Opinion Magazine
Number of visits: 9674376
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રિલાયન્સ ઇન્‍ડસ્ટ્રીઝ લિમિટેડ : ભવિષ્યની ગણતરી અને મૂળિયાંની સમજનો પરફેક્ટલી ગણાયેલો દાખલો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|2 January 2022

કોર્પોરેટ પરીકથાના લેજન્ડ઼્ઝ સમા ધીરૂભાઇ અને મૂકેશ અંબાણીની કામ કરવાની શૈલી આવનારી પેઢીઓ માટે દૃષ્ટાંત રૂપ

તાજેતરમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી  લિમિટેડની એન્યુઅલ જનરલ મીટિંગ થઇ અને તેમાં આગલી પેઢીને સુકાન આપવાનો ઉલ્લેખ ચેરમેન મૂકેશ અંબાણીએ કર્યો. દેશના સૌથી મોટા ઇન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશનનું ઉત્તરદાયિત્વ મળવું કોઇ નાની સૂની વાત નથી. આમ પણ ધીરૂભાઈ અંબાણીએ જે શરૂ કર્યું તેને આગળ ધપાવવા માટે, વિકસાવવા માટે મૂકેશ અંબાણીએ જે કર્યું તે કોઇ દંતકથાથી કમ નથી. બહુ પહેલાં મેં ક્યાંક વાંચ્યું હતું કે દલાલ સ્ટ્રીટમાં એક જાણીતો જોક છે કે ભારતીય અર્થશાસ્ત્રને સમજવું હોય તો સેલ્ફ – રિલાયન્સ(આત્મ નિર્ભરતા)થી રિલાયન્સ સુધીના પરિવર્તનને સમજી લેવું. રિલાયન્સના સામ્રાજ્યની આસપાસ અહોભાવ અને સફળતાનો તેજોવલય જાણે રહેલો છે.  દેશમાં બીજા કોઇ પણ ખાનગી કોર્પોરેશને જૂના અને નવા બન્ને અર્થતંત્રમાં અને એ પરિવર્તન દરમિયાન પણ આટલો બધો વિકાસ નથી કર્યો. અમુકે કર્યો છે તો તે પચાવી નથી શક્યા, સંભાળી ન શક્યા. રિલાયન્સની વિકાસ ગાથા કોઇ કોર્પોરેટ પરીકથાથી કમ નથી.

ધીરૂભાઇની શરૂઆતી જિંદગી વિશે ઘણું લખાઇ ચુક્યું છે, ચોરવાડના શિક્ષકના દીકરા હોવું, સામાન્ય નોકરી કરવી, પોલિસ્ટર, શેર માર્કેટ અને ઘણું બધું. જોવાનું તો એ છે કે ધીરૂભાઇ અંબાણી જ્યારે ૨૦૦૨માં મૃત્યુ પામ્યા ત્યારે તે કોઇ વસિયત લખીને નહોતા ગયા. બન્ને દીકરાઓ મૂકેશ અને અનિલ અંબાણી વચ્ચેના મતભેદ ૨૦૦૪માં સપાટી પર આવ્યા. જ્યારે ઔદ્યોગિક મિલકતની માલિકીના વિખવાદો ચાલતા હતા, ત્યારે મૂકેશ અંબાણી તરફથી  રિલાયન્સના દરેક કર્મચારીને ઇ-મેઇલ ગયો હતો, જેનો સાર હતો કે ધીરૂભાઇના વારસાને મામલે કોઇ અસ્પષ્ટતા નથી અને મૂકેશ અંબાણી જ RILને લગતી તમામ બાબતોમાં આખરી સત્તા ધરાવે છે.

ધીરૂભાઇના સમયમાં જે ઔદ્યોગિક માળખું હતું તે મૂકેશ અંબાણીના નેતૃત્વ હેઠળ સામ્રાજ્ય બનીને વિકસતું રહ્યું. ૧૯૭૭માં ૫૦ કરોડના રોકાણ અને ૬૦ હજાર શૅર હોલ્ડરથી શરૂ થયેલા RILએ ક્યારે ય કોઇ પણ ક્ષેત્રે હરણફાળ ભરવામાં પાછું વળીને નથી જોયું. રિવર્સ એન્જિનિયરિંગ જે ધીરૂભાઇએ અપનાવેલું તે મૂકેશભાઇએ પણ અપનાવ્યું અને કોઇ પણ ક્ષેત્ર હોય તેનું શ્રેષ્ઠ જ ખડું કરવું, શ્રેષ્ઠ જ અપનાવવું એ જ તેમનો સિદ્ધાંત રહ્યો છે. ધીરૂભાઇ અંબાણીના RILની સફર ટેક્સ્ટાઇલથી હાઇડ્રોકાર્બન સુધીની રહી છે. ૨૦૦૪માં રિલાયન્સ ભારતની પહેલી ખાનગી કંપની બની જે ફોર્ચ્યુન 500 કંપનીઝના લિસ્ટમાં મુકાઇ. રિફાઇનરી સ્થાઇ થઇ અને બીજી હરણફાળની તૈયારીઓ માટે મેદાન તૈયાર હતું. ૧૫ વર્ષ પહેલાં રિટેલ બિઝનેસિઝમાં ટોચ પર પહોંચવાનો નિર્ણય લેવાયો અને આજે રિલાયન્સ રિટેલ નેટવર્ક ૧૨,૦૦૦ જેટલા તો સ્ટોર્સ સાથેનું ૭,૦૦૦ શહેરોમાં વિસ્તરી ચૂક્યું છે. આમ તો રિલાયન્સ કોર્પોરેશન એક યા બીજી રીતે આપણી રોજિંદી ઘટમાળનો ભાગ રહ્યું પણ બદલાતા સમય સાથે ડેટા ઇઝ ધી ન્યુ ઓઇલના ફંડાને દૂરંદેશી ધરાવતા મૂકેશ અંબાણી સારી પેઠે સમજતા હતા અને આ સમજણ માત્ર સમજણ ન રહેતા વાસ્તવિકતામાં પણ ફેરવાઇ. જિઓ લૉન્ચ થયું અને લાખો લોકોની જિંદગી સુધી રિલાયન્સની પહોંચ વિસ્તરી. ભારતના ટેલિકોમ સેક્ટરમાં જિઓએ અણધાર્યા ફેરફાર કર્યા. આજે જિઓ દેશનું અગ્રણી ટેલિકૉમ ઑપરેટર છે. લૉંચ થયાના ચાર વર્ષના ગાળામાં તો જિઓનો માર્કેટ શેર ભારતીય ટેલિકૉમ સેક્ટરના ૩૩ ટકાથી વધુ થઇ ગયો. ૨૦૨૦માં RILના અલગ અલગ હિસ્સાઓ જેમ કે ટેલિકૉમ, રિટેલ, પેટ્રોલિયમ વગેરેમાં વિશ્વ ભરના જાયન્ટ્સે એક યા બીજી રીતે રોકાણ જાહેર કર્યા. લૉકડાઉન અને વાઇરસમાં સપડાયેલા દેશના અર્થતંત્રમાં જે હિલચાલ આંખે ઊડીને વળગી એવી રહી તે રિલાયન્સના રોકાણ જ રહ્યા એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

ટેસ્લાના ઇલોન મસ્કને પાછળ છોડનારા મૂકેશ અંબાણીએ ભૂતકાળમાં પણ કહ્યું છે કે તે ભવિષ્યના બિઝનેસિઝને અપનાવવામાં પાછું વળીને નહીં જુએ. રિટેલ અને ડિજીટલ સેક્ટરમાં રિલાયન્સનો પગદંડો જે રીતે જામ્યો છે તે આ વિધાનનો પુરાવો છે. આર્થિક ધક્કાઓને આ સેક્ટર્સ પહોંચી વળ્યા છે. ધીરૂભાઇ અંબાણીનું દૂરંદેશી વિઝન દીકરા મૂકેશ અંબાણીને વારસામાં મળ્યું છે. સામાજવાદી નીતિઓને ધંધા પર લાગુ નહીં કરીને હવે કયું ક્ષેત્ર વિકસશેની ગણતરીઓ યોગ્ય રીતે માંડવી એ RILની વિચારશૈલી છે. મૂકેશ અંબાણીએ પોતાની આ સમજને ઇન્ટ્યુશન એટલે કે આંતરસૂઝ ગણાવી છે, પણ તેમના મતે એક સારા બિઝનેસમેનમાં આ સમજ હોવી સ્વાભાવિક છે. 5Gમાં રોકાણ કરીને બેઠેલા મૂકેશ અંબાણીને વાંચનનો શોખ છે અને ટેક્નોલૉજી આર્ટિકલ્સ વાંચવાના શોખીન મૂકેશ અંબાણીએ આ ટેક્નોલૉજીની સમજ સાથે વૈશ્વિક રાજકીય પરિબળોને પણ ગણતરીમાં લીધા. વર્તમાન વૈશ્વિક સંજોગોમાં 5Gને મામલે ચીન સિવાયના દેશો સાથે કામ કરવા માગતા ઘણાં રાષ્ટ્ર છે. સ્વાભાવિક છે ભારત અને તેમાં ય RIL જે આ માટે સજ્જ છે તેની પર જ પસંદગીનો કળશ ઢોળાશે.

વળી ડાઇવર્સિફિકેશન અને નવું કરવાના પડકાર ઓછા નથી હોતા, પરંતુ તેની સાથે ડિલ કરવા માટે RILમાં ક્ષેત્રના શ્રેષ્ઠ માઇન્ડ્ઝને કામે લગાડાય છે. વળી RILના ડાઇવર્સિફિકેશનમાં યુવાનો માટે નોકરીની તકો વધારે હોય તેની ગણતરી પણ કરાય છે. આ એક લક્ષી નહીં પણ બહુકોણિય વિકાસ હોય છે જેમાં માત્ર એક કંપનીની નહીં પણ તેની સાથે એક યા બીજી રીતે જોડાતા દરેકનો આગવો – પોતાની ક્ષમતા અનુસારનો વિકાસ થાય.

મૂકેશ અંબાણીની આ સૂઝ માત્ર આધુનિક વિશ્વનાં પરિવર્તનોને સમજવાથી નથી બની પણ તેમાં આંતરિયાળ ભારતની જરૂરિયાત, તેમની માનસિકતા અને તેમની ક્ષમતાઓ માટેની સમજ પણ કામ કરે છે. જિઓનું કામ માત્ર ફોન નેટવર્ક સુધી સિમિત નથી આ પ્લેટફોર્મથી ખેતી, શિક્ષણ, હેલ્થકેર, ગેમિંગ, મીડિયા, એન્ટરટેઇનમેન્ટ, ઇકોમર્સ – રિટેલ, ઇપેમેન્ટ્સ અને બ્રોડબેન્ડ બધાંને આવરી લેવાયા છે.

અંબાણી ભાઇઓના વ્યક્તિત્વમાં આસમાન જમીનનો ફેર છે. મૂકેશ અંબાણી લો પ્રોફાઇલ રહેવામાં માને છે, ચિવટ તેમનો સ્વભાવ છે, સતત કામ કરતા રહેવું તેમની વૃત્તિ છે અને ભવિષ્યની ગણતરીઓની ત્રિરાશી માંડીને આજનું પ્લાનિંગ કરવામાં તેમને કોઇ ન પહોંચે. અનિલ અંબાણીની લાઇફ સ્ટાઇલ ગ્લેમરસ રહી છે, પરિણામોથી આપણે વાકેફ છીએ. આ અને બીજા અનેક પરિબળોને પગલે રિલાયન્સના ભાગલા થયા અને પછી જે થયું તે આપણી નજર સામે છે અને સમાચારોમાં RILના વિકાસ વિશે સાંભળવું હવે સાહજિક બની ગયું છે.

બાય ધી વેઃ

હંમેશાં સફેદ શર્ટ અને કાળા પેન્ટમાં જોવા મળતા મૂકેશ અંબાણી કૌશલ્ય અને શિક્ષણ પર ભાર મૂકે છે. ઊંમરના છ દાયકા પાર કરી ચૂકેલા મૂકેશ અંબાણી આજના પંદર વર્ષના યંગસ્ટર્સને કાલે શું જોઇ શકે છે તેની પર ગંભીરતાથી વિચાર કરે છે, નવી પેઢીના વિચારોને ગણતરીમાં લે છે. તેમને કોઇ ગુજરાતીમાં પૂછે કે કેમ છો? તો ઇન્ડિયન વોબલ અને મંદ સ્મિત સાથે તેમનો કાયમી જવાબ હોય છે, ‘ફર્સ્સ ક્લાસ.’ તેમના સંતાનો ઇશા, આકાશ અને અનંત ત્રણેયે પિતાને કામ કરતાં જોયા છે. તેમની દીકરીમાં રહેલો સ્પાર્ક આંખે ઊડીને વળગે છે અને દીકરાઓની આવડત અને સૂઝના દૃષ્ટાંત વાર્ષિક મીટિંગ્ઝમાં જોવા મળે છે.

કયા બિઝનેસ ફેમિલીમાં આવનારી પેઢીને સત્તા સોંપવાના વિવાદો વકર્યા અને કોનું કામ શાંતિથી થયું?

ગોદરેજ પરિવાર : 

વિખ્રોલીની ૩,૦૦૦ એકરની જમીનને લઇને ગોદરેજ પરિવારમાં વિખવાદ થયા. અદી, જમશેદ અને નાદિર – ગોદરેજ ભાઇઓ વચ્ચેનો સંપ જમીનને કારણે તૂટ્યો. ત્રીજી પેઢીએ ગોદરેજમાં પાંચ પરિવારો છે. પાંચ કુટુંબો ૨૦૧૯થી પોતાના શૅર્સ ધીમે ધીમે ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરી રહ્યા છે જેથી આ વિભાજન સરળ બને પણ એમ થવું મુશ્કેલ છે. બની શકે કે ગોદરેજ ગ્રૂપમાં એક તરફ અદી અને નાદિર હશે તો બીજી તરફ જમશેદ અને સ્મિતા હશે. રિશાદને સંતાન નથી અને તેના શૅર્સ તેના નિધન પછી બાકીના સભ્યોમાં સરખે ભાવે વહેંચાશે. પરિવારનું નામ ન ખરડાય તેની કાળજી રાખીને કોઇ પણ હો હા વગર તેઓ પાંચ પરિવારો વચ્ચે કોર્પોરેશનને વહેંચવા ધારે છે.

સિંઘાનિયા પરિવાર :

રેમન્ડ ગ્રૂપના ચેરમેન ગૌતમ સિંઘાનિયાએ જ્યારે પિતા વિજયપત સિંઘાનિયા સાથે શિંગડા ભેરવ્યા ત્યારે એ વિખવાદો જગ જાહેર થયા. ૨૦૧૯માં ગૌતમે પિતા સાથે વાતચીત કરવાની તૈયારી બતાડી. વિજયપતે પોતાના દીકરાના હાથમાં બધો બિઝનેસ સોંપી દીધાને પોતાની મૂર્ખતા ગણાવી. વિજયપતે લખેલા પુસ્તક પર બોમ્બે હાઇકોર્ટે સ્ટે મુકાવ્યો છે. ગૌતમ સિંઘાનિયા નાના દીકરા છે, પણ વિજયપતને પોતાના મોટા દીકરા મધુપતિ સાથે પણ નથી બનતું તે પરિવાર સાથે છેડો ફાડીને સિંગાપોર સેટલ થઇ ગયા છે.

તાતા ગ્રૂપ :

સાયરસ મિસ્ત્રીને તાતા ટ્રસ્ટ સાથે જે કજિયા થયા તેનાથી સૌ વાકેફ છે. રતન તાતાને મામલે બીજી પેઢીને સુકાન આપવાનો પ્રશ્ન ખડો થતો નથી. તાતા ગ્રૂપનું સુકાન કોણ સંભાળશે તે મહત્ત્વનો પ્રશ્ન છે કારણ કે રતન તાતાએ ગ્રૂપને જે સ્તરે મૂક્યું છે તે પછી કોઇ અણઘડના હાથમાં આ લગામ સોંપાય તેમ નથી. તાતા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને બીજી ટર્મ મળશે કે નહીંની ચર્ચાઓ ચાલ્યા કરે છે. ચંદ્રશેખરે કોઇ પણ વિવાદો વિના અત્યાર સુધી સંતુલન જાળવ્યું છે. સૉલ્ટ ટૂ સૉફ્ટવેર સુધીના બિઝનેસિઝને ડિસ્ટર્બ કર્યા વિના ચલાવી શકે તેવી જ કોઇ વ્યક્તિને શોધવી પડે જે બોર્ડ અને ટ્રસ્ટના વિચારોને રફેદફે ન કરી દે.

બજાજ પરિવાર : 

રાહુલ બજાજે બજાર ઓટોના ચેરમેન તરીકે એપ્રિલ ૨૦૨૧માં રાજીનામું આપ્યું. તેમણે કહેલું કે મૂર્ખાઓ જ રિટાયર થાય પણ છતાં તેમણે પોતાની ચેરમેનશીપને અલવિદા કહ્યું. આ કરતા પહેલાં તેમણે પોતાના ભાઇઓ, પિતરાઇઓ અને દીકરાઓ વચ્ચે ગ્રૂપ કંપનીઝની માલિકીની શાંતિપૂર્વક વહેંચણી કરી. બજાજ પરિવારમાં આ ચોથી પેઢી છે. ફાઇનાન્સ, ફિનસર્વ અને ઑટોમોબાઇલ એમ ત્રણ ભાગમાં વહેંચાયેલુ બજાજ ગ્રૂપ વિશ્વની ટોચની મૂલ્યવાન કંપનીઓમાંની એક રહી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  02 જાન્યુઆરી 2022

Loading

મને એમ કે એ તો મૂંગો છે

દેવિકા રાહુલ ધ્રુવ|Opinion - Opinion|2 January 2022

ગ્રીષ્મઋતુની સવાર હતી. ગરમી તો ખૂબ જ, પણ સવારેસવારે જરા ખુલ્લી હવા અને થોડા છાંયડે ચાલવા જવાની સૂરીલીને ટેવ. ૪૫ મિનિટને બદલે આજે તો સવા કલાક થઈ ગયો. કેમ વાર થઈ હશે, એવી ચિંતા શરૂ થાય તે પહેલાં તો ‘મૉર્નિંગ વૉક’ પછી એક અજબની સ્ફૂર્તિ ભરી, ઘેર આવી, તેણે આજના અનુભવની વાત શરૂ કરી …

“મા, આજે તો મઝા આવી ગઈ ચાલવાની. એણે મારી સાથે અવનવી વાતો કરી.”

“કોણે ? કોણ મળ્યું ? સવારે-સવારે તારા જેવું કોણ નવરું પડ્યું?” મેં પ્રશ્નોની ઝડી વરસાવી.

“મા, આજે તો મને એ ખૂબ ગમ્યો.”

પહેલી વાર દીકરીના મોંએ કોઈના ગમવાની વાતે હું ચમકી. મારા કાન હવે વધુ સરવા થયા.

લગભગ કલાક પછી હાથમાં પેન અને નોટ લઈને અંદરના રૂમમાંથી બહાર આવતાં-આવતાં મસ્તીથી એ કંઈક ગણગણવા માંડી. મારી ચિંતા અને કુતૂહલ ઓર વધી ગયાં, પણ એની તરફ લક્ષ આપ્યા વગર ‘આમાંથી વાંચી લેજે ને પછી! મારે કૉલેજ જવાનું મોડું થાય છે’ કહી એણે સોહામણું સ્મિત આપ્યું ને બહાર નીકળી ગઈ.

અધીરાઈથી મેં એની 'નોટ’ વાંચવા માંડી ..

“મને એમ કે, એ તો મૂંગો છે. પણ આજે તો એણે કેટલી બધી મન મૂકીને વાતો કરી. ‘વૉક’ કરતાં-કરતાં એક નાનકડી ઠોકર વાગી. પડી ન જાઉં એ બીકે જરા બેસી ગઈ. ધ્યાનથી જોયું તો રસ્તાની એક તિરાડ વચ્ચે નાનો અમસ્તો પથ્થર પડ્યો હતો કે જેની ઠોકર લાગી હતી. એને હાથમાં લઈ દૂર ફેંકવા જતી હતી, ત્યાં તો મને શબ્દો સંભળાયા. આશ્ચર્ય! મૂંગા પથ્થરને વાચા ફૂટી હતી! રસ્તો બોલતો હતો!”

“પૃથ્વી પર સઘળે પથરાયેલો પડ્યો છું. સતત અને અવિરત કેટલી ચહલપહલ ? બધું જ મારી છાતી પર. સજીવ ચરણથી માંડીને, ર્નિજીવ ચક્રો સુધીનાં તમામનું હું એક સાધન. કદીયે એક ઉફ પણ કર્યા વગર હું વેંઢારતો જાઉં છું. ધગધગતો કાળો ડામર, માટી, રેતી, પથ્થર કંઈ કેટલું બધું ભર્યુંપડ્યું છે મારામાં? કોને જોવાની ફુરસદ છે કે હું શું છું, કઈ રીતે બન્યો છું, કેવો ચત્તોપાટ પડ્યો છું, કેટલું બધું વહન કરું છું, સહન કરું છું. ટાઢ, તાપ, વરસાદ કે બરફ; કોઈ પણ અવસ્થામાં ચૂપચાપ સૌનાં કામમાં લાગુ છું. કોઈ ખોદે કે તોડે, હળ ચલાવે કે ચાલે, પૈડાંથી કોચે કે ડ્રીલથી વીંધે, લોખંડી પાટા મૂકી ગરમ એન્જિન પણ દોડાવે, બધું જ સ્થિર રહી ઝીલું છું.

“એક વખત હતો કે માણસ માણસને પૂછ્‌તો’તો આ રસ્તો ક્યાં જશે?’ અરે બહેન, હું તો અહીંનો અહીં જ છું. તમે બધા  ગમે તેમ જઈ રહ્યા છો! ભાન ભૂલી મને ખોઈ રહ્યાં છો.”

સાંભળતાં-સાંભળતાં મને હસવું આવ્યું. મા વાંચશે તો એને કેટલું ગમશે? સૂરીલીની પેન આગળ ચાલતી હતી.

“અને હવે એવો સમય આવ્યો છે (ટેક્નોલૉજીની બલિહારી) કે મને તમારા વાહનની અંદર જ ગોઠવી દીધો છે! કોઈ કોઈને પૂછતું નથી. કારણ કે, આ રાહ, રસ્તો, સડક, માર્ગ, પથને હવે બનાવી દીધો છે GPS ! 

એક છેલ્લી વાત કહી દઉં? અમે તો બધે જ હોઈએ છીએ. નક્કી તો તમારે કરવાનું કે તમારે ક્યાં જવું છે? અમે તો બસ, તમારા માટે જ છીએ. ખડક હોય કે સડક, ગલી હોય કે ગરનાળું, કેડી કે પગદંડી, સીધો રાહ હોય કે પગથિયાં; સ્થિર રહીને તમને ઉપર ચડાવીએ, આગળ વધારીએ. હા, લિસ્સો બની લપસાવીએ ખરાં, પણ નક્કી તો તમારે કરવાનું કે તમારે લપસવું છે કે આગળ વધવું છે! આજે જો જરા મારી તરફ જોઈને તું ચાલી હોત, તો આ ઠોકર વાગત?!!”

રસ્તાની વાતો પૂરી કરી સૂરીલી આગળ લખતી હતી …

એની વાતો શીરાની જેમ ગળે ઊતરી ગઈ.

શૂન્ય પાલનપુરીનો શેર સાંભર્યો.

કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો,
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.

સઘળી વાતોને આનંદપૂર્વક નોંધી, કંઈક ગાંઠે બાંધી મેં પણ એની નોટ બંધ કરી, ઘરેણાંની જેમ ઠેકાણે મૂકી દીધી. મેં જોયું તો આજની સવાર ઝગમગતી હતી, નવા વર્ષની જેમ ..

હ્યુસ્ટન

E-mail: ddhruva1948@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 10

Loading

ચલ મન મુંબઈ નગરી—126

દીપક મહેતા|Opinion - Opinion|1 January 2022

દેશનું પહેલવહેલું રેડિયો સ્ટેશન મુંબઈમાં

જનાબ બુખારીની રગેરગમાં લોહીની સાથે બ્રોડકાસ્ટિંગ વહેતું

ઝવેરચંદ મેઘાણી અને બુખારીનો મેળાપ

‘ઓલ ઇન્ડિયા રેડિયોનું આ મુંબઈ કેન્દ્ર છે …’ હા, એક જમાનો હતો જ્યારે મુંબઈનાં ઘરોમાં રોજેરોજ આ અવાજ ગુંજી રહેતો. ‘લોકોના મનોરંજન માટે તેમ જ શિક્ષણ માટે રેડિયો સામે અપાર શક્યતાઓ રહેલી છે. આ શક્યતાઓ વિષે આજે આપણને કદાચ પૂરેપૂરો ખ્યાલ નથી. આજે હિન્દુસ્તાનમાં બ્રોડકાસ્ટિંગ પા પા પગલી ભરી રહ્યું છે, પણ મને ખાતરી છે કે થોડાં જ વરસોમાં તેના શ્રોતાઓની સંખ્યા અનેકગણી વધી જશે. એટલું જ નહિ, વિજ્ઞાનની આ નવી શોધના ચાહકો આખા દેશમાં પથરાયેલા જોવા મળશે.’ આ શબ્દો છે હિન્દુસ્તાનના વાઈસરોય લોર્ડ ઇર્વિનના. ૧૯૨૬થી ૧૯૩૧ સુધી તેઓ આ પદે રહ્યા હતા. અને આ શબ્દો બોલાયા હતા ૧૯૨૭ના જુલાઈની ૨૩મી તારીખે, મુંબઈમાં આપણા દેશના પહેલવહેલા રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન કરતી વખતે. અને એ દિવસથી દેશમાં વ્યવસ્થિત રીતે બ્રોડકાસ્ટિંગની શરૂઆત થઈ. એ વખતે આ રેડિયો સ્ટેશન સરકારી નહિ, પણ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીની ખાનગી માલિકીનું હતું.  તેની પહેલાં જુલાઈની ૧૫મી તારીખે રેડિયોના મુખપત્ર ‘ધ ઇન્ડિયન રેડિયો ટાઈમ્સ’નો પહેલો અંક પ્રગટ થયો હતો જેમાં ૨૩મીથી શરૂ થનારા દેશના પહેલવહેલા રેડિયો સ્ટેશન અંગેની વિગતો આપવામાં આવી હતી. પછીથી તેનું નામ બદલીને ‘ઇન્ડિયન લિસનર’ કરવામાં આવ્યું અને તેનું પ્રકાશન મુંબઈથી દિલ્હી ખસેડાયું.

૧૯૩૦ની આસપાસનો રેડિયો સેટ

શરૂઆતથી જ રેડિયો સેટ રાખવા માટે ફી ભરીને સરકાર પાસેથી લાઈસન્સ મેળવવું પડતું, જે દર વરસે રિન્યુ કરાવવું પડતું. ૧૯૨૭ના અંતે આખા દેશમાં બધું મળીને ૩,૫૯૪ રેડિયો લાઈસન્સ આપવામાં આવ્યાં હતાં. ૧૯૩૦ના માર્ચની પહેલી તારીખે ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની ફડચામાં ગઈ, અને એક મહિના પછી, પહેલી એપ્રિલે બ્રોડકાસ્ટિંગ સેવાને સરકારે પોતાને હસ્તક લઈ લીધી. ત્યારે તેને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ લેબર નીચે ‘ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસ’ એવું નામ અપાયું હતું. ૧૯૩૬ના જૂનની આઠમી તારીખથી તેનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું. એ વરસના ડિસેમ્બરની ૩૧મી સુધીમાં રેડિયો લાઈસન્સની સંખ્યા વધીને ૩૭,૭૯૭ સુધી પહોચી હતી. શરૂઆતમાં રેડિયો પરથી સમાચાર માત્ર અંગ્રેજીમાં અપાતા. પછી હિન્દુસ્તાની અને બંગાળીમાં પણ અપાયા. ૧૯૩૯ના ઓક્ટોબરની પહેલી તારીખથી તમિળ, તેલુગુ, ગુજરાતી, મરાઠી અને પુશ્તો ભાષાઓમાં પણ સમાચાર આપવાનું શરૂ થયું.

કેવા હતા એ વખતના રેડિયો સેટ? સાચું કહીએ તો લાકડાનાં ખોખાં જેવા. આગલા ભાગમાં કાચનું ડાયલ, જેનો કાંટો ફેરવીને જુદાં જુદાં સ્ટેશન ‘પકડી’ શકાય. નાનું લાઉડ સ્પીકર, સારા, રંગીન કાપડથી મઢેલું. મોટે ભાગે ચાર ચકરડાં (નોબ). રેડિયો સિગ્નલ ‘પકડવા’ માટે એરિયલ લગાડવાનું અનિવાર્ય. ખોખામાં બીજી યંત્ર સામગ્રી ઉપરાંત પાંચ કે સાત ટ્યૂબ કે ‘વાલ.’ સળંગ લાંબો સમય રેડિયો ચાલે તો ઘણી વાર આ ટ્યૂબ ગરમ થઈ જાય અને રેડિયો ઠપ. બરાબર યાદ છે : અમારા એક પડોશી ક્રિકેટ મેચની કોમેન્ટ્રીના જબરા રસિયા. મેચના પાંચ દિવસ એમના ઘરમાં ૧૪૪મી કલમ લાગી જાય. પણ પાંચ-છ કલાક રેડિયો ચાલે તો પેલી ટ્યૂબ ગરમ થઈ જવાની બીક, એટલે રેડિયોને થોડો આગળ ખસેડે, પાછળનું કવર કાઢી નાખે, અને રેડિયોની પાછળ નાનો ટેબલ ફેન ગોઠવી દે! મગદૂર છે રેડિયોની કે રિસાઈને મૂંગો થઈ જાય!

જનાબ ઝુલ્ફીકાર અલી બુખારી

ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ સ્ટેશનની વાત આવે ત્યારે કેટલાંક નામ અચૂક યાદ આવે. તેમાંનું પહેલું નામ જનાબ ઝુલ્ફીકાર અલી બુખારી. એમની રગેરગમાં લોહીની સાથોસાથ બ્રોડકાસ્ટિંગ વહે. ૧૯૦૪ના જુલાઈની છઠ્ઠી તારીખે પેશાવારમાં જન્મ. એ વખતે પેશાવર બ્રિટિશ ઇન્ડિયામાં. અંગ્રેજી, ઉર્દૂ, ફારસી, અરબી, પુશ્તો અને પંજાબી ભાષા જાણે. એટલે અંગ્રેજ અફસરોને ‘દેશી’ ભાષાઓ શીખવવા માટેની શિમલાની સંસ્થામાં પહેલી નોકરી. પછી ઓલ ઇન્ડિયા રેડિયોનું દિલ્હી કેન્દ્ર શરૂ થયું ત્યારે પ્રોગ્રામ ડિરેક્ટર. ૧૯૩૯માં બોમ્બે સ્ટેશનના ડિરેક્ટર બન્યા. પણ દેશના ભાગલા વખતે તેમણે પાકિસ્તાન જવાનું પસંદ કર્યું અને ત્યાં જઈને રેડિયો પાકિસ્તાનના પહેલા ડિરેક્ટર જનરલ બન્યા. ૧૯૫૯માં નિવૃત્ત. ૧૯૭૫ના જુલાઈની ૧૨મી તારીખે કરાચીમાં જન્નતનશીન થયા. 

બુખારીસાહેબ સાથે વર્ષો સુધી કામ કરનાર આપણા ચંદ્રવદન મહેતાએ લખ્યું છે : ‘ઝુલ્ફીકાર અવાજના બાદશાહ. સચોટ, સ્પષ્ટ, મુલાયમ, નજાકતથી ભરેલો ગંભીર તેમ જ હળવા ભાવોને યથાર્થ પ્રગટ કરનારો અવાજ રજૂ કરનાર, તેમ જ ક્યાંક ક્યાંક રમૂજ, કંઇક ટીખળ, ક્યાંક કટાક્ષ પણ કરી શકે એવી આવડત ધરાવનાર એક વ્યક્તિ. વળી પોતે સંગીતના જાણકાર. સવારના જેવા સ્ટુડિયોમાં દાખલ થાય એટલે એનો મનવો ગણગણવા લાગે. એમાં મુંબઈ મથકેથી શરૂઆતમાં સવારના આઠ વાગ્યાથી એ રેકર્ડ વગાડતા બેસે ત્યારે સૌથી વધારે સાંભળનારા પોતપોતાના ઘરમાં રેડિયો ચાલુ કરે. રેકર્ડ તો ગમે તેની હોય, પણ એ ઉપરનું નામ, એમાંનો રાગ, એ ગીત માટે કોઈ છોટી સી કહાની, એ બધાની તારીફ એટલા રસથી કરે કે ગીત ઉપરાંત એની પોતીકી વિવેચના જ શ્રોતાઓનાં દિલ જીતી લે. કોઈ લખાણ નહિ, કોઈ રેડ ટેપનો હાઉ કે ભય નહિ, ફક્ત એક જ નેમ કે શ્રોતાઓનું મન જીતી લેવું.’

બુખારી સાહેબ જેટલા કલાપ્રેમી તેટલા જ ચતુર વ્યવહારદક્ષ. સીધી આંગળીએ ઘી ન નીકળે તો સરકારી તુમારશાહી સાથે કેવી રીતે વર્તવું એ બરાબર જાણે. મુંબઈ સ્ટેશન પાસે એક જ મોટર, એ પણ જૂના ખટારા જેવી. નવી મોટરની માગણી અંગે દિલ્હીના સાહેબો આંખ આડા કાન કરે. એવામાં એક વાર બ્રોડકાસ્ટિંગ સેક્રેટરી પી.સી. ચૌધરી મુંબઈ સ્ટેશનની મુલાકાતે આવ્યા. બીજે દિવસે સવારની ફ્લાઈટથી પાછા જવાના હતા. બુખારી સાહેબે ડ્રાઈવરને બોલાવ્યો. સ્ટેશન પર કામ કરતા ચંદ્રવદન મહેતાને પણ સાથે બોલાવ્યા. ચંદ્રવદનભાઈને કહે કે તમે સાહેબને એરપોર્ટ મૂકવા જજો. બીજી કેટલીક સૂચના બંનેને આપી. બીજે દિવસે ચૌધરીસાહેબનો વરઘોડો દાદર પહોંચ્યો ત્યાં ડ્રાઈવર કહે કે ગાડી ખોટકાઈ છે. રિપેર કરાવતાં બે-ત્રણ કલાક સહેજે થઈ જશે. ચૌધરીસાહેબ ચંદ્રવદનભાઈને કહે કે તમે ગમે ત્યાંથી તાબડતોબ ટેક્સી લઈ આવો. અડધા પોણા કલાકે ટેક્સી આવી. સંઘ એરપોર્ટ પહોંચ્યો ત્યારે ફ્લાઈટ તો ઉપડી ગઈ હતી. આવું કરવાનો આખો ત્રાગડો રચેલો બુખારીસાહેબે પોતે. પરિણામે આઠ-દસ દિવસમાં જ મુંબઈ સ્ટેશનને નવી નક્કોર મોટર મળી ગઈ, એક નહિ બે!

ઓલ ઇન્ડિયા રેડિયો, મુંબઈના સ્ટુડિયોઝનું પ્રવેશદ્વાર

જનાબ બુખારી સાથે ઘણાં વરસ કામ કરનાર ગિજુભાઈ વ્યાસે એક પ્રસંગ આ લખનારને કહ્યો હતો. ઝવેરચંદ મેઘાણી રેડિયો પર કાર્યક્રમ આપવા જતા નહિ તેમ જ પોતાનાં ગીતો રેડિયો પર ગાવાની પરવાનગી આપતા નહિ. એટલે બુખારીએ પહેલાં તો તેમને લાંબો પત્ર લખ્યો. પછી સમજાવવા ચંદ્રવદન મહેતાને બોટાદ મોકલ્યા. પણ મેઘાણી માન્યા નહિ. પછી એક વાર મુંબઈ આવેલા ત્યારે મેઘાણી બુખારીને મળવા રેડિયો સ્ટેશન પર ગયા. બુખારીની ઓફિસમાં બેઠા. રેડિયોનો સ્ટાફ બહાર ઊભો રહેલો. થોડી વારે અંદરથી ગાવાનો અવાજ આવ્યો. પહેલાં મેઘાણીભાઈએ ગીતો ગાયાં. પછી બુખારીએ પુશ્તુ ગીતો ગાયાં. લગભગ કલાક પછી બંને બહાર નીકળ્યા. બુખારી લિફ્ટ સુધી વળાવીને પાછા આવ્યા ત્યારે ચંદ્રવદનભાઈએ પૂછ્યું : સાહેબ, ‘મેઘાણીભાઈ માની ગયા?’ જવાબ : ‘અમે બંને ગાવામાં એટલા મગ્ન થઈ ગયા કે એ વિષે તો વાત જ ન કરી. પણ સી.સી., એટલું લખી રાખજો કે આ માણસ ઓલ ઇન્ડિયા રેડિયોનાં પગથિયાં ક્યારે ય નહિ ચડે.’ વાત છેડ્યા વગર જ બુખારીએ મેઘાણીભાઈને પારખી લીધા હતા. 

એનાઉન્સર બૂથમાંથી દેખાતો મ્યુઝિક સ્ટુડીઓ

હિન્દુસ્તાનની નોકરીનો છેલ્લો દિવસ. રાત્રે કુટુંબ સાથે ફ્રન્ટિયર મેલમાં લાહોર જવાનું હતું. એ વખતે ફ્રન્ટિયર મેલ બોમ્બે સેન્ટ્રલથી છેક પેશાવર સુધી જતો. રેડિયો સ્ટેશનનો મોટા ભાગનો સ્ટાફ તેમને વિદાય આપવા સ્ટેશને પહોંચી ગયેલો. સ્ટેશનમાં માંડ પાંચ-છ જણ હાજર. તેમાંના એક ગિજુભાઈ. સાંજે બુખારી આવ્યા. કહે, ચાલો સ્ટુડિયોમાં જઈએ. સ્ટેશનના એકેએક સ્ટુડિયો પાસે જઈને બારણાનાં હેન્ડલને પંપાળતા જાય અને વચમાં વચમાં બોલતા જાય : ‘આ બધું હવે તમારે સૌએ સંભાળવાનું છે.' એ વખતે સુંદરાબાઈ નામનાં એક સ્ટાફ આર્ટિસ્ટ ગાયિકા હાજર. એમને એવી ટેવ કે જે કોઈ આવે તેને ચોકલેટ આપે. બધા સ્ટુડિયોમાં ફર્યા પછી બુખારી એમની પાસે ગયા. સુંદરાબાઈએ બુખારીના હાથમાં ચોકલેટ મૂકી. બુખારીએ સુંદરાબાઈની બંને હથેળી પકડી લીધી અને ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા.

ઉત્તમ બ્રોડકાસ્ટર ઉપરાંત બુખારી અચ્છા લેખક પણ હતા. ‘જો કુછ મૈને કહા’ તેમનો કાવ્યસંગ્રહ. તો ‘રાગ દરિયા’માં તેમણે હિન્દુસ્તાન અને પાકિસ્તાનના શાસ્ત્રીય સંગીત વિષે વિસ્તારથી લખ્યું છે. તેમણે પોતાની આત્મકથા પણ ઉર્દૂમાં લખી છે. બુખારીના નિકટના મિત્ર અને પાકિસ્તાન રેડિયો પરના સાથી સૈયદ ગુલામ હુસેન જાફરીએ લગભગ બે વરસ સુધી બુખારી સાથે કરેલી વાતોને આધારે તેમનું જીવનચરિત્ર લખ્યું છે.

આજે હવે લાકડાના ખોખા જેવા રેડિયો નથી રહ્યા. ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ આઝાદી પછી ‘આકાશવાણી’ થઈ ગયું છે. ક્વિન્સ રોડ પર આવેલા એ સ્ટુડિયો, એ જમાનાનાં મોટાં માઈક્રોફોન, સ્પૂલવાળાં મસ મોટાં રેકોર્ડર નથી રહ્યાં. અને સૌથી વધુ તો, એક જમાનામાં ઓલ ઇન્ડિયા રેડિયોનો, તેના કાર્યક્રમોનો, તેમાં કામ કરનારાઓનો જે દબદબો હતો તે નથી રહ્યો. છતાં કેટલા ય વયસ્કોના મનમાં તેના એ સોનેરી દિવસોનાં ભીનાં ભીનાં સ્મરણો રહ્યાં છે. ઓલ ઇન્ડિયા રેડિયોના બોમ્બે સ્ટેશન સાથે સંકળાયેલી બીજી કેટલીક વ્યક્તિઓ વિશેની થોડી સાંભરણો  હવે પછી.

e.mail deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 01 જાન્યુઆરી 2022

Loading

...102030...1,6831,6841,6851,686...1,6901,7001,710...

Search by

Opinion

  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved