Opinion Magazine
Number of visits: 9676161
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચૂંટણી ન હોય તો રાજકારણીઓ લોકો પર થૂંકે પણ નહીં –

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 November 2021

ઓર્ગેનિઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કંટ્રીઝ – ‘ઓપેક’ તરીકે ઓળખાય છે. આ ઓપેક પેટ્રોલ ઉત્પાદન કરતાં દેશોનો સમૂહ છે ને તે ક્રૂડના ભાવો મરજી મુજબ વધારે-ઘટાડે છે. અત્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેટ્રોલના ભાવ આસમાને છે. એક તરફ વૈશ્વિક સ્તરે આર્થિક વ્યવસ્થાઓને ઠેકાણે લાવવા વિશ્વના દેશો મથી રહ્યા હોય, ત્યારે ઓપેક મનમાની રીતે ભાવો વધાર્યા જ કરે તો ઘણાં દેશોને તે ન પરવડે એ સ્વાભાવિક છે, એટલે અમેરિકાએ ઓપેકને ઓઇલનું ઉત્પાદન વધારવાનું સૂચન કર્યું, જેથી ભાવો કાબૂમાં રહે, પણ ઓપેકને તે માફક ન આવ્યું અને તેણે પોતાની રીતે જ વર્તવાનું ચાલુ રાખતા અમેરિકા, ભારત, ચીન, જાપાન સહિતના દેશોએ ઓઇલનો રિઝર્વ જથ્થો બજારમાં મૂકવાનું નક્કી કર્યું. આમ થાય તો જ  આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલનો ઉપાડ ઘટે અને ઓપેકને ઓઇલનું ઉત્પાદન વધારવાની અને ભાવો નિયંત્રિત કરવાની ફરજ પડે. એ રીતે અમેરિકાએ 5 કરોડ બેરલનો રિઝર્વ જથ્થો કાઢવાની વાત કરી છે ને એ દિશામાં ભારતે પણ તેનાં 3.7 કરોડ રિઝર્વ બેરલમાંથી 50 લાખ બેરલ બજારમાં મૂકવાનું નક્કી કર્યું છે. આમ થતાં વૈશ્વિક સ્તરે તો બહુ ફેર કદાચ નહીં પડે ને ભાવ તો ઘટતા ઘટશે, પણ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધે તો દેશમાં પેટ્રોલ મોંઘું કરવાનું જરા પણ પોષાય એમ નથી. રિઝર્વ જથ્થો બજારમાં મૂકીને સરકાર કમ સે કમ  દેશમાં ભાવ કાબૂ કરવા મથે છે ને ત્રણેક રૂપિયાનો ભાવમાં ઘટાડો થાય એમ પણ બને, પણ એવું જરા પણ માનવાની જરૂર નથી કે લોકોને મોંઘવારીમાં રાહત આપવા સરકાર રિઝર્વ જથ્થો બહાર કાઢી રહી છે. એમાં જીવદયા સિવાય જ બધું છે.

અત્યારે તો વૈશ્વિક સ્તરે ક્રૂડનો ભાવ બેરલના 85 ડોલરની આસપાસ ચાલે છે, પણ એપ્રિલ-મે, 2020માં લોકડાઉનની સ્થિતિ હતી ત્યારે ઓઇલનો વપરાશ જ એટલો ઘટી ગયો હતો કે ઓઇલ, બેરલના 19 ડોલર સુધી નીચે આવી ગયું હતું. ભારતે ત્યારે લગભગ 17 મિલિયન બેરલ ઓઇલ ખરીદ્યું હતું. ભારતને ઓઇલ સસ્તું મળ્યું હતું, પણ ઓઇલ સસ્તું આપવાને બદલે, વર્ષ દરમિયાન ભાવ વધારતા જઈને સરકારે દેશ ભરમાં પેટ્રોલ, લિટરના 100ની પણ ઉપર પહોંચાડી દીધું હતું. એમ કહેવાય છે કે એ વધારો, રસી મફત અપાતી હતી તે ખર્ચ સરભર કરવા થયો હતો. એ માની લઇએ, પણ એવો ખુલાસો જાહેરમાં કરતાં સરકારને કોણ રોકતું હતું? એવું જાહેર કર્યું હોત તો પ્રજાએ ખુશી ખુશી એ વધારો સ્વીકાર્યો હોત ને પોતાનું શોષણ થઈ રહ્યું છે એવા ભાવમાંથી પ્રજા ઊગરી ગઈ હોત.

આ ભાવ વધારાની માઠી અસર એ પડી કે દેશમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભા.જ.પ.નું તળિયું દેખાઈ ગયું ને સરકાર સમજી ગઈ કે વધતા ભાવોથી પ્રજા નારાજ છે ને તેણે રાતોરાત ડ્યૂટી ને વેરો ઘટાડી દઈને ઓઇલ 100ની નીચે લાવવાની કોશિશ કરી. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓપેક ભાવ વધારે તો ભારતે પણ ભાવ વધારવા જ પડે ને ભાવ વધે તો પ્રજા નારાજ થાય એ સ્થિતિ છે. આ વર્ષે દિવાળી સુધી તો પ્રજા ઓઇલને મામલે નારાજ થતી જ રહી, પણ સરકારે પૂરી બેશરમીથી ઓઇલના ભાવ વધાર્યા જ ! પણ, હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધે તો પણ સરકાર ઓઇલ મોંઘું કરી શકે એમ નથી, કારણ, 2022માં ઉત્તર પ્રદેશ, ગુજરાત અને અન્ય રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ને ભાવ વધારીને સરકાર પ્રજાને નારાજ કરી શકે એમ નથી. ભાવ વધારાનું પરિણામ ભા.જ.પે. પેટા ચૂંટણીમાં જોઈ લીધું છે. આથી વધુ ઝેરનાં પારખાં કરવા સરકાર તૈયાર ન જ હોય એ સમજી શકાય એમ છે.

એ જ કારણ છે કે સરકારે ત્રણ કૃષિકાનૂનો પાછા ખેંચવાની જાહેરાત કરી છે. એમાં એને ખેડૂતનું બહુ લાગી આવ્યું છે એવું નથી જ, પણ ખેડૂતો નારાજ રહે તો તેમના મત ગુમાવવાના થાય ને સ્થિતિ કદી ભા.જ.પ.ની તરફેણમાં ન જ આવે તે સરકાર જાણે છે. એટલે જ તો 5 કિલો અનાજ મફત આપવાની યોજના પણ લંબાવવામાં આવી છે. રાજકીય પક્ષો જાણે છે કે પ્રજા નાના નાના લાભોથી રાજી થઈ જાય છે. તેને થોડો લાભ આપીને વર્ષો સુધી હેરાન કરો તો પણ બહુ વાંધો આવતો નથી, પણ ચૂંટણી નજીક હોય ત્યારે એને હથેળી પર રખાય તો તે મત ખડકી દે છે. એટલે દેવા માફી કે મફત અનાજ, પ્રજાને આપવાની વાતો ચાલે છે ને પ્રજા એમાં ભોળવાય છે એવું પક્ષોને લાગે છે, થોડી ભોળવાય પણ છે, પણ પ્રજાની કોઠાસૂઝ પરિણામ લાવે  છે ને તે મોટે ભાગે તો પ્રજાના સ્પષ્ટ અવાજનો પડઘો જ છે તે સ્વીકારવું પડશે.

એક વાત બહુ સ્પષ્ટ છે કે પ્રજાનો મિજાજ પારખી ગયેલી સરકાર ખરેખર તો ભયભીત છે એટલે ખાતર પર દિવેલની જેમ થઈ શકે એટલી લીપાપોતીમાં તે લાગી છે. અત્યારે ને આમ પણ, રાજકારણમાં અખાડા ને દેખાડા આમ વાત છે. એનો તાજો દાખલો સૂરતે ભા.જ.પ.ના કાર્યકરો માટે યોજેલા સ્નેહમિલન કાર્યક્રમે પૂરો પાડ્યો છે. એ સાચું કે ભા.જ.પ. પ્રદેશપ્રમુખ ઊંચી લીડે જીતવા અને ભા.જ.પ.ને સક્ષમ બનાવવા અને બતાવવા માટે જાણીતા છે ને એ એમની જ મહેનતનું પરિણામ છે કે મુખ્ય મંત્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રીએ એમને મન મૂકીને બિરદાવ્યા છે. એ જ ભરોસે ગુજરાતનાં મુખ્ય મંત્રીએ આગામી ચૂંટણીમાં ભા.જ.પે. 182 સીટ પર જીતવું જોઈએ એવી જાહેરાત પણ કરી છે. એમ થાય તો આશ્ચર્ય નહીં થાય.

આમ પણ ભીડ કરવાનો ભા.જ.પ.નો સ્વભાવ છે. આ ભીડ થઈ નથી જતી, તે કરવામાં આવે છે જેથી મોવડી મંડળને લાગે કે લોકો તેમના પક્ષે છે. એવું ખરેખર હોય તો આનંદની વાત છે, પણ આ ભીડ ચૂંટણીમાં મત અપાવે જ એવું ચોક્કસપણે કહી શકાય નહીં. દૂર ન જવું હોય તો પશ્ચિમ બંગાળનો દાખલો યાદ કરી લેવા જેવો છે. વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રીએ ભીડવાળી ઘણી સભાઓ સંબોધી પણ, પરિણામમાં ભીડ અનુભવાઈ નહીં. સૂરતમાં સ્નેહમિલન કાર્યક્રમમાં ભીડ થઈ ને તે ભા.જ.પ. તરફના લોકોના પ્રેમનું પરિણામ છે એવું પણ રાજ્ય ગૃહ મંત્રીએ ગાઈ બજાવીને કહ્યું. એવું હોય તો એનો આનંદ જ હોય, વળી આ ભા.જ.પ.ના કાર્યકરોનું સ્નેહમિલન હતું એટલે સ્વાભાવિકપણે જ ભીડ થાય એ પણ સમજી શકાય, તો સવાલ એ આવે કે કાર્યકરોને બે લિટર પેટ્રોલની અને ભોજનની કૂપનો કેમ આપવી પડી? કેમ, બસો દોડાવવી પડી? ભા.જ.પ.ને જ એના કાર્યકરો પર ભરોસો ન હતો, શું? જો કાર્યકરોને લાલચ આપવી પડતી હોય તો સાધારણ મતદાર એમ જ ભીડ કરે એમ માની લેવામાં ભોળપણ છે.

પ્રજા એ પણ જુએ છે કે શાસકો પોતાનો કાર્યક્રમ પાર પાડવા બીજા માટે ઘણી મુશ્કેલીઓ સર્જી શકે છે. જેમ કે, સ્નેહમિલન કાર્યક્રમમાં ટ્રાફિક લાંબો સમય સુધી રોકી રાખવો પડ્યો, કોર્પોરેશને વેક્સિનેશનનું સર્ટિફિકેટ ન હતું એવા નવેક હજાર મુસાફરોને બસમાં મુસાફરી ન કરવા દીધી ને બીજી તરફ સ્નેહમિલન કાર્યક્રમમાં એવી કોઈ ચકાસણીની જરૂર સત્તાધીશોને ન જણાઈ. લગ્નમાં આજે પણ 400ની લિમિટ નક્કી છે, એ લિમિટ રાજકારણીઓને ને એમના કાર્યકરોને નડતી નથી ને આ એકાદ દાખલા પૂરતો અપવાદ નથી. રાજકારણીઓના કોઈ પણ કાર્યક્રમોને કોવિડ 19ની કોઈ ગાઈડલાઇન ક્યારે ય નડી નથી. આમ પણ રાજકારણીઓને કોરોના બહુ નડ્યો જ નથી એટલે એમને છૂટછાટ હશે, પણ સાધારણ માણસોને કોરોના અને નિયમો નડ્યા જ નથી એમ કહી શકાશે નહીં. ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જીતવા વડા પ્રધાને ગ્રેટર નોઇડા નજીક જેવર એરપોર્ટનો શિલાન્યાસ કર્યો ત્યારે પણ હજારોની ભીડ તો ભેગી થઈ જ, એટલે નીતિનિયમો સાધારણ માણસો માટે જ છે એ વાત માનીને જ પ્રજાએ ચાલવાનું રહે છે.

એટલું સારું છે કે ચૂંટણીઓ છે તો સરકારને અને પક્ષોને લોકો યાદ આવે છે. તેમાં જો ચૂંટણી નજીક હોય તો વધારે યાદ આવે છે ને નેતાઓ લાલચો ફેંકીને મત સમેટવાના પ્રયત્નો કરતા રહે છે. મત માટે કરવાં જેવાં ને ન કરવાં જેવાં કામો થતાં રહે છે, તેમાં હેતુ કોઈ પણ ભોગે ચૂંટણીમાં વિજય મેળવવાનો હોય છે. આ જીત જનતા જ અપાવી શકે છે. સારું છે કે જનતા પાસે મતનું સાધન છે, નહીં તો કોઈ રાજકારણી મદદ માટે તો શું, જનતા પર થૂંકવા પણ તૈયાર થાય કે?

આડે દિવસે થૂંકવાય રાજી નહીં, એવા રાજકીય પક્ષોને એમ લાગે કે જનતા નારાજ છે તો તે પેટ્રોલના ભાવ ઘટાડી દેશે, એરપોર્ટનો શિલાન્યાસ કરી આપશે, મફત અનાજ આપશે ને એવું તો ઘણું ઘણું કરશે ને જેવી સત્તા હાંસલ થશે કે જે ખરચ્યું તે પાવડે પાવડે કઈ રીતે વસૂલ કરવું એની ગણતરીમાં લાગી જશે. એની સામે પ્રજા પણ ઓછી નથી. તેની સૌથી મોટી નબળાઈ એ છે કે તે નાના નાના લાભોથી રાજી થઈ જાય છે. એ સ્થિતિમાં તેને સરકાર પણ નબળી અને લોભી મળે તેમાં નવાઈ નથી …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 નવેમ્બર 2021

Loading

રતન ટાટાની સખાવત

આશા બૂચ|Gandhiana|26 November 2021

ઇતિહાસના પાને કોઈ એક દેશના વતનીઓ વિદેશે વસતા હોય તેઓ સ્વદેશમાં ચાલતી ચળવળો કે લડતોને આર્થિક તેમ જ નૈતિક સહાય અને ટેકો આપતા રહેતા હોય છે તેમ નોંધાયું છે. અમેરિકા અને અન્ય દેશોમાં વસતા જુઇશ લોકોની ઈઝરાયેલને અપાતી સહાય તેમ જ આયર્લેન્ડના વતનીઓને વિદેશે વસતા આઈરીશ લોકોની કુમક સર્વ વિદિત છે. તાજેતરમાં ભારતમાં થયેલ કિસાન ચળવળને વિદેશી સહાય મળી છે. પરંતુ મૂળ દેશમાં રહેતા વતનીઓ વિદેશે વસતા પોતાના દેશબાંધવોને તેમની માનવ હક્ક માટેની લડાઈ અને તે પણ એક અવનવી ઢબની અહિંસક લડાઈમાં તન, મન, ધનથી સહાય કરવા તત્પર થયા હોય તેવા જૂજ ઉદાહરણો છે. એવું એક અદ્વિતીય ઉદાહરણ આજે અહીં પ્રસ્તુત છે.

રેવરન્ડ નાગસે લંડન પીસ પેગોડા સ્થિત બૌદ્ધ સાધુ છે, જેઓ ગાંધી ફાઉન્ડેશનના હિતેચ્છુ છે અને તેના કાર્યક્રમોમાં સક્રિય હાજરી આપતા રહે છે. તેમણે ગાંધી ફાઉન્ડેશનના ત્રૈમાસિક ‘ગાંધી વે’માં  રતન ટાટાએ ગાંધીજીને લખેલ પત્ર આપ્યો તે પ્રકાશિત થયો, જેનો અનુવાદ અહીં પ્રસ્તુત છે.

એ પત્રના અનુસંધાને બીજી હકીકત જાણવી રસપ્રદ બની રહેશે :  

1905માં રતન ટાટાએ ગોપાલકૃષ્ણ ગોખલે દ્વારા સ્થપાયેલ ‘સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા’ને માતબર રકમનું દાન કરેલું. તેના સ્વયંસેવક સભ્યોએ સ્વેચ્છાએ ગરીબી સ્વીકારી અને ભારતની પ્રજાના સામાજિક, આર્થિક અને રાજકીય કલ્યાણ હેતુ કામ કરવા જીવન સમર્પિત કરેલું જેને રતન ટાટાએ દસ વર્ષ સુધી ટેકો આપેલો જેનો કુલ સરવાળો 1,11,000 રૂપિયા થયેલ.

ગાંધીજીએ ટ્રાન્સવાલ-દક્ષિણ આફ્રિકામાં શરૂ કરેલી અસહકારની ચળવળમાં પણ રતન ટાટાએ ખાસ્સી રકમનું અનુદાન કર્યું, તે તેમની ઉમદા હેતુ સર થતા કાર્યોમાં આર્થિક સહાય આપવાની નૈતિક નેતાગીરીનું ઉદાહરણ પૂરું પડે છે. ગોખલેની ટ્રાન્સવાલની મુલાકાત બાદ રતન ટાટાએ પહેલું રૂ. 25,000નું દાન કર્યું. અને ત્યાર બાદ બીજા બે એટલી જ રકમના ચેક મોકલ્યા. નીચે આપેલ રતન ટાટાએ લખેલ ગાંધીજી ઉપરના જોશીલા અને ચેતનવંતા પાત્ર ઉપરથી ગાંધીજીનાં કાર્યના મૂલ્ય અને રતન ટાટાની ઉદાર સખાવતની ઝાંખી થાય.

− આશા બૂચ

યોર્ક હાઉસ,

ટ્વિકનહામ

18 નવેમ્બર 1910

પ્રિય મિસ્ટર ગાંધી,

હું ટ્રાન્સવાલમાં ભારતીય પ્રજાની પોતાના અધિકારોની સુરક્ષા માટેની લડત માટે રૂ. 25,000નો બીજી વખત ફાળો આપવા ઇચ્છું છું.

ગયે વર્ષે આ સમયે મેં આટલી જ રકમ સહર્ષ આપેલી અને ત્યારે બાદ અસમાનતા વિરુદ્ધની આ ચળવળમાં થતા ભારે ખર્ચને પહોંચી વળવા ભારતના અલગ અલગ વિભાગોમાંથી લગભગ લાખ રૂપિયાનું અનુદાન આપણા દેશવાસીઓએ કરેલ છે. આ રકમ મોકલવા બાબતનો સંતોષ છે, પરંતુ એ પૂરતી નથી. ખરેખર હું જ્યારે આ સમસ્યાની મહત્તાનો વિચાર કરું છું, અને ટ્રાન્સવાલમાં રહેતા આપણા મુઠ્ઠીભર દેશવાસીઓ જે અદ્દભુત તાકાતથી આપણી માતૃભૂમિના સન્માન ખાતર લડ્યા અને હજુ લડી રહ્યા છે; ત્યારે મારી એ કહેવાની ફરજ બની રહે છે કે પોતાનાં સપૂતો અને પુત્રીઓએ દૂર દેશમાં રહીને સત્ય માટે જે વીરતાથી સંઘર્ષ કર્યો છે, તે માટે ભારતીય જનતાએ જે ટેકો આપ્યો છે તે પૂરતો નથી.

હું કહી શકું કે વર્તમાન સમયમાં માત્ર સ્વહિત ખાતર નહીં, પરંતુ સમસ્ત દુનિયામાં વસતા ભારતીય લોકોના માન અને સુખાકારી માટેની મોટા ભાગની જવાબદારી અમારે શિરે છે. અમારે એ સમસ્યાઓથી વાકેફ થવું જોઈએ અને જે મહાન બલિદાનો અપાયાં છે અને દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીય લોકોએ સ્વેચ્છએ જે યાતનાઓ સહન કરી છે, તે આપણી નિષ્ક્રિયતા અને અવગણનાને કારણે એળે ન જાય એની ખાતરી રાખવી જોઈએ. ભારતમાં રહેનાર આપણે ભૂલવું ન જોઈએ કે ટ્રાન્સવાલમાં આપણા સાથીઓએ આપણા દેશની ગરિમા જાળવવા ઘણી કઠણાઈઓ સહી અને ઘણા ત્યાગ કર્યા છે અને અલબત્ત તમારો જુસ્સો અને હિંમત અડગ રહ્યા છે, પણ તમારી પાસેના સાધનો હવે આ લાંબી લડતમાં ઘટવા લાગ્યા હશે. આથી મને લાગે છે કે તમને જો વધુ સહાય ન મળે તો આ લડતને લાંબો વખત ટકાવી નહીં શકાય. જો ભારતીય પ્રજાની મૂલવણી અને ટેકાના અભાવે આ લડત માંડી વાળવી પડે તો મને ભય છે કે આપણી શ્વેત જાતિથી ઉતરતા હોવા પણાની  સ્વીકૃતિની સમકક્ષ એ પગલું ગણાશે. તેના પરિણામ સ્વરૂપ દુનિયામાં જુદી જુદી જગ્યાએ વસતા આપણા દેશબાંધવો સાથે શ્વેત પ્રજા દ્વારા કેવો વ્યવહાર કરવામાં આવશે તેનું સહેલાઈથી અનુમાન લગાવી શકાય તેવું છે.

મને ભરોસો છે કે બ્રિટનની આમ પ્રજાને આપણી પ્રજા ઉપર ગુજારવામાં આવતા અન્યાય વિષે જો માહિતી હોય તો તેઓ એને નૈતિક ટેકો ન આપે, અને તેથી જ આપણે માત્ર ભારતની જ નહીં પરંતુ ઇંગ્લેન્ડની પણ સામાન્ય જનતામાં આપણા લોકો પર કેવો જુલ્મ વર્તવામાં આવે છે એ વિષે જાગૃતિ લાવવાની કોશિષ કરવી જોઈએ.

દક્ષિણ આફ્રિકાની નવી સરકારનું પ્રથમ કાર્ય આ ગૂંચવાડા ભરેલી સમસ્યાનો સંતોષકારક ઉકેલ લાવવાનું હશે કે જે બધાનું માન  જાળવનાર અને આપણા બ્રિટિશ રાજના નાગરિકો તરીકેના દરજ્જાને સુસંગત હશે તેવી મારી હૃદયપૂર્વકની આશા છે.

જો કે માત્ર આશા સેવવી તે જ પૂરતું નથી. એ પણ દર્શાવવું જોઈએ કે આપણે કૃતનિશ્ચયી છીએ. આથી મને લાગે છે કે આ તબક્કે ભારતમાં રહેતા અમે સહુએ પોતાની સત્તાના દાયરામાં હોય તે તમામ કરી છૂટવું તે અમારી ચોખ્ખી ફરજ છે. આ અત્યંત મહત્ત્વની ચળવળમાં જોડાયેલા લોકોને ભારતમાં વસતા તેમના દેશબાંધવોનો આવશ્યક દ્રવ્યના રૂપમાં અને નૈતિક બળ ટકાવવાના અર્થમાં ઉત્સાહપૂર્ણ અને સમર્થ ટેકો મળતો રહેશે, તેવો વિશ્વાસ આપવો જરૂરી છે. જો આપને તથા આપના સાથી કાર્યકરોને થોડે ઘણે અંશે પણ આ લાગણી પ્રેરવામાં મદદરૂપ થશે તો આ સાથે બિડેલો મારો ચેક મોકલવાનો મારો મકસદ સાર્થક થશે.

આપનો અંતઃકરણપૂર્વક 

રતન ટાટા 

Loading

ખેડૂતો નહીં, ચૂંટણી હારવાના ડરથી કૃષિકાનૂનો પાછા ખેંચાયા છે

રમેશ ઓઝા|Opinion - Opinion|25 November 2021

વિનાયક દામોદર સાવરકરના શિષ્ય અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં માફી માગી છે, ત્યારે એક અઠવાડિયું સાવરકરની માફીઓની વાત થંભાવીને વડા પ્રધાનની માફી વિષે અહીં ચર્ચા કરવી જરૂરી છે.

કૃષિકાનૂન પાછા લેવાની જાહેરાત કરતાં વડા પ્રધાને આ મુજબ કહ્યું હતું : ‘મેં દેશવાસીયોં સે  માફી માંગતે હુએ સચ્ચે મન સે ઔર પવિત્ર હ્રદય સે કહના ચાહતા હૂં કિ શાયદ હમારી તપસ્યા મેં હી કોઈ કમી રહ ગઈ હોગી જિસ કે કારણ દિએ કે પ્રકાશ જૈસા સત્ય કુછ કિસાનોં કો હમ સમઝા નહીં પાએ.’

વડા પ્રધાનના કથનને ફરી એક વાર વાંચી લો. હકીકતમાં તેમનું આખું ભાષણ યુ ટ્યુબ ઉપર સાંભળી લેવું જોઈએ. નરેન્દ્ર મોદી દેશના પહેલા એવા વડા પ્રધાન છે જેમની ભાષા કરતાં પણ વધારે તેમની દેહભાષા (બોડી લેન્ગવેજ) વાંચવી જરૂરી છે. વડા પ્રધાન કહે છે કે દેશના વ્યાપક હિત માટે સરકારે કૃષિકાનૂન બનાવ્યા હતા, પરંતુ કેટલાક ખેડૂતોના વિરોધના કારણે એ કાનૂન હવે પાછા લેવા પડે એમ છે અને સરકાર તેને રદ્દ કરી રહી છે. વડા પ્રધાન કહે છે કે સચ્ચે મન સે ઔર પવિત્ર હૃદય સે પ્રયાસ કરને કે બાદ ભી હમ દિએ કે પ્રકાશ જૈસા લાભ ‘કુછ કિસાનો’ કો હમ સમઝા નહીં પાએ.

તો વડા પ્રધાને દેશની જનતાની માફી માગી છે. શા માટે? રાષ્ટ્રહિત માટે અત્યંત ઉપયોગી અને ક્રાંતિકારી નિવડનારા કાયદાઓના લાભ ‘કેટલાક’ ખેડૂતોને સમજાવી ન શક્યા એ માટે. તો રાષ્ટ્રહિતમાં વિલન કોણ નીવડ્યા? ‘કેટલાક’ ખેડૂતો. ‘કેટલાક’ ખેડૂતોની આડોડાઈના કારણે દેશ અને દેશના કરોડો (વડા પ્રધાનના કહેવા મુજબ દસ કરોડ) નાના ખેડૂતો લાભોથી વંચિત રહી ગયા એમ પણ વડા પ્રધાને કહ્યું છે. વડા પ્રધાને ઈશારો કર્યો છે કે જેઓ સરકારનો પક્ષ સાંભળવા નહોતા માગતા અને કાનૂનનો વિરોધ કરતા હતા તેમના સ્થાપિત હિતો હતા. સમાજમાં આડી-ઊભી તિરાડો પાડવામાં મહારથ ધરાવનારા વડા પ્રધાને કૃષિકાનૂન પાછા લેવાની જાહેરાત કરતી વખતે પણ ખેડૂતો વચ્ચે તિરાડ પાડવાનું ચુક્યા નથી. આ તો તેમની ખૂબી છે.

પહેલી વાત તો એ કે આજે માફી માગવાની જરૂર કેમ પડી? વડા પ્રધાને જો આજે માફી માગવી પડી છે તો એ માટે તેઓ પોતે જવાબદાર છે. શા માટે લોકડાઉનના સમયમાં લોકડાઉનનો લાભ લઈને, નિયમ અને પરંપરાની ઐસીતૈસી કરીને, ઉતાવળે સંસદ બોલાવીને, લગભગ પાછલે બારણેથી કૃષિખરડા પસાર કરવામાં આવ્યા? શા માટે લોકસભામાં તેના ઉપર ચર્ચા થવા ન દીધી? શા માટે ખરડાઓમાંની જોગવાઈઓનાં લાભાલાભની હજુ વધુ ચકાસણી માટે સંસદસભ્યોની સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં ન આવ્યા? શા માટે રાજ્યસભાને અક્ષરસઃ હાઈજેક કરવામાં આવી? શા માટે ખરડામાંની જોગવાઈ બાબતે કૃષિનિષ્ણાતોની સલાહ માગવામાં ન આવી? કોઈ કૃષિનિષ્ણાત અભિપ્રાય આપતા પણ હતા તો શા માટે તેને સાંભળવામાં નહોતા આવ્યા? શા માટે ખેડૂતોના સંગઠનો સાથે ચર્ચાવિચારણા કરવામાં નહોતી આવી? વડા પ્રધાનને વાતચીત કરવામાં કોણે રોક્યા હતા?

રોક્યા હતા. એ લોકોએ રોક્યા હતા જેમને કૃષિકાનૂન દ્વારા લાભ થવાનો હતો. એ લોકોએ રોક્યા હતા જેઓ અન્ન ઊગાડતી દેશની જમીનને એસ્ટેટમાં ફેરવવા માગે છે. એ લોકોએ રોક્યા હતા જેઓ ખેડૂતોને ગામડાંમાંથી ઊખેડીને શહેરની ઝૂંપડપટ્ટીઓમાં ધકેલવા માગે છે. એ લોકોએ રોક્યા હતા જેઓ કૃષિ-ગ્રામીણ ભારત નામનો સદીઓ જૂનો રોમાંચક પણ આજના નવમૂડીવાદીઓને સતાવનારો વિકલ્પ હંમેશ માટે સમાપ્ત થઈ જાય એમ ઇચ્છે છે. એ લોકોએ રોક્યા હતા જેઓ દરેક પ્રકારના ઉત્પાદન ઉપર કબજો કરવા માગે છે અને તેમાં અન્નના દાણાનો પણ સમાવેશ થાય છે. (કૃષિ-ગ્રામીણ ભારતનો વિકલ્પ અમે ઊગાડીએ અને આપણે ખાઈએ વાળો છે, જ્યારે નવમૂડીવાદીઓને અમે વેચીએ અને તમે ખાવ-વાળો વિકલ્પ જોઈએ છે.) એ લોકોએ રોક્યા હતા જેમને મન માનવીનો ખપ માત્ર તેમના ઉત્પાદનના ઉપભોક્તા પૂરતો જ છે. એ લોકોએ રોક્યા હતા જેઓ માર્કેટ ઉપર ઈજારાશાહી સ્થાપવા માગે છે. એ લોકોએ રોક્યા હતા જેઓ શાસકોને શાસન સુધી પહોંચાડે છે અને ત્યાં ટકાવી રાખે છે. એ લોકોએ રોક્યા હતા જેઓ રાજ્ય ઉપર (શાસકો ઉપર, સરકાર ઉપર અને એ રીતે દેશ ઉપર) કબજો કરીને બેઠા છે. કરવા માગે છે નહીં, કરી ચુક્યા છે. એ લોકોએ રોક્યા હતા જેઓ શાસકોના આક્કાઓ છે અને સત્તા માટેનો પ્રાણવાયુ પૂરો પાડે છે.

વડા પ્રધાને જે માફી માગી છે એ વાસ્તવમાં દેશની જનતાની નથી માગી, પણ ઉપર કહ્યા એવા લોકોની માગી છે જેમને કૃષિકાનૂન દ્વારા લાભ થવાનો હતો. સચ્ચે મન સે ઔર પવિત્ર હ્રદય સે માફી માગી છે. સાતસો ખેડૂતોના પ્રાણ લીધા પછી પણ અમે તમારું કામ ન કરી શક્યા. ખેડૂતો દિલ્હી પહોંચી ન શકે એ માટે રસ્તાઓમાં જેટલા ખીલ્લા ઠોકવા જોઈતા હતા એટલા ખીલા અમે ઠોકી ન શક્યા. બેરીકેડ દ્વારા જેટલા રસ્તાઓ અવરોધવા જોઈતા હતા એટલા અમે અવરોધી ન શક્યા. વોટરકેનનનો મારો કરવામાં અમે ઊણા ઉતર્યા. ખેડૂતોને બદનામ કરવામાં, ગાળો આપવામાં અને તેમના ઉપરથી વાહન ચલાવવામાં અમે પાછા પડ્યા. ગોદી મીડિયા અને કઢીચટ્ટાઓ પણ ઊણા ઉતર્યા. ખેડૂતો વચ્ચે ફાટફૂટ પાડવાના પ્રયાસો નિષ્ફળ ગયા. તેઓ ઉશ્કેરાઈને કાયદો હાથમાં લે એ માટે ઉશ્કેરવાનો પ્રયાસ પણ કરી જોયો પણ તેમાં સફળતા મળી નહીં. એની વચ્ચે કમબખ્ત વિધાનસભાઓની ચૂંટણીઓ આવ્યા કરે છે અને એમાં આ વખતે તો દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની ચૂંટણી નજીક છે એટલે ‘કેટલાક’ ખેડૂતોની આડોડાઈ સામે ઝૂકવું પડ્યું છે. સચ્ચે મન સે ઔર પવિત્ર હૃદય સે હમ માફી માંગતે હૈ.

બીજી વાત. સરકાર ‘કેટલાક’ ખેડૂતોને કૃષિકાનૂનના અને નવી જોગવાઈના લાભ ન સમજાવી શકી એ તો વડા પ્રધાને કહ્યું છે, પણ વડા પ્રધાને એ વાતનો ફોડ નથી પાડ્યો કે શા માટે જેમને કૃષિસુધારા દ્વારા લાભ થવાના હતા એવા ખેડૂતોને પણ તેઓ સમજાવી ન શક્યા? વડા પ્રધાન કહે છે એમ દેશમાં દસ કરોડ સીમાંત ખેડૂતો છે અને તેમને ઘણો ફાયદો થવાનો હતો તો શા માટે જેમને લાભ થવાનો હતો એવા નાના ખેડૂતો સરકારના પક્ષે ઊભા ના રહ્યા? બી.જે.પી.એ ‘કેટલાક’ ખેડૂતો સામે પ્રતિ-આંદોલન કરાવવાનો પ્રયાસ કરી પણ જોયો હતો જેમાં તેને સફળતા નહોતી મળી. દેશભરના નાના ખેડૂતો જો કાનૂનના વિરોધમાં રસ્તા ઉપર નહોતા ઉતર્યા તો તેના સમર્થનમાં પણ નહોતા ઉતર્યા. શા માટે? વડા પ્રધાને ભેગભાગ આ વાતનો પણ ખુલાસો કરવો જોઈતો હતો.

નાના ખેડૂતો કાનૂનનો વિરોધ કરવા રસ્તા ઉપર નહોતા ઉતર્યા એનું કારણ દાયકાઓથી નુકસાનીમાં ચાલતી ખેતીના અનુભવે ખેતીની બાબતમાં હવે તેઓ ઉદાસીન થઈ ગયા છે. હવે સરકાર પાસેથી તેમની કોઈ અપેક્ષા જ નથી બચી. એમાં કોઈ શંકા નથી કે નફાકારક ખેતી હોઈ શકે એવી તેમની શ્રદ્ધા રહી નથી અને એટલે તેઓ ખેતી સિવાયના કોઈ બીજા વિક્પની ખોજમાં પણ છે, પરંતુ એનો અર્થ એવો પણ નથી કે કોર્પોરેટ કંપનીઓના શેઠજીઓ નાણાંની કોથળી લઈને ગ્રામ-પ્રવેશ કરે અને નાના ખેડૂતો તેમનું સ્વાગત કરે! જો એમ હોત તો નાના ખેડૂતોનું ઉઘાડું સમર્થન સરકારને મળ્યું હોત. એટલું તો તેમને પણ સમજાઈ ગયું હતું કે કૃષિસુધારા શેઠજીઓના ગ્રામ-પ્રવેશ માટે ઘડવામાં આવ્યા છે, તેમના હાથમાં કશું આવવાનું નથી અને તેમનું કલ્યાણ થવાનું નથી. માટે તેમની મૂક સહાનુભૂતિ અને શક્ય એટલો ટેકો અંદોલન કરનારા ‘કેટલાક’ ખેડૂતો માટે હતો. માટે સરકારે શ્રીમંત ખેડૂતો તો ઠીક, પણ નાના ખેડૂતો સાથે પણ સંવાદ કરવાનો પ્રયાસ નહોતો કર્યો. ઈરાદો જમીન પડાવી લેવાનો હતો, શેઠજીઓના ગ્રામ-પ્રવેશનો હતો, ખેડૂતોના ઉદ્ધારનો નહોતો એટલે સરકાર વાતચીત કરે તો તેમના હિતની દલીલ શું કરે?

નાના કે મોટા, કોઈ ખેડૂતના હિતની કોઈ દલીલ સરકાર પાસે નહોતી એટલે સરકારે પૂરી તાકાત પ્રારંભમાં આંદોલનની ઉપેક્ષા કરવામાં, એ પછી આંદોલનકારીઓની બદનામી કરવામાં અને છેવટે તેમને સતાવવામાં લગાવી હતી. એમાં કોઈ કસર છોડી નહોતી, જે રીતે નાગરિકતાના કાનૂન વખતે કોઈ કસર છોડી નહોતી. નાગરિકતા કાનૂન સામેના આંદોલનને જે રીતે દેશદ્રોહી મુસલમાનોના આંદોલન તરીકે ખપાવવામાં આવ્યું હતું એમ જ આ આંદોલનને દેશદ્રોહી ખાલીસ્તાનીઓના આંદોલન તરીકે ખપાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ સરકારને તેમાં સફળતા મળી નહોતી. સરકાર આંદોલનને કોમી સ્વરૂપ આપવામાં અને દેશપ્રેમનો કેફ ચડાવવામાં નિષ્ફળ ગઈ.

જો આંદોલનકારી ખેડૂતો શીખો અને હિંદુઓની જગ્યાએ મુસ્લિમ હોત તો સરકારને શાહીનબાગમાં જે સફળતા મળી હતી એ આ વખતે પણ મળી હોત. મુશ્કેલી એ થઈ કે શહેરી હિંદુ મધ્યમવર્ગના ત્રીજી પેઢીએ જે દાદા હતા એ ખેડૂત હતા અને કેટલાક હજુ પણ છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં હિંદુ મધ્યમવર્ગના તાંતણા ગામ અને ખેતી સાથે ખૂબ મોટા પ્રમાણમાં જોડાયેલા છે. તેઓ અર્ણવ ગોસ્વામીઓના પ્રાઈમ ટાઈમ જોઇને જેટલા ધૂણવા જોઈતા હતા એટલા ધૂણ્યા નહોતા. આંદોલનકારી ખેડૂતોને જોઇને તેમને પોતાના દાદાની યાદ આવતી હતી. તેમને તેમાં દાદાની એ મહેનત, બે છેડા મેળવવા માટેનો સંઘર્ષ અને મહેનતના કારણે તાંબા જેવો થઈ ગયેલો વાન નજર પડતો હતો. તેમને ગ્રામીણ જીવન અને દાદાની સાથે ખેતરે જવાનો રોમાંચ યાદ આવતો હતો. હા, બહુમતી ખેડૂતો મુસલમાન હોત તો વાત જુદી હતી!

ઉત્તર પ્રદેશ જેવાં મોટાં રાજ્યમાં ચૂંટણી હોય અને તેમાં દાદા તો મત ન આપે, પણ સાથે દાદા માટે સહાનુભૂતિ ધરાવતો પોતરો પણ ભક્તિભાવ છોડીને મત ન આપે તો ચૂંટણી જીતવી કેવી રીતે? એકલા મબલખ પૈસાથી ચૂંટણી જીતી શકાતી નથી એ પશ્ચિમ બંગાળે બતાવી આપ્યું છે. પણ વડા પ્રધાનના કથનમાં એક વિરોધાભાસ છે એનું તેમને ધ્યાન રહ્યું લાગતું નથી. તેમણે કેટલાક ખેડૂતોને રાષ્ટ્રહિતમાં વિલન જાહેર કર્યા છે અને હવે વિલન અને વિલનના પોતરા પાસેથી મતની અપેક્ષા પણ રાખે છે! જુઓ ચૂંટણીમાં શું થાય છે.

અને છેલ્લે, એક રાષ્ટ્ર એક ચુનાવની વાત આવે ત્યારે સાવધાન થઈ જજો. કેટલાક લોકો એક રાષ્ટ્રની વાત સાંભળીને દૂઝણી ગાયની જેમ પ્રાહવી જતા હોય છે. દેશપ્રેમથી ગદ્દગદ્દ થઈ જાય. લોકસભાની અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એક વાર એક સાથે થઈ ગઈ એટલે પાંચ વરસની મનમાની. આવું રાજ્ય અને આવા શાસકો જોઈએ છે?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 25 નવેમ્બર 2021

Loading

...102030...1,7241,7251,7261,727...1,7301,7401,750...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved