Opinion Magazine
Number of visits: 9962717
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિવેક ટીકા માટે જરૂરી છે એટલો જ પ્રશંસા માટે પણ જરૂરી છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 January 2022

એક ટપોરીએ જમીન દલાલને માર મારીને ધમકી આપી કે 48 કલાકમાં તને પૂરો કરી નાખીશ. હું વોન્ટેડ છું, છતાં તારી સામે બેઠો છું. જામીન પર છૂટેલ ટપોરી સામે ફરિયાદ તો નોંધાઈ છે ને કાયદો કાયદાની રીતે કામ પણ કરશે, પણ કાયદાની જરા પણ શરમ ન હોય એ રીતે, ગુનેગાર હોવા છતાં આ માણસમાં બીજો ગુનો કરવાની હિંમત ક્યાંથી આવી હશે તે નથી સમજાતું. જાનથી મારી નાખવાની હિંમત સજા ભોગવી રહેલા ગુનેગારમાં આવે એ જ સૂચવે છે કે કાયદા કે સજાનો કોઈ ખોફ આ માણસમાં નથી. તે જાણે છે કે પૈસા વેરીને ય ગમે તેવા ગુનામાંથી છૂટી શકાય છે. કેટલો વિશ્વાસ હશે આ માણસને પોતાનામાં કે તે માની શકે કે કોઈ કૈં બગાડી શકે એમ નથી ! પોતાને કોઈ પૂછનાર નથી એવો અહંકાર એકાદ માણસમાં જ હોય એવું નથી. એવા લોકોથી આખો દેશ ખદબદે છે. કોઈ પણ લવારો કરવાનો સંકોચ આજકાલ ઘણાંને રહ્યો નથી તે હકીકત છે.

એમાં પણ લવારા કરવામાં રાજકારણીઓ મોખરે છે. જેમ કે, પત્રકાર પરિષદમાં જાણીતા ક્રિકેટર સિધ્ધુને ગાળ બોલાઈ જવાનો કોઈ અફસોસ નથી થયો. બીજી એક ઘટનામાં, એક વીડિયોમાં મહારાષ્ટ્રના કાઁગ્રેસ અધ્યક્ષ નાના પટોલે મરાઠીમાં કહે છે કે હું પી.એમ. મોદીને મારી શકું છું ને એમને ગાળ પણ આપી શકું છું. આ લવારો છે ને તે અક્ષમ્ય છે. પટોલેએ પોતે 30 વર્ષથી લોકસેવા કરે છે એવું કહેતાં કહેતાં મોદીને મારવાની ને ગાળ દેવાની વાત કરી છે. પોતાની વાત કરતાં મોદીની વાત પર ચડી જવાનું કોઈ જ કારણ ન હતું, પણ કાઁગ્રેસ પ્રદેશ અધ્યક્ષે મોદીને મારવાની વાત કરી છે તે નકારી શકાય એમ નથી. એમણે પાછળથી ફેરવી તોળ્યું છે કે પોતે એક સ્થાનિક ગુંડા-મોદી માટે બોલ્યા છે, વડા પ્રધાન માટે નહીં ! એ ગુંડો કોણ છે તે વાત તો બહાર આવી નથી. એકાદ ગુંડો પોલીસે પકડ્યો છે એવું પણ એમણે કહ્યું છે, પણ એ મોદી નામધારી જ છે એ અંગે કશી સ્પષ્ટતા નથી. માની લઇએ કે એવો કોઈ મોદી નામક ગુંડો ખરેખર જ છે, તો પણ મોદી વિષે બોલતી વખતે એવી સ્પષ્ટતા એમણે કરી નથી. બીજું, કે પોતાના બોલવાનો સંદર્ભ તરત જ વડા પ્રધાન સાથે જોડાઈ શકે એમ છે, તો એવું જાણવા છતાં આવો લવારો પટોલેએ કરવો જ ન જોઈએ ને ! એ ખરેખર કોઈ ગુંડા માટે બોલ્યા હોય તો પણ, પોતે કાઁગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે તો એ પદ પરથી પણ આમ કોઈને મારવાની કે ગાળ દેવાની વાત કરવાનું એમને શોભતું નથી. આમ પણ કાઁગ્રેસના શીર્ષસ્થ નેતાઓને વડા પ્રધાન માટે ‘મોતના સોદાગર’ કે ‘ચા વાળા’ જેવી ટિપ્પણીઓ કરવાનો સંકોચ નડ્યો નથી, તો કાઁગ્રેસના બીજા નેતાઓ વધુ અભદ્ર ટિપ્પણીઓ કરે તેમાં નવાઈ નથી. દેખીતું છે કે ભા.જ.પ.માં આ મામલે ભડકો થાય જ ને થયો જ ! ભા.જ.પ.ના કાર્યકરોએ 100 જગ્યાએથી પટોલે વિરુદ્ધ એફ.આઇ.આર. નોંધાવી છે. એટલું થાય તે તો સમજાય, પણ જાલનાના ભા.જ.પ. યુવા મોરચાના પ્રમુખ સુજિત જોગસે તો ત્યાં સુધીનું એલાન કર્યું કે જે કોઈ પટોલેની જીભ કાપશે તેને એક લાખનું ઈનામ મળશે. આ પટોલેના વિધાન કરતાં વધુ શરમજનક છે. એ ખરું કે પટોલેનું વિધાન કોઈ પણ રીતે ક્ષમ્ય નથી, પણ તેથી કૈં ભા.જ.પ.ને તેનો ન્યાય, જીભ કાપવામાં દેખાય તે બરાબર નથી. બહુ થાય તો પટોલે વિરુદ્ધ ફરિયાદ થઈ શકે, જે 100ની સંખ્યામાં થઈ પણ છે, પછી પણ લાખની લહાણી કરવામાં તો યુવા મોરચાના પ્રમુખની આછકલાઇ ને તુમાખી જ પ્રગટ થાય છે. કેવી રીતે આ નેતાઓ લાખ રૂપિયા ફેંકવા તૈયાર થઈ જાય છે તે નથી સમજાતું. એટલું જરૂર સમજાય છે કે રાજકીય પક્ષો પાસે વેડફવા માટે અઢળક નાણું છે ને એમ વેડફવાનો કોઈને સંકોચ પણ નથી થતો એ જ બતાવે છે કે પક્ષ કોઈ પણ હોય, વિવેક ભાગ્યે જ કોઈમાં જોવા મળે છે.

લોકશાહીમાં વિરોધને અવકાશ ન હોય તો એ લોકશાહી જ નથી. એનો અર્થ એવો પણ નહીં કે શાસકોની ગમે તેવી નિંદા માટે દરવાજા મોકળા છે. વડા પ્રધાનનો વિરોધ ભલે હોય, પણ તેની ગરિમા જોખમાય એ રીતે વર્તવાનો કોઈને અધિકાર નથી. ઝી તમિલ પરથી પ્રસારિત એક રિયાલિટી શોમાં બાળકોએ નોટબંધી પર કટાક્ષ કર્યો અને વડા પ્રધાનની તેમ જ તેમના પોષાકની મજાક ઉડાવવામાં આવી, તો કેન્દ્ર સરકારે ઝી તમિલને નોટિસ મોકલી ને અઠવાડિયામાં તેનો જવાબ માંગ્યો છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની આપત્તિજનક તસ્વીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા બદલ 17 વર્ષના એક કિશોરની ધરપકડ કરવામાં આવી ને આરોપીને કિશોર ન્યાયાલયમાં રજૂ કરવામાં આવ્યો ને ત્યાંથી તેને બાલ સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યો. આ બંને ઘટનામાં ભાગ લેનાર બાળકો છે. એવું બને કે બાળકોએ કોઈના કહેવાથી વડા પ્રધાનની મજાક ઉડાવી હોય કે મુખ્ય મંત્રીની છબી આપત્તિજનક જ હોય, પણ બાળકોની હરકતને થોડી ઉદારતાથી જોઈ શકાય, પણ તંત્રો બાળકો કરતાં ઓછા સહનશીલ પુરવાર થાય છે તે ઠીક નથી. એમ પણ લાગે છે કે શાસકો વિરુદ્ધ કોઈ બોલે નહીં એ રીતે તંત્રો સક્રિય થયાં છે. પ્રજાએ વિવેક જાળવવાનો જ છે, તે એવું કોઈ કામ ન કરી શકે જેથી શાસકોનું અપમાન થાય, એ સાથે જ શાસકોએ પણ એ ભૂલવાનું નથી કે તેનું પગલું વિરોધની ધાર બુઠ્ઠી કરી નાખે એવું ન જ હોવું જોઈએ. પ્રજાને એવું લાગવા માંડે કે તે સરમુખત્યારશાહીમાં જીવે છે તો તેવું શાસન લોકશાહીને નામે કોણ સ્વીકારશે તે પ્રશ્ન જ છે.

ઉપરના બધા જ કિસ્સાઓમાં ક્યાંક ને ક્યાંક વિવેક ચુકાયો છે. ક્યાંક વિપક્ષ કે શાસક પક્ષ વિવેક ચૂક્યો છે તો ક્યાંક પ્રજા વિવેક જાળવી શકી નથી. વારુ, આ વિવેક ટીકા કરવામાં નથી દાખવાયો તે સ્પષ્ટ છે, પણ વિવેક ટીકા કરવામાં જ ન દાખવાય એવું નથી, વિવેક પ્રશંસા કરવામાં પણ ન રહે એવું પણ બને. મધ્ય પ્રદેશના કૃષિ મંત્રી ને ભા.જ.પ.ના નેતા કમલ પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાનનો અવતાર ગણાવ્યા. એમણે સોમવારે પત્રકારોને કહ્યું કે કાઁગ્રેસનો અત્યાચાર, ભ્રષ્ટાચાર, જાતિવાદ વધ્યો ને ચારે તરફ નિરાશા વ્યાપી ગઈ ત્યારે તેને ખતમ કરવા નરેન્દ્ર મોદીએ અવતાર ધારણ કર્યો. આ અગાઉ પણ હિમાચલ પ્રદેશના શહેરી વિકાસ મંત્રી સુરેશ ભારદ્વાજે મોદીને શિવનો અવતાર ગણાવ્યા હતા. રાજકોટના રમેશચંદ્ર ફેફરેએ તો પોતે જ પત્ર લખીને તેનાં સંબંધિત સચિવને જણાવ્યું હતું કે તે પોતે કલ્કિ અવતાર છે અને કોરોના તેનું જ સુદર્શન ચક્ર છે. મઝાની વાત એ છે કે આવો દાવો કરનાર રાજ્ય સરકારના ક્લાસ વન અધિકારી રહી ચૂક્યા છે. એક તરફ મોદીને ભગવાન કહેવાય છે તો બીજી તરફ રમેશચંદ્ર પોતે જ ભગવાન બની બેસે છે. જો રમેશચંદ્ર આપણને સ્વીકાર્ય ન હોય તો મોદી પણ અવતાર તરીકે ગળે ન જ ઊતરે તે દેખીતું છે. વડા પ્રધાનને પોતાનાં અવતાર કૃત્યની ખબર ન હોય તો જુદી વાત છે, પણ જો તેઓ જાણતા હોય કે ભા.જ.પ.ના જ મંત્રીઓ પોતાને અવતાર જાહેર કરી રહ્યા છે તો તેમણે આનો સખત વિરોધ કરવો જોઈએ. એમનું મૌન સંમતિમાં ન ખપવું જોઈએ. વડા પ્રધાન બરાબર જાણે છે કે પોતે કોણ છે ને કેટલાં સંઘર્ષ પછી આટલે સુધી આવ્યા છે તો તેમણે જ જાહેર કરવું જોઈએ કે પોતે અવતાર નથી અને પક્ષના નેતાઓને પણ કહેવું જોઈએ કે આ પ્રકારની વાતોનો તેઓ ફેલાવો ન કરે. એનાથી એમની માણસ તરીકેની ગરિમા જોખમાય છે.

ભા.જ.પ.ના નેતાઓએ પણ એટલું સમજી લેવું જોઈએ કે જે અવતારો થયા તેમણે પોતે અવતાર હોવાની જાહેરાત કરી નથી. કૃષ્ણે વિરાટ રૂપ લીધું ત્યારે અવતાર ધરું છું એમ કહ્યું છે, પણ પોતાને અવતારનું સર્ટિફિકેટ આપ્યું નથી. રામે કદી કહ્યું નથી કે પોતે ભગવાન છે. એ તો સમય જતાં ખબર પડે છે જગતને કે અવતાર કૃત્ય કોનું હતું ને કોણ અવતારી પુરુષ તરીકે અવતર્યો ધરતી પર! ભા.જ.પ.ના નેતાઓ એટલા મહાપુરુષો છે કે મોદીને તેમના ચાલુ કાર્યકાળમાં અવતાર હોવાનું પ્રમાણપત્ર ફાડી આપે? પોતાનાથી મોટી ને ઉચ્ચ પદે બિરાજતી વ્યક્તિ માટે માન હોય તે સમજાય, પણ નેતાઓ એટલા મહાન નથી જ કે અવતારના પ્રમાણપત્રો ફાડી આપે. આમાં ખુશામત સિવાય બીજું કૈં નથી. વડા પ્રધાને આવા મહાત્માઓથી ચેતવા જેવું છે. ઈશ્વર તો થવાય કે નયે થવાય, માણસ થવાય તો ય ઘણું છે ને જ્યાં માણસાઈ જ ખૂટતી હોય ત્યાં ભગવાન થઈને કરવાનું ય શું? આજકાલ સાધારણ થવાનું જ અસાધારણ થઈ ગયું છે એવું નથી લાગતું?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 જાન્યુઆરી 2022

Loading

સ્ત્રી અને પુરુષ, માનવ અને માનવતા …

સોનલ પરીખ|Opinion - Opinion|21 January 2022

ગયેલા નવેમ્બર મહિનામાં બે ‘ડે’ આવ્યા – ‘ઈન્ટરનેશનલ મેન્સ ડે’ અને ‘ઈન્ટરનેશનલ ડે ફોર ધ એલિમિનેશન ઑફ વાયૉલન્સ અગેન્સ્ટ વિમેન’ – પુરુષને પ્રોત્સાહિત કરવાનો દિવસ અને મહિલાઓ પર થતી હિંસાને ખતમ કરવાનો દિવસ. કોઈને એવો પ્રશ્ન થઈ શકે કે આ બન્ને દિવસ કેવી રીતે ઊજવાય, કેમ કે મહિલાઓ પર થતી હિંસા મોટેભાગે પુરુષો દ્વારા થતી હોય છે.

આવું વિચારવું એ પુરુષને અન્યાય કરવા જેવું છે … શું કહે છે ‘અ મેન એન્ડ અ વુમન’ અને ‘આદમી ઔર ઔરત?’

આ લખાય છે ત્યારે નવેમ્બર મહિનો અંતિમ તબક્કે છે. આ મહિનામાં બે ‘ડે’ આવ્યા – ‘ઈન્ટરનેશનલ મેન્સ ડે’ અને ‘ઈન્ટરનેશનલ ડે ફોર ધ એલિમિનેશન ઑફ વાયૉલન્સ અગેન્સ્ટ વિમેન’ – પુરુષને પ્રોત્સાહિત કરવાનો દિવસ અને મહિલાઓ પર થતી હિંસાને ખતમ કરવાનો દિવસ. કોઈને એવો પ્રશ્ન થઈ શકે કે આ બન્ને દિવસ કેવી રીતે ઊજવાય, કેમ કે મહિલાઓ પર થતી હિંસા મોટે ભાગે પુરુષો દ્વારા થતી હોય છે. આવું વિચારવું એ પુરુષને અન્યાય કરવા જેવું છે. થોડા હિંસક, અપરાધી માનસના અને વિચારહીન-સંવેદનહીન પુરુષોને બાદ કરતાં મિત્ર અને સાથી તરીકે પુરુષ એક વરદાન સમો છે. થયું છે એવું કે એને વ્યક્ત થતા ઓછું ફાવે છે અને એને સમજવાની આપણે બહુ પરવા નથી કરી. જો કે હવે સમય ફર્યો છે. અખબારોમાં પુરુષ પૂર્તિ નીકળે, સામયિકોમાં પુરુષ અંક નીકળે અને પુરુષ પર પુસ્તકો લખનારી લેખિકાઓ પણ નીકળે એ આનંદની વાત છે – અને સ્ત્રીપુરુષ સંબંધોનાં તો કદી પૂરાં ન થાય એટલાં પરિમાણો છે! 

વાત કરીએ બે ફિલ્મોની. એક ફિલ્મ વિદેશી છે, એક ભારતની. એકમાં અંગત સંબંધોની ગરિમા છે, બીજીમાં માનવીય સંવેદનોની.

1966માં એક ફ્રેન્ચ ફિલ્મ બની હતી, ‘અ મેન એન્ડ અ વુમન’. વાર્તા એવી હતી કે પોતપોતાનાં સંતાનોને બૉર્ડિંગ સ્કૂલમાં મૂકવા આવેલાં બે પાત્રો એની અને જિન સ્કૂલના પાર્કમાં મળે છે. બન્ને યુવાન છે, એકલાં છે. ઓટો-રેસિંગ ડ્રાઈવર જિનની પત્નીએ આત્મહત્યા કરી છે અને એ એના દીકરાને મૂકવા આવ્યો છે. કૅલિગ્રાફી-નિષ્ણાત એનીનો પતિ એક અકસ્માતમાં માર્યો ગયો છે અને એ એની દીકરીને મૂકવા આવી છે. બન્ને હજી ભૂતકાળની પકડમાંથી છૂટ્યાં નથી, બહુ હતાશ છે, ખૂબ એકલતા અનુભવે છે અને સંતાનોના પ્રશ્ને ચિંતિત છે. સમદુ:ખિયા હોવાથી બન્ને વચ્ચે મૈત્રી થાય છે અને મનમેળ થતાં પણ વાર નથી લાગતી. પાછા ફરતાં બન્ને સાથે જ નીકળે છે અને એક હૉટેલમાં રોકાય છે. જિન શારીરિક નિકટતા ઈચ્છે છે. એની સંમત પણ થાય છે, પણ અધવચ્ચે તેને મૃત પતિની સ્મૃતિઓ ઘેરી વળે છે અને એ કહે છે, ‘બસ. અહીંથી હું એકલી જ જઈશ.’ જિનને થાય છે, તો પછી અત્યાર સુધીનું બધું અર્થહીન હતું ? પણ એનીને તો જવું છે, અત્યારે જ જવું છે. અડધી રાતે જિન એને રેલવે સ્ટેશને મૂકવા જાય છે. ટ્રેનમાં બેઠેલી એનીને આખો વખત જિનના જ વિચાર આવતા રહે છે. સવારે એ પોતાના સ્ટેશને ઊતરે છે ત્યારે જિનને પ્લૅટફોર્મ પર ઊભેલો જોઈ નવાઈ પામે છે. પોતાનાથી જુદા પડ્યા પછી જિનની જે સ્થિતિ થઈ હશે એની એને કલ્પના આવી જાય છે. બન્નેનાં સ્વસ્થ આલિંગન સાથે ફિલ્મ પૂરી થાય છે.

ફ્રાન્સના સુંદર લોકેશનો અને પેરિસ શહેરમાં ફિલ્માવેલી આ વાર્તામાં અત્યારની દૃષ્ટિએ ખાસ નવીનતા ન લાગે અને જે બનતું જાય છે એની પૂર્વધારણા પણ કરી શકાય તેમ છે. મઝા લાગણીઓની માવજતની છે. એ માવજત એટલી સુંદર હતી કે તેને ઈન્ટરનેશનલ ફેસ્ટિવલોમાં સ્થાન મળ્યું, અવૉર્ડ મળ્યા અને બેસ્ટ ફોરેન ફિલ્મ તરીકેનો ઑસ્કાર પણ મળ્યો.

દિગ્દર્શક ક્લાઉડ લેલોકને આ વાર્તા અજાણતા જ મળી આવી હતી. એની એક ફિલ્મની ડિસ્ટ્રીબ્યૂશન ડીલ નિષ્ફળ ગઈ હતી. મનનો ધૂંધવાટ ઓછો કરવા એ આખી રાત સડકો પર કાર ફેરવતો રહ્યો ને પછી દરિયાકિનારે પહોંચી કારમાં જ ઊંઘી ગયો. વહેલી સવારે આંખ ખૂલી તો ઝાંખા ઉજાસમાં એક યુવતી એની દીકરી અને કૂતરાને લઈ ફરતી દેખાઈ અને એને વાર્તા સૂઝી આવી. એક મહિનામાં સ્ક્રીપ્ટ તૈયાર હતી અને છ મહિનામાં બની પણ ગઈ પોણાબે કલાકની ફિલ્મ. જે હોટેલમાં પ્રેમદૃશ્યો શૂટ થયા હતા ત્યાં એક સૂટ પર તકતી મારેલી છે, ‘અ મેન એન્ડ અ વુમન’. આ જ નામની ને આવી જ શરૂઆતવાળી એક સાઉથ કોરિઅન ફિલ્મ 2016માં બની હતી, પણ પછીની વાર્તા સાવ જુદી હતી.

સ્ત્રી અને પુરુષ વચ્ચે સંબંધ સ્થાપિત થવો ખૂબ સરળ અને સહજ છે, પણ પછી પોતપોતાની માનસિકતાઓ સાથે અને પોતપોતાના ભૂતકાળ-વર્તમાનકાળના બેગેજ સાથે એ સંબંધનું ટકાઉ બની રહેવું એટલું જ જટિલ છે.

અને 1984ની ટેલિફિલ્મ ‘આદમી ઔર ઔરત’નો તો મિજાજ જ જુદો હતો. 55 મિનિટની આ ફિલ્મ દૂરદર્શન પર ટેલિકાસ્ટ થઈ હતી અને 2007ના ઈન્ટરનેશનલ તેને નરગિસ દત્ત અવૉર્ડ મળ્યો હતો. વાર્તા જુઓ – બંસી નામનો એક ચલતાપૂર્જા જેવો શિકારી (અમોલ પાલેકર) જમીનદાર માટે પક્ષીઓ મારવા જંગલમાં નીકળ્યો છે, રસ્તામાં તેને એક એકલી ઓરત (મધુ રૉયચૌધરી) પથ્થરને ટેકે ઊભેલી દેખાય છે. એનામાંનો બીજો શિકારી સળવળે છે, એ એની નજીક જાય છે પણ ઓરતનું ખૂબ મોટું પેટ જોઈ ઠરી જાય છે. એ ખૂબ થાકેલી છે. વિનંતી કરે છે કે ‘ભલા આદમી, મને અસ્પતાલ પહોંચાડ. ત્રણેય બસ ગઈ, હું ચડી ન શકી.’ ‘તે તારો આદમી ક્યાં છે ? તને એકલી ધકેલી દીધી, આવી હાલતમાં ?’ ‘બસભાડાના ચાલીસ રૂપિયા ઉછીના લાવ્યો હતો. હવે જમીનદારને ત્યાં અઠવાડિયું મજૂરી કરશે.’

એને આમ મૂકીને જતા શિકારી બંસીનો જીવ ચાલતો નથી. થોડા માઈલનો રસ્તો સાથે ચાલી, ચાલવું મુશ્કેલ થતાં ટેકો આપી, તૂટેલી લારીમાં સુવાડી ખેંચતાં, વરસાદથી ભરાયેલું નાળું પાર કરાવતાં એમ મહામુસીબતે કાપી એ એને અસ્પતાલે પહોંચાડે છે અને ચાલ્યો જાય છે. સવારે એને જોવા જાય છે. ડૉક્ટર ખખડાવે છે, ‘કેવો માણસ છો, પત્નીને આમ મૂકીને ચાલ્યો ગયો ?’ ‘એ મારી પત્ની નથી. રસ્તામાં મળી ગઈ.’ એ ક્ષણે ડૉક્ટરના ચહેરા પર આવતું સ્મિત ઘણું વ્યક્ત કરે છે.

રૂમમાં સૂતેલી શ્રમિત ઓરત હસીને આવકારે છે, આંખોથી પારણું ચીંધે છે. નવજાત બાળકને જોઈ બંસી અને ઓરત બન્ને પરસ્પરને જોતાં સાર્થકતાભર્યું હસી રહે છે. બંસી કહે છે, ‘તારા પતિનું નામ શું ? એને ખબર આપીશ.’ ઓરત કહે છે, ‘અનવર હુસેન.’ મુસ્લિમ નામ સાંભળી હિંદુ બંસી એક ક્ષણ થંભી જાય છે. ઓરત કહે છે, ‘મસ્જિદની પાછળ તળાવ છે ત્યાં અમારું ઝૂંપડું છે. એટલે દૂર જઈશ ?’ ‘હા, જઈશ.’ અને એ જવા માટે પીઠ ફેરવે છે. ઓરત રડી પડે છે, ‘એ આદમી, હું મારા અલ્લાહ પાસે તારા માટે દુઆ માગીશ.’ બંસીના ચહેરા પર એવી તૃપ્તિ છે જાણે એ દુનિયાનો સૌથી ધનવાન માણસ હોય.

કેટલી કેટલી સુંદર માનવતાભરી ક્ષણો છે આ ફિલ્મમાં! વરસાદી નદી માંડ પાર કરીને બન્ને કાંઠાના પથ્થરો પર ફસડાઈ પડે છે. ઓરત બેહોશ જેવી એની છાતી પર ઢળી પડે છે ત્યારે એનું માથું પસવારતાં પુરુષ શિકારી શું કહે છે ? એ કહે છે, ‘તું ભારે હિંમતવાળી છે. તું ન હોત તો હું કાંઠે પહોંચ્યો ન હોત.’ આ શબ્દો ફિલ્મનું બ્યૂટીસ્પૉટ છે. આમ જુઓ તો વાર્તા એટલી જ છે કે એક મુસ્લિમ સગર્ભા ઓરતને એક હિંદુ પુરુષ હૉસ્પિટલ પહોંચવામાં મદદ કરે છે. ઓછામાં ઓછા સંવાદો છે ફિલ્મમાં. માનવ જાગે છે ત્યારે એણે સર્જેલા બધા જ ભેદો આપોઆપ ખરી પડે છે અને સનાતન જનની અને સનાતન રક્ષક તરીકેની આદમી અને ઓરતની સનાતન ભૂમિકાઓ જ સર્વ કાંઈ બની જાય છે એ વાત આટલી સુંદર રીતે ભાગ્યે જ કહેવાઈ હશે.

પુરુષ અને સ્ત્રી બન્ને માટે ‘દિવસ’ મનાવવાના દિવસો ક્યારના આવી ગયા છે. આનો અર્થ એ કે બન્નેએ તાળાં ખોલવાનાં છે. પોતાના નર-અસ્તિત્વ અને નારી-અસ્તિત્વથી ઉપર ઊઠી માનવ-અસ્તિત્વ સુધી જવાનું છે.

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 28 નવેમ્બર 2021

Loading

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN ==

સુમન શાહ|Opinion - Opinion|21 January 2022

૧ : સાહિત્યકાર રૂપે  —  મારા ૭૫મા વર્ષે થયેલી ઉજવણી વિશે :

= = જીવનને વિશેની સમજને કારણે મને હમેશાં લાગ્યું છે કે હું એકલો છું. તમે જાણો છો કે સાહિત્ય-કલાને વરેલા સર્જકનો એકલતા સ્થાયીભાવ હોય છે. પણ એ એકલતાને સહભાગીતાથી ઘડીભર ભૂલી જવાય છે. = =

= = જો ભાષામાંથી સંભાષા નથી જન્મતી, કલામાંથી જો કલાસંવાદ નથી પ્રગટતો, તો મારું તારણ છે કે સાહિત્યનો મામલો ખાસ્સા સમય લગી રૂંધાયેલો રહેવાનો છે = =

મારા ૭૫-મા વર્ષે ‘અ-મૃતપર્વ’ ઉજવણી રૂપે મારાં વિદ્યાર્થી-અધ્યાપકો, વિદ્યાર્થી-આચાર્યો, વાર્તાકારમિત્રો અને સાહિત્યકારમિત્રોના સહયોગમાં રાજેન્દ્ર પટેલ, જયેશ ભોગાયતા અને પારુલ કંદર્પ દેસાઇએ તારીખ ૨૩ માર્ચ ૨૦૧૪ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે ‘સુમન શાહ –સર્જકપ્રતિભાવિશેષ’ શીર્ષકથી એક પરિસંવાદનું આયોજન કર્યું હતું.

સવારના ૯.૩૦થી સાંજના ૬.૧૫ સુધી ચાલેલા આ પરિસંવાદમાં જેઓ હતા તે સૌ મિત્રો, પ્રિયજનો અને સ્નેહીઓને નામ દઈને યાદ કરતાં, ૮૩-એ પ્હૉંચેલા મને બહુ સારું લાગે છે :

(સદ્ગત) ચિનુ મોદી, ભાગ્યેશ જ્હા, રતિલાલ બોરીસાગર ઉપસ્થિત હતા. અજય ઓઝા, ગંભીરસિંહ ગોહીલ, ઉષા ઉપાધ્યાય, લતા હિરાણી મિત્રોએ શુભેચ્છાસંદેશ મોકલેલા. સંજોગવશાત્ વક્તાઓ હસિત મહેતા, દક્ષેશ ઠાકર અને દીપક રાવલ નહીં આવી શકેલા.

અમદાવાદ ઉપરાન્ત વડોદરા, રાજકોટ, સૂરતથી મિત્રો આવ્યા હતા. માય ડીયર જયુ, મહેન્દ્રસિંહ પરમાર, વિપુલ વ્યાસ, અભિમન્યુ આચાર્ય, હસમુખ રાવલ, દીવાન ઠાકોર, સંજય ચૌહાણ, સંજય ચૌધરી કે જયશ્રી જોષી સહિત ‘સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ’ના વાર્તાકારમિત્રો આવ્યા હતા.

કિરીટ દૂધાત, કનુભાઇ આચાર્ય, સલીમ, કિશોરી ચંદારાણા, દીનાબહેન, અજિત મકવાણા, હરીશ ધોબી, નરેશ વાઘેલા, પ્રેમજી, કનુ ખડદિયા, સંજય મકવાણા, વિપુલ પુરોહિત, હિમ્મત ભાલોડિયા, ભાવેશ જેઠવા કે લાભુ આવ્યા હતા પણ જેમને ચહેરેથી ઓળખું પણ નામથી ન જાણું એવા અનેક સાહિત્યરસિકો પણ આવ્યા હતા.

વક્તાઓ રાજેન્દ્ર પટેલ, વિનોદ જોશી, અજય રાવલ, જયેશ ભોગાયતા, પારુલ કંદર્પ દેસાઇ, જગદીશ ગુર્જર, નરેશ શુક્લ, મણિલાલ હ. પટેલ, બળવંત જાની, કિશોર વ્યાસ, (સદ્ગત) જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ અને જિતેન્દ્ર મૅકવાને મારા સાહિત્યમાંથી જુદા જુદા મુદ્દા લઈ વ્યાખ્યાનો કરેલાં.

દરેક વક્તાએ તેમજ પી.જે. પટેલ, દીપક પણ્ડ્યા, ભરત મહેતા અને ઉમા ચૌધરીએ મારી સાથેનાં સંસ્મરણો રજૂ કરેલાં.

જિતેન્દ્ર મૅક્વાન, નિસર્ગ આહીર, ભરત સોલંકી, અજય રાવલ અને જયેશ ભોગાયતાએ બેઠકોનું સંચાલન કર્યું હતું.

મારી સાથેના ‘સંવાદ’ની બેઠકમાં મણિલાલ પટેલ, અજય રાવલ, અજયસિંહ ચૌહાણ, દલપત ચૌહાણ, રામ મોરી, નરેશ શુક્લ, કપડવણજથી આવેલા ભાઈ (નામ યાદ નથી રહ્યું ), ભરત સોલંકી, માય ડીયર જયુ, જયેશ ભોગાયતા અને ભાષા-સાહિત્ય ભવનનાં મારાં સાથી મિત્ર રંજના હરીશ – સૌએ મને પ્રશ્નો પૂછીને મારી સાથે સંવાદ કરેલો.

મોડેથી પણ સંભારીને આવેલા મિત્ર રઘુવીર ચૌધરીએ શુભેચ્છા-વક્તવ્ય કર્યું હતું.

મારી ‘સોમપ્રસાદ, મંગળપ્રસાદ, બુદ્ધિપ્રસાદ’ વાર્તાનું નિસર્ગ આહીર, જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ, સાગર શાહ અને છાયા ત્રિવેદીએ ‘વાચિકમ્’ કર્યું હતું.

‘ગુર્જરી ગિરાતીર્થ’ શીર્ષકથી નિસર્ગ આહીરે મારી સમગ્ર કારકિર્દીના અનુલક્ષમાં લેખ કરેલો, એણે મારા જાહેર અને પારિવારિક અનેક ફોટોગ્રાફ્સની દૃશ્યાવલિ રજૂ કરેલી. 

પાર્શ્વ પ્રકાશનના માલિક, મારા આજીવન પ્રકાશક અને ભાઈ સમા બાબુભાઈ શાહે મારાં પુસ્તકોનું પ્રદર્શન કર્યું હતું.

આ સૌ મિત્રો પ્રત્યે મને અહેસાન અને આભારની લાગણી થયેલી. એ હૃદયભાવ આજે પણ અકબંધ છે.

પ્રતિભાવમાં મેં મારી મનોભાવના વ્યક્ત કરી હતી. એ અહીં મૂકી છે. આશા છે એમાંથી ઉપયોગી સાહિત્યતત્ત્વ તારવી શકાશે.

: ૭૫-મે મારી મનોભાવના :

નમસ્કાર. મિત્રો, મારી તમારી સાથે અને તમારી મારી સાથે પહેલવહેલી ઓળખાણ જે થયેલી તે શબ્દથી થયેલી. રાજુ, જયેશ, પારુલ કે વિનોદથી માંડીને આ સભામાં બેઠેલાં ઘણાં સાથેનો એ પહેલો પ્રસંગ મને બરોબર યાદ છે. એમને પણ યાદ આવશે. એ દરેક પ્રસંગ વિશે કહેવા બેસું તો બહુ સમય જાય. કોઈની સાથેનો રહી પણ જાય – એ ઠીક નહીં.

પણ કહું કે આપણી ઓળખાણ કરાવનારો એ શબ્દ મારો હતો, તમારો હતો, બોલાયેલો હતો, લિખિત કે પ્રકાશિત હતો, પણ સાહિત્યવિષયક હતો, સાહિત્યપરક હતો, સાહિત્યિક હતો.

મોટી વાત એ છે કે એવા શબ્દથી થયેલી આપણી ઓળખાણ વર્ષોથી ટકી છે, વિકસી છે. એથી ઊભો થયેલો આપણો સમ્બન્ધ સ્વસ્થ રહી શક્યો છે. એમાં કશું ઇદમ્ તૃતીયમ્ નથી ઘૂસી શક્યું. એવાં આપણે મારા-તમારા શબ્દ સાથે જોડાવાને આજે ભેગાં મળ્યાં છીએ એ વાતનો મને અનેરો આનન્દ છે.

હું ૫૫ (હવે ૫૭) વર્ષથી લખું છું. ૨૦ વર્ષની ઉમ્મરથી. મને ૭૫ પૂરાં થવામાં છે. ૭૫-થી વધુ (હવે ૮૦ જેટલાં) પુસ્તકો થઇ ગયાં છે. પણ જેને “છેલ્લું નોંધપાત્ર” પુસ્તક કહી શકાય એ હજી નથી થયું. એ નહીં થાય. કેમ કે હું છેલ્લે લગી લખતો રહેવાનો છું.

જુઓ, આ લખવાની કે વાંચવાની વાતને અન્ત નથી. ન હોવો જોઇએ. પણ જે લખાય તેમાંથી એક સમજ જરૂર ઊભી થાય છે. જે વંચાય તેમાંથી પણ એક સમજ હમેશાં ઊભી થાય છે. ધ્યાનથી જોઇશું તો દેખાશે કે આ સમજને તો એક અન્ત જરૂર છે ! વળી, આદિ ને મધ્ય પણ છે ! અ સૉર્ટ ઑવ કમ્પ્લીટનેસ !

વધારે ધ્યાનથી જોઇશું તો જણાશે કે આ સમજથી માંહ્યલાને, કહો કે સમગ્ર અસ્તિત્વને, સારું લાગતું હોય છે. કહેવાનો મતલબ, જો લેખન અને વાચન કીમતી વસ્તુઓ છે, તો એમાંથી ઊભી થયેલી સમજો પણ એટલી જ કીમતી છે. એટલે, જો આપણે આપણી સમજોની આપ-લે કરીએ, આપણી સમજોનાં સહભાગી થઈએ, તો મને લાગે છે, સાહિત્યની આખી વાતને ઘણી જ ઘણી દમદાર અને અર્થપૂર્ણ બનાવી શકીએ.

તો એ માટે શું કરવું જોઈએ? આપણે એકબીજાંની નજીક આવવું જોઇએ — જેમ આજે આવ્યાં છીએ ! હું મારી સમજ લઈને આવું, તમે તમારી સમજ લઈને આવો. બન્ને વચ્ચે આપણે સામંજસ્ય ઊભું કરીએ. એવું સામંજસ્ય જેથી આપણી વચ્ચે સહભાગીતા નામનો એક સેતુ રચાય. એવો સેતુ જેનો વારંવાર ઉપયોગ કરવાથી નિરન્તરની સહભાગીતાની સંરચના કરી શકીએ. ગુજરાતી સાહિત્યક્ષેત્રે સર્વસામાન્ય સ્વરૂપની સહભાગીતા નથી એમ નથી. પણ એને મારે નિમિત્તે વિધિવત્ પ્રગટાવવાને આજે આપણે એકત્ર થયાં છીએ.

જુઓ, મને સૌથી વધુ આનન્દ આવ્યો છે જ્યારે તમે કે કોઈએ પણ મારી સાથે મારા કોઈ લેખન અંગે વાત કરી છે – ભલે વખાણ કે ટીકા. પણ ત્યારે તે વ્યક્તિની સમજ વ્યક્ત થઈ હોય. સામે મેં જે કંઈ કહ્યું હોય તેથી મારી સમજ વ્યક્ત થઈ હોય. એ વ્યક્તિ અને મારી વચ્ચે એક સંવાદ ચાલુ થઇ ગયો હોય. એવી સહભાગીતાથી એક સંભાષા પ્રગટી હોય – એક ઇન્ટરઍક્શન. આ મને બહુ ગમ્યું છે.

કેમ કે એથી મને અને એને – બન્નેને – સુધારાવધારાની ખબરો પડવા લાગે છે. એમ કે એને એનું અને મારે મારું શું બદલવા જેવું છે, શું નવું દાખલ કરવાજોગ છે. આજે હું ‘અવરશુકેલુબ’ — કાળનો વાર્તાકાર નથી રહ્યો. પાંચમા સંગ્રહ લગીમાં -‘નો આઇડીઆ? ગેટ આઇડીઆ’ લગીમાં – હું ઘણો જ ઘણો બદલાયો છું. (હવે, છઠ્ઠા સંગ્રહ ‘ઢીસૂમ્ ઢીસૂમ’ લગીમાં) મારાં વિવેચનો સરળથી સરળ બનવા માંડ્યાં છે – બીજાઓને પણ એમ ભલે લાગે છે. મારાં વ્યાખ્યાનો વધારે આસ્વાદ્ય બન્યાં છે.

આ તમામ પરિવર્તનોનાં અનેક કારણોમાંનું એક કારણ આ જાતની સહભાગીતા છે. જો ભાષામાંથી સંભાષા નથી જન્મતી, કલામાંથી જો કલાસંવાદ નથી પ્રગટતો, તો મારું તારણ છે કે સાહિત્યનો મામલો ખાસ્સા સમય લગી રૂંધાયેલો રહેવાનો છે.

બાકી જીવનને વિશેની સમજને કારણે મને હમેશાં લાગ્યું છે કે હું એકલો છું. તમે જાણો છો કે સાહિત્ય-કલાને વરેલા સર્જકનો એકલતા સ્થાયીભાવ હોય છે. પણ એ એકલતાને સહભાગીતાથી ઘડીભર ભૂલી જવાય છે. મારો અનુભવ તો એમ કહે છે કે એકલતાને વધારે સારી રીતે ઓળખી શકાય છે. એવી ઓળખથી મને નવું લખવાનું – નવું એટલે કે સુધરેલું લખવાનું – વધારાનું બળ મળે છે. એકલતા અને સહભાગીતાનો આ ખેલ, અંદરનો છે. મેં એને જીવનભર પ્રામાણિકતાથી ખેલવાની કોશિશ કરી છે. એટલે આજે તમે મારે વિશે જે કંઈ કહ્યું તેને હું એવા સહભાગ રૂપે વધાવી લઈશ.

મેં કહ્યું કે આપણો સમ્બન્ધ સ્વસ્થ રહી શક્યો છે, એ વાતનો મને આનન્દ છે. કોઇ વી.સી. હતા, છો કે હશો. એનો આનન્દ ઑર છે. મોટા ભાગનાં, મારાં વિદ્યાર્થીઓ હતાં. આજે અધ્યાપક, આચાર્ય કે ડિરેક્ટર છો એનો આનન્દ એથીયે ઑર છે.

હું ગુરુ-શિષ્ય પરમ્પરામાં જરૂર માનું છું. પણ એ સમ્બન્ધને આ રીતે ઘટાવું છું : હું ચેલા ન મૂંડું. પાલખી ઊંચકવા કે ધજા ફરકાવવા ન કહું. મારો વિદ્યાર્થી કાયમ મારી આંગળી પકડીને ચાલે એ મને બિલકુલ ગમ્યું નથી. કોઈ ખભે ચડીને ગાજે એ જરૂર ગમે. પણ કોઈ માથે ચડી વાગે એ ન ગમે. એવો એ જો બે વાત પૂછતો આવે તો એની સાથે જ્ઞાનવારતા જરૂર કરું, હેતથી કરું. મેં તો હમેશાં કહ્યું છે, મારામાં તમને તમારા-જોગું જે કંઈ દેખાતું હોય, તો, તેને લૂંટી લો. એવું પણ ખરું કે હું શિષ્યને સમોવડિયો ગણું છું બલકે ગુરુ ગણું છું. એની પાસેથી પણ શીખવાની હૉંશ રાખું છું. ઘણા પાસેથી કંઈ ને કંઈ શીખ્યો પણ છું. ટૂંકમાં, મારી સમજમાં જો હું એક વ્યક્તિ છું તો મારો વિદ્યાર્થી પણ વ્યક્તિ છે. ગુરુ-શિષ્ય — સમ્બન્ધની ભૂમિકા, મારી નજરમાં, જેટલી આદરની નથી એટલી પરસ્પરના સ્વીકાર અને પ્રેમની છે.

વિદ્યાર્થી સિવાયનાં જે મિત્રો છે તેમની પાસે પણ મેં જેટલો આદર નથી માગ્યો એટલો પ્રેમ માગ્યો છે. ક્યારે ય મેં કોઈ ગ્રૂપ નથી બનાવ્યું કેમ કે હું પોતે કોઈના ગ્રૂપમાં નથી. ક્યારે ય મેં મુખિયા બનીને વડપણ નથી દાખવ્યું કેમ કે એવું વડપણ, હું બહુ પહેલેથી માનું છું કે સાહિત્યના વિકાસમાં બાધા બને છે. મારા વિચારો કે મન્તવ્યો બાબતે હું મારી જાત સાથે ભારે આગ્રહી છું પણ ક્યારે ય મેં એને બીજાંઓ પર થોપ્યાં નથી. ક્યારે ય મેં કોઇને મારું પુસ્તક વાંચવા કે એ વિશે બે શબ્દ લખવા કહ્યું નથી.

હું માનું છું કે આપણે સૌ આજે પણ એ સ્વસ્થ સમ્બન્ધની ભૂમિકાએ ઊભેલાં છીએ. એ સ્વસ્થતાએ જ તમને આ પ્રેમપ્રસંગ રચવાને પ્રેર્યાં છે. આ કોઈ સંસ્થાકીય કાર્યક્રમ નથી. આ તો તમારા સૌના અન્તરમાં સ્વયં સ્ફુરેલી પ્રેરણાનું પરિણામ છે. એ હકીકતનું મારે મન ભારે મૂલ્ય છે અને બીજાં બધાંને પણ હોવું ઘટે છે.

જાણ્યું ત્યારથી લાગ્યા કર્યું છે કે આ મારે વિશેનો નહીં પણ સુમન શાહ નામના કોઈ શખ્સને વિશેનો ખટલો છે, ટ્રાયલ, અને હું એમાં વિટનેસ કે ઑબ્ઝર્વર છું, સાક્ષી છું. મને પૂછવામાં આવે ત્યારે મારે હકીકતો કહેવાની છે. જુબાની રૂપે જે બોલાય એ બોલવાનું છે. હું ખૂબ ખૂબ ખુશ છું. થૅન્ક્યૂ વૅરિ મચ. આભાર.

= = =

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,7421,7431,7441,745...1,7501,7601,770...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved