Opinion Magazine
Number of visits: 9674824
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

No, Thank You

આશા બૂચ|Opinion - Opinion|15 September 2021

પ્રતિ,

ટ્રસ્ટીમંડળ,

ગાંધીસ્મારક સંગ્રહાલય

સાબરમતી આશ્રમ

અમદાવાદ

માનનીય શ્રી ઇલાબહેન ભટ્ટ, કાર્તિકેય સારાભાઈ, સુદર્શનભાઈ આયંગાર, નીતિનભાઈ શુક્લ, અશોક ચેટર્જી, અમૃતભાઈ મોદી તથા અતુલભાઈ પંડ્યા,

નમસ્કાર.

સાબરમતી આશ્રમનું રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે ‘નવીનીકરણ’ કરવાની ભારતની કેન્દ્ર સરકારની અને ગુજરાતની રાજ્ય સરકારની યોજના વિષે જાણકારી મળી.

સૌ પ્રથમ શ્રી તુષારભાઈ ગાંધીના લેખ અને ત્યાર બાદ ૧ સપ્ટેમ્બર ’૨૧ના ‘નિરીક્ષક’ના અંકમાં પ્રગટ થયેલ આદરણીય શ્રી રાજમોહન ગાંધીના લેખ, તેજસ વૈદ્યના આપ સહુની બી.બી.સી. સાથેની મુલાકાત પર આધારિત લેખ તેમ જ થોમસ વેબર, ચાર્લ્સ ડી સિલ્વા તથા ડેનિસ ડાલ્ટનના લેખો દ્વારા વધુ માહિતી મળી. સહુનાં મંતવ્યો જાણ્યાં. 

આ વિષે મારા વિચારો નમ્રપણે જણાવવા માગું છું.

એક હકીકત સ્પષ્ટ છે કે સરકાર ભલે આશ્રમની સાદગી જાળવી રાખવાનું વચન આપે, પરંતુ તેની આસપાસ જે આધુનિક સગવડો ઊભી કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, તે આશ્રમની પ્રતિમાને ઝાંખપ લગાડનારો છે. ભૌતિક સુખસગવડો પાછળ પાગલ થઈને દોડતી ભારતની અને અન્ય દેશોની પ્રજાને ફૂડકોર્ટમાં જઈને પીઝા અને બર્ગર આરોગવાનું આકર્ષણ વધુ રહેશે અને ગાંધીવિચારને સમજવાની જગ્યા તેમના પેટમાં કે દિમાગમાં નહીં રહે એ સંભવિતતા નિશ્ચિત છે.

ગાંધીજી કરતાં વધુ સારી વક્તૃત્વશક્તિ, શારીરિક મોહક પ્રતિભા અને વધુ માનપ્રદ ઉચ્ચ સ્થાન ધરાવતી હસ્તીઓ ૧૯મી-૨૦મી સદીમાં અસ્તિત્વમાં હતી. છતાં માત્ર ધોતી પહેરેલ, બહારથી તદ્દન સાધારણ દેખાતા ગાંધીજી ધીમા અને નરમ અવાજે બોલતા, તો કરોડો લોકો તેમને સાંભળતાં અને લાખો લોકો અનુસરતાં; તેનું કારણ તેઓ જે અમલમાં મૂકતા તે જ બોલતા એ છે. તો એમના વિશેની જાણકારી એમ્ફિથિયેટરના ઝગમગાટથી લોકોને વધુ સમજાશે કે હાલના સાદગીભર્યાં માહિતીપ્રસારનાં માધ્યમોથી?

યુ.કે.માં વડ્‌ર્ઝવર્થ અને જ્હૉન રસ્કિનનાં નિવાસસ્થાનો યથાવત્‌ રાખવામાં આવ્યાં છે. માર્ટિન લ્યુથર કિંગનાં સ્મારકો પણ સાદગીભર્યાં છે. જે લોકો અને નેતાઓ આપણા મહાપુરુષોનાં વિચારો અને કાર્યોને ઓળખતાં નથી તેઓ જ આવું છીછરું પગલું ભરે, વિચારે. શ્રીરામ અને શ્રીકૃષ્ણને આદર્શ માનવી ગણી, તેમના બોધને જીવનમાં ઉતારવાને બદલે પથ્થરની મૂર્તિમાં ચણી દીધા. સરદાર પટેલનું પણ બાવલું બનાવ્યું. હવે ગાંધી આશ્રમને સરકારી તિજોરી ભરવા માટેની કામધેનુ બનાવવાના પ્રયાસ ચાલે છે. આ કૃત્ય આપણી હયાતીમાં તો નહીં જ થવા દેવાય.

ઈ.સ. ૧૮૩૦માં થેમ્સ નદીના બે કિનારાને જોડતો લંડનબ્રિજ બાંધવામાં આવેલ. ઈ.સ. ૧૯૬૮માં McCullock નામના ધનપતિએ તે ખરીદી લીધો અને અમેરિકાના રેતાળ પ્રદેશ એરિઝોનામાં પ્રવાસીઓને આકર્ષવા માટે ત્યાં લઈ જઈને ફરી બાંધ્યો. જો ભારત સરકારને પણ ધન કમાવાનો અને વર્તમાન રાજકીય પક્ષ અને ખાસ કરીને વડા પ્રધાનને પોતાના નામે વર્લ્ડક્લાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છોડી જવાનો મનસૂબો હોય, તો આ પ્રકલ્પ ગુજરાત કે ભારત કરતાં બીજા રાજ્ય કે દેશમાં વધુ નાણાં મેળવી આપે એ શક્ય છે.

ગુજરાતની પ્રજા સરદારનું બાવલું બનાવવા ખાતર અસંખ્ય લોકોનાં ઘર, જમીન અને આજીવિકાનાં સાધનો લૂંટાઈ જતાં રોકી ન શકી. હવે સાબરમતી આશ્રમનું વ્યાપારીકરણ થતું અટકાવવા માટે પ્રતિબદ્ધ થવું રહ્યું. NO, THANK YOU જ કહી દેવું રહ્યું.

સ્ટેચ્યૂ ઑફ યુનિટીના આસપાસનાં ભવ્ય બગીચાઓ, તળાવ, રોપવે વગેરે પાછળ ખર્ચેલ રાશિ કિસાનોને ખેતસુધાર માટે, મહિલાશિક્ષણ અને રોજગારી વાસ્તે, જ્ઞાતિવાદ અને કોમવાદની નાબૂદી માટે તાલીમ પાછળ ખર્ચવા સરદાર પટેલે કહ્યું હોત. તેમ જ ગાંધીજી પણ કહેત કે આ ભૂમિને એક શાંતિસૈનિકો માટેનું તાલીમકેન્દ્ર અને સત્ય-અહિંસાના શાસ્ત્ર માટેનું અભ્યાસ તેમ જ સંશોધનકેન્દ્ર બનાવો, તો જ દુનિયાનું World Class d=Destination બનશે. ફિનિક્સ સેટલમેન્ટે આ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે.

સરકાર ૫૫ એકર જેટલી જમીન કબજે કરવા માંગે છે, ત્યાં અત્યારે કોણ વસે છે, શો વ્યવસાય કરે છે અને તેમની ભાવિ યોજના શી છે, એ જાણીને હાલની પરિસ્થિતિનો ખ્યાલ આપી, આ નવીનીકરણના પ્રસ્તાવનો વિરોધ કરવા તેમને ગાંઠે બાંધી શકાય. જ્યારે દુનિયાના બીજા દેશો વાહનો ઓછાં વાપરીને પર્યાવરણને બચાવવા પગલાં લે છે, ત્યારે ગાંધીના હૃદય સમા હૃદયકુંજને જોવા જવા માટે મોટા રસ્તાઓ અને કારપાર્ક બાંધવા છે? પછી તેની વચ્ચે આશ્રમ સુરક્ષિત રહ્યો તેમ શી રીતે માની શકાય? આવા કાર્યમાં આપણે શી રીતે સાથ આપી શકીએ?

આપ સહુ ટ્રસ્ટીઓ ભારતની અને વિદેશમાં વસતી ભારતીય પ્રજા કે જેને ગાંધી – વિચાર અને આચારનું મૂલ્ય સમજાય છે અને તેને જાળવવાની તરફેણમાં છે, તેમના વતી આ નવીનીકરણના પગલાંને ઊગતું જ રોકી દેવાની અસરકારક ચળવળ આરંભ કરશો તેવી શ્રદ્ધા છે.

રાજ્ય અને કેન્દ્ર સરકાર ગુજરાત અને ભારતની પ્રજાને લેખિત ખાતરી આપે કે વર્તમાનમાં કે ભવિષ્યમાં આ પ્રકારના ફેરફારો કરવામાં નહીં આવે. આ સ્થળ રાષ્ટ્રીય ધરોહર છે. આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવે છે.

આવનારી પેઢી માટે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના અતિ મહત્ત્વપૂર્ણ ઇતિહાસ, તેની પાછળની ભૂમિકા અને તેના હાર્દને પોતાની માટીમાં સંકોરીને ગરિમાપૂર્ણ સાદગીથી, શાનદાર છટાથી પલાંઠી વાળીને બેઠેલા સાબરમતી આશ્રમને દેણગીમાં આપી જવાની આપણી ફરજ છે. ગુજરાત કે કેન્દ્ર સરકાર તેમાં દખલ ન કરી શકે.

આપ સહુને વિગતવાર નિવેદન કરવાની અનધિકૃત ચેષ્ટા કરવા બદલ માફી ચાહું છું, પરંતુ મારી આ વ્યથા, આશંકા અને કંઈક કરી છૂટવાની લાગણીમાં ઘણાં લોકોના મંતવ્યોનો પડઘો છે. આપ સહુ આ હકીકતો જાણો છો, માત્ર અમારા વતી સરકારોને જણાવો તેવી વિનંતી.

આશા રાખું છું, થોડા જ સમયમાં સરકારે આ આખો પ્રકલ્પ પાછો ખેંચી લીધો છે, એવા શુભ સમાચાર મળશે.

આપની વિશ્વાસુ

આશા બૂચના વંદન

E-mail : 71abuch@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 09 તેમ જ 08

Loading

નિરંતર વિદ્યાર્થી રહે, એ જ સાચો શિક્ષક

સોનલ પરીખ|Opinion - Opinion|14 September 2021

એક મિત્ર વારંવાર કહેતા હોય છે, ‘શિક્ષકને વળી શું કામ હોય? છોકરાં ભણાવવાનાં ને પગારો ખાવાના.’ એક અધિકારી કહે છે, ‘ક્યાં ય ન ચાલે એ શિક્ષક બની જાય.’ 24 વર્ષની દર્શિતા માટે એક શિક્ષકનું માગું આવ્યું ત્યારે તેણે સ્વયંવરમાં દ્રૌપદીએ કહ્યું હશે એ ઢબે કહ્યું, ‘હું શિક્ષકને નહીં પરણું.’ શિક્ષણ જેવો ઉમદા પ્રક્રિયા અને શિક્ષક જેવા ઉમદા વ્યવસાયનું આવું અવમૂલ્યન થતું જોઈ જીવ બળે અને વિચાર પણ આવે કે આવું થવાનું કારણ શું? શિક્ષકદિન પર આપણે એ કારણમીમાંસામાં નથી પડવું – આપણે યાદ કરીએ માનવીના સ્વભાવ અને વિકાસ સાથે જોડાયેલી શિક્ષણપ્રક્રિયાને, શિક્ષણને અને શિક્ષકને.

શિક્ષણ એટલે વ્યક્તિમાં રહેલી શક્તિઓને ઉપસાવતી અને કેળવતી પ્રક્રિયા. તેના ત્રણ  પ્રકાર છે : (1) સહજ શિક્ષણ – ઈન્ફૉર્મલ એજ્યુકેશન (2) ઔપચારિક શિક્ષણ – ફૉર્મલ એજ્યુકેશન (3) અનૌપચારિક શિક્ષણ – નૉનફૉર્મલ એજ્યુકેશન.

શિક્ષણની જે પ્રક્રિયા બાળકના જન્મથી મૃત્યુપર્યંત અભાનપણે ચાલ્યા કરતી હોય છે તેને સહજ શિક્ષણ કહે છે. વ્યક્તિ જે કંઈ જુએ, સાંભળે, અનુભવે, વાંચે, બીજી વ્યક્તિઓના સંપર્કમાં આવે એની અસર તેના વ્યક્તિત્વ પર પડતી હોય છે. બાળક સાંભળીને ભાષા શીખી લેતું હોય છે એ હકીકત સહજ શિક્ષણનું એક ઉદાહરણ છે. ઔપચારિક શિક્ષણ શાળા-કૉલેજમાં નિયત અભ્યાસક્રમો અને સમયપત્રક મુજબ તેમ જ ચોક્કસ પદ્ધતિથી આપવામાં આવે છે. શિક્ષણના નામે જે ચર્ચા કરવામાં આવતી હોય છે તે શાળા-કૉલેજમાં અપાતા શિક્ષણની હોય છે. અને ચોક્કસ પ્રકારની કામગીરી માટે વ્યક્તિને જે તાલીમ-પ્રશિક્ષણ આપવામાં આવે છે તેને અનૌપચારિક કે નૉન-ફૉર્મલ શિક્ષણ કહે છે. ઔપચારિક શિક્ષણ વ્યક્તિની સામાન્ય શક્તિ વિકસાવે છે, જ્યારે અનૌપચારિક શિક્ષણથી વ્યક્તિની ચોક્કસ શક્તિનો વિકાસ થાય છે.

‘‘મારા જન્મદિવસને ‘શિક્ષક દિન’ તરીકે ઊજવવામાં આવે તો હું ખૂબ ગૌરવ અનુભવું.’’ આવું કહેનાર ડૉ. સર્વપલ્લી રાધકૃષ્ણન એટલે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ – બહુમુખી પ્રતિભા ધરાવનાર અને દેશ માટે બહુમૂલ્ય પ્રદાન કરનાર આજીવન શિક્ષક. શિક્ષક દિન નિમિત્તે એમની ઉક્તિઓને યાદ કરીએ :

• ઈશ્વર દરેક મનુષ્યમાં જીવે છે, સંવેદનો અનુભવે છે, પીડા વેઠે છે અને સમય જતાં પોતાનાં ગુણો, જ્ઞાન, સૌંદર્ય અને પ્રેમને દરેક મનુષ્યમાં સાકાર કરે છે

• ધર્મ વર્તન છે, માન્યતા નહીં

• સાચો શિક્ષક આપણને પોતાના વિશે વિચારતા કરે છે

• શિક્ષણ સંસ્કૃતિઓને સાંધતો સેતુ છે

• શિક્ષકો, દેશના સૌથી વધુ બુદ્ધિમાનો હોવા જોઈએ

• આવડી ગયું એમ લાગે, એ પછી શીખી શકાતું નથી

અગાઉ એમ મનાતું કે શિક્ષક એ જ્ઞાનનો અખૂટ અને એકમાત્ર ભંડાર છે અને શીખનાર એ જ્ઞાનની પ્રતીક્ષા કરતું ખાલી પાત્ર છે – એક તરફ સક્રિય દાતા તો બીજી તરફ નિષ્ક્રિય યાચક. આ માન્યતા સાચી નથી. વાસ્તવિક પણ નથી. આજના જ્ઞાનવિસ્ફોટના યુગમાં કોઈ પણ શિક્ષક પોતે સર્વ જ્ઞાનનો સ્વામી છે એવો દાવો કરી શકે એવી સ્થિતિ રહી નથી. આમ પણ સાચો શિક્ષક એ છે જે નિરંતર વિદ્યાની સાધના કરતો વિદ્યાર્થી હોય.

શૈક્ષણિક મનોવિજ્ઞાનના પ્રયોગો અને સંશોધનો દ્વારા એ સિદ્ધ થયું છે કે વિદ્યાર્થી ભલે ગમે તે વયનો હોય – એનું ચેતન મન અને વિશેષ તો અચેતન મન, અખૂટ લાગણીઓ, વિચારો, કલ્પનાઓ, તર્કો, તરંગો વગેરેથી ઊભરાતું હોય છે. આથી જ દૃષ્ટિમંત શિક્ષક હંમેશાં પોતાના અદનામાં અદના વિદ્યાર્થીની ક્ષમતા માટે આદર અને વિશ્વાસ ધરાવતો જોવા મળશે. શિક્ષણના બધા તબક્કે આવા જ શિક્ષકોની તાતી જરૂર છે એ હવે સ્વીકારાયું છે.

શીખવાની પ્રક્રિયા મૂળભૂત રીતે વ્યક્તિની અંગત અને ઐચ્છિક પ્રવૃત્તિ છે. એ પ્રવૃત્તિ કરનાર શીખવાને લગતા અનેક નિર્ણયો લેતો હોય છે. એવા નિર્ણયો લેવાની એની સજ્જતા જેટલી ઓછી એટલા પ્રમાણમાં શીખવવામાં એને નડતા અવરોધોની સંખ્યા મોટી, અને શીખવા માટેની એની સ્વતંત્ર ઇચ્છાશક્તિ જેટલી ઉત્કટ એટલી એની શીખવાની પ્રક્રિયા ઝડપી. આપણે ઘોડાને પાણી પાસે લઈ જઈ શકીએ, પણ એને એ પાણી પીવાની ફરજ પાડી શકીએ નહિ. એ ઉક્તિ શીખનાર માણસને પણ લાગુ પડે છે. ફક્ત દબાણ, હુકમ, ધાકધમકી, શારીરિક શિક્ષાનો ભય કે ગુણની લાલચ શીખનારને અભિપ્રેરિત કરી શકતાં નથી.

વિદ્યાવિમુખ સામાજિક પર્યાવરણ એ શીખવાની પ્રક્રિયાનું બીજું વિઘ્ન છે. નિરક્ષરતા, અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, ગરીબાઈ, કુરિવાજો, લિંગભેદ, પછાતપણું, પૂર્વગ્રહો વગેરેને કારણે કેટલાક સમુદાયોમાં વિદ્યાવિરોધી અભિગમ જોવા મળતો હોય છે. આવા પર્યાવરણમાં ઉછરેલા બાળકની માનસિક સજ્જતામાં ઘણી ઊણપો હોય છે. આવાં અસંખ્ય બાળકો કાં તો ભણવા જતાં નથી અને જો જાય તો થોડા વખતમાં મૂકી દે છે.

શાળાનું આધાર-માળખું આમાં ઉપકારક કે વિઘ્નરૂપ હોઈ શકે. શાળાનું મકાન, રમતનું મેદાન, ભૌતિક સગવડો, શાળાનું સમયપત્રક, શાળાની કામગીરીનાં ધારાધોરણો, અભ્યાસક્રમ, શિક્ષણ-પરીક્ષણની પદ્ધતિઓ, પાઠ્યપુસ્તકો અને અન્ય અધ્યયન સામગ્રી, શિક્ષક, આચાર્ય અને અધિકારી વર્ગના અભિગમો વગેરે અસંખ્ય સ્થૂળ-સૂક્ષ્મ બાબતોનો એમાં સમાવેશ થાય છે. આપણી શાળાઓમાં આ બાબતો સંદર્ભે જોવા મળતી અનેકવિધ અપૂર્ણતાઓ વિદ્યાર્થીના દિલમાં શાળા, શિક્ષક, શિક્ષણ અને સમગ્ર વ્યવસ્થા પ્રત્યે અણગમો, અરુચિ, અવિશ્વાસ અને શંકા જ નહીં, પણ શત્રુતાની ઉગ્ર લાગણી જન્માવે છે એ સંશોધનોથી સાબિત થયેલી હકીકત છે.

જે સમાજમાં કાયદાનું શાસન નબળું હોય, જ્યાં ઘડાતી નીતિઓના પાયામાં નક્કર વિચાર ન હોય, જે વ્યવસ્થાને બેદરકારી, પ્રમાદ, લાગવગ, લાંચરુશવત અને અનૈતિક રીતિનીતિનો મહાવ્યાધિ લાગુ પડેલો હોય અને જ્યાં ગુણવત્તા, ઉત્તમતા અને નિરપેક્ષતાનો તત્કાલ અંગત કે પક્ષીય ટૂંકા લાભની વેદી પર ભોગ લેવાતો હોય, ત્યાં શિક્ષણ રુંધાય છે.

શિક્ષણ એટલે માત્ર વાચન, લેખન અને ગણન નહીં, શિક્ષણ એટલે માત્ર વિવિધ વિષયોનું જ્ઞાન નહીં, શિક્ષણ એટલે હાથપગ અને જ્ઞાનેન્દ્રિયોના સંયોજન દ્વારા કશુંક ઉત્પાદક કામ કરવાનો હુન્નર. શિક્ષણમાં ખેતી, સુથારીકામ, લુહારીકામ, દરજીકામ વગેરેથી માંડી આધુનિક ટેક્નૉલૉજીના ઉપયોગ વડે થતાં વિવિધ કામોની આવડતો અને એ ઉપરાંત અનુકૂલન, પરિવર્તનશીલતા, કલ્પના, પુનર્ઘડતર, આત્મસાક્ષાત્કાર, પર્યાવરણ-જાગૃતિ, નીતિમત્તા જેવી માનસિક ક્ષમતાઓનો સમાવેશ થાય છે.

શિક્ષણે વ્યક્તિમાં પૂરતી આજીવિકા રળવાની ક્ષમતાઓ વિકસાવવી જોઈએ. શિક્ષણે વ્યક્તિને, પોતાના દેશ અને કાળના સંદર્ભે જ્ઞાન પામવાની આવડતો અને કૌશલ્યો વિકસાવવામાં સહાય કરવી જોઈએ, શિક્ષણ એવું હોય કે જે વ્યક્તિને સર્વક્ષેત્રે મહત્તમ ઉત્પાદક અને સંવેદનશીલ વ્યક્તિ તેમ જ જવાબદાર અને સક્રિય નાગરિક બનાવે. શિક્ષણ દ્વારા વ્યક્તિનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. વિદ્યાર્થીનું શરીર, જ્ઞાનેન્દ્રિયો, બુદ્ધિ, લાગણીઓ, વલણો, આત્મા, અભિગમો, આગ્રહો, શ્રદ્ધાઓ અને કૌશલ્યો એ બધાં શિક્ષણ દ્વારા પર્યાપ્ત રીતે વિકાસ પામે તેની શિક્ષકે દરકાર રાખવી જોઈએ. ઉપરાંત સમાજમાં દરેક સંજોગોમાં અન્યોની સાથે શાંતિ, સુમેળ, સહયોગ, સમજદારી, સંવાદ અને સક્રિયતાપૂર્વક આનંદથી જીવી શકાય તેવાં કૌશલ્યો અને અભિગમો વિદ્યાર્થીમાં વિકસાવે તેવી પણ શિક્ષક પાસે અપેક્ષા છે.

દેશ-દેશની શિક્ષણવ્યવસ્થાઓ પોતપોતાની રીતે આ બધા મુદ્દા ધ્યાનમાં રાખે છે. વિશ્વગ્રામ બની ચૂકેલા આજના વિશ્વને ગ્લૉબલ માઈન્ડસેટ અને ગ્લૉબલ વર્ક-કલ્ચરને અનુરૂપ માનસિકતા અને કૌશલ્યો ધરાવતા નાગરિકોની જરૂર છે. એકવીસમી સદીના શિક્ષક સમક્ષ આવો વિશ્વસમાજ રચવાનું નવું જ ધ્યેય આવીને ઊભું છે. આજના સમયનો આ તકાજો છે, પડકાર છે અને તક પણ છે.

ભારતીય શિક્ષણના ઇતિહાસમાં મેકૉલે બદનામ પાત્ર છે. પણ અંગ્રેજી શિક્ષણને કારણે જ ભારતીયોમાં રાજકીય જાગૃતિ આવી તેને માટે ભારત મેકૉલેનું ઋણી રહેશે. 19મી સદીના ઉત્તરાર્ધમાં ભારતીયોમાં થયેલો રાષ્ટ્રીય ચેતનાનો પ્રાદુર્ભાવ, લાહોરમાં ઍંગ્લો-વૈદિક કૉલેજનો, હરદ્વારમાં સ્વામી શ્રદ્ધાનંદ દ્વારા ગુરુકુળનો અને બનારસમાં સેન્ટ્રલ હિન્દુ કૉલેજનો આરંભ, ભારતીય વિશ્વવિદ્યાલય પંચ, કલકત્તા યુનિવર્સિટી પંચ, ગાંધીજીનું રાષ્ટ્રીય શિક્ષણ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષણ સંમેલન, એમાં પસાર થયેલા બુનિયાદી શિક્ષણના આધાર સમા ચાર ઠરાવો, ડૉ. ઝાકિર હુસેનના અધ્યક્ષપદે નીમાયેલી સમિતિ, વર્ધા શિક્ષણયોજના – આ બધો તો સ્વતંત્રતા પહેલાનો જ ઇતિહાસ છે. આ અને સ્વતંત્રતા પછીનો દીર્ઘ શિક્ષણ-ઇતિહાસ કેટલા શિક્ષકો જાણતા હશે? આજે શિક્ષણક્ષેત્ર અખતરાખોરી અને લૂંટ માટે બદનામ છે, પણ તેના ભવ્ય અને પ્રેરણાદાયક ઇતિહાસની જાણકારી શિક્ષકમાં જ નહીં, વિદ્યાર્થીમાં અને સમગ્ર સમાજમાં અનોખી અસ્મિતા પ્રગટાવવા સક્ષમ છે. આવું કંઈક થઈ શકે તો શિક્ષક દિનની ઊજવણીને નવું પરિમાણ મળે ખરું.

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 05 સપ્ટેમ્બર 2021 

Loading

પ્રેમ : મનનો અને તનનો

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 September 2021

આ પૃથ્વી પર માનવજાત અસ્તિત્વમાં આવી ત્યારે તેને આ જગતની તો ખાસ સમજ નહીં જ હોય, પણ તેને પોતાને વિષે પણ ત્યારે કેટલી સમજ હશે તે પ્રશ્ન જ છે. આજે પણ આપણે વિષે આપણે કેટલું જાણીએ છીએ? જે શરીરની આપણે બહારથી ટાપટીપ કરીએ છીએ એ શરીરની રચના પણ આપણે તો ભણવી જ પડે છે. તે એટલે કે શરીર આપણને પહેલાં મળી જાય છે ને જ્ઞાન તે પછી શરૂ થાય છે. ખોરાકનું લોહી બને છે તે આપણે શીખ્યા છીએ, પણ કયાં બિંદુથી ખોરાકનું લોહી બને છે ને આપણા જ શરીરમાં બને છે, એની આપણને ખબર નથી. આંસુ કોણ, ક્યાંથી બનાવે છે એ નથી જાણતા ને ઘણું બધું જાણીએ છીએ એવા વહેમમાં ફરીએ છીએ !

એવું જ પ્રેમનું છે. પૃથ્વી પર મનુષ્યે યુગોથી પ્રેમ કર્યો છે, પણ એ તત્ત્વ પૂરેપૂરું આજે પણ પકડમાં આવ્યું નથી. જગતમાં આદમ પહેલો આવ્યો એમ કહેવાય છે. તે પછી ઈવ આવી. એ સ્ત્રી–પુરુષે એકબીજાને પહેલીવાર જોયાં હશે ત્યારે શરીરનો ભેદ દેખાયો હોય તો પણ સમજાયો નહીં હોય એમ બને. આદમની પાંસળીમાંથી સ્ત્રી જન્મી એવું કહેવાય છે, પણ બધી સ્ત્રીઓ આદમની ઓશિયાળી નથી. વારુ, સ્ત્રીને જન્માવનારા આદમની વાત સાચી માનીએ તો, ઈવ જન્મી એનું શું અને કેવું ભાન એને રહ્યું હશે તે તો એ જ જાણે, પણ એટલું તો સહુ કોઈ સ્વીકારશે કે હૃદયની ખબર ન હતી ને હૃદય ધબકતું હતું, આંસુની ખબર પડે તે પહેલાં આંખો ભીની થઈ હતી, સ્મિતની વ્યાખ્યા થાય તે પહેલાં ચહેરે સ્મિત ખીલ્યું હતું. આજે પણ એવું ઘણું બધું છે જેની સમજ પડતી નથી, પણ એક વસ્તુ નક્કી છે કે જીવંત શરીર ન હોય તો જગતમાં કૈં નથી. બહારનું જે કૈં પણ અનુભવાય છે તે પહેલાં તનને કે મનને અનુભવાય છે.

જેને પ્રેમ કહીએ છીએ એની શું અને કેવી ખબર પહેલી વ્યક્તિને પડી હશે તેની તો અટકળ જ કરવાની રહે છે. જેને આપણે વેદના, આનંદ કહીએ છીએ એને એવું જુદું નામ તરત તો નહીં જ મળ્યું હોય. એને અલગ તારવવાનું ને ઓળખવાનું પણ પહેલાં તો સહેલું નહીં હોય. જેને આપણે શરીરનો અને મનનો પ્રેમ કહીએ છીએ એ પણ આપણા પૂર્વજો અલગ તારવી આપે એવી અનુકૂળતા ત્યારે નહીં જ રહી હોય, કારણ જેને તનનો કે મનનો પ્રેમ કહીએ છીએ એવાં જુદાં ખાનાં કરવાનું ભાન જ ત્યારે કોને રહ્યું હશે? એટલું સમજાય છે કે સ્ત્રી કે પુરુષને કોઈ લાગણી એકબીજા માટે મનમાં ઉદભવી હશે ને એ મનમાં જ રહે તો કોને પહોંચે? એટલે એ પહોંચી હશે અભિવ્યક્તિ દ્વારા અને અભિવ્યક્તિ શરીર વગર તો કેમ શક્ય બને? એટલે મનની વાત પણ શરીર વગર તો શક્ય જ ન હતી ને નથી. એટલે મન પણ શરીર દ્વારા જ બીજા મન સુધી પહોંચ્યું હશે. ટૂંકમાં, શરીર વગર સ્નેહ અશક્ય છે.

બીજી તરફ આપણા ધર્મગુરુઓએ અને ગ્રંથોએ કોણ જાણે કેમ, પણ શરીરનો મહિમા એટલો નથી કર્યો જેટલો આત્માનો કર્યો છે. વિલાસિતાનું મહત્ત્વ ન વધે ને લાગણીઓ નિયંત્રણમાં રહે એટલે એમ થયું હશે. એ સારું પણ છે. કશું પણ વકરે એ ઇચ્છનીય નથી, પણ શરીરનો છેદ જ ઉડાવી દેવો એ બરાબર નથી. શરીર નાશવંત છે ને તેનું કઠોર નિયમન શાસ્ત્રો સૂચવે છે. બ્રહ્મચર્ય એ જ એક માત્ર ઉપાય નિયમનનો છે એવું પણ ભણાવાયું છે, છતાં જગતમાં માત્ર બ્રહ્મચર્યની જ બોલબાલા છે એવું નથી. જગત બ્રહ્મચર્યને લીધે વિકસ્યું નથી. એ વિકસ્યું છે સ્ત્રી-પુરુષનાં પ્રેમને લીધે, સહવાસને લીધે. એક વાત સ્પષ્ટ છે કે પ્રેમનો પ્રથમ આવિર્ભાવ મનમાં થાય છે, પણ એ મન પણ શરીરમાં છે, એટલે એની અનુભૂતિ ને અભિવ્યક્તિ શરીર દ્વારા જ શક્ય બને છે. પ્રેમ એક દિવ્ય અનુભવ છે, પણ તે જીવંત શરીરની બહાર ક્યાં ય નથી. મન, શરીરની બહાર નથી તો મન વગર શરીર પણ કૈં નથી. એટલે જે જીવંતતાની અનુભૂતિ થાય છે તે મનુષ્ય સજીવ હોવાને લીધે. પશુપક્ષીમાં પણ પ્રેમની લાગણી છે, પણ ત્યાં ભાષા નથી, એટલે અભિવ્યક્તિ શરીર દ્વારા જ થાય છે. મનુષ્ય પાસે ભાષા છે. ભાષા છે એટલે જ મન પણ છે. ભાષા ન હોત તો કદાચ મનની વાત પ્રગટ જ ન થઈ હોત ! અનુભૂતિ ભાષા વડે અભિવ્યક્તિ પામે છે એટલે મનની વાતો બીજા સુધી પહોંચે છે, નહીં તો પ્રેમ શરીર દ્વારા જ વ્યક્ત થઈને રહી ગયો હોત.

આમ છતાં શરીરી પ્રેમને આપણે બીજા નંબરે જ મૂક્યો છે. શરીરને પવિત્ર ગણતાં આપણને સંકોચ થાય છે, એટલે શરીરી પ્રેમને પવિત્ર ગણવાનું વલણ પણ ઓછું જ છે. શરીર મલીન છે ને આત્મા જ પવિત્ર છે એવું આપણને અનેક રીતે ઠસાવાયું છે, પણ ગમે એટલો પવિત્ર કેમ ન હોય, આત્મા શરીરની બહાર ક્યાં ય નથી. શરીર બતાવી શકાય છે, આત્માનું એવું નથી. શરીરની બહાર પણ આત્મા અનુભવી શકાય છે એવું પણ કહેવાય છે. એ જ રીતે શરીર પણ સૂક્ષ્મ હોય છે એવું મનાય છે, એ બધું ભલે કહેવાતું, મનાતું હોય, એનો કોઈ વાંધો નથી, પણ અતિ સૂક્ષ્મ અનુભૂતિ પણ શરીર વગર શક્ય નથી, એ ભલેને સૂક્ષ્મ શરીર જ કેમ ન હોય, પણ અનુભૂતિ શરીર વગર અશક્ય છે.

હકીકત એ છે કે મનથી હોય કે શરીરથી, પ્રેમ મહત્ત્વનો છે. કેવળ મનથી કોઈ ચાહતું હોય અને એટલાથી જ તૃપ્તિનો અનુભવ થતો હોય તો ભલે, તેની સામે કૈં કહેવાનું નથી, પણ એ દિવ્ય પ્રેમમાં કોઈ શરીરની ઝંખના કરે તો તેટલા માત્રથી તે અપવિત્ર થઈ જાય એમ માનવું કે મનાવવું બરાબર નથી. આપણે પ્રમાણિક હોઈએ તો એ પણ સ્વીકારીશું કે મનથી શરૂ થયેલો પ્રેમ, શરીરી પ્રેમ પર પૂર્ણત્વ પ્રાપ્ત કરે છે. સ્ત્રી-પુરુષનો પ્રેમ મનથી શરૂ થાય તો પણ તેનું ઊંડે ઊંડે એક લક્ષ્ય શરીરની પ્રાપ્તિનું હોય જ છે. બધા પ્રેમ, શરીર પ્રાપ્તિમાં પૂરા થાય એવું જરૂરી નથી, ઘણા પ્રેમ મન આગળ પણ પૂરા થઈ જાય છે, તો ઘણી વાર મનની વાત મનમાં પણ રહી જાય છે ને પ્રિય પાત્ર અન્યત્ર પરણી જાય છે ને આખી જિંદગી કશુંક ન પ્રાપ્ત થઈ શકવાનો વસવસો સિલકમાં રહી જાય છે. એ અસંતોષ કે અપ્રાપ્તિ ઘણું ખરું શરીરની જ હોય છે. ઘણો સ્નેહ મન સુધી પહોંચતો પણ હોય છે ને લગ્ન શક્ય બનતાં નથી ને દેહની પ્રાપ્તિ ન થઈ શકવાની પીડા શેષ રહી જાય છે. વારુ, જે પાત્રો અન્યત્ર ગોઠવાય છે એ પણ સમાધાન તો શરીરમાં જ શોધવા લાચાર બને છે. એટલે દંભ ન કરીએ તો એ સ્વીકારવું પડે કે શરીરી પ્રેમ દરેક વખતે અપવિત્ર નથી જ !

હા, કોઈ અનિચ્છાએ શરીરને સ્પર્શવાની કોશિશ કરે કે બળજબરીએ શરીર પ્રાપ્ત કરે તો એના જેવી ઘોર અપવિત્રતા બીજી કોઈ નથી, કારણ કે શરીરને કોઈ અનિચ્છાએ સ્પર્શવા મથે છે. દેખીતું છે કે શરીર નથી ઇચ્છતું એટલે મન પણ ન જ ઈચ્છે. એવો સ્પર્શ નકારવાનો જ રહે. એનો વિરોધ જ હોય. એથી ઊલટું જે સ્પર્શ શરીર ઇચ્છતું હોય અને એનાથી કોઈને કોઈ પણ રીતે હાનિ ન પહોંચતી હોય તો તેનો નકાર પણ અક્ષમ્ય છે, છતાં હકીકત એ છે કે ઇચ્છનીય સ્પર્શથી ઘણાં વંચિત રહે છે ને અનિચ્છનીય સ્પર્શ ઘણાંને કરમે ચોંટે છે.

એવું પણ કહેવાયું છે કે માતાનું પયપાન કરતું બાળક પણ શરીરી પ્રેમનું જ ઉદાહરણ છે. એ માન્યતા પશ્ચિમની હોઈ શકે ને એ અહીં લાગુ ન પણ પડે. આપણી વાત કરીએ તો બાપ, દીકરીને વહાલ કરે કે બહેન, ભાઈનું કપાળ ચૂમે તો તે સ્પર્શ, પતિ-પત્નીનો સ્પર્શ નથી. પતિ-પત્નીના સ્પર્શમાં એકબીજાનાં શરીરની પ્રાપ્તિનો હેતુ છે, જ્યારે મા-દીકરા કે ભાઈ-બહેનના પ્રેમમાં એ હેતુ નથી. કહેવાય તો છે એ પણ પ્રેમ જ, પણ સમાજ, વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સંબંધો, પ્રેમના ઘણા પ્રકારો પાડે છે, તે સાથે જ એ પણ ખરું કે શરીરી પ્રેમની પણ અનેક છાયાઓ છે ને તે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સંબંધો ને સ્થાન પર અવલંબિત છે એ વાત ધ્યાને લેવાની રહે …

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,7921,7931,7941,795...1,8001,8101,820...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved