૧ : સાહિત્યકાર રૂપે — મારા ૭૫મા વર્ષે થયેલી ઉજવણી વિશે :
= = જીવનને વિશેની સમજને કારણે મને હમેશાં લાગ્યું છે કે હું એકલો છું. તમે જાણો છો કે સાહિત્ય-કલાને વરેલા સર્જકનો એકલતા સ્થાયીભાવ હોય છે. પણ એ એકલતાને સહભાગીતાથી ઘડીભર ભૂલી જવાય છે. = =
= = જો ભાષામાંથી સંભાષા નથી જન્મતી, કલામાંથી જો કલાસંવાદ નથી પ્રગટતો, તો મારું તારણ છે કે સાહિત્યનો મામલો ખાસ્સા સમય લગી રૂંધાયેલો રહેવાનો છે = =
મારા ૭૫-મા વર્ષે ‘અ-મૃતપર્વ’ ઉજવણી રૂપે મારાં વિદ્યાર્થી-અધ્યાપકો, વિદ્યાર્થી-આચાર્યો, વાર્તાકારમિત્રો અને સાહિત્યકારમિત્રોના સહયોગમાં રાજેન્દ્ર પટેલ, જયેશ ભોગાયતા અને પારુલ કંદર્પ દેસાઇએ તારીખ ૨૩ માર્ચ ૨૦૧૪ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે ‘સુમન શાહ –સર્જકપ્રતિભાવિશેષ’ શીર્ષકથી એક પરિસંવાદનું આયોજન કર્યું હતું.
સવારના ૯.૩૦થી સાંજના ૬.૧૫ સુધી ચાલેલા આ પરિસંવાદમાં જેઓ હતા તે સૌ મિત્રો, પ્રિયજનો અને સ્નેહીઓને નામ દઈને યાદ કરતાં, ૮૩-એ પ્હૉંચેલા મને બહુ સારું લાગે છે :
(સદ્ગત) ચિનુ મોદી, ભાગ્યેશ જ્હા, રતિલાલ બોરીસાગર ઉપસ્થિત હતા. અજય ઓઝા, ગંભીરસિંહ ગોહીલ, ઉષા ઉપાધ્યાય, લતા હિરાણી મિત્રોએ શુભેચ્છાસંદેશ મોકલેલા. સંજોગવશાત્ વક્તાઓ હસિત મહેતા, દક્ષેશ ઠાકર અને દીપક રાવલ નહીં આવી શકેલા.
અમદાવાદ ઉપરાન્ત વડોદરા, રાજકોટ, સૂરતથી મિત્રો આવ્યા હતા. માય ડીયર જયુ, મહેન્દ્રસિંહ પરમાર, વિપુલ વ્યાસ, અભિમન્યુ આચાર્ય, હસમુખ રાવલ, દીવાન ઠાકોર, સંજય ચૌહાણ, સંજય ચૌધરી કે જયશ્રી જોષી સહિત ‘સુરેશ જોષી સાહિત્યવિચાર ફૉરમ’ના વાર્તાકારમિત્રો આવ્યા હતા.

કિરીટ દૂધાત, કનુભાઇ આચાર્ય, સલીમ, કિશોરી ચંદારાણા, દીનાબહેન, અજિત મકવાણા, હરીશ ધોબી, નરેશ વાઘેલા, પ્રેમજી, કનુ ખડદિયા, સંજય મકવાણા, વિપુલ પુરોહિત, હિમ્મત ભાલોડિયા, ભાવેશ જેઠવા કે લાભુ આવ્યા હતા પણ જેમને ચહેરેથી ઓળખું પણ નામથી ન જાણું એવા અનેક સાહિત્યરસિકો પણ આવ્યા હતા.
વક્તાઓ રાજેન્દ્ર પટેલ, વિનોદ જોશી, અજય રાવલ, જયેશ ભોગાયતા, પારુલ કંદર્પ દેસાઇ, જગદીશ ગુર્જર, નરેશ શુક્લ, મણિલાલ હ. પટેલ, બળવંત જાની, કિશોર વ્યાસ, (સદ્ગત) જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ અને જિતેન્દ્ર મૅકવાને મારા સાહિત્યમાંથી જુદા જુદા મુદ્દા લઈ વ્યાખ્યાનો કરેલાં.
દરેક વક્તાએ તેમજ પી.જે. પટેલ, દીપક પણ્ડ્યા, ભરત મહેતા અને ઉમા ચૌધરીએ મારી સાથેનાં સંસ્મરણો રજૂ કરેલાં.
જિતેન્દ્ર મૅક્વાન, નિસર્ગ આહીર, ભરત સોલંકી, અજય રાવલ અને જયેશ ભોગાયતાએ બેઠકોનું સંચાલન કર્યું હતું.
મારી સાથેના ‘સંવાદ’ની બેઠકમાં મણિલાલ પટેલ, અજય રાવલ, અજયસિંહ ચૌહાણ, દલપત ચૌહાણ, રામ મોરી, નરેશ શુક્લ, કપડવણજથી આવેલા ભાઈ (નામ યાદ નથી રહ્યું ), ભરત સોલંકી, માય ડીયર જયુ, જયેશ ભોગાયતા અને ભાષા-સાહિત્ય ભવનનાં મારાં સાથી મિત્ર રંજના હરીશ – સૌએ મને પ્રશ્નો પૂછીને મારી સાથે સંવાદ કરેલો.
મોડેથી પણ સંભારીને આવેલા મિત્ર રઘુવીર ચૌધરીએ શુભેચ્છા-વક્તવ્ય કર્યું હતું.
મારી ‘સોમપ્રસાદ, મંગળપ્રસાદ, બુદ્ધિપ્રસાદ’ વાર્તાનું નિસર્ગ આહીર, જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ, સાગર શાહ અને છાયા ત્રિવેદીએ ‘વાચિકમ્’ કર્યું હતું.
‘ગુર્જરી ગિરાતીર્થ’ શીર્ષકથી નિસર્ગ આહીરે મારી સમગ્ર કારકિર્દીના અનુલક્ષમાં લેખ કરેલો, એણે મારા જાહેર અને પારિવારિક અનેક ફોટોગ્રાફ્સની દૃશ્યાવલિ રજૂ કરેલી.
પાર્શ્વ પ્રકાશનના માલિક, મારા આજીવન પ્રકાશક અને ભાઈ સમા બાબુભાઈ શાહે મારાં પુસ્તકોનું પ્રદર્શન કર્યું હતું.
આ સૌ મિત્રો પ્રત્યે મને અહેસાન અને આભારની લાગણી થયેલી. એ હૃદયભાવ આજે પણ અકબંધ છે.
પ્રતિભાવમાં મેં મારી મનોભાવના વ્યક્ત કરી હતી. એ અહીં મૂકી છે. આશા છે એમાંથી ઉપયોગી સાહિત્યતત્ત્વ તારવી શકાશે.

: ૭૫-મે મારી મનોભાવના :
નમસ્કાર. મિત્રો, મારી તમારી સાથે અને તમારી મારી સાથે પહેલવહેલી ઓળખાણ જે થયેલી તે શબ્દથી થયેલી. રાજુ, જયેશ, પારુલ કે વિનોદથી માંડીને આ સભામાં બેઠેલાં ઘણાં સાથેનો એ પહેલો પ્રસંગ મને બરોબર યાદ છે. એમને પણ યાદ આવશે. એ દરેક પ્રસંગ વિશે કહેવા બેસું તો બહુ સમય જાય. કોઈની સાથેનો રહી પણ જાય – એ ઠીક નહીં.
પણ કહું કે આપણી ઓળખાણ કરાવનારો એ શબ્દ મારો હતો, તમારો હતો, બોલાયેલો હતો, લિખિત કે પ્રકાશિત હતો, પણ સાહિત્યવિષયક હતો, સાહિત્યપરક હતો, સાહિત્યિક હતો.
મોટી વાત એ છે કે એવા શબ્દથી થયેલી આપણી ઓળખાણ વર્ષોથી ટકી છે, વિકસી છે. એથી ઊભો થયેલો આપણો સમ્બન્ધ સ્વસ્થ રહી શક્યો છે. એમાં કશું ઇદમ્ તૃતીયમ્ નથી ઘૂસી શક્યું. એવાં આપણે મારા-તમારા શબ્દ સાથે જોડાવાને આજે ભેગાં મળ્યાં છીએ એ વાતનો મને અનેરો આનન્દ છે.
હું ૫૫ (હવે ૫૭) વર્ષથી લખું છું. ૨૦ વર્ષની ઉમ્મરથી. મને ૭૫ પૂરાં થવામાં છે. ૭૫-થી વધુ (હવે ૮૦ જેટલાં) પુસ્તકો થઇ ગયાં છે. પણ જેને “છેલ્લું નોંધપાત્ર” પુસ્તક કહી શકાય એ હજી નથી થયું. એ નહીં થાય. કેમ કે હું છેલ્લે લગી લખતો રહેવાનો છું.
જુઓ, આ લખવાની કે વાંચવાની વાતને અન્ત નથી. ન હોવો જોઇએ. પણ જે લખાય તેમાંથી એક સમજ જરૂર ઊભી થાય છે. જે વંચાય તેમાંથી પણ એક સમજ હમેશાં ઊભી થાય છે. ધ્યાનથી જોઇશું તો દેખાશે કે આ સમજને તો એક અન્ત જરૂર છે ! વળી, આદિ ને મધ્ય પણ છે ! અ સૉર્ટ ઑવ કમ્પ્લીટનેસ !
વધારે ધ્યાનથી જોઇશું તો જણાશે કે આ સમજથી માંહ્યલાને, કહો કે સમગ્ર અસ્તિત્વને, સારું લાગતું હોય છે. કહેવાનો મતલબ, જો લેખન અને વાચન કીમતી વસ્તુઓ છે, તો એમાંથી ઊભી થયેલી સમજો પણ એટલી જ કીમતી છે. એટલે, જો આપણે આપણી સમજોની આપ-લે કરીએ, આપણી સમજોનાં સહભાગી થઈએ, તો મને લાગે છે, સાહિત્યની આખી વાતને ઘણી જ ઘણી દમદાર અને અર્થપૂર્ણ બનાવી શકીએ.
તો એ માટે શું કરવું જોઈએ? આપણે એકબીજાંની નજીક આવવું જોઇએ — જેમ આજે આવ્યાં છીએ ! હું મારી સમજ લઈને આવું, તમે તમારી સમજ લઈને આવો. બન્ને વચ્ચે આપણે સામંજસ્ય ઊભું કરીએ. એવું સામંજસ્ય જેથી આપણી વચ્ચે સહભાગીતા નામનો એક સેતુ રચાય. એવો સેતુ જેનો વારંવાર ઉપયોગ કરવાથી નિરન્તરની સહભાગીતાની સંરચના કરી શકીએ. ગુજરાતી સાહિત્યક્ષેત્રે સર્વસામાન્ય સ્વરૂપની સહભાગીતા નથી એમ નથી. પણ એને મારે નિમિત્તે વિધિવત્ પ્રગટાવવાને આજે આપણે એકત્ર થયાં છીએ.
જુઓ, મને સૌથી વધુ આનન્દ આવ્યો છે જ્યારે તમે કે કોઈએ પણ મારી સાથે મારા કોઈ લેખન અંગે વાત કરી છે – ભલે વખાણ કે ટીકા. પણ ત્યારે તે વ્યક્તિની સમજ વ્યક્ત થઈ હોય. સામે મેં જે કંઈ કહ્યું હોય તેથી મારી સમજ વ્યક્ત થઈ હોય. એ વ્યક્તિ અને મારી વચ્ચે એક સંવાદ ચાલુ થઇ ગયો હોય. એવી સહભાગીતાથી એક સંભાષા પ્રગટી હોય – એક ઇન્ટરઍક્શન. આ મને બહુ ગમ્યું છે.
કેમ કે એથી મને અને એને – બન્નેને – સુધારાવધારાની ખબરો પડવા લાગે છે. એમ કે એને એનું અને મારે મારું શું બદલવા જેવું છે, શું નવું દાખલ કરવાજોગ છે. આજે હું ‘અવરશુકેલુબ’ — કાળનો વાર્તાકાર નથી રહ્યો. પાંચમા સંગ્રહ લગીમાં -‘નો આઇડીઆ? ગેટ આઇડીઆ’ લગીમાં – હું ઘણો જ ઘણો બદલાયો છું. (હવે, છઠ્ઠા સંગ્રહ ‘ઢીસૂમ્ ઢીસૂમ’ લગીમાં) મારાં વિવેચનો સરળથી સરળ બનવા માંડ્યાં છે – બીજાઓને પણ એમ ભલે લાગે છે. મારાં વ્યાખ્યાનો વધારે આસ્વાદ્ય બન્યાં છે.
આ તમામ પરિવર્તનોનાં અનેક કારણોમાંનું એક કારણ આ જાતની સહભાગીતા છે. જો ભાષામાંથી સંભાષા નથી જન્મતી, કલામાંથી જો કલાસંવાદ નથી પ્રગટતો, તો મારું તારણ છે કે સાહિત્યનો મામલો ખાસ્સા સમય લગી રૂંધાયેલો રહેવાનો છે.
બાકી જીવનને વિશેની સમજને કારણે મને હમેશાં લાગ્યું છે કે હું એકલો છું. તમે જાણો છો કે સાહિત્ય-કલાને વરેલા સર્જકનો એકલતા સ્થાયીભાવ હોય છે. પણ એ એકલતાને સહભાગીતાથી ઘડીભર ભૂલી જવાય છે. મારો અનુભવ તો એમ કહે છે કે એકલતાને વધારે સારી રીતે ઓળખી શકાય છે. એવી ઓળખથી મને નવું લખવાનું – નવું એટલે કે સુધરેલું લખવાનું – વધારાનું બળ મળે છે. એકલતા અને સહભાગીતાનો આ ખેલ, અંદરનો છે. મેં એને જીવનભર પ્રામાણિકતાથી ખેલવાની કોશિશ કરી છે. એટલે આજે તમે મારે વિશે જે કંઈ કહ્યું તેને હું એવા સહભાગ રૂપે વધાવી લઈશ.
મેં કહ્યું કે આપણો સમ્બન્ધ સ્વસ્થ રહી શક્યો છે, એ વાતનો મને આનન્દ છે. કોઇ વી.સી. હતા, છો કે હશો. એનો આનન્દ ઑર છે. મોટા ભાગનાં, મારાં વિદ્યાર્થીઓ હતાં. આજે અધ્યાપક, આચાર્ય કે ડિરેક્ટર છો એનો આનન્દ એથીયે ઑર છે.
હું ગુરુ-શિષ્ય પરમ્પરામાં જરૂર માનું છું. પણ એ સમ્બન્ધને આ રીતે ઘટાવું છું : હું ચેલા ન મૂંડું. પાલખી ઊંચકવા કે ધજા ફરકાવવા ન કહું. મારો વિદ્યાર્થી કાયમ મારી આંગળી પકડીને ચાલે એ મને બિલકુલ ગમ્યું નથી. કોઈ ખભે ચડીને ગાજે એ જરૂર ગમે. પણ કોઈ માથે ચડી વાગે એ ન ગમે. એવો એ જો બે વાત પૂછતો આવે તો એની સાથે જ્ઞાનવારતા જરૂર કરું, હેતથી કરું. મેં તો હમેશાં કહ્યું છે, મારામાં તમને તમારા-જોગું જે કંઈ દેખાતું હોય, તો, તેને લૂંટી લો. એવું પણ ખરું કે હું શિષ્યને સમોવડિયો ગણું છું બલકે ગુરુ ગણું છું. એની પાસેથી પણ શીખવાની હૉંશ રાખું છું. ઘણા પાસેથી કંઈ ને કંઈ શીખ્યો પણ છું. ટૂંકમાં, મારી સમજમાં જો હું એક વ્યક્તિ છું તો મારો વિદ્યાર્થી પણ વ્યક્તિ છે. ગુરુ-શિષ્ય — સમ્બન્ધની ભૂમિકા, મારી નજરમાં, જેટલી આદરની નથી એટલી પરસ્પરના સ્વીકાર અને પ્રેમની છે.
વિદ્યાર્થી સિવાયનાં જે મિત્રો છે તેમની પાસે પણ મેં જેટલો આદર નથી માગ્યો એટલો પ્રેમ માગ્યો છે. ક્યારે ય મેં કોઈ ગ્રૂપ નથી બનાવ્યું કેમ કે હું પોતે કોઈના ગ્રૂપમાં નથી. ક્યારે ય મેં મુખિયા બનીને વડપણ નથી દાખવ્યું કેમ કે એવું વડપણ, હું બહુ પહેલેથી માનું છું કે સાહિત્યના વિકાસમાં બાધા બને છે. મારા વિચારો કે મન્તવ્યો બાબતે હું મારી જાત સાથે ભારે આગ્રહી છું પણ ક્યારે ય મેં એને બીજાંઓ પર થોપ્યાં નથી. ક્યારે ય મેં કોઇને મારું પુસ્તક વાંચવા કે એ વિશે બે શબ્દ લખવા કહ્યું નથી.
હું માનું છું કે આપણે સૌ આજે પણ એ સ્વસ્થ સમ્બન્ધની ભૂમિકાએ ઊભેલાં છીએ. એ સ્વસ્થતાએ જ તમને આ પ્રેમપ્રસંગ રચવાને પ્રેર્યાં છે. આ કોઈ સંસ્થાકીય કાર્યક્રમ નથી. આ તો તમારા સૌના અન્તરમાં સ્વયં સ્ફુરેલી પ્રેરણાનું પરિણામ છે. એ હકીકતનું મારે મન ભારે મૂલ્ય છે અને બીજાં બધાંને પણ હોવું ઘટે છે.
જાણ્યું ત્યારથી લાગ્યા કર્યું છે કે આ મારે વિશેનો નહીં પણ સુમન શાહ નામના કોઈ શખ્સને વિશેનો ખટલો છે, ટ્રાયલ, અને હું એમાં વિટનેસ કે ઑબ્ઝર્વર છું, સાક્ષી છું. મને પૂછવામાં આવે ત્યારે મારે હકીકતો કહેવાની છે. જુબાની રૂપે જે બોલાય એ બોલવાનું છે. હું ખૂબ ખૂબ ખુશ છું. થૅન્ક્યૂ વૅરિ મચ. આભાર.
= = =
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર
![]()


યજ્ઞેશ દવે સાથે વાર્તાલાપ કરવો એટલે એક વિશાળ વટવૃક્ષની પરિઘ માપવાનો પ્રયત્ન કરવો. વિજ્ઞાન ક્ષેત્રના પીએચ.ડીના સંશોધનથી લઈને કલાઓની ઊંડી સૂઝ અને સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં ખેડાણ – આવા વિશાળ પટ પર વિસ્તરેલા એમના વૈવિધ્યપૂર્ણ કર્તૃત્વમાં એક મહત્ત્વનો પડાવ તે આકાશવાણીમાં એમનો દીર્ઘ કાર્યકાળ. કારકિર્દી અને રસના વિષયોની આ વિવિધતાએ જીવનને અખિલાઈથી જોવાની એમને દૃષ્ટિ આપી છે, જે આ સંવાદમાં સહજપણે ઝીલાય છે. આકાશવાણીમાં એમનાં તેર જેટલાં દસ્તાવેજી નિર્માણોને રાષ્ટ્રીય સ્તરે 2001 અને 2002માં એવોર્ડ એનાયત કરાયા હતા. આકાશવાણીના કેન્દ્ર નિયામક તરીકેના એમના કાર્યકાળ દરમ્યાન એમને અનેક મહાનુભાવોના સંપર્કમાં આવવાની અને એમની રેડિયોના સંગ્રહ અર્થે મુલાકાતોનું આયોજન અને નિર્માણ કરવાની તક મળી.

પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીત તરફ લઇ ગયો, જાઝ સંગીત પણ હું સાંભળું. લોકસંગીતમાં પણ મને મજા આવે. લોકસંગીતમાં ઓછા સૂરો છે પણ એનો જે લય છે એમાં એક અસલીપણાનો અનુભવ થાય છે. જૂનાં ફિલ્મી ગીતોનો તો મને ગાંડો શોખ છે. મને એમ થાય કે શબ્દ સાથે તો ભાવ અથવા અર્થ જોડાયેલો છે, પણ સૂર સાથે તો એવું કંઇ જોડાયેલું નથી. વળી એક સૂર બીજા સૂરમાં વિલીન થઇ જાય અને સૂરની વચ્ચે અવકાશ છે. એટલે એમાંથી જે અવિર્ભૂત થાય છે એ અદ્દભુત છે. અને ઢાંકી સાહેબને ટાંકીને હું એમ પણ કહેવા માંગુ છું કે સંગીત એ વૈશ્વિક ભાષા છે એવું આપણે ન કહી શકીએ. દરેક એને સાંભળી શકે અને એને થોડીઘણી મજા પણ આવે, પણ બધું સંગીત બધાને માફક નથી આવતું, કારણ કે સંગીતને સંસ્કૃતિ સાથે, પ્રજા સાથે, એ પ્રજાની શ્રદ્ધા સાથે, ભાષા સાથે, ઇતિહાસ સાથે સંબંધ છે, એ બધામાં એનાં મૂળ છે. સંગીત સાંભળવું ગમે એ એક ઈશ્વરી શક્તિ છે. રાજકોટમાં એક જ દિવસે જો કવિ સંમેલન અને શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ બંને હોય તો હું કવિ સંમેલનમાં ન જાઉં અને સંગીતના કાર્યક્રમમાં જાઉં. છતાં વિચિત્રતા એ છે કે મારી કવિતામાં સંગીત લેશમાત્ર નથી આવ્યું. ચિત્રકલાનો પણ મને શોખ છે. એવા કેટલાક મિત્રો મળ્યા. ભારતીય ચિત્રકલા અને પછી એમાંથી પાશ્ચાત્ય ચિત્રકારો અને એના જુદાજુદા પ્રવાહોમાં રસ પડવા માંડ્યો અને એક આખું નવું વિશ્વ ખૂલી ગયું. જેમ ચેતનાનો વિસ્તાર કરવો જોઈએ એમ આપણા રસનો પણ વિસ્તાર કરવો જોઈએ. મેં થોડાં ચિત્રો કરવાનો પ્રયત્ન કરેલો પણ પછી ખ્યાલ આવી ગયો કે આમાં મારે આગળ વધવું હોય તો બહુ મહેનત કરવી પડે. એટલે ચિત્રકલાનો રસ એના વિષે વાંચવા-વિચારવા પૂરતો જ મર્યાદિત રહ્યો છે.

વિનાયક દામોદર સાવરકરને ‘વીર’ તરીકે શા માટે ઓળખાવવામાં આવે છે એનો જો કોઈ હિન્દુત્વવાદી પ્રમાણ સાથે ખુલાસો કરશે, તો તે સત્ય ઉપર ઉપકાર કરશે. મારી પાસે મરાઠી સાહિત્યકાર આચાર્ય પ્રહલાદ કેશવ અત્રેની આત્મકથાનું પ્રમાણ છે જેમાં તેમણે કહ્યું છે કે સાવરકર મને (અત્રેને) ‘આચાર્ય અત્રે’ તરીકે ઓળખાવીને ખ્યાતિ આપે અને હું (અત્રે) સાવરકરને ‘વીર સાવરકર’ તરીકે ઓળખાવીને ખ્યાતિ આપું એવી અમારી વચ્ચે સમજૂતી થઈ હતી. આમ ‘વીર સાવરકર’ની સાવરકરે પોતે સ્થાપના કરાવી છે એનું પ્રમાણ ઉપલબ્ધ છે. પણ કઈ બહાદુરી માટે? આ લાખ રૂપિયાનો સવાલ તો અનુત્તરિત જ રહે છે. સમજૂતી હતી એટલે અત્રેએ આ સવાલ સાવરકરને પૂછ્યો નહોતો. કોઈક તો એવું બહાદુરીનું કૃત્ય હોવું જોઈએ જેનાં માટે ‘વીર’નાં બિરુદને ઉચિત ઠેરવી શકાય! કોઈ એક, માત્ર એક બહાદુરીનું કૃત્ય કોઈ હિન્દુત્વવાદી શોધી આપે.