Opinion Magazine
Number of visits: 9570892
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજશક્તિ સામે લાચાર લોકશક્તિ

ડંકેશ ઓઝા|Opinion - Opinion|4 October 2021

દેશમાં અને દુનિયામાં લોકશાહીનું શું થવા બેઠું છે તે સમજ પડતી નથી! અફઘાનિસ્તાનનો કિસ્સો ચર્ચાને ચકડોળે છે. બધા થથરી ઊઠ્યા છે, પણ કોઈની પાસે એનો ઉકેલ હાથવગો તો નથી. એની દિશા પણ કોઈને દેખાતી નથી. લોકશાહીનું સત્ત્વ હણાયું હોય અને માત્ર સ્વરૂપ ટકી રહ્યું હોય એમ લાગ્યા કરે છે.

નાગરિકસમાજનું ઘડતર થયું હોય તેમ જણાતું નથી. ગુજરાતમાં, અમદાવાદમાં રાજપથ ક્લબ નજીકના ગ્રંથાગારમાં બજરંગદળના ડઝનેક સભ્યોએ ૨૯-૮ને શનિવારની રાત્રે સંસ્કૃતમાં લખાયેલા પ્રાચીન ગ્રંથ ‘કામસૂત્ર’ની નકલો બાળી અને આવાં ગંદાં પુસ્તકોનું વેચાણ થતું જોઈને હિન્દુઓની લાગણી ઘવાય છે, એવું નિવેદન કર્યુ. તેનાથી વ્યથિત થઈને જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધ લેખક ગુરુચરણદાસે ૧૯-૯ને રવિવારના ‘ટાઇમ્સ’માં લેખ લખ્યો. હિન્દુ તત્ત્વજ્ઞાનમાં ધર્મ, અર્થ અને મોક્ષ ત્રણની સાથે કામને પણ સામેલ કરવાના શાણપણની વાત કરી. પશ્ચિમી જગત સમજે તે પૂર્વે હિન્દુશાસ્ત્રો ઇન્દ્રિયોના ઉત્સવને સમજ્યા છે. આ વારસો એમ કલંકિત કરવાની જરૂર નથી એ વાત એમણે કરી. ગુજરાતમાં આપણે એ નિમિત્તે કોઈ શાણપણની વાત પણ ન કરી શક્યા! પુસ્તક બાળવા માટે નથી, વાંચવા માટે છે, એવું ન સમજાવી શક્યા, જ્યાં ‘વાંચે ગુજરાત’નું અભિયાન થઈ ગયું હતું!

રાજ્યના મુખ્ય મંત્રીએ દેખીતા કોઈ કારણ વિના એકાએક રાજીનામું આપ્યું. એની સાથે એમનું આખું મંત્રીમંડળ પણ વિદાય થયું. ચોવીસ કલાકમાં હાઈ કમાન્ડે નવા મુખ્ય મંત્રી ગુજરાતની પ્રજાને આપ્યા. એમની સોગંદવિધિ સાથે પૂરા મંત્રીમંડળની સોગંદવિધિ ન થઈ શકી, કારણ ઊભી થયેલી સ્થિતિમાં રાજકીય અસંતોષને ખાળવા માટે  સમય જોઈતો હતો.

રાજકીય પક્ષોમાં લોકશાહી પ્રક્રિયા ચાલતી નથી, એ ખાનગી વાત ચૂંટણીપંચ અને ન્યાયતંત્ર પણ જાણે છે. ‘હાઈકમાન્ડ’ શબ્દ ઇન્દિરા ગાંધીના વખતમાં વપરાયેલો, તે હવે દેશને ‘મજબૂત સરકાર’ મળવાથી ફરીથી ચલણી બન્યો છે. સન્નિષ્ઠ કાર્યકરોનું કશું જ ન ઊપજે અને હાઈ કમાન્ડ શબ્દ શિલાલેખ પરનું લખાણ બની જાય એમ થઈ રહ્યું છે.

લોકશાહીનું પિયરઘર ઍથેન્સ મનાય છે. ઍથેન્સનો નાગરિક પોતાનું ઘર સંભાળવાને બહાને રાજ્ય તરફ બેપરવાહ રહેતો નહોતો. વિવિધ વ્યવસાયોમાં રચ્યાપચ્યા રહેતા લોકોને પણ જાહેર કામો અંગેની આવશ્યક માહિતી તો હોય જ પ્રાચીન ગ્રીસની લોકશાહીમાં જે નાગરિક જાહેર પ્રશ્નમાં રસ લેતો નહીં તે નિરુપદ્રવી નહિ, પણ નકામો ગણાતો. આજે આપણે એવું કંઈ સમજતા નથી અને પોતાનામાં એકાંગી રીતે મગ્ન છીએ.

લોકશાહીની રીતે સમાજમાંથી ઊઠવા જોઈતા પ્રશ્નો એ હોઈ શકે કે પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓને પોતાનો નેતા નક્કી કરવાનો અધિકાર કેમ ન હોવો જોઈએ? હાઈ કમાન્ડ પોતાની મરજીમાં આવે ત્યારે અને તે રીતે સરકારને બદલી નાખે તો સરકાર બદલવાના લોકોના અધિકારનું શું? રાજકીય પક્ષને એક વાર બહુમતી મળી પછી પાંચ વરસ સુધી પોતાને મન ફાવે તેમ વર્તે અને પ્રજા લોકશાહીનું નાટક જોતી રહે એવું લોકશાહીમાં અભિપ્રેત છે? નવા મંત્રીમંડળનો અને તે નિમિત્તે સોગંદવિધિનો જે કંઈ ખર્ચ થાય છે, તે પ્રજાએ શા માટે વેઠવો જોઈએ? R.T.I.ના જમાનામાં એ ખર્ચનો આંકડે મેળવીને, એ રાજકીય પક્ષ પાસેથી વસૂલ કરીને, સરકારી તિજોરીમાં જમા લેવાની વ્યવસ્થા થઈ શકે ખરી ?

‘નો રીપિટ થિયરી’ એમ કહીને જૂના મંત્રીઓને સરકારી બંગલા ફાળવાયા. નવા મંત્રીઓને શુભમુહૂર્ત જોઈને કાર્યરત બનાવાયા. તેથી જાહેર વહીવટનું સાતત્ય જળવાયું કે કેમ એ તપાસવાની કોઈને ચિંતા નથી. નવા નિશાળિયા બિનઅનુભવી અને નાની ઉંમરના હોય, ત્યારે વહીવટી તંત્રના ઉચ્ચ શિક્ષણ પામેલા અધિકારીઓ આ અલ્પ શિક્ષિત મંત્રીઓ પ્રત્યે આદર કેમ અનુભવશે તેનો પણ વિચાર કરવો રહ્યો. વહાણનું સુકાન નવાસવાના હાથમાં સોંપીએ તો એ કઈ દિશામાં લઈ જાય અને કેવી દશામાં મુકાવું પડે એની ચિંતા ખરી કે નહિ.

આવા કોઈ પ્રશ્નો જાણે પૂછવાના જ બંધ થઈ ગયા છે. આઝાદ ભારતમાં પહેલી વાર આવો નવતર પ્રયોગ થયો છે, એમ કહીને હાઈકમાન્ડનાં ઓવારણાં લેવાય છે, પણ રાજ્ય અનવસ્થામાં મુકાશે તેનું શું? કોઈકે ‘કામરાજ યોજના’ને યાદ કરી છે. અમુક ઉંમરથી મોટાને માર્ગદર્શકમંડળમાં બઢતી આપવાનું દેશના રાજકીય પક્ષે ૨૦૧૪માં પણ નક્કી કરેલું. હવે લોકશાહીનો તો સિદ્ધાંત છે કે કાયદો ઘડનાર કાયદાથી પર ન હોઈ શકે. આવી યોજના ઘડનારનું શું થશે? એને પણ કાયદો લાગુ પડશે કે પેલા શાશ્વત નિયમનો આધાર લેવાશે, જેમાં કહેવાયું છે કે પ્રત્યેક નિયમને અપવાદ હોય છે. અપવાદ વિનાનો નિયમ સાંભળ્યો નથી.

આજે રાજકારણ અતિશય માત્રામાં વધી ગયું છે. પ્રજામાંનો એક પક્ષ બચાવમાં છે તો બીજો પક્ષ તમાશો જોવામાં વ્યસ્ત છે. લોકશાહી સરકારના હવાલે નથી, તો પ્રજાના હવાલે પણ નથી. આવા સમયને વર્ણવવા માટે શબ્દો ઓછા પડે એવું છે.

લોકશાહીમાં લોકશક્તિનું નિર્માણ ન થાય, તો લોકોની પ્રતિકારશક્તિ નબળી પડે છે. નાગાલૅન્ડમાં વિરોધપક્ષ વિનાની સરકાર રચાઈ રહી છે. પંજાબમાં ગુજરાત જેવી જ રાજકીય દખલગીરી હાઈ કમાન્ડ દ્વારા થઈ રહી છે. ત્યાં પણ મંત્રીમંડળ અને મુખ્ય મંત્રી બદલાયા છે. મુખ્ય બે રાજકીય પક્ષો દેશની લોકશાહીને બચાવવામાં સક્ષમ પુરવાર થશે ખરા કે?

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 09

Loading

નીટ સામે તામિલનાડુનો વિરોધ

રમેશ બી. શાહ|Opinion - Opinion|4 October 2021

તામિલનાડુ સરકારે તાજેતરમાં નીટ[The National Eligibility cum Entrance Test]નો વિરોધ કરીને ચર્ચા જગાવી છે. એ માટે એમણે એક સમિતિ રચી હતી અને એ સમિતિના અભ્યાસપૂર્ણ આધાર ઉપર તેમણે નીટની પ્રથામાંથી નિકળી જવાનો નિર્ણય કર્યો છે. તબીબી શિક્ષણમાં નીટનો પ્રવેશ પ્રમાણમાં નજીકનો ભૂતકાળ છે. એની વિગતમાં આપણે નહીં જઈએ. પણ એ પૂર્વે જે પ્રથા સમગ્ર દેશમાં ચાલતી હતી એનો ટૂંકમાં પરિચય આપીશું.

નીટની પ્રથા પહેલાં મેડિકલ કૉલેજોમાં ૧૨મા ધોરણના પરિણામને આધારે પ્રવેશ આપવામાં આવતો હતો. એ પૂર્વ પણ ઈન્ટર સાયન્સમાં વિદ્યાર્થીએ મેળવેલા માર્ક્સના આધારે રાજ્યની મેડિકલ કૉલેજોમાં પ્રવેશ આપવામાં આવતો હતો. ટૂંકમાં, ઈન્ટર સાયન્સની અને એ પછી ૧૨મા ધોરણની પરીક્ષા મેડિકલ કૉલેજોમાં પ્રવેશ માટેની પરીક્ષા બની હતી. એની જગ્યાએ નીટની પ્રથામાં હવે રાષ્ટ્રીય ધોરણે પાત્રતા અને પ્રવેશ પરીક્ષા યોજવામાં આવે છે. એમાં પાસ થનાર વિદ્યાર્થી મેડિકલમાં પ્રવેશ મેળવી શકે છે.

આનું પરિણામ તામિલનાડુની સરકાર નિયુક્ત સમિતિએ દર્શાવ્યું છે. આ માત્ર ૨૦૧૬-૧૭થી ૨૦૨૦-૨૧ વચ્ચેનાં પરિણામ દર્શાવે છે. સમિતિએ આપેલા આંકડા પ્રમાણે તામિલનાડુમાં સી.બી.એસ.સી. શાળાઓનાં વિદ્યાર્થીઓનું પ્રમાણ ૦.૯૭%થી વધી ૩૮.૮૪% થયું છે. રાજ્યના બોર્ડના વિદ્યાર્થીઓનું પ્રમાણ ૯૮.૨૩%થી ઘટીને ૫૯.૪૧% થયું છે. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીનું પ્રમાણ ૮૫.૧૨%થી વધીને ૯૮% થયું છે. તેની સામે તમિલ માધ્યમ રાખનારા વિદ્યાર્થીઓનું પ્રમાણ ૧૪.૮૮%થી ઘટીને ૨% થયું છે. જે વિદ્યાર્થીઓના વાલીઓની વાર્ષિક આવક ૨.૫ લાખથી ઓછી હતી એનું પ્રમાણ ૪૭.૪૨%થી ઘટીને ૪૧.૦૫% થયું છે. એની સામે જે વાલીઓની વાર્ષિક આવક ૨.૫ લાખથી વધારે હતી એનું પ્રમાણ ૫૨.૧૧%થી વધીને ૫૮.૯૫% થયું છે. રાજ્યની સરકારી કૉલેજમાં ગ્રામીણ વિદ્યાર્થીઓનું પ્રમાણ ૬૫.૧૭%થી ઘટીને ૪૯.૯૧% થયું છે. અને શહેરી વિદ્યાર્થીઓનં પ્રમાણ ૩૪.૮૩%થી વધીને ૫૦.૦૯% થયું છે. ખાનગી કૉલેજમાં ગ્રામીણ વિદ્યાર્થીઓનું પ્રમાણ ૬૮.૪૯%થી ઘટીને ૪૭.૧૪% થયું છે અને શહેરી વિદ્યાર્થીઓનું પ્રમાણ ૪૧.૫૧%થી વધીને ૫૨.૮૬% થયું છે.

આ આંકડાઓમાંથી એ સ્પષ્ટ થાય છે કે નીટની પ્રથા ગ્રામીણ વિદ્યાર્થીઓની વિરુદ્ધમાં શહેરી વિદ્યાર્થીઓને પસંદગી આપે છે. અંગ્રેજી માધ્યમને ભારે ઉત્તેજન આપે છે અને પ્રમાણમાં શ્રીમંત કુટુંબના સંતાનોને લાભ આપે છે.

આની સાથે વાત સંકળાયેલી એક વાત નોંધવા જેવી છે. નીટની પરીક્ષા પાસ કરનાર કોઈ વિદ્યાર્થી એવો ન હતો કે જેણે ૨-૩ વર્ષ કોચિંગમાં પરીક્ષાની તાલીમ લીધી ના હોય. આ પ્રકારની પરીક્ષાઓ માટે કોચિંગ ક્લાસમાં શિક્ષણ લેવું અનિવાર્ય થઈ ગયું છે. પણ એ માટે કોચિંગ ક્લાસની તગડી ફી ભરવાની વાલીની તૈયારી હોવી જોઈએ. ગ્રામવિસ્તારોમાં આવા કોચિંગ ક્લાસીસ ન મળવાથી એ વિસ્તારના વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવાની તાલીમ મળતી નથી. આને કારણે આ પરીક્ષાએ રાષ્ટ્રીય ધોરણે મોટી અસમાનતા સર્જી છે.

આપણે શિક્ષણને સંયુક્ત યાદીમાં રાખ્યું છે એનો અર્થ એવો થાય છે કે શિક્ષણનાં સુધારા અને પ્રથા રાજ્યો પોતાનાં આગવાં રાખી શકે છે. પણ સમવાયતંત્રને ભૂલીને આપણે રાષ્ટ્રીય ધોરણની વાત કરવા માંડી છે. આમાં આપણે ભૂલી છીએ કે ભારતનાં રાજ્યો વચ્ચે મોટો તફાવત છે એનો એક જ નિર્દેશ કરીએ. જે પાંચ રાજ્યોમાં આગામી મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે તેની માથાદીઠ આવક કેટલી છે એ નોંધીએ, તેમાં ગોવાની આવક ૩ લાખ જેટલી છે. પંજાબની આવક ૧.૧૯ લાખ છે. મણિપુરની આવક ૫૪,૦૦૦ અને ઉત્તર પ્રદેશની આવક ૪૫,૦૦૦ છે આ તફાવત રાજ્યોની ક્ષમતાનો નિર્દેશ કરે છે. રાજ્યો કેટલું કરી શકે એમ છે એનો આછો પાતળો ખ્યાલ આ આંકડાઓને આધારે આવે છે. આ વાસ્તવિક્તાને ભૂલી આપણે રાષ્ટ્રીય ધોરણની વાતો કરીએ છીએ તેમાં ગરીબ રાજ્યોના નાગરિકોને પરોક્ષ રીતે અન્યાય થાય છે.

મેડિકલના શિક્ષણમાં રાષ્ટ્રીય ધોરણની વાત કરીએ છીએ પણ નાગરિકોને દેશમાં એક સરખા ધોરણે તબીબી સારવાર મળવી જોઈએ એ વાત ભૂલી જઈએ છીએ. દેશના ગ્રામીણ વિસ્તારમાં લોકોને ઊંટવૈદાથી ચલાવવું પડે છે અથવા તો કોઈ તબીબી સારવાર વિના જ મરવું પડે છે. આ અસમાનતા આપણને ખૂંચતી નથી. જરૂરિયાત તો રાજ્યના ધોરણે એની ક્ષમતા પ્રમાણે તબીબી શિક્ષણની યોગ્ય પ્રથા ગોઠવવાની છે જેથી નાગરિકોને સદૈવ તબીબી સારવાર મળી શકે.

શિક્ષણ સમાનતાની દિશામાં મોટું પરિબળ બની શકે છે એ વાત ભૂલાઈ ગઈ છે અને શિક્ષણ અસમાનતાને વધારનાર પરિબળ બની ગયું છે. સ્વર્નિભર કૉલેજોની પ્રથા દાખલ કરીને આપણે શિક્ષણને અસમાનતાનું સાધન બનાવી દીધું છે. હવે મેરિટ બજારથી ખરીદવાની વસ્તુ બની ગઈ છે. કોચિંગ ક્લાસના આધારે વિદ્યાર્થીઓ નીટની પ્રવેશ પરીક્ષા કેવી રીતે પાસ કરવી એ શીખી લે છે પણ એ માટે પૈસા હોવા જોઈએ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 10

Loading

રઈશ મનીઆર કૃત ‘ડૂબકીખોર : મનના દરિયાની સફર કરાવતી વાર્તાઓ’

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|3 October 2021

નાનકડી અંગત વાત સાથે શરૂઆત કરીશ. ડો. મુસ્તાક કુરેશી અમારાં પારિવારિક મિત્ર. આ વખતે મારી વર્ષગાંઠને અલગ રીતે યાદગાર બનાવી. સવારે ફોન પર કુરેશી સાથે હેપ્પીવાલા બર્થડેનું ગીત સૂરીલી લઢણે ગાતાં એમણે મને કહેલું કે હું સાંજ સુધીમાં તમને રૂબરૂ મળી જઈશ, અને ખરેખર એમણે રઈશ મનીઆરના વાર્તાસંગ્રહ ‘ડૂબકીખોર – મનના દરિયાની સફર કરાવતી વાર્તાઓ’ની ભેટ સાથે સાંજ યાદગાર બનાવી. આ પુસ્તકની વાર્તાઓને વાંચી, સૂંઘી, માણી, નાણીને અભિજાત જોશીએ ‘ગુજરાતી વાર્તાવિશ્વનો સાચુકલો અવાજ’ કહીને નવાજી છે. વાસ્તવમાં તો એવી છાપ કે ડો. રઈશ મનીઆર તો ગઝલ, દરેક પ્રકારનાં કાવ્યો અને મુશાયરા-કવિ સંમેલનનો ગઝલકાર-કવિ. એક સમયે એમની હાસ્ય-કવિતાઓની એક નાનકડી પુસ્તિકા હું હાથવગી રાખતી, જેથી ‘હાસ્યાંજલિ’માં પઠન કરી શકાય. મને યાદ છે કે મારે અહીં એમના વાર્તાસંગ્રહ વિશે લખવાનું છે.

કોઈ વ્યક્તિ ડોક્ટર, સામાજિક કર્મશીલ, વકીલ, પોલીસ, શિક્ષક-પ્રોફેસર હોય અને સાથે લેખક-વાર્તાકાર હોય તો શું થાય? એના વ્યવસાયનો અનુભવ અને જ્ઞાન એનાં લખાણમાં ડોકિયું કરી જાય અને વાંચીએ ત્યારે લાગે કે આપણે સાચુકલી વાતમાંથી પસાર થઈ રહ્યાં છીએ. એ વાર્તા પછી પરિકલ્પના તરીકે જ  સામે ન રહે, પરંતુ નજર સામે ભજવાતી હોય એવું લાગે. આ વાર્તાસંગ્રહની બાર વાર્તાઓમાંથી પસાર થતાં પણ એવું લાગ્યું. વિષય વૈવિધ્ય તો અદ્દભુત જ સાથે અતાગ અને અથાગ મનનો દરિયો જેમાં તમે ડૂબકી મારો કે નાવડી લઈ હલેસાં મારો … તમારી મરજી.

આમ પણ હું વિવેચક નથી વાચક તરીકે ભાવક છું, વાર્તા સ્ત્રીની દૃષ્ટિએ તપાસી લેવાઈ તે વાત જુદી, પરંતુ અહીં કહેવું પડશે કે વાર્તાકારની તટસ્થતા બરકરાર રહી છે. ‘ડૂબકીખોર’ની અસલામતી અનુભવતી મા લખમી, ‘ચંદાનું વેકેશન’માં સેક્સ વર્કર તરીકે કાર્યરત ચંદા, ‘સવા ત્રણની બસમાં દીકરાની રાહ’માં માનસિક રીતે અસ્વસ્થ થઈ ગયેલી મા, ‘ઉપર કશું છે?’માં પ્રગટતી શ્રદ્ધાવંત મા, શનિરવિ’માં દિવ્યાંગ બાળક માટે સમર્પિત મા, ‘અનમોલ રતન’માં દીકરા માટે દીકરીઓ પ્રત્યે દુર્લક્ષ રાખતી છતાં છેવટે દીકરીઓ માટે કૂણો ભાવ રાખતી મા અમિતા, ‘કજોડું’માં નર્મદા અને ‘અનુબંધ’માં દીકરી માટે થઈને જીવન વહેણને ગતિશીલ રાખતી અમોલા સહિત માતાઓનું વિવિધ સ્વરૂપ અહીં ઉજાગર થયું છે. દરેક વાર્તામાં કોઈને કોઈ રીતે માતાની સ્થૂળ કે સૂક્ષ્મ હાજરી છે છતાં આ ફક્ત ‘માતૃ વંદના’ માટે જ લખાયેલી વાર્તાઓ નથી. આ વાર્તાઓમાં પ્રેમકથા છે, પ્રવર્તમાન આધુનિક મૂલ્યોથી જન્મતો દ્વંદ્વ છે, કલ્પનાતીત કહેવાય તેવી વિષયવસ્તુ લઈ આવતી ઘટના આધારિત ગંગામાં લાશને શોધવાના વ્યવસાય કરતા નાવિક અને ડૂબકીખોર છોટુની જીવનચર્યા છે તો રેશનલ વલણ સાથે પ્રગટતી કહેવાતી બરછટ વર્તણૂંક છતાં માનવીય સંવેદનાનો આવિર્ભાવ, સ્ત્રી તરીકેની મર્યાદાઓ સાથે પ્રગટતું સ્ત્રીચરિત્ર, આતંકવાદનો ઓછાયો, સાત સહેલી પ્રદેશની યુવતીની કુટુંબકથા, લિંગભાવ સંદર્ભે પરંપરાગત સામાજિક માન્યતાઓનું દ્રઢિકરણ અને સમાજ, દિવ્યાંગ બાળક માટેની માતાની સમર્પિતતાનાં કારણે ભોગ બનતાં સામાન્ય બાળકની માનસિકતા, નાનાં ઘરોમાં મળતાં એકાંતના અભાવનાં કારણે પેદા થતી પરિસ્થિતિમાં પોલીસનું વર્તન અને આમ આદમી તરીકે વગર વિચાર્યે ધારણાઓ બાંધી લેવાની સહજ વૃત્તિ, મિલકત માટે કોઈ પણ હદે જઈ શકતા કુટુંબીઓ, વેરાન-બંજર જમીન પર ઊભી થતી વસાહતો અને શહેરીકરણ, શિક્ષણનું મહત્ત્વ સમજતો ગરીબ કે કહેવાતો  પછાત  વર્ગ, મૃત્યુની વાસ્તવિકતા પર ચિંતન જેવા મુદ્દાઓ પણ વાર્તાઓમાં ખાસ્સા વણી લેવાયા છે અને તે સુપેરે ઉજાગર થાય છે.

વલસાડી ભાષાપ્રયોગ અને પારડી-વાપી-ઉમરગામ જેવાં સ્થળોનો ઉલ્લેખ પોતીકો લાગે. 'ગલવાઈ ગીયો’ શબ્દપ્રયોગ તો અનાવિલોનો જ છે એવી મારી દ્રઢ માન્યતા ખોટી છે, તે અહીં એના બેએક વાર થયેલા ઉલ્લેખથી સમજાયું. જો કે અમે ગલવાઈ જવાના શબ્દપ્રયોગ સમાંતર ‘બલવાઈ જવું’ શબ્દપ્રયોગ પણ કરીએ! મોપાસાં, સ્ટેફાન ઝ્વીગ, ચેખોવ, ટાગોર અને અન્ય નામી-અનામી વાર્તાકારોની વાર્તાકલાથી પોતે પ્રભાવિત છે એવું રઈશ લખે છે. તો પણ પોતાની વાર્તાશૈલીને એ લોકપ્રિય આલેખન અને વિવેચકો વખાણે તેવા સાહિત્યિક માપદંડમાં સફળ થતી અટપટી, મુશ્કેલ અને જટિલતા રૂપે પ્રગટતી કલાની વચ્ચે અંકિત થતી માને છે. એની પ્રસ્તાવના પર પદ્યની અસર લાગે પરંતુ વાર્તાઓમાં કવિતા કરતાં વાસ્તવ-દર્શન વધારે છે. મનોગત એકોક્તિ પણ ખાસ્સી મુખરિત થતી રહે છે. મને સૌથી વધારે અસર બે વાત પર થઈ કે એક જ બાળક પર જાણેઅજાણે ધ્યાન આપવાની એકાંગી વૃત્તિ બીજાં બાળકોની જિંદગી પણ બેહાલ કરી શકે, દીકરાને ચગાવી મારવાનું વલણ એને માટે જ ખતરનાક બને છે તે માતા-પિતા તરીકે સમજવું જોઈએ. રઈશનાં મનના દરિયામાં સ્ત્રીઓને દીકરા માટે મોહ વધારે હોય એ માન્યતા તરતી રહેતી હોય એવું મને લાગ્યું, પરંતુ સ્ત્રીઓમાં એ વલણ કેમ સ્થિત થઈ ગયું છે તે પણ સમજવાનો મુદ્દો છે એવું પણ લાગે છે.

આજકાલ હું ગ્લુકોમા અને મોતિયો પીડિત છું, એટલે એકી બેઠકે વાંચી શકું એમ તો નથી, છતાં ૧૭૮ પાનાં વાંચી તો લીધાં! કારણ કે આ વાર્તાઓમાં એવું કંઈક તો છે જે એક વાર્તા વાંચવાની શરૂ કરો તો પછી પૂરી ન કરો ત્યાં સુધી ચેન ન પડે! ખાસ કરીને જેમને સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક હદ ઓળંગી માનસિક પરતો ઉકેલીને દુનિયાને સમજવી છે તેમને આ વાર્તાઓ વાંચવી ગમશે એવું મને લાગે છે.

પ્રકાશક : આર.આર. શેઠ – સંપર્ક: ૦૨૨-૨૨૦૧૩૪૪૧ – Email:sales@ rrsheth.com  – www.rresheth.com 

“AadiRaj", Behind Jalaram Temple, Halar Road, Valsad 396 001 Gujarat, India.

Loading

...102030...1,7311,7321,7331,734...1,7401,7501,760...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved