Opinion Magazine
Number of visits: 9674455
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોલસાની કટોકટીઃ બહેતર ભવિષ્ય માટે વૈકલ્પિક ઉર્જાના સ્રોતો ભણી ઝડપ કરી રહી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|17 October 2021

કોલસાની દલાલીમાં હાથ કાળા થાય એ સાચું પણ આ કોલસાની અછતને કારણે ઘોર અંધારું આખા દેશને લપેટામાં લઇ શકે તેવા સંજોગો ખડા થયા છે

આપણને ગમે કે ન ગમે આપણી હાલત એક રાષ્ટ્ર તરીકે કોઇક વાર એવી લાગે કે એક સાંધો ત્યાં તેર તૂટશે. છેલ્લા એક અઠવાડિયાથી આપણે એક રાષ્ટ્ર તરીકે અંધારપટમાં લપેટાઇ જવાની ધારે આવી ગયા હોવાના વાવડ સતત સાંભળ્યા છે. આપણા આખા દેશની બે તૃતિયાંશ જેટલી ઇલેક્ટ્રિસિટી – વીજળી કોલસાથી ચાલતા થર્મલ સ્ટેશન્સમાંથી આવે છે. આપણા દેશનો ઇલેક્ટ્રિક ઉજાસ ૧૩૫ જેટલા થર્મલ સ્ટેશન્સ પર આધાર રાખે છે અને આમાંથી મોટા ભાગનાનો જથ્થો સાવ તળિયા ઝાટક થઇ જવાને આરે છે. આમ તો ત્રીસ દિવસનો એડવાન્સ જથ્થો રખાતો હોય છે પણ આ સંગ્રહ કરેલા પુરવઠામાં એવો ઘટાડો થયો કે ઇંધણ ન હોવાને કારણે અમુક થર્મલ સ્ટેશન્સ તો બંધ જ કરી દેવા પડ્યા. માંડ ચાર દિવસ ઊર્જા પૂરી પાડી શકે એટલો જ કોલસો આ થર્મલ સ્ટેશન્સમાં બચ્યો હોવાની વાત ઊર્જા મંત્રાલયે કરી. જુદાં જુદાં રાજ્યોમાં પાવર-કટના પ્લાનિંગ થવા માંડ્યા જેમ કે રાજસ્થાનમાં અમુક જિલ્લાઓમાં કેટલા કલાક વીજળી બંધ રાખી શકાય તેના પ્લાનિંગ થયા તો દિલ્હીમાં મુખ્ય મંત્રીએ વડા પ્રધાન પાસે મદદ માગી. આર્થિક પાટનગર ગણાતા મુંબઇની હાલત તો દોઢ દિવસમાં તખ્તો સાવ પલટાઇ જાય એવી સ્થિતિમાં આવી કે ત્યાં વીજળી વિભાગે કહ્યું કે ૭૩૦ બિલિયન રૂપિયા નહીં મળે તો આખા રાજ્યમાં અંધારપટમાં આવી જશે. જોવાનું એ છે કે આ ત્રણેય રાજ્યોમાં ભા.જ.પા.ની સરકાર નથી અને કેન્દ્ર સરકારના કોલસા મંત્રીએ તો સાફ કહી દીધું કે વીજળીનાં પુરવઠાને મામલે કોઇ ગરબડ થાય તેવું શક્ય છે જ નહીં, પરિસ્થિતિ કાબૂમાં છે. કોલસાનો સંગ્રહ ખૂટી રહ્યો છે એ જેટલી દૂરની વાત લાગે છે એટલી છે નહીં, કલ્પના કરો કે એશિયામાં ત્રીજા ક્રમાંકે આવતા અધધધ મોટા અર્થતંત્રને અંધારપટ ઘેરી વળે તો શું થાય? એક તરફ ભારત કોલસાના સ્રોત તરીકે વિશ્વમાં પાંચમા સ્થાને છે અને ધારે તો એક સદી સુધી દર વર્ષે પડતી કોલસાની જરૂરિયાતને પહોંચી વળવા માટે સક્ષમ. કોલસાની ઇંધણ તરીકેની માંગ ઑક્ટોબરમાં સૌથી વધુ પડે છે. આટલો બધો સંગ્રહ હોવા છતાં આપણને શું નડ્યું?

વાઇરસના વંટોળિયામાં સપડાયેલા આપણા અર્થતંત્રની ગાડી માંડ પાટે ચઢી એમાં પછી ડેલ્ટા વેરિયન્ટે ખેલ કર્યા. હવે વાઇરસ જરા મંદ પડ્યો છે ત્યાં અત્યાર સુધી ન ખડી થયેલી માંગ બમણા જોરથી ખડી થઇ રહી છે. કોલસાનો ઇંધણ તરીકેનો વપરાશ ગયા વર્ષના ઑગસ્ટની સરખામણીએ આ વર્ષે ૧૬ ટકા વધ્યો છે. કોલ ઇન્ડિયાને આની કલ્પના નહોતી અને હવે તકલીફ થઇ છે. વળી મોડા અને વધુ પ્રમાણમાં પડેલા વરસાદને કારણે કોલસાની ખાણોમાં પાણી ભરાયાં અને ટ્રાન્સપોર્ટમાં સમસ્યાઓ થઇ. એમાં પાછું ચીનના શાન્શીમમાં વરસાદ પડ્યો અને ચીનમાં કોલસાની અછત થઇ જેની ડોમિનો ઇફેક્ટ એ થઇ કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોલસાનો ભાવ આકાશે આંબ્યો. ભારતમાં કોલસાનો મોટા ભાગનો પુરવઠો ડોમેસ્ટિક છે પણ દરિયા કાંઠે આવેલા પ્લાન્ટ્સમાં વિદેશી કોલસો જોઇએ જે વીજ કંપનીને હાલના સંજોગો ખરીદવો પોસાય તેમ નથી.

સમયાંતરે ભારતની કોલસાગત ઇંધણની ક્ષમતા વધી છે અને વિશ્વમાં આપણી કોલસાની પાઇપલાઇન બીજા ક્રમાંકે છે. પાવર સેક્ટરમાં ઉદારમતવાદી વલણ અપનાવાયું જેથી પુરવઠાની સમસ્યા ન થાય જેને કારણે મોટા ઉદ્યોગતંત્રોએ કોલસામાં મોટા રોકાણો કર્યા, ત્યારે હજી રિન્યુએબલ ઊર્જાના ક્ષેત્રે કોઇ ટેકો હતો નહીં. આમ કરી ઉદ્યોગ તંત્રોએ વીજળીનો પુરવઠો લાંબો સમય મળતો રહે તેની વ્યવસ્થા કરી લીધી. પૂર્વિય ભારતમાં કોલસાને કારણે મળતી રોજગારી વગેરે પર એટલો વધારે આધાર રખાય છે કે અસામાજિક તત્ત્વોનું વર્ચસ્વ પણ આ ક્ષેત્રે ફેલાયેલું છે જે કારણે કોલસા સિવાયના ક્ષેત્રો પર આ પ્રદેશોમાં કોઇ વિકાસ નથી થતો. કોલસાના ઉપયોગથી થતા પ્રદૂષણને લઇને ગમે તેટલા નિયમો લાગુ કરાય પણ જે મોટાં માથાઓએ કોલસામાં રોકાણ કર્યું છે તેને કારણે તેનો ઉપયોગ પર કોઇ મર્યાદાઓ લાગુ થવાની નથી.

અત્યારે આપણે કોલસાના મુદ્દે જે કટોકટીમાંથી પસાર થઇ રહ્યા છે તેમાં વિશેષજ્ઞો કોલસાથી ચાલતા પ્લાન્ટ્સમાં ઓછું રોકાણ થઇ રહ્યું છે તે નોંધવા તો કહે છે જ પણ સાથે સરકાર કોલસાનું ઉત્પાદન વધારવાની યોજના અંગે શું કરે છે તેની પર પણ સવાલ કરે છે. ઊર્જાના રેશનિંગને મામલે આપણે જોખમની લાલ બત્તી જોઇ લેવી જોઇએ.

ક્લાઇમેટ ચેન્જ અને આકરી મોસમ આપણી જિંદગીઓની વાસ્તવિકતા બની ચૂક્યાં છે ત્યારે ઇંધણ અને ઊર્જાના સ્રોતના વિકલ્પો ખડાં થાય તે જરૂરી છે. એક તરફ ભારત આ દાયકાને અંતે 450GW રિન્યુએબલ એનર્જી પૂરી પાડે તે દિશામાં આગળ વધે છે તો બીજી તરફ કોલસાના ઉત્પાદનની ક્ષમતા પણ આપણે નથી ઘટાડી રહ્યા. વડા પ્રધાનને કોલસાનું સ્થાનિક ઉત્પાદન દર વર્ષે ૧ બિલિયન ટન થાય તેવી ઇચ્છા છે પણ આ કારણે સ્થાનિક લોકોની જિંદગીઓ પર ઘેરી અસર પડે તેમ છે. આપણે હજી યુ.એન.માં સુધારા કરેલો ૨૦૩૦ ક્લાઇમેટ પ્લાન આપ્યો નથી, અને ઊર્જાની કટોકટીના સંજોગો આ યોજનામાં ક્યાં ફિટ થાય છે એની કોઇ સ્પષ્ટતા નથી. પર્યાવરણને ક્યાં ય પણ અગ્રિમતા નથી અપાઇ રહી. આપણને કોલસાની ખાણ નહીં પણ વૈકલ્પિક ઊર્જાના સ્રોતની જરૂર છે. સરકારની કોલસાનું ઉત્પાદન વધારવાની ચાહને રોકાણકારો તરફથી મોળો પ્રતિસાદ મળી રહ્યો છે કારણ કે પર્યાવરણમાં આવેલા ફેરફારને કારણે રોકાણ કરવા માટે નાણાં એકઠાં કરવા પણ આસાન નહીં હોય. ગયા વર્ષે મોદી સરકારે કોલસાના ઉત્પાદન માટે ખાનગી રોકાણો ખોલ્યાં છતાં એક પણ વિદેશી કંપનીઓએ રસ નથી બતાડ્યો. બેટરી સ્ટોરેજ અને વૈકલ્પિક ઊર્જાના સ્રોતની માંગને પહોંચી વળવું હોય તો સરકારે કોલસા ઉત્પાદનની વિસ્તરણ યોજનાનો વિંટો વાળી દેવો પડશે.

બાય ધી વેઃ

દુનિયા આખી વૈકલ્પિક ઉર્જાની દિશામાં વળી રહી છે પણ રોગચાળાને કારણે તે ગતિ મંદ પડી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતે પણ રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રે વિકાસ નોંધ્યો છે. રિલાયન્સની ન્યૂ એનર્જી સોલાર લિમિટેડ એ રિલાયન્સની પેટા કંપની છે જે મોટા પાયે રિન્યુએબલ એનર્જીની ટૅક્નોલૉજીઝ માટે નેક્સવેફ જેવા ભાગીદારો સાથે કામ કરશે આ તાજી જાહેરાત એ વાતનો પુરાવો છે કે મૂકેશ અંબાણી દીર્ઘ દૃષ્ટા છે. સરકારની એક આંખ વૈકલ્પિક ઊર્જા પર છે અને બીજી કોલસાના ઉત્પાદનનું વિસ્તરણ કરવા પર, આ વિઝનમાં કોઇ સંતુલન નથી વર્તાતું.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  17 ઑક્ટોબર 2021

Loading

મૈત્રીથી પ્રેમ તરફ –

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 October 2021

કુદરતે સ્ત્રી અને પુરુષમાં એકબીજા તરફનું આકર્ષણ એવું મૂક્યું છે કે તે ખતમ થતું જ નથી. સ્ત્રી કે પુરુષ એકબીજા તરફ ભારોભાર નફરત ધરાવે તો પણ એ બંનેએ આજ સુધી તો એકબીજા પર ચોકડી મારી નથી. એ ખરું કે સ્ત્રી- સ્ત્રી વચ્ચે કે પુરુષ-પુરુષ વચ્ચે પણ પ્રેમ થવાના બનાવો વધ્યા છે, પણ તે સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રેમના અભાવમાં અકુદરતી રીતે વિકસ્યા હોવાનું વધારે લાગે છે. એ સંબંધ જ્યાં હોય ને એમાં સંડોવાનારને કોઈ પ્રશ્નો ન હોય, તો ભલે એનો આનંદ મેળવાતો, પણ આ સંબંધો ફળદાયી નથી. સ્ત્રી-પુરુષના પ્રેમની પરિણતિરૂપ બાળકની પ્રાપ્તિ એ સ્ત્રી-સ્ત્રી કે પુરુષ-પુરુષ વચ્ચેના સંબંધમાં અત્યાર સુધી તો શક્ય નથી બની. એ સંદર્ભે પણ સ્ત્રી-પુરુષનો સંબંધ વધારે કુદરતી છે, એવું નહીં?

એક સમય હતો જ્યારે સ્ત્રી-પુરુષ વચ્ચેનો સંબંધ લગ્નથી પ્રમાણિત થતો હતો. મતલબ કે સમાજ પતિ-પત્નીના સંબંધને જ માન્યતા આપતો હતો. એનો અર્થ એવો નહીં કે લગ્ન બાહ્ય સંબંધો બંધાતા જ ન હતા. એ બધું ત્યારે પણ હતું, જેમ આજે છે. આજે એનું પ્રમાણ વધારે લાગે છે તેનું કારણ છે. જે સમાજમાં એકથી વધુ પતિ કે પત્નીની છૂટ છે ત્યાં એનું પ્રમાણ ઓછું છે, કારણ એવા સંબંધો લગ્નમાં ફેરવી દેવાય છે. એકથી વધુ પત્ની કે પતિની એક સમયે છૂટ હતી, આમ તો બહુપત્નીત્વ જ મુખ્યત્વે અમલમાં હતું એટલે લગ્નેતર સંબંધોનું પ્રમાણ ઓછું હતું. એ પછી એક પતિ-પત્નીત્વનો કાયદો આવ્યો એટલે વધુ પત્ની કે પતિ ન રાખી શકાય એ વાત અમલમાં આવી, એટલે એવા સંબંધો લગ્નેતર સંબંધના ખાનામાં જઈને પડ્યા ને આજની સ્થિતિ તો એવી છે કે લગ્નેતર સંબંધો કે લિવ ઇન સંબંધોનું પ્રમાણ ઘણું છે. એવા સંબંધોનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે પરિણીતોમાં વધારે છે. બે અપરિણીત વ્યક્તિ હોય તો એ તો પરણી શકે, પણ પ્રશ્નો, બેમાંથી એક પરિણીત હોય અથવા એ બે પતિ-પત્ની ન હોય, એવાં પરિણીતો હોય ત્યારે વધારે હોય છે ને આજે છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે એમાં આવા સંબંધો પણ ભાગ ભજવે છે તે નોંધવું ઘટે. 

પણ સવાલોનો સવાલ એ છે કે વિજાતીય આકર્ષણનું પ્રમાણ આજે પણ અકબંધ કેમ છે? એક સમય હતો, જ્યારે સ્ત્રીઓમાં શિક્ષણનું અને નોકરીનું પ્રમાણ ઓછું હતું. સ્ત્રીઓ બહુ બહાર નીકળી શકતી ન હતી. બાળકીઓ ખાસ ભણતી જ નહીં, એટલે કન્યા કેળવણી ઓછી ને મોડી શરૂ થઈ. એ બધું છતાં જાત પાત જોયા વગર પણ પ્રેમ થતો જ અને પ્રેમીઓને એક ન થવા દેવા સમાજ તેનું પૂરું જોર લગાવતો પણ ખરો. મોટે ભાગે તો માબાપ નક્કી કરે ત્યાં જ છોકરા-છોકરી પરણી જતાં ને ન ગમતી વ્યક્તિ જોડે જ ઘણુંખરું જીવન કાઢી નાખવાનું થતું. શરીરની માંગને વશ વર્તીને કજોડાં, માબાપ થઈ જતાં ને એમ ગાડી ઘરેડમાં પડી જતી. એમાં હવે ઘણો ફેર પડ્યો છે. હવે તો એવું છે કે છોકરી પણ છોકરાને લગ્નની ના પાડી શકે છે. પહેલાં ન ગમતી છોકરીને, છોકરો ના પાડી દેતો. એ હક છોકરીને ન હતો. હવે એટલું થયું છે કે છોકરા-છોકરી પસંદગીનાં લગ્ન કરે છે. એ વાત જુદી છે કે એવાં લગ્નો પણ નિષ્ફળ જાય છે ને એવું બને છે કે એરેંજ્ડ મેરેજ સફળ પણ જાય છે.

આજના જમાનાની તાસીર એવી છે કે મૈત્રીનો મહિમા વધારે છે. જો કે, મિત્રો આગલા જમાનામાં પણ હતા જ. હા, વિજાતીય મૈત્રીનો મહિમા આજનું વરદાન છે. કે.જી.,નર્સરીથી જ કદાચ છોકરા-છોકરીઓ મૈત્રી કરતાં થઈ જાય છે. પછી ઉંમર વધે તેમ તેમ મૈત્રીના પ્રકારો પણ વધે છે. કોઈ બોયફ્રેંડ હોય છે, તો કોઈ ગર્લફ્રેંડ હોય છે. ફ્રેન્ડ કરતાં આ ફ્રેન્ડ જરા જુદા હોય છે. એમાં મૈત્રીની ઔપચારિકતાઓ ઉપરાંત, કદાચ લાગણી ને અધિકાર વિશેષ હોય છે. આ મૈત્રીમાં ક્યાંક ને ક્યારેક શરીર પણ ઉમેરાય છે. આ ઉમેરણ ખાનગી હોવાની સંભાવનાઓ વધારે હોય છે. મૈત્રી માબાપ જાણતાં હોય છે. જોકે, શરીર સંબંધથી માબાપને અજાણ રાખવામા આવે છે. આ સંબંધમાં ઉંમરની પુખ્તતા પણ ઘણુંખરું હોતી નથી. આ કાચી ઉંમરનો સંબંધ છે. એમાં સમજ કરતાં ઉતાવળ વધારે છે. મોટે ભાગે આ મૈત્રી નિષ્ફળ જવા જ સર્જાયેલી હોય છે. ઘણુંખરું તો શિક્ષણ પૂરું થાય કે નોકરી દૂર ક્યાંક લાગે તો સમજીને આ મિત્રો છૂટા પડી જાય છે અથવા તો ખરેખર પ્રેમ હોય તો લગ્નની શરણાઈ વાગે પણ છે.

પણ અહીં મૈત્રીની જટિલતા જાણવા જેવી છે. છોકરા-છોકરી નાની ઉંમરે પરિચયમાં આવે છે તો એવાં તમામ સંબંધોમાં, શરૂઆતમાં તો વિશુદ્ધ મૈત્રી જ હોય છે. એ જુદી વાત છે કે વિજાતીય મૈત્રીની પરિણતિ અંતે તો શરીર સંબંધ જ હોય છે. એ પણ સાચું કે કેટલાક મિત્રો મૈત્રીની મર્યાદામાં લાંબો સમય રહે છે. મોટે ભાગના તો તેથી આગળ નથી પણ વધતાં, પણ વાત આગળ ન જ વધે એવું પણ નથી. તો, પ્રશ્ન એ થાય કે કહેવાતી સાદી મૈત્રીમાં એવું શું થાય છે કે તે મૈત્રી ન રહેતાં, પ્રેમમાં પરિણમે છે? ઘણી વાર તો આ પ્રેમ ઓળખાતો જ નથી ને દોસ્તી, છે ! દોસ્તી, છે-નું રટણ ચાલ્યા કરે છે. એ સાથે મીઠું જુઠાણું પ્રેમને ન કબૂલવાનું પણ ચાલે છે. સામેનું પાત્ર જે સાંભળવા તલસી રહ્યું હોય એ પ્રેમનો એકરાર ઘણી વાર તો મૃત્યુ આવી જાય તો પણ નથી થતો. શરીર સંબંધ થઈ જાય, પણ પ્રેમ ન થાય એવું પણ બને છે. પ્રેમ એટલો સરળ છે કે એના જેટલું જટિલ બીજું કૈં નથી. એક જ વાક્ય કહેવાનું હોય કે હું તને ચાહું છું – પણ એટલું નથી કહેવાતું ને બીજું ફાલતું એટલું કહેવાતું હોય છે જેની સીમા નથી.

એવું પણ થાય છે કે મૈત્રીના પ્રકારોમાં અટવાયેલાં પાત્રો પ્રેમને ઓળખી શકતાં નથી. પ્રેમ કોઈના એકરારની રાહ નથી જોતો, એ તો કૈં પણ બોલ્યા વગર થઈ જાય છે. મૈત્રી જાહેર થતી હોય છે ને પ્રેમ છૂપો રહી જાય છે. અહી સંકોચ ભાગ ભજવે છે. સાચું તો એ છે કે અપમાનિત થવાની તૈયારી રાખીને, જેને માટે લાગણી હોય તેની સામે તે પ્રગટ કરી જ દેવી જોઈએ. પ્રેમ ન કહી શકવાનું દુ:ખ એટલું ઘૂંટાતું ને ગુણાતું રહે છે કે છેવટે અફસોસ જ સિલકમાં રહે છે. પ્રેમ શરૂ થવાની કોઈ ચોક્કસ રીત કે રીતો નથી. ઘણા મિત્રો હોય છે. એ બધા સાથે પ્રેમ થતો નથી, પણ કોઈ એક પર નજર પડતી થઈ જાય છે. એ એક કોણ તે પણ નક્કી નથી થઈ શકતું. એવું જ સામે પક્ષે પણ હોઈ શકે છે. કોઈ એકની સાથે વધારે વાત કરવાનું મન આપોઆપ જ બને છે. એની સાથે વાતો થતી જ રહે ને પૂરી જ ન થાય એવું પણ મનમાં થાય છે. એ પાત્ર સામે ન હોય તો પણ તેના જ વિચારોનું રંગીન જાળું ગૂંથાતું રહે છે. મિત્રો મળવાના હોય એમાં એ પાત્ર આવે તો સારું એવી ઇચ્છા થતી રહે છે. પહેલાં મિત્રો માટે તૈયાર થવાનું હતું, હવે કોઈ એક માટે જ તૈયાર થવાનું ગમે છે. એને શું ગમે છે, એની પસંદગી કેવી છે, એના વિચારો કેવા છે એ બધાંમાં અજાણતાં રસ પડવા માંડે છે ને એને ગમતું બધું કરવાનું ગમે છે. એ સાથે જ એવી અપેક્ષા પણ રહે છે કે સામેનું પાત્ર પણ પોતાનામાં રસ લે, એની કાળજી લે.

આમ તો આ બધું મળવામાંથી શરૂ થાય છે ને પછી ન મળવાના પ્રસંગો પડે છે. નથી મળાતું તો નથી ગમતું ને મળાય છે તો હરખનો પાર નથી રહેતો. એ પાત્ર માટે હૈયામાં આંસુ ને હર્ષ બનવાના શરૂ થાય છે. દૂરથી જોતાં જ એને ભેટી પડવાનું મન થાય છે. મિત્રોને ભેટવાનું કેઝ્યુઅલ હોય છે, પણ આ ભેટવાનું જુદું હોય છે. સાવ જુદાં જ સંવેદનો ફૂટે છે. પ્રિય પાત્ર બહારગામથી આવતું હોય તો સ્ટેશને એની રાહ જોવાનું ગમે છે. સ્ટેશને પહોંચવાનું બને એ પહેલાં મન અનેક વાર સ્ટેશનને ખૂણે ખૂણે ફરી વળે છે ને શરીર ખરેખર તો મોડું પડતું લાગે છે. પ્રેમમાં શરીર કરતાં મન હંમેશાં મોડું પહોંચતું હોય છે. ઘણી રાહ જોવડાવીને એ પાત્ર આવે છે તો આથમ્યો હોય તો ય ભીતરે સૂર્યોદય થાય છે ને એ પાત્ર નથી આવતું તો પ્રભાતે પણ અનેક સૂર્યો ડૂબી જતાં અનુભવાય છે. ટ્રેન આવી જાય છે ને નક્કી કરેલા બુકસ્ટોલ પાસે પાત્ર આવતું નથી તો જે ઉતાવળે નજર ભીડમાંથી પ્રિયને શોધે છે એની કોઈ સેલ્ફી શક્ય નથી. કદાચ ઉપરના બુક સ્ટોલ પર તો નહીં રાહ જોવાતી હોય એમ માનીને ઉપર જોઈ આવવાનું મન થાય છે ને તરત જ એમ થાય છે કે એટલામાં પેલું પાત્ર અહીં આવી ચડ્યું તો? પોતાને ન જોતાં ચાલી તો નહીં જાય ને ! ને એવી ફાળ પડે છે કે બુકસ્ટોલ પર જ થાંભલાની જેમ ખોડાઈ જવાય છે. એવે વખતે થાય છે કે માણસને ચાર પાંચ શરીર હોવાં જોઈએ. એક બુક સ્ટોલ પર રાહ જુએ. એક પ્લેટફોર્મ પર બધાં ડબ્બા તપાસી આવે, એક પ્રિયને જ તેના ઘરેથી બુકસ્ટોલ સુધી લઈ આવે ને અહીં કાગ ડોળે રાહ જોઈ રહેલ પાત્રને સોંપે … પણ શરીર બધું મળીને એક જ હોય છે ને એમાં જે પોતે છે તે પેલાં પાત્રને સમગ્રતામાં જીવ રેડીને ચાહે છે.

આટલું મૈત્રીમાં થાય? ના, એ પ્રેમમાં જ શક્ય છે … 

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

આ મુશ્કેલ સમયમાં (63)

સુમન શાહ|Opinion - Opinion|17 October 2021

સમજદાર મનુષ્યો સમજે છે કે આ કોરોનાકાળ ખરેખર મુશ્કેલ છે. હું એમની આગળ મારું એક નમ્ર મન્તવ્ય મૂકું છું કે મુશ્કેલ છે એ તો બરાબર પણ માણસજાત એક એવા સમયમાંથી ગુજરી રહી છે જેને પરિવર્તનકાળ કહેવો જોઈશે. એટલું જ નહીં, એને આવી રહેલા બહુ મોટા બદલાવનો સમય કહેવો જોઈશે. સૂચવાય છે એમ કે કોરોના છે ત્યાં લગી અને જાય પછી તો ખાસ, માણસે બદલાઈને જુદી જ રીતે જીવતાં શીખવું પડશે.

આ દુ:સમયને અનુભવતાં, મને એક સમાન્તર વિચાર એ આવે છે કે માતૃભાષા ગુજરાતી પણ એક બહુ મોટા પરિવર્તનકાળમાંથી ગુજરી રહી છે. ગુજરાતી મરી રહી છે એમ કહેવું એ એક ભાવના છે. ભાષાવિજ્ઞાન વિજ્ઞાન છે એટલે એમાં ભાવનાઓને ઝાઝું સ્થાન નથી.

કહેવું તો એ જોઈએ કે આ બદલાવનો સમય છે તેથી ગુજરાતીનું ખરા શિક્ષિતો વડે સચવાયેલું શુદ્ધ રૂપ ઝડપથી વેરવિખેર થઈ રહ્યું છે. એની જાળવણી કરનારા ઘટવા લાગ્યા છે. બદલાવ વિકસે તો એક એવો દિવસ આવે જ્યારે જાળવણી કરનારાઓને જ ખોટા ગણવામાં આવે ! ઊંધું સમજાય કે ભાષા-સંરક્ષણનો પુરુષાર્થ કર્યો તે વ્યર્થ હતો !

મોટા ભાગના ગુજરાતીઓ શબ્દપ્રયોગો ભૂલવા માંડ્યા છે. એમનું શબ્દભંડોળ ગરીબડું દીસે છે. એમનામાં અતિ વેગે માતૃભાષાનો હ્રાસ થઈ રહ્યો છે. કેટલીયે વ્યક્તિઓ એ હ્રાસનો ભોગ બની રહી છે. ભાષાના તન્ત્રને વિશેનો પ્રેમ અને તેથી નીપજતો ભાષિક લગાવ બહુ ઓછાઓમાં બચ્યો છે. ખાસ તો, ભણેલાગણેલા શહેરીજનો જાણ્યે-અજાણ્યે ભાષાકીય બેદરકારી દાખવી રહ્યા છે – જેને અંગ્રેજીમાં લિન્ગ્વિસ્ટિક નૅગ્લિજન્સ, ડિસ-રીગાર્ડ કે લૅક્સિટી કહી શકાય.

ભાષા-હ્રાસ

Pic courtesy : SlideShare

આપણે રોજે રોજ જોઈએ છીએ કે શિક્ષિતો અને કેટલાક સાહિત્યકારો જોડણી બાબતે ઉદાસીન થતા જાય છે. કોઈ તો વળી અવળું પૂછે છે કે જાણકારો જો સુધારીને વાંચી લે છે, તો પછી તકલીફ શું છે? લોક એમ પણ કહે છે કે જોડણીની ચિન્તા છોડો, લખાણમાં મૂકેલી વાતો જો સમજાય છે, તો બસ છે !

આમાં, યોગ્ય શબ્દની પસંદગી, સરખી વાક્યરચના, વિરામચિહ્નવિનિયોગ, વગેરેની સમુચિતતા તો બહુ દૂરની વાત બની જાય છે, કેમ કે ભાષિક લગાવ નામનું મૂળ જ ન હોય તો શાખા ક્યાંથી હોય !

કેટલાક શિક્ષિતો અને સારા લેખકો પોતાની વાતોમાં કહેવતો રૂઢિપ્રયોગો અને અલંકારો પ્રયોજતા હોય છે. વાતને અસરકારક બનાવવા તેઓ ‘અજાગલ ન્યાય’ કે ‘સ્થાણુખણન ન્યાય’ જેવી ન્યાયોક્તિઓ પણ દાખલ કરતા હોય છે. વાર્તાસર્જકો ગદ્યની મોહિની વડે અને કવિઓ પદ્યલયની મધુરતા વડે કલા સિદ્ધ કરતા હોય છે.

એ સૌ શબ્દસ્વામીઓ સ્ટુપિડ આ જિન્દગીને બે ઘડી માટે જીવવા જેવી બનાવી આપે છે. પણ એ બધું રૂડું ને રૂપાળું હવે ગઈકાલની વાત લાગવા માંડ્યું છે. શાખા ન હોય પછી પાન, ફૂલ ને ફળ ક્યાંથી હોય.

પ્રશ્નો આ છે : બદલાવના આ સમયગાળા દરમ્યાન કે નજીકના ભવિષ્યમાં નવું કે જુદું જોડણીતન્ત્ર રચાશે? અરબી-ફારસી મૂળના કે સંસ્કૃત તત્સમ શબ્દો ઓછા થઈ જશે? દેશ્ય અને તળના શબ્દ બચશે? નવા શબ્દો નીપજી આવશે? નવું કે જુદું વાક્યતન્ત્ર ઘડાશે? ત્યારે ગદ્ય કેવું હશે? ત્યારે પદ્ય કેવું હશે? ત્યારે ભાષા અને મનુષ્યજીવન વચ્ચે ચિર કાળથી જે સમ્બન્ધ દૃઢ થયેલો છે તે કેવુંક રૂપ લેશે?

સાયન્સ ફિક્શનના નવલકથાકારોએ નૉંધ્યું છે કે અંગ્રેજી ભાષા કઠિન અને અતાર્કિક છે. વિજ્ઞાનીય નથી. કાર્યક્ષમ નથી. તેઓ ‘ફ્યુચરિસ્ટિક હ્યુમન લૅન્ગ્વેજ’ શોધી રહ્યા છે. તેઓ ‘અલ્ટ્રા-લૉજિકલ યુનિવર્સલ લૅન્ગ્વેજ’-ની પૂર્વધારણા બાંધી રહ્યા છે. તેઓએ ‘લીગ લૅટિન’  ‘ઍન્ગ્લિક’ ‘બેઝિક’ ‘ઇન્ટરલૅક’ ટ્રિપ્લાનેટેરિયન’ જેવાં નામાભિધાન પણ કર્યાં છે.

ભવિષ્યની માનવભાષા વિશે હું એથી વિશેષ કશું જ જાણતો નથી. પરન્તુ મનુષ્યભાષાને ભાષાવિજ્ઞાન એક અતૂટ રૂઢિ – અન્બ્રેકેબલ ટ્રેડિશન – ગણે છે તે જાણું છું ને તેથી મારાથી કહી શકાય છે કે ભાષા અને જીવન વચ્ચેના સમ્બન્ધનો સર્વનાશ નહીં થાય. અને, મનુષ્યભાષાના ઉદ્ભવમાં ભાષાવિજ્ઞાન યદૃચ્છા – આર્બિટ્રરિનેસ – જુએ છે તેથી મારાથી કહી શકાય છે કે એ સમ્બન્ધ નવા કે જુદા રૂપે પણ અવશ્ય સરજાયો હશે.

ઉત્તર કોરોનાકાળે આપણે માસ્ક પ્હૅરતા થઈ ગયા હોઈશું. પ્રાચીનો કરતા એમ બ્હારથી ઘરે પ્હૉંચ્યા પછી, સૌ પહેલાં હાથ-મૉં ધોઈ લેશું. ન્હાઈ લેશું. ગમે એ ઘડીએ વ્હાલા થવા એકમેકને ભેટશું નહીં. પરદેશી ફિલમોની અસરમાં આવી જઈને મન ફાવે એ સ્થળે કિસ કરવાની જોબનાઈ દાખવશું નહીં. જાહેરમાં થૂકશું નહીં, પેશાબના તો વિચારને પણ જંગાલિયત ગણશું. આ જ રાહે, બને કે આપણી ઇચ્છાએ કે અનિચ્છાએ આપણી ભાષિક વર્તણૂકો પણ બદલાઈ જશે. નવી જોડણી કે ભાષા માટેનું નવું કંઈપણ શોધાયું હશે તેનો આદર કરતા હોઈશું, પ્રેમથી તેને આચરણમાં મૂકતા હોઈશું.

પણ એ નવ્ય બધું થાય ત્યાં લગી જે કંઈ ભુલાઈ ગયું છે તેને યાદ તો કરી જ શકાય છે. પ્રિયા છોડી ગઈ હોય પણ તેની સાથેનો આહ્લાદક સમય યાદ કરવાથી કેટલું સારું લાગે છે ! જીવન જીવવા જેવું લાગે છે. કોરોના-સંકટ વચ્ચે આપણાથી કેટલીયે ચીજો ભુલાઈ ગઈ છે તેમ આપણાથી કેટલા ય શબ્દપ્રયોગો ભુલાઈ ગયા છે, પણ યાદ કરવાથી સારું લાગે છે. 

જેમ કે, આ દૃષ્ટાન્તો જુઓ —

: એ તો મને તે દિવસથી ‘અક્કારો પડી ગયો’ છે : મારા ‘નાકનો’ સવાલ છે : ‘ભૂલ્યા ત્યાંથી ફરી ગણો’ : એનો મારા માટેનો પ્રેમ હવે ‘ડચકાં ખાય’ છે : રોગ ‘કૂદકે ને ભુસ્કે' આગળ વધી રહ્યો છે : ‘લમણાંઝીક’ છોડો : ‘ભડભડિયો’ છે : ‘વલકુડો’ છે : ‘બુડથલ’ છે : ‘લડવાડિયો’ છે : ‘ગગો’ છે : ‘ચાંપલી’ છે : ‘છીછરી’ છે : ‘વંઠેલી’ છે : 'વઉલી' રમાડે છે : અરે, નાનું ‘ઢીમું’ તો છે, મટી જશે ! : શી ‘મૉકાણ માંડી’ છે !  ‘ફૂટલા નસીબનો’ છે : 'વહુઘેલો' છે : હવે બરાબ્બરનો ‘હલવાયો’ છે : ‘સફાળો બેઠો થઈ ગયો’ : ‘ભેદી’ છે : એ કુટુમ્બનો વિશ્વાસ નહીં, ‘નાગું વાજું’ છે : આવું કરાય? ’છી ગંધાય’ છે? : એનું ‘ઠેકાણું’ નહીં, ‘છટકેલ’ છે : એને તો ‘છીંડાં શોધવા’ સિવાયનું બીજું આવડે છે શું? : સાહેબે એને એવો તો ‘લબડધક્કે લીધો’ કે ન પૂછો વાત : એ પછી એ ‘ડોકાતો’ નથી : 'માવડિયો' છે : કરી કરીને હવે કેટલો ‘ઢાંકપિછોડો’ કરશો? : ‘દાંતિ યાં’ ન કર, સીધું બોલ : ‘હતપત’ બહુ કરે છે : સાલાના ‘પૂઠિયાં’ ભાંગી નાખીશ : તે દા’ડાની એ બહુ ‘ફૂંગરાય’ છે : એ તો ‘લૂલી હલાવી જાણે’ છે : એ તો મારા ‘હૈયાનો હાર’ છે : વગેરે.

આ કે આવા ભુલાઈ ગયેલા પ્રયોગો તમે પણ અહીં મૂકો. આજકાલની આપણી વાતોમાં પ્રયોજવા માંડીશું તો કોરોના-વૅક્સીન કરે છે એવા ભાષિક ફાયદા જરૂર થવા માંડશે; પ્લીઝ શરૂ કરો.

= = =

(October 17, 2021: USA) 

Loading

...102030...1,7591,7601,7611,762...1,7701,7801,790...

Search by

Opinion

  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved