એ હકીકત છે કે હિન્દુ રાજાઓનું શાસન હિન્દુસ્તાનમાં હોવા છતાં મોગલો ને અંગ્રેજો આ દેશ પર સેંકડો વર્ષો સુધી શાસન કરવામાં સફળ રહ્યા. અંગ્રેજોને આ દેશમાં શાસનની સગવડ કરી આપનારા મીરજાફર અને અમીચંદ આ જ દેશના હતા. જે પણ પ્રજાએ આ દેશમાં હુમલાઓ કર્યા તેનાં કરતાં આ દેશના લોકોની સંખ્યા વધારે જ હતી, છતાં સેંકડો વર્ષોની ગુલામી કરમે લખાઈ. આંતરિક વિખવાદો જ એટલા હતા કે એક થઈને સામનો કરવાનું સામર્થ્ય જ ન હતું. 1947માં આપણે આઝાદ થયા ને દાયકાઓ સુધી આ દેશ પર કાઁગ્રેસનું શાસન રહ્યું. એ શાસન દરમિયાન, બહુમતીને ભોગે લઘુમતીને આગળ કરવાનું જ ચાલ્યું અને બીજું સારું થયું હોય તો પણ, લઘુમતીનાં મતો મેળવવાનું રાજકારણ તો ભારતમાં પેધું પડ્યું જ ! એનું પરિણામ એ આવ્યું કે બહુમતીની અવમાનના વધતી જ ગઈ. મોગલોનાં શાસનમાં સારું થયું હશે, પણ હિન્દુઓને વટલાવવાનું ને મંદિરો તોડીને મસ્જિદો સ્થાપવાનું પણ થયું જ ! આ કોઈ પણ શાસક માટે ગૌરવની ઘટના ન હતી.
બાબરી મસ્જિદ તૂટી ત્યાં સુધી હિન્દુઓ માર ખાતા આવ્યા છે ને મતોનું રાજકારણ ચાલતું રહ્યું છે. મતોનું રાજકારણ ભા.જ.પ.નાં શાસનમાં પણ છે જ, પણ તેનું ટાર્ગેટ બદલાયું છે. હિન્દુત્વનો મહિમા વધ્યો છે, પણ વિધર્મીઓ મંત્રી કે રાષ્ટ્રપતિ નથી જ બન્યા તેવું નથી. આઝાદી પછી અન્ય મુસ્લિમ રાષ્ટ્રોની નજર ભારત પર રહી છે ને અહીં લઘુમતીનું રક્ષણ થાય છે કે નહીં, તેની ચોકી થતી રહી છે. એ રાષ્ટ્રો પોતાને ત્યાં લઘુમતીનું કેટલું રક્ષણ કરે છે તે દુનિયા જાણે છે. જમ્મુ-કાશ્મીર કાઁગ્રેસી શાસનમાં અલગ મુસ્લિમ રાષ્ટ્રની જેમ જ વર્ચસ્વ ભોગવતું રહ્યું. 370મી કલમ લાગુ હોવાથી અન્ય રાજ્યનો કોઈ નાગરિક કાશ્મીરમાં મિલકત વસાવીને રહી શકતો ન હતો. કાશ્મીર વિશિષ્ટ રાજ્ય હોવાનો લાભ પાકિસ્તાને લીધો ને તેણે કાશ્મીર પર કબજો મેળવવાની કોશિશ કરી જોઈ. એમાં ફાવટ ન આવી તો તેણે આતંકી પ્રવૃત્તિઓ ને હુમલાઓ વધાર્યા. પાકિસ્તાન અલગ થયું તે વખતે પણ ઓછું લોહી રેડાયું નથી. એ પછી પણ અહીં એવી માનસિકતા વર્ષો સુધી રહી, જેણે કોમી હુલ્લડોને જન્મ આપ્યો ને એમાં અનેક હિન્દુ-મુસ્લિમોનાં લોહી રેડાયાં. બંનેનું લોહી લાલ જ હતું, છતાં રેડાયું. એમાંથી કોને શું મળ્યું તેનો કોઇની પાસે જવાબ નથી. હા, કોણે શું ગુમાવ્યું તે બધાં જાણે છે. કેટલાંક વિધર્મીઓ આ દેશમાં પેઢીઓથી રહે છે, છતાં ભારતને પોતીકું રાષ્ટ્ર માનતા નથી એ દુ:ખદ છે. બીજી બાજુએ કેટલા ય મુસ્લિમો એવા પણ છે જેણે આ દેશને ગૌરવ અપાવવામાં કોઈ કસર રાખી નથી. અન્ય વિધર્મીઓને હિન્દુઓ સામે વાંધો નથી, પણ કેટલાક મુસ્લિમોને હજી હિન્દુઓ કાફર લાગે છે. તેમને તો મુસ્લિમો સિવાય બધાં જ કાફર લાગે છે ! આ સ્થિતિ માટે એમના ધાર્મિક નેતાઓ ને મૌલવીઓ જવાબદાર છે. આ દેશમાં ફરી એક વખત મુસ્લિમ શાસન સ્થાપવાની તેમની મુરાદ છે. એમને આ દેશમાં રહીને અનેક આડખીલી ઊભી કરવામાં જ રસ છે. વસ્તી નિયંત્રણમાં તેમનો કોઈ સહકાર નથી, આખા દેશમાં રસીકરણનો ઉપક્રમ ચાલતો હોય તો તેઓ સાથે નથી જોડાતા. હિન્દુ છોકરીઓને, પોતાની ઓળખ છુપાવીને પ્રેમ કે લગ્નમાં ફસાવવાનું નથી જ થતું એમ કહી શકાશે નહીં. પાકિસ્તાન જીતે તો ભારતમાં ફટાકડા ફોડનારા કોણ છે તે શોધવા દૂર જવું પડે એમ નથી. એકદમ તાજો જ દાખલો સી.ડી.એસ. બિપિન રાવત અને તેમની અધિકારી ટીમનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં કરુણ મૃત્યુ થયું તેનો છે. આખો દેશ આઘાતમાં હતો. કોઈનું મૃત્યુ થાય, ભલે તે દુશ્મનનું જ કેમ ન હોય, પણ આનંદ નથી થતો, પણ અહીંના કેટલાક મુસ્લિમોએ રાવતની મજાક ઉડાડતા મેસેજ કર્યા ને સ્માઈલીથી આનંદ પ્રગટ કર્યો. આવું એકાદ બેએ ન કર્યું, એ આંકડો હજારો પર પહોંચ્યો. પાકિસ્તાનના પૂર્વ અધિકારીએ પણ રાવત અને અન્ય અધિકારીઓનાં મૃત્યુ બદલ શોક પ્રગટ કર્યો ને એવું ઘણાં દેશોએ કર્યું, ત્યારે અહીંના કેટલાંક મુસ્લિમોએ મૃતકોની મજાક ઉડાવી ને આખી કોમને બદનામ કરી.
એનું સીધું પરિણામ એ આવ્યું કે દક્ષિણના ફિલ્મમેકર અલી અકબર અને તેમની પત્ની લ્યુસીઅમ્માએ ઇસ્લામ છોડવાનું એલાન કર્યું. અલી અકબર સી.ડી.એસ. બિપિન રાવતના મૃત્યુ પર હસવાવાળાઓથી નારાજ થયા. અલી અકબર જન્મે મુસ્લિમ છે ને કોઈ મુસ્લિમ એકાએક પોતાનો ધર્મ છોડવા ભાગ્યે જ તૈયાર થાય. આ સાહેબ સાધારણ માણસ નથી, ફિલ્મમેકર છે, તે તેમના જ ધર્મના લોકોના હસવાથી નારાજ થયા ને હિન્દુ ધર્મ સ્વીકારવાનું જાહેર કર્યું. તેમણે સ્પષ્ટ કહ્યું કે મુસ્લિમ ધર્મમાં તેમને વિશ્વાસ રહ્યો નથી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતના નિધનની ખબર મીડિયામાં આવી તો ઘણાં મુસ્લિમોએ હસતાં ઇમોજી રિએક્ટ કર્યાં. એનો અર્થ એ થાય કે રાવતના નિધનથી તેઓ ખુશ છે. ઘણાં મુસ્લિમોએ આપત્તિજનક કોમેન્ટ્સ પણ કરી. આ વાતે અલી અકબર આહત થયા છે. તેમને એ વાતનો પણ વાંધો પડ્યો છે કે મુસ્લિમોની આવી હરકતનો તેમના ધર્મગુરુઓએ કોઈ વિરોધ ન કર્યો. આવું કરીને તેમણે દેશના વીરોનું અપમાન કર્યું છે. આવું ભાગ્યે જ બને કે કોઈ મુસ્લિમ તેના જ બિરદારોથી આટલો નારાજ થાય ! આમ તો જન્મથી મળેલો ધર્મ છોડવાનું કોઈને ગમતું હોતું નથી, છતાં અલી અકબર એ છોડવા તૈયાર થયા તેના પરથી તેઓ કેટલા દુ:ખી થયા હશે તે સમજી શકાય એવું છે. અન્ય કિસ્સાઓમાં પણ કેટલાંક મુસ્લિમોએ હિન્દુ ધર્મ અપનાવ્યાની વાત છે. એ એમનો નિર્ણય છે, પણ એ પણ છે કે બધા જ મુસ્લિમોથી નારાજ થઈ શકાય નહીં.
આમ તો મસ્જિદ પર માઇક મૂકીને અજાન પઢવામાં ઘણાને ધ્વનિ પ્રદૂષણ લાગે છે. એ, એ રીતે સાચું છે કે બધા જ ધર્મવાળા માઇક પરથી એક સાથે સૂત્રો પોકારવા લાગે તો કાન કોતરાય તેમાં નવાઈ નથી. એનો ઈલાજ કેટલાક ધાર્મિકોએ એમ શોધ્યો કે ત્યાં અજાન થાય તો આપણે પણ માઇક પરથી હનુમાન ચાલીસા મૂકો. હવે આ કૈં ઉકેલ નથી. જો માઈકથી પ્રદૂષણ થતું હોય તો બીજું માઇક ચાલુ થાય તો પ્રદૂષણ વધે કે ઘટે? પણ અહીં ઈલાજ કરતા રોગને વકરાવવાનું વધારે મનમાં છે. જો કે જલપાઈગુડીના એક મસ્જિદના ઈમામ નજીમુલ હકે એટલું કર્યું કે તેણે અજાન પઢવાનું માઇક પરથી બંધ કરાવ્યું. તે એટલે કે માઈકના અવાજથી નજીકની શાળાના વિદ્યાર્થીઓના ભણતરમાં વિક્ષેપ પડતો હતો. એટલે આવું પણ છે. બધાં જ અહીનું ખાઈને અહીં જ ખોદે છે એવું નથી.
આમ તો ધર્મ અંગત બાબત છે, પણ આપણને તેના જાહેર પ્રદર્શન કે દેખાડાઓ વગર ચાલતું નથી. સંસારીઓના વરઘોડા ઓછા છે તે સાધુઓના પણ નીકળે છે ! હરિયાણાના મુખ્ય મંત્રીએ જાહેરમાં નમાજ પઢવા પર રોક લગાવી છે, તેને બિહારના ભા.જ.પ.ના ધારાસભ્યે સમર્થન આપતાં બિહારમાં ય લાગુ કરવાની વાત કરતાં ઉમેર્યું કે જાહેરમાં નમાજ પઢવાને કારણે ટ્રાફિક રોકાય છે. મુસ્લિમો જાહેરમાં નમાજ પઢતાં હશે, પણ ચાલુ ટ્રાફિકે પઢતાં હશે એ વાત ગળે ઊતરે એમ નથી. ખરેખર તો તમામ ધર્મના તમામ ધાર્મિક ઉપક્રમો જાહેર પ્રદર્શનથી મુક્ત રાખવા જોઈએ, પણ એવું થતું નથી. એવે વખતે એકને છૂટ ને બીજાને બંધી કરવા જતાં કચવાટ જ પેદા થાય એમાં શંકા નથી.
કેટલાક વિધર્મીઓ કટ્ટરવાદી ગણાયા છે. એની વટાળ પ્રવૃત્તિ કે ધાર્મિક ઝનૂનની હિન્દુઓ આજ સુધી ટીકા કરતા આવ્યાં છે. એ ઝનૂન હવે હિન્દુઓ પાળી રહ્યા હોય એવું તો નથીને? એટલું છે કે આપણે અનેક કોમ, ધર્મના લોકો સાથે નોકરી-ધંધાથી જોડાયેલા છીએ. કબીર, રહીમ, રસખાન ને બીજા ઘણાં કવિઓએ રામની ભક્તિ ગાઈ છે. કેટલા ય મંદિરોના પૂજારીઓ મુસ્લિમો છે. અયોધ્યા રામમંદિરમાં મુસ્લિમ રામભક્તો ભૂમિપૂજનમાં જોડાયા હતા. ફાફડા-જલેબી ખાતી વખતે એ યાદ નથી રહેતું કે જલેબી કોની મીઠાઇ છે? કોલ્ડ ડ્રિંક્સની હોટેલો, હાઇવે પરની હિન્દુ નામ ધરાવતી હોટેલોમાં નાસ્તો કર્યો છે, એમાંની બધી હિન્દુ હોટેલો છે? હવે એ હોટેલોનો બહિષ્કાર કરવાનું જ્ઞાન અપાય છે. મુસ્લિમ કંપનીઓની વસ્તુઓ ન ખરીદવાનું દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. કોઈને ન ગમે તો ન જાય, પણ ત્યાં ન જવાનું ભણાવવામાં આવે તે ઠીક નથી. બીજી તરફ મુસ્લિમો પણ લારીઓ પર વસ્તુઓ વેચે છે ત્યારે તેને ભ્રષ્ટ કરીને વેચે છે કે હિન્દુ મહિલાઓને કાવતરાનો ભોગ બનાવવાની રીતે જોવાય એ અક્ષમ્ય છે. કોઈને કોઈનાં વગર ચાલવાનું નથી, તો આટલું ઝેર કોઇના હિતમાં નથી. કોઈ અન્ય ધર્મી પ્રજામાં આટલો ભેદ નથી, તો આ બે કોમ સાથે રહે તો કોને હાનિ પહોંચે તે સમજાતું નથી.
હિન્દુ હોવાનું એ રીતે પણ ગૌરવ લેવાતું આવ્યું છે કે હિન્દુ ધર્મ જેવો ખુલ્લો બીજો ધર્મ નથી ને હિન્દુઓ જેવી બીજી સહિષ્ણુ પ્રજા નથી. પણ આ પરિસ્થિતિ હવે બદલાઈ રહી છે. આપણે ધર્મ પ્રીતિ માટે નહીં, પણ બીજાને બતાવી દેવા વધુ ધર્મ પ્રચાર, વધુ મંદિરો ને વધુ ઉત્સવોની હિમાયત કરતા થયા છીએ. આ કુદરતી નથી. કોઈ સ્વેચ્છાએ સંધ્યાપૂજા કરે કે માળા ફેરવે તેનો તો શો વાંધો હોય, પણ એની ફરજ પડે તેવી સ્થિતિ ઊભી કરવાનું બરાબર નથી. એ તો બીજાની દેખાદેખીથી વિશેષ કૈં નથી. ત્યાં પાંચ નમાજ પઢે છે એટલે આપણે પણ પૂજન અર્ચન કરવું જ જોઈએ એવો આગ્રહ ધર્મને સીમિત કરે છે. જે જન્મે હિન્દુ છે તે પરાણે પૂજા કરે તો જ હિન્દુ રહે એવું નથી. હિન્દુ ધર્મની વ્યાપકતા તેનાં ખુલ્લાપણામાં ને સહિષ્ણુતામાં છે. અતિ ધાર્મિકતાને રવાડે ચડાવીને આપણા કહેવાતા સાધુઓએ આશ્રમોમાં જે અનાચાર કર્યા છે તે જગજાહેર છે. એનું પુનરાવર્તન થાય તો જ હિન્દુ ધર્મ બચે એવું નથી. ધર્મ પાળવાનું નાટક કરીને કોઈ હિન્દુ મટે એના કરતાં પારદર્શી રહીને કોઈ હિન્દુ રહે એ વધારે ઇચ્છનીય છે. આપણે કોઈને બતાવવા કૈં કરવાની જરૂર નથી.
એ પણ સમજી લઇએ કે આ દેશ અનેક ધર્મ, જાતિ, કોમમાં વહેંચાયેલો છે. કોઈ દેશમાં આટલી જાતિ ને આટલા ધર્મ કે સંપ્રદાયો નથી. એક જ ઈશ્વરને માનનારા જુદી જુદી પરંપરા અને વૈવિધ્યને માને છે. એને કારણે આપણામાં એકતા નથી એવું પણ મનાય છે, પણ એ સાચું નથી. આ એકતા વૈવિધ્યપૂર્ણ છે એટલે બધાં એક ન લાગે, પણ એ વૈવિધ્યને કારણે જ અનેક સંપ્રદાયો ટકેલા છે તે ભૂલવા જેવું નથી. દરેકની પોતાનામાં આસ્થા છે. એ કોઈ પણ દબાણ વગર છે એ મહત્ત્વનું છે. હવે બધાં હિન્દુઓ એક છે એવું બતાવવામાં ફરજિયાત વિધિવિધાન પેલી વિવિધતાને ખતમ કરશે ને સરવાળે નુકસાન તો ધર્મને જ થશે. કોઈ પણ પ્રજા આટલાં વિદેશી આક્રમણો પછી તો ખતમ થઈ જાય, પણ નથી થઈ, તે પેલી વિવિધતામાં રહેલી એકતાને કારણે. એને બીજાને બતાવી આપવા ખતમ ન કરીએ. જો મુસ્લિમોની કટ્ટરતાનો વાંધો હોય તો હિન્દુઓની કટ્ટરતા પણ પરિણામ તો એ જ આપશે જે એણે આપ્યું છે. એટલું સ્પષ્ટ છે કે કોઈ પણ ધાર્મિક કટ્ટરતા ધર્મને તો ઉપકારક નથી જ ! વધારે શું કહેવું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 ડિસેમ્બર 2021