આજે સવારે એક મિત્રએ ફોન કરીને મને પૂછ્યું : કિસાન કાયદા રદ્દ થયા એ વિષે તમારો શું પ્રતિભાવ છે ? થોડીવાર અટકીને મેં કીધું : આપણા બાપદાદાઓ કહેવતો રૂપે પ્રતિભાવ આપી ગયા છે. ગુજરાતીમાં એક કહેવત છે : "વાર્યા ન વળે, પણ હાર્યા વળે”. એક કહેવત હિન્દીમાં પણ છે : "બુંદસે ગઈ વો હોજ સે નહીં આતી”.
આજે મારો ઈરાદો "ડ્રગ્સ" વિષે, આપ સહુ દોસ્તો સાથે, પચાસ ગ્રામ જેટલી વાતો કરવાનો છે. અમેરિકામાં ડ્રગના બંધાણીઓ માટે સરકાર રિહેબિટેશન સેન્ટરો ચલાવે છે. થોડાં વર્ષ પહેલાં મેં ફિલાડેલફિયામાં ચાલતા એક મોટા સેન્ટરમાં સૂચી વ્યાસ સાથે અર્ધો દિવસ વિતાવ્યો હતો. કવિતાઓ વાંચી હતી, સારી પ્રેરણાત્મક વાતો કરી હતી, એ સમયની અહીં તસ્વીર મૂકી છે. મારા શ્રોતાઓમાં ડ્રગ માફિયાઓ અને મોટા ક્રિમિનલો હતા. આ સેન્ટરનો એક માત્ર ઉદ્દેશ એટલો જ છે કે ડ્રગ માફિયાઓ સાથે પ્રેમપૂર્વક સંવાદ થાય તો ક્રિમિનલો બદલી શકે છે. અહીં શહેર કે ગામનાં નામ બદલવાની મૂર્ખતા નથી, પણ માણસ બદલવાની પ્રક્રિયા છે. મુદ્દો અહીં મનુષ્ય ગૌરવનો છે. અર્ધો દિવસ હું ડ્રગ માફિયા સાથે રહ્યો. વિદાય લીધી ત્યારે સહુ ઈમોશનલ થઇ ગયા. આપણે ત્યાં પણ જેલોમાં જઈને ક્રિમિનલો સાથે સત્સંગ કરવા અનેક મિત્રો જાય છે તે સરાહનીય છે. આ તો એક આડ વાત થઇ. મુદ્દો એ છે મનુષ્ય શા માટે ડ્રગનો બંધાણી થઇ જાય છે? કઈ લાચારી છે?
વિખ્યાત સર્જક કવિ એડગર એલન પો ખૂબ નશેડી હતા. કવિએ પોતે જ પોતાના નશા વિષે લખ્યું છે : "મને તે ઉત્તેજકોનો બિલકુલ આનંદ નથી કે જેમાં હું ક્યારેક ખૂબ જ પાગલ થઈ જાઉં છું. તે આનંદની શોધમાં નથી કે મેં જીવન અને પ્રતિષ્ઠા અને કારણને જોખમમાં મૂક્યું છે. ત્રાસદાયક યાદોમાંથી, અસહ્ય એકલતાની લાગણી અને કેટલાક વિચિત્ર તોળાઈ રહેલા વિનાશના ભયથી છટકી જવાનો તે ભયાવહ પ્રયાસ રહ્યો છે."
અહીં તમે જુઓ કે વ્યસનની શરૂઆત એવી આશા સાથે થાય છે કે જે કંઈક 'બહાર' છે તે તરત જ અંદરની ખાલીતાને ભરી શકે છે. એકદરે અંદરથી માણસ સાવ ખાલી ખાલી છે. ખાલીપાના ડબ્બામાં તમારે શું ભરવું એ તમારી વિવેકબુદ્ધિ પર આધાર રાખે છે. કચરો પણ ભરી શકો છો અને ડ્રગના પેકેટ પણ ભરી શકો છો. આધુનિક સમાજ લોકોને હતાશ બનાવતી પરિસ્થિતિઓને દૂર કરવાને બદલે તેમને એન્ટીડિપ્રેસન્ટ દવાઓ આપે છે. વાસ્તવમાં એન્ટીડિપ્રેસન્ટ્સ એ વ્યક્તિની આંતરિક સ્થિતિને એવી રીતે સંશોધિત કરવાનું એક માધ્યમ છે કે જેથી તે સામાજિક પરિસ્થિતિઓને સહન કરી શકે, જે અન્યથા તેને અસહ્ય લાગે.ન શો અનેક પ્રકારનો હોય છે એ પછી શિવરાત્રીમાં પીવાતી ભાંગ હોય કે ચલમમાં પીવાતો ગાંજો હોય કે બારમા પીવાતો શરાબ હોય. એ સિવાય અંધભક્તિનો નશો હોય છે, સત્તાનો નશો હોય છે, માલિકીનો નશો હોય છે. આજકાલ અમારા મુંબઈમાં ડ્રગ્સ વિષે બહુ સમાચારો પ્રગટ થાય છે. એક બાજુ હજારો કરોડનું ડ્રગ્સ ગુજરાત અને બીજાં શહેરોમાંથી પકડાય છે એની કોઈ વાત કરતું નથી, અને બીજી બાજુ, પંદર વીસ ગ્રામ ડ્રગ વિષે આખા દેશમાં હો…હો… ગોકીરો થઇ રહ્યો છે. આનો જવાબ ગુજરાતી ભાષાની કહેવત આપે છે : "દરવાજા મોકળા અને ખાળે ડૂચા”.
સૌજન્ય : અનિલભાઈ જોશીની ફેઇસબૂક દિવાલેથી સાદર, 21 નવેમ્બર 2021