Opinion Magazine
Number of visits: 9570989
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વોટ માટે જાટ બનાવ્યા, રાજાને ય છોડ્યા નહીં

ભરત મહેતા|Opinion - Opinion|1 October 2021

યુ.પી.માં અલીગઢથી ચૂંટણી સભાના શ્રીગણેશ કરી, નરેન્દ્ર મોદીએ ચૂંટણીનું રણશિંગું ફૂંક્યું. મોદીએ પહેલી જ ચૂંટણીમાં રાજા મહેન્દ્રપ્રતાપને યાદ કર્યા. વળી, એમના નામ સાથે જોડાયેલ એક નવા, રાજા મહેન્દ્રપ્રતાપસિંહ વિશ્વવિદ્યાલયની જાહેરાત કરી. આ જાહેરાત ઘડી-બે-ઘડી તો સારી લાગી, પણ થયું લાલો લાભ વગર લોટે નહીં. થયું પણ એવું જ. આ વિશ્વવિદ્યાલય માટે સો કરોડની ફાળવણી પણ કરવામાં આવી. તેથી ઘણાં રાજી થાય, પરન્તુ યાદ કરો કે આ સાહેબે રિલાયન્સ યુનિવર્સિટીના ખાતમુહૂર્તમાં જ એને ભારતની મહાન યુનિવર્સિટી (જન્મ્યાં પહેલા જ!) ગણાવી હજ્જાર કરોડનું અનુદાન મંજૂર કરેલું. સખાવતમાં ભાઈબંધી પાક્કી રાખે છે!

આપણો વાંધો બીજો છે. રાજા મહેન્દ્રપ્રતાપે જિંદગીભર 'સિંહ' ઓળખ વાપરી નથી! વળી, એ માટે એમણે ખુલાસો પણ કર્યો છે. તેથી ચૂંટણીનું ફૉર્મ પણ એમણે રાજા મહેન્દ્રપ્રતાપના નામે જ ભરેલું. જે ચૂંટણીમાં એમણે અટલબિહારી વાજપેયીને ય હરાવેલા. બીજું, ભારત સરકારે એમના સન્માનમાં ટપાલટિકિટ બહાર પાડેલી એના પર પણ રાજા મહેન્દ્રપ્રતાપ જ છે, સિંહ નહીં! મોદી સરકારને ઇતિહાસને વિકૃત કરવામાં-આનંદ આવે છે. (હમણાં વિષ્ણુ પંડ્યાએ ભગતસિંહને 'આર્યસમાજી' બનાવી દીધા એવો આનંદ!) કોઈનું નામ વિકૃત કરવું એ કાયદેસરનો ગુનો છે. મોદી સરકારને આ અંગે જાગૃત નાગરિકોએ કોર્ટમાં પડકારવી જોઈએ.

આમ કરવાનું કારણ એ છે કે મોદી સરકાર કિસાન-મહાપંચાયતોની વધેલી લોકપ્રિયતાથી બેબાકળી થઈ ગઈ છે. કિસાન-આંદોલનમાં અગ્રણી કિસાનો જાટ, સિંહ છે. હવે રાજા મહેન્દ્રપ્રતાપને 'સિંહ' બનાવી, વારંવાર એમને જાટ તરીકે ઓળખાવી, એમના નામે આવી યુનિવર્સિટી ખોલી, કિસાન-આંદોલનથી પ્રભાવિત જનતાને ભ્રમિત કરી શકાય. કહી શકાય કે વોટ માટે રાજાને જાટ બનાવ્યા, રાજાને ય છોડ્યા નહીં!

જિંદગીમાં કદી રાજા મહેન્દ્રપ્રતાપને યાદ ન કરનાર આ સરકાર શિલાન્યાસ કરી રહી છે. બીજી તરફ એમની મૂર્તિ જ્યાં છે, એ કચરાના ઢગલા વચ્ચે પડી છે. એ મૂર્તિની યોગીજીએ કોઈ જાણકારી સુધ્ધાં નથી કરી. તેથી ચૂંટણીનો ગડગડાટ અને તાલિબાનચર્ચા વખતે રાજા મહેન્દ્રપ્રતાપને યાદ કરીને, રાજકીય સ્વાર્થ સાધી રહી છે. મોરસાનમાં જન્મેલા રાજાને હાથરસમાં દાદાએ દત્તક લીધેલા. આજે પણ મુરસાનના દલિતવાસમાં મૂર્તિ છે. યુ.પી.માં ચૂંટણી આવી, ત્યારે એકાએક એમને યાદ આવ્યા! બેશક એમણે ઝીણાનો વિરોધ કરેલો, પણ એ હિન્દુત્વવાદી ન હતા! જનસંઘને હરાવનાર, પોતાનું બીજું નામ એમણે 'પીટર’ પણ કરેલું! સર્વધર્મસમભાવી રાજાને આ રીતે વેતરવા એ વિકૃત મનોદશાનો પરિચય આપે છે. એમની અંતિમ ઇચ્છા હતી કે એમને દફનાવવા, જલાવવા અને સમાધિ પર લખવું – 'પીટરવીર પ્રતાપ' જેથી ઈસાઈ, મુસ્લિમ અને હિંદુ ત્રણે આવે! જે મંદિરોમાં દલિતોને પ્રવેશ ન હોય, ત્યાં એ  જતા ન હતા! હાથરસમાં બળાત્કારી ધારાસભ્યને બચાવી, પીડિતને રાતોરાત બાળનાર મોદી સરકારને એ વખતે રાજા મહેન્દ્રપ્રતાપનું હાથરસ યાદ આવ્યું ? રાજાના નામની ચૂંટણી ટાણે લૉલીપૉપ છે!

એ જ્યારે અફઘાનિસ્તાનમાં ભારતની આરઝી હકૂમતના રાષ્ટ્રપતિ હતા, ત્યારે એમના વડા પ્રધાનનું નામ બરકત ઉલ્લાખાન હતું! હિંદુ-મુસ્લિમ પ્રેમના પ્રતીક હતા. એ માનતા હતા કે લગ્ન વખતે જ્ઞાતિ, ધર્મ જોવાનાં ન હોય! લવજેહાદવાળા શું મહેન્દ્રપ્રતાપને સમજી શકે ? પોતાની સમગ્ર સંપત્તિ શિક્ષણ માટે આપી દીધી હતી, શિક્ષણને કૉર્પોરેટ કૉમોડિટી બનાવી દેનારાઓની હેસિયત છે રાજા મહેન્દ્રપ્રતાપને યાદ કરવાની? ઈ.૧૯૦૯માં છેક પોલિટેકનિક સ્થાપી હતી! જાટલૅન્ડના ૬% વોટ લેવા માટે રાજાની છબી વિકૃત કરવામાં આવી રહી છે. સર સૈયદ અહેમદે જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી બનાવી, એની જમીન રાજા મહેન્દ્રપ્રતાપે આપેલી.

રાજા મહેન્દ્રપ્રતાપ (૧૮૮૬-૧૯૭૯) સ્વાતંત્ર્યસંગ્રામી હતા. આર્યસમાજને વૃંદાવનમાં જમીન આપી એ શરત સાથે કે હું આર્યસમાજી નથી. ૧૯૦૮માં 'પ્રેમવિદ્યાલય’ની સ્થાપના કરી, જેમાં ૨૫,૩૪૭ રૂપિયા ખર્ચેલા, જે આજે કરોડો કરોડો રૂપિયા થાય. કાઁગ્રેસ-ભા.જ.પ.માં જે રાજાઓ છે, એ આવું દાન કરી શકે? એ માત્ર સ્વાતંત્ર્યસેનાની ન હતા, પત્રકાર પણ હતા. બે સામયિકો કાઢેલાં. એક સામાયિકનું નામ હતું 'પ્રેમ’, બીજાનું નામ 'ર્નિબલ સેવક’. 'ર્નિબલ સેવક’ પત્રિકામાં સતત ખેડૂતોના પ્રશ્નો ચર્ચવામાં આવતા હતા. ત્રણ કાળા કાનૂન બનાવીને ખેડૂતોનું જીવન નરક બનાવનાર શું ઉદ્દેશ્યોથી પરિચિત છે?

એમના જમાનામાં હિંદી, ઉર્દૂનો વિવાદ ચાલતો હતો. જાણે હિંદી હિંદુની હોય અને ઉર્દૂ મુસલમાનોની! એમણે કહ્યું કે ભારતના પ્રત્યેક નાગરિકે હિંદી અને ઉર્દૂ ભાષાઓ જાણવી જોઈએ! જ્યારે અલિગઢ યુનિવર્સિટીએ’ ૯૭માં યુનિવર્સિટીની શતાબ્દી વખતે એમનું જમીનદાતા તરીકે, ઉર્દૂના સંરક્ષક તરીકે સન્માન થયું હતું 'ઇન્ડિપેન્ડન્ટ’માં આવેલ લેખમાં લેનિનને 'પોતાના સાચા સાથી’ ગણાવ્યા છે. રૂબરૂ મળેલા. દુનિયાનું બે વાર પરિભ્રમણ કર્યું. ભારત દુનિયા સાથે તાલમેલ કરે એ ઇચ્છતા હતા. તેમનું સૂત્ર હતું 'પ્રેમધર્મ’. દુનિયાના સર્વ ધર્મોની એકતા એમના જીવનનું ધ્યેય હતું. શું સંધીશિક્ષિત મોદી એમનાં દર્શનને પચાવી શકશે? અલીગઢ યુનિવર્સિટી સંચાલિત જે કૅમ્પસસ્થિત સ્કૂલ છે, એનું નામ પણ 'રાજા મહેન્દ્રપ્રતાપ વિદ્યાલય’ છે. બોલ્શેવિક ક્રાંતિનાં બે વર્ષ બાદ ઈ. ૧૯૧૯માં જ લેનિનને રૂબરૂ મળેલા. ઑક્ટોબર-ક્રાંતિથી પ્રભાવિત હતા. ૧૪મી માર્ચ, ૧૯૧૯માં રૂબરૂ મળ્યા.

એ સમાધિ સામે વૃંદાવનમાં આવેલું 'પ્રેમ વિદ્યાલય’ આજે ચાલે છે, પણ જર્જરિત દશામાં છે. લાઇટની વ્યવસ્થા ન હોવાથી આચાર્ય દેવપ્રકાશ પોતે બે વાયર ખેંચી, બિલ પોતાના ખિસ્સામાંથી ચૂકવે છે! આ 'પ્રેમ વિદ્યાલય’ તો સરખું કરો! એમના સમકાલીનોનાં સંસ્મરણો વાંચીએ, તો તાજ્જુબ થઈ જવાય. સામાન્ય લોકો સાથે જમણવાર ગોઠવતા, કોઈ છોકરાને વાગ્યું હોય તો તે જાતે જ મલમપટ્ટી લગાવનાર રાજા હતા. આજે તો સુપ્રીમ કોર્ટ આદેશ આપે તો ય કોરોનામાં મૃત્યુ પામનારને વળતર તો ઠીક, હજુ યાદી પણ તૈયાર નથી કરી! અત્યારે જે યુનિવર્સિટીઓ છે, એમાંની મોટા ભાગની આર.એસ.એસ.ના અડ્ડા જેવી છે. જો એવી જ આ યુનિવર્સિટી થશે, તો એ રાજા મહેન્દ્રપ્રતાપનું અપમાન લેખાશે. હિંદુ-મુસ્લિમ નહીં પણ વૈજ્ઞાનિક ચેતનાસભર મનુષ્યનિર્માણ એમનું ધ્યેય હતું. રૂઢિવાદિતામાંથી યુવાનોને બહાર કાઢવા મથતા હતા. આધુનિક ભારતની એમની કલ્પના એવી હતી. શિલાન્યાસ આ વિચારોનો કરવો જરૂરી છે. આંતરધર્મી, આંતર જ્ઞાતીય વહેવાર એ એમની પ્રબળ ઇચ્છા હતી. 'માય લાઇફ સ્ટોરી’માંથી પસાર થાવ તો ખબર પડે કે એ કેવા વિચારક હતા. યોગી-મોદી-ભાગવતનાં વિધાનો અને રાજા મહેન્દ્રપ્રતાપના ઉદ્દગારો વચ્ચે આભજમીનનું અંતર છે!

જોઈએ આ યુનિવર્સિટી મતપેટી બને છે કે રાજા મહેન્દ્રપ્રતાપને સાચી શ્રદ્ધાંજલિ. અત્યારે તો એટલું જ કે એમને જાટ બનાવી, નામ પાછળ સિંહ લગાવી નાના ન બનાવો.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 08

Loading

ચીન સામે વ્યૂહાત્મક મોરચાબંધી કરવી જોઈએ

રમેશ ઓઝા|Opinion - Opinion|30 September 2021

જે વાચકોએ મારા ૨૦૦૮ પહેલાના લેખ વાંચ્યા હશે તેમને યાદ હશે કે એ સમયે મેં અનેકવાર લખ્યું હતું કે ચીની રાજ્યવ્યવસ્થા તેના આંતરવિરોધને કારણે એક દિવસ તૂટી પડશે અને એ દિવસ બહુ દૂર નથી. ત્યારે કલ્પના નહોતી કરી કે ચીની વ્યવસ્થાનું તૂટી પડવું તો બાજુએ રહ્યું, બહુ નજીકના ભવિષ્યમાં એક દિવસ એવો આવશે જ્યારે જગતના કહેવાતા સભ્ય દેશો સામે પ્રશ્ન પડશે કે ચીનનો મુકાબલો કેમ કરવો? ચીનને અનુસરીને કે ચીનની સામે સંગઠિત થઈને મોરચો રચીને?

જો તમે ભારતના અને વિશ્વના લોકશાહી દેશોના રાજકારણ ઉપર નજર રાખતા હશો તો તમારા ધ્યાનમાં આવ્યું હશે કે આ દેશો બન્ને દિશામાં ફાંફા મારી રહ્યા છે. આ દેશોમાં લોકશાહી વ્યવસ્થા અને લોકશાહી મૂલ્યોને શિથિલ કરીને ચીનને અનુસરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને પાછા લોકતાંત્રિક સભ્ય હોવા માટે ગર્વ પણ અનુભવે છે. હવે જ્યારે ચીનની સરસાઈ વધી રહી છે ત્યારે ત્યાંના શાસકો અને પ્રજા (મુખ્યત્વે પ્રજા, જેને લઈને શાસકો) એમ માનતા થયા છે કે ચીનની સફળતાનું કારણ લોકશાહીનો અભાવ અને મારે એની ભેંસની નાગાઈ છે. આપણે કહેવાતા લોકહિતના નામે લોકોની વચ્ચે ચર્ચા થવા દઈએ છીએ, જેમાં સમયસર નિર્ણયો લેવાતા નથી તો કેટલીકવાર નિર્ણયો બદલવા પડે છે કે પડતા મૂકવા પડે છે જેને પરિણામે તક હાથમાંથી સરકી જાય છે. આનો લાભ ચીનને મળે છે. ચીનના શાસકો નિયંત્રણમુક્ત આઝાદ છે. આપણે ત્યાં પણ શાસકોને આવી આઝાદી મળવી જોઈએ. તો જ અને તો જ ચીનનો મુકાબલો થઈ શકશે.

આ સિવાય અને આ ઉપરાંત બીજો અભિગમ એવો છે કે ચીન સામે વ્યૂહાત્મક મોરચાબંધી કરવી જોઈએ. શીતયુગમાં જગતને આનો લાંબો અનુભવ છે. અમેરિકાના નેતૃત્વમાં નાટો (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) અને સોવિયેત રશિયાના નેતૃત્વમાં સીટો (કલેક્ટિવ સિક્યુરિટી ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) તો એ જમાનાના બે વિખ્યાત મોરચા હતા. જાણે કે આખું જગત આ બે દેશોએ વહેંચી લીધું હતું. આ સિવાય આરબ દેશોના, મુસ્લિમ દેશોના અને બીજા મોરચા હતા. વીતેલી સદીનો અનુભવ એવો છે કે કોઈ મોરચા સફળ થયા નથી, પણ એ છતાં મોરચાનો એક રોમાંચ હોય છે. આપણે મળીને પ્રતિસ્પર્ધીને સીધોદોર કરી દેશું.

ચીનની સફળતાનું રહસ્ય ચીનમાં લોકશાહીનો અભાવ અને ચીની શાસકોની નાગાઈ છે એવું જે કહેવામાં આવી રહ્યું છે, એમાં તથ્ય જરૂર છે, પણ સંપૂર્ણ સત્ય નથી. ભારત તો ઠીક, પણ પહેલી હરોળના લોકશાહી દેશો સુદ્ધાં ચીન સામે હાંફી રહ્યા છે, એનાં કારણ પણ એ જ છે જે ચીનમાં જોવાં મળી રહ્યાં છે. એ છે, લોકશાહી વ્યવસ્થાની અંદર સત્તાકીય સ્વાર્થની નાગાઈ અને લોકશાહી વ્યવસ્થામાં છીંડા પાડવાં. ભારતની વાત કરીએ તો ભારત હજુ હમણાં સુધી, ૨૧મી સદીના પ્રભાતે, ૨૧મી સદીના ટાઇગર અને ચીન પછીના રનર અપ તરીકે ઓળખાતું હતું. શા માટે ભારતે એ તક ગુમાવી દીધી? કારણ દેખીતું છે; કાઁગ્રેસ કે ભા.જ.પ., આ સરકાર કે તે સરકાર જશ ન ખાટી જવા જોઈએ. દેશ ભલે ખાડે જાય પણ તમને જશ ખાટવા નહીં દઈએ એવી જે લોકશાહી અંતર્ગત સત્તાકીય નાગાઈ હતી, એનું પરિણામ લોકશાહી દેશોની નિષ્ફળતા અને ચીનની સફળતા છે. ચીનની ઉઘાડી નાગાઈ સામે લોકશાહી દેશોના શાસકોની છૂપી નાગાઈ પરાજીત થઈ છે. લોકશાહી વ્યવસ્થા પરાજીત નથી થઈ.

બીજું, આર્થિક રીતે સંપન્ન લોકશાહી દેશોએ આર્થિક રીતે વિકસી રહેલા કે અવિકસિત ગરીબ લોકશાહી દેશોને ક્યારે દિલથી મદદ કરી છે? જગતના સૌથી સમૃદ્ધ લોકશાહી દેશે (અમેરિકા) જગતના સૌથી મોટા લોકશાહી દેશ(ભારત)ને ક્યારે ય મદદ કરી નથી. દિલથી શું, દિલ વિના પણ મદદ કરી નથી. તેનું મિત્ર તો પાકિસ્તાન હતું. લોકશાહી દેશોએ જેટલા મોરચા રચ્યા છે કે રચ્યા હતા તેના કેન્દ્રમાં પ્રજાકેન્દ્રીય અને પ્રજાલક્ષી લોકતાંત્રિક શાસનવ્યવસ્થાની ગુણવત્તા વધારવાનો ઉદ્દેશ ક્યારે ય નહોતો. એ બધા મોરચાઓ કાં તો લશ્કરી હતા અથવા આર્થિક હિતના હતા. ગામના ઉતાર જેવા શાસકો અને એવા શાસિત દેશો અમેરિકા અને બીજા વિકસિત લોકશાહી દેશોના મિત્ર રહ્યા છે.

તો વાતનો સાર એ છે કે લોકશાહી નિષ્ફળ નથી નીવડી, લોકશાહી દેશોમાં શાસન કરનારા શાસકો નિષ્ફળ નીવડ્યા છે. દુષ્ટ શાસકો જગતની શ્રેષ્ઠ શાસન વ્યવસ્થાને પણ નિષ્ફળ બનાવી શકે છે એમ પ્રાચીન યુગથી મનીષીઓ કહેતા આવ્યા છે અને લોકશાહીના ઉદય પછી તો લિંકન અને નેહરુ જેવા અનેક મુત્સદીઓ અને રાજનીતિશાસ્ત્રજ્ઞો કહેતા આવ્યા છે. છૂપી નાગાઈ હંમેશાં ઉઘાડી નાગાઈ સામે પરાજીત થાય એ સનાતન સત્ય છે. પણ સનાતન સત્ય તો એ પણ છે કે બંધિયારપણું ખુલ્લાપણા સામે હંમેશાં પરાજીત થતું હોય છે. તમે તમારા સગાંસંબંધીઓ તરફ એક નજર કરી જુઓ. જે પરિવારોમાં મોકળાશ અને આઝાદી વધુ હશે એ પરિવારો આર્થિક અને બીજી દરેક રીતે વધારે સુખી હશે. મોકળાશ સમૃદ્ધિ રળી લાવે છે એમ અર્થશાસ્ત્રીઓ કહે છે. બાકી તો છૂપી નાગાઈ ઉઘાડી નાગાઈ સામે હંમેશાં પરાજીત થવાની છે.    

બીજા વિશ્વયુદ્ધ પછીના સાત દાયકામાં લોકશાહી અર્થવ્યવસ્થા વિકસવી જોઈતી હતી. જો સામ્યવાદનો એટલો બધો ભય હતો અને ભવિષ્યને લઈને ચિંતિત હતા તો સામ્યવાદી અર્થવ્યવસ્થા સામે લોકશાહી અર્થવ્યવસ્થા વિકસાવવી જોઈતી હતી. આવી સલાહ આપવામાં પણ આવી હતી, પણ ત્યારે તેને કાને ધરવામાં આવી નહોતી. ત્યારે લોકશાહી દેશોના શાસકોએ લોકશાહી અર્થવ્યવસ્થા વિકસાવવાની જગ્યાએ લોકશાહીનો લાભ લેનારી મૂડીવાદી અર્થવ્યવસ્થા વિકસાવી હતી. મૂડીવાદી અર્થવ્યવસ્થાએ પરિપક્વ થયા પછી કલ્યાણ રાજને જાકારો આપ્યો અને સાપીણ જેમ પોતાનાં બચ્ચાંને જ ખાય એમ લોકશાહીને ખાવાનું શરૂ કર્યું. જેટલી પ્રજાની ભાગીદારી ઓછી એટલો લાભ વધુ.

ટૂંકમાં કહીએ તો એક બાજુએ શી ઝિંગપિન્ગોએ અને બીજી બાજુએ લોકશાહી દેશોમાં શેઠજીઓએ જગત આખામાં પ્રજા ઉપર, શાસકો ઉપર, શાસનવ્યવસ્થા ઉપર અને એકંદરે રાજ્ય ઉપર કબજો કર્યો છે. બન્ને પક્ષે પ્રજાને બને એટલી બહાર રાખવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. ફરક માત્ર એટલો જ છે કે એક ઉઘાડી નાગાઈ છે અને બીજી છદ્મ નાગાઈ છે અને છદ્મ નાગાઈ ઉઘાડી નાગાઈ સામે પરાજીત થઈ રહી છે.

તો પછી આનો ઉપાય શું? આર્થિક રીતે મહાસત્તા બની ગયેલું ચીન લશ્કરી રીતે પણ તાકાતવાન બની ગયું છે અને હવે તો તેનો વિસ્તારવાદ છડેચોક નજરે પડી રહ્યો છે. એશિયા અને પ્રશાંત મહાસાગરના ૧૮ દેશો એવા છે જેની જમીન અથવા પાણી ઉપર ચીને કબજો જમાવ્યો છે કે દાવો કરી રહ્યું છે. ૧૮ એ કોઈ નાની સંખ્યા નથી. જાગતિક રાજકારણમાં આ અભૂતપૂર્વ ઘટના છે. જ્યારે વાસ્તવિકતાનો સામનો ન કરવો હોય ત્યારે અભ્યાસપંચ રચવાનો આપણે ત્યાં શિરસ્તો છે એમ જ્યારે કોરી વાસ્તવિકતા સ્વીકારતા ડર લાગતો હોય ત્યારે મોરચા રચો એવો વિશ્વદેશોનો શિરસ્તો છે. આ ન્યાયે ચીનનો મુકાબલો કરવા માટે ભારત, જપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ મળીને ‘ક્વાડ’ નામે ઓળખાતો quadrilateral security dialogue નામનો ચતુર્ભૂજીય કે ચતુષ્કોણીય મોરચો રચ્યો છે. એની બેઠક ગયા અઠવાડિયે મળી હતી જેમાં ભાગ લેવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ગયા હતા.

‘ક્વાડ’નું કોઈ ભવિષ્ય નથી એ નક્કી છે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકન પ્રમુખ હતા ત્યારે તેઓ ‘ક્વાડ’માં આવતા હતા અને ભાગતા હતા, ચીનને ગાળો આપતા હતા અને જ્યારે સ્પષ્ટ ભૂમિકા લેવાની વાત આવે ત્યારે મોઢું ફેરવી લેતા હતા. ઓસ્ટ્રેલિયાની નીતિમાં પણ સાતત્ય નથી. આ વખતે ઓસ્ટ્રેલિયાનું વલણ પીછેહઠ કરનારું હતું. ભારતના નેતાઓ હજુ હમણાં સુધી નક્કી નહોતા કરી શકતા કે ચીનના નેતાઓ સાથે હિંચકે બેસીને ઢોકળાં ખાવાં કે પછી મોરચામાં અગ્રેસર રહેવું. ગયા વરસની ગાલ્વાનની ઘટના પછી ભારત માટે ઢોકળાં ખાવાં-ખવડાવવાનો વિકલ્પ બંધ થઈ ગયો છે.

જો ચીનના માર્ગે ચીનનો મુકાબલો કરવો હોય તો ચીનની જેમ ઉઘાડી નાગાઈ કરતાં શીખી લેવું જોઈએ અને જો એ શક્ય ન હોય તો મોકળાશ દ્વારા વિકાસ તરફ લઈ જનારા લોકશાહી માર્ગની ગુણવત્તા સુધારવી જોઈએ. આ અકસીર ઈલાજ છે અને એમાં શાસંક રહેવાની જરૂર નથી. બાકી, ઇન્ડિયા ઈઝ ધ મધર ઓફ ઓલ ડેમોક્રસીઝ પણ કહેવું અને લોકશાહીની ઘોર ખોદવી એ બન્ને સાથે ન ચાલી શકે. આગળ કહ્યું એમ છદ્મ નાગાઈ ઉઘાડી નાગાઈ સામે જીતી ન શકે. નેવર, ક્યારે ય નહીં, આ સનાતન સત્ય છે. આ બાજુ ચીનના શાસકોએ ચીની પ્રજાને ડરાવવાનું શરૂ કરી દીધું છે કે જુઓ, દુશ્મનો સંગઠિત થઈ રહ્યા છે માટે તમારે ખામોશ રહીને શાસકોને મદદ કરવાની છે.

સવાલ એ છે કે પ્રજાના ખામોશ રહેવાથી રાજા વધારે શક્તિશાળી બને કે વધારે નાગો બને? વિચારો.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 30 સપ્ટેમ્બર 2021

Loading

વિદાયવંદના

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|30 September 2021

યોગેન્દ્ર વ્યાસ : ચાલો નિજ દેશ ભણી

“અત્યારે અમે પારિવારિક, સામાજિક, આર્થિક રીતે સુખ-સમૃદ્ધિના શિખરે છીએ. સંતાનો સદ્‌ગુણી, સંસ્કારી, સેવાપરાયણ છે છતાં લાંબા સમયથી ‘મનજી મુસાફર રે, ચાલો નિજ દેશ ભણી (Visitor Visaની) અવધ આપણી થઈ પૂરી’ એમ expiry dateનો અનુભવ થાય છે. પૌષ્ટિક ખોરાક, સારી ઊંઘ, વિટામિનો-દવા, યોગાસનો, પ્રાણાયામ, નિયમિત ત્રણ કિલોમીટર ચાલવું તથા ફિટ રહેવા ફાંફાં મારીએ છીએ, છતાં પત્નીને બી.પી., મને આઈ.બી.એસ. પ્રોસ્ટેટ, દમ, બહેરાશ, આંખે ઝાંખપ, ફ્રૅક્ચર પછી પગમાં રાખેલી પ્લેટ દસકાઓથી પજવે છે – ઉત્તરોત્તર પજવણી અસહ્ય થતી જાય છે, હજુ ખેંચ્યા કરવાનું શું કારણ ! આ પૃથ્વીના તખ્તા ઉપર ભજવવાની બધી ભૂમિકાઓ દિલપૂર્વક યથા મતિશક્તિ ભજવી લીધી. હવે તખ્તા ઉપર નકામી ભીડ શાને કરવી ? વળી એ માટે હજુ પેન્શન લેવું એ દેશ પર બોજો. એટલે તો એંસી પૂરાં થતાં વીસ ટકા વધારાનો લાભ પણ ન લીધો. હજુ પરિવાર, સમાજને ગળે ટીંગાઈ રહેવું એમાં આપણી શી શોભા ? ‘છે એમાં આપણી શોભા, કે વેળાસર જતાં રહીએ.’ અને લીલી વાડી મૂકીને જ નહીં, ભોગવીને જઈએ છીએ. શું શું નથી પામ્યાં અહીં? સર્વના સદ્‌ભાવનું સદ્‌ભાગ્ય મળ્યું, નતમસ્તક આભાર. મારાં પુત્ર, પુત્રવધૂ, પૌત્રી કે કોઇની ય કશી પૂછપરછ કરી પજવણી કરવી નહીં. બેસણું, શોકસભા, ક્રિયાકાંડ કશાંની જરૂર નથી. દેહદાન નહીં તો ઇલેક્ટ્રિક ભઠ્ઠી. પાંડવો હિમાલય ગાળવા ગયેલા. શ્રીરામજીએ સરયૂ નદીના નીરમાં સ્વયંને અર્પણ કરેલ એમ અમે ય વસતિ નિયંત્રણ માટે જરૂરી અને શાસ્ત્રમાં સમર્થિત નર્મદામૈયાના નીરમાં જલસમાધિ લઈએ છીએ, એને આત્મહત્યા ગણી નિંદા-ટીકા કરી શકો. પણ મીડિયામાં વ્યાપક રીતે જાહેર ચર્ચા પણ જરૂર કરવી.”

———————————————————————————————

નિવૃત્ત પણ પ્રવૃત્ત યોગેન્દ્ર વ્યાસ ગયા અને સાર્થક જીવનની એક દિલી બહસ છેડતા ગયા. ભાષાવિજ્ઞાનના અચ્છા અભ્યાસી અને વિદ્યાર્થીવત્સલ અધ્યાપક તરીકે જ્યોંકી ત્યોં ધરી દીન ચદરિયાં એવી એમની આભા હતી ને રહેશે. કૉલેજમાં આચાર્યથી માંડી યુનિવર્સિટી ભાષાસાહિત્ય ભવનના ડિરેક્ટર લગીની પાયરીઓએ હોવું અને અભ્યાસનિરત રહેવું, એનું એક પ્રતિમાન એ અવશ્ય હતા.

તંત્રીનો એમની સાથે ઠીક કાર્યપરિચય રહ્યો. ‘દિવ્ય ભાસ્કર’ના શરૂઆતી ગાળામાં (૨૦૦૩-૦૪માં) સંપાદકીય સલાહકાર તરીકેની મારી કામગીરીની સાથોસાથ ભાષાશુદ્ધિના એમના દાયિત્વની અમારી જુગલબંદી ‘ઊંધે ઘડે પાણી’ છતાં ઠીક ચાલી એમ આ લખતાં સાંભરે છે. (ભાસ્કર જૂથના ત્યારના એમ.ડી. સુધીર અગ્રવાલની એક ઉક્તિ મને યાદ રહી ગઈ છે : તમારા બે વચ્ચેની આપલે મને ગમે છે, કેમ કે કશુંક ચાવતાં મોંમાં દાંત વચ્ચે કાંકરો આવી જાય તેમ અશુદ્ધ જોડણી અને ભળતા શબ્દપ્રયોગો વાંચનારને ન વાગે એવું હું ઈચ્છું છું.) છેલ્લાં વર્ષોમાં વળી અમે ગુજરાતી લેક્ઝિકોનના ‘વર્ડ ઑફ ધ યર’ની ચયન સમિતિ પર ભેગા થઈ ઓર વાર્તાવિનોદ માણેલો તે પણ આ લખતાં સહજ યાદ આવે છે. સપત્નીક મૃત્યુ વહોરતાં  એમણે મૂકેલી નોંધ આ સાથે ઉતારી છે તે સ્વયંસ્પષ્ટ છે. યોગમૃત્યુ અગર સંથારો કે પ્રાયોપવેશન એ ન હોય તો પણ સંકલ્પમૃત્યુ એ નિઃશંક છે. લાંબી ચર્ચામાં નહીં જતાં વિદાયવંદના સાથે એટલું જ કહીશું કે સાર્થકજીવને સુધ્ધાં ક્યાંક ક્યારેક કોઈક રીતે વિરમવું રહે છે, એ નિઃશંક.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 02

Loading

...102030...1,7351,7361,7371,738...1,7501,7601,770...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved