Opinion Magazine
Number of visits: 9961877
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જિગ્નેશ મેવાણીને એરેસ્ટ કરનાર આસામ પોલીસને સજા થઈ શકે છે !

રમેશ સવાણી|Opinion - Opinion|28 April 2022

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આસામ પોલીસે બે કેસમાં એરેસ્ટ કરેલ છે. પ્રથમ કેસ IPC કલમ-120 B (ગુનાનું કાવતરું. સજા – જે તે ગુનાની મુજબ.) / 153 (A) (બે સમુદાયો વચ્ચે દુશ્મનીને પ્રોત્સાહન આપવું. સજા – 3 વરસ કેદ.) / 295 (A), (બદઈરાદાથી ધાર્મિક અપમાન કરવું. સજા – 3 વરસ કેદ.) 504 (શાંતિ ભંગ કરવા જાણીજોઈને અપમાન કરવું. સજા – 2 વરસ કેદ.) તથા IT એક્ટ કલમ-66 હેઠળ દાખલ કરેલ છે. બીજો કેસ IPC કલમ-IPC 294 (જાહેરમાં અભદ્ર શબ્દો બોલવા. સજા – 3 મહિના કેદ.); 323 (સ્વૈચ્છિક રીતે ઇજા પહોંચાડવી. સજા – 1 વરસ કેદ.); 353 (ફરજ પરના જાહેર સેવક પર હુમલો કરવો. સજા – 2 વરસ કેદ.); 354 (સ્ત્રીના શીલભંગ માટે ગુનાઈત બળનો પ્રયોગ કરવો. સજા – 3 વરસ કેદ.) હેઠળ દાખલ થયેલ છે. આ બન્ને કેસમાં આસામ પોલીસે શું ગેરકાયદેસર કાર્યવાહી કરી છે, તેની ચર્ચા દરેક નાગરિકે સમજવી જરૂરી છે.

થોડા મુદ્દાઓ :

[1] કલમ-120B કાવતરું રચવાની છે. કાવતરા માટે બે કે તેથી વધુ વ્યક્તિ હોય તો જ આ કલમ હેઠળ ગુનો બને. આસામ પોલીસે બીજા કોઈને એરેસ્ટ કરેલ નથી; એટલે આ કલમનો કોઈ અર્થ નથી ! ટ્વિટ કરવામાં કાવતરું શું હોઈ શકે? 18 એપ્રિલના રોજ ટ્વિટ થાય છે / 19 એપ્રિલે FIR નોંધાય છે અને 20 એપ્રિલે એરેસ્ટ કરવામાં આવે છે ! રેપ / હત્યા / બોમ્બબાસ્ટના કિસ્સામાં આટલી ઝડપી કાર્યવાહી થાય છે? શું ‘ઉપરની સૂચના’ વિના આ શક્ય છે?

[2] બન્ને ગુનામાં જિગ્નેશ મેવાણીની અટકાયતમાં આસામ પોલીસે કાયદાની સ્થાપિત કાર્યરીતિનો ભંગ કરેલ છે. બંધારણના આર્ટિકલ-21 (કાયદાથી સ્થાપિત કાર્યરીતિ સિવાય કોઈ વ્યક્તિનું શરીર-સ્વાતંત્ર્ય છીનવી શકાય નહીં.)નો ભંગ થયેલ છે. સુપ્રિમ કોર્ટે 2014માં અરનેશ કુમાર વિરુદ્ધ બિહાર રાજ્ય કેસમાં ગાઈડલાઈન આપી છે, તેનો ભંગ થયેલ છે.

[3] અરનેશ કુમારના કેસમાં સુપ્રિમ કોર્ટે ઠરાવેલ છે કે એવા ગુનાઓ જેમાં 7 વરસ કે તેથી ઓછી સજા ઠરાવેલ છે, તેવા કેસમાં ‘ઓટોમેટિક એરેસ્ટ’ કરી શકાય નહીં. CrPC કલમ-41A  હેઠળ નોટિસ આપવી પડે. આ જોગવાઈ 1 નવેમ્બર 2010થી અમલી બની છે. શા માટે કલમ-41Aનો ઉમેરો થયો? પોલીસ કોઈને શંકાના આધારે કોઈ વ્યક્તિને એરેસ્ટ કરી લેતી હતી, જેથી તેની પ્રતિષ્ઠા / માનસન્માન / માનસિક ભાવનાઓને અને પરિવારને ઠેસ પહોંચતી હતી. એટલે 7 વરસ સુધીની સજા વાળા ગુનાઓ; ભલે તે નોન-બેઈલેબલ હોય / નોન કમ્પાઉન્ડેબલ હોય તો પણ આરોપીને નોટિસ આપવી જરૂરી છે. આરોપીનો પક્ષ સાંભળ્યા વિના તેને એરેસ્ટ કરી શકાય નહીં. કોઈને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે ત્યારે તેની સાથે લાંછન જોડાયેલું છે. ખોટી ધરપકડથી અપમાન અને પ્રતિષ્ઠા ભંગ થાય છે જેની ભરપાઈ ન થઈ શકે ! આરોપી સામે પૂરતા પુરાવા એકત્ર કરવા પડે. 41Aની જોગવાઈનો હેતુ ખોટી FIRથી રક્ષણ આપવાનો છે. ઉપરાંત નોટિસ મળવાથી આરોપી આર્ટિકલ-22 મુજબ વકીલની સલાહ પણ લઈ શકે !

[4] કોઈ વ્યક્તિને પોલીસ ક્યારે એરેસ્ટ કરી શકે તેની જોગવાઈ CrPC કલમ-41 (1)માં કરવામાં આવી છે; જેમાં પોલીસની હાજરીમાં કોઈ વ્યક્તિ કોગ્નિઝેબલ ગુનો કરે / બીજો ગુનો કરે તેમ હોય / ગુનાની તપાસ માટે જરૂરી હોય / સાક્ષી-પુરાવાઓને ફોડે તેમ હોય / આરોપી નાસી જાય તેમ હોય વગેરે કારણોસર લેખિત કારણો નોંધીને પોલીસ આરોપીને એરેસ્ટ કરી શકે અને પોલીસ જામીન ઉપર છોડી શકે. જિગ્નેશ મેવાણીના કેસમાં જે કલમો હેઠળ ગુનો નોંધાયો છે તેમાં 7 વરસ કરતાં ઓછી સજાની જોગવાઈ છે, જેથી પોલીસે તેમને જામીનમુક્ત કરવા જોઈએ. પરંતુ પોલીસે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી રીમાન્ડ મેળવી. આવા કિસ્સામાં રીમાન્ડ આપનાર મેજિસ્ટ્રેટ સામે શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે ! જિગ્નેશ મેવાણી ચૂંટાયેલા ધારાસભ્ય છે, તેથી ફરાર થવાની શક્યતા ઓછી છે. ગુનો તેમણે કરેલ ટ્વિટ સાથે સંબંધિત છે, તેથી સાક્ષીઓને ધમકાવવા /પ્રભાવિત કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. ટ્વિટને સંપાદિત કરી શકાતી નથી, તેથી સાક્ષીઓ સાથે ચેડા કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. મેજિસ્ટ્રેટે આ બાબતો કેમ જોઈ નહીં?

[5] જિગ્નેશ મેવાણીએ ટ્વિટ કરેલ કે “વડા પ્રધાન ગોડસેને ભગવાન માને છે, એમણે ગુજરાતના સાંપ્રદાયિક દંગાઓની સામે શાંતિ અને સદ્દભાવની અપીલ કરવી જોઈએ !” આ ટ્વિટમાં બે ભાગ છે. ‘ગુજરાતના સાંપ્રદાયિક દંગાઓની સામે શાંતિ અને સદ્દભાવની અપીલ કરવી જોઈએ’ તેમ કહેવું તે ગુનો બને નહીં. વળી આ બાબત ગુજરાતની છે, ગુજરાતમાંથી ટ્વિટ કરેલ છે, તો ગુનો CrPC કલમ-179 મુજબ ગુજરાતમાં બને; આસામમાં બને નહીં. “વડા પ્રધાન ગોડસેને ભગવાન માને છે” તેમ કહેવામાં જેની બદનામી થઈ હોય તે વ્યક્તિ જ બદનક્ષીનો કેસ કરી શકે, જે નોન-કોગ્નિઝેબલ ગુનો છે; તેથી પોલીસ એરેસ્ટ કરી શકે નહીં. આ કિસ્સામાં આસામના સત્તા પક્ષના નેતાએ જિગ્નેશ મેવાણી સામે FIR દાખલ કરાવી છે, જે તદ્દન ગેરકાનૂની છે. IPC કલમ-120 B / 153 (A)/295 (A)/504 તથા IT એક્ટ કલમ-66 હેઠળ ગુનો નોંધવો તે કાયદાનો દુરુપયોગ છે. જ્યારે IPC કલમ-IPC 294 / 323 / 353 / 354 હેઠળના બીજા ગુનામાં એરેસ્ટ કરવાનું કૃત્ય અને જામીન ઉપર નહીં છોડવાનું પગલું પણ ગેરકાનૂની છે. ઉપરાંત જિગ્નેશ મેવાણી જે ટ્વિટ કરેલ તેને IPC કલમ-153 (A) (બે સમુદાયો વચ્ચે દુશ્મનીને પ્રોત્સાહન આપવું.); 295 (A) (બદઈરાદાથી ધાર્મિક અપમાન કરવું.); 504 (શાંતિ ભંગ કરવા જાણીજોઈને અપમાન કરવું.) સાથે કોઈ સંબંધ નથી; એવું કાયદા શાખાનો કોઈ પણ વિદ્યાર્થી સમજી શકે તેમ છે !

આસામ પોલીસનું આ પગલું અરનેશ કુમારના જજમેન્ટનો અનાદર કરનારું છે. ab-initio-illegal-શરૂઆતથી જ ગેરકાનૂની છે. જેથી ‘contempt of court – સુપ્રિમકોર્ટના તિરસ્કાર’ માટે આસામ પોલીસ જવાબદાર ઠરે છે. કેમ કે એરેસ્ટ કરનાર પોલીસ અધિકારીને નાગરિકના અધિકારો અને કાયદાની નિર્ધારિત પ્રક્રિયાની યોગ્ય જાણકારી હોવાનું કોર્ટ માને છે. 7 ડિસેમ્બર 2021ના રોજ દિલ્હી હાઈકોર્ટે રાકેશકુમાર વિરુદ્ધ વિજયંતા આર્યના કેસમાં; સુપ્રિમ કોર્ટે અરનેશ કુમારના કેસમાં CrPC કલમ-41A હેઠળ નોટિસ આપવાની ગાઈડલાઈનના ભંગ સબબ રાકેશકુમારને એરેસ્ટ કરનાર પોલીસ અધિકારીને એક દિવસની સજા સાથે 2,000નો દંડ કર્યો હતો ! આસામ પોલીસને પણ સજા થઈ શકે છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

જો કેવું રૂપાળું અંધારું છે!

રમજાન હસણિયા|Opinion - Literature|28 April 2022

(લલિત નિબંધ) 

[લોકડાઉન દરિમયાન, 'આપણું આંગણું' બ્લોગ દ્વારા, ત્રણ દિવસીય ઓનલાઈન નિબંધ લેખન શિબિર સ્નેહી કવિ હિતેનભાઈ આનંદપરાએ ગોઠવેલી. એમાં તજ્જ્ઞ હતા ડૉ. મણિલાલ હ. પટેલ. એમણે જે રીતે તાલીમ આપી ને પાણી ચઢાવ્યું કે મને થયું કે હુયે નિબંધ લખી શકું. લખ્યું. હિતેનભાઈએ આજે એને ‘આપણું આંગણું’ના બ્લોગ પર મૂક્યું, ત્યારે બહુ જ રાજી થયો. — રમજાન હસણિયા]

•••

અંધારાને તે કંઈ આકાર હોતાં હશે? ના રે ના! એ તો આપણી અંદર સળવળતાં ભયનાં નિત નવાં મહોરાં પહેરીને આવે છે આપણી સામે.

નાનો હતો ત્યારે તો અંધારું દીઠું ય ન ગમતું ને તોયે એ રોજ રાતે ચાલાક શત્રુની જેમ કોણ જાણે ક્યાંથી આવી ચડતું ને મારી બાલ પરીસૃષ્ટિમાં આસુરી સામ્રાજ્ય ફેલાવી દેતું. ગામના છેડે ને કબ્રસ્તાનની સાવ સામે જ આવેલું અમારું એ સમયનું ઘર, એટલે જ્યાં દિવસે પણ બીક લાગતી હોય ત્યાં રાતે શું હાલત થાય એ તો અનુભવે જ સમજાય.

વીજળી વિહોણા બે ઓરડામાં નાનકડા ગાડામાં સમાઈ જાય એટલા અસબાબથી દિવસે ખાલીખમ લાગતું ઘર રાતે અંધારાથી છલોછલ ભરાઈ જતું. દવા પીવાઈ ગયા પછી ખાલી થયેલી કાચની શીશીમાં કેરોસીન ભરીને બનાવેલી ચીમની તો નાનકડા સિપાહી જેવી, એનું તે કેટલું જોર! કે આવડા મોટા યોદ્ધા સામે ટકી શકે? સાવ ઝાંખા પીળાં ભયથી ધ્રુજતા પ્રકાશમાં જ્યાં અડો ત્યાં અંધારું વીંછીની જેમ ડંખી જવા દોડી આવતું.

આવું ઘર શિયાળામાં દિનદુઃખિયાને આશરો આપતા કોઈ દયાળુ પાદરી જેવું તો ઉનાળામાં એ જ ઘર ફિલ્મોમાં આવતા ને બાળકો સહિત કોઈ અબળાને ઘરની બા’ર કાઢી મુકતા દયાહીન મકાન માલિક જેવું લાગતું. તો વળી, ચોમાસામાં એ અડધા દિવસ સાધુ તો અડધા દિવસ શેતાનની જેમ વર્તતું, સામાન્ય માણસની જેમ.

ઉનાળાના દિવસોમાં ઘરમાં સૂઈએ તો ગરમી ને મચ્છર બે ય ભેગાં થઈને ભાગીદારીમાં ત્રાસ આપવાની સર્વિસ ચાલુ કરી દેતાં, એટલે નાછૂટકે બહાર શેરીમાં જ સૂવું પડતું. કતારબંધ છ ખાટલા શેરીના છેડે આવેલા ઘરની બહાર અડોઅડ મુક્યા હોય, એક છેડે બાપા સુએ ને બીજે છેડે ક્યારેક મા તો ક્યારેક મોટીબે’ન સુએ બહાદુર પહેરેગીરની જેમ, ને વચ્ચે અમે ચાર ભાઈ-ભાંડું.

બે ભાઈ-બહેનની વચ્ચે સુતેલી મા માટે રોજ રાતે મીઠી તકરાર ચાલે. ‘મા, તું મારી બાજુ મોં કરીને સુને !’ એવું મોટીબે’નને બાદ કરતાં અમે ત્રણેય ભાંડરું જીદ કરીને કહીએ. મા એક ને અમે ત્રણ, એટલે ક્યારેક તો એકલા સુવાનું આવે જ. એવી રાતે બાજુના ખાટલામાં જ બે’ન સાથે સુતેલી મા પણ જોજનો દૂર લાગતી.

માને બાથ ભરીને સુવા મળે ત્યારે તો અંધારું સામે જ ઊભું હોય તોયે સિંહથીયે ભડવીર એવી માની ઓથમાં બીજાની શેરીમાં આવી ચડેલા ગલુડિયાની જેમ ઊંકાંટા કરતું માના ભયથી ધ્રુજતું અંધારું કાંઈ કરી શકતું નહિ. પણ ફિલ્મોમાં જેમ હીરોનું બાળક જરીક એકલું પડે કે તરત વિલન એને દબોચી લઈ બાજી પોતાના હાથમાં લઈ લે તેમ મા બે’નને સુવડાવવા એનાં ખાટલા પર જાય કે તરત જ લાગ જોઈને અંધારું તૂટી પડતું મારા ઉપર.

દૂર સુધી લંબાતી ઊભી શેરીમાં ઓનાઈ કરતાં (રોવા જેવો અવાજ કરતાં) કૂતરાં જાણે અંધારાના વિજયનો શંખનાદ કરતાં હોય તેવાં લાગતાં. ઘરની સામેના વાડામાં આવેલું દિવસે દેવદૂત જેવું લાગતું લીમડાનું ઝાડ રાતે અંધારામાં કોઈ હજાર હાથવાળા અસુર જેવું લાગતું,

શાળામાં કિરીટસાહેબે સફારી મેગેઝીનમાં આવેલી આફ્રિકાના નરભક્ષી ઝાડની વાત કરેલી તે યાદ આવી જતી ને મનમાં ધ્રાસકો પડતો કે આ લીમડો પે’લા માણસખાઉ ઝાડમાં તો નહિ ફેરવાઈ જાય ને? ત્યાં અચાનક બાજુના ખાટલા પર સુતેલી માનો હાથ લંબાતો મારા હાથને અડતો ને એ સ્પર્શ મારું સુરક્ષા કવચ બની જઈ મને નિર્ભય કરી દેતું! આજે પણ જીવન ક્યારેક ભયાવહ રૂપ લઈ બીવડાવે ત્યારે માના ખોળામાં માથું મૂકી સુઈ જાઉં છું ને જીવનભર અમારાં તડકાને પોતાના માથે ઓઢી લેનારી મા એ  ક્ષણે પણ મારી બધી જ વ્યથાઓને ઓગળી દે છે એનાં પ્રેમાળ સ્પર્શથી …

ખબર નહિ કેમ પણ હવે એ ભયાવહ લાગતું અંધારું ગમવા માંડ્યું છે. સતત સાથે રહેતા પ્રભાવશાળી શત્રુની સાથે પ્રેમ થઈ જાય તેમ હું એનાં સ્નેહનાં કાચા તાંતણે ધીરે ધીરે બંધાતો જાઉં છું. ભાઈબંધ જાણીને એ પણ હવે પોતાનાં વિકરાળ રૂપનો અંચળો ઊતારી જાણે મારી સાથે સૌમ્ય સ્વરૂપે આવીને ઊભું રહી જાય છે ને મને તાણી જાય છે એનાં શ્યામલ સૌન્દર્યલોકમાં.

કાનુડાની જેમ આ અંધાર પણ કાળો ને છતાં કામણગારો લાગી રહ્યો છે મને. પ્રહ્લાદ પારેખને લાગતો તેવો ક્યારેક ખૂશ્બોભર્યો પણ લાગે છે. તો વળી, ક્યારેક ચોતરફ અંધારાથી વીંટળાઈ વળું ત્યારે તો એમ થાય કે જાણે શામળો જ અરૂપ બનીને મને આલિંગન ન આપી રહ્યો હોય! આહા! કેવો સુંવાળો સ્પર્શ! આ અંધારું આપ્તજન બનીને ભેટી પડે છે તો ક્યારેક તો એ જ અંધારું મિલનવેળાએ હરી લે છે બે પ્રિયજનોની આંખોના સંકોચને. અંધારું ઓગાળી દે છે એમને એકબીજાના અસ્તિત્વમાં.

આ અંધારું મારી સ્મૃતિમાં જાણે જીવતું દટાયેલું પડ્યું છે. જાણે કોઈ પીર-ફકીરે જીવંત સમાધિ લીધી હોય ને એનાં કોઈ ભગતને ભીડ પડે એની મદદે દોડી આવે તેમ અંધારું મારી કોઈ નાજુક ક્ષણે આવી ચડે છે ઘોડે ચડીને. જે ક્યારેક ડરાવતું તે આજે પ્રિયજનની જેમ પડખે આવી ઊભું રહે છે ત્યારે થાય છે કે એ કે એ જેસલની જેમ ચોરટામાંથી પીર થયું છે કે પછી એ તો એનું એ જ છે પણ મારી આંખોનો મોતિયો ઉતર્યો છે!

ક્યારેક મને થાય કે રાત આખી આકાશ ભરીને વિસ્તરેલું અંધારું સવાર પડે ને ક્યાં સંતાઈ જતું હશે ! આટલાં મોટાં અંધકાર ને છુપાવવા જગ્યા પણ તો મોટી જોઈએ ને! કે પછી એ પણ જ્ઞાનેશ્વરના ઈશ્વર જેવો છે આવડો મોટો ને આટલા નાનકડા હૃદયમાં સમાઈ જાય એવો? લાગે તો કંઈક એવું જ છે.

આમ થોડા મોટા મનનું પણ ખરું આ અંધારું!  સૂરજ તો ઠીક પણ  નાનકડી દીવડી આવે તોયે આ ઉદાર સાધુજન તરત ખસી જઈને જગ્યા કરી આપે. બધી જ વેળા હું હું કરતું ઊભું ન હોય એ અતિ હોંશીલા નેતાની જેમ! ખસી જવાની કળા તો કોઈ અંધારા પાસેથી શીખે!

કોઈ દિવસ મારી એકલતાની ઓથમાં અગાસીએ બેઠો હોઉં ત્યારે આ અંધારું વસ્તી કરાવવા હાજર થઈ જાય પોતાની અવનવી વાતો લઈને. તમરાંને કહીને આવે કે અમે બે અમારું ગીત ગાઈએ ત્યારે તું બેકગ્રાઉન્ડ મ્યુઝિક વગાડજે પાછો… થોડી સૂચના પવનને પણ આપી દીધી હોય કે લાગે કે વાત કંઈક થોડી વધુ ગંભીર બની રહી છે, ને ભાઈ ઉદાસ થઈ રહ્યા છે, તો જરા લ્હેરખી રૂપે આવી જઈ એ વાર્તાનું પાનું ફેરવી જજે.. ને બને પણ કંઈક એવું જ.

થોડે દૂર આશ્રમમાં વાયક ચાલતી હોય ને ભજનના શબ્દો નહિ કેવળ સૂર સંભળાતાં હોય. મન એ અગમ્ય સૂરમાં તણાઈ જાય ને અંધારું હનુમાનની જેમ ઊંચકીને મને રાવણની આસુરી નગરીમાંથી આનંદના રામલોકમાં લઈ જાય ! હવે શબ્દો સંભળાતાં થાય … ’હે જી એને આઠે પહોર આનંદ રે …’ હું હાથમાં મંજીરા લઈ ડોલવા લાગું ને ડોલી ઊઠે અંદર બેઠેલું મારું અસ્તિત્વ.

આ બધું ચાલે ત્યાં સુધી અંધારું આશ્રમની વાડની પાછળ છુપાઈને ઊભું હોય, મને પાછું મારા ગંતવ્ય સુધી પહોંચાડવા. એને અંદર આવવાની રજા ન હોય, નહિતર એને ય મન તો ઘણું હોય પોતાના કાળાં મસ સ્વરૂપને ધોઈને ઊજળાં થવાનું! હું આશ્રમની બહાર પગ મુકું કે પાછો હાજર થઈ જાય મારો એ દૃશ્ય-અદૃશ્ય સાથી.

મધરાતના સૂનકાર વચ્ચે મારો હાથ પકડીને મોટેરાની જેમ કાળજીપૂર્વક એ મને ઘર સુધી મૂકી જાય. ઓસરીમાં પહોંચતાં એક નાનકડું બટન દબાવું ત્યાં તો વેતાલની જેમ હસતો હસતો ક્ષણમાં જ અદૃશ્ય થઈ જાય. ક્યાં ગયું અચાનક એવું વિચારી દૂર સુધી દેખાતાં રસ્તા પર નજર કરું તો હાથ ઊંચો કરી આવજો .. આવજો .. કરતું અંધારું સરકતું જતું ભાળું મહા અંધકારમાં .. તેજમાં તેજ સમાઈ જાય તેમ અંધારમાં અંધાર ભળી જાય !

તો વળી ક્યારેક અચાનક જ દૈવીશક્તિની જેમ અંદર ધરબાયેલો હિમાલયનો એના જેવો જ વિશાળ અંધકાર ચુંબકથી ખેંચીને મને મનાલી પાસે આવેલી કોઠી કેમ્પસાઈટ પર લઈ જાય છે. એ મારો પહેલો હિમાલય પ્રવાસ હતો. દિવસે આંખો ભરી ભરીને હિમાલયને જોતાં ન ધરાઉં તે વળી રાતે એનાં કાળા મેષ રૂપને પણ આંખે આંજી લઉં. બધાં સ્લીપિંગ બેગમાં ગરકાવ થઈ જાય તે વેળાએ પણ મારું મન ફરીફરી પરણોત્સુક કુમારિકાની જેમ બહાર ડોકિયું કરી રાતે અંધારામાં શોભતાં એનાં ટૉલ, બ્લેક એન્ડ હેન્ડસમ પ્રિયતમ હિમાલયને જોઈને રોમાંચિત થઈ જતું!

એક રાતે મારે એ કેમ્પના આયોજકનાં ટેન્ટમાં સુવાનું હતું. સાવ નાનકડા ને છતાં અંધારાથી છલોછલ ભરેલા એ તંબુમાં સૂતી વેળાએ થયેલું જાણે આખી પૃથ્વી પર અમે બે ને ત્રીજું કેવળ અંધારું જ ન હોય! તેમાં વળી સાહેબનો આદેશ થયો, ‘ચાલ, મારી સાથે તને કંઈક ખાસ દેખાડું.’

મને થયું કે આવી કાળી ડિબાંગ રાત્રિએ તે વળી શું દેખાડશે ? પણ એ બધા પ્રશ્નો ત્યાં જ ખંખેરી એમનો હાથ પકડી હું અંધારામાં ચાલતો થયો. ડુંગર પર ધામા નાખ્યાં’તા એટલે બહુ જ સાંભળીને ચાલવું પડે. આયોજક સાહેબે ટોર્ચ સાથે લીધેલી હશે કદાચ પણ વાપરેલી નહિ તે બરાબર યાદ છે. હું તો એમનો હાથ પકડી ભગવાનની જેમ વિશ્વાસ મૂકી અંધારાની અદૃશ્ય દીવાલોને બાલવીરની જેમ જાદુઈ રીતે પાર કરતો આગળ વધી રહ્યો હતો.

ધીરેધીરે ડગ સ્થિર થયાં ને આદેશ થયો કે, ‘અહીં ભોંય પર લંબાવી દે ..’ નીચે બરફની પાટ જેવી ઠંડી ભોંય ને ઉપર અંધારભર્યું આકાશ! ને પછી એ સાહેબ ધીમેથી બોલ્યાં, ‘જો કેવું રૂપાળું અંધારું છે! હું તને એ જ બતાવવા લઈ આવેલો.’

કેટલાં ય સાધુઓના અંતરમાં અજવાળાં પાથરનાર હિમાલયની ગોદમાં સૂતે સૂતે હું એનાં અંધારનું નશીલું પીણું પી રહ્યો હતો. થોડી દૂર આવેલાં જોગિની ધોધનો એકધારો અવાજ અંધારાને જીવંત બનાવી રહ્યો હતો. દેવદારનાં વૃક્ષો ભાલો લઈને ઊભેલાં સિપાહી જેવાં લાગી રહ્યાં હતાં. અચાનક આવી જતાં પવનનાં સૂસવાટાના સ્પર્શે શરીર ધ્રુજી જતું ને કોઈનાં હૂંફાળા સ્પર્શની આશ કરી બેસતું. અત્યારે તો એ હૂંફ અંધારું જ આપવાનું હતું.

રાત જાણે પોતે જ ઊભી કરેલી ચુપકીદીમાં મંદ સ્વરે કશુંક મીઠું-મધુરું ગાઈ રહી હતી. એની ભાષા તો ન્હોતો જાણતો પણ ભાવને અનુભવવા કંઈ ભાષા આડે નથી આવતી.

ગંગાસતીની જેમ આ સાધ્વી રાત્રિ અંધારાની ઓથમાં અંતરનાં સૂર રેલાવી રહી હતી. ‘વીજળીના ચમકારે મોતીડાં પરોવો, પાનબાઈ, અચાનક અંધારાં આવશે રે જી …’ વીજળીનાં ચમકારાની આશાએ ગવાતું એ નિઃશબ્દ ભજન હિમાલયની અંધાર રાત્રિના કંઠવિહોણા ગાને સાંભળેલું ને અંતરમાં અજવાળાં થઈ ગયેલાં!

આ બધું વાગોળવામાં સાંજ પડવા આવી છે. વળી, અંધારાના નવલા રૂપને જોઈ રહું છું. સૂર્યના સામ્રાજ્યને પરાસ્ત કરીને ધીરે ધીરે ગર્વિલા ડગ ભરતો અંધકાર પૃથ્વી પર ચોતરફ નજર કરે કે તરત જ પોતાના પ્રિય રાજવીનો જય જયકાર કરતાં એનાં અસંખ્ય સિપાહીરૂપી તારલાઓ હર્ષોલ્લાસ કરતાં ટમટમી ઊઠે છે. ચક્રવર્તી રાજા કરતાં પણ અદકેરું તિમિરનું સામ્રાજ્ય ફરી વળે છે ચોતરફ; એયને છેક બ્રહ્માંડ લગી.

દહીંના ચક્કા જેવું જામેલું કાળું ડિબાંગ ઘટ્ટ અંધારું મને સમગ્ર સૃષ્ટિથી અળગો કરી દઈ આંગળી પકડીને લઈ જાય છે ભીતરનાં અંધકાર ભણી.

હું જોઉં છું કે મારી અંદર પણ અંધારું બેઠું છે, અડ્ડો જમાવીને. યુગોથી માંયલાંમાં ઘર કરી ગયેલો આ અંધકાર મને હવે ગૂંગળાવે છે. અત્યાર સુધી એની તરફ કોણ જાણે કેમ ધ્યાન જ ન્હોતું ગયું, પણ ઝેરનું મારણ ઝેર બને તેમ બહારનું અંધારું મને ભીતર લઈ ગયું ને જાણે મને અંધારાને ઉલેચવાની વાત કાનમાં કરી ગયું.

અમે બે ય બહાર આવ્યાં ત્યારે થોડુંક અંતરનું અંધારું પણ પગમાં ધૂળ ચોંટી જાય એમ ચોંટીને બહાર આવી ગયેલું. એનાં બહાર આવતાં જે થોડીક જગ્યા થઈ તે જગ્યા સ્વયં પ્રકાશ બની ગઈ! જાણે ભીતર પ્રગટી નાનકડી દીવડી! કેવું કહેવાય નહિ! અંધારું જ મને અંધારું ઉલેચવાની કળા શીખવી ગયું!

April 27, 2022

https://aapnuaangnu.com/2022/04/27/andharu-essay-ramjan-hasaniya/?fbclid=IwAR1C0JEX6vaeh2hkPKadNBw7GcMQV6WmRPCbpQ7aoSHwsiQDH2QC433lfzo

Loading

જિજ્ઞેશ મેવાણીની દમનકારી ધરપકડ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|27 April 2022

અત્યારના સમયમાં ગુજરાતને મળતાં મળે એવા પ્રગતિશીલ, મૂલ્યનિષ્ઠ અને સમર્પિત ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની શાસકોએ આપખુદ અને દમનકારી રીતે આસામની પોલીસ થકી ધરપકડ કરાવી. સરકારના આ જુલમી કૃત્યની સામે અમદાવાદ સહિત ગુજરાતમાં કેટલીક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે.

ગઈ કાલે  25 એપ્રિલે બપોર પછી જિજ્ઞેશને આસામની કોકરાઝર અદાલતમાં જામીન મળ્યા. પણ તે પછી તરત જ તેમની નજીકના બરપેટા જિલ્લાની પોલીસ દ્વારા ફરીથી ધરપકડ કરવામાં આવી છે.  તારીખ 21 એપ્રિલના ગુરુવારની રાત્રે તેમની ધરપકડ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતી ટ્વિટના આરોપ હેઠળ કરવામાં આવી હતી. સોમવારે જામીન મળ્યા બાદ તરત જ તેમની ધરપકડ તેમણે 22 તારીખે ગુવાહાટીથી કોકરાઝારના માર્ગે મહિલા પોલીસ પર હુમલો કર્યો હતો તેવા આરોપ હેઠળ કરવામાં આવી છે. આ લખાય છે ત્યારે એ આરોપ હેઠળ તેમને અદાલતે પાંચ દિવસની પોલીસ કસ્ટડી આપી છે.

તમામ પ્રકારના વંચિતો માટે સતત મથ્યા કરનારા જિજ્ઞેશની અનેક રીતે અત્યંત ચિંતા ઉપજાવનાર ધરપકડ અંગે ગુજરાતી માધ્યમોમાં ભાગ્યે જ જોવા મળેલી કેટલીક બાબતો અને કેટલાક નોંધપાત્ર મુદ્દા  આ મુજબ છે.

• જિજ્ઞેશે કરેલી ટ્વિટ આ મુજબ હતી : ‘ગોડસે કો અપના આરાધ્ય માનનેવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 તારીખ સે ગુજરાત દૌરે પે હૈ. ઉનસે અપીલ હૈ કી ગુજરાત મેં હિમ્મતનગર, ખંભાત ઔર વેરાવળ મેં જો કૌમી હાદસે હુએ હૈ ઉસકે ખિલાફ શાન્તિ ઔર અમન કી અપીલ કરેં. મહાત્મા મંદિર કે નિર્માતા સે ઇતની ઉમ્મીદ તો બનતી હૈ.’

18 એપ્રિલની આ ટ્વિટની સામે ભારતીય જનતા પક્ષના આસામના બરપેટાના સ્થાનિક નેતા અને બોડોલૅન્ડ ટેરિટોરિયલ  કાઉન્સિલના સભ્ય અરુપ દેએ ફરિયાદ નોંધાવી હતી.

અદાલતે જિજ્ઞેશના જામીન હુકમમાં આ મતલબનું કહ્યું છે : ‘પ્રાથમિક રીતે મેવાણીની ટ્વિટ કોઈ વર્ગ, સમુદાય, ધાર્મિક જૂથ, વંશ, ભાષાનું પ્રતિનિધિત્વ કરતી નથી.’ ન્યાયાધીશ નોંધે છે : ‘ શ્રી નરેન્દ્ર મોદી ગોડસેને પૂજે છે અને તેને ‘ભગવાન ગણે છે’ એ વાક્ય આરોપીને IPC કલમ 120B/153A અને IT Act Section 66 હેઠળ અટકાયતમાં રાખવા માટેનું વાજબી ભૂમિકા પૂરી પાડતું નથી એમ મને લાગે છે.’

[On Monday, the court granted bail to Mevani, saying that the statement (Mevani’s tweet) “prima facie does not represent any class, community, religious group of people, race, language”.

“I do not find reasonable ground to hold the accused in detention for the offence under Section 120 B/153 A.of IPC R/W Section 66 of the IT Act only for the sentence that Mr Narendra Modi worships and considers ‘Godse as God’,” the order said. ]

• જિજ્ઞેશની ધરપકડની આખી પ્રકિયામાં સર્વોચ્ચ અદાલતની 2014ની ગાઇડલાઇન અને ક્રિમિનલ પ્રોસિજર કોડનો ભંગ થયો છે. જિજ્ઞેશ મેવાણીએ કરેલી ટ્વિટ સામે પોલીસે જે કલમો લગાડી છે તે  ન્યાયપૂર્ણ ઠેરવી શકાય તેમ નથી. આ બંને મુદ્દાની  છણાવટ વકાશા સચદેવે The Quaint  નામના પોર્ટલમાં Everything Wrong (Legally) With Jignesh Mevani's Arrest by Assam Police મથાળા હેઠળ લખેલા લેખમાં વાંચવા મળે છે.

(https://www.thequint.com/…/jignesh-mevani-arrest…) 

• આસામમાં જિજ્ઞેશના વકીલ અંશુમાન બોરાએ કહ્યું છે કે  મહિલા પોલીસ પરના હુમલાની વાત ગળે ઊતરે તેમ નથી.

• આસામ પોલીસે જિજ્ઞેશની ધરપકડ કરી તેની સાથે ગુજરાત પોલીસ પણ તેની પાછળ પડેલી હતી. દર્શન દેસાઈ Free Press Journalમાં લખે  છે કે ગુજરાત પોલીસે જિજ્ઞેશના અમદાવાદનાં ઘર પર, તેના ગાંધીનગરના ધારાસભ્યના ક્વાર્ટર પર, તેના ટેકેદારોના ઘરો પર અને જિજ્ઞેશે સ્થાપેલાં રાષ્ટ્રીય  દલિત અધિકાર મંચની કચેરી પર પણ છાપા માર્યા હતા. જિજ્ઞેશના સાથી સુબોધ પરમારના જણાવ્યા મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ તેમને મળેલાં ચાર સરનામાં પર ઝડતી લીધી હતી.  સંગઠનની રખિયાલની કચેરી પરથી તેઓ ડેસ્કટૉપ કમ્પ્યુટર અને સી.પી.યુ. લઈ ગયા.

તદુપરાંત ક્રાઇમના અધિકારીઓ જિજ્ઞેશના નજીકના સાથીદાર કમલેશ કટારિયાની ઑફિસમાં ઘૂસીને તેમનો મોબાઇલ આંચકી લીધો હતો. એ જ રીતે પોલીસે જિજ્ઞેશના એમ.એલ.એ. ક્વાર્ટર્સમાં ઘૂસીને બે ડેસ્ક ટૉપ કૉમ્પ્યુટર્સ, અને સી.પી.યુ. લઈ ગયા અને તેના બે સાથીદારોના મોબાઇલ આંચકી લીધા. આટલું ઓછું હોય તેમ પોલીસ મેવાણીના પાલનપુરમાં રહેતાં આસિસ્ટન્ટ સતીશના ઘરે પહોંચ્યા. સતીશ ઘરે ન હતા તો પોલીસે સતીશનાં મા-બાપનાં મોબાઇલ લઈ લીધાં.

News Click પોર્ટલમાં દમયંતી ધર જિજ્ઞેશના સાથીદારો પર પોલીસે કરેલાં દમન વિશે લખે છે. જિજ્ઞેશની ધરપકડના બીજા દિવસે એટલે કે 22 એપ્રિલે જશોદાનગર, બાપુનગર અને અસારવા વિસ્તારોમાં રસ્તા રોકો કાર્યક્રમ શરૂ થયો. તેમાં જશોદાનગરથી ક્રાઇમ બ્રાંચવાળા જિજ્ઞેશના સાથી કમલેશ કટારિયાને ઊપાડી ગયા. એ જ સમયે પોલીસની એક ટુકડીએ રખિયાલ ખાતે આવેલાં તેમના ઘરની ઝડતી લીધી. કમલેશભાઈએ કહ્યું કે પોલીસે તેમને જ્યારે રાત્રે છોડ્યા ત્યારે એમનું ઘર ઊપરતળે થઈ ગયું હતું. પોલીસે ખૂણેખાંચરે તપાસ કરી. તેમણે ઘરની દિવાલો પર ફટકારી જોયું, જાજમો ખેંચી નાખી, ઘઉંના પીપ જોયાં, બાથરૂમમાં તપાસ કરી, બાળકોનાં નિશાળનાં દફ્તર પણ તપાસ્યાં. આ આખી તપાસ દરમિયાન કમલેશભાઈને ક્રાઇમ બ્રાંચમાં બેસાડવામાં આવ્યા હતા અને તેમનો મોબાઇલ પણ લઈ લેવામાં આવ્યો હતો.

એ જ સમયે જિજ્ઞેશના વધુ એક સાથીદાર જગદીશ ચાવડાની ઘરે પોલીસ જડતી લઈ રહી હતી. પોલીસે તેમને તપાસ હુકમ બતાવ્યો જેમાં તેમના નામ ઉપરાંત જિજ્ઞેશ અને કટારિયાના નામ હતાં. વીસેક પોલીસોએ તેમનું ઘર ઉપરતળે કર્યું. ત્યારબાદ પોલીસ જગદીશભાઈને તેમના ચાંદખેડાના ઘરે લઈ ગઈ. ત્યાં પણ ઘરમાં શોધખોળ કર્યા બાદ તેઓ જગદીશભાઈનું કમ્પ્યુટર લઈ ગયા. કમલેશભાઈ અને જગદીશભાઈ બંનેને પોલીસે તેમનાં ગૅજેટસની જપ્તીનાં કાગળ પર સહી કરાવી અને સાધનો લગભગ એક મહિના બાદ આસામથી પાછાં મેળવી લેવાં જણાવ્યું.

• જિજ્ઞેશની તાનાશાહી ધરપકડની સામે ગુજરાતમાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. ગઈ કાલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે અમદાવાદમાં જૂના વાડજ સર્કલથી રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આજે કૉન્ગ્રેસે નોંધપાત્ર પ્રતિકાર રેલી કાઢી હોવાના સમાચાર છે. 22 અને 23 એપ્રિલે કોટડાસાંગાણી, સૂત્રાપાડા, રાપર, ધાનેરા, થરાદ, ચાણસ્મા જેવી અનેક જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન યોજાયાં. અમદાવાદમાં કલેક્ટર કચેરી આગળ થતાં વિરોધ પ્રદર્શનમાં વૉકરને ટેકે, પોસ્ટર પકડીને સાથે ઊભેલા એક ખૂબ ગરીબ ઉંમરલાયક નાગરિકની તસવીર શેર કરીને ‘અમદાવાદ મિરર’ના પત્રકાર જિજ્ઞેશ પરમારે લખ્યું છે : ‘વંચિત સમાજના અધિકારોની રાજનીતિ અને પ્રતિનિધિત્વ અઘરું છે. કેમ કે, તમે જેના હક માટે લડો છો એ સમુદાય રોજ જીવન જીવવા માટે લડે છે. એક દિવસની મજૂરી છોડી કોઈ તમારા પડખે ઊભું રહે તો તેનાથી મોટું કોઈ ઇનામ નથી …’

• નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન – People’s Union for Civil Liberties પણ ધરપકડના વિરોધમાં વિગતવાર નિવેદન આપ્યું છે. 

• જિજ્ઞેશની ધરપકડ અને તેની સામેના વિરોધને મોટાં ગુજરાતી છાપાંમાં નહીંવત સ્થાન મળી રહ્યું છે, જે ચિંતાજનક બાબત છે. 

• ઝુઝારુ જિજ્ઞેશ અણનમ છે. તે આસામમાં બે પોલીસોની વચ્ચે બેઠો હોય ત્યારે ‘પુષ્પા’ ફિલ્મના હિરોની ‘ઝુકેગા નહીં સાલા’ પોઝ આપતો વીડિયો ખૂબ ફરી રહ્યો છે. જ્યારે આપખુદ સરકાર તમને તોડી પાડવા પર ઊતરી હોય ત્યારે આવું કરવા માટે હિમ્મત જોઈએ.

એટલું જ નહીં, પહેલાં કેસમાં ધરપકડ પછી ગુવાહાટી વિમાનઘર પરના વીડિયોમાં જોવા મળે છે કે પોલીસ વાહનમાં બેસતાં બેસતાં ય જિજ્ઞેશે એની ધરપકડને ‘વેન્ડેટા પૉલિટિક્સ’ એટલે કે કિન્નાખોરીનું રાજકારણ ગણાવી હતી. પહેલાં કેસમાંથી જામીન મળવાની સાથે બીજો કેસ ફટકારવામાં આવ્યો. તે વખતે ત્યારે જિજ્ઞેશનો પ્રતિભાવ The Indian Expressએ નોંધ્યો છે. તેને  કોકરાઝારથી બરપેટા લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે વાનમાંથી પત્રકારોને કહ્યું કે ભા.જ.પ. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની ઇમેજ બગાડવા માગે છે. તેઓ તેને નિશાન બનાવીને પદ્ધતિસર રીતે ખતમ કરવા માગે છે. તેમણે રોહિત વેમુલા અને ચન્દ્રશેખર આઝાદ સાથે એવું કર્યું અને હવે તેઓ મને નિશાન બનાવી રહ્યા છે. એ લોકોને દલિતો સાથે ગંભીર પ્રશ્નો છે.

• સરકાર પોલીસ, દમનકારી કાયદા, સી.બી.આઈ., ઇ.ડી., એન.આઈ.એ. જેવી એજન્સીઓના બેફામ ઉપયોગથી માનવ અધિકાર કર્મશીલો, જનવાદી સંગઠનો, વૈચારિક વિરોધીઓ, રાજકીય હરીફોને ખતમ કરવા મક્કમ હોય તેવા  સંખ્યાબંધ કિસ્સા આપણા દેશમાં બની રહ્યા છે.

જિજ્ઞેશ મેવાણી એ કાવતરાનો ભોગ ન બને એ જોવાની માત્ર દલિત વર્ગોની જ નહીં, પણ આખાય નાગરિક સમાજની ફરજ છે.

26 એપ્રિલ 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,6301,6311,6321,633...1,6401,6501,660...

Search by

Opinion

  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved