વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આસામ પોલીસે બે કેસમાં એરેસ્ટ કરેલ છે. પ્રથમ કેસ IPC કલમ-120 B (ગુનાનું કાવતરું. સજા – જે તે ગુનાની મુજબ.) / 153 (A) (બે સમુદાયો વચ્ચે દુશ્મનીને પ્રોત્સાહન આપવું. સજા – 3 વરસ કેદ.) / 295 (A), (બદઈરાદાથી ધાર્મિક અપમાન કરવું. સજા – 3 વરસ કેદ.) 504 (શાંતિ ભંગ કરવા જાણીજોઈને અપમાન કરવું. સજા – 2 વરસ કેદ.) તથા IT એક્ટ કલમ-66 હેઠળ દાખલ કરેલ છે. બીજો કેસ IPC કલમ-IPC 294 (જાહેરમાં અભદ્ર શબ્દો બોલવા. સજા – 3 મહિના કેદ.); 323 (સ્વૈચ્છિક રીતે ઇજા પહોંચાડવી. સજા – 1 વરસ કેદ.); 353 (ફરજ પરના જાહેર સેવક પર હુમલો કરવો. સજા – 2 વરસ કેદ.); 354 (સ્ત્રીના શીલભંગ માટે ગુનાઈત બળનો પ્રયોગ કરવો. સજા – 3 વરસ કેદ.) હેઠળ દાખલ થયેલ છે. આ બન્ને કેસમાં આસામ પોલીસે શું ગેરકાયદેસર કાર્યવાહી કરી છે, તેની ચર્ચા દરેક નાગરિકે સમજવી જરૂરી છે.
થોડા મુદ્દાઓ :
[1] કલમ-120B કાવતરું રચવાની છે. કાવતરા માટે બે કે તેથી વધુ વ્યક્તિ હોય તો જ આ કલમ હેઠળ ગુનો બને. આસામ પોલીસે બીજા કોઈને એરેસ્ટ કરેલ નથી; એટલે આ કલમનો કોઈ અર્થ નથી ! ટ્વિટ કરવામાં કાવતરું શું હોઈ શકે? 18 એપ્રિલના રોજ ટ્વિટ થાય છે / 19 એપ્રિલે FIR નોંધાય છે અને 20 એપ્રિલે એરેસ્ટ કરવામાં આવે છે ! રેપ / હત્યા / બોમ્બબાસ્ટના કિસ્સામાં આટલી ઝડપી કાર્યવાહી થાય છે? શું ‘ઉપરની સૂચના’ વિના આ શક્ય છે?
[2] બન્ને ગુનામાં જિગ્નેશ મેવાણીની અટકાયતમાં આસામ પોલીસે કાયદાની સ્થાપિત કાર્યરીતિનો ભંગ કરેલ છે. બંધારણના આર્ટિકલ-21 (કાયદાથી સ્થાપિત કાર્યરીતિ સિવાય કોઈ વ્યક્તિનું શરીર-સ્વાતંત્ર્ય છીનવી શકાય નહીં.)નો ભંગ થયેલ છે. સુપ્રિમ કોર્ટે 2014માં અરનેશ કુમાર વિરુદ્ધ બિહાર રાજ્ય કેસમાં ગાઈડલાઈન આપી છે, તેનો ભંગ થયેલ છે.
[3] અરનેશ કુમારના કેસમાં સુપ્રિમ કોર્ટે ઠરાવેલ છે કે એવા ગુનાઓ જેમાં 7 વરસ કે તેથી ઓછી સજા ઠરાવેલ છે, તેવા કેસમાં ‘ઓટોમેટિક એરેસ્ટ’ કરી શકાય નહીં. CrPC કલમ-41A હેઠળ નોટિસ આપવી પડે. આ જોગવાઈ 1 નવેમ્બર 2010થી અમલી બની છે. શા માટે કલમ-41Aનો ઉમેરો થયો? પોલીસ કોઈને શંકાના આધારે કોઈ વ્યક્તિને એરેસ્ટ કરી લેતી હતી, જેથી તેની પ્રતિષ્ઠા / માનસન્માન / માનસિક ભાવનાઓને અને પરિવારને ઠેસ પહોંચતી હતી. એટલે 7 વરસ સુધીની સજા વાળા ગુનાઓ; ભલે તે નોન-બેઈલેબલ હોય / નોન કમ્પાઉન્ડેબલ હોય તો પણ આરોપીને નોટિસ આપવી જરૂરી છે. આરોપીનો પક્ષ સાંભળ્યા વિના તેને એરેસ્ટ કરી શકાય નહીં. કોઈને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે ત્યારે તેની સાથે લાંછન જોડાયેલું છે. ખોટી ધરપકડથી અપમાન અને પ્રતિષ્ઠા ભંગ થાય છે જેની ભરપાઈ ન થઈ શકે ! આરોપી સામે પૂરતા પુરાવા એકત્ર કરવા પડે. 41Aની જોગવાઈનો હેતુ ખોટી FIRથી રક્ષણ આપવાનો છે. ઉપરાંત નોટિસ મળવાથી આરોપી આર્ટિકલ-22 મુજબ વકીલની સલાહ પણ લઈ શકે !
[4] કોઈ વ્યક્તિને પોલીસ ક્યારે એરેસ્ટ કરી શકે તેની જોગવાઈ CrPC કલમ-41 (1)માં કરવામાં આવી છે; જેમાં પોલીસની હાજરીમાં કોઈ વ્યક્તિ કોગ્નિઝેબલ ગુનો કરે / બીજો ગુનો કરે તેમ હોય / ગુનાની તપાસ માટે જરૂરી હોય / સાક્ષી-પુરાવાઓને ફોડે તેમ હોય / આરોપી નાસી જાય તેમ હોય વગેરે કારણોસર લેખિત કારણો નોંધીને પોલીસ આરોપીને એરેસ્ટ કરી શકે અને પોલીસ જામીન ઉપર છોડી શકે. જિગ્નેશ મેવાણીના કેસમાં જે કલમો હેઠળ ગુનો નોંધાયો છે તેમાં 7 વરસ કરતાં ઓછી સજાની જોગવાઈ છે, જેથી પોલીસે તેમને જામીનમુક્ત કરવા જોઈએ. પરંતુ પોલીસે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી રીમાન્ડ મેળવી. આવા કિસ્સામાં રીમાન્ડ આપનાર મેજિસ્ટ્રેટ સામે શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે ! જિગ્નેશ મેવાણી ચૂંટાયેલા ધારાસભ્ય છે, તેથી ફરાર થવાની શક્યતા ઓછી છે. ગુનો તેમણે કરેલ ટ્વિટ સાથે સંબંધિત છે, તેથી સાક્ષીઓને ધમકાવવા /પ્રભાવિત કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. ટ્વિટને સંપાદિત કરી શકાતી નથી, તેથી સાક્ષીઓ સાથે ચેડા કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. મેજિસ્ટ્રેટે આ બાબતો કેમ જોઈ નહીં?
[5] જિગ્નેશ મેવાણીએ ટ્વિટ કરેલ કે “વડા પ્રધાન ગોડસેને ભગવાન માને છે, એમણે ગુજરાતના સાંપ્રદાયિક દંગાઓની સામે શાંતિ અને સદ્દભાવની અપીલ કરવી જોઈએ !” આ ટ્વિટમાં બે ભાગ છે. ‘ગુજરાતના સાંપ્રદાયિક દંગાઓની સામે શાંતિ અને સદ્દભાવની અપીલ કરવી જોઈએ’ તેમ કહેવું તે ગુનો બને નહીં. વળી આ બાબત ગુજરાતની છે, ગુજરાતમાંથી ટ્વિટ કરેલ છે, તો ગુનો CrPC કલમ-179 મુજબ ગુજરાતમાં બને; આસામમાં બને નહીં. “વડા પ્રધાન ગોડસેને ભગવાન માને છે” તેમ કહેવામાં જેની બદનામી થઈ હોય તે વ્યક્તિ જ બદનક્ષીનો કેસ કરી શકે, જે નોન-કોગ્નિઝેબલ ગુનો છે; તેથી પોલીસ એરેસ્ટ કરી શકે નહીં. આ કિસ્સામાં આસામના સત્તા પક્ષના નેતાએ જિગ્નેશ મેવાણી સામે FIR દાખલ કરાવી છે, જે તદ્દન ગેરકાનૂની છે. IPC કલમ-120 B / 153 (A)/295 (A)/504 તથા IT એક્ટ કલમ-66 હેઠળ ગુનો નોંધવો તે કાયદાનો દુરુપયોગ છે. જ્યારે IPC કલમ-IPC 294 / 323 / 353 / 354 હેઠળના બીજા ગુનામાં એરેસ્ટ કરવાનું કૃત્ય અને જામીન ઉપર નહીં છોડવાનું પગલું પણ ગેરકાનૂની છે. ઉપરાંત જિગ્નેશ મેવાણી જે ટ્વિટ કરેલ તેને IPC કલમ-153 (A) (બે સમુદાયો વચ્ચે દુશ્મનીને પ્રોત્સાહન આપવું.); 295 (A) (બદઈરાદાથી ધાર્મિક અપમાન કરવું.); 504 (શાંતિ ભંગ કરવા જાણીજોઈને અપમાન કરવું.) સાથે કોઈ સંબંધ નથી; એવું કાયદા શાખાનો કોઈ પણ વિદ્યાર્થી સમજી શકે તેમ છે !
આસામ પોલીસનું આ પગલું અરનેશ કુમારના જજમેન્ટનો અનાદર કરનારું છે. ab-initio-illegal-શરૂઆતથી જ ગેરકાનૂની છે. જેથી ‘contempt of court – સુપ્રિમકોર્ટના તિરસ્કાર’ માટે આસામ પોલીસ જવાબદાર ઠરે છે. કેમ કે એરેસ્ટ કરનાર પોલીસ અધિકારીને નાગરિકના અધિકારો અને કાયદાની નિર્ધારિત પ્રક્રિયાની યોગ્ય જાણકારી હોવાનું કોર્ટ માને છે. 7 ડિસેમ્બર 2021ના રોજ દિલ્હી હાઈકોર્ટે રાકેશકુમાર વિરુદ્ધ વિજયંતા આર્યના કેસમાં; સુપ્રિમ કોર્ટે અરનેશ કુમારના કેસમાં CrPC કલમ-41A હેઠળ નોટિસ આપવાની ગાઈડલાઈનના ભંગ સબબ રાકેશકુમારને એરેસ્ટ કરનાર પોલીસ અધિકારીને એક દિવસની સજા સાથે 2,000નો દંડ કર્યો હતો ! આસામ પોલીસને પણ સજા થઈ શકે છે !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દિવાલેથી સાદર