ગાંધીજીના જમાનાથી મારી એવી ફરિયાદ રહી છે કે આપણા સેવકો ઉત્તમ કામમાં લાગેલા છે, તેઓ વિચારોનું અધ્યયન કરે છે. અધ્યયનમાં આપણા લોકોને રુચિ ઓછી છે. ગાંધીજીના વખતમાં હું કાર્યકરોને પૂછતો કે “હરિજન”માં ગાંધીજીનો ફલાણો લેખ આવ્યો છે, તે તમે વાંચ્યો ? તો જવાબ મળતો કે ‘નહીં, વાંચવાથી શું વળવાનું છે ? તેમાં લખી-લખીને એમ જ લખ્યું હશે ને કે હરિજનોની સેવા કરો, સૂતર કાંતો, વગેરે વગેરે. અમે એ કરીએ જ છીએ તો !’ મતલબ કે તેઓ એવા જ ખ્યાલમાં રહેતા કે પોતે ગાંધીજીને આખા ને આખા પી લીધા છે, હવે કશું વાંચવા કરવાની જરૂર નથી ! ત્યારે હું એમને કહેતો કે તમને વાંચવાની ફિકર નથી તો ગાંધીજી દર અઠવાડિયે લખવાની ફિકર શું કામ કરતા હશે ? આ રીતે હું વારંવાર કાર્યકરોને સમજાવતો રહેતો કે કામ કરવાની સાથોસાથ વાંચવાની, ચિંતન-મનન કરવાની ટેવ રાખવી જોઈએ.
આપણે બરાબર સમજી લેવું જોઈએ કે અધ્યયન વિના સર્વોદય આંદોલન આગળ જ નહીં વધી શકે. સ્વરાજ્યનું આંદોલન તો એવું હતું કે વિચાર થોડો સમજી લીધો અને કામ શરૂ કરી દીધું, તો ચાલી જતું; કેમ કે તેમાં મુખ્યત્વે એક ‘નેગેટિવ’ – નકારાત્મક કામ હતું, અંગ્રેજોને હટાવવાનું કામ હતું. જો કે ગાંધીજીની એ વિશેષતા હતી કે આની સાથોસાથ એમણે રચનાત્મક કામને જોડી દીધું હતું. છતાં આખરે તેમાં અંગ્રેજોને કાઢવાની વાત મુખ્ય હતી. પરંતુ હવે તો ગ્રામસ્વરાજ લાવવાનું કામ છે, તેનો પાયો રચવાનું કામ છે. એ એક રચનાત્મક કામ છે અને તેનાં અનેકાનેક પાસાં છે. ગામડે ગામડે જઈને તે કરવાનું છે. એટલે આ કામમાં તો અધ્યયનની બહુ જ જરૂર છે. આપણો અભ્યાસ નિરંતર ચાલશે અને અધ્યયન જેટલું ચાલશે, તેટલું ઊંડાણ આપણા કામમાં આવશે.
તુલસીદાસ, કબીર, જ્ઞાનદેવ આટલાં વરસે હજી આજેયે કોના આધારે જીવિત છે ? જે ગ્રંથો, જે સાહિત્ય એમણે આપ્યું, તેનું ચિંતન, મનન, અધ્યયન કરનારા તેમ જ તદનુસાર પોતાના જીવનને ઘડનારા સેંકડો સાધકો નીકળ્યા, એમને આધારે તેઓ જીવતા છે. એમની વાતોમાં જે સ્થાયી ભાવ આવ્યો, તે ઊંડાણમાં જવાથી, ચિંતનમનન કરવાથી આવ્યો છે.
કાહિરામાં મસ્જિદ છે. તે બન્યાને હજાર વરસ થયાં. હજરત મુહમ્મદને ગયે તેરસો વરસ થયાં. તે મસ્જિદમાં કુરાનનો – કુરાનમાં 30 ભાગ છે, જેને ‘પારા’ કહે છે, તે ત્રીસેય પારાનો − ફરી-ફરીને અખંડ પાઠ રાત ને દિવસ થતો રહે છે. આજ સુધી તે ક્યારે ય અટક્યો નથી ! શું આ જેવી-તેવી નિષ્ઠા છે !
ખ્રિસ્તીઓનો દાખલો લો. બાઇબલનું અધ્યયન એમનું સતત ચાલતું જ રહે છે. એમણે બાઇબલનો એક હજાર ભાષાઓમાં અનુવાદ કર્યો છે. કેટલીક ભાષામાં તો બીજું કોઈ એમનું ય પુસ્તક નથી, એવી ભાષાઓમાંયે બાઇબલ છપાયું છે. હજી વધારે ભાષાઓમાં છાપવાની યોજના છે.
શંકરાચાર્યને મર્યે લગભગ અગિયાર સો વરસ થઈ ગયાં. એમના મઠોમાં અગિયાર સો વરસથી શાંકરભાષ્ય, બ્રહ્મસૂત્ર વગેરેનું અધ્યયન – અધ્યાપન ચાલી રહ્યું છે. હું જાતે ત્યાં જઈને જોઈ આવ્યો છું.
પરંતુ ગાંધીજીનાં પુસ્તકો ગાંધીના લોકો પણ બરાબર નથી વાચતા. કાર્યકરોની આવી અધ્યયનશૂન્યતા જોઈને મને બહુ ચિંતા થાય છે. અધ્યયનની ઊણપ આપણા આ કામને માટે બાધક નીવડશે. આઝાદી માટેના આંદોલનના દિવસોમાં તો તે ચાલી ગયું. એટલા વાસ્તે ચાલી ગયું કે ત્યારે બસ એક આઝાદી મેળવવાની વાત જ સામે હતી અને બીજું − ત્રીજું અધ્યયન ન કરે તો ચાલી જાય. પરંતુ આજે તો આપણે દુનિયાના ચોકમાં ઊભા છીએ. ચારે કોરથી વિચારોનો મારો થઈ રહ્યો છે − સદ્દવિચારોનોયે અને કુવિચારોનોયે. આપણે બિલકુલ મેદાનમાં ઊભા છીએ. આ બધા વિચારો વચ્ચે આપણે આપણા વિચાર મુજબ આપણું કામ કરતા રહેવાનું છે, અને આપણા વિચારને પરિશુદ્ધ કરતાં-કરતાં આગળ વધારવાનો છે. આવા સંજોગોમાં આપણે અધ્યયન વિના તો હાર ખાઈશું ને માર ખાઈશું.
આપણે એ પણ સમજી લઈએ કે ગાંધીજીએ જે સર્વોદયનો વિચાર આપ્યો છે તે વટવૃક્ષ સમાન છે. તેની અનેક શાખા-પ્રશાખા છે. તે બધાંનું ઊંડાણથી અધ્યયન થવું જોઈએ. ઉપરાંત, ચારે તરફનું ચિંતન કરતા રહેવું જોઈએ. હું કાર્યકરોને એમ પણ કહું છું કે માત્ર આપણા વિચારો પૂરતું જ સીમિત રહેવાનું નથી, અનેકવિધ વિષયોનું અધ્યયન કરવાનું છે. નહીં તો ગાંધીવાળા ગાંધી-વિચાર સિવાય બીજા કોઈનું અધ્યયન કરશે નહીં અને સામ્યવાદીઓ સામ્યવાદ સિવાય બીજા કોઈનું અધ્યયન નહીં કરે. કુરાનવાળા કુરાન સિવાય બીજું કાંઈ નહીં વાંચે અને ગીતાવાળા ગીતા સિવાય બીજું કાંઈ નહીં વાંચે. આવું એકાંગી વલણ પણ કામનું નથી. વિશ્વભરના વિચારોનું અધ્યયન આપણું હોવું જોઈએ. વેદમાં એક મંત્ર છે, જ્યાં ક્યાંયથીયે વિચાર મળતા હોય, તેને ઝીલો. ભદ્ર વિચાર આ જમીનના હોય કે તે જમીનના, બધાને જ આવકારો. ઠેઠ વેદમાં શબ્દ વપરાયો છે, ‘વિશ્વત:’. દુનિયાભરના ભદ્ર વિચારો આપણને જોઈએ. ઊંડા ચિંતન-મનન અને અધ્યયન વિના આ થવાનું નથી.
આમાં થોડી મહેનત પણ કરવી પડશે, મગજને થોડુંક કસવું ય પડશે. થોડીક તકલીફ પડે તો ભલે પડે. ઉત્તરોત્તર જરીક મુશ્કેલ અધ્યયન પણ કરતા રહેવાય, તો ચિંતન ઊંડું થશે અને બીજા વિચારોનો મુકાબલો કરવાની શક્તિયે આવશે. શંકરાચાર્યે એક નાનકડા શ્લોકમાં અધ્યયન-મનનનું ગણિત બતાવ્યું છે. જેટલું અધ્યયન કરવાનું છે, તેનાથી સો ગણું નિદિધ્યાસન કરવું જોઈએ. જુઓને ! આપણે ખાઈએ છીએ કેટલો વખત ? અડધો કલાક. અને એ ખાધેલું પચાવતાં કેટલો વખત લાગે છે ? ચાર-પાંચ કલાક. તેમ અધ્યયન માટે ચોવીસ કલાકમાંથી એક કલાક પૂરતો છે. નહીં તો બહુ ખાઈ લીધું અને તે પચાવ્યું નહીં તો જે હાલત શરીરની થાય છે, તેવી જ હાલત બુદ્ધિની થશે. અને અધ્યયન માત્ર પુસ્તકો દ્વારા જ થાય છે એવું નથી, ધ્યાન દ્વારા પણ થઈ શકે છે.
વળી, અધ્યયનમાં જેમ અનેક ગ્રંથ વાંચવાની વાત છે, તેમ એક જ ગ્રંથ વારંવાર વાંચવાની યે વાત છે. જે ગ્રંથથી જીવનને પોષણ મળતું હોય, તે ફરી-ફરી વાંચીને કસી લેવાનો છે. કેટલાંક પુસ્તકો વ્યાવહારિક જ્ઞાનને માટે વાંચવા પડે છે, પણ આધ્યાત્મિક લાભ માટે એક ગ્રંથ પૂરતો થઈ પડે છે. તે લઈને તેનું ઊંડાણથી અધ્યયન કરતા રહેવું.
ઉપરાંત, એ પણ સમજી લેવું કે ગ્રંથ આપણા માટે છે, આપણે ગ્રંથો માટે નથી. ગ્રંથોનો ઉપયોગ જીવન માટે કરવાનો છે. જીવન-પ્રયોજનને ધ્યાનમાં લઈને ગ્રંથોનો ઉપયોગ કરાય છે, તો તેનાથી લાભ થાય છે. આનાં બેઉ પાસાં છે. એક તો એ કે જૂના અનુભવો, વચનોથી ચિત્તને બાંધી લઈએ, તો આપણી જાતને આપણે ભૂતકાળમાં જકડી લઈએ છીએ અને મુક્તતા ખોઈ બેસીએ છીએ. બીજી બાજુ, જૂના અનુભવોને ધ્યાનમાં લેતા નથી, તો આપણા પગ લથડે છે અને નકામી ચીજોમાં આપણે ફરી-ફરીને ફસાતા રહીએ છીએ. તેનાથી છૂટવું જોઈએ. ગ્રંથોનો આધાર લેવાનો છે, તે આવી બેવડી દૃષ્ટિ રાખીને લેવાનો છે.
એ પણ ન ભૂલવું કે વિચારોનો જીવન સાથે ગાઢ સંબંધ છે. જીવન સાથેનો અનુબંધ ક્યારે ય તૂટવો ન જોઈએ. આને હું બહુ જરૂરી માનું છું. તેના વિના અધ્યયન માત્ર પુસ્તકિયું રહેશે અને જીવનને ઉપયોગી નહીં થાય.
1924ની વાત છે. મેં અર્થશાસ્ત્રનું અધ્યયન શરૂ કર્યું હતું. તે અંગે આપણી ભાષાઓમાં ઝાઝાં પુસ્તકો નહોતાં, એટલે મેં જાતજાતનાં અંગ્રેજી પુસ્તકો વાંચ્યાં. સાથે જ મેં એમ નક્કી કરેલું કે આ અધ્યયન ચાલે તે દરમ્યાન મારું ગુજરાન રોજના બે આનામાં જ કરીશ.
તે વખતે હું ત્રણ વાર ખાતો. સાત પૈસાનું ખાવાનું અને એક પૈસાનાં લાકડાં, એવો મારો હિસાબ હતો. સાત પૈસામાં જુવારના રોટલા, મગફળી, ગોળ, દાળ, થોડુંક શાકભાજી, મીઠું ને આમલી − આટલી ચીજો આવતી. તે દિવસોમાં ગાંધીજીના ઉપવાસને કારણે મારે દિલ્હી જવાનું થયું. ત્યાં જુવાર નહોતી મળતી, ઘઉં જ મળતા હતા અને તે મોંઘા હતા. એટલે તેટલા દિવસ મારે મારા ખોરાકમાંથી મગફળી છોડવી પડી હતી. ખોરાકનો મારો આ પ્રયોગ એક વરસ ચાલ્યો.
હવે, કોઈ એમ પૂછી શકે કે અર્થશાસ્ત્રના અધ્યયનને આઠ પૈસાના ભોજન સાથે એટલે કે આવી તપસ્યા સાથે શો સંબંધ ? કેટલા ય લોકો અર્થશાસ્ત્રનું અધ્યયન કરે છે અને સાથે તાજા-માજા પણ થાય છે. પરંતુ મારું એવું માનવું છે કે અધ્યયન ત્યારે જ હજમ થાય છે, જ્યારે આપણે પોતાની જાતને તેને અનુરૂપ બનાવીએ છીએ. આપણી ઇન્દ્રિયોને, પ્રાણોને કસીને આપણી આખી જાત એ અધ્યયનમાં પરોવી દઈએ છીએ, ત્યારે જ એ અધ્યયન આત્માસાત્ થાય છે. મને અર્થશાસ્ત્રના આ અધ્યયનથી બહુ લાભ થયો અને નકામું અર્થશાસ્ત્ર ધ્યાનમાં રહ્યું જ નહીં. તૉલ્સ્તૉય, રસ્કિન વગેરે ખાસ અર્થશાસ્ત્રીઓનું મારું અધ્યયન થયું.
મેં આવી જ રીતે બે વરસ સુધી એકાગ્ર થઈને વેદનું અધ્યયન કર્યું. તે વખતે પણ હું દૂધ-ભાત ઉપર જ રહેતો, દૂધ-ભાત સિવાય ત્રીજી કોઈ ચીજ નહોતો લેતો. આવી રીતે વિચારો સાથે જીવનનો સંબંધ જોડવાની મને આદત છે. અને તેને હું અધ્યયન માટે બહુ જરૂરી માનું છું.
અને માત્ર અધ્યયનનો જ શું કામ, આપણા પ્રત્યેક કામનો જીવન સાથે અનુબંધ જોઈએ. સાહિત્ય-પ્રચારમાં લાગેલા કાર્યકરોને પણ હું કહું છું કે તમે જે સાહિત્ય વેચો છો, તેનું તમે જાતે પણ અધ્યયન કરો, ચિંતન-મનન કરો. આપણે હોટેલવાળા નથી બનવું. હોટેલવાળો લોકોને જે ખવડાવે છે, તે પોતે ખાતો નથી, તેનું પોતાનું ખાવાનું જુદું હોય છે. તે હોટેલવાળા જેવા આપણે નથી બનવાનું. આપણે તો જાતે ખાતા જઈશું અને લોકોને ખવડાવતા જઈશું. માત્ર કુશળતાપૂર્વક પુસ્તકો વેચી આવવાનો આપણો ધંધો નથી. જે પુસ્તકોનો આપણે પ્રચાર કરીએ, તેનું જાતે પણ અધ્યયન કરીએ.
બીજી એક સૂચના મારી કાર્યકરોને એ છે કે તમે લખવાનીયે ટેવ પાડો. લખવાથી વિચારની સ્પષ્ટતા થાય છે અને ચિંતનમાંયે મદદ મળે છે. બેકને કહેલું, ‘રીડિંગ મેક્સ એ ફુલ મેન, ઍન્ડ રાઇટિંગ મેક્સ હિમ એક્ઝેક્ટ’ − વાચન માણસને સંપૂર્ણ બનાવે છે, અને લેખન તેને ચોક્કસ ને સુનિશ્ચિત બનાવે છે. લખવાથી વિચારોમાં સ્પષ્ટતા આવે છે. હું લેખક બનવાની વાત નથી કરતો. પરંતુ કાર્યકર પોતાના રોજના અનુભવ લખી રાખે, તો રોજ તેને ચિંતનનો મોકો મળશે અને વિચારની સફાઈ થશે.
સારાંશ કે, જેમ અન્ન વિના શરીર નથી ટકતું, તેમ જ્ઞાન વિના આત્મા પુષ્ટ નથી થતો. એટલા વાસ્તે દરરોજ જ્ઞાન મેળવતા રહેવાની યોજના હોવી જોઈએ. જેમ ખાધા વિના આપણે રહેતા નથી, તેમ અધ્યયન વિનાયે ન રહીએ. આધ્યાત્મિક અન્નસેવન વિના આપણો એક દિવસ નહીં જવો જોઈએ. દરરોજ એક કલાક અધ્યયન માટે ખાસ જુદો કાઢો, અને ત્યારે બધાં કામોથી અળગા થઈને અધ્યયન, ધ્યાન વગેરેમાં તમારી જાતને પરોવી દો. દિવસમાં એક કલાક, અઠવાડિયામાં એક દિવસ, અને વરસમાં એક મહિનો. ત્યારે કામ-બામ કાંઈ જ નહીં. બસ, અધ્યયન, ચિંતન, મનન, ધ્યાન વગેરે જ. વરસે મહિનો કાઢો, તેમાં સેમિનાર, સામૂહિક ચિંતન વગેરે પણ થઈ શકે. પરંતુ તેમાં રોજબરોજની કામની ચર્ચા નહીં. તેમાં આધ્યાત્મિક ચર્ચા, નિરીક્ષણ, પરીક્ષણ, ચિંતન, મનન, ધ્યાન વગેરે જ હોય. સહ-અધ્યયન થાય. આમ કરવાથી કાર્યકરોની શક્તિ વધશે.
આમ, આપણા કામમાં અધ્યયનની અનિવાર્યતા આપણને સમજાવી જોઈએ. મને કુરાનનું એક વચન યાદ આવે છે. કુરાનમાં પૈગમ્બરસાહેબે કહ્યું છે કે બધા લોકો જેહાદ જગાવો અને જ્યાં ધર્મને ખતરો જણાય ત્યાં જઈને ખુવાર થઈ જાવ, સમરભૂમિમાં જઈને ઉઘાડી છાતીએ સામનો કરો. પછી આગળ કહ્યું છે − ‘થોડાક લોકોને અલગ રાખો. તેમણે અધ્યયન કરવાનું છે અને ઝીણવટમાં જઈને, સૂક્ષ્મમાં જઈને વિચારવાનું છે. સાથે જ જેઓ રણભૂમિમાં ગયા છે, તેઓ જ્યારે પાછા આવશે, ત્યારે એમને આ લોકો થોડું બુદ્ધિદાન આપશે.’
− આવું વચન મેં કુરાનમાં જોયું, અને તે મેં ડાયરીમાં લખી રાખ્યું છે. આમાં અધ્યયનનો કેટલો બધો મહિમા થયો છે ! જેહાદ જગાવીને જ્યારે જંગે ચઢ્યા હોઈએ, ત્યારે અમુક લોકોને તો સૂક્ષ્મ અધ્યયન માટે જુદા રાખવા જ જોઈએ. આટલી બધી અનિવાર્યતા મુહમ્મદસાહેબે અધ્યયનની બતાવી છે ! અધ્યયનની ઊણપ રહી, તો વિચારોનો મુકાબલો આપણે નહીં કરી શકીએ. મુહમ્મસાહેબના વખતે ભલે સમરભૂમિમાં જવાની જરૂર હશે એટલે બધા લોકો અધ્યયનમાં નહીં ડૂબી શકતા હોય. પરંતુ હું તો કહીશ કે અત્યારે તો દરેકે દરેક કાર્યકરે અધ્યયન કરવું પડશે, ચિંતન-મનન કરવું પડશે, ધ્યાન કરવું પડશે. તેના વિના આપણું કામ આગળ નહીં વધે.
(કાર્યકર્તા-પાથેય)
પ્રગટ : “કેળવણી વિમર્શ”, નવેમ્બર-ડિસેમ્બર 2019; પૃ. 03-06