખવાનાં ગોદામ પણ હોય. લશ્કર માટેનો દારૂગોળો, હથિયારો, અને બીજો સરંજામ પણ રાખી શકાય એવી સગવડ હોય. અને ગુનેગારોને રાખવા માટેની જેલ પણ હોય. આજની ભાષામાં એક ‘મલ્ટી પર્પઝ’ મકાન. એ વખતે ઓળખાતું ‘જનરલ હાઉસ’ તરીકે. ઓંગીઆરની પોતાની ઓફિસ પણ એ જ મકાનમાં. અને જ્યારે એ ઓફિસમાં હોય ત્યારે બારણાં સતત ખુલ્લાં જ રહે. મુંબઈનો કોઈ પણ રહેવાસી – ગોરો કે ‘દેશી’ – આવીને ગવર્નરને મળી શકે. 

ટાઉન હોલ બંધાયો ત્યારે લંડનમાં બેઠેલા ખેરખાંઓએ ખરચ અંગે કેટલા વાંધા-વચકા કાઢેલા એ આપણે અગાઉ જોયું છે. પણ ઓંગીઆરે તો લંડનમાં કોઈને પૂછ્યા વગર બોમ્બે ગ્રીન(આજનું હોર્નીમન સર્કલ)થી થોડે દૂર, ગનબો સ્ટ્રીટ અને બોરા બજાર સ્ટ્રીટ જ્યાં કાટખૂણે મળે છે ત્યાં જગ્યા પસંદ કરી લીધી. ત્યાં બાંધવાના મકાનનો પ્લાન જાતે બનાવી લીધો. અને એ પ્રમાણે મકાન બંધાવી પણ લીધું. બધું થઈ ગયા પછી હિસાબ મોકલ્યો લંડનના ડિરેક્ટરોને. તરત ભડક્યા: આટલો બધો ખરચ? અને તે ય અમને પૂછ્યા ગાછ્યા વગર? ઓંગીઆરે ઠંડે કલેજે જવાબ મોકલ્યો. આ ખરચ તમને ન પોસાતો હોય તો બધો ખરચ હું અંગત રીતે ભોગવી લઈશ. પણ પછી જ્યાં સુધી આ મકાન કોઈ પણ સરકારી કામ માટે વપરાતું રહે ત્યાં સુધી હું માગું તેટલું ભાડું સરકારે મને ચૂકવવું પડશે! કહેવાની જરૂર ખરી, કે લંડનના સાહેબોએ ખરચની પૂરેપૂરી રકમ મંજૂર કરી દીધી.

માપલા પોરનો નકશો 

એક બાજુ ગનબો સ્ટ્રીટ (આજનું નામ રુસ્તમ સીધવા સ્ટ્રીટ) અને બીજી બાજુ બોરા બજાર સ્ટ્રીટ. એક જમાનામાં આ સ્ટ્રીટ પરની ઘણીખરી દુકાનો બોરા(વહોરા)ઓની હતી એટલે આ નામ. અને હજી આજે પણ આ નામ બદલાયું નથી. પણ ગનબો સ્ટ્રીટનો કિસ્સો મજેદાર છે. ૧૯મી સદીના મુંબઈના જ્યોતિર્ધરોમાંના એક તે જગન્નાથ શંકરશેઠ. તેમનું કુટુંબ મૂળ કોંકણનું. જગન્નાથજીના દાદા ગણબાશેઠ કોંકણથી મુંબઈ આવીને વસ્યા. વેપાર-વણજ ખૂબ ખીલ્યો. કોટ વિસ્તારમાં પોતાનો બંગલો બાંધ્યો. અંગ્રેજો સાથે મીઠા સંબંધ. એટલે જે રસ્તા પર તેમનો બંગલો હતો તેને અંગ્રેજોએ તેમનું નામ આપ્યું. પણ ‘ગણબા’ના અંગ્રેજી ઉચ્ચાર પ્રમાણે નામ આપ્યું Gunbow Street. વખત જતાં આ વાત વિસરાઈ ગઈ. કેટલાક માનવા લાગ્યા કે આ કોઈ અંગ્રેજનું નામ હશે. આઝાદી પછી જ્યારે મુંબઈના રસ્તાઓનાં પાટિયાં પરથી અંગ્રેજોનાં નામ ભૂંસીને નવાં નામ લખાવા લાગ્યાં ત્યારે આ રસ્તો બની ગયો રુસ્તમ સીધવા માર્ગ. નામ બદલવાની નેતાઓની હોંશમાં એક મરાઠી માણૂસનું નામ ભૂંસીને તેની જગ્યાએ એક પારસીનું નામ લખાઈ ગયું!

બોરા બજાર સ્ટ્રીટ, ૧૮૭૫માં

  ખેર! સમયના રસ્તે આપણે ઘણા આગળ નીકળી ગયા. પાછા જઈએ જેરાલ્ડ ઓંગીઆરે બંધાવેલા વિશાળ મકાન પાસે. બોરા બજાર સ્ટ્રીટ પર આવતા-જતા લોકોને રોજ દેખાય જેલમાં પુરાયેલા ગુનેગાર કેદીઓ. કારણ જેલના આગલા ભાગમાં સળીઆ જડેલા હતા અને એ સળીઆ પાછળ ઊભેલા કેદીઓ રસ્તા પરથી આવતા-જતા લોકો પાસે ભીખ માગતા! પણ કેમ? કારણ એ વખતે અહીં જ નહિ, ગ્રેટ બ્રિટનમાં પણ નિયમ એવો હતો કે જેલમાં રહેવા-ખાવાનો ખરચ કેદીઓએ પોતે સરકારને ચૂકવવો પડે! એ સળીઆવાળી જગ્યાની પાછળ નાની ઓરડીઓ હતી જેમાં કેદીઓ રાતે સૂઈ શકતા. તેની પાછળ બે હોલ હતા. જેમાં કેદીઓ જમતા, કસરત કે મજૂરીના કામ કરતા. 

જેલની જાળીમાંથી લંબાતા હાથ 

જેલની પાછળના ભાગમાં હતું વિશાળ કોર્ટ હાઉસ. જ્યાં બ્રિટિશ શાસનની પહેલી અદાલત બેસતી. એ અદાલતમાં બાર અંગ્રેજ ન્યાયાધીશોની નિમણૂક ઑંગીઆરે કરેલી અને તેઓ પોતે ગવર્નર ઉપરાંત ચીફ જસ્ટીસ પણ હતા. કોર્ટ હાઉસની પાછલી બાજુએ વિશાળ પોર્ચ બાંધેલો હતો જેમાં થઈને કોર્ટ હાઉસમાં દાખલ થવાતું. છેલ્લા પાછલા ભાગમાં નાનાં મોટાં ગોડાઉન હતાં જેમાં જાતભાતનો સરકારી સામાન સંઘરાતો. પાછલી બાજુના દરવાજામાંથી આ સામાનની આવા-જા થતી. ૧૮૦૩ની આગમાં આ વિશાલ ઈમારતનો ઘણોખરો ભાગ બળીને ખાક થઈ ગયો હતો. તેમાંનો કેટલોક ભાગ ફરીથી બાંધવામાં આવેલો.

મલબાર હિલ પરથી દેખાતી કોટમાં લાગેલી આગ (૧૮૦૩)

ક્યારે, અને શા માટે, એ તો ચોક્કસ જાણવા મળતું નથી પણ આ બધી ઇમારતો સરકારે વેચી નાખી અને એ ખરીદનાર હતા મૂસા માપલા નામના ધનાઢ્ય વેપારીના વડવાઓ. આ મૂસા માપલા હતા એ જમાનાના મોટા વેપારી. અંગ્રેજોના માનીતા. કહેવાય છે કે એક વખત કોટ વિસ્તારની ઘણીખરી જમીન આઠ જમીનદારોની માલિકીની હતી, અને એ આઠમાંના એક હતા મૂસા માપલા. તેમણે આ જગ્યામાં નાનાં-મોટાં મકાનો બાંધીને માપલાઓને મોટી સંખ્યામાં વસાવ્યા. તેથી એ મકાનો ‘માપલા પોર’ તરીકે ઓળખાયા. આજની ભાષામાં કહીએ તો આ માપલા પોર એક Gated Community હતું. અને હા, તેના નામમાંના ‘પોર’નો સંબંધ સંસ્કૃતના ‘પુર’ સાથે નહિ, પણ ગુજરાતીના ‘પોળ’ શબ્દ સાથે છે. 

ઓંગીઅરે બંધાવેલા વિશાળ મકાનમાંથી જેલ ક્યારે અને શા માટે ખસેડવી પડી એ જાણવા મળતું નથી. પણ ત્યાંની જેલ બંધ થયા પછી કેદીઓને ડોંગરીના કિલ્લામાં રાખવામાં આવેલા. ૧૭૨૮માં મુંબઈના ન્યાયાધીશોએ સરકારને દરખાસ્ત મોકલી કે ૨,૦૦૦ રૂપિયાના ખર્ચે ડોંગરીના કિલ્લાના એક ભાગને જેલ બનાવી શકાય તેમ છે. અલબત્ત, લંડનમાં બેઠેલા બડેખાંઓએ આવો ખરચ કરવાનો નનૈયો ભણી દીધો. એટલે મુંબઈના ગોરા અને બીજા કેટલાક રહેવાસીઓ પર ટેક્સ નાખીને આ રકમ ઊભી કરવાનું નક્કી થયું. જો કે પછી કોઈક કારણસર ડોંગરીના કિલ્લાને જેલ તરીકે વાપરવાને બદલે ૫,૦૦૦ રૂપિયાના ખર્ચે કિલ્લાની બાજુમાં જેલ માટે નવું મકાન બાંધવામાં આવ્યું.

પણ ૧૭૩૯માં મરાઠા લશ્કર ડોંગરીના કિલ્લા પર ચડાઈ કરે એવો ભય ઊભો થયો. ત્યારે એ મકાન ખાલી કરવામાં આવ્યું. મોદી નામના કોઈ શખસ પાસેથી તેનું મકાન મહીને ૨૫ રૂપિયાના ભાડે રાખીને કેદીઓને ત્યાં ખસેડવામાં આવ્યા. કેદીઓને ખાધાખોરાકી પૂરી પાડવાની જવાબદારી પણ એ મકાન માલિકને સોંપવામાં આવી. વખત જતાં ભાડા પેટે ૧,૭૪૨ રૂપિયા અને ખાધાખોરાકી પૂરી પાડવા પેટે ૧,૦૩૬ રૂપિયાનું બિલ મોદીએ સરકારને મોકલ્યું. પણ સરકારે આ બિલ પેટે ફક્ત ૩૯૮ રૂપિયા ૩ આના ૯ પાઈની જ રકમ ચૂકવી! જો કે લાંબી લખાપટ્ટી પછી સરકારે બાકીની રકમ પણ ચૂકવી દીધી. પણ ૧૭૪૫માં આ મકાન જર્જરિત થઈ ગયું છે અને તેને રિપેર કરવાની જરૂર છે એમ સરકારને લાગ્યું. પણ સમારકામ પેટે એક ફદિયું પણ ખરચવાની મકાન માલિક અને સરાકાર, બન્નેએ ના પાડી દીધી. એટલે જેલને મરીન યાર્ડમાં ખસેડવાનું નક્કી થયું. પણ બ્રિટિશ નૌકાદળના અધિકારીઓએ આ અંગે નનૈયો ભણી દીધો. એટલે પછી કેદીઓને ડોંગરીના કિલ્લાના એક જર્જરિત ભાગમાં રાખવામાં આવ્યા. ૧૭૬૯માં એ કિલ્લો તોડી પાડવાનું નક્કી થયું ત્યારે ન છૂટકે નૌકાદળના અધિકારીઓ કેદીઓને મરીન યાર્ડમાં રાખવા તૈયાર થયા. પણ એ જગ્યા બહુ નાની હોવાથી ફોર્ટ જ્યોર્જના અમુક ભાગને જેલ તરીકે વાપરવાની દરખાસ્ત રજૂ થઈ. આ અંગેના ખરચનો અંદાજ તૈયાર કરવા માટે સરકારી ઇજનેરને જણાવાયું. ૧૭૭૮માં ઈજનેરે રૂ.૧૬,૨૫૨ અને ૩ આનાનો અંદાજ આપ્યો જે જોતાં વેંત એ દરખાસ્તને અભરાઈએ ચડાવી દેવાઈ. હવે સરકારને તુક્કો સૂઝ્યો કે આટલા ખરચમાં તો શહેરમાં ક્યાંક સારી જગ્યાએ જેલનું મકાન બાંધી શકાય. છેવટે ૧૭૯૯માં સરકારે ઉમરખાડી ખાતે જમીનનો પ્લોટ ખરીદ્યો અને ત્યાં જેલનું નવું મકાન બાંધવાનું શરૂ કર્યું. ૧૮૦૪માં એ પૂરું થયું.

આ બધી જેલોમાં ગુનેગારોને કેવી કેવી સજા થતી એની વાતો હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX 

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 10 જાન્યુઆરી 2026

Loading

હું એકની એક

પ્રવીણા અવિનાશ, પ્રવીણા અવિનાશ [પ્રેષક : સુરેશ જાની]|Opinion - Opinion|10 January 2026

જીદ્દી, ઝઘડાળુ, અહંકારી સ્ત્રી. ગમે તેટલી શિક્ષા પ્રાપ્ત કરી હોય, પરિણામ –  ‘શૂન્ય’.

‘સ્ત્રી’, તને કળવી નામુમકિન છે. તું કેટલા પાત્ર સફળતાપૂર્વક ભજવી શકે છે. એવું એક પણ પાત્ર નથી કે આજે ૨૧મી સદીમાં તેં ન ભજવ્યું હોય.

‘ગીતા પર હાથ મૂકીને કહું છુંહું પણ એક સ્ત્રી છું.’

સ્ત્રીની સંવેદના બરાબર સમજી શકું છું. સ્ત્રી પ્રત્યે આદર અને સન્માનની લાગણી ધરાવું છું. સાચું કહીશ, તેના અવનવા પાત્રથી ત્રાહિમામ્‌ પોકારી ગઈ છું. ઘણીવાર મનમાં થાય છે, ‘શું ખરેખર એક સ્ત્રી આવું કરી શકે ખરી’ ? ‘સ્ત્રીનો જો ખરેખર દુ:શ્મન કોઈ હોય તો તે બીજી સ્ત્રી છે’. મારા મત પ્રમાણે આ સનાતન સત્ય છે.

દીકરીનો મા પ્રત્યે આંધળો પ્રેમ! પછી ભલે મા, કાવાદાવા અને કુટિલતાનું શિક્ષણ આપતી હોય! સાસુ અને વહુ, સારા જગતમાં સહુથી ‘બદનામ’ સંબંધ. તેમાં ઘણીવાર સાસુનો બેફામ ત્રાસ યા તો વહુના સાસુ પર અત્યાચાર. બંને રીતે આ કથન સત્ય છે.

૮૦ વર્ષની ઉંમર થઈ, એક પણ સંબંધ જોયો નથી, જ્યાં સાસુ અને વહુને પ્રેમ હોય, યા મા દીકરીને સાચી શિખામણ આપતી હોય ! ‘સ્વાર્થથી ઉભરાતી આ દુનિયામાં સઘળું હોવા છતાં પણ ‘સંતોષ’નો અભાવ. મનમાં થાય છે ‘હે પ્રભુ, સંસારમાં મોકલી આ કેવી માયા રચી છે ! તેમાં રહેવું હિતાવહ નથી, તેમાંથી બહાર નીકળવાનો માર્ગ જડતો નથી’.

‘સ્ત્રી’ કેટલા પાત્ર ભજવી શકે છે. માતાના પાત્રમાં તે ભગવાનની સમાન ગણાય છે. કિંતુ એ માતા જો સ્વાર્થી અને પતિને સદા દુ:ખ આપતી હોય તો તેને શું કહીશું ? પતિને પલ પલ ઘાયલ કરે. સામે બોલે. ઝઘડા સિવાય દિવસ પૂરો ન થાય તેવી સ્ત્રીનો ઈલાજ શો ? મારું માનો તો “છૂટાછેડા’. પ્રશ્ન આવીને ઊભો રહે, બાળકોનો? બાળકો સમજુ હોય તો ન્યાયનો પક્ષ લે ! તે માતાના સંસ્કાર પર આધારિત છે !

આજની સ્ત્રી માત્ર રસોડાની રાણી નથી ! હજુ ગઈ કાલની વાત છે. બહેનપણીઓ મળી હતી, ‘મને રસોઈ કરવી ગમતી નથી,’ બીજી કહે ,હું ધીરે ધીરે રસોડું બંધ કરીશ !’ મનમાં થયું, આ પાપી પેટ ક્યાં મૂકી આવશો ?’ રસોડા પ્રત્યે આટલી બધી નફરત ? કારણ શોધ્યું જડતું નથી ! શું રોજ સવાર સાંજ બહારનું ખાશે ?

નવી પેઢીની યુવતીઓ તો હદ પાર કરી. એક ક્ષેત્ર એવું નથી જ્યાં સ્ત્રી પોતાની આગવી પ્રતિભા ન ધરાવતી હોય ? આનંદ તેમ જ ગૌરવની વાત છે. સાથે સ્વીકારવું રહ્યું કે ‘માતા’ માત્ર સ્ત્રી બની શકે છે. આ તેમનું સૌભાગ્ય છે. જે પુરવાર કરે છે, ‘સ્ત્રી પુરુષ કરતાં મહત્ત્વનું પાત્ર છે’. એ સાથે પુરુષની અવગણના પણ ન કરી શકાય. તેના વગર માતૃત્વ પ્રાપ્ત કરવું દુર્લભ છે.

બધી સ્ત્રી નસીબદાર નથી હોતી કે સંસારમાં પ્રતિભા અને હોદ્દો પ્રાપ્ત કરી શકે. તેના અનેક કારણો હોઈ શકે. જેની ચર્ચા કરવાથી કોઈ ફાયદો થવાનો નથી. તેનો અર્થ એ નથી કે એવી સ્ત્રીઓ સંસારમાં ઝળકી શકે નહીં. તેનું કાર્ય, તેનું વર્તન અને વાણી કોઈ પણ સ્ત્રીને સફળતાના શિખરે બેસાડી શકે છે.

જ્યારે વાત કરીએ સ્ત્રીની, સ્ત્રી કદાચ નાની ઉંમરમાં પતિનો સાથ ગુમાવી બેઠી હોય. સંજોગોને કારણે લગ્ન ન કર્યા હોય. ખૂબ ઈજ્જતથી આજના સમાજમાં જીવવું શક્ય છે. ‘લોકો શું કહેશે’ ? એ વાક્ય પ્રત્યે બેદરકાર રહેવું. તમારી જિંદગી છે. તમારી મરજી મુજબ જીવો. કોઈના આશરે નથી. બસ ખેલ ખતમ !

‘સ્ત્રી’ કુદરતનું અનોખુ સર્જન છે. તેના વિશે લખવા બેસીએ તો સમય અને કાગળ બંને પૂરતા નથી. મનની વેદનાને વાચા આપી છે. સંસારમાં જ્યારે કોઈ સહારો ન હોય ત્યારે આ લેખન કળા વહારે ધાય છે.

e.mail : pravinammody@gmail.com

Loading

ગઝલ

પરેશ દવે 'નિર્મન'|Poetry|10 January 2026

યાદનો  ખૂણો તમે લેજો ખણી,
મંત્ર પણ સ્વાહા તમે લેજો ભણી.

જીવતું કાસળ નગરમાં જોઈને,
જીવ વ્યંતરનો તમે લેજો ગણી.

આ ચહેરાને નવો ભવ આપવા,
આયનાનો શક તમે લેજો હણી.

એક બે અપવાદ હોંકારા ભણી,
વાતમાં સોંપો તમે લેજો વણી.

આ ગઝલની ભોંયમાં ઊગ્યો હતો,
એ ડમર  ડૂમો તમે લેજો લણી.

તા.9.1.26
*
વૃન્દાવન બંગલોઝ, 15, શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ. તા. જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com

Loading

...10...17181920...304050...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved