Opinion Magazine
Number of visits: 9553911
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધર્મ અને લોકશાહીને બાપે માર્યાં વેર છે

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|24 November 2025

હેમંતકુમાર શાહ

ગુજરાત મહિલા કાઁગ્રેસના નેતાઓના તાલીમ કાર્યક્રમમાં ૨૧મી તારીખે હાજરી આપી. ચાર મુસ્લિમ અને દલિત સંગઠનો દ્વારા યોજાયેલા બે કાર્યક્રમોમાં ૨૨મી તારીખે હાજરી આપી. ત્રણેયમાં આપેલાં વ્યાખ્યાનોના મુખ્ય મુદ્દા આ રહ્યા :

(૧) માણસજાતે આશરે ચારસો વર્ષથી જીવન જીવવાની રીતો બદલી નાખી. પહેલાં માણસનો એકમાત્ર મુખ્ય વ્યવસાય ખેતી હતો. આજે એ નથી. એ જ રીતે, પહેલાં લોકો રાજાશાહીમાં જીવતા હતા, આજે લોકો લોકશાહી અને તાનાશાહીમાં જીવે છે. માટે ચારસો વર્ષ પહેલાં ધર્મપુસ્તકોમાં જીવન પદ્ધતિ વિશે જે કંઈ લખાયું છે તે બધું લગભગ નકામું છે. ધર્મોએ જણાવેલ શાશ્વત મૂલ્યો મહત્ત્વનાં, પણ જીવનશૈલી વિશેના તમામ ઉપદેશો નકામા છે. એ પરંપરાઓ આજે કામની નથી. દુનિયાના ૩૩ મુસ્લિમ દેશોમાં લોકશાહી નથી એ શું બતાવે છે? એટલે ધર્મોપદેશને મોટે અંશે બાજુ પર મૂકીશું તો જ લોકશાહી મજબૂત થશે. 

(૨) ભારતના બધા ધર્મોના લોકોએ બંધારણને જ સર્વોચ્ચ સમજવાની જરૂર છે. કોઈ ધર્મમાં લોકશાહી છે જ નહીં. ધર્મ અને લોકશાહીને બાપે માર્યાં વેર છે. ઇતિહાસમાં લોકશાહીની નાનીમોટી પરંપરાઓ દેખાય, પણ હકીકતમાં લોકશાહી એ આધુનિક ખોજ છે, સાધુનિક નહીં. ૧૯મી સદીમાં નોટ અને વોટ એમ બે મહાન શોધો થઈ અને તેમણે અર્થતંત્ર અને રાજતંત્રમાં લોકશાહી ક્રાંતિ લાવી લીધી.

(૩) એક પણ ધર્મનો સમાનતા, ન્યાય અને સ્વાતંત્ર્યનાં આધુનિક મૂલ્યો સાથે ઝાઝો મેળ ખાતો નથી. ધર્મોમાં દાનનું મહત્ત્વ છે કારણ કે એ બધા મનુષ્યના સામાજિક, આર્થિક અને રાજકીય શોષણને પોષે છે. એટલે ઈશ્વર, અલ્લાહ અને ગોડ જેવા ભગવાનો પરની શ્રદ્ધાને ઘરમાં રાખવી જોઈએ, જાહેર જીવનમાં નહીં. 

(૪) ભારતનું બંધારણ અજોડ અને અદ્ભુત છે. એને માટે ગાંધી, આંબેડકર, નેહરુ અને સરદાર પટેલ જેવા એ જમાનાના નેતાઓને સલામ મારીએ એટલી ઓછી છે. કારણ એ છે કે દેશમાં લોકશાહી લઈ આવનારા એ નેતાઓ અને એ જમાનાની સંવિધાન સભાના સભ્યો હતા. દુનિયામાં આશરે ૧૨૦ દેશો ૧૯૪૭ પછી આઝાદ થયા. એક પણ દેશમાં આઝાદીની સાથે જ લોકશાહી આવી નહોતી. ભારતમાં આવી એ ભારતના લોકોનું સદ્દનસીબ છે. એ લોકશાહીમાં આજે ભારે ઘસારો પહોંચ્યો છે. એને મજબૂત કરવા માટે લડવાની જરૂર છે, બોલવાની જરૂર છે. 

(૫) એક નક્કર હકીકતનો ઇનકાર થઈ શકે તેમ નથી કે આઝાદી સમયનો સૌથી મોટો અને સૌથી લોકપ્રિય પક્ષ કાઁગ્રેસ લોકશાહી અને સ્વતંત્રતાનાં મૂલ્યોમાં માનતો હતો માટે જ આ દેશમાં લોકશાહી આવી અને એ જ આઝાદી પછીના આરંભના દાયકાઓમાં સત્તા પર રહ્યો માટે લોકશાહી ટકી પણ ખરી. 

(૬) લોકશાહીનું અગત્યનું અંગ કાયદાનું શાસન (rule of law) છે. કાયદો લખેલો હોય, કાયદા હેઠળની કાર્યવાહી લખેલી હોય, કાયદો બધાને સમાન રીતે લાગુ પડે તેમ જ કાયદામાં સમાનતા હોય તો એને કાયદાનું શાસન કહેવાય. આ સિદ્ધાંતના પાલન સિવાય લોકશાહી શક્ય નથી. આજે ભારતમાં આ સિદ્ધાંતનું ધોવાણ બેફામપણે થઈ રહ્યું છે. 

(૭) બંધારણે આપણને કોઈ અધિકારો આપ્યા નથી, આપણે જાતે જ આપણા અધિકારો બંધારણમાં લખ્યા છે. આપણા અધિકારોમાંથી જ બંધારણનો જન્મ થયો છે. એ અધિકારોનું રક્ષણ કરવા માટે આપણે લડીશું તો જ અધિકારો અને લોકશાહી ટકશે અને મજબૂત થશે. એ લડત લડવી એ જ આપણી સૌથી મહત્ત્વની ફરજ છે. બાકી તો રાજનેતાઓ આપણને મચ્છર બનાવી દેવા તૈયાર જ બેઠા હોય છે.

(૮) ભારતની લોકશાહીને ટકાવવા માટે આપણે ઇશ્વર, અલ્લાહ અને ગોડની ભક્તિમાંથી જરા બહાર આવીએ, અને રાજનેતાઓની ભક્તિ કરવાનું પણ બંધ કરીએ. ભક્તિ લોકશાહીનો સૌથી મોટો દુ:શ્મન છે કારણ કે એ આંખકાન તો બંધ કરે જ છે, પણ એમાં બુદ્ધિ બહેર મારી જાય છે. 

તા.૨૩-૧૧-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

નિવૃત્ત એટલો જ ઉપયોગી છે તો તેને નિવૃત્ત કરો છો શું કામ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 November 2025

રવીન્દ્ર પારેખ

ગુજરાતનો અર્થ કોઈ ‘ગુજરેલ’ કરે તો આઘાત ન લાગે એવી સ્થિતિ છે. એક તરફ હજારો હજારો શિક્ષિતો નોકરી માટે ફાંફાં મારી રહ્યા હોય ત્યારે સરકાર, નિવૃત્તોને ફરી નોકરી આપવા તૈયાર થાય એનાથી મોટી કમનસીબી બીજી કઈ હોય? ગયા જુલાઈમાં જ સરકારને એવી ચળ ઊપડેલી કે તેણે શિક્ષકોની ઘટ નિવારવા 62ના નિવૃત્ત શિક્ષકોને નોકરીએ રાખવાની જાહેરાત કરેલી. શિક્ષકો મળતા જ ન હોય ને નિવૃત્તોને રાખવાની લાચારી આવી પડે તે સમજી શકાય, પણ હજારો ઉમેદવારો નોકરી માટે વલખાં મારતાં હોય અને વર્ષો પછી પણ કાયમી શિક્ષકોની ભરતી જ ન થાય ત્યારે, શિક્ષકોની ઘટ પૂરવાને નામે, નિવૃત્ત શિક્ષકોને ફરી નોકરીએ રાખવાની વાત ગધેડાને તાવ આવે એવી છે. જો કે, એનો ભારે ઊહાપોહ થતા જુલાઈના અંતમાં જ એ ઉપક્રમ પડતો મુકાયેલો ને સરકારે ઠાવકાઈથી U-ટર્ન લઈને પડીકું વાળી દીધેલું.

એ વાતને ઝાઝો વખત નથી થયો, ત્યાં સરકારને ફરી ચળ ઊપડી છે ને આ વખતે તેણે નિવૃત્ત અધિકારીઓની ભરતી કરવા રીતસરની જાહેરાત બહાર પાડી છે. પ્રવાસન કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા જુદા જુદા સંવર્ગની કુલ 25 જગ્યાઓ માટે 11 માસના કોન્ટ્રાક્ટ પર, માત્ર વય નિવૃત્ત અધિકારીઓ પાસેથી (નાયબ કમિશનર-4, સહાયક કમિશનર-8, સિવિલ એન્જિનિયર-5 અને જિલ્લા પ્રવાસન અધિકારી-8) અરજીઓ માંગવામાં આવી છે. ઘણુંખરું તો જે પદો પરથી અધિકારીઓ નિવૃત્ત થયા છે, એમને એ જ પદો પર ફરી ઠઠાડવાની વાત લાગે છે. એમનો પગાર સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ રહેશે. મતલબ કે નિવૃત્તિ વખતે જે પગાર હતો તેના સાંઠેક ટકા જેટલો હોઈ શકે. બીજા શબ્દમાં પેન્શન ઉપરાંત લાખેક બીજા મળે એમ બને.

હાલ તો પ્રવાસન સ્થળો પર સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, એટલે હંગામી ધોરણે ભરતીની વાત છે, પણ હજુ 54 જગ્યાઓ પર આ રીતે ભરતી થવાની વકી છે. સરકારનાં જ કહેવા મુજબ 568 વિવિધ પદો પર નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી કરવામાં આવી ચૂકી છે, જેમાં 31 આઈ.એ.એસ. છે. છે ને ગમ્મત ! નિવૃત્તને પેન્શન ને ઉપરથી પગાર પણ ! બીજી તરફ માસ્તરને પેન્શન ન આપવું પડે એટલે કાયમી જ ન કરવાનો ને કોન્ટ્રાક્ટ પર પૂરો પગાર પણ ન આપવાનો. એકને ગોળ ને એકને ખોળ – એમને એમ તો નહીં જ કહેવાયું હોય ને !

કેટલાક દલાલો એવી દલીલ કરે છે કે નિવૃત્તો વધુ અનુભવી છે ને કેટલીક જગ્યાઓ પર તો તેઓ હોય તો જ કામ સરળતાથી થાય એમ છે. નવા આવે તો તેને તાલીમ આપવી પડે ને એનો ખર્ચ થાય. એમને એવું પૂછી શકાય કે જે અનુભવી છે તે મફતમાં, પેન્શનના બદલામાં કામ કરવાના છે? વારુ, એ નોકરીએ લાગ્યા ત્યારે તો નવા ને અનુભવ વગરના જ હતા ને ! પછી અનુભવે એ બધા એવા ઘડાયા કે તેમને ફરી લાવવા જાહેરાતો આપવાનો વારો આવ્યો. વેલ, આ નિવૃત્તો માથે મરાય તો એના પછી જેનો ક્રમ આવતો હોય તેનો એ જગ્યા પરનો હક મરાય છે, એવું નહીં? ને એ એટલો જુનિયર નથી કે સાવ શિખાઉ હોય. સિનિયોરિટીમાં તો એ નિવૃત્ત થયો એ અધિકારી પછીના તરતના ક્રમે જ આવે છે, તો તે સાવ બુડથલ હોય એવું તો કેવી રીતે કહેવાય?

બહુ જાહેર નહીં એવી અંદરની વ્યવસ્થા એવી પણ છે કે કોઈ પૂરાં વર્ષ નોકરી કરીને નિવૃત્ત થાય તો થોડા ઓછા પગારે તેને એક્સ્ટેન્શન મળી જાય ને તબિયત સાથ આપે તો સિત્તેરેક વર્ષની ઉંમર સુધી નોકરી ખેંચી પણ લે. આ વ્યવસ્થા જાહેર રીતે ચાલુ રહે તો નિવૃત્તો તો સચવાઈ જાય, પણ પેલા યુવકો વધુ લાંબો સમય શિક્ષિત બેકાર રહે, એવું ખરું કે કેમ? કોણ જાણે કેમ પણ યુવકોની સરકારને ભારે સૂગ છે ને નિવૃત્તો પ્રત્યે એવું વ્હાલ ઉભરાય છે કે એમને પેન્શન મળવાનું છે, છતાં તેમને ફરી નોકરીએ રાખવાની પેરવી થાય છે ને પેલા શિક્ષિતોને તો કામચલાઉ નોકરીનું ય ઠેકાણું નથી ને પેન્શનનું તો સપનું ય નથી ને તેમની કાચી નોકરી માટે ભારે ઉપેક્ષા થાય છે. નથી લાગતું કે આ કોઈ કાવતરૂં છે?

દલીલો તો એવી પણ થાય છે કે નિવૃત્તોને નોકરી અપાય તો એમનો અનુભવ કામ લાગે. સાચું, પણ  એ પૂછી શકાય કે વિધાનસભામાં કે સંસદમાં જે મંત્રીઓ બેસે છે તે બધા અનુભવી છે? એ લોકો ઓછા અનુભવે દેશ ચલાવી શકતા હોય તો સ્કૂલ કે પ્રવાસન કમિશનરની કચેરી તરતના ક્રમે આવતા અધિકારીઓ ન ચલાવી શકે? એ ખરું કે સરકાર તો પાંચ વર્ષ જ ચલાવવાની છે, કારણ પાંચમે વર્ષે નવી સરકાર આવે તો તે બાકીનો કારભાર સંભાળે, પણ પ્રવાસન કચેરી કૈં પાંચ વર્ષમાં બંધ થઈ જવાની નથી, તે તો લાંબું ચાલવાની છે, એટલે તેને અનુભવીઓની જરૂર રહેવાની ને અનુભવમાં નિવૃત્તથી વધારે સમૃદ્ધ તો બીજું કોણ હોય? તો, તેમને જ પાછા લાવવાના હોય ને ! પણ કચેરીને એ પુછાય કે આ નિવૃત્તો ક્યાં સુધી કચેરી શોભાવશે? એમને ક્યારેક તો ફરી નિવૃત્ત કરવા પડશે ને ! કે એ ટકી ગયા તો એમને ત્રીજી, ચોથી, પાંચમી વખત નોકરી અપાશે ને અપાયા જ કરશે? એમને જ આપવી જોઈએ, કારણ એમનાથી વધુ અનુભવી તો બીજા છે જ કોણ? આ ઠીક છે? આમ કરવા જેવું ખરું?

આમ તો ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગના 7 જુલાઈ, 2016ના નિયમ મુજબ કોઈ પણ વિભાગના કુલ સંવર્ગની મંજૂર જગ્યાના 20 ટકાથી વધુ જગ્યા પર નિવૃત્તોને રાખી શકાતા નથી. વળી યોગ્ય ઉમેદવાર ઉપલબ્ધ થતા નિવૃત્તની ભરતી તરત જ રદ્દ થવાને પાત્ર ઠરે છે, પણ એવું વ્યવહારમાં બનતું નથી. બને ત્યાં સુધી લાયક યુવાનોને નોકરી મળે નહીં એની તંત્રો ખૂબ મહેનત કરે છે. જેમ કે, ગયે વર્ષે લેવાયેલી જી.પી.એસ.સી.ની પરીક્ષાનું પરિણામ નવેમ્બર પૂરો થવા આવ્યો તો ય જાહેર થયું નથી. એક તરફ યુવાનોને વગર નોકરીએ ઘરડાં કરવાની કવાયત ચાલે છે ને બીજી તરફ ઘરડાંને ફરી નોકરીએ રાખવાનો વેપલો ચાલે છે. તઘલખ તરંગી હતો, પણ મતલબી કદાચ ન હતો.

વધારે દુ:ખદ તો એ છે કે મીડિયા આવા સમાચારોને ખાસ કવર નથી કરતું ને કરે છે તો નિવૃત્તો ફરી નોકરીએ લાગશે, તો કામકાજ વધુ સારી રીતે કરશે ને અનુભવી અધિકારીઓની મદદથી વિવિધ યોજનાઓને ગતિ મળશે – એવો પ્રચાર કરે છે. એમાં તથ્ય હોય તો પણ, નિવૃત્તો પછીના અધિકારીનો હક મરાય છે કે હજારો યુવા શિક્ષિતોની નોકરીનો પ્રશ્ન વધુ ઘોંચમાં પડે છે એ અંગે એમણે ભાગ્યે જ કૈં કહેવાનું છે. સરકારની ટીકા ના થાય તે સમજી શકાય, પણ ભાટાઈ કરવાનો તો કોઈ અર્થ નથી ને ! એ ખરું કે કેટલીક ચેનલોએ શિક્ષિત બેકારોનો હક મારીને નિવૃત્તોને નોકરી આપવા બાબતે વાંધો ઉઠાવ્યો છે, પણ પ્રિન્ટ મીડિયાએ તો મોટેભાગે ચામડી જ બચાવી છે. એ માન્યું કે નિવૃત્તોએ ઈમાનદારીથી નોકરી કરી હશે, તો પણ કેટલાકે વર્ષો સુધી નોકરીમાં ભ્રષ્ટાચાર પણ કર્યો હશે, તો તેમને ફરી નોકરી આપીને ભ્રષ્ટાચારને જ ઉત્તેજન આપવા જેવું થશે, એવું નહીં?

સરકારે અનેક ક્ષેત્રોમાં વિકાસ કર્યો હશે, પણ શિક્ષણ અને રોજગારીની બાબતે કોઈ નીતિનિયમો કે ધારાધોરણો રાખ્યાં નથી ને ઘણી વખત તો પોતે બનાવેલા નિયમોમાં પણ વર્તન એવું રહ્યું છે કે U-ટર્ન લીધે જ છૂટકો થાય. મનસ્વીપણું સરકારની વિશેષ નીતિ છે. ઘણીવાર તો સવાલ થાય કે સંસદ કે વિધાનસભા સિવાય મુક્તિ ક્યાં ય છે ખરી? હોય તો આનંદ થાય …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 નવેમ્બર 2025

Loading

ઈબ્ન ખલદૂનનું ઇતિહાસ-ચક્ર અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં કાઁગ્રસનું પતન

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 November 2025

રાજ ગોસ્વામી

ઈબ્ન ખલદૂન નામના મધ્યકાલીન આરબ ઇતિહાસકાર અને વિદ્વાને 14મી સદીમાં ‘મુકદ્દિમા’ નામનો એક નોંધપાત્ર ગ્રંથ લખ્યો હતો. તેમાં તેમણે આરબ વિશ્વના તેમના અભ્યાસ પરથી, શક્તિ અને વંશવાદનાં ચક્રોનું ઊંડું વિશ્લેષણ પ્રસ્તુત કર્યું હતું. તેમાં તેમણે નિરીક્ષણ કર્યું હતું કે વંશની પ્રતિષ્ઠા, શક્તિ અને સામૂહિક એકતા (ખલદૂને તેના માટે ‘અસાબીય્યાહ’ નામનો શબ્દ આપ્યો હતો) ચાર પેઢી સુધી ટકી રહે છે, તે પછી તેનો પ્રભાવ કે વિશ્વસનીયતા ઘટવા લાગે છે. 

ખલદૂનની દલીલ એવી છે કે શરૂઆતમાં જે સમૂહમાં ગહન એકતા, ત્યાગ અને સંઘર્ષની ભાવના હોય છે (પ્રથમ પેઢી), સમય સાથે તેનો વૈભવ અને આરામ વધે છે, પરંતુ અસાબીય્યાહ ઘટે છે. અને લગભગ ચોથી પેઢી સુધી તેમાં એવો ઘટાડો થાય છે કે સત્તાનું માળખું વિખરાવા લાગે છે, અને પછી નવા શાસક અથવા રાજકીય ચક્રનો ઉદય થાય છે.

આ વાતને પરિવારના સંદર્ભમાં જોઈએ તો, એક પિતા તેના સંઘર્ષ અને સમજદારીથી કીર્તિની સ્થાપના કરે છે. તેના પછીની પેઢી, એટલે કે સંતાનો, પિતા સાથે નિજી સંપર્કમાં હોય છે અને તેમને પિતાના સંઘર્ષ અને સફળતામાંથી સીધું શીખવાનું મળે છે, પણ તેઓ પિતા કરતાં એક ડગલું નીચે છે કારણ કે એ સંઘર્ષ કે સફળતા ઉછીની છે, ખુદની નહીં. જેમ કે એક પુસ્તકમાંથી ડહાપણ શીખવા તો મળે પણ તે ઉછીનું હોય છે, અનુભવનું નહીં. 

બીજી પેઢી જો કે સફળતાપૂર્વક એ ઉછીની કીર્તિના જોરે તરી જાય છે, પણ તેનાં સંતાનો, એટલે જે ત્રીજી પેઢી પાસે કેવળ અનુકરણ અને પરંપરા જ હોય છે. પહેલી પેઢી (પિતા) સાથે તેનો પ્રત્યક્ષ સંપર્ક નથી, કેવળ વાતો સાંભળી છે. એટલે તે માન્યતાઓના આધારે એ કીર્તિને જાણે છે અને જીવે છે. બીજી પેઢીથી તે ઔર એક ડગલું નીચે છે; તે એક અંધશ્રદ્ધાળુ ભક્ત છે અને એ ‘ગુરુ’ની વાતોને અનુસરે છે, જેમણે ‘ભગવાન’ જોયેલા છે.

ચોથી પેઢી તો આગલી પેઢીથી બધી રીતે ઉતરતી છે. તેને સન્માન તો મળે છે, પણ એ સન્માન ક્યાંથી જન્મ્યું છે કે ક્યા કારણથી મળે છે તેની તેને ખબર નથી. એને લાગે છે કે એ તો એને વારસામાં મળ્યું છે. તે પોતાને એ પરંપરા અથવા કીર્તિનો હકદાર માને છે અને એવું પણ માને છે કે એ આદર્શોને આગળ લઇ જવાની તેની ‘દૈવી’ ફરજ છે. 

ખલદૂનના અસાબીય્યાહની આ કહાની ભારતની કાઁગ્રેસ પાર્ટી અને તેના નેતા રાહુલ ગાંધીની કહાનીમાં ફિટ બેસે છે. કાઁગ્રેસ પાર્ટીનો વંશ ચોથી પેઢીમાં આવીને ખતમ થવા આવ્યો છે. જનતાએ પણ ચોથા હાથમાંથી આવેલી કીર્તિ માટે સન્માન ગુમાવ્યું છે, અને તેની પાસેથી તે નેતૃત્વને લઈ લઈને બીજા નેતા કે વંશજને સોપ્યું છે; ખલદૂનની ભાષામાં, અહીંથી ભા.જ.પ. નામના નવા વંશ ચક્રનો ઉદય થયો છે. 

કાઁગ્રેસ પાર્ટી, જે સ્વાતંત્ર્ય સંગ્રામ પહેલાંના વૈચારિક મંથનમાંથી ઉભરી હતી, આજે તેના અસ્તિત્વ સામે એક ગંભીર સંકટનો સામનો કરી રહી છે, અને ચોથી પેઢીના રૂપમાં રાહુલ ગાંધી તેના આ પતનમાં કેન્દ્રીય ભૂમિકામાં છે.

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપના 1885માં થઈ હતી અને તે સ્વાતંત્ર્ય ચળવળમાં સૌથી આગળ રહી. આઝાદી પછી પણ નેહરુ-ગાંધી પરિવારનો પાર્ટીમાં ઘણો ઊંડો પ્રભાવ રહ્યો. જવાહરલાલ નેહરુ, ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી અને પછી સોનિયા ગાંધી સુધી બધા તેના ભાગ રહ્યાં. પરંતુ ઇબ્ન ખલદૂનની દૃષ્ટિએ જોઈએ તો આ વંશવાદ પ્રથમ પેઢીથી બીજી પેઢી સુધીની યાત્રા જેવી છે : એક નવી શક્તિ, મોટી આશા, સામૂહિક ઊર્જા. પરંતુ સમયની સાથે, વૈભવ, આરામ અને શક્તિનું કેન્દ્રિકરણ વધ્યું – અને અસાબીય્યાહ ધીરે-ધીરે નબળું થતું ગયું.

જવાહરલાલ નહેરુની પહેલી પેઢી પાસે સ્વતંત્રતા યુગ, સંઘર્ષ અને આદર્શવાદની તાકાત હતી. ઇન્દિરાની બીજી પેઢી પાસે ઉચ્ચ સત્તા અને રાજકીય દૃઢતાની મજબૂતાઈ હતી. રાજીવ-સોનિયાની ત્રીજી પેઢી પાસે વૈશ્વિક ઓળખ, સંસદીય રાજનીતિ અને સત્તાનો વૈભવ હતો. આ બધો અસાબીય્યાહ રાહુલ અને પ્રિયંકાની ચોથી પેઢીમાં આવીને ખતમ થઇ ગયો છે. રાહુલ ગાંધી એ ‘ચોથી પેઢી’ના પ્રતીક બન્યા છે, જેના સમય દરમ્યાન પક્ષનું સામૂહિક બંધુત્વ કમજોર થયું છે અને સત્તા સંતુલન, સંગઠનાત્મક મજબૂતી અને જનસંવાદમાં ઘટાડો થયો છે.

કાઁગ્રેસે વર્ષોનાં વર્ષો સુધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે; તે માર ખાઈ-ખાઈને તગડા બનેલા મહોમ્મદ અલી જેવી હતી, પણ આજે પાર્ટીની અંદર કોઈ મજબૂત ‘લડાયક ભાવના’ નથી રહી. 2014થી લગાતાર કાઁગ્રેસનો ગ્રાફ ઘટી રહ્યો છે. બિહાર તેનું તાજું ઉદાહરણ છે. તેના એક સમયના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે રાહુલ ગાંધીની સમીક્ષા કરતાં લખ્યું છે કે પાર્ટીમાં હવે નિર્ણયો સુરક્ષા ગાર્ડ અથવા પી.એ. દ્વારા લેવામાં આવે છે, ન કે લોકશાહી પ્રક્રિયાથી.  

રાહુલ ગાંધીના નેતૃત્વને ‘વંશવાદ’ની ટીકાનો પણ સતત સામનો કરવો પડ્યો છે. પાર્ટીમાં અન્ય મુખ્ય અને યુવાન નેતાઓનો વિકાસ ઓછો રહ્યો છે કારણ કે પાર્ટીમાં દરેક બાબતમાં ગાંધી પરિવારનું પ્રભુત્વ બરકરાર રહ્યું છે. બીજા શબ્દોમાં કહી તો કાઁગ્રેસ પાર્ટી એટલી વજનદાર હતી કે હવે તેને જ તેનો ભાર લાગવા માંડ્યો છે. 

રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ જેવી પ્રવૃત્તિઓ સાચા અર્થમાં જનસંપર્કની પહેલ હતી, પરંતુ તેની અસર પાર્ટીની સ્થાયી પુનર્રચના પર મર્યાદિત રહી. ઇબ્ન ખલદૂનના અનુસાર, જ્યારે વૈભવ વધે છે અને સંઘર્ષની ભાવના ઘટે છે, ત્યારે શક્તિનો સાચો આધાર ધ્વસ્ત થઇ જાય છે. આવી જ કંઇક સ્થિતિ કાઁગ્રેસ સાથે થઇ રહ્યું છે. 

એ દૃષ્ટિએ કાઁગ્રેસની સ્થિતિ જોવામાં આવે, તો એવું કહેવું કદાચ અતિશયોક્તિ નથી કે પાર્ટી સંગઠાત્મક ચક્રના અંત તરફ છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટી જનતા અને મતદાતાઓમાં પકડ ગુમાવી રહી છે, વરિષ્ઠ નેતાઓમાં નારાજગી અને વિદ્રોહ વધી રહ્યા છે, આર્થિક સંસાધનો સંકુચિત થઇ રહ્યાં છે અને સંગઠાત્મક પુનરુત્થાનની રણનીતિમાં તે નિષ્ફળ જઈ રહી છે. 

ઇબ્ન ખલદૂનનું ચિંતન કહે છે કે સત્તાનો ક્ષય સ્વાભાવિક છે, પરંતુ તેનું પુનરુત્થાન પણ શક્ય છે – તેના માટે નવી પેઢીઓ, નવી વિચારધારાઓ અને નવી અસાબીય્યાહની રચના કરવી પડે. ગાંધી પરિવારે બહારના નવા, યુવા અને સક્ષમ નેતાઓને આગળ કરવા પડે. નેતૃત્વમાં લોકતાંત્રિક પ્રક્રિયાઓ મજબૂત કરવી પડે, પાર્ટીને સ્થાનિક સ્તરે લોકો સાથે જોડવી પડે, ચૂંટણીના અર્થતંત્રને પુનઃસ્થાપિત કરવું પડે અને એક સ્પષ્ટ, આધુનિક તેમ જ પ્રગતિશીલ વિચારધારા પ્રસ્તુત કરીને યુવા અને મધ્યમ વર્ગને સાથે જોડવો પડે. 

કાઁગ્રેસનું હાલનું પતન અનિવાર્ય અંત નથી. જો કાઁગ્રેસ પુનરુત્થાનની નીતિ અપનાવે – નવી અસાબીય્યાહ, નવું નેતૃત્વ અને સંસ્થાકીય સુધારા અપનાવે – તો તે ઇતિહાસના આ ચક્રને નવી રીતે ફેરવી શકે છે. નહીં તો, ઇબ્ન ખલદૂનની આગાહી અનુસાર, કાઁગ્રેસ તેની ચાર પેઢીઓનાં વારસામાં ‘પતન’નો સામનો કરી શકે છે અને રાજકીય પરિદૃશ્યમાં તેનો મહિમા ધીમે ધીમે ગુમાવી શકે છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 23 નવેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...10...17181920...304050...

Search by

Opinion

  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved