છેલ્લાં કેટલાંક વખતથી મોદીજીએ એક નવી શૈલી કે સંસ્કૃતિ વિકસાવી છે. જૂઠું બોલો, જોરથી બોલો. એમની આ શૈલી એમના ભાષણેભાષણે ભયજનક રીતે વધી રહેલી માનસિક બીમારી થઈ ચૂકી છે. રાજનેતાઓ માટે પ્રજા પપ્પુ કે ફેંકુ જેવાં નામ પાડી દે છે એ એક અર્થમાં આજનું લોકસાહિત્ય છે. આ વખતે સંસદમાં અદાણી-અંબાણી જેવાં કોર્પોરેટની વધી રહેલી સંપત્તિ, મોંઘવારી અને ચીન-પાકિસ્તાનની વધી રહેલી દોસ્તી વિશે રાહુલ ગાંધીએ પ્રશ્નો પૂછ્યા તો એ પ્રશ્નોને ચાતરીને કોરોના પર ઊતરી આવ્યા! કોરોના માટે વિપક્ષ જ જવાબદાર છે, એમણે ભારતને બદનામ કર્યું છે–ની રાડારોળ કરવા માંડ્યા.
કોરોના વિષયક એક પછી એક જુઠ્ઠાણાંનો વરસાદ વરસાવી, એક કલાક અને વીસ મિનિટ સુધી આનંદ લીધો! એમણે કહ્યું કે લૉકડાઉન WHOની સૂચનાથી કરાયું હતું. WHOએ રદિયો આપ્યો કે એમણે આવી કોઈ સૂચના આપી ન હતી. માત્ર ચાર કલાકની અવધિમાં. એકાએક લૉકડાઉન લાગુ કરાયું હતું જેણે લાખો મજૂરોની પરિસ્થિતિ કફોડી બનાવી. મોદીજીના ભાષણ વખતે હવે હવે 'નિકાહ’નું ગીત યાદ આવે કે આ હવે છેલ્લાં સિતમ હશે, પરંતુ એના પછીનું વ્યાખ્યાન અગાઉની ઊંચાઇને પણ આંટી દે. એમના વ્યાખ્યાનનું જુઠ્ઠાણું, વ્યાખ્યાનનાં વિરોધી વિધાનોથી જ પકડાઈ જાય છે. એક તરફ એમણે કહ્યું તમારી (કાઁગ્રેસ) પાસે જનાધાર નથી, કેવળ ૪૪ સાંસદો છે. બીજી તરફ કહ્યું કે કાઁગ્રેસે મુંબઈના ૪ કરોડ યુ.પી.-બિહારના મજૂરોને ગામડે ધકેલી દઈને ભારતભરમાં કોરોના ફેલાવ્યો! થોડીક શરમ કરો વડા પ્રધાનજી. લૉકડાઉન જાહેર કરી સત્તા તો કુંભકર્ણની નિંદ્રામાં ચાલી ગઈ હતી. ટ્રમ્પના દરબારમાં મુજરો કરતી હતી; કુંભના મેળામાં સરકાર સ્નાન કરતી હતી!
તમે બીજું જુઠ્ઠાણું કોરોનાની રસી સંદર્ભે ફેલાવો છો. આટલા કરોડને મફત રસી આપી! અરે સાહેબ, તમે તો લેખિતમાં કહ્યું હતું કે મફત રસી નહીં આપી શકાય. સુપ્રીમ કોર્ટે લાલ આંખ કર્યા પછી તમે મફત રસી આપી છે. આ ગાળામાં તમે હાઈ કોર્ટે અને સુપ્રીમ કોર્ટે કેટલીવાર ઠપકા આપ્યા એ યાદ કરો. શું આ ન્યાયાલયો ભારતને બદનામ કરે છે? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કંપની વચ્ચે રસી બિચારી કેટલી ફસાઈ હતી એ યાદ કરો? તમે કોરોનાની એક પણ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લીધી? આ જ તમારી સંવેદનહીનતાનો જીવતો-જાગતો પુરાવો છે.
માત્ર ચાર કલાકમાં થોપાયેલું લૉકડાઉન આ સદીનું સૌથી મોટું પાપ હતું. ત્યારે સોનિયા ગાંધીએ સૂચન કરેલું કે ૨૦ હજાર કરોડનો સેન્ટ્રલ વિસ્ટાનો પ્રોજેકટ અટકાવી મજૂરોને મદદ કરો પરંતુ તમે ગણકાર્યું જ નહીં. પગપાળા મજૂરોની હિજરત અવિસ્મરણીય અને દુઃખદ છે. મુંબઈમાં વિપક્ષના કારણે ગયાં તો સુરતમાંથી કોના કારણે ગયાં? મજૂરોને વતન મોકલવાની વ્યવસ્થા પૂરી પાડનાર પર દોષનો ટોપલો ઢોળી દેવો તમને શોભતો નથી.
વળી, તમે ભાષણમાં વિષ્ણુપુરાણની જેમ યોગને અને દેશી દવાઓને ખેંચી લાવ્યા. વિપક્ષે એનો વિરોધ કર્યો એમ કહ્યું. મોદીજી, જે બાબા રામદેવની કોરોનિલ નીતિન ગડકરીએ લોન્ચ કરી હતી એ દવાને ભારતભરના વૈજ્ઞાનિકોએ નકારી. બાબા રામદેવે દવા પાછી ખેંચી, માફી માંગી. તથાકથિત દવાનો સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધને વિરોધ કર્યો તો આપે એમને મંત્રીપદેથી રવાના કર્યાં!
ઓક્સિજન અને દવાના અભાવે લાખો લોકો મર્યા એ કોરોનાના કારણે નહીં પણ વ્યવસ્થાના અભાવે મર્યાં છે, જેના માટે સીધી જવાબદારી આપની છે. વળી, તમે આંકડાઓ છૂપાવ્યાનું ઘોર પાતક પણ કર્યું. સરકારી ચોપડે ગુજરાતમાં દસ હજાર મર્યાનું કહો છો? અને મૃતકોનું વળતર લેવાં લાખ નાગરિકોએ ફોર્મ ભર્યું છે! આ તો એક નાનું ઉદાહરણ છે. વેન્ટિલેટર ખરીદીના ભ્રષ્ટાચાર કૌભાંડનો શું જવાબ આપશો?
તમારી જુઠ્ઠાણાં સંસ્કૃતિનો પ્રભાવ કેવો પડે છે એનું એક ઉદાહરણ જુઓ. યુ.પી.ની ચૂંટણી સભામાં તમારી તર્જ પર યોગીજી પણ ગરજે છે કે ઓક્સિજનના અભાવમાં એક પણ મૃત્યુ થયું નથી! કોરોના પૂર્વે જ પાંત્રીસ બાળકો ઓક્સિજન વિના ટળવળી મરી ગયાં! કોરોનામાં તો બેહિસાબ નાગરિકો. TMC સાંસદ ડેરેક બ્રાયને ગંગામાં વહી ગયેલી લાશોની વિગત માંગી હતી જેનો જવાબ જળશક્તિ મંત્રી વિશ્વેશ્વર ટૂંડુંએ આપ્યો કે અમારી પાસે શૂન્ય માહિતી છે! જ્યારે ૧૪મી મે, ૨૦૨૧ના ‘દૈનિક ભાસ્કરે’ ગંગાના ૧,૧૪૦ કિ.મી.માં સર્વે કરી બે હજારથી વધુ લાશો વહેતી મૂકાયાનો હેવાલ આપેલો છે!
તમે વારેતહેવારે વિપક્ષને ઝૂડવાના બદલે આત્મનિરીક્ષણ કરો. પ્રજાએ વિપક્ષને નહીં તમને સૂંડલે સૂંડલે મત આપ્યાં છે. તમે ગેસના બાટલા માટે, પેટ્રોલ માટે ર્નિભયા માટે શેરીઓ ગજવતા હતા. આજે? શું જવાબ આપશો? સેંગર માટે, હાથરસ માટે, ચિન્મયાનંદ માટે, પાટણ માટે મૌન ધારણ કરી લો છો! સાત વર્ષમાં વિદેશી દેવું છગણું કરી બેઠા એ તમારી અણઆવડતનો બોલતો પુરાવો છે. તમારું રોલ મોડલ કાઁગ્રેસ છે? કે તમે એને જ યાદ કર્યા કરો છો? નહેરુ-ઇન્દિરાને છોડો. અત્યારે તમે આવ્યા ત્યારે જે કાળું નાણું સ્વિસ બેંકમાં હતું એ બમણું થયું છે એ તમે યાદ કરો. દેશ કો બીકને નહીં દુંગા, તમે હવે કેમ બોલી નથી શકતા? ડોલર-રૂપિયાની હરીફાઈ વિશે તમે કેટલું બોલતા હતા? આ બધાનો જવાબ નથી એટલે શીખોની હત્યા, હિંદુને ખતરોનું જ ગીત હવે ગાવું પડે છે. તમારી રાષ્ટ્રભક્તિ પણ ચીનની અરુણાચલની ઘૂસણખોરીમાં બહાર આવી ગઈ. ત્યાંના ભા.જ.પ.ના ધારાસભ્યો તમને માહિતી આપે છે છતાં ચૂં કે ચા નથી થઈ શકતું. પુલવામાના જવાબદારોને પકડી શકયા નથી. જે CRPF માટે તમે હવાઈવ્યવસ્થા આપી ન હતી, એ પક્ષ યુ.પી.માં ચૂંટણી માટે ૪૨ હેલિકોપ્ટર ભાડે રાખે છે!
છેલ્લી વાત :
તમે વિષ્ણુપુરાણ નિમિત્તે ભારતની સરહદોને યાદ કરી. સંસદમાં સંવિધાનને યાદ કરો. રાષ્ટ્ર-રાજ્યની વિભાવના, સમાનતાની વિભાવના તે કાળે ન હતી. તમે રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થી છો, પંડિત નહીં. આમાંથી મારા જેવાને હિંદુરાષ્ટ્રની ગંધ આવે છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 03