અત્યારે આ સમયે દિલ્હીમાં યમુના નદીને કિનારે એક મહાન પુરુષના દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો છે. ગઈકાલે સાંજે જ્યારે તેઓ પ્રાર્થનામાં જવા નીકળ્યા ત્યાં જ કોઈક નવયુવાન દ્વારા તેમના પર ગોળી ચલાવવામાં આવી અને વીસ મિનિટમાં જ તેમના દેહનું જીવન સમાપ્ત થયું. સરદાર વલ્લભભાઈ તેમની સાથે લંબાણપૂર્વકની વાત કરીને પાછા જતા હતા ત્યાં રસ્તામાં જ એમને ખબર મળતાં તેઓ પાછા ફર્યા. બિરલા હાઉસ પહોંચીને એમણે જે દૃશ્ય જોયું તેનું વર્ણન તેમણે કર્યું, તેમાં એક વાત ખૂબ મહત્ત્વની હતી. તે એ કે ગાંધીજીના ચહેરા પર દયાભાવ તથા માફીનો ભાવ, એટલે કે અપરાધીને માટે ક્ષમાવૃત્તિ દેખાતી હતી. વલ્લભભાઈએ કહ્યું કે આપણને આ સમયે ગમે તેટલું દુ:ખ થયું હોય, ગુસ્સો નહીં આવવા દેવો જોઈએ. અને જો આવે તો પણ તેને રોકવો જોઈએ. ગાંધીજીએ જે વસ્તુ આપણને શીખવી તેનો અમલ એમના જીવતા તો આપણે ન કરી શક્યા, પરંતુ હવે એમના મૃત્યુ પછી તો તેનો અમલ કરીએ !
આવી જ ઘટના પાંચ હજાર વર્ષ પહેલાં ભારતમાં બની હતી. ભગવાન શ્રીકૃષ્ણ જેમણે ગાંધીજીની જેમ લોકોની નિરંતર સેવા કરી હતી, થાકીને જંગલમાં આરામ કરી રહ્યા હતા. અને એક શિકારીનું બાણ તેમના પગમાં વાગ્યું. તેને લાગ્યું કે તેણે કોઈ હરણનો શિકાર કર્યો પણ જોયું તો સાક્ષાત્ ભગવાન. શ્રીકૃષ્ણનું થોડા જ સમયમાં મૃત્યુ થયું. પરંતુ મૃત્યુ પહેલાં તેમણે પોતાના હાથે મોટું પાપ થયું છે એમ વિચારી રહેલા વ્યાધને કહ્યું, ‘ હે વ્યાધ ! તું ડરીશ નહીં, મૃત્યુને માટે કોઈક નિમિત્ત જોઈએ છે, તે તું બન્યો છે.’ એમ કહીને ભગવાને તેને આશીર્વાદ આપ્યા.
આમ, આવી જ ઘટના પાંચ હજાર વર્ષ પછી ફરી બની છે. ઉપર ઉપરથી જોવાથી લાગશે કે વ્યાધે તો અજ્ઞાનતામાં તીર માર્યું હતું. અહીં જ્યારે આ નવજુવાને સમજી વિચારીને ગાંધીજીને બરાબર ઓળખીને પિસ્તોલ ચલાવી હતી. આ જ કામ માટે તે દિલ્હી ગયો હતો. ગાંધીજી પ્રાર્થના માટે જઈ રહ્યા હતા ત્યારે જ બરાબર તે એમની પાસે પહોંચ્યો અને ખૂબ નજીક જઈને એણે ગોળીઓ છોડી દીધી હતી.
ઉપરથી એવું દેખાશે કે તે ગાંધીજીને ઓળખતો હતો. પરંતુ, ખરેખર એવું ન હતું. જેમ વ્યાધ અજ્ઞાની હતો તેવી જ રીતે આ યુવાન પણ અજ્ઞાની હતો. તેની એવી ભાવના હતી કે ગાંધીજી હિંદુ ધર્મને નુકસાન પહોંચાડી રહ્યા છે તેથી તેમના પર ગોળીઓ છોડી. પરંતુ દુનિયામાં આજે હિંદુ ધર્મનું નામ કોઈએ ઉજ્જવળ રાખ્યું હોય તો તે ગાંધીજીએ જ રાખ્યું છે. પરમ દિવસે (29 જાન્યુઆરી 1948) તેમણે પોતે જ કહ્યું હતું કે, ‘હિંદુ ધર્મના રક્ષણ કરવા માટે કોઈ મનુષ્યને પસંદ કરવાની જરૂર જો ભગવાનને લાગશે તો આ કામ માટે તે મને જ પસંદ કરશે.’
આવો આત્મવિશ્વાસ તેમનામાં હતો. એમને જે સત્ય લાગતું તે તેઓ ચોખ્ખે ચોખ્ખું કહી દેતા. મોટા મોટા લોકો પોતાના રક્ષણ માટે ‘બોડી ગાર્ડ’ રાખે છે. ગાંધીજીએ તેવું ક્યારે ય ન કર્યું. દેહને તેઓ મહત્ત્વ આપતા નહીં. નિર્ભયતા એમનું વ્રત હતું. જ્યાં સેના પણ જવાની હિંમત ન કરે ત્યાં તેઓ એકલા પહોંચી જવા તૈયાર રહેતા.
જે સત્ય છે, લોકોના હિતનું છે, તે જ કહેવું જોઈએ; પછી ભલે કોઈને ગમે કે ન ગમે. એવું તેઓ માનતા. તેઓ કહેતા, ‘મૃત્યુથી ડરવાનું કોઈ કારણ જ નથી. કારણ કે આપણે બધા ઈશ્વરના હાથમાં છીએ. આપણી પાસેથી એને જ્યાં સુધી કામ કરાવવું હશે ત્યાં સુધી તે કરાવશે અને જે ક્ષણે તે આપણને ઉપાડી લેવા માંગશે તે જ ક્ષણે તે આપણને ઉપાડી લેશે. તેથી જે સાચું લાગે તે કહેવું એ આપણો ધર્મ છે. આ વખતે જો હું એકલો પણ પડી જાઉં અને આખી દુનિયા મારી વિરુદ્ધ થઈ જાય તો પણ મને જે સત્ય દેખાય છે તે જ મારે બોલવું જોઈએ.’
આવી નિર્ભિક્તાપૂર્ણ વૃત્તિના હતા બાપુ. અને એમનું મૃત્યુ પણ કેવી અવસ્થામાં થયું !! તેઓ પ્રાર્થના કરવાની તૈયારીમાં હતા. એટલે કે તે સમયે ભગવાન સિવાય બીજો કોઈ વિચાર એમના મનમાં ન હતો. તેમનું સંપૂર્ણ જીવન જ આપણે સેવામય તેમ જ પરોપકારમય જોયું છે. તેમ છતાં પ્રાર્થનાનો સમય તેમ જ પ્રાર્થનાની ભાવના (વિચાર) વિશેષરૂપે પવિત્ર ગણવાં જોઈએ.
તેઓ રાજકારણથી લઈને અનેક મહત્ત્વનાં કામોમાં વ્યસ્ત રહેતા હતા. પરંતુ તેઓ પ્રાર્થનાનો સમય કદી પણ નથી ચૂક્યા. આવી પ્રાર્થનાના સમયે જ દેહથી મુક્ત થવા માટે માનો કે ભગવાને માણસ મોકલ્યો. પોતાનું કામ કરતાં કરતાં મૃત્યુ થયું એ બાબતનો તેમના હૃદયનો આનંદ અને નિમિત્ત માત્ર બનેલ ગુનેગાર પ્રત્યે દયાભાવ એવા બંને ભાવો એમના ચહેરા પર મૃત્યુ સમયે સરદારશ્રીને દેખાયા હતા.
ગાંધીજીએ છેલ્લા ઉપવાસ છોડ્યા ત્યારે દેશમાં શાંતિ રાખવાનું વચન કાઁગ્રેસ, મુસ્લિમ, સિખ, હિંદુ મહાસભા, રાષ્ટૃીય સ્વયંસેવક દળ વગેરે સૌએ મળીને આપ્યું હતું. અમે પ્રેમથી સાથે રહીશું એવું વચન તેમણે સૌએ આપ્યું અને તેમ થોડો વખત ચાલ્યું પણ ખરું. પરંતુ એક દિવસ પ્રાર્થનાસભામાં ગાંધીજી ઉપર બોંબ ફેંકવામાં આવ્યો. પરંતુ તેમને કશું થયું નહીં. તે દિવસે ગાંધીજીએ કહ્યું, ‘હું દેશ અને ધર્મની સેવા ઈશ્વરની પ્રેરણાથી કરું છું. જે દિવસે હું જતો રહું એવી તેની મરજી હશે તે દિવસે એ મને બોલાવી લેશે. તેથી મૃત્યુની બાબતમાં મને આથી વિશેષ કશું લાગતું નથી.’ બીજો પ્રયોગ ગઈકાલે થયો. ભગવાને ગાંધીજીને મુક્ત કર્યા.
આપણે બધા જ આ દેહ છોડીને જવાના છીએ તેથી મૃત્યુની બાબતમાં જરા પણ દુ:ખ માનવાનું કારણ નથી. માતાની, પોતાનાં જેટલાં બાળકો હોય તેમની બાબતમાં જે વૃત્તિ હોય છે તેવી દુનિયાના બધા લોકો વિશે ગાંધીજીની વૃત્તિ હતી. હિંદુ, હરિજન, મુસલમાન, ખ્રિસ્તી અને જે કાર્યકર્તાઓ સાથે તેઓ લડ્યા તે અંગ્રેજો, એ બધા જ પ્રત્યે તેમના દિલમાં પ્રેમ હતો. સજ્જનોને જેવી રીતે પ્રેમ કરો છો તેવો જ પ્રેમ દુર્જનો પર પણ કરો, શત્રુને પ્રેમથી જીતી લો. આવો મંત્ર એમણે આપ્યો. સત્યાગ્રહની શીખ પણ એમણે જ આપણને આપી ને ! પોતે મુશ્કેલીઓ વેઠીને સામેવાળાને જરા પણ જોખમ ન પહોંચે તેવું વર્તન કરવાની શીખ તેમણે આપણને આપી. આવી વ્યક્તિ જ્યારે દેહ છોડીને જાય છે ત્યારે એ રડવાનો પ્રસંગ નથી હોતો. આપણી મા જ્યારે આપણને છોડીને જાય ત્યારે જેવું લાગે છે તેવું જ ગાંધીજીના મૃત્યુથી લાગશે જરૂર. પરંતુ આપણે ઉદાસ નથી થવાનું.
ગાંધીજી કહેતા કે જ્યારે તેને બોલાવવો હશે ત્યારે તે મને બોલાવી લેશે − તેને માટે તૈયાર રહેવું જોઈએ, તેવું જ તેમનું મૃત્યુ થયું. આ એક ઉત્તમ અંત થયો એવું આપણે જાણવું જોઈએ. અને કામે લાગી જવું જોઈએ (ગાંધીજીએ એવું જ ઇચ્છ્યું હોત). તેઓ આપણે માટે ઘણાં કામો મૂકી ગયા છે અને તેમને પૂરાં કરવામાં આપણે લાગી જવું જોઈએ.
અસંખ્ય જાતિ અને જમાત મળીને આપણે અહીં રહીએ છીએ. ચાળીસ કરોડ(તે વખતે, આજે તો 138 કરોડ)નો આપણો દેશ એ આપણું મોટું ભાગ્ય છે. પરંતુ એકબીજાને પ્રેમ કરીને જીવીશું તો જ તે રહેશે (સદ્દભાગ્ય, દેશ …). આટલો મોટો દેશ હોવાનું ભાગ્ય ક્વચિત જ મળે છે.
આપણા દેશમાં અનેક ધર્મ છે, અનેક પંથ છે. હું તો, તેને આપણો વૈભવ સમજું છું. પરંતુ આપણે બધા પ્રેમથી સાથે રહીશું તો જ આ વૈભવ સિદ્ધ થશે. આપણે બધા પ્રેમથી એકબીજા સાથે જીવીએ એ જ વાત ગાંધીજીએ પોતાના અંતિમ ઉપવાસથી આપણને શીખવી છે. બાળકો એકબીજા સાથે પ્રેમથી રહે તેને માટે જેવી રીતે માતા ક્યારેક ભોજન છોડી દે છે તેવો જ આ ઉપવાસ હતો. બધા માનવ એકસમાન છે, આ વાત તેમણે આપણને શીખવી. હરિજન-સેવા, ખાદી-સેવા, ગ્રામ-સેવા, ભંગી કામ કરનારા સાથીઓની સેવા જેવાં અનેક સેવાકાર્યો તેઓ આપણે માટે મૂકી ગયા છે.
આ સમયે આનાથી વિશેષ કશું કહેવા નથી ઇચ્છતો. બધાના દિલ એક વિશેષ ભાવનાથી ભરેલા છે. પરંતુ મારે એ કહેવું છે કે માત્ર શોક મનાવતા બેસી રહેવાનું નથી. આપણી સામે જે કામ પડ્યું છે તે કરવા મંડી પડીએ. આ જે હું તમને કહી રહ્યો છું તેવું જ તમે મને પણ કહો. આવી જ રીતે એકબીજાને બોધ આપતા આપતા આપણે સહુ ગાંધીજીનાં ચીંધેલાં કામો કરવામાં લાગી જઈએ. ગીતા અને કુરાન બંનેમાં કહેવામાં આવ્યું છે કે ભક્ત તેમ જ સજ્જન એકબીજાને બોધ આપે છે અને એકબીજાને પ્રેમ કરે છે. તેવું આપણે કરીએ. આજ સુધી બાળકોની જેમ આપણે ક્યારેક ઝગડો પણ કરતા હતા. ત્યારે તેઓ આપણને સંભાળી લેતા હતા.
એક સહુને સંભાળનાર હવે કોઈ રહ્યું નથી. તેથી જ એકબીજાને શીખ આપતા આપતા અને એકબીજાને પ્રેમ કરતા કરતા આપણે બધા મળીને ગાંધીજીની શીખામણ પર ચાલીએ.
[પરંધામ પવનારમાં 31 જાન્યુઆરી 1948ની સાંજે સાડાચાર વાગ્યે પ્રાર્થનાસભામાં આપેલ પ્રવચન − ‘गांधीजी को श्रद्धांजलि’ પુસ્તકમાંથી અનુવાદિત]
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 જાન્યુઆરી 2022; પૃ. 06-07