Opinion Magazine
Number of visits: 9571374
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જે.સી. કુમારપ્પા – ગાંધી વિચારના એક આદર્શ પુરસ્કર્તા

મૂળ લેખક : ડૉ. આર. રાજેન્દ્રન્‌ − અનુવાદક : આશા બૂચ|Gandhiana|24 August 2021

100 પેપર્સનું [100 Papers of the book on Gandhi] એક પુસ્તક વાંચવા હાથમાં લીધું છે, કેમ કે તેનો રિવ્યુ લખવાનું કામ તેના સંપાદક-લેખિકા શોબના નેલસ્કો[Shobana Nelasco]એ સોંપ્યું છે. તેમાંનો આ લેખ મને બહુ રસપ્રદ લાગ્યો. લાંબો છે, પણ ખૂબ ઉપયોગી છે, આજના સમયમાં આર્થિક અને સામાજિક વિકાસને સમજવા માટે. ગાંધીના આદર્શોને સમજવા હોય તો તેમના સાથીદારોનાં કાર્યોને સમજવા જરૂરી છે.

— આશા બૂચ

ઇતિહાસની તવારીખમાં ભાગ્યે જ અથવા એક પણ એવા કિસ્સાઓ નોંધાયા નહીં હોય જેમાં કોઈ નેતા પોતાના દેશને ગુલામીમાંથી મુક્તિ અપાવે અને સાથે સાથે સ્વતંત્ર દેશના વિકાસ માટે વિગતવાર યોજના ઘડી આપે. આથી જ મહાત્મા ગાંધી એક અદ્વિતીય હસ્તી હતા જેમણે દેશને ગુલામીની જંજીરોમાંથી મુક્ત થવા સજ્જ કર્યો અને વિકેન્દ્રિત વ્યવસ્થા પર આધારિત સ્વ નિર્ભરતાના ઉચ્ચતર તત્ત્વજ્ઞાન તરફ લઇ ગયા, જે સત્ય અને અહિંસાના સિદ્ધાંતો પર રચાયેલ હતા. એટલું જ નહીં, તેની સાથે જ ઉમદા ધ્યેય સાધવા માટે શુદ્ધ સાધનો પણ આપણા હાથમાં મૂક્યાં. પોતપોતાના ક્ષેત્રમાં નિષ્ણાત અને પૂર્ણ નિષ્ઠાથી કામ કરતા એવા ધુરંધરોને પોતાની આસપાસ ખેંચી લેવાની ગાંધીજીમાં એક અદ્દભુત શક્તિ હતી. રાજકીય અને વિકાસના ક્ષેત્રમાં નામાંકિત પ્રતિભાઓ ધરાવતા નિષ્ણાતો શોષણ અને દમન સામે લડવામાં અને લાખો લોકોને ગરીબીમાંથી તથા હીણપત ભરી સ્થિતિમાંથી ઉગારવા ગાંધીજી સાથે જોડાઈ ગયા.

રચનાત્મક કાર્યોનો ભાર ઉપાડવાની જવાબદારી જેમને સોંપવામાં આવી હતી તેની યાદીમાં વિનોબા ભાવે, જે.સી. કુમારપ્પા, ઈ.ડબલ્યુ. આર્યનાયકમ્‌, આશાદેવી આર્યનાયકમ્‌, કૃષ્ણદાસ જાજુ, શંકરલાલ બેન્કર, ઠક્કર બાપા, કૃષ્ણદાસ ગાંધી, ધીરેન્દ્ર મઝુમદાર, સુચેતા કૃપાલાણી, સુશીલા પાઇ, સુશીલા નય્યર, રાજકુમારી અમૃત કૌર, સરલાદેવી સારાભાઈ, દુર્ગાબાઈ દેશમુખ અને બીજાં અનેકોનો સમાવેશ થાય છે. આ બધાં મહાનુભાવોનું એક સામાન્ય લક્ષ્ય હતું અને છતાં દરેકનું અલગ વ્યક્તિત્વ અને જુદી દૃષ્ટિ હતી.

જે.સી. કુમારપ્પા તેમના વિચારોની સ્પષ્ટતા, નિર્ભયતા, પ્રામાણિકતા અને તીક્ષ્ણ વિવેચન શક્તિને કારણે એક જુદી જ કોટિની વ્યક્તિ ગણાયા.

કુમારપ્પાએ સિરેક્યુસ યુનિવર્સિટીમાંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને વહીવટના તજ્જ્ઞની ઉપાધિ મેળવી અને કોલંબિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ઉપાધિ મેળવી. તેમનામાં અર્થશાસ્ત્રના વિદ્વાન અને વહીવટના તજ્જ્ઞની એવી ભાગ્યે જ જોવા મળે તેવી બુદ્ધિ અને શક્તિઓનું મિશ્રણ હતું. આથી જ તો તેમનું ચિત્ર પટલ માત્ર અર્થશાસ્ત્ર, વહીવટ કે હિસાબી ક્ષેત્રોમાં જ સીમિત ન હોતાં માનવ જીવનના દરેક પાસા સાથે સંદર્ભ ધરાવનારું હતું. તેમની સમગ્ર વિચારધારા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નિર્ધન માનવોના હિતને કેન્દ્રમાં રાખીને ઘડાયેલી હતી. આથી જ તો પોતાના વિચારોને ગામડાંના અશિક્ષિત લોકો પણ સમજી શકે તેવી ભાષામાં વ્યક્ત કરી શકતા.

કુમારપ્પાએ આપેલ સિદ્ધાંતોને ટૂંકમાં આ રીતે વર્ણવી શકાય. પ્રાણી જગત પણ પોતપોતાના કાર્યના હેતુ મુજબ વિભાગીકરણ કરવાની ક્ષમતા ધરાવે છે. પ્રાણીના સ્તર ઉપરથી જોઈએ તો આપણે આપણી ભૂખને સંતોષવા કામ કરીએ છીએ. પ્રાણીઓ પોતાની મૂળભૂત જરૂરિયાતો સંતોષવા પાંચ અલગ અલગ માર્ગો અપનાવે છે. પહેલો માર્ગ તદ્દન સરળ છે. વાઘ જંગલમાં રહેતા બીજા પશુનું મારણ કરે છે. આ પરાશ્રયની સ્થિતિ છે. ત્યાર બાદ આવે છે ધાડપાડુ કે બીજાં પ્રાણીઓનો શિકાર કરનારની સ્થિતિ, કે જેમાં વાનર ઝાડ પરથી સફરજન તોડી લઈને ભૂખ ભાંગે છે. એ મેળવવા માટે તેણે કશી મહેનતનું કામ કર્યું છે કે નહીં એનો તે વિચાર નથી કરતો. અહીં વાઘની હિંસાનું તત્ત્વ થોડા ઓછા પ્રમાણમાં જોવા મળે. પણ એ બંને કિસ્સાઓમાં ખોરાકના ઉપભોગમાં ઉપભોક્તાનો કોઈ ફાળો નથી હોતો. ત્રીજો માર્ગ છે, પક્ષી પોતાનો માળો બાંધે છે. અર્થશાસ્ત્રની વ્યાખ્યા મુજબ એ ઉત્પાદક અને ગ્રાહક બંને છે; અને તેમ કરવામાં હિંસાનો એથી ય વધુ હ્રાસ થાય છે. આને આપણે ઉદ્યમનું સ્તર કહી શકીએ. ચોથું સ્તર આપણને મધમાખીઓનાં જીવનમાં જોવા મળે છે. એ પોતાના વ્યક્તિગત ફાયદા માટે મધ પેદા નથી કરતી. એ મધમાખીઓ આખા સમૂહ માટે મધ પેદા કરે છે. હવે છેલ્લું સ્તર જોઈએ, સેવાનું ક્ષેત્ર, જેમાં માદા પક્ષી પોતાની ચાંચમાં ખોરાક લઈને માળામાં રાહ જોતા પોતાનાં બચ્ચાને આપે છે અને તે પણ કોઈ બદલાની અપેક્ષા વિના.

જે.સી. કુમારપ્પાનો અર્થશાસ્ત્રનો સિદ્ધાંત અહિંસા અને સત્યના પાયા પાર રચાયેલો હતો. તેમનામાં અને અન્ય રચનાત્મક કાર્યકરોમાં ફરક એ હતો કે ગાંધીને મળ્યા પહેલાં જ તેમના વિચારોને ગાંધીજીના વિચારો સાથે સામ્ય હતું. ખરું જોતાં તો કુમારપ્પાના સાર્વજનિક નાણાકીય વહીવટ અને એની ભારતની પ્રજા પરની અસર વિશેના વિચારોએ ગાંધીજીનું ધ્યાન આકર્ષિત કર્યું. ગાંધીજીને કુમારપ્પાને પ્રત્યક્ષ મળવાની ઈચ્છા હતી. એ ‘પ્રથમ દૃષ્ટિએ પ્રેમ’નો કિસ્સો હતો. તત્ક્ષણ કુમારપ્પા ગાંધીના અર્થશાસ્ત્રને લગતા વિચારોનું અર્થઘટન કરનારા અને ગ્રામોદ્યોગોને પુનર્જીવિત કરનારા મુખ્ય નિષ્ણાત બની ગયા. જ્યારે કોઈએ એવો ઉલ્લેખ કર્યો કે કુમારપ્પાનો ગાંધીએ ઘાટ ઘડ્યો છે ત્યારે તેમણે તેને રદિયો આપતાં કહેલું, “તેઓ તો મારી પાસે બન્યા બનાવેલા જ આવ્યા છે.”

પેટ્રોલિયમ વગેરે જેવા પદાર્થો કેટલી મર્યાદિત માત્રામાં આપણી પાસે છે તે વિષે તેમણે કરેલી આગાહી ઉપરથી સમજાય કે જે.સી. કુમારપ્પાના વિચારો અત્યંત સ્પષ્ટ હતા. તેમણે આપણને ચેતવેલા : કુદરતમાં એવી કેટલીક ચીજો હોય છે જેની કોઈ જીવન મર્યાદા નથી હોતી, તેનું ઉત્પાદન કરી શકાતું નથી કે તેમાં ઉમેરો કરી શકતો નથી; એટલે તેનો સતત ઉપયોગ કરતા રહેવાથી તેનો જથ્થો ઓછો થઈને નાશ પામે છે. દુનિયા પાસે કોલસા, કાચી ધાતુ અને લોખંડ, તાંબુ, સોનું, ચાંદી, યુરેનિયમ વગેરે જેવા પદાર્થોનો અનામત પુરવઠો મર્યાદિત પ્રમાણમાં છે. આ બધું જ ચોક્કસ પ્રમાણમાં મળી રહે, અથવા કહો કે ક્ષણિક મર્યાદામાં મળી શકે, જ્યારે નદીમાં વહેતાં પાણીનો જથ્થો, જંગલમાં સતત ઊગતા રહેતા લાકડા વગેરે હંમેશ મળતા રહેતા પદાર્થો છે જેને કાયમી મિલકત ગણી શકાય કેમ કે તેનો જથ્થો માનવની સેવામાં સદાય અખૂટ હાજર રહેવાનો છે. જો આપણી જીવન પદ્ધતિ શાશ્વત અર્થ તંત્ર પર આધારિત હશે તો વિશ્વ શાંતિનો માર્ગ મોકળો થશે, નહીં તો બીજો માર્ગ વિસંવાદિતા, ઘાતક હરીફાઈ, દુશ્મનાવટ અને વિશ્વયુદ્ધ ભણી દોરી જશે.

કુમારપ્પા આપણને ચેતવણી આપ્યા બાદ શાંત ન રહ્યા. વર્ધા સ્થિત અખિલ ભરતીય ગ્રામોદ્યોગ સંસ્થાન દ્વારા રસોઈ માટેના બળતણના બચાવ માટે મગન ચૂલાની રચના કરવામાં આવી. તેમણે એવા દીવાની શોધ કરી જે બિનઉપયોગી તેલ વાપરીને જલાવી શકાય. તેમણે નકામા કચરાને ફરી વાપરીને તેમાંથી બોર્ડ અને કાગળ બનાવવાના પ્રયોગો પણ કર્યા. જો કે તેમના અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનો એ એક બિનરૂઢિગત માર્ગ હતો. કુમારપ્પા માનતા કે ગ્રાહકોને શિક્ષિત કરવા જોઈએ અને તેમને સામાજિક જવાબદારી સોંપવી જોઈએ. રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદતી વખતે ગ્રાહકે નીચેની બાબતોનો ખ્યાલ કરવો જોઈએ :

(i) ખરીદવાની ચીજ ક્યાંથી આવી? 

(ii) એ ચીજ કોણે બનાવી છે?

(iii) તેની બનાવટમાં કયો માલ વપરાયો છે?

(iv) કારીગરો કેવી દશામાં જીવે અને કામ કરે છે?

(v) નફામાંથી કેટલો ભાગ તેમને વેતનના રૂપમાં પાછો મળે છે?

(vi) બાકીનું નાણું કઈ રીતે વહેંચવામાં આવે છે? 

(vii ) એ ચીજ કેવી રીતે બનાવવામાં આવે છે?

(viii) આ ઉદ્યોગ કુદરતના નિયમોમાં કેટલો બંધ બેસતો આવે છે?

(ix) એ ચીજોના ઉત્પાદનને બીજા દેશો સાથે કેટલી નિસ્બત છે?

હજુ એક વહીવટી પાસું પણ તેમાં શામેલ હતું, જેના વિષે તેમણે વિગતે છણાવટ કરી છે. તેમના મતે સત્તાનું વિકેન્દ્રીકરણ થવું જોઈએ અને તેના પર ખરો અધિકાર પ્રજાનો રહેવો જોઈએ. તેઓ ગરીબી અને વિનાશમાં પરિણમતા, શાંતિને ડહોળી નાખતા અને અંતે અને નરી હિંસાનો ઉપયોગ કરનાર કેન્દ્રિત આયોજનના સખત વિરોધી હતા. 

સ્વતંત્ર ભારતમાં સરકારનું કર્તવ્ય શું હશે એ વિશેના તેમના અભિપ્રાય જાણવાથી પ્રતીતિ થાય કે કુમારપ્પા પોતાના વિચારો અને વક્તવ્યમાં કેવા સુસંગત હતા. તેમણે કહેલું, “રાષ્ટ્રીયકરણનો ખરો અર્થ છે, સત્તા લોકોના એટલે કે આમ પ્રજાના હાથમાં રહેશે. સૌ પ્રથમ તો આપણા હરેક કાર્યક્ષેત્રમાં અનુભવોનો પાયો નંખાયેલો હશે. સુનિયોજિત ગ્રામ પંચાયતો દ્વારા ગામના લોકોની જરૂરિયાતોનો ખ્યાલ કરનારા સ્થાનિક લોકો પાસેથી આ માહિતી મળી શકે. આવા અનુભવી પંચાયતના સદસ્યોને જિલ્લા પંચાયતો પોતાના વહીવટદારો બનાવશે અને તેઓ જ રાજ્યના સાર્વજનિક વિભાગ અને ધારાસભાના સભ્યો પૂરા પાડશે. આવા મજબૂત પાયા વાળો અને યોગ્ય રીતે સંચાલિત પ્રાંતીય વહીવટ જ કેન્દ્રીય સરકારને કાબૂમાં રાખી શકે અને ગ્રામ્ય પ્રજાના હિતમાં કામ કરે તેની ખાતરી રાખી શકે.”

કુમારપ્પાએ બે ઉત્તમ પુસ્તકો લખ્યાં, એક, ‘જિસસનો ઉપદેશ અને આચરણ’ અને બીજું, ‘ઈકોનોમી ઓફ પરમેનન્સ’, જેને કારણે તેઓને મૌલિક વિચારક તરીકેનું સ્થાન મળ્યું. જેમ જરૂરિયાત શોધખોળની જનની છે, તેમ ગાંધીના સામાજિક અર્થકારણના અમલીકરણ કરનાર અને એક સ્વદેશાભિમાની તરીકે કુમારપ્પા પ્રથમ હરોળમાં પાંગરી ઉઠ્યા. 

જે.સી. કુમારપ્પા ખૂબ જ સ્પષ્ટવકતા હતા. તેઓ સામા માણસને જેવા હોય તેવા જ કહી દેતા. તેઓ કદી શબ્દોની મેલી રમત ન રમતા અને પોતાના દિલની વાત સાફ સાફ કહી દેતા. તેમની આવી અત્યંત નિખાલસતાને કારણે તેમના કેટલાક સાથીદારોમાં પ્રિય નહોતા. પોતાની ગફલત ઉઘાડી પડે તો તેમનો તેજાબી પ્રતિભાવ સહેવો પડે તેનો ડર મિત્રો અને સાથીદારોને રહેતો. એક વખત પોતાની એક જેલયાત્રા દરમ્યાન ટ્રેનમાંથી ગાંધીજીએ તેમને પત્રમાં સંબોધન કર્યું, ‘ડૉ. કુમારપ્પા, D.D. (ડોક્ટર ઓફ ડિવિનિટી), D.V.I, (ડોક્ટર ઓફ વિલેજ ઇન્ડસ્ટ્રી). આવા ગુણવાચક વિશેષણોથી કુમારપ્પાને ચીડ ચડી. એક દિવસ તેમનો આ પત્ર લઈને ગાંધીજીને સેવાગ્રામમાં મળ્યા અને પૂછ્યું, આવી ઉપાધિઓ આપવાનો અધિકાર તેમને કોણે આપ્યો? ગાંધીજીએ તરત રમૂજભર્યો જવાબ વાળ્યો, રાષ્ટ્રીય વિદ્યાપીઠ એવી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હોવાને નાતે કોઈને પણ ડોક્ટરેટની પદવી આપવાનો કે નવા પ્રકારની પદવી ઉપજાવી કાઢવાનો તેમને પૂરો અધિકાર છે. વધુ આનાકાની કર્યા વિના કુમારપ્પાને પોતાના માર્ગદર્શકે આપેલ આ ઉપાધિઓ સ્વીકારવી પડી.

કુમારપ્પા એક સાચા ખ્રિસ્તી હતા, જેમણે જીસસના ઉપદેશોનું પોતાના રોજિંદા જીવનમાં પાલન કરેલું. અલબત્ત જીવનના શરૂઆતનાં વર્ષોમાં તેમને વિલાયતી જીવન પદ્ધતિનું આકર્ષણ થયેલું, પરંતુ જ્યારે તેમને અહેસાસ થયો કે પોતાની આર્થિક શોષણ નીતિથી ભારતની પ્રજાના અધિકારોને બ્રિટિશરો વગર હક્કે છીનવી રહ્યા છે, ત્યારે તેમની પાસે એક ખરા ખ્રિસ્તીની માફક અંતરથી પૂરેપૂરા રાષ્ટ્રવાદી બન્યા સિવાય કોઈ ચારો નહોતો. 1934માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા નવી સ્થપાયેલી ઑલ ઇન્ડિયા વિલેજ ઇન્ડસ્ટ્રીના મંત્રી તરીકેની પસંદગી પામ્યા બાદ તેઓ કારીગરોનું કલા કૌશલ અને તેમના જીવનની પરિસ્થિતિનો પ્રત્યક્ષ ખ્યાલ મેળવવા ભારતનો ખૂણે ખૂણો ફરી વળ્યા અને કારીગરો સાથેના આ સંપર્કથી કુમારપ્પાને ત્રસ્ત અને શોષિત સમાજ માટે અપાર પ્રેમ પ્રગટ્યો. ગ્રામ્ય કલા અને કારીગરીની બારીકાઇ અને ઔપચારિક વિધિઓ સમજવા દિલ અને દિમાગ જોડીને પૂરી નિષ્ઠાથી તેઓના ઉદ્ધાર માટે ખૂંપી ગયા જેને પરિણામે આ ક્ષેત્રમાં નવો ચીલો પાડનારની મુખ્ય ભૂમિકા બજાવી શક્યા. ગ્રામ્ય પ્રજા માટેનો તેમનો પ્રેમ એટલો ઉત્કટ હતો કે વૃદ્ધ થયા છતાં વર્ધા પાસેના નાના ગામમાં સામૂહિક જીવનનો પ્રયોગ આદરવાની હિંમત કરી, જેથી કરીને રાષ્ટપિતાએ જે ઈચ્છેલું તે રીતે એ લોકો પોતાના પગ ઉપર ઊભા રહી શકે. એ પછાત વિસ્તારમાં રહીને અથાક પ્રયત્નો કરવાથી તેમને કાયમી બીમારીનો ભોગ બનવું પડ્યું અને પરિણામે સક્રિય જીવનમાંથી નિવૃત્તિ લેવાની ફરજ પડી.

નિવૃત્ત થઈને તામિલનાડુના ટી. કાલુપટ્ટીમાં આવેલ ગાંધી નિકેતન આશ્રમમાં રહેવાનું પસંદ કર્યું, આમ છતાં સરકારની વિકાસ અને આર્થિક બાબતોની નીતિઓનું વિશ્લેષણ કરવામાં તેમનો રસ ઓછો ન થયો. અમેરિકાના આલ્બર્ટ મેયરની પ્રેરણાથી જવાહરલાલ નહેરુએ ધમાકા સાથે આરંભ કરેલ સામાજિક વિકાસ કાર્યક્રમની યોજનાના તેઓ ટીકાકાર હતા. સમાજના વિકાસ માટેની જવાબદારી એસ.કે. ડેને સોંપવામાં આવી, કે જેઓ પહેલાં સમાજ વિકાસના વહીવટકર્તા હતા અને ત્યાર બાદ નહેરુના મંત્રી મંડળમાં રાજ્ય મંત્રી થયા. એસ.કે. ડેને હજુ ભારતના ગ્રામ્ય વિસ્તાર અને લોકોને સહેવી પડતી હાડમારીઓ વિષે માહિતી મેળવવાની બાકી હતી. તેમની તામિલનાડુની મુલાકાત દરમિયાન તેઓ ગાંધી નિકેતનમાં શ્રી કુમારપ્પાને મળ્યા અને કઈંક ગૌરવ સાથે કહ્યું કે સામાજિક વિકાસ યોજના ખૂબ સફળ થઇ છે. કુમારપ્પાએ તરત પૂછ્યું, “તમારા પ્રકલ્પની સફળતાનો તમારો માપદંડ શો છે?” એસ. કે. ડેએ ઉત્તરમાં માઈલો લાંબા રસ્તાઓ બંધાયા, કૂવાઓ ખોદાયા, શાળા માટે મકાનો બંધાયાં, દવાખાનાંઓ ખૂલ્યાં, ખાતરની વહેંચણી કરવામાં આવી, સુધારેલા બિયારણની લોકોને જાણ કરી, ખાતર માટેના ખાડા ખોદવામાં આવ્યા, વગેરે અને બીજા કાર્યોના સવિસ્તર આંકડા રજૂ કર્યા. કુમારપ્પાએ એસ.કે. ડે સામે સાશંક જોયું અને હસતાં હસતાં કઈંક વ્યંગાત્મક શૈલીમાં કહ્યું,  “તો આ તમારો માપ દંડ છે?” કુમારપ્પાની ટકોર એસ.કે. ડેને ખૂંચી અને પૂછ્યું, “તો તમારો સફળતાનો માપદંડ કયો છે?” કુમારપ્પાએ ભારપૂર્વક સ્વરમાં કહ્યું, “મિ. ડે, હું સામાજિક વિકાસ કાર્યક્રમ વિષે કઈં કહું, તે પહેલાં હું છએક ગરીબ માણસોને બોલાવું, તેમની પાંસળીઓ ગણું અને ત્રણ વર્ષ સુધી સામાજિક વિકાસ કાર્યક્રમનો અમલ કર્યા બાદ જો એ પાંસળીઓ પર માંસ દેખાય તો હું એ કાર્યક્રમ સફળ થયો ગણું.” ડે હતાશ થઇ ગયા અને અંદરખાને સ્વીકાર્યું કે તેમનો અભિગમ ખામી ભરેલો છે. કુમારપ્પાએ કહેવાનું ચાલુ રાખ્યું કે એસ.કે. ડે “ભૂખ્યા માણસને રેશમી વસ્ત્ર પહેરાવવાની કોશિશ કરે છે.” વિકાસની મૂળભૂત જરૂરતો આ એક વાક્યમાં સ્પષ્ટ કરી આપી. “વિકાસ એ કોઈના ઉપર ઉપકાર ભાવ બતાવવાની ચેષ્ટા નથી, વિકાસમાં સાચો અગ્રતાક્રમ હોવો જોઈએ, વિકાસ એ અપરાધભાવનો નિષ્કર્ષ ન હોવો જોઈએ.” 

16મી ઓગસ્ટ 1956ને દિવસે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ગાંધી નિકેતનમાં નાનકડી કુટિરમાં રહેતા પોતાના જૂના અને પ્રિય મિત્ર જે.સી.મકુમારપ્પાની મુલાકાતે પધાર્યા. તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે કુમારપ્પાએ આશ્રમના કર્મચારીઓ, અને સંચાલકોની સભા બોલાવી અને ઇટલીના મહિલા સ્થપતિ Clara quien Hopman દ્વારા ખાસ કંડારવામાં આવેલ ગાંધીજીનું શિલ્પ એક ખાસ તૈયાર કરવામાં આવેલ મંડપમાં મુકવાનો કાર્યક્રમ યોજ્યો. ત્યાં 4 ફૂટ લાંબો, 4 ફૂટ પહોળો અને 4 ફૂટ ઊંડો ખાડો કરવામાં આવ્યો. ગાંધીજીનાં અસ્થિ અને હાડકાનો એક ટુકડો, કે જે આશ્રમમાંથી મળી આવેલો તેને હાથ કાગળમાં વીંટીને આશ્રમના કુંભારવાડામાં બનેલ માટીના ઘડામાં મુકવામાં આવ્યા, જેનું મોં એ જ સંસ્થામાં વણીને બનાવેલ ખાદીનાં કપડાથી ઢાંકવામાં આવ્યું. શુક્રવારે સવારે ગાંધીજીના આ પવિત્ર અવશેષોને રામ ધૂન ગાતા ગાતા કુમારપ્પાના હસ્તે એ ખાડામાં ઊતારવામાં આવ્યા. બધાના આશ્ચર્ય વચ્ચે કુમારપ્પા અચાનક નાના બાળકની માફક રુદન કરવા લાગ્યા. જ્યારે એક બાળકે પૂછયું કે તેઓ શા માટે રડી પડયા, ત્યારે તેમણે ઝટ દઈને ઉત્તર આપતા કહ્યું, “ગાંધીને આપણા હૃદયમાં ઊતારવાને બદલે જમીનના ખાડામાં દાટી રહ્યા છીએ તેથી મને રોવું આવે છે.” આ ભવિષ્ય સૂચક ઉક્તિ ત્યાં એકઠા થયેલ લોકો પર ભારે અસર ઉપજાવી ગઈ અને એ સ્મૃતિ ચિન્હોને માટીમાં ભેળવી દેવાની ક્રિયા સમયે સ્વદેશી વસ્તુઓ વાપરવાની તેમની ચેષ્ટા વિષે સહુને વિચાર કરતા કરી મુક્યા. આ પેપરના લેખક તે સમયે બુનિયાદી તાલીમ શાળાના એક વિદ્યાર્થી હતા.

25મી ડિસેમ્બર 1956, આચાર્ય વિનોબા ભાવે તેમની તામિલનાડુની ભૂદાન યાત્રાના દૌર દરમ્યાન આશ્રમમાં આવ્યા. પોતાના જૂના સાથી સાથે તેમની કુટિરમાં જીવંત ચર્ચાઓ ચાલી. કુમારપ્પાએ વિનોબાજીને કહ્યું કે તેઓ ‘ભારતના એક નંબરના ચોર છે’! પોતાના અતિ અંગત મિત્ર પાસેથી આવું તહોમત સાંભળીને વિનોબાજી ડઘાઈ ગયા અને કુમારપ્પા પાસેથી સ્પષ્ટતાની માંગણી કરી. કુમારપ્પાએ શાંતિથી કહ્યું, તેઓ તો વિનોબાજી દાનમાં મળેલી જમીનનો તેની પુનઃ વહેંચણી કરવા માટેની યોગ્ય વ્યવસ્થા કર્યા સિવાય સંગ્રહ કરી રહ્યા છે, તેના તરફ નિર્દેશ કરવા માગે છે. વિનોબાજી તેમના કથન પાછળ છુપાયેલ સત્યને તરત પારખી ગયા અને જમીનની ન્યાયી અને સમાન વહેંચણી કરવાની તાબડતોબ વ્યવસ્થા કરી. આમ તેઓ પોતાના મિત્રો તેમ જ વિરોધીઓ સામે હકીકતોને રજૂ કરવાની એક અનન્ય રીત અપનાવતા. 

ગાંધી નિકેતન ખાતેનું નિવાસસ્થાન પોતે જ એક ખરા અર્થમાં અનુકરણીય નમૂનો છે. કુમારપ્પાની પોતાની ઈચ્છા અને યોજના મુજબ બનાવવામાં આવ્યું હતું. એક મોટો કમરો અને ચારેય બાજુ મોટા વરંડા સિવાય તેમાં કશું નથી. ચારેય ઋતુઓમાં ખુલ્લી હવા મળી રહે તે માટે બારીઓ ચારેય દીવાલોમાં ખૂબ જ નીચી રાખવામાં આવી છે. કાલુપટ્ટીના આસપાસના વિસ્તારોમાંથી જ ઈંટ, છાપરાની વળી અને ચૂનો મગાવવામાં આવ્યા હતા અને સ્થાનિક કારીગરોએ બનાવેલ નળિયાંથી તેની શોભા વધી. આગંતુકને આવતાની સાથે અહેસાસ થાય કે તેઓ એર કન્ડિશન કમરામાં પ્રવેશ્યા છે. તેમની એન્જીનિયરની દૃષ્ટિનું પ્રતિબિંબ આ સ્મારક સમા આવાસમાં થયું છે. એક અજાણ્યા ગ્રામવાસીની તસ્વીર હજુ એક દીવાલ પર શાનથી લટકે છે. કોઈ પણ મહત્ત્વના મહેમાનને એ તસ્વીરમાંની  વ્યક્તિને ઓળખી કાઢવાનું  કહેવામાં આવે છે. સ્વાભાવિક છે કે તેઓ અવઢવમાં પડી જાય. પછી કુમારપ્પા તેમની વહારે આવે અને કહે, “એ મારા શિક્ષકનો ય શિક્ષક છે.” આ વાક્યથી આવનારને વધુ મૂંઝવણ થાય જ્યારે કુમારપ્પા ઉમેરે, “મારા ગુરુ મહાત્મા ગાંધી અને તેમનો ગુરુ તે આ એક ગ્રામ્ય વાસી.” પછી એ માનવંતા મહેમાન ગાંધી ‘અન ટુ ધિસ લાસ્ટ’ માટે જીવ્યા એ કહેવાની કુમારપ્પાની ચાતુર્ય ભરી રીત સમજે ત્યારે નિરાંતનો શ્વાસ લે.

કુમારપ્પાનો ગાંધીજી પ્રત્યેનો લગાવ એક કહેવત રૂપ બની ગયેલ. 30 જાન્યુઆરી 1960માં કુમારપ્પા મદ્રાસની હોસ્પિટલમાં દરદી તરીકે રાજ્યના મહેમાન બનીને તેના હેડક્વાર્ટરમાં હતા. ડોક્ટરની સલાહ લઈને તેઓ રાજાજી હોલમાં ગાંધીજીની શહાદતનો દિવસ મનાવવા પહોંચી ગયા. મોટર કારમાં બપોરે પાછા વળતાં તેઓ સ્વગત બોલ્યા, મારા ગુરુ આ દિવસે નિધન પામ્યા, મારે પણ આ જ દિવસે મૃત્યુ પામવું જોઈએ. સાંજ સુધી તેઓ તદ્દન સ્વસ્થ હતા. પરંતુ રાત્રે તેઓ અચાનક પડી ગયા. પોતાના માર્ગદર્શકના સત્ય અને અહિંસાના સિદ્ધાંતોને જીવનમાં ઉતારનાર અડીખમ અને સમર્પિત યોદ્ધાની ગાથાનો અંત આવ્યો.

જૂનની નવમી 1996ના ‘ધ હિન્દુ’ મેગેઝીનમાં રામચંદ્ર ગુહાએ લખેલું, “ગયે મહિને આ લેખકે ટી. કાલુપટ્ટીના ગાંધી નિકેતનની મુલાકાત લીધેલી, જ્યાં જૂન 1953થી જાન્યુઆરી 1960 સુધી કુમારપ્પા રહ્યા. તેઓ જમનાલાલ બજાજ પુરસ્કારના 1981માં વિજેતા હતા. આશ્રમ 3000 જેટલા ગ્રામ્ય વિસ્તારનાં બાળકો માટેની શાળા ચલાવે છે, જેમાંથી અર્ધા ભાગની કન્યાઓ છે જેઓ સુંદર લીલી સાડીઓમાં સજ્જ જોવા મળે. ત્યાં ડૉ. જે.સી. કુમારપ્પા ઇન્સ્ટિટ્યૂટ ફોર રૂરલ ટેક્નોલોજી એન્ડ ડેવલપમેન્ટ પણ કાર્યરત છે. અહીં વણાટ, ચર્મ ઉદ્યોગ, માટી કામ અને મધમાખી ઉછેર માટેના અભ્યાસક્રમ શામેલ છે અને ત્યાં મણિપુર જેટલે દૂરથી પણ વિદ્યાર્થીઓ આવે છે. (આ પેપરના લેખકે એ ઇન્સ્ટિટ્યૂટનું અધ્યક્ષ પદ નવેમ્બર 1981થી નવેમ્બર 2010 – 29 વર્ષ સુધી સંભાળ્યું). રામચંદ્ર ગુહાએ વધુમાં જણાવ્યું, “લીમડા અને સાપોટાનાં વૃક્ષો વચ્ચે કુમારપ્પાની ખૂબ કાળજી પૂર્વક સાચવેલી કુટિર પણ છે. તેનો વિશાળ ઓરડો પુસ્તકાલયમાં ફેરવી નખાયો છે. દક્ષિણ મદુરાઈમાં આવેલ આ આશ્રમ એક નિષ્ચેત મ્યુઝિમને બદલે એક જીવંત સ્મારક છે. ગાંધીજી અને તેમના એક ઉત્તમ અનુયાયીનું અહીં તેમણે ચીંધેલા કર્યો દ્વારા સન્માન થાય છે. આશ્ચર્યની વાત એ છે કે એ કુટીર, કહો કે પુસ્તકાલયના પ્રવેશ દ્વાર પર કુમારપ્પા સાથે વિનોબાજીની તસ્વીર છે, જેની નીચે લખાણ છે, “બે સંત”.

લેખક : નિવૃત્ત પ્રાધ્યાપક કુમારપ્પા ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ટેકનોલોજી એન્ડ ડેવલપમેન્ટ – કાલુપટ્ટી (દક્ષિણ ભારત)

e.mail : 71abuch@gmail.com

Loading

માનહાનિના કેસ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને રુંધે છે?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|24 August 2021

ભારતની અદાલતોમાં માનહાનિ કે બદનક્ષીના કેસોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. રાજનેતાઓ, પત્રકારો, ફિલ્મી સિતારાઓ, ઉદ્યોગકારો અને કર્મશીલો પર બદનક્ષીના દાવા મંડાયેલા છે. પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડાને તાજેતરમાં કર્ણાટકની એક અદાલતે માનહાનિ કેસમાં બે કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. આટલો આકરો દંડ ન્યાયતંત્રના ઇતિહાસમાં અભૂતપૂર્વ છે.

નરેન્દ્ર મોદી મંત્રી મંડળના વિદેશ રાજ્યમંત્રી અને વરિષ્ઠ પત્રકાર એમ.જે. અકબરને ભૂતકાળનાં સાથી મહિલા પત્રકાર પ્રિયા રમાનીના યૌન શોષણના આરોપોથી મંત્રી પદ છોડવું પડ્યું હતું. એટલે તેમણે અપરાધિક માનહાનિનો કેસ કર્યો હતો. પણ ત્રણેક મહિના પહેલાં દિલ્હીની અદાલતે પ્રિયા રમાની સામેની અકબરની બદનક્ષીની ફરિયાદ રદ્દ કરી દીધી છે. કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના ઉમેદવારી પત્ર સાથેના સોગંદનામામાં તેમની સામેના જે પાંચ પડતર કોર્ટ કેસોની માહિતી આપી હતી તે બધા માનહાનિના જ હતા. અમદાવાદ અને સુરતની અદાલતોમાં પણ રાહુલ ગાંધી સામે માનહાનિના કેસો ચાલે છે. દેશમાં સૌથી વધુ માનહાનિના કેસોનો સામનો દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે. આ હકીકતો માનહાનિના કેસોની વ્યાપકતા, અદાલતોનું વલણ અને અસરો દર્શાવે છે

બંધારણના અનુચ્છેદ ૨૧માં ભારતના નાગરિકોના જીવન જીવવાના અધિકારમાં માન અને પ્રતિષ્ઠા સાથેના જીવનનો અધિકાર સામેલ છે. વ્યક્તિનાં માન, સન્માન અને ખ્યાતિ પણ અધિકાર મનાય છે. પ્રતિષ્ઠાને ધન-સંપત્તિ બરાબર ગણવામાં આવી છે. એટલે માન, સન્માન, પ્રતિષ્ઠા કે ખ્યાતિને થતી હાનિ, માનહાનિ કે બદનક્ષી છે. વ્યક્તિ, વેપાર, ઉત્પાદન, ધર્મ, સરકાર, સમૂહ કે રાષ્ટ્રની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતું નિરાધાર અને જુઠ્ઠું, લેખિત કે મૌખિક કથન કે સંકેત માનહાનિ છે. બંધારણમાં અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો અધિકાર ખરો પણ તેનો અમર્યાદિત ઉપયોગ ન થઈ શકે. કોઈ એલફેલ, આધારહીન કે ખોટા આરોપો અને ટીકાઓ ન થાય તે જરૂરી છે. જાહેરમાં અપમાનજનક શબ્દ કે ભાષણ વાંચી-સાંભળીને તે જેના વિશે કહેવાયા-બોલાયા-લખાયા હોય તે વ્યક્તિ વિશે અપમાન, નફરત અને ઘૃણા જન્મે તો માનહાનિનો ગુનો બને છે.

માનહાનિ માટે દીવાની (સિવિલ) અને ફોજદારી (ક્રિમિનલ) ફરિયાદ થઈ શકે છે. દીવાની ફરિયાદ સામાન્ય કાયદા મુજબ અને ફોજદારી ફરિયાદ ભારતીય ફોજદારી કાયદાની કલમ ૪૯૯ હેઠળ થઈ શકે છે. ઇન્ડિયન પિનલ કોડની ધારા ૫૦૦ અને અન્યમાં બદનક્ષીની અપરાધિક ફરિયાદ માટે સજાની જોગવાઈ છે. તે મુજબ બે વરસની કેદ અને દંડની સજા થઈ શકે છે. માનહાનિની દીવાની અને ફોજદારી એમ બંને કે બે પૈકીની કોઈ એક ફરિયાદ થઈ શકે છે. દીવાની ફરિયાદમાં માનહાનિનું આર્થિક વળતર માંગવામાં આવે છે. પરંતુ ફરિયાદી જેટલી રકમનું વળતર માંગે તેના દસ ટકા કોર્ટ ફી તેણે ચુકવવાની હોય છે. જો કોઈ ૧૦ લાખનો માનહાનિનો દાવો માંડે તો દસ ટકા લેખે એક લાખ અગાઉથી જ કોર્ટ ફી ચુકવવી પડે છે. કોર્ટ ફી પરત ચુકવવાની હોતી નથી તથા તેને ફરિયાદીની હારજીત સાથે કોઈ સંબંધ હોતો નથી.

દસ ટકા કોર્ટ ફી ચુકવીને પણ કરોડોના માનહાનિના દાવા થાય છે. ૨૦૦૮માં ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ તેમના ઉદ્યોગપતિ ભાઈ મૂકેશ અંબાણી પર ૧૦ હજાર કરોડનો દાવો કર્યો હતો. રાફેલ વિમાન સોદા અંગેના લેખ બાબતે અનિલ અંબાણીએ અંગ્રેજી અખબાર ‘નેશનલ હેરાલ્ડ’ પર ૫,૦૦૦ કરોડનો દાવો કર્યો હતો. કોરોનાની એલોપથી સારવાર વિરુદ્ધના યોગગુરુ બાબા રામદેવના વિધાનો વિરુદ્ધમાં ‘ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન’ની ઉત્તરાખંડ શાખાએ બાબા રામદેવને રૂ. ૧ હજાર કરોડ માનહાનિ પેટે ચુકવવા કાનૂની નોટિસ આપી છે.

માનહાનિના મોટા ભાગના કેસોમાં કાં તો સમાધાન થાય છે, કેસો પાછા ખેંચાય છે કે આરોપી માફી માંગી લે છે. અનિલ અંબાણીએ મૂકેશ અંબાણી વિરુદ્ધનો દાવો બે વરસ પછી પાછો ખેંચી લીધો હતો. અરવિંદ કેજરીવાલે તેમની સામેના અડધા ઉપરાંતના બદનક્ષીના કેસોમાં માફી માંગી લીધી છે. જો કે અદાલતની પ્રક્રિયા, તેના સમય શક્તિ, કોર્ટ અને વકીલની ફીના પ્રશ્નો રહે છે. કોર્ટોમાં લાખો કેસો પડતર હોય છે ત્યારે માનહાનિના કેસોનો તરત નિકાલ થતો નથી. દેવગૌડા સામેના કેસનો નીચલી અદાલતનો ચુકાદો દસ વરસે આવ્યો છે. દિલ્હી ક્રિકેટ બોર્ડ અને તેના પ્રમુખ અરુણ જેટલી સામેના આરોપો અંગે કેજરીવાલે માફી માંગી લીધી હતી પણ તેમના વકીલ રામ જેઠમલાણીને બે કરોડની ફી ચુકવી હતી. કૈલાસ સત્યાર્થીએ તેમની બદનક્ષી બદલ તેમની સંસ્થા ‘બચપન બચાવો આંદોલન’ દ્વારા દાવો કર્યો હતો. તેમની માનહાનિની ફરિયાદ પડતર હતી તે દરમિયાન જ તેઓ વિશ્વના સૌથી મોટા શાંતિના નોબેલથી પુરસ્કૃત થયા હતા. જો નોબેલ સમિતિ માટે તેમની માનહાનિનો કોઈ અર્થ નહોતો તો પછી આવા દાવાઓ કેટલા મહત્ત્વના ગણાય તે સવાલ છે.

ત્રણ ભિન્ન રાજકીય પક્ષોના નેતાઓ રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને સુબ્રમણ્યમ સ્વામીએ  સર્વોચ્ચ અદાલતમાં અપરાધિક માનહાનિની જોગવાઈ ધરાવતી આઈ.પી.સી.ની કલમો રદ્દ કરવા કે ગેરબંધારણીય  ઠેરવવા અલગ અલગ પિટિશનો મારફતે દાદ માંગી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તે બાબત નકારી કાઢી હતી.

માનહાનિની ફોજદારી ફરિયાદો અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે આડખીલી રૂપ છે. માનહાનિના કેસો કરીને કેન્દ્ર અને રાજ્યોના સત્તા પક્ષો પત્રકારો, મીડિયા અને વિરોધ પક્ષોને  વિરોધ કરતાં અટકાવે છે. સરકાર વિરોધી લોકહિતના તથ્યાત્મક અહેવાલો પણ પ્રગટતા અટકે છે. પ્રતિષ્ઠાની આડમાં સત્યનું ગળું દબાવવામાં આવે છે. પ્રેસની આઝાદીના આંકમાં આપણે આમે ય પાછળ છીએ ત્યારે માનહાનિનો ડારો દઈને પત્રકારો અને કર્મશીલોને ચૂપ કરાવીને અભિવ્યક્તિની સ્વતંત્રતાને ક્ષીણ કરી દેવાય છે.

મૂળે અંગ્રેજોની દેણ એવી માનહાનિની આ જોગવાઈ ભ્રષ્ટાચારને અટકાવવાના પ્રયાસો પર લગામ લગાવે છે. રીઢા રાજકારણીઓ અને ભ્રષ્ટ સરકારો બદનક્ષીના કાયદાનો ઉપયોગ કરીને ટીકાઓથી મુક્તિ મેળવી લે છે. બંગાળના તૃણમૂલ સાંસદે કેન્દ્રના ગૃહ મંત્રી સામે બદનક્ષીની ફરિયાદ કરી છે એટલે જ્યાં જે પક્ષ સત્તામાં હોય ત્યાં તે આ કાયદાનો ઉપયોગ વિરોધી પક્ષ સામેના હથિયાર તરીકે કરે છે. સરકાર વિરોધી ઘણી ન્યૂઝ વેબસાઈટ્સના પત્રકારો માનહાનિના કેસોનો સામનો કરી રહ્યા છે. અગાઉ સાંસદ તથાગત સતપતિએ લોકસભામાં માનહાનિને લગતી અપરાધિક જોગવાઈ રદ્દ કરવા બિનસરકારી વિધેયક રજૂ કર્યું હતું. બોમ્બે યુનિયન ઓફ જર્નાલિસ્ટે પણ આ મુદ્દે ઝુંબેશ ચલાવી હતી. માનહાનિના કાયદાનો વિરોધને ડામવાના હથિયાર તરીકેના ઉપયોગને ખાળવા વધુ મક્કમ પ્રયાસોની જરૂર છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

આ જ જો ધર્મ હોય તો અધર્મ આપણે કોને કહીએ છીએ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 August 2021

‘નર્મગદ્ય’-ખંડ-2નાં, ‘આપણી દેશજનતા’ નામના નિબંધમાં, નર્મદે 38માં પાનાં પર નોંધ્યું છે :

“મુસલમાનોએ આપણા દેશનું નામ હિન્દ પાડ્યું ને આપણને હિન્દુ કહ્યા. એઓએ ધર્મ-દ્રવ્ય સ્ત્રીહરણ કરવાને માટે આપણા ઉપર સુમાર વિનાનો જુલમ ગુજાર્યો. પોતાના એકસંપી શૌર્ય વડે આપણા કુસંપી શૌર્યને ચાંપી નાખ્યું, આપણે ખૂણે ભરાતા ગયા ને બ્રાહ્મણોનાં કહ્યાં માની વહેમી થયા અને પોતપોતાની નાતથી કામ જેટલી વિદ્યાથી ને સાધારણ રોજીથી રાજી રહ્યા. મરેઠાઓ મુસલમાનને તથા પરદેશીઓને કાઢવાને બહુ મથ્યા પણ તેઓનું ફાવ્યું નહિ. એટલે સર્વ પ્રજા ઉપર રૂડી અસર થઈ નહિ; પણ ઊલટી તેઓની ધાંધલથી પ્રજા વધારે દુ:ખી થઈ … મૂર્તિપૂજા એ આપણો સહુનો ધર્મ છે, રીતભાત આપણ સહુની ઘણું કરીને એક સરખી છે, આપણ સહુને સમદુ:ખીપણું છે અને સંસ્કૃત વિદ્યા તો આપણી જ હતી તથા રામ કૃષ્ણ તે આપણા હિન્દુના દેવ છે એવાં એવાં અભિમાન છે – એટલું પણ છે તેથી આપણી હિન્દુની દેશજનતા હજી મરણ પામી નથી.”

આ ફકરો અહીં ઉતારવાનું એક કારણ એ છે કે આવતી કાલે નર્મદને 188 વર્ષ પૂરાં થાય છે. નર્મદ જેવો સુધારક અને સર્જક ગુજરાતીમાં બીજો થયો નથી. નર્મદ પહેલાં ગદ્ય ખાસ હતું નહીં, પ્રવચનો પદ્યમાં થતાં. એવા સમયમાં દેશાભિમાન, સ્ત્રી કેળવણી, વિધવા પુનર્લગ્ન, ધર્મ, શબ્દકોશનો વિચાર કરવો પણ શક્ય ન હતો, તેની વિધિવત શરૂઆત નર્મદે કરી. એ સુરતનો હતો. સુરતી હતો. એણે અહીં મૂકેલા ફકરામાં જે કહ્યું છે તે ફરી એક વખત ધ્યાનથી જોઈશું તો સમજાશે કે આ દેશને હિન્દ તરીકે ઓળખવાનું અને પ્રજાને હિન્દુ તરીકે ઓળખાવવાનું મુસલમાનોએ કર્યું છે. હિન્દુ હોવાનું આપણને ગર્વ હોવું જ જોઈએ, પણ નર્મદના મતે એ ગૌરવ આપણને મુસ્લિમોએ આપ્યું છે તે ભૂલવા જેવું નથી. એ સાથે જ મુસલમાનોએ આપણા પર જુલમો ગુજાર્યા છે એની નોંધ લેવાનું પણ એ ચૂક્યો નથી. મુસ્લિમોને તથા પરદેશીઓને કાઢવાના બહુ પ્રયત્નો થયા, પણ તેમાં સફળતા મળી નહીં. નર્મદના કહેવા મુજબ આપણે સમદુખી, મૂર્તિપૂજક અને સંસ્કૃત વિદ્યાના ઉપાસક હોવાને કારણે એક હતા અને એટલે જ આટલાં આક્રમણો પછી પણ ટકી ગયાં છીએ. આપણે ટક્યાં તે રામ, કૃષ્ણને કારણે.

નર્મદે ધર્મમાં ચાલતાં પાખંડો સામે, વિષયી ધર્મગુરુઓ સામે માથું ફેરવીને કામ લીધું છે. તે “યા હોમ કરીને −” પડ્યો છે ને યાહોમ કરનારો નર્મદ હોમ કરવા સુધી પણ પહોંચ્યો છે. તેણે સુધારા કર્યા તેમાં પણ તેની પ્રતીતિ હતી ને તે ફરી હોમ કરવા સુધી આવ્યો તેમાં પણ તેનો ભરોસો હતો. તેણે જે પણ કર્યું, પ્રતીતિ સાથે. એ પ્રતીતિ હવે જણાતી નથી. મંદિરમાં ભૂલ બદલ માફી માંગતા નર્મદે ગાલે તમાચા પણ માર્યા, પછી વહેમ, અંધશ્રદ્ધાની સામે “સુધારાદિત્ય” થઈને ઝળહળ્યો. ભૂતપ્રેતમાં માનતી પ્રજાને તેણે સાફ કહ્યું છે કે ભૂત જેવી વસ્તુ દુનિયામાં છે જ નહીં. હોળીના તહેવારમાં ઘણે ઠેકાણે ગાળો બોલાતી, ધૂળ, કાદવ, પાણીએ તોફાન કરાતાં. નર્મદે તેનો વિરોધ કર્યો છે. તેણે ગાળાગાળી વિરુદ્ધ લખ્યું છે ને આ સ્થિતિ એટલી ખરાબ હતી કે 1856માં ચાલતા દુર્વ્યવહાર સામે સરકારે કાયદો કરવો પડેલો. એટલે તહેવારોની બીજી બાજુ છે જ. એ નર્મદના વખતમાં હતી તેવી આજે પણ છે.

દશામાનો તહેવાર નવો તહેવાર છે. છેલ્લાં થોડાં વર્ષોથી તે ઉજવાય છે. ઘરમાં મૂર્તિનું સ્થાપન થાય છે. આ રીતે દશેક હજારથી વધુ મૂર્તિઓની સ્થાપના થતી આવી છે ને પછી મૂર્તિઓનું નદીમાં વિસર્જન પણ થતું આવ્યું છે. એમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓનું પ્રમાણ વધતું આવ્યું અને નદી એમાં ને એમાં પુરાતી ગઈ. આ મૂર્તિઓમાં ગણેશની, કૃષ્ણની, અંબાની એમ જુદી જુદી મૂર્તિઓ રહેતી. એમાં સૌથી વધુ પ્રતિમાઓ ગણેશની હતી. એક અંદાજ મુજબ મુંબઈ, પુના કરતાં પણ સુરતમાં વધુ મૂર્તિઓ, સિત્તેર હજારની આસપાસ સુરતમાં સ્થપાતી. એ પ્રમાણ કોરોનાને કારણે થોડું ઘટ્યું હશે, પણ આ વર્ષે ચાર ફૂટની ગણેશની પ્રતિમાઓ સ્થાપવાની સરકારે છૂટ આપી છે, સાથે એવો આગ્રહ પણ રાખ્યો છે કે મૂર્તિઓનું વિસર્જન ઘરઆંગણે જ થાય. એની કાળજી આપણી પ્રજા નથી રાખવાની તેની સરકારને પણ ખાતરી છે, પણ રાજકીય હેતુઓ પાર પડતાં લાગે છે તો સરકાર ઢીલ મૂકતી રહે છે. નવરાત્રિમાં ગરબાનું આયોજન, આયોજકોએ સ્વેચ્છાએ પડતું મૂક્યું છે, પણ સરકારને માતાજીની કૃપા થાય તો એ દાંડિયા હાથમાં લે પણ ખરી ! 

કોરોનાની ત્રીજી લહેરનું આયોજન થઈ રહ્યું છે એમ કહેવાય છે ત્યારે સવાલ થાય છે કે આયોજન ત્રીજી લહેરને રોકવા થાય છે કે તેડવા તે સમજાતું નથી. એ જે હોય તે, આપણે તો પ્રાર્થના જ કરવાની રહે કે આફત ટળે !

ધાર્મિક ઉત્સવો આનંદ અને આસ્થા માટે થાય છે, પણ એ હેતુ ખરેખર જળવાય છે ખરો? દશામાની મૂર્તિઓની સ્થાપના થઈ ત્યારે સુરત મ્યુનિસિપલ કમિશનરે એવો આગ્રહ રાખ્યો કે મૂર્તિઓનું વિસર્જન ઘરમાં જ થાય. એવું થયું હોત તો આનંદ જ થયો હોત, પણ એવું થયું નહીં. હજારો મૂર્તિઓ કેનાલમાં અને જુદે જુદે ઓવારે ખંડિત અને રઝળતી દશામાં જોવા મળી. જે મૂર્તિનું દિવસો સુધી લાલન પાલન થતું હોય, તેની પૂજા અર્ચના થતી હોય, આરતી-પ્રસાદ થતાં હોય તે માને આમ રઝળતી મૂકી દેતાં ભક્તોને કૈં થતું નથી? માતાજી, ગરજ પતે એટલે એવો કચરો કેવી રીતે થઈ જાય કે તેને નદી કિનારે નાખી આવવો પડે? આ ધર્મ ને ભક્તિ છે? જો આ ધર્મ છે તો અધર્મ આપણે કોને કહીએ છીએ? કોઈ મા કે બાપા આપણને ચોખા મૂકવા આવે છે કે અમારી સ્થાપના કરો? જો નહીં, તો દશામા, આટલી દુર્દશામાં કેવી રીતે વિદાય લે છે? બીજા કોઈ ધર્મમાં ભગવાનની આટલી દુર્દશા જોઈ છે? ને આપણે લવારા કરીએ છીએ કે ગર્વ સે કહો હમ હિન્દુ હૈ ! આવા ગર્વિષ્ઠ હિન્દુ છીએ આપણે જે દેવી દેવતાનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન પણ નથી કરી શકતા? આ શરમજનક છે.

આમાં કોર્પોરેશનની હઠ પણ જવાબદાર છે.  મ્યુનિસિપલ કમિશનરે મૂર્તિઓનું વિસર્જન ઘરમાં જ થાય એવો આગ્રહ રાખ્યો, પણ તેમને એ ખબર હતી કે પૂરેપૂરું એવું થવાનું નથી. મૂર્તિઓ બહાર પણ વિસર્જિત થવા આવશે જ. સ્થાપના વખતે કૃત્રિમ તળાવોનું આયોજન વિચારણા હેઠળ છે એવું કમિશનરે કહ્યું ને પછી તળાવની વાત આગળ ચાલી નહીં. તળાવ થયાં હોત તો શું વાંધો આવતે એ નથી સમજાતું. તળાવ થયાં હોત તો પણ મૂર્તિઓ થોડી તો રઝળી જ હોત, પણ પ્રમાણ ઘટ્યું હોત. એ સગવડ ન મળી ને લોકોને મૂર્તિઓ રખડતી મૂકવાનું બહાનું મળી ગયું. આ જ સ્થિતિ ગણેશ વિસર્જન વખતે પણ થઈ શકે છે. બધી મૂર્તિઓનું વિસર્જન ઘરઆંગણે થવાનું નથી જ. એવે વખતે કૃત્રિમ તળાવોનું આયોજન કોર્પોરેશને કરવાનું રહે જ છે, એટલું જ નહીં, એની આગોતરી જાહેરાત પણ કરવી જ જોઈએ, જેથી લોકો ગમે ત્યાં મૂર્તિ રખડતી ન મૂકે. 

કોરોનાનું તો બહાનું છે, અગાઉ પણ ગણેશની પ્રતિમાઓ ખંડિત અને રઝળતી હાલતમાં જોવા મળી જ છે. પછી કોર્પોરેશને એ મૂર્તિઓને એકત્રિત કરીને દરિયામાં પધરાવવી પડે છે. આ વખતે દશામાની મૂર્તિઓ એમ જ એકઠી કરવી પડી અને દરિયામાં વિસર્જિત કરવી પડી. એક સૂચન કરવાનું થાય છે. જો મૂર્તિઓ છેલ્લે ભેગી કરીને વિસર્જિત કરવી જ પડતી હોય તો કોર્પોરેશન વિધિવત એવી જાહેરાત કરી શકે કે મૂર્તિઓ અમુક જગ્યાએ ભક્તો જમા કરાવે જેથી તેનું વિધિવત વિસર્જન થઈ શકે. 

પણ, પ્રજા તરીકે આપણે દંભી પ્રજા છીએ. હિન્દુ, હિન્દુનું કીર્તન કરતાં સજજનોને મૂર્તિઓ રઝળે એનો વાંધો નથી લાગતો, નહિતર બીજી બાબતોમાં આગ્રહ રાખતા ધાર્મિકો મૂર્તિઓનાં રઝળપાટ અંગે ચૂપ કેવી રીતે રહે? સાચી વાત એ છે કે આપણે ધર્મને દેખાડા પૂરતો જ અપનાવ્યો છે. એ પણ કોઈ વિધિના પ્રારંભમાં હોય એટલો જ ! નહિતર વિસર્જન અંગે આટલી બેદરકારી ચાલે કેવી રીતે? બને તો ધર્મને અંગત રાખીએ. ઘરમાં રાખીએ. વિધિવિધાનો કરવાં જ હોય તો ઘર પૂરતાં સીમિત રાખીએ. કોઈ ઈશ્વર કશાનો આગ્રહ રાખતો નથી, એ નથી સ્થાપના ઇચ્છતો કે નથી ઇચ્છતો વિસર્જન ! હવે આપણને રસ હોય તો એટલું કરીએ કે એને માનથી આવકારીએ અને માનપૂર્વક વિદાય આપીએ. કમસેકમ જેને માનીએ છીએ એ ઈશ્વરને અપમાનિત ન કરીએ. ધર્મ આપણું રક્ષણ કરે છે ને આપણે એને રઝળતો કરીએ એ શોભતું નથી. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 ઑગસ્ટ 2021

Loading

...102030...1,7761,7771,7781,779...1,7901,8001,810...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved