Opinion Magazine
Number of visits: 9962672
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જોખમો સાથે તાલ મિલાવવો જ રહ્યો : ઇલાબહેન ભટ્ટ

સોનલ પરીખ|Opinion - Opinion|14 February 2022

મને સાદગી અત્યંત પ્રિય છે. હું ત્યાં સુધી માનું છું કે સાદગી અપનાવવાથી અંગતથી માંડી વૈશ્વિક પ્રશ્નો હલ થઈ જાય છે. સાદગીથી જીવનારને ખોટું બોલવાની કે ખોટું કરવાની જરૂર જ રહેતી નથી. લોભ, ઈર્ષા, ગુસ્સો, ધિક્કાર કે હિંસા તેને પજવતાં નથી. માણસ અંદરબહારથી સ્વચ્છ-સુંદર થતો જાય છે. દુનિયાને આવાં જ સૌંદર્યની જરૂર છે.

— ઇલાબહેન ભટ્ટ

‘દરેક કામમાં જોખમો તો હોય જ છે. દરેક સફળતાની અંદર નિષ્ફળતાનું બીજ હોય જ છે, પણ તે અગત્યનું નથી. તમે તેની સાથે શી રીતે તાલ મિલાવો છો એ જ ખરો પડકાર છે.’

કોઈ પણને ક્યારે પણ પ્રેરણા આપી શકે એવા આ શબ્દો છે ‘સેવા’ના પર્યાયરૂપ બની રહેલાં ઇલાબહેન ભટ્ટના. ગયા રવિવારે [એટલે કે 02 જાન્યુઆરીને દિવસે] ડેસ્મન્ડ ટુટુને શ્રદ્ધાંજલિ આપતા લેખમાં મેં ‘ધ એલ્ડર્સ’નો ઉલ્લેખ કર્યો હતો. વિશ્વના કપરા પ્રશ્નોને હલ કરવા પોતાના જ્ઞાન તથા અનુભવને કામે લગાડવાના આશયથી જુલાઈ ૨૦૦૭માં નેલ્સન મંડેલા, વાર્કા માકેલ અને ડેસમન્ડ ટુટુ, એ એક સભા ગોઠવી જેને પછીથી નેલ્સન મંડેલાએ નવા જૂથ તરીકે સ્થાપી ‘ધ એલ્ડર્સ નામ આપ્યું. બેન કી મૂન, પાકિસ્તાની માનવઅધિકાર કર્મશીલ હીના જિલાની, બાંગલાદેશના મહમ્મદ યુનુસ, કોફી અન્નાન જેવાં લોકો તેના સભ્યો હતાં. આ ‘ધ એલ્ડર્સ’ના ભારતીય સભ્ય હતાં ઇલાબહેન ભટ્ટ.

‘ધ એલ્ડર્સ’ની વૅબસાઇટ પર ઇલાબહેને લખેલું છે, ‘અન્યાય સામેની લડત અહિંસક રૂપે હોય તો વધુ અસરકારક સાબિત થાય છે. આ લડતમાં શસ્ત્રો વાપરનાર કાયર સાબિત થાય છે. અહિંસક લડતમાં વધુ શક્તિ અને મહેનતની જરૂર પડે છે. ‘ધ એલ્ડર્સ’ સ્ત્રી સમાનતા અને બાળવિવાહ અંગે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે. ૨૦૧૨ના ફેબ્રુઆરીમાં ઇલાબહેને ‘ધ એલ્ડર્સ’નાં સભ્યો ડેસમન્ડ ટુટુ, ગ્રોહાર્લેમ બ્રુટાલેન્ડ અને મેરી રોબિન્સન સાથે બિહારનો પ્રવાસ કર્યો, ‘જાગૃતિ’ નામની બાળવિવાહને લગતાં કાર્ય કરતી સંસ્થાની સમીક્ષા કરી. તેમણે ઑગસ્ટ ૨૦૦૯ અને ઑક્ટોબર ૨૦૧૦માં એલ્ડર્સના પ્રતિનિધિમંડળ સાથે મધ્યપૂર્વના દેશોની મુલાકાત લીધી હતી.

88 વર્ષની ઉંમરે અડીખમ અને ગૂજરાત વિદ્યાપીઠ તેમ જ સાબરમતી આશ્રમમાં ઉચ્ચ સ્થાનો સંભાળી રહેલાં ઇલા રમેશ ભટ્ટ જન્મ ૧૯૩૩માં અમદાવાદમાં થયો. એમના પિતા સુમંતરાય ભટ્ટ સફળ વકીલ હતા અને માતા વનલીલા ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સના સેક્રેટરી હતાં. ઇલાબહેનનું બાળપણ સુરતમાં વીત્યું, ૧૯૫૨માં અંગ્રેજી વિષયમાં સ્નાતક થયાં અને ૧૯૫૪માં સુવર્ણ ચંદ્રક સાથે તેમણે એલએલ.બી કર્યું.

થોડો વખત મુંબઈની એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં અંગ્રેજી શીખવ્યા બાદ ૧૯૫૫માં તેઓ અમદાવાદની મિલ મજૂર સંઘમાં જોડાયાં અને અનસૂયા સારાભાઈ સાથે ઘણું કામ કર્યું. ૧૯૫૬માં તેમનાં લગ્ન રમેશ ભટ્ટ સાથે થયાં. ગુજરાત સરકારમાં થોડાં વર્ષ કાર્ય કર્યા બાદ તેમને મજૂરસંઘની મહિલા પાંખનાં વડા બનવાનું કહેવામાં આવ્યું. ૧૯૭૧માં તેમણે ઈઝરાઈલના તેલ અવીવની આફ્રો એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ લેબર કો-ઓપરેટિવ્સમાં ત્રણ મહિના અભ્યાસ કરી, મજૂર અને સહકારી મંડળનો આંતરરાષ્ટ્રીય ડિપ્લોમા મેળવ્યો.

મિલો બંધ થવા માંડી ત્યારે ઘણી સ્ત્રીઓ ઘરમાં ટેકો કરવા મજૂરી કરતી, પરંતુ તેમને કાયદાનું સંરક્ષણ ન મળતું. ઇલાબહેને આવી બહેનોને મજૂર સંઘની મહિલા પાંખ હેઠળ સંગઠિત કરી. ૧૯૭૨માં તેમણે સ્વાશ્રયી મહિલા સેવા સંઘ(સેલ્ફ-એમ્પ્લૉય્ડ વિમેન્સ એસોશિયેશન)ની સ્થાપના કરી અને ૧૯૭૨થી ૧૯૯૬ સુધી તેના જનરલ સેક્રેટરી પદે રહ્યાં. કાયદાના સ્નાતક તો હતાં જ, ઈન્ટરનેશનલ લેબર, સ્ત્રીઓને લગતા વિષયો, માઈક્રો ફાયનાન્સ અને સહકારી મંડળ સંલગ્ન ચળવળો સાથે પણ જોડાતાં ગયાં અને લાખો ગરીબ સ્ત્રીઓનાં સશક્તિકરણ બદલ પદ્મભૂષણ, રેમન મેગ્સેસે ઍવોર્ડ, રાઈટ લાઈવલીહુડ એવૉર્ડ, નીવાનો શાંતિ પુરસ્કાર, ગ્લોબલ ફેરનેસ ઍવોર્ડ, રેડક્લિફ પદક તેમ જ ઇંદિરા ગાંધી શાંતિ પુરસ્કાર જેવાં અનેક સન્માનો મેળવ્યાં. 

૧૯૭૯માં સ્થપાયેલી વિમેન્સ વર્લ્ડ બેંકિંગના તેઓ એસ્થર ઓક્લૂ એમીશેલા વોલ્શ સાથે સ્થાપક સભ્ય હતાં. ૧૯૮૦થી ૧૯૯૮ સુધી તેના પ્રમુખ રહ્યાં. સેવા કો-ઑપરેટીવ બેંક, લારીવાળાઓના આંતરરાષ્ટ્રીય સંગઠન-હોમનેટના તેઓ પ્રમુખ હતાં. હાલમાં તેઓ વિમેન ઈન ઇન્ફોર્મલ એમ્પ્લોયમેંટ : ગ્લોબલાઈઝીંગ એન્ડ ઑર્ગેનાઈઝીંગના બોર્ડ ઑફ ડાયરેક્ટર તેમ જ રોકેફેલર ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે. તેમને અમેરિકાની હાવર્ડ અને જ્યોર્જટાઉન યુનિવર્સિટી, બેલ્જિયમની યુનિવર્સિટી લીબ્રે અને યેલ અને નાતાલ યુનિવર્સિટીએ માનવતા માટેની ડોક્ટરેટની પદવી આપી છે.

તેમણે અંગ્રેજીમાં  પુસ્તકો લખ્યાં છે જે ગુજરાતી, ઉર્દૂ, હિન્દીમાં અનુવાદિત થયેલ છે, હાલમાં તેનો તમિળ અને ફ્રેંચ ભાષામાં પણ અનુવાદ થયો છે. ‘વી આર પુઅર બટ સો મેની : ધ સ્ટ્રોરી ઑફ સ્લેફ-એમ્પ્લોય્ડ વુમન ઈન ઇંડિયા’ તેમ જ  ‘અનુબંધ : બિલ્ડીંગ  ઓફ હન્ડ્રેડ માઈલ કોમ્યુનિટીઝ’ ખૂબ જાણીતાં થયાં છે.

ઇલાબહેન કહે છે, ‘મહિલાઓને આર્થિક અને સામાજિક ક્ષેત્રે યોગ્ય સ્થાન અને તક આપીએ ત્યારે જ તેઓ ખરા અર્થમાં સ્વંતત્ર થઇ શકે. અમારા સમયમાં વાતાવરણ ખૂબ પ્રેરક હતું. માતાપિતા શિક્ષિત અને સેવાભાવી, શિક્ષકો પણ આઝાદીનાં સંઘર્ષ વિશે માહિતી આપતાં. આમ ગાંધીમૂલ્યો, સ્વતંત્રતા તેમ જ આત્મનિર્ભરતા મારામાં સહેજે સહેજે ઊતરી આવ્યાં.’  

ઘરે બેસીને રોજગારી મેળવવા ઈચ્છતી કે હુન્નર જાણતી મહિલાઓને કામ મળે અને સન્માનજનક આવક મળે એ માટે ઇલાબહેનની દીર્ઘદૃષ્ટિ હેઠળ અનેક પ્રોજેક્ટ્સ કાર્યરત છે, જેનો લાખો મહિલાઓએ લાભ લીધો છે. મહિલાઓને રોજગાર માટે લોન મળે એ માટેના તેમનાં પ્રોજેક્ટ્સનું વિશ્વમાં અન્યત્ર પણ અનુકરણ થયું છે. સેવા 8 રાજ્યોમાં કામ કરે છે. 120 સહકારી સંસ્થાઓ ચાલે છે. સેવાનાં નામથી બૅન્ક ચાલે છે. સેવા યુનિયન પણ ચાલે છે. સેવાની કુલ સભ્ય સંખ્યા 19 લાખની છે.

વર્તમાન શિક્ષણવ્યવસ્થા માટે પૂછવામાં આવે તો તેઓ કહે છે, ‘તોબા તોબા. હાલનું શિક્ષણ પ્રાથમિક જરૂરિયાત પણ નથી પૂરી પાડી શકતું. હાલના સમયમાં પ્રામાણિક અને મહેનતુ લોકો ગરીબ જ રહે છે. તેમના પર અત્યાચારો થતા રહે છે. શિક્ષણનો સમાજ સાથે સીધો સબંધ હોવો જોઇએ, તે ક્યાં છે? શિક્ષણથી યુવાન ચારિત્રશીલ અને ઉદ્યમી બનવો જોઈએ. તેના હૈયે સમાજનું હિત વસવું જોઈએ. એવું ક્યાં થાય છે ? જેને કામ મળે છે એ સ્વાર્થી થઈ જાય છે. બીજી બાજુ શિક્ષિત બેકારોની સંખ્યા વધતી જાય છે. આપણે આઝાદ છીએ પણ ટેક્નોલોજીનાં ગુલામ બની રહ્યાં છીએ. ટેક્નોલોજી નહીં, પણ તેનો ખોટી રીતનો ઉપયોગ માણસને ગુલામ બનાવે છે.’

આજની યુવતીઓ વિશે પણ તેમનો આવો જ મત છે. તેઓ કહે છે કે ‘આજે યુવતીઓ શિક્ષિત, વિશ્વના પ્રવાહોથી પરિચિત અને આત્મવિશ્વાસથી ભરપૂર થતી જાય છે એ તો સારી વાત છે. પણ તેમનામાં મૂલ્યોની તાકાત નથી. સમજનું ઊંડાણ નથી. અન્ય પ્રત્યેની જવાબદારીની ખેવના નથી. જિંદગીના ધ્યેય અને અર્થની બાબતમાં તેમની પાસે નક્કર વિચાર નથી. દુનિયાની પ્રગતિમાં મહત્ત્વનું પરિબળ મહિલા ચળવળ છે. મહિલાઓએ દેખા-દેખીથી દૂર રહેવું જોઇએ. સ્ત્રીસહજ, માતૃસહજ મૂલ્યોને જાળવવાં જોઇએ. આ ગુણોથી જ ભારત વિશ્વશાંતિની આગેવાની કરી શકાશે. સ્ત્રીમાં પરિવર્તનની આગેવાની લેવાની શક્તિ છે. એના સક્રિય પ્રદાન વગર આપણે ગરીબીને દૂર કરી શકવાના નથી. સ્ત્રી પોતાનાં કુટુંબ અને સમાજનો વિચાર કરે છે. ઘરકામ અને બાળઉછેર પણ સ્ત્રીસશક્તિકરણનાં ક્ષેત્રો છે. દરેક સ્ત્રી માતા અને પત્ની છે તેમ જ કુટુંબ ચલાવે છે. આ પ્રદાનને આધુનિક મહિલાએ અવગણવું જોઈએ નહીં.’

તેઓ લોકોને પણ જાગૃત કરે છે, ‘આરોગ્ય, શિક્ષણ અને બૅન્કિંગ આપણી પાયાની સેવાઓ છે. તેને લગતી યોજનાઓ સરકાર આપે છે, પણ તેનું અમલીકરણ થવું જરૂરી છે. માત્ર સરકારી સ્તરે નહીં, લોકો દ્વારા પણ અમલીકરણ થવું જોઇએ. આજે લોકશક્તિ તૈયાર કરવી આવશ્યક છે. લોકશક્તિથી પાયાનાં સવાલોનું નિરાકરણ આવી શકે.’

ઇલાબહેન જીવનભર ગાંધીજીનાં માર્ગે જ ચાલ્યાં છે, ‘મને સાદગી અત્યંત પ્રિય છે. હું ત્યાં સુધી માનું છું કે સાદગી અપનાવવાથી અંગતથી માંડી વૈશ્વિક પ્રશ્નો હલ થઈ જાય છે. સાદગીથી જીવનારને ખોટું બોલવાની કે ખોટું કરવાની જરૂર જ રહેતી નથી. લોભ, ઈર્ષા, ગુસ્સો, ધિક્કાર કે હિંસા તેને પજવતાં નથી. માણસ અંદરબહારથી સ્વચ્છ-સુંદર થતો જાય છે. દુનિયાને આવા જ સૌંદર્યની જરૂર છે.’

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 09 જાન્યુઆરી 2022 

Loading

એબીજી શિપયાર્ડનું 28 બેન્કો સાથે 22,842 કરોડનું સૌથી મોટું લોન કૌભાંડ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 February 2022

મોટાં માથાંઓની બેન્કો પાસેથી લોન લઈને બેંકોને નવડાવવાની હવે નવાઈ રહી નથી. ઘણી વાર તો બેન્ક પોતે ના’વા તૈયાર હોય છે ને તેનાં સાહેબો થોડા રૂપિયાની લાલચે ‘ગમે તેને’ લોન આપી પણ દે છે. લોન લેનારને ય ખબર હોય છે કે બેન્કના પૈસા ડુબાડવાના છે ને બેન્ક પણ જાણતી હોય છે કે આપેલી લોન પાછી આવવાની નથી. લોન પાછી નથી આવતી તો બેન્ક ઉઘરાણીઓ કરે છે, નોટિસ આપે છે, પોલીસ ફરિયાદ કરે છે ને લોન લેનારની મિલકતની હરાજી પણ કરે છે, પણ લોન પાછી આવતી નથી ને છેવટે બેન્ક તેનું નાહી નાખીને કેટલીક લોન માંડી વાળે છે. આ રીતે માંડી વળાયેલ લોનને નોન પરફોર્મિંગ એસેટ્સ(એન.પી.એ.)માં નાખીને બેન્ક ટકવા મથે છે, પણ બધી બેન્કોનો એન.પી.એ.નો આંકડો લાખો કરોડમાં હોય છે તે ભૂલવા જેવું નથી. માર્ચ 2020માં એન.પી.એ. 8.2 ટકા હતી જે માર્ચ 2021માં 7.3 ટકા થઈ છે. એ ટકાવારી ઘટીને સપ્ટેમ્બર, 2021 સુધીમાં 6.9 ટકા પર આવી ગઈ છે. આ માહિતી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 28 ડિસેમ્બરે તેના રિપોર્ટમાં આપી છે. આ ઘટાડામાં કોરોના કાળની અસરો ભાગ ભજવતી હોય એમ બને. મોટાં ધિરાણ ઘટવાને કારણે પણ એન.પી.એ.નો આંકડો ઘટ્યો હોય એમ બને.

એન.પી.એ. વધવામાં દરેક વખતે બેન્કો જ જવાબદાર છે એવું પણ નથી. બેન્કોને રાજકીય હેતુપૂર્તિ માટે ક્યારેક ધિરાણ કરવાની ફરજ પણ પાડવામાં આવે છે ને પછી એ લોન પાછી આવવાની શક્યતાઓ ઘટે છે ને એન.પી.એ. વધે છે. ખેડૂતોને અપાતી લોન માંડી વાળવાનું સરકારી વલણ પણ એન.પી.એ. પર પ્રભાવ પાડે છે. કેટલાક કિસ્સાઓમાં જાહેર ક્ષેત્રની બેન્કોની ઓછી કાર્યક્ષમતા ને સ્ટાફને પોષવાની જવાબદારી પણ ખોટનો આંકડો વધારે છે. આ સ્થિતિ પછી બેન્કોના મર્જરમાં પરિણમે છે ને નબળી બેન્કોનું નફો કરતી બેન્ક સાથેનું મર્જર બેંકની નફાકારકતા પર પણ અસર પાડે છે. સરવાળે તો એ ખોટનો ધંધો જ બની રહે છે.

એ ખરું કે સુપ્રીમ કોર્ટના આદેશ પછી ગ્રાહકોની માહિતી જાહેર કરી શકાય છે. પહેલાં તો ગ્રાહકોની ગોપનીયતાને નામે રિઝર્વ બેન્ક ગ્રાહકોની માહિતી જાહેર કરી શકતી ન હતી, પણ સુપ્રીમના આદેશ પછી હવે ગ્રાહકોની માહિતી જાહેર કરી શકાય છે, એટલે જે ઇરાદાપૂર્વક લોન ભરવા નથી માંગતા એમને પણ હવે ખુલ્લા પાડી શકાય છે. આ બધું છતાં કેટલીક બેન્કોની લોન પાછી નથી જ આવતી ને બેન્કો નબળી પડે છે તે હકીકત છે.

ગઈ કાલે લોનનું મહાકૌભાંડ સામે આવ્યું છે ને એમાં એક બે નહીં, 28 બેન્કોના 22,842 કરોડ સલવાયા છે. આ દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ છે ને મામલો સી.બી.આઈ. પાસે પહોંચ્યો છે. અત્યાર સુધીમાં નીરવ મોદીએ 14 હજાર કરોડ, વિજય માલ્યાએ 9 હજાર કરોડની કરેલી છેતરપિંડી ગવાઈ છે. આ ઉપરાંત મેહુલ ચોક્સી, લલિત મોદી, સાંડેસરા ગ્રૂપ જેવાં પણ કૌભાંડમાં સંડોવાયાં છે ને એમાંના કેટલાક તો વિદેશ ભાગી જવામાં પણ સફળ થયા છે. એમની મિલકત જપ્ત કરીને રકમ વસૂલાય તો પણ પરિણામ બેન્કોની ખોટમાં જ મોટે ભાગે આવે છે. આમાં બેન્કો પણ દૂધે ધોયેલી હોય એવું જરૂરી નથી. સાધારણ માણસને નાની રકમની લોન જોઈતી હોય તો તેની પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ્સ મેળવવામાં બેન્ક જેટલી કાળજી રાખે છે, એટલી કાળજી મોટી રકમની લોનમાં ભાગ્યે જ રખાતી હોય છે. બેન્કોની રહેમ નજર આવાં મોટાં ધિરાણમાં રહેતી હોય કે રાજકીય દબાણને વશ થવાનું બેન્કોને આવે તો લોન પાછી આવવાની શક્યતાઓ ઘટી જાય છે. નીરવ મોદી, વિજય માલ્યા જેવા પરદેશ ભાગી છૂટવામાં સફળ થાય છે, પછી બેન્કોએ લોન પરત મેળવવા ફાંફાં જ મારવાના રહે છે. એક બાબત બહુ સ્પષ્ટ છે કે ક્યાંકને ક્યાંક અપ્રમાણિકતા ને છેતરપિંડીનો ઇરાદો કેન્દ્રમાં રહે છે ને સરવાળે બેન્કે ભોગવવાનું આવે છે.

અત્યાર સુધીમાં છેતરપિંડીનો મોટો આંકડો માલ્યા કે મોદીનો લાગતો હતો, તેને ટપી જાય તેવો આંકડો 22,842 કરોડના કૌભાંડનો સી.બી.આઈ.એ ફોડ્યો છે. એ.બી.જી. શિપયાર્ડ લિમિટેડના પૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ અને બીજા સાત અધિકારીઓ સામે સી.બી.આઈ.એ કેસ દાખલ કર્યો છે. અહીં પણ અગ્રવાલ પરદેશ વસી ગયાની વાત છે જ. બેન્કોને નવડાવીને પરદેશ વસી જવાની યુક્તિ અહીં પણ કામે લગાડાઈ હોવાનું લાગે છે. ગઈ 7 ફેબ્રુઆરીએ સી.બી.આઈ.એ કેસ દાખલ કર્યો ને તેનાં અનુસંધાને ડિરેક્ટરોના સુરત, ભરૂચ, મુંબઈ, પુના સહિતના 13 ઠેકાણે દરોડા પાડી દસ્તાવેજો કબજે કર્યા છે. કંપનીના તત્કાલીન ડિરેક્ટરો સામે તથા બીજી એક કંપની એ.જી.બી. ઇન્ટરનેશનલ સામે (જે પણ આ કંપનીનો જ ભાગ છે) ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને વિશ્વાસઘાતના કેસ દાખલ થયા છે.

2012થી 2017 દરમિયાન આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં સંપત્તિનો દુરુપયોગ કર્યાનું સી.બી.આઈ.નું માનવું છે. લોન જે હેતુસર લેવામાં આવી તેનો તે હેતુ માટે ઉપયોગ ના થયો ને બીજા જ કામમાં લોન વપરાઈ. 2016માં કંપનીનાં ખાતાં એન.પી.એ. જાહેર થયાં અને પછી 2019માં તેને ફ્રોડ એકાઉન્ટ્સ જાહેર કરાયાં. 2019ના નવેમ્બરમાં 28 બેન્કોએ આ કંપનીઓ વિરુદ્ધ સી.બી.આઈ.માં ફરિયાદ દાખલ કરી. દોઢ વર્ષ ફોરેન્સિક ઓડિટ ચાલ્યું જેમાં 22,842 કરોડનું કૌભાંડ પકડાયું. પ્રમોટરોએ મેળાપીપણામાં ગરબડ કરી હતી. વેપારના નામે લોન લેવાઈ હતી, પણ તેમાંથી સંપત્તિ ખરીદાઈ હતી અને નાણાં વિદેશ પણ મોકલાયાં હતાં. 2020માં બેન્કોએ ફરી ફરિયાદ કરી ને સી.બી.આઈ.એ દોઢ વર્ષ તપાસ કરીને 7 ફેબ્રુઆરીએ એફ.આઇ.આર. નોંધી. 6 બેન્કોની જ 17.734 કરોડની રકમ સલવાઈ છે જેમાં સૌથી વધુ રકમ 7.089 કરોડ આઇ.સી.આઇ.સી.આઇ.ની છે. સ્ટેટ બેન્કના પણ 2.925 કરોડ બાકી લેણાં છે. આ ઉપરાંત આઇ.ડી.બી.આઇ.ના 3,634 કરોડ સાથે બીજી બેન્કોના પણ કરોડો રૂપિયા બાકી લેણાં નીકળે છે.

એ.બી.જી. શિપયાર્ડ જહાજ બનાવવાનું અને મેઇન્ટેનન્સનું કામ કરતી હતી. આ કંપની 1985માં સુરતના મગદલ્લામાં શરૂ થઈ હતી ને તે દહેજમાં પણ ચાલતી હતી. 1991 સુધી તો કંપની નફો પણ કરતી હતી, પણ 2016માં કંપનીને 55.7 કરોડ ડોલરની ખોટ ગઈ ને વૈશ્વિક મંદીમાંથી પણ તે બેઠી ન થઈ શકી. આ સાચું હોય તો કંપનીના ડિરેક્ટરોએ, જે હેતુ માટે લોન અપાઈ હતી, તે સિવાયના હેતુઓ માટે રકમ સગેવગે કરી એનું શું? એ મંદીનું પરિણામ તો ન જ હોય. એટલે કંપની મંદી અને વેપાર ઘટતાં ને ખર્ચ વધતાં લોન ભરપાઈ ન કરી શકી કે ડિરેક્ટરોએ લોનનો દુરુપયોગ કર્યો તે લોન ડૂબવાનું મુખ્ય કારણ છે એ સ્પષ્ટ થતું નથી. આ ફ્રોડમાં એલ.આઇ.સી.ના પણ 136 કરોડ સલવાયેલા છે ને બીજી બેન્કોના પણ કરોડો રૂપિયા તો ખરા જ !

આમ તો આ કૌભાંડ કોરોના કાળ પહેલાંનું છે, પણ કોરોના દરમિયાન પણ થયેલાં લોકડાઉનમાં નોકરીધંધા મંદા પડ્યાં હતાં એટલે બેન્કો પાસેથી લોન લઈને વેપાર કરવાનું મુશ્કેલ જ હતું. એ દરમિયાન રિઝર્વ બેન્કે પણ વ્યાજદરોમાં ફેરફાર કરવાનું એટલે ટાળ્યું કે બેન્કો વધુને વધુ ધિરાણ કરી શકે. રિઝર્વ બેન્કની  ધિરાણને પ્રોત્સાહિત કરવાની નીતિએ પણ એવી સ્થિતિ સર્જી કે બેન્કો ખરાંખોટાં ધિરાણ માટે આકર્ષાય અને એમાં જે જેન્યુઇન ધિરાણ છે તે તો પાછું આવે, પણ કેટલુંક ન પણ આવે ને એ એન.પી.એ.નો આંકડો વધારે એમ બને. બેન્કોની લોન પરત આવે તેમ જરૂર ઈચ્છીએ, પણ ધિરાણની ફરજ પડે એવું પ્રોત્સાહન કેટલીક વાર બેડ લોનનું નિમિત્ત પણ બને છે. આ અટકવું જોઈએ. મોટાં ધિરાણમાં વધુ નફાની તકો બેન્કોને રહેલી છે જ, પણ એમાં જોખમ પણ છે જ. 22.842 કરોડ નાનું ધિરાણ નથી જ. એમાં એક, બે નહીં, 28 બેન્કો ફસાઈ છે ત્યારે આટલી બધી બેન્કોમાંથી કોઈને પણ લોન પરત નહીં આવે એવી ચિંતા થઈ હશે કે કેમ તે નથી ખબર. આટલી બધી બેન્કો એક બે કંપનીને જ આટલાં મોટાં ધિરાણ માટે એક સાથે તત્પરતા દાખવે એ પણ ધિરાણની ગરજ, બેન્કોની વધારે રહી હોવાનો સંકેત કરે છે. આ રકમમાંથી કેટલી રકમ પરત આવશે તે તો સમય જ કહેશે. જવાબદારો સામે કેવાં પગલાં લેવાશે એની પણ રાહ જોવાની રહે, પણ એટલું ચોક્કસ છે કે અગાઉનાં માલ્યા, મોદીનાં લોન ડુબાડીને વિદેશ ભાગી જવાનાં ઉદાહરણો સામે હોય, પછી પણ બેન્કો સમૂહમાં આટલું મોટું ધિરાણ કઈ ખાતરીથી કરતી હશે એનું પરમ આશ્ચર્ય જ સામાન્ય માણસ પાસે રહી જાય છે. એક સમય હતો જ્યારે બેન્કોને ડિપોઝિટના ટાર્ગેટ અપાતા ને ડિપોઝિટ પર 10થી 12 ટકા જેવું સારું એવું વ્યાજ અપાતું. આજે ડિપોઝિટ તરફ બેન્કો બેધ્યાન છે. એમાં જે સિનિયર્સ ડિપોઝિટ પર ટકી ગયા હતા, એમના હાથમાં વ્યાજ ચણામમરા જેવું માંડ આવે છે. એમની સ્થિતિ દયનીય છે. એનું પણ આશ્ચર્ય જ છે કે ડિપોઝિટની બહુ પરવા ન કરતી બેન્કો ધિરાણને આટલું પ્રોત્સાહન કયા આધારે આપે છે ! આ ભેદ સાધારણ માણસને સમજાતો નથી. કોઈ ભલે કહે કે ખાતો નથી ને ખાવા દેતો નથી, પણ હવે તો ખાઈને ખવડાવો એ નીતિ જ કદાચ કેન્દ્રમાં છે. અનીતિ જ નીતિ હોવાનો વહેમ પડે છે.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 ફેબ્રુઆરી 2022

Loading

વ્હેન યુ આર ગૂડ ટુ અધર્સ, યુ આર બેસ્ટ ટુ યૉરસેલ્ફ : બેન્જામિન ફ્રેન્કલિન

સોનલ પરીખ|Opinion - Opinion|14 February 2022

આપણે આત્માઓ છીએ. આપણને શરીર મળ્યું છે કે એના દ્વારા આપણે આનંદ અને જ્ઞાન મેળવીએ, લોકોનું કંઈક ભલું કરીએ અને આપણા સરજનહાર જેવા મૈત્રીપૂર્ણ, પ્રેમાળ, ઉદાર અને કરુણાભર્યા બનવા પ્રયત્ન કરીએ. પણ જ્યારે શરીરમાં આ બધું કરવાની યોગ્યતા ન રહે, જ્યારે એ આનંદને બદલે પીડાનું કારણ બને, મદદરૂપ થવાને બદલે ભારણ બને, જે હેતુઓ માટે એ આપણને મળ્યું છે એને વહન કરવા યોગ્ય ન રહે ત્યારે આપણને એનાથી છૂટવા મળે એવો કોઈ  કલ્યાણકારી માર્ગ હોવો જોઈએ. મૃત્યુ એ માર્ગ છે.

— બેન્જામિન ફ્રેન્કલિન

કોઈ વ્યક્તિ એક ક્ષેત્રમાં પ્રતિભા ધરાવતી હોય તો પણ આપણે પ્રભાવિત થઈએ છીએ. પણ જે વ્યક્તિ અનેકવિધ ક્ષેત્રોમાં પ્રતિભા ધરાવતી હોય – તે પણ આજથી બેત્રણ સદી પહેલા અને આખી દુનિયાને ઉપયોગી થાય એવા અનેક નવાં પ્રદાનો કરી ગઈ હોય એને શું કહીશું? 17 જાન્યુઆરીએ જેમનો જન્મદિન હતો, એ બેન્જામિન ફ્રેન્કલિન આવી એક બહુમુખી અને અત્યંત દુર્લભ પ્રતિભા ધરાવનાર વ્યક્તિ હતા. એમના વિશે કહેવું કે જાણવું એ પણ એક પ્રાપ્તિ જેવું છે.

1700ની શરૂઆતમાં ભારતમાં તાજમહાલ બંધાયાને પચાસેક વર્ષ થયાં હતાં. મોગલ સામ્રાજ્ય ટોચ પર હતું. ભારતની સમૃદ્ધિથી આકર્ષાયેલા અંગ્રેજોની ઇસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં કોઠીઓ નાખી હતી, એમનો રાજકીય પગપેસારો શરૂ થઈ ગયો હતો, પણ શાસન શરૂ થવાને થોડા દાયકાઓની વાર હતી.

આ સમયે 1706માં અમેરિકાના બોસ્ટનમાં એમનો જન્મ. તેમના જન્મ સમયનું અમેરિકા એટલે યુરોપના દેશોની, ખાસ કરીને ઇંગ્લૅન્ડની વસાહતો. એ કાળની જે મોટી ઘટનાઓ વિશે આપણે ઇતિહાસમાં ભણીએ છીએ, તેમાંની અનેક એમના જીવનકાળ દરમ્યાન બની અને તેઓ એના સાક્ષી અને ઘડવૈયા બન્યા. વિજ્ઞાનની શોધખોળોનું પણ એવું જ. લાઈટનિંગ રોડ, બાયફૉકલ ચશ્માં, ફ્રેન્કલિન સ્ટવ, ઑડોમીટર, ગ્લાસ આર્મેનિકા આ બધી એમની શોધ. ફૂટપાથ, આગબંબા, લાયબ્રેરીને સર્વસુલભ એમણે બનાવ્યા. યુનિવર્સિટી સ્થાપી. ભાષાઓ શીખ્યા. આગનો વીમો શરૂ કર્યો. પોલિસવ્યવસ્થા અને હૉસ્પિટલની શરૂઆત કરી. પોતે પોસ્ટમાસ્તર અને પ્રકાશક-મુદ્રક-સંપાદક-લેખક તો ખરા, સાથે ઉદ્યોગપતિ પણ ખરા. અમેરિકન સ્વાતંત્ર્યયુદ્ધની નીતિઓ ઘડી. સ્વતંત્રતાનું ઘોષણાપત્ર અને બંધારણ ઘડનારી કમિટીમાં રહ્યા. અનેક મહત્ત્વની સંધિઓ પર એમની સહી છે. યુરોપમાં અમેરિકન રાજદૂત બન્યા. દરેક ક્ષેત્રમાં ભારોભાર મૌલિકતા અને પ્રયોગશીલતા. ગુલામીપ્રથા વિરુદ્ધ પણ કામ કર્યું હતું.

સ્વતંત્ર અમેરિકાની સંસ્કૃતિ ઊભી કરવામાં એમનો મોટો ફાળો છે. તેઓ અમેરિકાના આદ્યસ્થાપકોમાંના એક અને જ્યૉર્જ વૉશિંગ્ટન પછીની બીજી મહત્ત્વની હસ્તી ગણાય છે. અમેરિકાએ તેમને ફર્સ્ટ અમેરિકનનો ખિતાબ આપ્યો અને અનેક માનદ્દ ડિગ્રીઓ, પુષ્કળ ચંદ્રકો, ઢગલાબંધ પ્રતિમાઓ, પદકો, ટપાલટિકિટો, એમના નામની સ્કૂલો-કૉલેજો, માર્ગો, પુલો, વિસ્તારો, મ્યુઝિયમો અને સ્મારકો દ્વારા ઋણસ્વીકાર કર્યો. અમેરિકામાં એમના નામનું યુદ્ધજહાજ પણ છે અને ફ્રેન્કલિન નામનું એક વૃક્ષ પણ છે. સુંદર શ્વેત પુષ્પો આપતું આ નાનું વૃક્ષ હવે ખુલ્લામાં જોવા નથી મળતું, પણ બાગબગીચાને શોભાવે છે.

એવું શું હોય છે જે માણસને મહાન બનાવે છે? બેન્જામિન ફ્રેન્કલિનની આત્મકથા વાંચવા જેવી છે. પિતાના સત્તર સંતાનોમાં બેન્જામિન સોળમા. આર્થિક સંકડામણે ભણવાનું છોડાવ્યું, આડાઅવળાં નાનામોટાં મહેનતનાં કામો કર્યાં, ભાઈના પ્રેસમાં શિખાઉ મદદનીશ તરીકે છાપું વહેંચવા જવાથી લઈ, કાઢવા સુધીની કાળી મજૂરી કરી. પુસ્તકો ગમતાં. સમુદ્રયાત્રા આકર્ષતી. સંગીત અને શતરંજના શોખીન હતા. કુશળ તરવૈયા હતા અને અનેક ઓજારો વાપરી જાણતા. પેપર કરન્સીને લોકપ્રિય બનાવવામાં તેમનો મોટો ફાળો છે. દરેક અનુભવમાંથી શીખતા ગયા, લખતા ગયા, પ્રયોગો કરતા ગયા, દેશકાળના બદલાતા પ્રવાહોને ઝીલતા ગયા. પોતાનું જ નહીં, સૌનું શ્રેય જોતા ગયા અને બુદ્ધિ, કાબેલિયત, ધૈર્ય અને દૂરંદેશીની મદદથી પોતાની કેડી કંડારતા ગયા. 

જાહેર જીવનની અપ્રતિમ સફળતાએ અંગત જીવનનો ભોગ પણ લીધો. પ્રથમ સંતાન નાની ઉંમરે મૃત્યુ પામ્યું, પત્ની ડેબોરેહ એકલતા અને ડિપ્રેશનનો શિકાર બની. એના મૃત્યુ વખતે ફ્રેન્કલિન પ્રવાસમાં હતા. એમને એક અવૈધ પુત્ર હતો, વિલિયમ. તેને એમણે ન્યૂ જર્સીનો ગવર્નર બનાવ્યો હતો, પણ પિતાપુત્ર વચ્ચે સારા સંબંધ ન હતા. જીવનનાં આખરી વર્ષોમાં તેઓ એકલા અને બીમાર હતા. 1788માં એમણે જાહેર જીવન છોડ્યું અને 1790માં 84 વર્ષની ઉંમરે પ્લુરસીથી એમનું મૃત્યુ થયું. એમની કબર ફિલાડેલ્ફિયાના ક્રાઈસ્ટ ચર્ચ બરિયલ ગ્રાઉન્ડમાં છે.

તેઓ કહેતા, ‘દુનિયામાં નિશ્ચિત બાબતો બે જ છે, પુસ્તકો અને મૃત્યુ.’ બાવીસમાં વર્ષે એમણે પોતાની કબર પર કોતરાવવાનું લખાણ તૈયાર કરેલું, ‘અહીં પ્રિન્ટર બેન્જામિન ફ્રેન્કલિન જૂના પુસ્તકના પૂંઠાની જેમ, કીડાઓથી કોતરાતો સૂતો છે. પણ એનું કામ એટલું નાશવંત નથી. કેમ કે એ ફરી આવશે –  સર્જકે સુધારેલી અને સત્યની વધુ નજીક એવી નવી અને વધારે સારી આવૃત્તિની જેમ.’ જો કે એમની ખરી કબર પર ચાર જ શબ્દો છે : ‘બેન્જામીન અને ડેબોરાહ ફ્રેન્કલિન.’

જિંદગી અને મૃત્યુ વિશે એમના આ શબ્દો યાદ રહી જાય એવા છે : ‘સવારે નવ વાગ્યે હું જાગું છું અને તરત તાજું છાપું હાથમાં લઉં છું. છેલ્લે શ્રદ્ધાંજલિનું પાનું જોઉં છું. મારું નામ એમાં ન હોય તો ઊભો થાઉં છું.’ ‘જો મૃત વ્યક્તિઓની જેમ વિસ્મૃત રહેવું ન હોય, તો કંઈક લખો અથવા કોઈને તમારા વિશે લખવાનું મન થાય એવું કરો.’ ‘કેટલાક લોકો 25માં વર્ષે મરી જાય છે અને 75માં વર્ષે કબરમાં દટાય છે.’ ‘જિંદગીની કરુણતા એ છે કે આપણે વૃદ્ધ ઘણા વહેલા થઈ જઈએ છીએ અને ડહાપણ ઘણું મોડું આવે છે.’ ‘જ્યારે તમે પરિવર્તનનો અંત આણો છો ત્યારે પોતે પણ અંત પામો છો.’ ‘હું મૃત્યુને ઊંઘ જેવું ગણું છું. સવાર પડે એટલે સ્ફૂર્તિ સાથે ઊભા થવાનું.’

એક મિત્રની અંતિમક્રિયા સમયે એમણે કહ્યું હતું, ‘આપણે આત્માઓ છીએ. આપણને શરીર મળ્યું છે કે એના દ્વારા આપણે આનંદ અને જ્ઞાન મેળવીએ, લોકોનું કંઈક ભલું કરીએ અને આપણા સરજનહાર જેવા મૈત્રીપૂર્ણ, પ્રેમાળ, ઉદાર અને કરુણાભર્યા બનવા પ્રયત્ન કરીએ. પણ જ્યારે શરીરમાં આ બધું કરવાની યોગ્યતા ન રહે, જ્યારે એ આનંદને બદલે પીડાનું કારણ બને, મદદરૂપ થવાને બદલે ભારણ બને, જે હેતુઓ માટે એ આપણને મળ્યું છે એને વહન કરવા યોગ્ય ન રહે ત્યારે આપણને એનાથી છૂટવા મળે એવો કોઈ  કલ્યાણકારી માર્ગ હોવો જોઈએ. મૃત્યુ એ માર્ગ છે.’

એમણે પોતાના જીવન અંગે પણ અમુક નિયમો નક્કી કર્યા હતા અને એ જ નિયમોની સીમાઓમાં રહી જીવ્યા હતા. આ નિયમો એટલે સ્વચ્છતા, શ્રમ, વ્યવસ્થા, કરકસર, સંકલ્પ, શાંતિ, અંકુશ, વિનમ્રતા, સંયમ, નિષ્ઠા, મિતભાષીપણું, ચારિત્ર્ય અને ન્યાય.

જીવનમાં એમને સફળતાઓ સાથે નિષ્ફળતાઓ પણ મળી જ હતી. તેઓ સફળતાથી ફુલાયા નહીં અમે નિષ્ફળતાથી હાર્યા નહીં. એમનાં થોડાં વચનો સાથે જ વિરમીએ : ‘તમારા શત્રુને ચાહો, કેમ કે એણે જ તમને તમારી ક્ષતિઓ બતાવી’, ‘પોતાની જાત સાથે જેને દોસ્તી હોય, તેનો કોઈ શત્રુ હોતો નથી.’, ‘આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો’, ‘આપણી બારીઓ કાચની હોય ત્યારે બીજાના ઘર પર પથ્થર ન ફેંકાય’, ‘તમે જે બનવા ધારો, બની જ શકો’, ‘વ્હેન યુ આર ગૂડ ટુ અધર્સ, યુ આર બેસ્ટ ટુ યૉરસેલ્ફ’, ‘સ્વતંત્રતા કોઈને આપી શકાતી નથી. એ એક અધિકાર છે, ઈશ્વર અને પ્રકૃતિના કાયદાએ આપેલો અધિકાર.’

અને ‘જે સમાજ થોડી સલામતી મેળવવા થોડી સ્વતંત્રતા જતી કરે તેને છેવટે સ્વતંત્રતા કે સલામતી બેમાંથી એકે મળતી નથી.’

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 16 જાન્યુઆરી 2022

Loading

...102030...1,7141,7151,7161,717...1,7201,7301,740...

Search by

Opinion

  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved