Opinion Magazine
Number of visits: 9570385
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એ દસ વરરસમાં સાવરકરે લાકડી પણ હાથમાં લીધી નહોતી

રમેશ ઓઝા|Opinion - Opinion|23 December 2021

ઈ.સ. ૧૯૦૦ની સાલમાં વિનાયક દામોદર સાવરકરે તેમનાં વતન નાસિકમાં ‘મિત્ર મેળા’ની સ્થાપના કરી. ૧૯૦૧માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ૧૯૦૨માં પૂના ભણવા ગયા. ૧૯૦૪માં ‘અભિનવ ભારત’ નામનાં સંગઠનની સ્થાપના કરી. ૧૯૦૫માં બી.એ.ની પરીક્ષામાં પાસ થઈને ૧૯૦૬માં લંડન ભણવા ગયા. ૧૯૦૯ના જુલાઈ મહિનામાં મદનલાલ ઢીંગરાએ કર્ઝન વાઈલીનું ખૂન કર્યું. વરસ પછી ૧૯૧૦માં તેમને લંડનથી ભારત લાવવામાં આવ્યા. આરોપ એવો હતો કે લંડનમાં અને ભારતમાં થતાં ખૂનોમાં સાવરકરનો હાથ છે. ૨૪મી ડિસેમ્બર ૧૯૧૦ના રોજ તેમને ૨૫ વરસની કારાવાસની સજા કરવામાં આવી. ૩૧મી જાન્યુઆરી ૧૯૧૧ના રોજ તેમને બીજીવાર બીજા એક આરોપમાં ૨૫ વરસની કારાવાસની સજા કરવામાં આવી. સાધારણપણે બન્ને સજા સાથે ભોગવવાનું જજ કહેતા હોય છે, પરંતુ સાવરકરને ૨૫ વરસનાં કારાવાસની સજા એક પછી એક ભોગવવાનો ચુકાદો આપવામાં આવ્યો.

કુલ ૫૦ વરસની સજા. કદાચ બ્રિટિશ સામ્રાજ્યના ઇતિહાસમાં રાજકીય આરોપીને આવી સજા પહેલી અને છેલ્લી વાર કરવામાં આવી હતી. આ સજા અમાનવીય હતી. ઈરાદો સાવરકરના મનોબળને તોડી નાખવાનો, ચીડ કાઢવાનો અને હિંસાનો માર્ગ અપનાવતા કે હિંસા માટે ઉશ્કેરનારા અન્ય લોકોને ચેતવવાનો હતો. ઓછામાં પૂરું સાવરકરને આંદામાન મોકલવામાં આવ્યા. તેમના મોટાભાઈને પણ આવી જ આકરી સજા કરવામાં આવી હતી. અંગ્રેજોએ આવી સજા કરી એની પાછળનું કારણ સાવરકરની ચાલાકીઓ હતી. અંગ્રેજોએ કચકચાવીને ગુસ્સો કાઢ્યો હતો.

આવી આકરી સજા અમાનવીય હતી એમાં કોઈ શંકા નથી. સાવરકર સાથે અન્યાય કરવામાં આવ્યો હતો એમાં પણ કોઈ શંકા નથી. સાવરકર આખા દેશની સહાનુભૂતિનો વિષય હતા અને તેમને તે મળી પણ હતી. પણ ત્યારે કોઈએ કહ્યું નહોતું કે સાવરકરને આવી સજા તેમની જાનફેસાની માટે કરવામાં આવી છે, બહાદુરી માટે કરવામાં આવી છે. મહારાષ્ટ્રના અને દેશના એ સમયના લબ્ધપ્રતિષ્ઠ નેતાઓએ પણ નહોતું કહ્યું કે સાવરકરને કોઈ શૌર્ય બતાવવા માટે આવી સજા કરવામાં આવી હતી. ભારતમાં સર્વસાધારણ અભિપ્રાય એવો હતો કે સાવરકર વધારે પડતી ચાલાકીઓનો શિકાર બન્યા છે. માટે તેમના માટે સહાનુભૂતિનો ભાવ સર્વત્ર હતો. શૌર્ય સાથે તેને કોઈ સંબંધ નહોતો. આ સિવાય વાય.ડી. ફડકેએ તેમના ‘વિસાવ્યા શતકાચા મહારાષ્ટ્ર’ નામના ગ્રંથમાં કહ્યું છે એમ મુંબઈ, પૂના અને નાસિક જિલ્લાના લોકો સાવરકરથી નારાજ હતા. તેમને એમ લાગતું હતું કે સાવરકર સુરક્ષિત જગ્યાએ બેસીને અને પોતાનું ભણતર ચાલુ રાખીને અમારા છોકરાવને હિંસા કરવા ઉશ્કેરે છે. આમ કેટલાક લોકોની તો સહાનુભૂતિ પણ નહોતી.

આ છતાં ય એમાં કોઈ શંકા નથી કે સાવરકર દેશની સહાનુભૂતિનો વિષય હતા. પ્રત્યક્ષ શૌર્ય સાથે તેમનો દૂરદૂરનો પણ સબંધ નહોતો. આ અખો વૃત્તાંત તપાસીને તમે પોતે વિચારો અને કહો કે ૧૯૦૦ની સાલમાં સાવરકરે મિત્ર મેળાની સ્થાપના કરી ત્યારથી લઈને ૧૯૧૦-૧૧માં તેમને કાળાપાણીની સજા કરવામાં આવી ત્યાં સુધીનાં દસ વરસમાં સાવરકરે એવું કયું મહાન કૃત્ય કર્યું જેને હિંસક ક્રાંતિ કે વિદ્રોહ તરીકે ઓળખાવી શકાય? એ દસ વરસમાં તેમણે પોતે શૌર્યનું કોઈ કૃત્ય કર્યું નહોતું. તેમણે પોતે ક્યારે ય બંદૂક અને રિવોલ્વર તો દૂરની વાત છે, લાકડી પણ હાથમાં લીધી નહોતી. તેમણે પોતે અંગ્રેજોનો કોઈ કાયદો તોડ્યો નહોતો. ઊલટું લંડન સ્ટેશને તેમની ધરપકડ કરવામાં આવી એ પછી લંડનમાં તેમને ભારત મોકલવા માટેનો ખટલો ચાલ્યો ત્યારે તેમણે અંગ્રજ-રાજ માટેની વફાદારી જાહેર કરી હતી. ક્રાંતિકારીઓ સાથે તેમનો સ્નાનસૂતકનો સંબંધ નથી એવો બચાવ કર્યો હતો. કોઈને ખાતરી કરવી હોય તો એ ખટલામાં સાવરકરનું બચાવનામું ઉપલબ્ધ છે. રહી વાત ફ્રાન્સના સમુદ્રમાં ઊડી મારવાની અને નાસી જવાના પ્રયત્નની તો એ પણ બચી નીકળવાનું એક છેલ્લું આવલું હતું. તેમની ગણતરી ફ્રાન્સમાં રાજ્યાશ્રય મેળવવાનો હતો.

લંડનની માફક મુંબઈની અદાલતમાં પણ સાવરકરે બીજાની (દેશદાઝ ધરાવતા ક્રાંતિકારીઓ જેમનું પ્રેરણાસ્થાન સાવરકર પોતે હતા) સામે દાવ ઉલટાવીને બીજાના ભોગે હાથ ઊંચા કરીને બચી નીકળવાનો પ્રયાસ કર્યો હતો. ગયા લેખમાં મેં જાણીતા હિંદુવાદી નેતા અને હિંદુ મહાસભાના સભ્ય બેરિસ્ટર મુકુંદરાવ જયકરની આત્મકથાનો હવાલો આપ્યો હતો. જયકર સાવરકર જેમાં આરોપી હતા એ જેક્સન ખટલા વિષે લખે છે: … ‘the feeling at the Bar, which I shared fully, was in strong disapproval of the attitude adopted by the accused in both these cases and it was felt that the level of dignity, courage and integrity which the cause of Indian freedom had reached during the two previous trials of Tilak and Paranjape had been immeasurably lowered by the attitude of the accused in these two later cases.’ (The Story of My Life, page 103.) જયકર લખે છે કે લોકમાન્ય તિલક અને મહાદેવ શિવરામ પરાંજપે સામેના રાજદ્રોહના ખટલામાં એ બન્ને (તિલક અને પરાંજપે) આરોપીઓએ જે શાલીનતા, હિંમત અને પ્રામાણિકતા દાખવ્યાં હતાં તેનો અહીં સદંતર અભાવ હતો. અદાલતમાં આરોપીનું વલણ આઝાદી માટેની લડાઈનું સ્તર નીચે લઈ જનારું હતું.

કોણ આમ કહે છે? બેરિસ્ટર જયકર જે સાવરકરના સમકાલીન હતા અને હિંદુવાદી નેતા હતા. તેમણે તેમની આત્મકથાના બીજા ખંડમાં હજુ એક પ્રસંગ નોંધ્યો છે. જયકર રામકૃષ્ણ મિશન સાથે સંકળાયેલા હતા. તેમણે મિશનના ખારના આશ્રમમાં વાર્ષિક વ્યાખ્યાનનું આયોજન કર્યું હતું જેમાં સાવરકરની મુક્તિ પછી તેમને વક્તા તરીકે બોલાવ્યા હતા. એ સભામાં સાવરકરે કહ્યું હતું કે નૈતિકતા અને મૂલ્યનિષ્ઠા એક દુર્ગુણ છે. (પૃષ્ઠ ૫૪૧) જી હા, ચોંકવાની જરૂર નથી, આમ જ કહ્યું હતું. જયકરે પોતાની આત્મકથામાં લખ્યું છે કે સાવરકરના આવા અભિપ્રાયના પરિણામે સભામાં હોહા મચી ગઈ હતી.

એ ગાંધીનો યુગ હતો. જો આજનો યુગ હોત તો હિન્દુત્વવાદી દેશપ્રેમીઓએ તાળીઓ પાડી હોત અને સીટીઓ વગાડી હોત!

હજુ એક પ્રમાણ આપું? અપ્પાસાહેબ પટવર્ધન મહારાષ્ટ્રમાં સાને ગુરુજીની કક્ષાના લોકસેવક તરીકે ઓળખાય છે. તેમણે ‘માઝી જીવન-યાત્રા’ના નામે આત્મકથા લખી છે. એ આત્મકથામાં એક પ્રકરણ (પ્રકરણ ૧૦) સાવરકર વિષે છે. ગાંધીજી રત્નાગિરિના પ્રવાસે ગયા ત્યારે અપ્પા પટવર્ધને ગાંધીજીને પૂછ્યું હતું કે સાવરકર અહીં રત્નાગિરિમાં છે અને અમે તેમના સંપર્કમાં છીએ તો અમે તેમની સાથે કામ કરીએ? ગાંધીજીએ તેમને કહ્યું હતું; ‘આમ તો કશો વાંધો નથી, પણ જરા સંભાળીને. બહુ ઊંડો માણસ છે.’ આનો પરિચય અપ્પાસાહેબને બીજા જ દિવસે થઈ ગયો હતો. અપ્પાસાહેબ લખે છે કે ગાંધીજી બીજે દિવસે સાવરકરને મળવા ગયા. તેઓ ગાંધીજીની સાથે હતા. એ મુલાકાતનો વૃત્તાંત મુંબઈના ‘શ્રદ્ધાનંદ સાપ્તાહિક’માં પ્રકાશિત થયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે સાવરકરને મળીને ગાંધીજી ગદ્દગદ્દ થઈ ગયા હતા અને  ધન્યતાનો અનુભવ કર્યો હતો. એ અહેવાલ ‘રત્નાગિરીચે વાર્તાહર જોશી કડુંન’ના નામે સાવરકરે પોતે લખ્યો હતો અને મુંબઈ મોકલ્યો હતો. (પૃષ્ઠ, ૨૫૪-૨૫૫)

સાવરકર નૈતિકતા, મૂલ્યનિષ્ઠા અને સાધનશુદ્ધિને દુર્ગુણ સમજતા હતા એવું કહેનારા હજુ વધુ દસ-બાર પ્રમાણ હજુ આપી શકું એમ છું પણ એની હવે જરૂર નથી, જ્યારે સાવરકરનું પોતાનું લખાણ ઉપલબ્ધ છે. શિવાજી મહારાજે મુસ્લિમ સિપાઈઓની હાથ લાગેલી મુસ્લિમ સ્ત્રીઓને તેના હિંદુ સિપાઈઓને ભોગવવા માટે વહેંચી દેવી જોઈતી હતી એમ સાવરકરે તેમના મરાઠી ગ્રંથ ‘સહા સોનેરી પાન’માં લખ્યું છે અને કહ્યું છે કે સદ્દગુણ હિંદુઓની કમજોરી છે. સાવરકર તેને ‘સદગુણ-વિકૃતિ’ તરીકે ઓળખાવે છે. આ શબ્દપ્રયોગ મારો નથી, સાવરકરનો પોતાનો છે. − સદગુણવિકૃતિ!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 23 ડિસેમ્બર 2021

Loading

ઘર જેવું ખાવાનું ઘરમાં થતું નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 December 2021

ઘણાંને ઘરનો જબરો મોહ હોય છે. બધું ઘરનું જ જોઈએ. ખાવાનું ઘરનું, સૂવાનું ઘરનું, ઘરવાળી ઘરની … જો કે, ઘરવાળી તો ઘરની જ હોય ! બહારની હોય તો ય ઘરમાં ન ચાલે.

એ ખરું કે પરણે નહીં ત્યાં સુધી, છોકરો બહારનું ખાઈને જ મોટો થતો હોય છે. ભણવાનું ગામની બહાર હોય તો છોકરો મેસમાં ખાઈને બધું 'મેસ' કરતો હોય છે ને સિલકમાં મેશ જેવો જ રહી જતો હોય છે. એ બિચારો તો છેક પરણે ત્યારે ઘરનું ખાતો થાય છે.

મારું પણ એવું જ હતું. નાનો હતો ત્યારે બાએ કોળિયા ભરાવેલા, તે પછી તો રજાઓમાં ઘરે જવાનું થતું તો ઘરનું ખાવાનું મળતું. એ પછી નોકરી શહેરમાં લાગી. શહેરમાં જ પ્રેમ થયો ને ઘર પણ શહેરમાં જ માંડવાનું થયું. શરૂઆતના દિવસોમાં તો મારી એકની એક પત્ની ને હું ગામમાં રહ્યાં ને બાના હાથનું સરસ મજાનું ખાવાનું થયું. મારી પત્ની પણ બાના હાથનું ખાઈને તંદુરસ્તીની રક્ષા કરતી રહી, પણ એ કાયમનું ન હતું. ગમે ત્યારે શહેર તો આવવાનું જ હતું ને કાયમનું તો પત્નીના હાથનું જ ખાવાનું હતું. મને પણ થયું કે પત્નીના હાથની રસોઈનો લહાવો મળશે, પણ એણે જાહેર કરી દીધું કે તેને રાંધવાનો કંટાળો છે. એટલે રાંધતી નથી, એવું નહીં, પણ એનું રાંધેલું કોઈ બહુ ખાવા કરતું નથી એવું એણે જ્યારે કહ્યું તો મને દાળની જેમ કોઈએ તપેલામાં ઓરી દીધો હોય એવી લાગણી થઈ. તેણે જ કહ્યું કે તેના પિયરમાં એનો રાંધવાનો વારો રહેતો તો ઘરનાં સભ્યો ઘરનું ખાવાથી દૂર રહેતા ને નકોરડો ખેંચી કાઢતા. પત્નીએ જ કહ્યું કે તે રાંધતી તો બરકત ઘણી રહેતી. કોઈ ખાય તો ખૂટેને ! ખાવાનું વધતું તો ગાયકૂતરાંને નાખવું પડતું ને એ પણ ઉપવાસી રહેવામાં જ સલામતી જોતાં.

મને થોડું, પણ સ્વાદિષ્ટ ખાવાનું જોઈએ ને પત્નીને વધારે જોઈએ ને સ્વાદનો એને પહેલેથી જ આગ્રહ ન હતો. સ્વાદિષ્ટ એને પણ ભાવતું ખરું, પણ એ બીજાના હાથનું હોય તો ! પોતાને હાથે સ્વાદ એને બહુ માફક આવતો ન હતો.

એની વિશેષતા એ હતી કે તેને એકાદ આઈટમથી જ ચાલી જતું, કારણ આઈટમ બીજી હોય તો તે બનાવવી પડતી ને એ તેના ગજા બહારનું હતું. એને બનાવતાં સારી એવી વાર લાગતી ને જે એનું ખાવા ઈચ્છે તેને વાર ન લાગે એવું ભાગ્યે જ બનતું, સિવાય કે ખાવાનું માંડી વાળ્યું હોય !

ખીચડી તેની રાષ્ટ્રીય વાનગી હતી. કૈં પણ બનાવવાની વાત આવતી તો તેનો પહેલો પ્રસ્તાવ ખીચડીનો રહેતો. એટલી વખત ખીચડી મુકાતી કે હું મને માંદો લાગતો. મારી માંદગી બહુ ટકતી નહીં, કારણ બીજી આઈટમ ચણાની રહેતી. ચણા મને ભાવતા હતા, પણ ઘરમાં એટલી વખત બનવા લાગ્યા કે હું મને તબેલામાં હોઉં એવું લાગવા માંડ્યું. ચણાએ મને આસ્વાદને બદલીને અસ્વાદ વ્રત તરફ ધકેલ્યો હતો.

મારી પત્નીને હું ભૂખમરો વેઠતો તે ગમતું તો નહીં, પણ તેની પાસે તેનો ઉપાય ન હતો.

એવું ન હતું કે તે મને રાજી રાખવા કૈં કરતી ન હતી. બજારમાંથી તે રેસિપી બુક પણ લઈ આવી હતી. ધીમે ધીમે તેણે વાનગી બનાવવાનું પણ શરૂ કર્યું હતું, પણ તેની મુશ્કેલી એ હતી કે ગળ્યું તેને બિલકુલ માફક આવતું ન હતું ને મને દાળ, શાકમાં ગળપણ જોઈએ જ ! ગળપણ ઘડપણને રોકે છે એવું હું માનતો ને માનવતો. પત્નીને જરા પણ ગળ્યું ફાવતું નહીં. એનું ચાલે તો ગોળમાંથી પણ ગળપણ કાઢી લે. સારું છે કે સફરજન ને બીજાં ફળો કુદરતે મીઠાં બનાવ્યાં છે. મારી પત્નીનું ચાલે તો સફરજન તીખાં જ ઉગાડે.

એક દિવસ મારી નાજુક તબિયતને જોતાં પત્નીએ પુરણપોળી બનાવવાનું નક્કી કર્યું. મેં જાણ્યું તો મારા આનંદનો પાર ન રહ્યો. એણે ખૂબ મહેનતને અંતે પૂરણ તૈયાર કર્યું. પૂરણ મને ચખાડયું. ખાંડ નાખી ન હતી. મેં ખાંડ ઉમેરવાનું કહ્યું. તેણે ઉમેરી ને સાંજે નોકરીએથી આવ્યો ત્યારે પુરણપોળી ખાવા મળશે એવી આશા હતી. ન ફળી. પુરણપોળી બની તો હતી, પણ માઇક્રોસ્કોપમાં જોવા છતાં ક્યાં ય પૂરણ જોવા ન મળ્યું. મેં કહ્યું કે પોળી, પોલી છે, અંદર કૈં નથી. એણે પૂરણનો વાટકો સામે મૂકતાં કહ્યું કે પોળીને પૂરણ સાથે ખાવ. મેં કહ્યું કે એમ ખવાય? એ બોલી કે રોટલી સાથે શાક ખાવ છો તો રોટલીમાં શાક ભરો છો? એમ જ પૂરણને રોટલી સાથે લગાવીને ખાવ.

મેં ખાવાનું કેન્સલ કરીને હોટેલમાં જમવા જવાનું ઠરાવ્યું. પત્ની પણ રાજી થઈ. અમે હોટેલ પહોંચ્યાં. મેનેજરને પૂછ્યું કે કેવુંક છે ખાવાનું? એ બોલ્યો કે સાહેબ, તમે નિરાંતે બેસો. અમારે ત્યાં એકદમ ઘર જેવું ખાવાનું મળે છે. 

મેં કહ્યું કે હોટેલમાં ઘર જેવું ખાવાનું?

મેનેજર બોલ્યો કે સાહેબ, હું સમજ્યો નહીં.

મેં કહ્યું કે ઘરથી કંટાળીને તો અહીં …

પત્નીએ મને એવી રીતે જોયો કે હું નીચું જોઈ ગયો.

('કુમાર'માં હાસ્યલેખ)

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

એક શતાબ્દી વીત્યે, બીજી, અસહકારની ચળવળનો સમય પાક્યો

તુષાર ગાંધી (અનુવાદક : આશા બૂચ)|Opinion - Opinion|23 December 2021

2020ની સાલ અસહકારની ચળવળની શતાબ્દી ઉજવવાનું પર્વ છે, જે 5 સપ્ટેમ્બર 1920થી શરૂ થયું છે. તે પહેલાં દેશ સાંસ્થાનિક સરકાર દ્વારા લાદવામાં આવેલ રોલેટ એક્ટ જેવા કઠોર કાયદા સામેના વિરોધથી ભભૂકી ઉઠેલો. રોલેટ એક્ટ એ એક કઠોર માર્શલ લૉ ભારતની પ્રજાને દમનથી પોતાના તાબામાં લાવવા માટે લદાયેલો કાયદો હતો. એ કાયદો 21 માર્ચ 1919ને દિવસે લાદવામાં આવ્યો. 13મી એપ્રિલ 1919માં ભારતની પ્રજા શાંતિપૂર્ણ દેખાવ માટે અમૃતસરના જલિયાંવાલા બાગમાં એકઠી મળી, જેને બ્રિટિશ લશ્કરના જનરલ ડાયર જેવા સામૂહિક હત્યા કરનારના હુકમથી તેના સૈનિકોએ નિર્દોષ જનતાને નિર્દય થઈને ગોળીથી વીંધી નાખ્યા.

ચંપારણમાં નિર્ધન અને ગુલામ બનેલા ગળી ઊગાડનારા ખેડૂતોને ન્યાય અપાવવા કરેલા સત્યાગ્રહમાં મળેલી સફળતાને કારણે, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય તખ્તા ઉપર 1917ના ગાળામાં પ્રવેશ્યા. ચંપારણ સત્યાગ્રહ એ પ્રથમ એવી ઘટના હતી જેમાં કોઈ ભારતીય પ્રજાજને બ્રિટિશ સલ્તનતને પીછેહઠ કરવા વિવશ કરી.

1857ના બળવા બાદ ભારતની પ્રજાએ સ્વીકારી લીધેલું કે બ્રિટિશ સત્તા અજેય છે અને તેઓ આપણા ઉપર રાજ કરવા જ સર્જાયેલા છે. ચંપારણ સત્યાગ્રહની સફળતાએ દેશને અચંબામાં નાખી દીધા. ત્યાર બાદ જ્યાં વલ્લભભાઈ પટેલ ‘સરદાર’ તરીકે ઉભરી આવ્યા એ ખેડા જિલ્લાનો સત્યાગ્રહ પણ સફળ થયો. અસહકારની ચળવળ સાથે કાઁગ્રેસે ખિલાફતની ચળવળને પણ ટેકો આપ્યો, જેથી ત્યાં સુધી અલગ રહેલા મુસ્લિમ લોકો પણ બ્રિટિશ શાસનની વિરુદ્ધમાં સાથે જોડાઈ ગયા. ક્રાંતિકારી પગલાં ભરવા માટે વાતાવરણ અનુકૂળ હતું.

ઉતેજના અને હૃદયભંગ :

અસહકારની ચળવળની સફળતા એવી હતી કે એ બ્રિટિશ સરકારની જેમ જ કાઁગ્રેસને પણ નવાઈ ઉપજાવી ગઈ. સમગ્ર દેશ એકજુટ થઈને ઊભો રહ્યો અને એક તબક્કે એવું લાગ્યું કે બ્રિટિશ સરકાર શરણાગતિ સ્વીકારી લેશે. તેવામાં 4 ફેબ્રુઆરીને દિવસે સંયુક્ત પ્રાંત(હાલના ઉત્તર પ્રદેશના)ના ગોરખપુર જિલ્લાના ગામડા ચૌરી ચૌરાની ઘટના બની.

અસહકાર કરનારાઓ સાથે ગામવાસીઓ એક બનીને કૂચ કરવા એકઠા થયા. નજીકની પોલીસ ચોકીના પોલીસ અમલદારોએ સત્યાગ્રહીઓના એક જૂથને માર માર્યો, જેનાથી દેખાવકારો રોષે ભરાયા, પોલીસ અમલદારોનો પીછો કર્યો, એ લોકોને ચોકીમાં ધકેલી દીધા અને તેનો કબજો લઇ લીધો. પોલીસની ટુકડીએ અંદરથી બારણું બંધ કરી દીધું, એટલે તેમને બહાર કાઢવા ટોળાંએ તેને આગ ચાંપી. જ્યારે એ પોલીસ અમલદારો બહાર આવ્યા, ત્યારે તેમની હત્યા કરીને પાછા આગમાં હોમી દેવામાં આવ્યા. 

અત્યાર સુધી અસહકારની ચળવળ અહિંસક ગણાયેલી તેને બદનામ કરવા આ બનાવના સમાચાર વ્યાપકપણે ફેલાવવામાં આવ્યા. જ્યારે બાપુને આ ઘટનાના સમાચાર મળ્યા ત્યારે પોતાની અગેવાનીથી શરૂ થયેલી ચળવળ આમ કાબૂ બહાર થઇ જાય તે તેમને સ્વીકાર્ય નહોતું. જો કે અસહકારની ચળવળની સફળતા ગણનાપાત્ર હતી અને બીજા કાઁગ્રેસી નેતાઓએ લડત ચાલુ રાખવા અનુરોધ કર્યો, પરંતુ બાપુએ એ ચળવળ મોકૂફ રાખી.

ઘણા નેતાઓએ દલીલ કરી કે બ્રિટિશ સરકાર હાર માનવાની તૈયારીમાં હતી, પણ બાપુએ તેમનું કહેવું ન સ્વીકાર્યું. તેમના માટે સાધનો સાધ્ય જેટલાં જ મહત્ત્વનાં છે. તેમણે ચળવળ પાછી ખેંચી લીધી. એ ચળવળની મહત્તાને ધ્યાનમાં લેતાં તેને એકલે હાથે સદંતર બંધ કરવાની તેમની શક્તિ અને બળનું એ અભૂતપૂર્વ પ્રેરણાદાયી પ્રદર્શન હતું.

કાઁગ્રેસ શા માટે આ વિસરી ગઈ?

આ કોઈ સ્વાતંત્ર્યની લડતના ભાગ રૂપ મળેલો પાઠ નથી, જો કે, સાંપ્રત સમયના ઇતિહાસના સંદર્ભમાં તેની યાદ અપાવવી જરૂરી છે. એક રાષ્ટ્ર તરીકે આપણે પુરાતન કાળના ઇતિહાસ અને દંતકથાઓ તરફ પીછેહઠ કરી હોય તેમ લાગે છે. અસહકારની ચળવળ એ રાષ્ટ્રના જીવનમાં એક મહત્ત્વનો તબક્કો હતો, પરંતુ આજે તેની શતાબ્દી ટાણે પણ જાણે તે વિસરાઈ ગઈ છે. સરકાર અને નવાઈ ઉપજાવે તેવી વાત તો એ છે કે ખુદ કાઁગ્રેસ પણ તેની ઉજવણી નથી કરી રહી. 

મને રાજીપો એ વાતનો છે કે સરકાર આ ચળવળની શતાબ્દી નથી ઉજવી રહી. જો જે સંગઠને બ્રિટિશ રાજ સાથે મળીને આપણી સ્વાતંત્ર્યની ચળવળને ડામી દેવાના પ્રયાસ કરેલા તેના વંશજો એ યાદગાર ચળવળ, કે જે આપણી મુક્તિ તરફ દોરી ગઈ તેની ઉજવણી કરે તો એ વિધિની વક્રતા કહેવાત.

મને ખેદ એ વાતનો છે કે કાઁગ્રેસ આ ઘટનાને તદ્દન ભૂલી ગઈ. ડિસેંબર 1920માં તેની નાગપુર ખાતે મળેલી 35મી બેઠકમાં અસહકારનો ઠરાવ પસાર થયેલો. વર્તમાન સમયની કાઁગ્રેસ જો કે સ્વતંત્રતા પહેલાંની કાઁગ્રેસ કરતાં ઘણી અલગ બની ગઈ છે, છતાં જે પક્ષે સ્વતંત્રતા ચળવળમાં આગેવાની કરેલી તેના કાયદેસરની ઉત્તરાધિકારી છે. કે પછી એ પણ પેલા ભવ્ય ભૂતકાળની દેણગીને ભૂલી જશે?

ફરીથી જાગૃત થવાનો સમય પાકી ગયો છે.

ચંપારણ અને ખેડા જિલ્લાના સત્યાગ્રહો, રોલેટ એક્ટનો બહિષ્કાર અને જલિયાંવાલા બાગનો હત્યાકાંડ જેવી – અસહકારની ચળવળ પહેલાં બનેલી ઘટનાઓની માફક આજનું ભારત વિકટ પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યું છે. ફરી વખત સમગ્ર રાષ્ટ્ર ત્રાસજનક હાલતમાંથી પસાર થઇ રહ્યું છે, કિસાનો મુશ્કેલીમાં આવી ગયા છે તથા બેરોજગારી અને સારી કક્ષાના શિક્ષણના અભાવે યુવા પેઢીને ચિંતિત કરી મૂકી છે. ગયે વર્ષે 370ની કલમના ઉચ્છેદ અને નાગરિક સુધારા કાયદની કલમ લાગુ કરવાને પરિણામે લઘુમતી કોમમાં પોતાની સલામતી અને સ્થાન માટે ચિંતા પ્રગટી છે, જે વ્યાજબી જ છે. રામ મંદિરના બાંધકામ માટે સરકારનો વિધિસરનો ટેકો મળવાને કારણે ખિલાફતની ચળવળ સમયે પડેલી તેવી જ તિરાડ બે મુખ્ય કોમ વચ્ચે પડી છે. 

સરકારનો લોકશાહી પદ્ધતિ અને પાર્લામેન્ટના કપટી અને ચાલાકી ભર્યો ઉપયોગ આપણી લોકશાહી માટે ખતરનાક છે. જે રીતે ઠરાવો કાયદાનું રૂપ લે છે અને પ્રજા ઉપર ઠોકી બેસાડવામાં આવે છે તે ચિંતાજનક છે. તત્કાલીન કિસાન અંગેનો ઠરાવ ખેતી વિષયક સમસ્યાની આગમાં ઘી હોમવા બરાબર પુરવાર થયો છે. કાયદાના મજૂર વિરોધી સુધારાઓ સાથે રોજગારીની તકો ઓછી થવી એ કામદાર વર્ગમાં ચિંતા અને અસંતોષનું કારણ બન્યા છે. કોવીડ 19ની પરિસ્થિતિને યોગ્ય રીતે કાબૂમાં ન લીધી હોવાને પરિણામે મોટાં શહેરોમાંથી ડરના માર્યા પોતાને વતન સ્થળાંતરિત થયેલા લાખો હંગામી મઝદૂરોને તેમનો કોઈને ખપ ન હોય તેવી લાગણીનો ભોગ બનવું પડ્યું અને આપણા ઔદ્યોગિક ક્ષેત્રનું તકલાદી પણું સિદ્ધ થયું.

નાગરિક અધિકાર બિલ (CAA) અને નાગરિકોના નેશનલ રજીસ્ટર(NRC)નો શાહીન બાગ, જામિયા મિલિયા ઇસ્લામિયા અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રવ્યાપી વિરોધ થયો તેનાથી એક રીતે ઉપર્યુક્ત રીતે જ અસહકારની ચળવળનું શતાબ્દી વર્ષ શરૂ થયું. એ ધારણાનું દેશ આખામાં – લખનૌમાં ઘંટાઘર, કલકત્તા, મુંબઈ, ચેન્નાઇ અને અન્ય શહેરો તેમ જ કેમ્પસમાં અનુસરણ થયું. ત્યારે એવો ભાસ થયો કે તેના ઉદ્દગમ સ્થાને બરાબર શતાબ્દી ટાંકણે અસહકારનું તત્ત્વ હજુ જીવિત છે. જાણે પ્રજાની ચળવળ એક ઐતિહાસિક પ્રજાકીય ચળવળની સ્મૃતિમાં ઉજવણી કરી રહી હતી.

સરકારે એ વિરોધને ડામવા માટે મેલી રમતનો ઉપયોગ કર્યો. દિલ્હીના રમખાણો તેમની એકતાને તોડી પાડવા માટે ચાલાકીપૂર્વક યોજવામાં આવેલા, અને ત્યારથી જ બ્રિટિશ રાજના સહભાગીઓના વંશજોની બનેલી આ સરકાર રોલેટ એક્ટના વિરોધ સમયે ઉપયોગમાં લીધેલી એવી જ સત્તાધારી રીત નાગરિક અધિકાર બિલ અને નાગરિકોના નેશનલ રજીસ્ટરના વિરોધમાં ભાગ લેનારાને ચોકઠામાં પુરવા અને તેમના પર કાયદેસર કામ લેવા અપનાવી રહી છે. કાયદેસરના વિરોધને કચડી નાખવા રાજદ્રોહ અને આતંક વિરોધી કાયદાનો સરેઆમ દુરુપયોગ થયો. લોકશાહી શાસનમાં જો કોઈ ધારો કે તેનો અમલ ખોટો છે એમ લાગે તો પ્રજાને સરકારને સવાલ પૂછવાનો કાયદેસર અધિકાર છે. 

સો વર્ષ પહેલાં ભારતની પ્રજાએ વિદેશી અને બિન લોકશાહી શાસકો સામે માથું ઊંચકેલું. હાલની સરકારની ઉદ્ધતાઈ અને આપખુદશાહી તરફનું વલણ દર્શાવે છે કે ભારત માટે બીજી અસહકારની ચળવળનો સમય પાકી ગયો છે. આપણે તૈયાર છીએ?

e.mail : 71abuch@gmail.com

(મૂળ સ્રોત : All Indians Matter – November 7, 2020)

https://www.allindiansmatter.in/100-years-on-time-for-another-non-cooperation-movement/   

Loading

...102030...1,6591,6601,6611,662...1,6701,6801,690...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved