Opinion Magazine
Number of visits: 9674591
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અદાલતી ન્યાયમાં વિલંબ માટે જવાબદાર કોણ ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|5 October 2021

સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ જાહેર પ્રવચનમાં ભારતની ન્યાય વ્યવસ્થાને જર્જર ગણાવી છે. ન્યાયની આશાએ અદાલતનો ઉંબરો ચઢનારો પસ્તાય છે, તેમ પણ તેમણે જણાવ્યું છે. કેસોના ભરાવા અને વિલંબિત ન્યાયથી પીડાતી ભારતીય અદાલતોમાં ન્યાયની પ્રતીક્ષા એટલી તો દીર્ઘ હોય છે કે તે અન્યાય બની રહે છે.

રંજન ગોગોઈના અવલોકનને સાચું ઠેરવતી ઘટના દિલ્હીની કડકડડૂમા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હમણાં બની છે. પાંચેક વરસથી કેસની સુનાવણીની આશાએ અદાલતના ચક્કર કાપતા અરજદારને વધુ એક લાંબી મુદ્દત મળતાં તેણે હંગામો મચાવ્યો. ‘તારીખ પે તારીખ’ નાખ્યાંના ફિલ્મી ડાયલૉગની બુમરાણ મચાવીને તેણે કોર્ટનાં કમ્પ્યૂટર, ફર્નિચર અને ન્યાયાસનને તોડી-ફોડી નાંખ્યાં. બીજા એક કિસ્સામાં ત્રેપન વરસથી જુદી-જુદી અદાલતો પાસે જમીનવિવાદના કેસમાં ન્યાય માંગતા ૧૦૮ વરસના વૃદ્ધનો કેસ સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે તાજેતરમાં દાખલ કર્યો, ત્યારે તેમણે અંતિમ શ્વાસ લઈ લીધા હતા.

સુપ્રીમ કોર્ટ, ૨૫ હાઈકોર્ટ અને આશરે ૧૯,૦૦૦ નીચલી અદાલતોમાં લગભગ ૪ કરોડ કેસો પડતર છે. ૨૫ હાઈકોર્ટમાં પડતર ૫૭.૫૧ લાખ કેસોમાંથી ૫૪ ટકા કેસો અલ્હાબાદ, બૉમ્બે, મદ્રાસ, ચંદીગઢ અને રાજસ્થાનની પાંચ હાઈકોર્ટ્‌સમાં છે. પાંચ ટ્રિબ્યૂનલ્સમાં ૩,૫૦,૦૦૦ કેસો ન્યાયની રાહ જોતા પડ્યા છે. પડતર કેસોમાં રોજ બ રોજ વધારો થતો જોવા મળે છે. કાયદા ક્ષેત્રે કામ કરતી ‘ન્યાયાશ્રય’ નામક સંસ્થાના ‘ધ કોવિડ ઇફેક્ટ ઇન ઇન્ડિયન જ્યુડિશિયરી’ અભ્યાસ મુજબ આઝાદી પછી પ્રથમ વખત કોરોના કાળમાં કોર્ટ કેસોમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે. સામાન્ય રીતે વાર્ષિક સરેરાશ પાંચેક ટકાનો વધારો કોરોનાના સમયગાળા દરમિયાન સર્વોચ્ચ અદાલતમાં ૧૦.૩૫ ટકા, વડી અદાલતોમાં ૨૦.૪ ટકા અને જિલ્લા અદાલતોમાં ૧૮.૪ ટકા થયો છે.

વરસોથી અદાલતમાં લટકતા કેસોનો સમયગાળો આંચકો આપે તેવો છે. દર ચારમાંથી એક કેસ પાંચ વરસ પહેલાંનો હોય છે. એક હજાર કેસો પચાસ વરસ જૂના છે, બે કેસો તો ૧૯૫૧થી ન્યાય માંગતા ઊભા છે. બે લાખ કેસો ૨૫ વરસ જૂના છે. બે કરોડ ફોજદારી કેસોમાંથી એક કરોડ અને નેવું લાખ દીવાની કેસોમાંથી વીસ લાખમાં હજુ સમન્સ જ બજાવાયાં નથી. ગુજરાતની વડી અદાલત પાસેથી દલિત આગેવાન વાલજીભાઈ પટેલે માહિતી – અધિકાર કાયદા હેઠળ અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર પ્રતિબંધક કાયદા હેઠળની કેટલી અપીલો પેન્ડિંગ છે, તેની માહિતી માંગી હતી. વર્ષ ૨૦૦૦થી મે – ૨૦૨૦ સુધી નીચલી અદાલતોના સજાના ચુકાદા સામેની ૮૩૩ અપીલો હાઈકોર્ટમાં પડતર છે. પડતર કેસોમાં પાંચમા ક્રમના રાજ્ય ગુજરાતમાં ૨૧,૧૯,૭૨૮ કેસો પેન્ડિંગ છે.

વિલંબિત ન્યાયનું પ્રમુખ કારણ ન્યાયાલયોમાં ખાલી જગ્યાઓ છે. સંસદના હાલના વર્ષાસત્રમાં લોકસભા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે હાઈકોર્ટ જજીસની મંજૂર ૧૦૯૮ જગ્યાઓમાંથી ૪૫૬ ખાલી છે. કેટલીક વડી અદાલતોમાં તો ન્યાયાધીશોની પચાસ ટકા જગ્યાઓ ખાલી છે. હાઈકોર્ટોમાં સરેરાશ ૩૭ ટકા અને નીચલી અદાલતોમાં ૨૩ ટકા પદો ખાલી છે, પરંતુ શું આ જ એક માત્ર કારણ છે ? દેશની  હાઈકોટ્‌ર્સમાં પેન્ડિંગ કેસોને ખાલી જગ્યાઓ સાથે મૂલવીએ તો જણાય છે કે કોલકાતા હાઈકોર્ટમાં ૪૪ ટકા જગ્યાઓ ખાલી છે, પરંતુ પડતર કેસો ૨.૭ લાખ છે, જ્યારે મદ્રાસ હાઈકોર્ટમાં ૭ ટકા જ જગ્યાઓ ખાલી છે, પણ પેન્ડિંગ કેસો ૫.૮ લાખ છે. એટલે ન્યાયાધીશોની ગુણવત્તા અને ક્ષમતા પણ પેન્ડિંગ કેસોમાં ભાગ ભજવે છે. કદાચ આવાં જ કારણોસર મિઝોરમ-ત્રિપુરાની નીચલી અદાલતોમાં મહિને ૧૩, ગુજરાતમાં ૧૯ અને કર્ણાટકમાં ૧૧૩ કેસોનો નિકાલ થાય છે. ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હીની કોર્ટોમાં જજોની સંખ્યા વધુ હોવા છતાં પડતર કેસો વધુ છે. જ્યારે ઓછા ન્યાયાધીશો ધરાવતી આંધ્ર, તેલંગાણા, ઝારખંડ, મેઘાલય અને છત્તીસગઢની કોર્ટોમાં પડતર કેસો ઓછા છે.

અદાલતોના કામના વાર્ષિક દિવસો પણ ન્યાયમાં દેરીનું કારણ છે. કેન્દ્ર સરકારના કર્મીઓના કામના દિવસો ૨૪૪ છે. અદાલતોની રજિસ્ટ્રી પણ તે પ્રમાણે કામ કરે છે. પરંતુ માનનીય ન્યાયાધીશોના કામના દિવસો એટલા નથી. સુપ્રીમ કોર્ટના કામના દિવસો વરસે ૧૯૦ અને હાઈકોર્ટના ૨૩૨ છે. હજુ પણ આપણી અદાલતો અંગ્રેજોના જમાનાથી ચાલ્યા આવતાં ઉનાળુ અને શિયાળુ વૅકેશનો ભોગવે છે. દુનિયામાં કાચા કામના કેદીઓ સરેરાશ ૨૭ ટકાની તુલનામાં ભારતમાં ૬૯ ટકા છે. જો દેશમાં નેધરલૅન્ડની વસ્તી જેટલા વિચારાધીન કેદીઓ હોય અને તેમના ન્યાયમાં વિલંબ થતો હોય, તો અદાલતોના કામના દિવસો અને કલાકો વધારવાની જરૂર છે.

જટિલ અને લાંબી ન્યાય અને પોલીસતપાસની પ્રક્રિયા પણ ઝડપી અને સમયસરના ન્યાયમાં બાધક છે. ૧૯૭૩ના કોડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર મુજબ પોલીસે ગુનાની તપાસ કરી નિર્ધારિત સમયમર્યાદામાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવાની હોય છે, પરંતુ અદાલતોમાં સમયસર આરોપનામાં દાખલ થતાં નથી. કેમ કે આપણે ત્યાં કાયદો અને વ્યવસ્થાની ફરજ નિભાવતા પોલીસના માથે જ ગુનાની તપાસની જવાબદારી છે. તેણે કામના બોજ હેઠળ આ બંને કામો કરવાનાં હોય છે. લૉ ઍન્ડ ઑર્ડરનું કામ તાકીદનું હોય છે એટલે તે ગુનાની તપાસ સમયસર કરી શકતા નથી.

એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી.વાય. ચન્દ્રચૂડે અદાલતની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવાનું સૂચન કર્યું હતું. કોર્ટમાં કેસોના ભરાવા માટે તારીખો માંગવાનું વકીલોનું વલણ ન્યાયમાં વિલંબ માટે કેટલા અંશે જવાબદાર છે, તે લોકો જાતે જ નક્કી કરી શકે, તે માટે તેમણે આ સૂચન કર્યું હતું. સુનાવણી-મોકૂફી રાખવા વકીલો ખુદની વ્યસ્તતાને અન્યો પર ઢોળી દઈ તારીખો માંગતા હોય છે. તેને કારણે પણ ન્યાયમાં વિલંબ થાય છે. એટલે વિલંબિત ન્યાયની જવાબદારી ન્યાયાધીશો, પોલીસ અને વકીલોની પણ છે.

મુક્ત અને સ્વતંત્ર ગણાતું ન્યાયતંત્ર નાણાકીય બાબતોમાં સરકારો પર આધારિત હોય છે. ભારતના જી.ડી.પી.ના ૦.૦૮થી ૦.૦૯ ટકા જ બજેટ ન્યાયતંત્ર માટે ખર્ચાય છે. માળખાકીય સુવિધાઓનો અભાવ, અપૂરતા અદાલતી ખંડો અને ખાલી જગ્યાઓ સરકારોના કારણે જ છે. અદાલતો સમક્ષ સૌથી મોટા ફરિયાદી તરીકે સરકારો જ જાય છે. પડતર કેસોમાં સિંહ ફાળો સરકારી કેસોનો છે. એકલા અમદાવાદ મહાનગરપાલિકા વિરુદ્ધના સ્થાનિકથી સર્વોચ્ચ અદાલત સુધીના ૧૦,૩૭૭ કેસો પડતર છે. કાયદા, નિયમો અને સરકારી ઠરાવોના ઘડતર સમયે તેની ન્યાયિક અસરો તપાસવામાં આવતી જ નથી, તેને કારણે પણ કેસોમાં વધારો થાય છે. 

બંધારણના અનુચ્છેદ ૨૨૪-એની જોગવાઈ મુજબ આઠ વરસથી પડતર કેસોના નિકાલ માટે નિવૃત્ત ન્યાયાધીશોની એડહોક જજ તરીકે નિમણૂકની ન્યાયમિત્ર યોજના ઝાઝી સફળ થઈ નથી. અદાલતના કામનો બોજ ઘટાડવા અને ન્યાયાલયની બહારના ન્યાય તથા સમાધાન માટે લોક અદાલતો અને ગ્રામ ન્યાયાલયોના પ્રયોગો કરવામાં આવે છે. ૨૦૨૦ની અંતિમ માહિતી મુજબ ગ્રામ ન્યાયાલય અધિનિયમ, ૨૦૦૮ હેઠળ દેશનાં ૧૨ રાજ્યોમાં ૩૯૫ ગ્રામ ન્યાયાલયોની જ રચના થઈ શકી છે અને તેમાંથી ૨૨૫ જ કાર્યરત છે. સંભવિત ખાલી જગ્યાઓની માહિતી પરથી તે ભરવા અંગે આગોતરું આયોજન કરવાથી પણ ન્યાયમાં વિલંબ અટકાવી શકાશે. સુપ્રીમ કોર્ટ કૉલેજિયમ દ્વારા જજોની નિમણૂકો કરવા ભલામણ કર્યા બાદ સરકાર નિમણૂકમાં સરેરાશ સાતથી બાર મહિનાનો સમય લે છે અને ભલામણ કરેલ તમામની નિમણૂક કરતી નથી. આ સમયગાળો ઘટાડવાથી અને નિમણૂક-પદ્ધતિ બદલવાથી પણ ખાલી જગ્યાઓ ભરવામાં ઝડપ આવી શકે તેમ છે.

સામાન્ય અપરાધના ૪૫ લાખ પેન્ડિંગ ફોજદારી કેસો અને મહત્ત્વહીન દસ વરસ પૂર્વેની જાહેરહિતની અરજીઓનો નિકાલ ઝડપથી લાવી શકાય તેમ છે. દર દસ લાખની વસ્તીએ અમેરિકામાં ૧૦૭ અને કૅનેડામાં ૭૫ જજો છે, જ્યારે ભારતમાં ૨૦ છે. ઉત્તર પ્રદેશમાં પ્રતિ ન્યાયાધીશે ૩,૫૦૦ કેસોની સરેરાશ છે. એટલે જજોની સંખ્યા વધારવાની અને જજીસ દીઠ કેસોની સરેરાશ ઘટાડવાની આવશ્યકતા છે. નીચલી અદાલતોની માળખાકીય સગવડોમાં ખાસ તો ડિજિટલ નિરક્ષરતા દૂર કરી ડિજિટલ સેવાઓમાં વૃદ્ધિ કરવી પડશે. સમગ્ર દેશની ૧૫ ટકા, આન્ધ્રની ૬૯,  ઓડિશાની ૬૦ અને અસમની ૫૯ ટકા ડિસ્ટ્રિક્ટ  કોર્ટોમાં મહિલા ટૉઇલેટ ન હોય તેવી બદતર સ્થિતિમાં કોર્ટો કામ કરતી હોય તે સ્થિતિ તાકીદનો સુધારો માંગે છે.

રાજનીતિના અપરાધીકરણને કારણે રાજનેતાઓ સામેના કેસો વધી રહ્યા છે. માત્ર સાંસદો સામેના અપરાધિક કેસો ૨૦૦૦માં ૨૪ ટકા હતા, જે ૨૦૧૯માં ૪૩ ટકા થયા છે. રાજનેતાઓ સામેના પડતર અપરાધિક ૪,૪૪૨ કેસોમાંથી ૨૫,૫૬ સાંસદો અને ધારાસભ્યો સામેના છે. જો તેનો નિકાલ થઈ શકે, તો રાજકારણના અપરાધીકરણનું ચિત્ર સ્પષ્ટ થાય. અદાલતો બે પાળીમાં ચલાવવા વ્યવસ્થા વિચારવા સાથે, ખાસ અદાલતો નામ માત્રની હોય છે, તે સ્થિતિ બદલવાની જરૂર છે. કોઈ પણ અદાલતી કેસના અંતિમ નિર્ણયની સમયમર્યાદા નક્કી કરવાની અને સુનાવણીની વધુમાં વધુ કેટલી તારીખો હોઈ શકે, તે નક્કી કરવાની જરૂર છે. ટેક્‌નોલૉજીનો વ્યાપક ઉપયોગ કરવાથી અને આર્થિક તથા વ્યાપારી મામલાના કેસોમાં મધ્યસ્થી અને સમાધાનના પ્રયાસોનું સોગંદનામું અનિવાર્ય કરવાથી કેસોના નિકાલમાં ઝડપ આવી શકશે. ન્યાય મેળવતાં લોકોની પેઢીઓ નીકળી જાય છે. તેમને ન્યાયની દેવડીએ આવતા બંધ ન કરવા હોય, તો ન્યાયમાં વિલંબને અટકાવવો પડશે.

ન્યાયમાં વિલંબથી લોકોમાં હતાશા અને ક્રોધ જન્મી શકે છે. તેઓ ન્યાયની આશા ગુમાવીને કાયદો હાથમાં લે તેમ પણ બની શકે છે.ન્યાયના વિલંબની આર્થિક અસર બહુ મોટી હોય છે. ૨૦૧૬નું અનુમાન વાર્ષિક જી.ડી.પી.ના ૦.૫ ટકા જેટલી અસરનું છે. સરકારના ૫૦,૦૦૦ કરોડના પ્રોજેકટ વિલંબિત ન્યાયના કારણે ખોરંભે પડ્યા છે.

પૂર્વ વડા પ્રધાનો ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યાના ચુકાદા અનુક્રમે પાંચ અને નવ વરસે આવ્યા હતા. ૧૯૭૫માં થયેલી તત્કાલીન રેલવે મંત્રી લલિત નારાયણ મિશ્રની હત્યાનો ચુકાદો ચાળીસ વરસે આવ્યો હતો. જો હાઈ પ્રોફાઇલ કેસોની આ હાલત હોય, તો સામાન્ય માનવી તો સમયસર ન્યાયની આશા જ ક્યાંથી રાખે. નીતિ આયોગના મંતવ્ય અનુસાર ભારતનાં ન્યાયાલયોમાં આજે પડતર કેસોની સ્થિતિ અને તેના નિકાલની ગતિ જોતાં બધા અદાલતી કેસોનો નિકાલ આવતાં સાડા ત્રણસો વરસ લાગશે. આઝાદીના અમૃત પર્વના વરસે દેશજનતા બંધારણે બક્ષેલા સઘળા ન્યાયની નહીં તો કમ સે કમ સમયસરના અદાલતી ન્યાયની તો અપેક્ષા રાખે જ ને ?

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 11-12

Loading

દેવને જન્મ સ્ત્રી આપે, પણ દેવની પૂજા ન કરી શકે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 October 2021

એમ લાગે છે કે જેમ જેમ હિંદુત્વની વાતો વધતી આવે છે તેમ તેમ આપણું ઝનૂન ને પછાતપણું જ જાહેર થતું આવે છે. વિધર્મીને આપણે ઝનૂની ને આક્રમક કહીને વખોડતા હોઈએ તો એ જ માર્ગે હિન્દુઓ પણ છે એવું નથી? હિન્દુ ધર્મ અત્યાર સુધી બહુ ખુલ્લો ને સહિષ્ણુ રહ્યો છે. કોઈ ધર્મને નથી એટલા દેવીદેવતાઓ હિંદુ ધર્મમાં છે. કોઈ એકને જ દેવ ગણવાનું સંકુચિત માનસ હિન્દુ ધર્મનું નથી. તેમાં દેવ છે તો દેવી પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. કોઈ ધર્મને આટલી દેવીઓ નથી. દેવના નથી, એટલાં વ્રત દેવીઓનાં છે. પુરાણોમાં પણ ગાર્ગી ને અન્ય વિદુષીઓ શાસ્ત્રાર્થ કરતી હોવાના ઉલ્લેખો છે. કહેવાનું તાત્પર્ય એ છે કે હિન્દુ ધર્મ વધુ ઉદાર અને અન્ય વિચારસરણીને મહત્ત્વ આપનારો ધર્મ છે. આ સહિષ્ણુતા ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે ને આ ધર્મને વધુ સંકોચવાના ને ઝનૂની બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે તે બરાબર નથી. હિંદુ ધર્મના જે ઉદાર અને ઉદાત્ત ખ્યાલો છે તેનો વિશ્વમાં જોટો જડે એમ નથી. એ જોટો, ખોટો કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આપણે તાલિબાનો નથી. જે સંકુચિતતા ત્યાં છે એ અહીં લાવીને આપણે ઘૂંઘટ અને પડદા વિકસાવવા છે? જો બુરખાનો આપણને વિરોધ હોય તો આપણી સંકુચિતતાઓ બુરખાની દિશામાં જ છે તે સમજી લેવું ઘટે.

આટલું કહેવાનું એટલે થયું છે કે ડાકોરના વિશ્વવિખ્યાત રણછોડરાયના મંદિરમાં વારસાઈ હક આગળ કરતી સ્ત્રીઓને મંદિર મેનેજમેન્ટે પૂજા કરવાની મનાઈ ફરમાવી છે. વાત એમ છે કે ડાકોરના રણછોડરાયની પૂજા કરવા માટે વંશ પરંપરાગત રીતે જેમનો ક્રમ આવે છે એવી બે બહેનોએ પૂજા કરવાની માંગ કરી છે અને બીજી ઓકટોબરે કોઈ પણ સંજોગોમાં તે પૂજા કરશે જ એવો આગ્રહ રાખ્યો, પણ મંદિર પરિસરમાં પ્રવેશથી આગળની તક તેમને મળી નથી. આ અગાઉ 16 ઓગસ્ટે એક બહેને ગોપાલજીની સેવા કરવાનો પોતાનો હક આગળ કરીને હિંડોળા ઝુલાવ્યા હતા, જેનો વૈષ્ણવ સંપ્રદાયને વાંધો પડ્યો હતો અને એ બહેનને ફરી આવું ન કરવા નોટિસ મોકલાઈ હતી. એ પછી પણ બહેનોએ બે ઓકટોબરે પૂજાનો આગ્રહ રાખતા વાતાવરણ ગરમાયું હતું. આ બહેનોને ભય હતો કે તેમની હઠ તેમનાં પર આક્રમણો કરાવશે એટલે તેમણે પોલીસનું રક્ષણ પણ માંગ્યું હતું. આની સામે મંદિરનુ ટ્રસ્ટ પણ એ વાત આગળ કરે છે કે મંદિરના 1,200 વર્ષના ઇતિહાસમાં કોઈ સ્ત્રીએ ભગવાનની પૂજા કરી નથી. આ બરાબર નથી. 1,200 વર્ષ સુધી સ્ત્રીના હકને ધ્યાનમાં જ ન લેવાય એ કેવું? 1,200 વર્ષ સુધી પૂજારીઓનું વર્ચસ્વ રહ્યું હોય તો તે કાયમ રહેવું જ જોઈએ એવું ક્યાં ય લખેલું નથી. 1,200 વર્ષ પહેલાં સ્ત્રીઓ બહાર ન પડી હોય ને હવે પડે તો તે પરિવર્તન સ્વીકારવું પડે. વર્ષો પહેલાં આ જ માનવજાત માનતી હતી કે પૃથ્વી ફરતી નથી, તો વર્ષો સુધી એવું માનતા હતા એટલે હજી એમ જ માનવું જોઈએ એવો નિયમ છે? એટલે વર્ષોથી પૂજારીઓએ પૂજા કરી હોય તો ભલે, પણ તેથી પૂજારણો પૂજા કરી જ ન શકે એ વાત કોઈ રીતે ન્યાયી નથી.

બીજી મહત્ત્વની વાત એ છે કે આ, બહેનોને પરંપરાગત રીતે મળતો અધિકાર છે ને તે તેનો ઉપયોગ કરવા ઇચ્છે તો તેને તેમ કરતી અટકાવવી એ અધર્મ છે. આ બહેનો સ્વર્ગીય પૂજારી પિતાની દીકરીઓ છે ને પિતા નથી ત્યારે એમને પૂજાનો અધિકાર સહજ રીતે જ મળે. આ પિતા પણ સેવક વંશ તરીકે વંશ પરંપરાગત રીતે પૂજા કરતા આવ્યા હતા ને એ જ અધિકારની રૂએ દીકરીઓ પૂજા કરવાનો હક માંગે છે. એ પિતાના સંતાનમાં આ બે દીકરીઓ જ છે. પિતાની મિલકતમાં પુત્રીનો અધિકાર માન્ય કરાયો હોય તો આ તો ભગવાનની પૂજા કરવા ઇચ્છે છે, એને અટકાવી શકાય નહીં. આ બહેનો એવો દાવો પણ કરે છે કે 2018માં આ બહેનોના હક બાબતે થયેલા કેસનો નિકાલ તેમની તરફેણમાં આવ્યો છે ને બહેનોનો હક કોર્ટે મંજૂર રાખ્યો છે. આ સ્થિતિમાં ટ્રસ્ટનું કહેવું છે કે કોર્ટે એવો કોઈ હુકમ બહેનોની તરફેણમાં કર્યો હોય તો એ આદેશ ટ્રસ્ટને બતાવાય તો ટ્રસ્ટને પૂજા કરવા દેવાનો વાંધો નથી. આ બહેનોએ એ આદેશ ટ્રસ્ટને બતાવીને પૂજાનો હક માંગ્યો છે, પણ ટ્રસ્ટ એ આદેશને માનવા ને તેમની કોઈ વાત સ્વીકારવા તૈયાર નથી – એવું એક બહેન કહેતી દેખાઈ છે. આ લખાય છે ત્યાં સુધી બહેનો પૂજા કરી શકી નથી, પણ કોઈ પણ આદેશની ખરાઈ કર્યા વગર પણ ટ્રસ્ટે એ બે બહેનોને પૂજન અર્ચનનો અધિકાર આપવો જોઈએ.

એ તો થાય ત્યારે વાત, પણ મંદિર ટ્રસ્ટની ને એ નિમિત્તે બીજે બધે પણ સ્ત્રીઓને ધર્મ સ્થાનોથી દૂર રાખવાનું વલણ કેટલાંક મંદિરોએ આજ પર્યંત પાળેલું છે. સબરીમાલા મંદિરમાં તો મહિલાઓના પ્રવેશ પર જ મનાઈ છે. આ મનાઈ 10થી 50 વર્ષની સ્ત્રીઓ સંદર્ભે છે. તે એટલે કે એ વર્ષ દરમિયાન જ સ્ત્રીઓને માસિક આવે છે. એ હિન્દુ ધર્મમાં જ છે કે માસિકમાં આવેલી સ્ત્રીઓ અપવિત્ર ગણાય છે. એક સમયે આમ મનાવું વાજબી હશે, પણ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયું હોય કે માસિકસ્રાવ એ શુદ્ધ જૈવિક પ્રક્રિયા છે ને તેમાં કશું અજુગતું કે અપવિત્ર નથી, તો હજી પણ પવિત્રતાને નામે સ્ત્રીઓને તેના જ ભગવાનથી દૂર રાખવી યોગ્ય છે? સુપ્રીમ કોર્ટે 2018માં મહિલાઓના પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવવા કહ્યું હતું, પણ એ આદેશનો પણ મંદિરે સ્વીકાર કર્યો ન હતો. સાચી વાત તો એ છે કે બંધારણની કલમ 14 સમાનતાનો નિર્દેશ કરે છે. જો એ કલમ તમામ ભારતીયને લાગુ પડતી હોય ને એની રૂએ પુરુષને પૂજા અને પ્રવેશનો અધિકાર મળતો હોય તો એ જ પૂજા અને પ્રવેશનો અધિકાર સ્ત્રીને પણ સહજ રીતે જ મળે, પણ કમનસીબે સ્ત્રી-પુરુષ બાબતે હજી ભેદભાવ રાખવામાં આવે જ છે, તે ઠીક નથી.

અનેક રીતે ને પ્રકારે મહિલાઓએ અનેક ક્ષેત્રોમાં પોતાને પુરવાર કરી હોય, પછી પણ મહિલાઓને ધાર્મિક સ્વતંત્રતા ઓછી જ હોય તો તે દુ:ખદ છે. એ રીતે વિધર્મીઓ કરતાં હિન્દુ ધર્મમાં સ્ત્રીઓની સ્થિતિ બહુ સારી છે એવું લાગતું નથી. હિન્દુ સંપ્રદાયે ગંભીરતાથી આત્મ નિરીક્ષણ કરવાની જરૂર છે. જે ધર્મે સ્ત્રીઓને પાછળ રાખી છે તેમનો વિકાસ અન્ય ધર્મની તુલનાએ કેટલો થયો છે તેનો અભ્યાસ કરવાની જરૂર છે. એ પણ વિચારવાની જરૂર છે કે હિન્દુઓની બહુમતી હોવા છતાં ભારત અન્ય જાતિ, ધર્મ કે સત્તાનાં આક્રમણો ખાળી કેમ ન શક્યું? કોઈ પણ રાષ્ટ્રે ન ભોગવી હોય એટલી ગુલામી ભારતે જ કેમ ભોગવી? શું કારણ હતું કે ભારત સેંકડો વર્ષની ગુલામી ભોગવવા લાચાર જ રહ્યું? હિન્દુઓમાં શૌર્ય ન હતું? સાહસ ન હતું? બુદ્ધિ ન હતી? શું ખૂટતું હતું? આટલા રાજા-મહારાજાઓ હતા, આટલું સૈન્ય હતું, આટલાં શસ્ત્રો હતાં તે કેમ આવતી ગુલામીનો સામનો ન કરી શક્યાં? એવું પણ ન હતું કે સામનો થયો જ ન હતો, રાણા પ્રતાપ અને લક્ષ્મીબાઈની ભારતને ખોટ ન હતી, છતાં આ દેશ ગુલામ થયો, એટલું જ નહીં, એકથી વધુ વખત થયો.

એ ગુલામ થયો તે કુસંપને કારણે. દેશદ્રોહને કારણે. મીરજાફર, અમીચંદ એક જ ન હતા. અન્ય પ્રજાઓને, રાજાઓને હુમલાનું, સત્તાનું આમંત્રણ આ જ દેશના લોકોએ આપ્યું. રાજા-મહારાજાઓ એકબીજા પર તલવાર તાણવામાંથી જ ઊંચા ન આવ્યા. જે સૈન્ય વિદેશી, વિધર્મી પ્રજા માટે વપરાવું જોઈતું હતું તે અંદરોઅંદર વપરાયું ને એ રીતે શક્તિ ને સૈનિકો, બંને હણાયાં, પછી વિદેશી તાકતો સામે કેટલુંક ટકાય? અંગ્રેજો એ પારખી ગયા ને એમણે આપણી વચ્ચેના કુસંપનો ભરપૂર લાભ ઉઠાવ્યો. આટલા મોટા દેશને ગુલામ બનાવવાનું સહેલું ન હતું, પણ આપણી નબળાઈઓએ, આપણા અહંકારે, આપણા દંભે વિદેશી અને વિધર્મી સત્તાને મોકળું મેદાન આપ્યું. આજે પણ સારાસારનો વિવેક આપણામાં ઓછો જ છે. જેટલી વિદેશી પ્રજાઓ આપણે ત્યાં આવી એના કરતાં હિન્દુઓ વધારે જ હતા, એમાં અડધી વસ્તી સ્ત્રીઓની હતી જેને પછાત ને અભણ રાખવામાં જ આપણે ભલું જોયું. એમાં લક્ષ્મીબાઇ, અહલ્યાબાઈ જેવી થોડી સ્ત્રીઓ જ સશક્ત અને સામનો કરી શકે એવી હતી. જરા વિચારો કે બધી સ્ત્રીઓ શિક્ષિત ને સક્ષમ હોત ને પુરુષો પણ એટલા જ સ્વાભિમાની ને સંપીલા હોત તો કઈ પ્રજાની તાકાત હતી કે દેશને ગુલામ બનાવે, પણ કુસંપ અને સંકુચિત મનોદશાએ આપણને મુક્ત ન રહેવા દીધા. આજે પણ આ સ્થિતિમાં બહુ ફેર પડ્યો નથી. આજે પણ સ્ત્રીને મંદિરમાં પ્રવેશ કે પૂજા બાબતે રોકવામાં આવે ને બીજી તરફ સ્ત્રી-પુરુષ સમાનતાનું નાટક કરીએ, મહિલા દિન ઉજવીએ ને ઓલ વેલનો દંભ કરીએ એમાંથી ફલિત તો એટલું જ થાય છે કે હિન્દુ હોવાનું ગૌરવ લેવા જેટલી પાત્રતા આપણે કેળવવાની હજી બાકી છે. અનેક મંદિરો, અનેક દેવીદેવતાઓ ને અનેક હોમ હવન છતાં, સાચા હિન્દુઓ ઓછા છે ને આટલી વસ્તી છતાં આપણે સાચા અર્થમાં હિંદુત્વનો મહિમા કરી શક્યા નથી. હવે તો એ સ્થિતિ છે કે ગુલામ થવા આપણે વિદેશી પ્રજાઓ પર પણ આધાર રાખવો પડે એમ નથી. એ બાબતમાં આપણે પૂરતું સ્વાવલંબન કેળવ્યું છે, એવું નહીં?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 ઑક્ટોબર 2021

Loading

રાજશક્તિ સામે લાચાર લોકશક્તિ

ડંકેશ ઓઝા|Opinion - Opinion|4 October 2021

દેશમાં અને દુનિયામાં લોકશાહીનું શું થવા બેઠું છે તે સમજ પડતી નથી! અફઘાનિસ્તાનનો કિસ્સો ચર્ચાને ચકડોળે છે. બધા થથરી ઊઠ્યા છે, પણ કોઈની પાસે એનો ઉકેલ હાથવગો તો નથી. એની દિશા પણ કોઈને દેખાતી નથી. લોકશાહીનું સત્ત્વ હણાયું હોય અને માત્ર સ્વરૂપ ટકી રહ્યું હોય એમ લાગ્યા કરે છે.

નાગરિકસમાજનું ઘડતર થયું હોય તેમ જણાતું નથી. ગુજરાતમાં, અમદાવાદમાં રાજપથ ક્લબ નજીકના ગ્રંથાગારમાં બજરંગદળના ડઝનેક સભ્યોએ ૨૯-૮ને શનિવારની રાત્રે સંસ્કૃતમાં લખાયેલા પ્રાચીન ગ્રંથ ‘કામસૂત્ર’ની નકલો બાળી અને આવાં ગંદાં પુસ્તકોનું વેચાણ થતું જોઈને હિન્દુઓની લાગણી ઘવાય છે, એવું નિવેદન કર્યુ. તેનાથી વ્યથિત થઈને જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધ લેખક ગુરુચરણદાસે ૧૯-૯ને રવિવારના ‘ટાઇમ્સ’માં લેખ લખ્યો. હિન્દુ તત્ત્વજ્ઞાનમાં ધર્મ, અર્થ અને મોક્ષ ત્રણની સાથે કામને પણ સામેલ કરવાના શાણપણની વાત કરી. પશ્ચિમી જગત સમજે તે પૂર્વે હિન્દુશાસ્ત્રો ઇન્દ્રિયોના ઉત્સવને સમજ્યા છે. આ વારસો એમ કલંકિત કરવાની જરૂર નથી એ વાત એમણે કરી. ગુજરાતમાં આપણે એ નિમિત્તે કોઈ શાણપણની વાત પણ ન કરી શક્યા! પુસ્તક બાળવા માટે નથી, વાંચવા માટે છે, એવું ન સમજાવી શક્યા, જ્યાં ‘વાંચે ગુજરાત’નું અભિયાન થઈ ગયું હતું!

રાજ્યના મુખ્ય મંત્રીએ દેખીતા કોઈ કારણ વિના એકાએક રાજીનામું આપ્યું. એની સાથે એમનું આખું મંત્રીમંડળ પણ વિદાય થયું. ચોવીસ કલાકમાં હાઈ કમાન્ડે નવા મુખ્ય મંત્રી ગુજરાતની પ્રજાને આપ્યા. એમની સોગંદવિધિ સાથે પૂરા મંત્રીમંડળની સોગંદવિધિ ન થઈ શકી, કારણ ઊભી થયેલી સ્થિતિમાં રાજકીય અસંતોષને ખાળવા માટે  સમય જોઈતો હતો.

રાજકીય પક્ષોમાં લોકશાહી પ્રક્રિયા ચાલતી નથી, એ ખાનગી વાત ચૂંટણીપંચ અને ન્યાયતંત્ર પણ જાણે છે. ‘હાઈકમાન્ડ’ શબ્દ ઇન્દિરા ગાંધીના વખતમાં વપરાયેલો, તે હવે દેશને ‘મજબૂત સરકાર’ મળવાથી ફરીથી ચલણી બન્યો છે. સન્નિષ્ઠ કાર્યકરોનું કશું જ ન ઊપજે અને હાઈ કમાન્ડ શબ્દ શિલાલેખ પરનું લખાણ બની જાય એમ થઈ રહ્યું છે.

લોકશાહીનું પિયરઘર ઍથેન્સ મનાય છે. ઍથેન્સનો નાગરિક પોતાનું ઘર સંભાળવાને બહાને રાજ્ય તરફ બેપરવાહ રહેતો નહોતો. વિવિધ વ્યવસાયોમાં રચ્યાપચ્યા રહેતા લોકોને પણ જાહેર કામો અંગેની આવશ્યક માહિતી તો હોય જ પ્રાચીન ગ્રીસની લોકશાહીમાં જે નાગરિક જાહેર પ્રશ્નમાં રસ લેતો નહીં તે નિરુપદ્રવી નહિ, પણ નકામો ગણાતો. આજે આપણે એવું કંઈ સમજતા નથી અને પોતાનામાં એકાંગી રીતે મગ્ન છીએ.

લોકશાહીની રીતે સમાજમાંથી ઊઠવા જોઈતા પ્રશ્નો એ હોઈ શકે કે પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓને પોતાનો નેતા નક્કી કરવાનો અધિકાર કેમ ન હોવો જોઈએ? હાઈ કમાન્ડ પોતાની મરજીમાં આવે ત્યારે અને તે રીતે સરકારને બદલી નાખે તો સરકાર બદલવાના લોકોના અધિકારનું શું? રાજકીય પક્ષને એક વાર બહુમતી મળી પછી પાંચ વરસ સુધી પોતાને મન ફાવે તેમ વર્તે અને પ્રજા લોકશાહીનું નાટક જોતી રહે એવું લોકશાહીમાં અભિપ્રેત છે? નવા મંત્રીમંડળનો અને તે નિમિત્તે સોગંદવિધિનો જે કંઈ ખર્ચ થાય છે, તે પ્રજાએ શા માટે વેઠવો જોઈએ? R.T.I.ના જમાનામાં એ ખર્ચનો આંકડે મેળવીને, એ રાજકીય પક્ષ પાસેથી વસૂલ કરીને, સરકારી તિજોરીમાં જમા લેવાની વ્યવસ્થા થઈ શકે ખરી ?

‘નો રીપિટ થિયરી’ એમ કહીને જૂના મંત્રીઓને સરકારી બંગલા ફાળવાયા. નવા મંત્રીઓને શુભમુહૂર્ત જોઈને કાર્યરત બનાવાયા. તેથી જાહેર વહીવટનું સાતત્ય જળવાયું કે કેમ એ તપાસવાની કોઈને ચિંતા નથી. નવા નિશાળિયા બિનઅનુભવી અને નાની ઉંમરના હોય, ત્યારે વહીવટી તંત્રના ઉચ્ચ શિક્ષણ પામેલા અધિકારીઓ આ અલ્પ શિક્ષિત મંત્રીઓ પ્રત્યે આદર કેમ અનુભવશે તેનો પણ વિચાર કરવો રહ્યો. વહાણનું સુકાન નવાસવાના હાથમાં સોંપીએ તો એ કઈ દિશામાં લઈ જાય અને કેવી દશામાં મુકાવું પડે એની ચિંતા ખરી કે નહિ.

આવા કોઈ પ્રશ્નો જાણે પૂછવાના જ બંધ થઈ ગયા છે. આઝાદ ભારતમાં પહેલી વાર આવો નવતર પ્રયોગ થયો છે, એમ કહીને હાઈકમાન્ડનાં ઓવારણાં લેવાય છે, પણ રાજ્ય અનવસ્થામાં મુકાશે તેનું શું? કોઈકે ‘કામરાજ યોજના’ને યાદ કરી છે. અમુક ઉંમરથી મોટાને માર્ગદર્શકમંડળમાં બઢતી આપવાનું દેશના રાજકીય પક્ષે ૨૦૧૪માં પણ નક્કી કરેલું. હવે લોકશાહીનો તો સિદ્ધાંત છે કે કાયદો ઘડનાર કાયદાથી પર ન હોઈ શકે. આવી યોજના ઘડનારનું શું થશે? એને પણ કાયદો લાગુ પડશે કે પેલા શાશ્વત નિયમનો આધાર લેવાશે, જેમાં કહેવાયું છે કે પ્રત્યેક નિયમને અપવાદ હોય છે. અપવાદ વિનાનો નિયમ સાંભળ્યો નથી.

આજે રાજકારણ અતિશય માત્રામાં વધી ગયું છે. પ્રજામાંનો એક પક્ષ બચાવમાં છે તો બીજો પક્ષ તમાશો જોવામાં વ્યસ્ત છે. લોકશાહી સરકારના હવાલે નથી, તો પ્રજાના હવાલે પણ નથી. આવા સમયને વર્ણવવા માટે શબ્દો ઓછા પડે એવું છે.

લોકશાહીમાં લોકશક્તિનું નિર્માણ ન થાય, તો લોકોની પ્રતિકારશક્તિ નબળી પડે છે. નાગાલૅન્ડમાં વિરોધપક્ષ વિનાની સરકાર રચાઈ રહી છે. પંજાબમાં ગુજરાત જેવી જ રાજકીય દખલગીરી હાઈ કમાન્ડ દ્વારા થઈ રહી છે. ત્યાં પણ મંત્રીમંડળ અને મુખ્ય મંત્રી બદલાયા છે. મુખ્ય બે રાજકીય પક્ષો દેશની લોકશાહીને બચાવવામાં સક્ષમ પુરવાર થશે ખરા કે?

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 09

Loading

...102030...1,7681,7691,7701,771...1,7801,7901,800...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved