Opinion Magazine
Number of visits: 9674736
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નિષ્ક્રિય વિધાનગૃહો અને અનુદાર રાજનીતિ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 November 2021

ભારતીય લોકતંત્રની હમણાંના વરસોની તાસીર સંસદ અને રાજ્યોના વિધાનગૃહોના કામના કલાકોમાં ઘટાડા છતાં વધતી સંસદીય કાર્યવાહીની છે. તૃણમૂલ સાંસદ ડેરેક ઓ બ્રાયનની ટ્વીટ ટિપ્પણી, ‘પાસિંગ લેજિસ્લેશન ઓર મેકિંગ પાપડી-ચાટ ?’, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષને બહુ ચચરી હતી. પણ હકીકત છે કે પેગાસસ જાસૂસી મુદ્દે હંગામેદાર રહેલા સંસદના વર્ષા સત્રમાં નિર્ધારિત કામના કલાકોમાંથી લોકસભામાં ૧૯ ટકા અને રાજ્યસભામાં ૨૬ ટકા જ કામ થઈ શક્યું હતું. છતાં આ જ સત્રમાં ૧૨૭મા બંધારણ સુધારા ખરડા સાથે વીસ વિધેયકો મંજૂર થઈ થયાં મોટા ભાગના વગર ચર્ચાએ, પાંચ-પંદર મિનિટની ચર્ચાથી અને રજૂ થયા એ જ દિવસે પસાર થયાં હતાં. ટ્વેન્ટી- ટ્વેન્ટી ક્રિકેટથી ય વધુ ત્વરા દૂરોગામી અસરો જન્માવતા કાયદાના ઘડતરમાં જોવા મળે તે સ્થિતિ ચિંતાજનક છે વિપક્ષની પાણી-પુરી બનાવો છો કે કાયદા ? એવી ટીકા પણ લાજમી ઠરે છે.

તેરમી મે ૧૯૫૨ના રોજ લોકસભાની પ્રથમ બેઠક મળી હતી. એ ઘટનાને છ દાયકા થશે. સંસદ અને રાજ્યોના ધારાગૃહોનું કામ કાયદા ઘડવાનું, નાણાકીય અને વહીવટી નીતિ-નિયમો ઘડવાનું છે. દેશ સમક્ષના પ્રશ્નોની તેમાં ચર્ચા વિચારણા થાય છે. બજેટ સત્ર, વર્ષા સત્ર અને શિયાળુ સત્ર એવા વરસે ત્રણ સત્રો, બે સત્રો વચ્ચે છ મહિનાથી અધિકનો સમય ન થાય તે રીતે, મળવા જરૂરી હોવાની જોગવાઈ છે. તે માટે નિયમિત રીતે વિધાનગૃહોની બેઠકો મળવી જોઈએ.

૧૯૫૨માં લોકસભાની ૧૦૩ બેઠકો મળી હતી. ૧૯૫૬માં મળેલી ૧૫૧ બેઠકોનો વિક્રમ તો કદી ન તૂટ્યો પણ બેઠકોની સંખ્યા વરસોવરસ ઘટતી રહી છે. ૧૯૭૪ સુધી લોકસભાની વરસે સો બેઠકો મળતી હતી. પણ હવે તે બાબત ભૂતકાળની બની ગઈ છે. ૧૯૭૪થી ૨૦૧૧ દરમિયાનના પાંત્રીસ વરસોમાં માત્ર પાંચ જ વખત લોકસભાની સો કરતાં વધુ બેઠકો મળી હતી. ૨૦૦૮માં માત્ર ૪૬ અને ૨૦૨૦માં ૩૩ જ બેઠકો મળી હતી.

૨૦૧૯ની લોકસભા ચૂંટણી પછીનું આ લાગલગાટ છઠ્ઠું સંસદ સત્ર એના નિર્ધારિત સમય કરતાં વહેલું આટોપી લેવાયું છે. છતાં લોકતંત્ર મજબૂત અને પરિપકવ થઈ રહ્યાની દુહાઈ સાથે સંસદીય કાર્યવાહી ચાલતી રહે છે, અંદાજપત્રો પસાર થાય છે, કાયદા ઘડાય છે અને બંધારણમાં સુધારા પણ થાય છે.

જે સ્થિતિ સંસદની છે તે જ રાજ્યોની વિધાનસભાઓની પણ છે. હાલમાં ઘણા બધા રાજ્યોની વિધાનસભાઓના, ગુજરાતની જેમ એક-બે દિવસના, વર્ષાસત્રો જાણે કે છ મહિને મળવાની ઔપચારિકતા ખાતર મળી રહ્યા છે. ૨૦૧૭થી ૨૦૧૯ના વરસોમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની સરેરાશ ૨૪, પશ્ચિમ બંગાળની  ૪૦ અને કેરળની ૫૩ બેઠકો મળી હતી. પી.આર.એસ. લેજિસ્લેટિવનો એક અભ્યાસ જણાવે છે કે બારમી ગુજરાત વિધાનસભા(૨૦૦૮-૨૦૧૨)માં ૯૦ ટકા બિલો રજૂ થયા તે જ દિવસે પસાર થઈ ગયા હતા. ૨૦૧૨માં દિલ્હી વિધાનસભાએ એક બિલ દસ જ મિનિટમાં પસાર કર્યું હતું. ગોવા વિધાનસભામાં કોઈ પણ ચર્ચા વિના સરેરાશ ચાર જ મિનિટમાં બિલો પસાર થાય છે. ૨૦૦૯થી ૨૦૧૪ દરમિયાન હરિયાણા વિધાનસભાની સરેરાશ ૧૧ બેઠકો જ મળી હતી. તેમાં ૭૦ ટકા ચર્ચા બજેટ પર થઈ હતી. બાકીના ૩૦ ટકા સમયમાં ૧૨૯ વિધેયકો રજૂ થયા કે તરત મંજૂર થયા હતા.

સંસદમાં સમયના અભાવે ખરડાઓની ઝીણવટથી ચર્ચા કરી, સર્વસંમતિ ઊભી કરી શકાતી નથી. એટલે તેને સંસદીય સમિતિઓને સોંપવાની જોગવાઈ છે. કાઁગ્રેસના નેતૃત્વ હેઠળની યુ.પી.એ. સરકારોના કાર્યકાળની ચૌદમી લોકસભામાં ૬૦ ટકા અને પંદરમીમાં ૭૧ ટકા બિલો સંસદીય સમિતિઓને સોંપવામાં આવ્યા હતા. પરંતુ વર્તમાન સરકારના શાસનકાળમાં બિલોને સંસદીય સમિતિઓને સોંપવાનું વલણ ઘટી ગયું છે. સોળમી લોકસભામાં માત્ર ૨૭ ટકા બિલો જ સંસદીય સમિતિઓના હવાલે કરવામાં આવ્યા હતા. હાલની લોકસભાના સમયમાં બહુ જ થોડા બિલો સંસદીય સમિતિને સોંપવામાં આવ્યા છે.

પૂરતી ચર્ચા વિના ઉતાવળે પસાર થયેલા બિલો પરથી કાયદા બન્યા પછી તેની કાયદેસરતાને ચકાસવા બંધારણીય સમીક્ષા માટે અદાલતોનો આશરો લેવો પડે છે, તેનાથી અદાલતોનું ભારણ બિન જરૂરી વધતું હોવાની અને સાંસદો પોતાની ફરજો યોગ્ય રીતે નહીં બજાવતા  હોવાની ચિંતા સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્નાએ વ્યક્ત કરી છે. ઉતાવળે પસાર થયેલા ખરડાઓની કેવી દશા થાય છે તેના તાજા ઉદાહરણ ગુજરાતનો લવજેહાદનો કાયદો અને કેન્દ્રનું નાગરિકતા સંશોધન બિલ છે. ગુજરાતના લવ જેહાદના કાયદાની મહત્ત્વની મનાતી જોગવાઈઓ પર ગુજરાત હાઈકોર્ટે સ્ટે મૂક્યો છે. નાગરિકતા બિલને સંસદે દોઢેક વરસ પૂર્વે મંજૂર કર્યું હોવા છતાં હજુ તેના નિયમો ઘડાયા નથી કે તે કાયદો અમલી બન્યો નથી.

વિપક્ષને શત્રુ ગણતા સત્તા પક્ષ અને સંવાદહીન ધારાગૃહોનું વાતાવરણ દેશમાં પ્રવર્તે છે સંસદના છેલ્લા વર્ષાસત્રમાં તે જોવા મળ્યું છે. કોરોનાના બીજા ખતરનાક બનાવાયેલા તબક્કામાં સારવાર અને ઓક્સિજનના અભાવે થયેલાં અગણિત મોત, વેક્સિનની કિંમત તથા કિસાન આંદોલનની છાયામાં સંસદનું વર્ષાસત્ર મળ્યું હતું. આ બાબતે સરકારની નિષ્ફળતા ઉપરાંત વિપક્ષ પાસે ગરીબી, બેરોજગારી અને મોંઘવારી જેવા સનાતન મુદ્દાઓ તો હતા જ. પરંતુ સંસદના વર્ષા સત્રના ઉઘડતા દિવસે જ પેગાસસ જાસૂસીનો નવો મુદ્દો ઉઠ્યો.

સંસદમાં વિપક્ષની માંગ જાસૂસીની કોઈ તપાસની નહીં પણ યોગ્ય નિયમ હેઠળ ચર્ચાની હતી. પરંતુ લોકસભામાં જોરાવર બહુમતી ધરાવતા સત્તા પક્ષ ભા.જ.પે. સંવાદહીન લોકતંત્રની છાપ કાયમ રાખીને વિપક્ષની વાત ન માની. સરકારે સંસદમાં ફટાફટ બિલો પસાર કરાવ્યા અને વહેલું સત્ર આટોપી લીધું. કેન્દ્રના સત્તા અને વિપક્ષો શાસિત રાજ્યોમાં પણ વિપક્ષો વિરોધી માનસિકતા છે. કેન્દ્રના કાઁગ્રેસ સહિતના વિપક્ષોના સત્તાવાળા રાજ્યોની વિધાનસભાઓમાં કેન્દ્રના નાગરિકતા અને કૃષિ ખરડાઓની વિરુદ્ધમાં પ્રસ્તાવો પસાર થયા છે. ધારાગૃહોનો બહિષ્કાર અને હોબાળાથી કામગીરી અટકાવવાનું વલણ અપવાદને બદલે રાબેતો બની ગયો છે. સંસદ અને વિધાનસભાઓમાં સંવાદહીનતા અને સર્વસંમતિના અભાવને કારણે સરકારના લોકહિત વિરોધી  કાયદા કે પગલાં માટે લોકોને સડક પર આવવું પડે છે.

થોડા સમય પહેલાં પાકિસ્તાનની સંસદમાં ઈમરાનસરકારના માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ વિપક્ષ સમક્ષ એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે જો વિપક્ષો સરકારની જ્યાં બહુમતી નથી એવા સંસદના બીજા ગૃહની કાર્યવાહીમાં કોઈ ખલેલ નહીં પહોંચાડવાની લેખિત બાંહેધરી આપે તો જ આ ગૃહમાં વિપક્ષના નેતાને બોલવા દેવામાં આવશે. ભારતમાં શું આપણે આવી સ્થિતિ નોતરવી છે?

વડા પ્રધાને ૨૦૧૯માં ‘મનકી બાત’માં કહ્યું હતું કે ‘કાયદા અને નિયમો સિવાય પણ લોકતંત્ર આપણા લોહીમાં વણાયેલ છે, તે આપણી સંસ્કૃતિ છે, આપણો વારસો છે.’ જો કે દેશની સંસદ અને રાજ્યોના ધારાગૃહોની કાર્યવાહીમાં આ વાતનો પડઘો જોવા મળતો નથી. લોકતંત્ર એટલે માત્ર ચૂંટણીઓ જ નહીં સ્વતંત્ર, ન્યાયી અને સતત સંવાદ સાધતી સંસદ અને ધારાગૃહો પણ.

e.mail : maheriyachandu@gmail.com

Loading

આજના સમયમાં આપણે પ્રજા તરીકે સક્રિય રહેવું જરૂરી છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 November 2021

ફરી એકવાર સૌને હૃદયપૂર્વક નૂતન વર્ષનાં અભિનંદનો !

સૌની સારી શરૂઆત થાય એમ ઇચ્છીએ, પણ ઇચ્છવાથી એમ ભલું થઈ જતું હોત તો જગતમાં કોઈ દુ:ખી ન હોત. આપણે જાણીએ છીએ કે ઘણું સારું થાય છે, છતાં બધું સારું થતું નથી. બધું જ સારું હોત તો? કલ્પના કરવા જેવી છે. કોઈ દુ:ખી ન હોત ! આંસુ ન હોત ! અછત ન હોત ! બધું જ હાજર હોત ! ક્યાં ય જવાની જરૂર ન હોત ! બધું ઘર બેઠાં જ મળતું હોત ! કાયમ તૃપ્તિ જ હોત ! બધાં જ હસતાં હોત ! કોઈએ કૈં કરવાનું ન હોત ને એમ જ બધાં હસતાં હોત ! સરકારો સારી રીતે ચાલતી હોત ! ટેક્સ કપાય કે ન કપાય એની ચિંતા ન એને હોત, ન પ્રજાને ! કારણ બધું એને કે પ્રજાને મળી જ રહેતું હોત ! કોઈ માંદું ન હોત ! ન દવા હોત, ન દવાખાના ! રોજ જ આનંદ હોત ! રોજ જ હર્ષ ! રોજ જ ઉલ્લાસ ! ચાલતે, આવું હોત તો? ના, આપણે એનાથી પણ ઉબાયાં હોત ! જેમ એકધારું દુ:ખ ત્રાસ આપે છે એમ જ એકધારું સુખ, આનંદ જ આપે એ જરૂરી નથી. એક વસ્તુ નક્કી છે કે જીવન બદલાતું રહે છે ને જે પીડા કે મજા છે તે એ બદલાવાને કારણે ! જીવન કૈં એકસરખી છાપાંની નકલો નથી. આકાશ એક જ છે, એનું એ જ છે, પણ એક સરખું નથી. એના રંગો ય બદલાય છે. દરિયો ભરપૂર છે, તો ય સમૃદ્ધિથી તે ઠરી જતો નથી. તે ઊછળે છે ને કિનારાઓને ઘડતો રહે છે. નદી એક જ છે, પણ એક સરખી નથી, તે વહેતી રહે છે. આ વહેવું જ જીવન છે. જળ વધે છે, ઘટે છે. તેજ વધે છે ઘટે છે. અંધકાર એક જ છે, પણ એક સરખો નથી. જરા વિચારીશું તો સમજાશે કે આ એક સરખાપણું જ મૃત્યુ છે. જીવન બદલે છે ને બદલાય છે. તે પૂરું થાય કે પછી બધું સરખું છે. કોઈ ગતિ નથી. કોઈ ક્રિયા નથી. મૃત્યુ પછી વ્યક્તિ અટકી જાય છે. તેને કોઈ ફેર પડતો નથી- દુનિયા ચાલે કે અટકી જાય તેથી !

ગમ્મત એ છે કે ઘણાં માણસો જીવંત હોય તો તેમને ય કોઈ ફેર પડતો નથી. તે સજીવ ન હોય એમ જ જીવે છે. તે વેઠે છે અથવા તો બીજા વેઠે તેવી સ્થિતિ ઊભી કરે છે. તેની પાસે પ્રતિક્રિયા જ કદાચ નથી. મૃત્યુ પીડા હરીને માણસને સુખી કરી દે છે. કારણ તે પછી કૈં કરવાનું રહેતું નથી. કમાલ એ છે કે ઘણાંને જીવતાં છતાં એ સુખ મળી જાય છે. એને કોઈ ફિકર જ હોતી નથી. કૈં કરવાનું જ જાણે રહેતું નથી. ભાવ વધે છે કે ઘટે છે, કોઈ ફેર પડતો નથી. સરકાર આવે છે કે જાય છે, કોઈ ફેર પડતો નથી. કોઈ મરે છે કે જીવે છે, કોઈ ફેર પડતો નથી. પ્રદૂષણ વધે કે ઘટે, કોઈ ફેર પડતો નથી. અવકાશમાં કોઈ મરચાં ઊગાડે કે માણસ, કોઈ ફેર પડતો નથી. ઘણાં આવાં છે. તેમને વેઠવામાં છે એટલો રસ પ્રતિક્રિયામાં નથી જ ! એઓ જાણી ગયા છે કે કશું તેમના હાથમાં નથી. તેઓ કૈં કરી શકે એમ નથી. તેમણે જીવવાનું છે ને બસ જીવી કાઢવાનું છે. તેમને કશું થતું નથી એવું નથી. બધું થાય છે, પણ નથી જ હાલતા. આવાં બે પ્રકારના માણસો હોય છે. એક અત્યંત અમીર છે, જે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળે એમ છે એટલે એ ચૂપ છે. એને કોઈ ફેર પડતો નથી. એક નિર્ધન છે, તે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળે એમ નથી ને કોઈ ફેર પાડી શકે એમ નથી, એટલે તેને કોઈ ફેર પડતો નથી. એ સિવાયના જે છે એમને ઘણો ફેર પડે છે. એ વર્ગ સક્રિય છે. એ રાજકારણમાં છે, નોકરી ધંધામાં છે, સમાજમાં છે, કુટુંબમાં છે. એ સૌથી વધુ પરિવર્તનશીલ છે. એક વર્ગ એવો છે જે કાયદાઓ અને નીતિઓ ઘડે છે. એ સત્તા ભોગવે છે ને બીજો વર્ગ એ છે જે આ કાયદાઓ અને નીતિઓથી પ્રભાવિત છે. સરકાર ખરીખોટી હોય છે, એમ જ પ્રજા પણ ખરીખોટી હોય છે. લોકશાહીમાં પ્રતિનિધિ ચૂંટાય છે ને એને પ્રજા મત આપીને ચૂંટે છે. પ્રજા નબળી હોય તો સરકાર સારી ભાગ્યે જ હોય છે. પ્રજામાં આખી પ્રજા નબળી નથી, એમ જ સરકારમાં આખી સરકાર નબળી ન હોય એમ બને. સાદી વાત એટલી છે કે પ્રજા સજાગ ને સક્રિય હોય ને સરકાર જો ગાફેલ રહે તો વખત આવ્યે તે પાઠ ભણાવી શકે છે.

તાજો જ દાખલો પેટ્રોલ અને ગેસના ભાવ વધારાનો છે. કારણો ગમે તે હોય, પણ સરકારે બેફામપણે  ઈંધણના ભાવ વધાર્યા જ કર્યાં. એવી આગાહીઓ પણ થઈ કે પેટ્રોલ લિટરના દોઢસો સુધી જશે. એ જાય એવી પૂરી શક્યતાઓ હતી. સરકારોને એમ હતું કે ઇંધણનો ભાવવધારો પ્રજા વેઠી લેશે, તો મહામારીને કારણે આવી પડેલી ખોટ ભરપાઈ થઈ જશે. પણ આ વસૂલાતમાં ધડો ન રહ્યો. ઈંધણ પરના વેરાની કમાણી 2014માં 73,000 કરોડ હતી, તે 2020-‘21 માં 3.89 લાખ કરોડ થઈ. આ વધારો 500 ટકાનો હતો. માત્ર એક્સાઈઝ ડ્યૂટીની વાત કરીએ તો ભા.જ.પ.ની સરકાર સત્તા પર આવી ત્યારે પેટ્રોલ પર પ્રતિ લિટરે તે 9.42 રૂપિયા હતી, તે હવે વધીને 32.90 રૂપિયા થઈ હતી. આ વધારો 300 ટકાનો હતો. આ વધારો ઈંધણ પૂરતો જ મર્યાદિત ન હતો. તે અનેક ક્ષેત્રોમાં હતો ને પ્રજા મૂંગે મોઢે એ વેઠી રહી હતી. એમ પણ લાગતું હતું કે પ્રજા નિર્માલ્ય અને ઉદાસીન છે. એના હાથમાં કશું નથી, પણ એના હાથમાં એક શસ્ત્ર હતું, મતનું ને તે તેણે વિવિધ રાજ્યોની પેટા ચૂંટણી વખતે ઉગામ્યું ને શાસક પક્ષનો બધો તોર ઊતરી ગયો. 3 નવેમ્બરે પેટા ચૂંટણીનું પરિણામ આવતાં વિધાનસભાની 30 બેઠકોમાં કાઁગ્રેસનો હાથ ઉપર રહ્યો. બંગાળમાં ચારે બેઠકો ટી.એમ.સી.ને મળી. લોકસભાની 3 બેઠકોમાંથી ત્રણે કોઈ એક પક્ષને ન મળતાં ભા.જ.પ., કાઁગ્રેસ અને શિવસેનાને મળી. આ પરિણામ આવતાં હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રીએ કબૂલવું પડ્યું કે વધતી મોંઘવારીએ આ પરિણામો આપ્યાં છે. કોઈ પણ સરકારને ચેતી જવા માટે આટલું પૂરતું હતું. પરિણામની અસર એવી પડી કે 4 નવેમ્બરે જ પેટ્રોલ-ડિઝલના ભાવો તૂટયા. એકાએક જ દસેક રૂપિયા સુધી ભાવ ઘટ્યા. ગુજરાત સરકારે પોતાના વેરા ઘટાડ્યા ને સરવાળે પેટ્રોલ 10 રૂપિયા ને ડિઝલ સત્તરેક રૂપિયા સસ્તું થયું.

આ માટે સરકારોનો આભાર માનવો જ પડે, કારણ ઇંધણને મામલે તેણે પ્રજાને પૈસે દિવાળી ન કરતાં પ્રજાને દિવાળીમાં રાહત આપી હતી. જો કે, આ અણધાર્યા ઘટાડાએ સરકારના ઈરાદાઓ અને હેતુઓને ઉઘાડા પાડી દીધા છે. સરકારના ભક્તોએ એવો પ્રચાર પણ કર્યો હતો કે આગલી સરકારે જે ઓઇલ બોન્ડ્સ બહાર પાડેલા તેનું ચૂકવણું હાલની સરકારને પરસેવો પડાવતું હતું ને એ ચૂકવણાં માટે પ્રજા પર ઇંધણનો ભાવ વધારો લાદવો જ પડે એ સ્થિતિ હતી. એવી વાતો પણ હતી કે 100 કરોડ લોકોને મફત રસી આપવા સરકારે ઈંધણ મોંઘું કર્યું. આ જો સાચું હોય તો સરકારે એવું નાટક કરવાની જરૂર ન હતી. ખરેખર તો સરકારે જાહેર કરવું જોઈતું હતું કે રસી મફત આપી શકાય એ માટે ઇંધણનો ભાવ વધારવો જ પડે એ લાચારી છે, તો પ્રજાએ આ વધારો સ્વીકારી લીધો હોત ! એને બદલે પ્રજાની પરવા જ ન હોય તેમ સરકાર ભાવ વધારતી રહી. એને બદલે સરકારે પ્રજાને વિશ્વાસમાં લેવાની જરૂર હતી. આ એ પ્રજા છે, જેણે  વડા પ્રધાનના એક બોલે ગેસની કરોડોની સબસિડી સ્વેચ્છાએ જતી કરી છે. જો સરકારે જાહેર કર્યું હોત કે મફત રસીની સામે પ્રજાએ ઇંધણનો ભાવ વધારો વેઠવો જ પડે એમ છે, તો પ્રજાએ ખુશી ખુશી સરકારને સાથ આપ્યો હોત, તેને બદલે પ્રજાને પોતે લૂંટી રહી છે એવી છાપ સરકારે દૃઢ થવા દીધી. એથી પ્રજાની નારાજગી વધી ને એણે પેટા ચૂંટણીમાં એ નારાજગી પ્રગટ કરી, તે એ હદે કે સરકારને ઈંધણના ભાવ ઘટાડવાની ફરજ પડી.

પ્રજાએ પોતાની છૂપી, પણ લોખંડી તાકાતનો પરચો આપ્યો ને સરકારને તેનું સ્થાન બતાવી દીધું, તો સરકારને પક્ષે એવું પણ સિદ્ધ થયું કે ભાવ વધારો સાચો ન હતો. જો પ્રજા વિફરે તો ભાવ ઘટાડવો પડે એ ફલિત થયું. મતલબ કે ભાવ વધારો પ્રજાના મિજાજ પર અવલંબિત છે, નહીં કે આંતરરાષ્ટ્રીય ભાવો ને સંજોગો પર ! આ બધું પારદર્શક નથી. એ પણ કમાલ જ છે ને કે રોજ વધતાં ભાવો હવે સ્થિર છે ! 2022માં વિધાનસભાની ચૂંટણી ગુજરાત, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં છે. એવું બનવાના પૂરા સંજોગો છે કે ભાવ વધારો ખરેખર જરૂરી થઈ પડે એમ હોય તો ય સરકાર હવે ભાવ નહીં વધારે. જો પ્રજાનો રોષ પેટા ચૂંટણીમાં પરિણામો પર અસર પાડી શકતો હોય તો સરકાર સામે ચાલીને પોતાને વેતરવા પ્રજાના હાથમાં કાતર નહીં જ આપે તે નક્કી છે. એનો અર્થ એવો પણ નહીં કે પ્રજાએ સરકારને બાનમાં લેવાની છે. અપેક્ષા એટલી જ છે કે આજના સમયમાં પ્રજા સક્રિય રહે તો સરકાર મનમાની કરતાં પહેલાં વિચાર કરે.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 નવેમ્બર 2021

Loading

દેવદાસીની કુપ્રથા હજુ જીવંત છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|11 November 2021

આ વરસના ફેબ્રુઆરી મહિનામાં કર્ણાટકના વિજ્યનગર જિલ્લાના કુડલિગી ગામની બાવીસ વર્ષની દલિત યુવતીએ તેને બળજબરીથી દેવદાસી બનાવવાનો વિરોધ કર્યો હતો. ‘દેવદાસી નિર્મૂલન કેન્દ્ર’ની સહાય અને પરિવારની હૂંફથી તે દેવદાસી બનતાં બચી ગઈ હતી. પુરીના જગન્નાથ મંદિરના બાણું વર્ષનાં દેવદાસી શશિમણિનું ૨૦૧૪માં અવસાન થયું, ત્યારે માધ્યમોમાં તેમને છેલ્લા દેવદાસી ગણાવી, દેવદાસીની કુપ્રથા નામશેષ થઈ ગયાના નગારા પીટ્યા હતા. અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર પ્રતિબંધક કાયદામાં ૨૦૧૫માં થયેલા સુધારામાં, દલિત-આદિવાસી સ્ત્રીઓને દેવદાસી બનાવવાના કૃત્યને, અત્યાચારની વ્યાખ્યામાં સામેલ કરવામાં આવ્યું હતું. શશિમણિના અવસાન પછીના વરસે, સંસદ કાયદામાં સંશોધન કરી દેવદાસીને અત્યાચારની વ્યાખ્યા સામેલ કરે અને કર્ણાટકના કુડલિગીની યુવતીનો આ વરસે દેવદાસી બનવાનો ઈન્કાર- દેવદાસીની કુપ્રથા આજે પણ જીવંત હોવાનો પુરાવો છે.

ભારતમાં ‘દેવદાસી’ના નામે વેશ્યાવૃતિને ધાર્મિક આધાર આપવાની હલકટ પ્રથાનો ઇતિહાસ બહુ દીર્ઘ અને જટિલ છે. ‘દેવની દાસી’ એવો સામાન્ય અર્થ ધરાવતી આ પરંપરા મુજબ, મંદિરોમાં નાચગાન માટે સ્ત્રીઓનો ઉપયોગ છઠ્ઠી સદીમાં શરૂ થયાનું મનાય છે. બારમી સદીમાં આ પરંપરા તેના ચરમ પર હતી. કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’માં, કાલિદાસના ‘મેઘદૂત’માં, અશોકના શિલાલેખોમાં અને ચીની મુસાફર હ્યુ-એન-સાંગના પ્રવાસ વર્ણનોમાં એનો ઉલ્લેખ મળે છે. કર્ણાટક, ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને ગોવામાં આ પ્રથા હતી. આજે દેવદાસીમુક્ત ગુજરાતમાં મહમદ ગઝનીએ ઈ.સ. ૧૦૨૬માં સોમનાથ પર ચડાઈ કરી, મંદિર લૂંટ્યું ત્યારે તેમાં ૫૦૦ દેવદાસીઓ હતી. જુદા જુદા રાજ્યોમાં આ પ્રથા દેવદાસી, જોગિણી, મુરળી, દેવકન્યા, અછૂતી, સુલે, ભાવિણી જેવાં વિવિધ નામે ઓળખાય છે.

ગરીબ દલિત કન્યાઓને કુમળી વયે દેવદાસી બનાવી વેશ્યા બનવા મજબૂર કરાય છે. આ કુપ્રથાને ધર્મનું સમર્થન છે. ગામનો ધનાઢ્ય જમીનદાર ગામના નિર્ધન દલિતની રૂપાળી સગીર દીકરીની પોતાની દેહવાસના માટે ‘દેવદાસી’ તરીકે પસંદ કરે છે. ધાર્મિક અંધશ્રદ્ધા, દેવીના પ્રકોપનો ડર, શિક્ષણનો અભાવ અને ગરીબી કન્યાઓને દેવદાસી બનાવે છે. દેવદાસી બનવા માટે કન્યાનું વિધિપૂર્વક દેવી યેલમ્માને સમર્પણ કરાય છે.

જાણીતા મરાઠી લેખક-પત્રકાર ઉત્તમ કાંબળેએ એમના શોધપુસ્તક, ’દેવદાસી’માં દેવી યેલમ્માની ઉત્પતિની જે દંતકથા વર્ણવી છે તે મુજબ, સેંકડો વરસો પૂર્વે બ્રાહ્મણ યુવતી બળાત્કારીઓથી બચવા ભાગી, ત્યારે તેને યેલમ્મા નામક દલિત યુવતીએ આશરો આપીને બચાવી હતી. એટલે બ્રાહ્મણોએ રક્ષક યેલમ્માને દેવી ગણી તેનું મંદિર બનાવ્યું હતું. કાળક્રમે યેલમ્માનો મહિમા વધ્યો અને સ્ત્રીઓ, ખાસ કરીને દલિત સ્ત્રીઓ, એને પોતાનો દેહ સમર્પિત કરવા માંડી. રક્ષણહાર પોતે જ ધર્મપ્રણિત યૌનશોષણનો શિકાર બને એવી પુરોહિતવર્ગની કુટિલતા રચાયેલી અહીં જોવા મળે છે.

આરંભે મંદિરમાં દેવદાસીનું સ્થાન અને મહત્ત્વ પૂજારી પછીનું હતું. તે અખંડ સૌભાગ્યવતી અને શુકનવંતી મનાતી હતી. પરંતુ પિતૃસત્તા અને સામંતવાદના પ્રભુત્વે દેવદાસીને પૂજારીઓ અને જમીનદારોની હવસ તરફ ધકેલી હતી. જે સ્ત્રીને દેવદાસી બનાવાય તે લગ્ન કરી શકતી નહીં. ક્યારે ય પોતાના ઘરે પરત જઈ શકતી નહીં. ગામનો જમીનદાર તેની સાથે લગ્નબાહ્ય સંબંધ રાખતો, પણ તેના ગુજરાનની જવાબદારી લેતો નહીં. દેવદાસીને તો ગામના છેડે ઝૂંપડીમાં રહેવું પડતું અને મજૂરી કરવી પડતી. મંદિરમાં નાચગાન કરતી દેવદાસી કદી મંદિરના ગર્ભગૃહમાં જઈ શકતી નહીં. તેની દયનીય સ્થિતિનું વર્ણન કરતાં ‘બ્રોકન પીપલ’ પુસ્તકમાં સ્મિતા નરુલા લખે છે :  ‘દેવદાસી ગામમાં અલગ રહે છે. દલિત પુરુષો સહિત તમામ પુરુષો એમનો ઉપભોગ કરે છે. દેવદાસી સાથેના બળજબરીથી થતા શરીરસંબંધને કોઈ બળાત્કાર ગણતું નથી.’

દેવદાસી પ્રથાની નાબૂદી માટે પ્રયાસોનો દક્ષિણમાં પેરિયાર રામાસ્વામી નાયકરે અને મહારાષ્ટ્રમાં મહાત્મા ફુલેએ આરંભ કર્યો હતો. ડો. આંબેડકરે ૧૯૩૬ અને ૧૯૩૮માં દેવદાસી અને વેશ્યાઓની સભાઓ કરીને, તેમને કલંકિત જિંદગી છોડી સ્વમાનભેર જીવવા હાકલ કરી હતી. ૧૮૯૩માં મૈસુર સરકારે મંદિરમાં દેવદાસીઓના નાચગાનને પ્રતિબંધિત કરતો કાયદો કર્યો હતો. ૧૯૨૦માં શાહુ મહારાજે કોલ્હાપુર રાજ્યમાં દેવદાસી નાબૂદીનો નિયમ ઘડ્યો હતો. અંગ્રેજ સરકારે ૧૯૩૪માં ‘બોમ્બે દેવદાસી પ્રતિબંધક કાયદો’ બનાવ્યો હતો. આઝાદી પછી કર્ણાટક અને આંધ્ર સરકારે દેવદાસી પ્રથા વિરુદ્ધ કાયદા બનાવ્યા હતા. તેમ છતાં આ પ્રથા બેરોકટોક એટલા માટે ચાલે છે કે મોટા ભાગના રાજ્યોની સરકારોના કાયદા દેવદાસીને જ ગુનેગાર ઠેરવે છે ! દેવદાસીને આ વિકૃત પ્રથામાં ધકેલનાર કે તેનો ઉપભોગ કરનારને કોઈ સજાની જોગવાઈ જ કાયદાઓમાં નથી.

દેશમાં દેવદાસીના પ્રમાણ અંગે કોઈ આધારભૂત માહિતી મળતી નથી. મહિલા સાંસદ ઉષાપ્રકાશ ચૌધરીએ પહેલીવાર ૨૫મી ફેબ્રુઆરી ૧૯૮૩ના રોજ લોકસભામાં દેવદાસીઓનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે આઝાદી પછીના પાંત્રીસ વરસોમાં દોઢ લાખ અને વરસે સાડા ચાર હજાર કન્યાઓને દેવદાસી બનાવાતી હોવાની રજૂઆત કરી હતી. માત્ર દક્ષિણ ભારતમાં જ પાંચ લાખ દેવદાસીઓ હોવાનો એક અન્ય અભ્યાસનો અંદાજ છે. તેમાંથી પંચાણુ ટકા દલિત સ્ત્રીઓ અને અઠ્ઠાવન ટકા ત્રીસ વરસ કરતાં ઓછી વયની હતી. કર્ણાટકની દેવદાસીઓ અંગેનો ૨૦૧૮નો અભ્યાસ, રાજ્યમાં નેવું હજાર દેવદાસીઓ હોવાનું  જણાવે છે. દેવની આ દાસીઓના સંતાનો સાવ  અનાથ ગણાય છે. દેવદાસીનું સંતાન પુત્રી હોય તો તેણે દેવદાસી જ બનવું પડે છે. દેવદાસીના એંસી ટકા બાળકો નિરક્ષર હોય છે. અને બાળમજૂરી કરે છે. દેશના નાના મોટા શહેરોના દેહવ્યાપારમાં ધકેલાયેલી સ્ત્રીઓનો મોટો હિસ્સો દેવદાસીઓનો હોય છે, કેમ કે મંદિરો અને જમીનદારો એમનું પેટ ભરતા નથી.

સામાજિક સંસ્થાઓ, કાર્યકરો અને સરકારી વહીવટી તંત્ર દેવદાસી નિર્મૂલન, દેવદાસી મુક્તિ અને તેમનાં પુન:સ્થાપનનું કાર્ય કરે છે. કેટલાંક મુક્ત થયેલાં દેવદાસી પણ આ કામ સાથે જોડાયેલાં છે. મહિલા અનામત, મહિલા શિક્ષણ અને મહિલા સમાનતા જેવા મુદ્દે સમાજમાં થોડી પ્રગતિ જોવા મળે છે. પણ દેવદાસીની કુપ્રથાનો અંત આણવા બાબતમાં  ઝાઝુ કશું થયું નથી. નારી આંદોલનમાં દેવદાસી મુક્તિને પ્રાધાન્ય મળ્યું નથી. દલિત આંદોલનમાં પણ દેવદાસીનો સવાલ કદી મુખ્ય મુદ્દો બન્યો નથી. સરકારો અને રાજકીય પક્ષોમાં પણ આ બાબતે રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ છે. સ્ત્રીને દેવી કે શક્તિ માનવામાં આવે છે. નવરાત્રિ તો શક્તિની આરાધનાનું પર્વ છે. આ દિવસોમાં સહુ શક્તિની આરાધના કરે છે. ત્યારે શોષણનો ભોગ બનેલી અને નારીને પૂજવાના દંભનું પ્રતીક બની રહેલી દેવદાસીઓને શક્તિ નહીં તો કમ સે કમ સ્ત્રી તરીકેનું તેનું સ્થાન – સન્માન મળી રહે તો ય ઘણું.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,7351,7361,7371,738...1,7501,7601,770...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved