Opinion Magazine
Number of visits: 9962629
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘‘અમે ભારતના લોકો……’’ – મુખડા તો દેખો દર્પણ મેં!

સોનલ પરીખ|Opinion - Opinion|15 February 2022

બંધારણને દેશનું દર્પણ કહેવામાં આવે છે. આપણે દેશવાસીઓ આ દર્પણમાં કદી પોતાને જોઈએ છીએ? દર્પણ આપણને ઓળખ જ નહીં, પોતાને સંવારવાની તક પણ આપે છે.

‘ભારત મારો દેશ છે. બધાં ભારતીયો મારાં ભાઈબહેન છે. હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ.

હું મારા માતાપિતા શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું. તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે.’

બંધારણ લાંબુ લાગતું હોય એવા નાગરિકોએ આ રાષ્ટ્રીય પ્રતિજ્ઞા યાદ રાખવી.

‘અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક બનાવવાનું અને દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, તક અને દરજ્જાની સમાનતા નિર્ધારિત કરવાનો તેમ જ તેઓમાં વ્યક્તિનું ગૌરવ તેમ જ દેશ પ્રત્યેની એકતા અને અખંડિતતાને ખાતરી આપતી બંધુતા વિકસાવવાનો દૃઢતાપૂર્વક નિર્ણય કરીને તારીખ 29મી નવેમ્બર, 1949ના રોજ આ બંધારણસભામાં આ બંધારણ અપનાવીને અમે અમારી જાતને સમર્પિત કરીએ છીએ.’

આ શબ્દો છે સ્વતંત્ર ભારતના બંધારણના આમુખના. 26 જાન્યુઆરી 1950ના રોજ આ બંધારણનો અમલ શરૂ થયો અને ભારત પ્રજાસત્તક બન્યું. બંધારણને દેશનું દર્પણ કહેવામાં આવે છે. આપણે દેશવાસીઓ આ દર્પણમાં કદી પોતાને જોઈએ છીએ? દર્પણ આપણને ઓળખ જ નહીં, પોતાને સંવારવાની તક પણ આપે છે.

મહાત્મા ગાંધી કોમી આગને ઠારવા નોઆખલીમાં ફરતા હતા ત્યારે એમણે જોયું કે ત્યાંના નેવું ટકા મુસ્લિમો કુરાન પઢી શકતા હતા, પણ તેને સમજી શકતા નહોતા. એટલે મૌલવીઓ કહે તે જ સાચું એમ માનતા હતા. ગાંધીજીએ મૌલવીઓની નારાજગી વહોરીને પણ એમને કુરાનનો ખરો અર્થ સમજાવવા માંડ્યો. આપણે પણ આવા જ નથી? બંધારણ વાંચી તો શકીએ છીએ, પણ એના અર્થઘટન માટે રાજનેતાઓ અને અદાલતો પર આધાર રાખીએ છીએ અને એ પણ ત્યારે જ, જ્યારે કોઈ મોટી મુશ્કેલી આવી પડી હોય. બાકી તો આવું બધું કરવાનો ય આપણને કંટાળો આવે છે.

આ બેદરકારી, આ અજ્ઞાન આપણને ખૂબ ભારે પડ્યું છે, પડે છે અને પડતું રહેશે; પણ આપણને એનો ખ્યાલ નથી કે પછી એની પરવા નથી. આ બેદરકારીને લીધે આપણો દેશ અનેક વિવાદો અને ગેરસમજોથી ઘેરાયેલો રહ્યો છે. બંધારણ સર્વોચ્ચ કાયદો છે અને એના પ્રમાણે દેશ ચાલે છે તો દરેક નાગરિકની એ ફરજ છે, જવાબદારી છે કે બંધારણને સમજી લે અને છતી આંખે અંધ થવાનું બંધ કરે.

લોકશાહીના ત્રણ આધારસ્તંભો હોય છે : સંસદ, કારોબારી અને ન્યાયતંત્ર. આ ત્રણે કઈ રીતે કામ કરશે, શું કામ કરશે, કોની કેવી રીતે ને કોના દ્વારા નિમણૂક થશે, વહીવટી તંત્રોની રચના કેવી રહેશે, જવાબદાર વ્યક્તિઓની કેવી લાયાકાત અને ફરજો રહેશે? નાગરિકોના અધિકાર અને ફરજો કયા હશે – આ અંગેના નિયમોનો સમૂહ એટલે બંધારણ. ભારતની કોઈપણ વહીવટી બાબતોમાં બંધારણનો શબ્દ આખરી હોય છે. પ્રેસને ચોથો આધારસ્તંભ ગણવામાં આવે છે.

જરા ઇતિહાસમાં જઈએ. 1600માં ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. પછીના સાડા ત્રણ સૈકા વિદેશી પ્રભાવ અને શાસનના હતા. લાંબાં આર્થિક શોષણ ને રાજકીય દમન પછી અને પશ્ચિમી શિક્ષણથી આવેલી બૌદ્ધિક જાગૃતિને કારણે બ્રિટિશ શાસનને પડકારવાની શરૂઆત થઈ અને ભારતે ધીમે ધીમે છતાં મજબૂત રીતે લોકશાહી તરફ કૂચકદમ શરૂ કરી.

શરૂઆત બ્રિટિશ શાસકો સમક્ષ અસંતોષની રજૂઆતથી થઈ. પછી મવાળ અને એ પછી જહાલ માર્ગે માગણીઓ થઈ જેમાં બંધારણનો વિચાર સામેલ હતો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન હિંદના રાષ્ટ્રવાદીઓએ અને 1922માં ગાંધીજીએ વિચાર રજૂ કર્યો કે ભારતીયોએ તેમનું ભાવિ પોતે જ ઘડવું જોઈએ અને પ્રજાએ  પસંદ કરેલા પ્રતિનિધિઓ દ્વારા વ્યક્ત થતી ભારતની પ્રજાની ઈચ્છાઓમાંથી સ્વરાજ ઉદ્દભવવું જોઈએ.

1929ના લાહોર કૉંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઐતિહાસિક ઠરાવ થયો. સાથે સ્વતંત્ર ભારત માટે બંધારણ ઘડવાની જરૂર પર ભાર મૂકાયો. 1934માં તો કૉંગ્રેસે સ્પષ્ટ રીતે જ બંધારણસભાની માંગણી કરી અને 1936ના લખનૌ અધિવેશનમાં તેણે જણાવ્યું કે બહારની સત્તાની દરમિયાનગીરીથી ઘડાયેલા કોઈ બંધારણનો કૉંગ્રેસ સ્વીકાર કરશે નહિ.

ક્રિપ્સ મિશન ભારત આવ્યું ત્યારે બંધારણ ઘડવું એ નક્કી હતું. જો કે તેના સ્વરૂપ અંગે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે ગંભીર મતભેદો હતા. ડિસેમ્બર 1946માં બંધારણસભા મળી, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ તેના અધ્યક્ષ નીમાયા. સૌથી અગત્યની એવી ડ્રાફ્ટિંગ કમિટી બની, જેના અધ્યક્ષ ડૉ. આંબેડકર હતા. આ કમિટીએ વિશ્વના 60 દેશોના બંધારણનો અભ્યાસ કર્યો અને અમેરિકાના બિલ ઑફ રાઈટ્સમાંથી મૌલિક અધિકારની, બ્રિટનમાંથી સંસદીય લોકશાહીની, કેનેડા પાસેથી મજબૂત કેન્દ્રની, આયર્લૅન્ડ પાસેથી લોકોનું ભલું કરવાની જવાબદારી શાસનની, ફ્રાન્સ પાસેથી સમાનતા અને બંધુત્વની, ઑસ્ટ્રેલિયા પાસેથી રાજ્યો વચ્ચે વેપારની, રશિયા પાસેથી સામાજિક-રાજકીય-આર્થિક ન્યાયની, જર્મની પાસેથી કેન્દ્ર સરકારને મળતી ઈમર્જન્સી સત્તાઓની અને જાપાન પાસેથી ન્યાયતંત્ર બંધારણની કલમોનું અર્થઘટન કરી શકે, બદાલાવી શકે નહીં – આવી સંકલ્પનાઓ અપનાવી અને ભારતની પરંપરા અને વિવિધતાને પણ ધ્યાનમાં લઈ 315 આર્ટીકલ, 22 ભાગ અને 8 પરિશિષ્ટનો એક ડ્રાફ્ટ આપ્યો. જે પછી સભામાં ચર્ચા માટે મુકાયો.

બંધારણા સભામાં પ્રત્યેક ૧૦ લાખની જનસંખ્યા પર એક પ્રતિનિધિના ધોરણે દરેક પ્રાંતને બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. એમાં જાતજાતની વિચારસરણીઓ ધરાવતાં જૂથો હતાં, પણ લગભગ બધાં જ સભ્યો તેજસ્વી, લોકશાહીવાદી અને ઉદારવાદી વિચારોથી પ્રભાવિત હતા અને છેવાડાના અદના આદમીની ચિંતા ધરાવતા હતા.

કલ્પના કરો કેવી ચર્ચાઓ કરી હશે આવા 389 સભ્યોએ? શમા બેદી અને અતુલ તિવારીની લખેલી અને રાજ્યસભા ટી.વી.એ બનાવેલી ‘સંવિધાન’ સિરિયલના 10 એપિસોડમાં આ આખો ઇતિહાસ અને પ્રક્રિયા ખૂબ રસપ્રદ અને પ્રમાણભૂત રીતે બતાવાયો છે. યુટ્યૂબ પર અવેલેબલ છે. આપણા ઉત્કર્ષ મઝુમદાર એમાં સરદાર પટેલની ભૂમિકામાં શોભ્યા હતા.

2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ ચર્ચા ચાલી અને બંધારણને આખરી ઓપ અપાયો. અન્ય દેશોની તુલનાએ ભારતનું બંધારણ ખૂબ મોટું અને વિસ્તૃત છે. વિશ્વનાં બંધારણોના ખ્યાતનામ અભ્યાસી સર આઇવર જેનિંગ્ઝ પણ આ વાતનું સમર્થન કરે છે.

પ્રેમબિહારી નારાયણ રાયજાદાએ સુંદર કર્સિવ ઈટાલિક્સમાં બંધારણની પ્રત લખી. એ માટે 432 જેટલી હૉલ્ડર નિબનો ઉપયોગ થયો. લખતા છ મહિના થયા હતા. આ પૃષ્ઠોને શાંતિનિકેતનના કલાકારોએ સુશોભિત કર્યાં હતાં. પછી તેની હિંદી નકલ કૅલિગ્રાફર વસંતકૃષ્ણ વૈદ્યે કરી. પૂનામાં હાથે બનાવેલા કાગળ એમાં વપરાયા છે. અંગ્રેજી પ્રતનું વજન 13 કિલો અને હિન્દી પ્રતનું વજન 14 કિલો છે. આ બન્ને પ્રતો નાઈટ્રોજન ભરેલી કાચની પેટીઓમાં મૂકવામાં આવી જેથી કાગળ બગડે નહીં.

આપણા બંધારણ અનુસાર નાગરિક કોઈપણ રાજ્યનો હોય, સમગ્ર ભારતનો નાગરિક ગણાય છે. નાગરિકોને સમાનતા, સ્વતંત્રતા, શોષણ સામે વિરોધ, ધાર્મિક સ્વાતંત્ર્ય, સાંસ્કૃતિક અને કેળવણી-વિષયક, મિલકતનો અને ન્યાયનો – આ મૂળભૂત અધિકારો અપાયા છે. નિમ્ન સ્તરના વર્ગો રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં ભળી શકે એ માટે ભારતના બંધારણમાં પછાત અને વર્ગીકૃત જાતિઓ માટે વિશિષ્ટ જોગવાઈઓ છે. માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શાંતિનો ઉદ્દેશ સામેલ છે. ભારત બહુભાષી હોવાથી હિંદીને રાષ્ટ્રભાષાનું સ્થાન આપવામાં આવ્યું છે.

ભારતે બ્રિટનના જેવી સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે, જેમાં પ્રજા દ્વારા ચૂંટાતા નીચલા ગૃહ લોકસભાને વ્યાપક સત્તાઓ મળેલી છે. તે કાયદાઓ ઘડે છે, અંદાજપત્ર મંજૂર કરે છે, સરકારની રચના કરે છે તેમ સરકારને પદભ્રષ્ટ પણ કરી શકે છે. આનો અર્થ એ કે આપણે જેમને ચૂંટીને મોકલીએ છીએ તે પ્રતિનિધિઓની, સરકાર પર સીધી અસર પડે છે. આપણે આ ધ્યાનમાં રાખીને મતદાન કરીએ છીએ?

જેના શબ્દોથી શરૂઆત કરી એ આમુખ બંધારણના ઉદ્દેશ્ય તથા લક્ષ્યને સ્પષ્ટ કરે છે. જ્યાં બંધારણની ભાષા સંદિગ્ધ લાગે ત્યાં આમુખની મદદ લેવામાં આવે છે.

અને શાળામાં રોજ બોલતા એ પ્રતિજ્ઞા તો યાદ હશે જ,

‘ભારત મારો દેશ છે, બધાં ભારતીયો મારાં ભાઈબહેન છે. હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ. હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું. હું મારાં માતાપિતા શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું. તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે.’

બંધારણ લાંબુ લાગતું હોય એવા નાગરિકોએ આ રાષ્ટ્રીય પ્રતિજ્ઞા યાદ રાખવી.

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 23 જાન્યુઆરી 2022 

Loading

બજેટ અને વાસ્તવિકતા

રમેશ બી. શાહ|Opinion - Opinion|15 February 2022

બજેટનો એક ઉદ્દેશ અર્થતંત્રમાં જો કોઈ સમસ્યા ઊભી થઈ હોય તો એનો ઉકેલ શોધવાનો હોય છે. આ દૃષ્ટિએ એ જોઈએ તો આગામી વર્ષ માટેનું કેન્દ્રીય અંદાજપત્ર વાસ્તવિક્તાથી વિમુખ રહીને તૈયાર કરવામાં આવ્યું છે. નોટબંધીથી શરૂ કરીને જેને અર્થતંત્રનું બિનસંગઠિત ક્ષેત્ર કહેવામાં આવે છે અથવા જેને અર્થતંત્રનું અનૌપચારિક ક્ષેત્ર કહેવામાં આવે છે તે સંકોચાતું જાય છે. અર્થતંત્રના આ વિભાગમાં લગભગ ૮૫ ટકા લોકોને રોજગારી મળે છે. આનો અર્થ એવો થાય કે લોકોને મળતી રોજગારી ઘટતી રહી છે. એમાં જી.એસ.ટી.ના અમલથી વધારો થયો છે. કોવિડની મહામારી દરમિયાન એક વધુ ફટકો લાગ્યો છે. આમ અર્થતંત્રના બિનસંગઠિત વિભાગમાં રોજગારી ઘટી રહી છે. અને પરિણામે લોકોની ગરીબીમાં વધારો થયો છે. આ ગરીબો અને બેકારોને એમનાં નસીબ ઉપર છોડવાાં આવ્યાં છે. બજેટમાં એના માટે કોઈ પગલાં સૂચવાયાં નથી.

અર્થતંત્રની બીજી સમસ્યા બેકારીની છે. જે યુવાનો અર્થતંત્રમાં રોજગારી શોધવા માટે આવે છે એમને રોજગારી પૂરી પાડી શકાતી નથી. એને પરિણામે અર્થતંત્રમાં છેલ્લાં ચાર કે પાંચ વર્ષોમાં બેકારીનું પ્રમાણ બેવડું થઈ ગયું છે અને બેકારી ઝડપથી વધી રહી છે. ત્યારે બજેટમાં આગામી પાંચ વર્ષોમાં કેટલાંક ક્ષેત્રોમાં રોજગારીમાં ૬૦ લાખનો વધારો થશે એ વાત ભારપૂર્વક કહેવામાં આવી છે. પણ દર વર્ષે જે ૯૦ લાખથી વધારે યુવાનો રોજગારી શોધવા માટે આવે છે એમના માટે રોજગારીનો કોઈ પ્રબંધ કરવામાં આવ્યો નથી. રોજગારીના અભાવમાં કેટલાક લોકો નિરાશ થઈને રોજગારી શોધવાનું જ માંડી વાળે છે. અર્થશાસ્ત્રની ભાષામાં એ લોકો શ્રમના બજારમાંથી બહાર નીકળી જાય છે એને પરિણામે ભારતમાં શ્રમનો સામેલગીરીનો દર બીજા વિકાસશીલ દેશોની તુલનામાં ઓછો છે. આને પરિણામે આપણે આપણી શ્રમશક્તિનો ઉપયોગ કરીને ગરીબીમાંથી બહાર આવી શકતાં નથી. ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાતો માત્ર વાતો જ રહી છે.

અર્થતંત્રમાં ફુગાવાનું દબાણ સર્જાઈ રહ્યું છે. એવા કેટલાક નિર્દેશો મળ્યા છે ભારતમાં સરકારની કરવેરાની આવકમાં બજેટમાં મૂકવામાં આવેલા અંદાજની તુલનામાં ઘણી વધારે આવક થઈ છે. પણ એના પરિણામે રાજકોષીય ખાધમાં જોઈએ એટલો ઘટાડો થઈ શક્યો નથી. વિશ્વમાં ફુગાવાનું દબાણ સર્જાઈ રહ્યાંના નિર્દેશો સાંપડે છે. એને પરિણામે વ્યાજના દરમાં ઘટાડો કરીને મૂડી રોકાણને ઉત્તેજન આપી શકાશે નહીં. એ માટે રાજકોષીય ખાદ્યનું પ્રમાણ ઘટાડવું જ પડશે.

બધો મદાર બજેટમાં સરકાર દ્વારા પાયાની સવલતો (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) પાછળ મૂડી રોકાણમાં વધારો કરવામાં આવ્યો છે, એના ઉપર રાખવામાં આવ્યો છે. એ પાયાની સવલતોમાં આગલા વર્ષમાં કરવામાં આવેલા મૂડીરોકાણમાં ૫૦ ટકાનો વધારો સૂચવાયો છે. એની સાથે ‘મનરેગા’ જેવી કલ્યાણ યોજનાઓમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એના પરિણામે વધનાર મૂડીરોકાણથી આવક અને રોજગારીમાં કેટલો વધારો થશે તે અનિશ્ચિત બાબત છે. પાયાની સવલતો જેવી કે રસ્તાઓ, બંદરો, વીજળી એ બધાં પાછળ થનાર મૂડીરોકાણ સમય જતાં ફળદાયી નીવડતું હોય છે. તેથી એ મૂડીરોકાણને પરિણામે તાત્કાલિક જે રોજગારી સર્જાય એની અસર અર્થતંત્ર પર પડે છે.

દરમિયાન, દેશનું શેરબજાર ઘણા સમયથી તેજીની અવસ્થામાં છે. પણ એ અર્થતંત્રની પારાશીશી નથી. એ માત્ર દેશનાં કોર્પોરેટ વિભાગની પારાશીશી છે. ઘણા અર્થશાસ્ત્રીઓએ અર્થતંત્રમાં એના સંદર્ભમાં જે રીકવરી ચાલી રહી છે. તેને અંગ્રેજી K આકાર જેવી વર્ણવી છે. એનો અર્થ એ કે કેટલાંક ક્ષેત્રોમાં તેજીની સ્થિતિ પ્રવર્તતે છે. પણ અન્ય ક્ષેત્રોમાં મંદીની સ્થિતિ પ્રવર્તે છે. દેશના અર્થતંત્રના અસંગઠિત વિભાગમાં હજી રીકવરી નથી આવી એનો આ નિર્દેશ છે.

ભારતનું અર્થતંત્ર દુનિયામાં સૌથી વધારે અસમાનતા ધરાવે છે. તે હકીકત તાજેતરમાં બહાર પાડેલા અસમાનતાના રિપોર્ટમાં પ્રગટ થઈ છે. ભારતનું અર્થતંત્ર તીવ્ર અસમાનતા ધરાવે છે. તેની સાથે એ એક ગરીબ અર્થતંત્ર છે એ પણ હકીકત નોંધવામાં આવી છે. આવા અર્થતંત્રમાં સમાનતાની દિશામાં કોઈ પગલાં ભરવામાં ના આવે એ ગરીબોની કમનીસીબી છે. ભારતનું અર્થતંત્ર આજે સમાજના ઉપલા વર્ગો માટે કામ કરી રહ્યું છે. આને સર્વસમાવેશી બનાવવા માટે અનેક ઉપાયો કરવા પડે એને બદલે વાતોથી સંતોષ માનવામાં આવે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 02

Loading

સંસદમાં જુઠ્ઠાણાંના વરસાદની મોજ લેતા મોદીજી

ભરત મહેતા|Opinion - Opinion|15 February 2022

છેલ્લાં કેટલાંક વખતથી મોદીજીએ એક નવી શૈલી કે સંસ્કૃતિ વિકસાવી છે. જૂઠું બોલો, જોરથી બોલો. એમની આ શૈલી એમના ભાષણેભાષણે ભયજનક રીતે વધી રહેલી માનસિક બીમારી થઈ ચૂકી છે. રાજનેતાઓ માટે પ્રજા પપ્પુ કે ફેંકુ જેવાં નામ પાડી દે છે એ એક અર્થમાં આજનું લોકસાહિત્ય છે. આ વખતે સંસદમાં અદાણી-અંબાણી જેવાં કોર્પોરેટની વધી રહેલી સંપત્તિ, મોંઘવારી અને ચીન-પાકિસ્તાનની વધી રહેલી દોસ્તી વિશે રાહુલ ગાંધીએ પ્રશ્નો પૂછ્યા તો એ પ્રશ્નોને ચાતરીને કોરોના પર ઊતરી આવ્યા! કોરોના માટે વિપક્ષ જ જવાબદાર છે, એમણે ભારતને બદનામ કર્યું છે–ની રાડારોળ કરવા માંડ્યા.

કોરોના વિષયક એક પછી એક જુઠ્ઠાણાંનો વરસાદ વરસાવી, એક કલાક અને વીસ મિનિટ સુધી આનંદ લીધો! એમણે કહ્યું કે લૉકડાઉન WHOની સૂચનાથી કરાયું હતું. WHOએ રદિયો આપ્યો કે એમણે આવી કોઈ સૂચના આપી ન હતી. માત્ર ચાર કલાકની અવધિમાં. એકાએક લૉકડાઉન લાગુ કરાયું હતું જેણે લાખો મજૂરોની પરિસ્થિતિ કફોડી બનાવી. મોદીજીના ભાષણ વખતે હવે હવે 'નિકાહ’નું ગીત યાદ આવે કે આ હવે છેલ્લાં સિતમ હશે, પરંતુ એના પછીનું વ્યાખ્યાન અગાઉની ઊંચાઇને પણ આંટી દે. એમના વ્યાખ્યાનનું જુઠ્ઠાણું, વ્યાખ્યાનનાં વિરોધી વિધાનોથી જ પકડાઈ જાય છે. એક તરફ એમણે કહ્યું તમારી (કાઁગ્રેસ) પાસે જનાધાર નથી, કેવળ ૪૪ સાંસદો છે. બીજી તરફ કહ્યું કે કાઁગ્રેસે મુંબઈના ૪ કરોડ યુ.પી.-બિહારના મજૂરોને ગામડે ધકેલી દઈને ભારતભરમાં કોરોના ફેલાવ્યો! થોડીક શરમ કરો વડા પ્રધાનજી. લૉકડાઉન જાહેર કરી સત્તા તો કુંભકર્ણની નિંદ્રામાં ચાલી ગઈ હતી. ટ્રમ્પના દરબારમાં મુજરો કરતી હતી; કુંભના મેળામાં સરકાર સ્નાન કરતી હતી!

તમે બીજું જુઠ્ઠાણું કોરોનાની રસી સંદર્ભે ફેલાવો છો. આટલા કરોડને મફત રસી આપી! અરે સાહેબ, તમે તો લેખિતમાં કહ્યું હતું કે મફત રસી નહીં આપી શકાય. સુપ્રીમ કોર્ટે લાલ આંખ કર્યા પછી તમે મફત રસી આપી છે. આ ગાળામાં તમે હાઈ કોર્ટે અને સુપ્રીમ કોર્ટે કેટલીવાર ઠપકા આપ્યા એ યાદ કરો. શું આ ન્યાયાલયો ભારતને બદનામ કરે છે? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કંપની વચ્ચે રસી બિચારી કેટલી ફસાઈ હતી એ યાદ કરો? તમે કોરોનાની એક પણ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લીધી? આ જ તમારી સંવેદનહીનતાનો જીવતો-જાગતો પુરાવો છે.

માત્ર ચાર કલાકમાં થોપાયેલું લૉકડાઉન આ સદીનું સૌથી મોટું પાપ હતું. ત્યારે સોનિયા ગાંધીએ સૂચન કરેલું કે ૨૦ હજાર કરોડનો સેન્ટ્રલ વિસ્ટાનો પ્રોજેકટ અટકાવી મજૂરોને મદદ કરો પરંતુ તમે ગણકાર્યું જ નહીં. પગપાળા મજૂરોની હિજરત અવિસ્મરણીય અને દુઃખદ છે. મુંબઈમાં વિપક્ષના કારણે ગયાં તો સુરતમાંથી કોના કારણે ગયાં? મજૂરોને વતન મોકલવાની વ્યવસ્થા પૂરી પાડનાર પર દોષનો ટોપલો ઢોળી દેવો તમને શોભતો નથી.

વળી, તમે ભાષણમાં વિષ્ણુપુરાણની જેમ યોગને અને દેશી દવાઓને ખેંચી લાવ્યા. વિપક્ષે એનો વિરોધ કર્યો એમ કહ્યું. મોદીજી, જે બાબા રામદેવની કોરોનિલ નીતિન ગડકરીએ લોન્ચ કરી હતી એ દવાને ભારતભરના વૈજ્ઞાનિકોએ નકારી. બાબા રામદેવે દવા પાછી ખેંચી, માફી માંગી. તથાકથિત દવાનો સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધને વિરોધ કર્યો તો આપે એમને મંત્રીપદેથી રવાના કર્યાં!

ઓક્સિજન અને દવાના અભાવે લાખો લોકો મર્યા એ કોરોનાના કારણે નહીં પણ વ્યવસ્થાના અભાવે મર્યાં છે, જેના માટે સીધી જવાબદારી આપની છે. વળી, તમે આંકડાઓ છૂપાવ્યાનું ઘોર પાતક પણ કર્યું. સરકારી ચોપડે ગુજરાતમાં દસ હજાર મર્યાનું કહો છો? અને મૃતકોનું વળતર લેવાં લાખ નાગરિકોએ ફોર્મ ભર્યું છે! આ તો એક નાનું ઉદાહરણ છે. વેન્ટિલેટર ખરીદીના ભ્રષ્ટાચાર કૌભાંડનો શું જવાબ આપશો?

તમારી જુઠ્ઠાણાં સંસ્કૃતિનો પ્રભાવ કેવો પડે છે એનું એક ઉદાહરણ જુઓ. યુ.પી.ની ચૂંટણી સભામાં તમારી તર્જ પર યોગીજી પણ ગરજે છે કે ઓક્સિજનના અભાવમાં એક પણ મૃત્યુ થયું નથી! કોરોના પૂર્વે જ પાંત્રીસ બાળકો ઓક્સિજન વિના ટળવળી મરી ગયાં! કોરોનામાં તો બેહિસાબ નાગરિકો. TMC સાંસદ ડેરેક બ્રાયને ગંગામાં વહી ગયેલી લાશોની વિગત માંગી હતી જેનો જવાબ જળશક્તિ મંત્રી વિશ્વેશ્વર ટૂંડુંએ આપ્યો કે અમારી પાસે શૂન્ય માહિતી છે! જ્યારે ૧૪મી મે, ૨૦૨૧ના ‘દૈનિક ભાસ્કરે’ ગંગાના ૧,૧૪૦ કિ.મી.માં સર્વે કરી બે હજારથી વધુ લાશો વહેતી મૂકાયાનો હેવાલ આપેલો છે!

તમે વારેતહેવારે વિપક્ષને ઝૂડવાના બદલે આત્મનિરીક્ષણ કરો. પ્રજાએ વિપક્ષને નહીં તમને  સૂંડલે સૂંડલે મત આપ્યાં છે. તમે ગેસના બાટલા માટે, પેટ્રોલ માટે ર્નિભયા માટે શેરીઓ ગજવતા હતા. આજે? શું જવાબ આપશો? સેંગર માટે, હાથરસ માટે, ચિન્મયાનંદ માટે, પાટણ માટે મૌન ધારણ કરી લો છો! સાત વર્ષમાં વિદેશી દેવું છગણું કરી બેઠા એ તમારી અણઆવડતનો બોલતો પુરાવો છે. તમારું રોલ મોડલ કાઁગ્રેસ છે? કે તમે એને જ યાદ કર્યા કરો છો? નહેરુ-ઇન્દિરાને છોડો. અત્યારે તમે આવ્યા ત્યારે જે કાળું નાણું સ્વિસ બેંકમાં હતું એ બમણું થયું છે એ તમે યાદ કરો. દેશ કો બીકને નહીં દુંગા, તમે હવે કેમ બોલી નથી શકતા? ડોલર-રૂપિયાની હરીફાઈ વિશે તમે કેટલું બોલતા હતા? આ બધાનો જવાબ નથી એટલે શીખોની હત્યા, હિંદુને ખતરોનું જ ગીત હવે ગાવું પડે છે. તમારી રાષ્ટ્રભક્તિ પણ ચીનની અરુણાચલની ઘૂસણખોરીમાં બહાર આવી ગઈ. ત્યાંના ભા.જ.પ.ના ધારાસભ્યો તમને માહિતી આપે છે છતાં ચૂં કે ચા નથી થઈ શકતું. પુલવામાના જવાબદારોને પકડી શકયા નથી. જે CRPF માટે તમે હવાઈવ્યવસ્થા આપી ન હતી, એ પક્ષ યુ.પી.માં ચૂંટણી માટે ૪૨ હેલિકોપ્ટર ભાડે રાખે છે!

છેલ્લી વાત :

તમે વિષ્ણુપુરાણ નિમિત્તે ભારતની સરહદોને યાદ કરી. સંસદમાં સંવિધાનને યાદ કરો. રાષ્ટ્ર-રાજ્યની વિભાવના, સમાનતાની વિભાવના તે કાળે ન હતી. તમે રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થી છો, પંડિત નહીં. આમાંથી મારા જેવાને હિંદુરાષ્ટ્રની ગંધ આવે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 03

Loading

...102030...1,7131,7141,7151,716...1,7201,7301,740...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved