Opinion Magazine
Number of visits: 9674299
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઑગસ્ટ ક્રાંતિનું ઊગમસ્થાન : ટેનિસ કોર્ટ

શિરીન મહેતા|Opinion - Opinion|21 February 2022

મારા પૂજ્ય વંદનીય ગુરુ ડૉ. ધીરુભાઈ ઠાકરની યાદમાં આ લખાણ લખતાં હું ખૂબ આનંદ અને ગૌરવ અનુભવું છું.

ગુજરાત કૉલેજ અંગ્રેજ સરકારની કૉલેજ તરીકે સંસ્થાનવાદી સામ્રાજ્યના પ્રતીક રૂપે હતી. પણ ગુજરાતમાં ગુજરાત કૉલેજ અમદાવાદમાં બ્રિટિશ શાસન વિરુદ્ધ વિદ્યાર્થીઓની ચળવળ તો ઊકળતા ચરૂ સમાન રહી. 1902માં અમદાવાદમાં હિંદી રાષ્ટૃીય કાઁગ્રેસના અધિવેશનથી અમદાવાદનું વિદ્યાર્થીજગત રાષ્ટૃીય પ્રવૃત્તિની તાલીમ મેળવતું ગયું. ગાંધીયુગમાં ગુજરાત ગાંધીજીના સત્યાગ્રહ આંદોલનની પ્રયોગશાળા બન્યું. ખેડા, અસહકારનું આંદોલન, નાગપુર સત્યાગ્રહ, બોરસદ, બારડોલી આંદોલનો વિદ્યાર્થીની તાલીમશાળા બની રહ્યાં.

1935થી ગુજરાતમાં વિદ્યાર્થીમંડળો સ્થપાવા માંડ્યાં. વિદ્યાર્થીની સભ્યસંખ્યા 1940માં 3,300 જેટલી થઈ. અમદાવાદ અને તેમાં પણ ગુજરાત કૉલેજ વિદ્યાર્થીમંડળનું કેન્દ્ર બન્યું. ગુજરાતમાં 1942ની ‘હિંદ છોડો’ લડતમાં વિદ્યાર્થીગણ મોખરાનું સ્થાન લે તે ઇતિહાસની તવારીખમાં સ્વાભાવિક હતું. પૂનાના અચ્યુત પટવર્ધન, શંકરરાવ દેવ, બિહારના સહજાનંદ સારસ્વત, જયપ્રકાશ નારાયણ, ગુજરાતના ઇન્દુલાલ યાજ્ઞિક, બાલકૃષ્ણ શુક્લ, જશવંત ઠાકર, દિનકર મહેતા, અંબુભાઈ પુરાણી વગેરે વિદ્યાર્થી-પ્રવૃત્તિને દોરતા. ‘રાજદ્રોહ’ અને ‘ઇન્કિલાબ’ મૅગેઝિનો બહાર પડતાં. વાતાવરણ પૂરેપૂરું ગરમાયું હતું.

08મી ઑગસ્ટ, 1942ની રાત્રે રવિશંકર મહારાજે ગુજરાત કૉલેજની હૉસ્ટેલના વિદ્યાર્થીઓ સમક્ષ ભાષણ આપ્યું. નેતાની ગેરહાજરીમાં વિદ્યાર્થી શું શું કરી શકે તે સમજાવ્યું.

09મી ઑગસ્ટનો દિવસ હતો. મારી ઉંમર 8 વર્ષની હતી. પરિમલ સોસાયટીમાં અમે રહેતા. સોસાયટીના શાળા-કૉલેજમાં ભણતા યુવાન વિદ્યાર્થી છોકરા-છોકરીઓ ખૂબ પ્રવૃત્તિશીલ હતાં. રાષ્ટૃવાદથી વાતાવરણ ધબકતું હતું. નાનાં બાળકો તરીકે યુવાન વિદ્યાર્થીઓ અમારા ફ્રૉકમાં વહેંચવાની પત્રિકાઓ ખોસતા. અમારે ઘેર ઘેર જઈ આપવાની રહેતી. ખાસ કરીને ભાષણો, સભાઓ ક્યાં થવાની છે તેની માહિતી રહેતી. હું રાષ્ટૃીય શાળા શેઠ સી.એન. વિદ્યાલયમાં ભણતી. અમારા આચાર્ય ઝીણાભાઈ દેસાઈ (સ્નેહરશ્મિ) રાષ્ટૃીય કવિ હતા. ‘ઝંડા ઊંચા રહે હમારા’, ‘ફરક ફરક તું મુક્ત હવામાં’ આ ગીતો બાળકો તરીકે અમે ખૂબ ગાતાં. 09મીએ અમારી સોસાયટીમાં સભા ભરાઈ. લગભગ પાંચ વાગ્યાના સુમારે મોટી વાન આવી, તેમાંથી સફેદ ટોપીવાળા સાર્જન્ટો નીકળ્યા. આડેધડ લાઠીચાર્જ કરવા માંડ્યો. ઘણાં છોકરા-છોકરીઓ ઘાયલ થયાં, લોહીલુહાણ થયાં. અમારાં માબાપે અમને ઘરમાં પૂરી દીધાં.

‘હિંદ છોડો આંદોલન’ની 10મી ઑગસ્ટની કથા જે ગુજરાત કૉલેજના ટેનિસ કોર્ટના પટાંગણમાં બની હતી, તેનો આંખે દેખ્યો હેવાલ હું મારા પ્રોફેસર ડૉ. ધીરુભાઈ ઠાકરના શબ્દોમાં રજૂ કરીશ. 10મી ઑગસ્ટે શેઠ સી.એન. વિદ્યાલયથી મશાલ સરઘસ નીકળ્યું. અમે બધાં બાળકો એમાં જોડાયાં. અમારી સાથે લૉ કૉલેજના 2,000 વિદ્યાર્થીઓ એકઠા થયા હતા તે પણ એમાં સામેલ થવાના હતા. સરઘસ આકારે વિદ્યાર્થીઓ લાલ દરવાજા પાસેના કાઁગ્રેસભવન પર પહોંચવાના હતા. અગ્રગણ્ય વિદ્યાર્થી નેતાઓના હાથમાં ત્રિરંગી ઝંડો હતો. 200 યુવા વિદ્યાર્થિનીઓ હિંમતપૂર્વક આગલી હરોળમાં હતાં. હાથમાં આઝાદી-સ્વતંત્રતાને લગતાં બેનરો હતાં. ‘શાહીવાદ મુર્દાબાદ’, ‘અંગ્રેજો ચાલ્યા જાવ’, ‘ગાંસડાં-પોટલાં બાંધો બ્રિટાનિયા’ના નારા બોલાયે જતા હતા. સરઘસ આગળ વધ્યું, પોલીસો આવી, મિશન આગળ બેસુમાર લાઠીચાર્જ થયો. અમારા શિક્ષકોએ ગુજરાત કૉલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ પરથી અમને ભગાડી મૂક્યાં.

પછી શું થયું ? એ ઇંતેજારી વર્ષો સુધી રહી. હું જ્યારે 1960માં ગુજરાત કૉલેજમાં લૅક્ચરર બની ત્યારે ડૉ. ધીરુભાઈ ઠાકર, ગુજરાતીના પ્રોફેસર તરીકે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બદલી થતાં ગુજરાત કૉલેજમાં આવ્યા હતા. 1942ની ‘હિંદ છોડો’ લડત અંગે મેં ડૉ. ધીરુભાઈ ઠાકરની મુલાકાત લીધી ત્યારે તેમણે કેટલીક ઘટનાઓ રૂંવાડાં ખડાં કરે તે રીતે રજૂ કરી. તેમના શબ્દોમાં −−

‘એ દિવસ 10મી ઑગસ્ટનો હતો. વાતાવરણ અત્યંત ઉત્તેજનાપૂર્ણ બન્યું હતું. ગાંધીજીની ધરપકડની ઊડતી વાતોથી વાતાવરણ ગરમાયું. યુવાપ્રવૃત્તિઓએ જોર પકડ્યું. ગુજરાત કૉલેજના જેવું જ વિદ્યાર્થીપ્રવૃત્તિનું બીજું કેન્દ્ર લૉ કૉલેજ હતું. બંને સાવ નજીક હતાં. વિદ્યાર્થીઓએ મનસૂબો કર્યો કે બ્રિટિશ સામ્રાજ્યના પ્રતીક સમા ગુજરાત કૉલેજની સરકારી સંસ્થા ઉપરથી યુનિયન જેક ઉતારી ત્રિરંગી ઝંડો ફરકાવવો. આ મનસૂબાનો સૂત્રધાર વિનોદ કિનારીવાળા હતો. ત્રિરંગી ઝંડો તેણે સરઘસમાં મજબૂત રીતે પકડ્યો હતો.

11 વાગ્યાના સુમારે કૉલેજના ઉત્તર-પશ્ચિમ દરવાજેથી સરઘસ મિશનના મકાન આગળ લાઠીચાર્જ થવાથી કૉલેજમાં દાખલ થયું. બાજુમાં આવેલી લાઇબ્રેરી સામે ટેનિસ કોર્ટ હતું ત્યાં વિદ્યાર્થીઓ સૂત્રો પોકારતા અતિશય ઉત્સાહમાં હતા. વધારે પોલીસની ટુકડી સાથે આઇરીશ સાર્જન્ટ લાબુદી શાયર ટેનિસ કોર્ટમાં દાખલ થયો. દૂરથી વિદ્યાર્થીઓ પોલીસ પર પથ્થરમારો કરતા હતા. સાર્જન્ટ ખૂબ તુમાખીવાળો અને કડક મિજાજી હતો. પરિસ્થિતિને પામી અમે બધા પ્રોફેસરો અમારી ચેમ્બરમાંથી બહાર આવ્યા. હું, પ્રિન્સિપાલ પટવર્ધન, ભરત આનંદ સાલેટૉર, પ્રોફેસર સ્વામીનારાયણ, એન.એમ. શાહ વિદ્યાર્થીઓને શાંત રહેવા સમજાવતા હતા, એટલામાં એક નાની કાંકરી દૂરથી વિદ્યાર્થીગણમાંથી ફેંકાઈ જે લાબુદી શાયરની હૅટ પર અથડાઈ. લાબુદીનો પિત્તો આસમાને પહોંચ્યો. પોલીસોને હુકમ આપ્યો : જુઓ ત્યાંથી ગોળીથી વીંધી નાખો. એ હુકમનો અમલ રોકવા હું લાબુદી સામે ધસી ગયો. ‘રોકો રોકો’નું બુમરાણ મેં મચાવ્યું પણ ગોળીઓ ધડાધડ છૂટવા લાગી. હું ઘવાયો. મને ગોળી વાગતાં લોહીના ખાબોચિયામાં હું પટકાયો. વિદ્યાર્થીઓ ઘવાયા, કેટલાક વીંધાઈ ગયા, ઉમાકાન્ત કડિયા, રસિકલાલ જાની ઘવાયા, હાથમાં ઝંડા સાથે, ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ના નારા સાથે, વિનોદ કિનારીવાળા શહીદ થયો.

મને ઊંચકીને બાજુના સાયન્સ બિલ્ડિંગમાં લઈ ગયા. મારી આજુબાજુ પ્રફેસર સાલેટૉર, સ્વામીનારાયણ, એન.એમ. શાહ તથા વિદ્યાર્થીગણ વીંટળાઈ વળ્યું. મને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો. બે મહિને હું સાજો થઈ શક્યો. પ્રોફેસરમિત્રો અને વિદ્યાર્થીઓેએ મારી અપાર સેવા કરી. જિંદગીના એ દિવસો આજે પણ હું ભૂલી શક્યો નથી.’

ગુજરાત કૉલેજનું આ ટેનિસ કોર્ટ, ફ્રાન્સની ક્રાન્તિ(1789)ના ઊગમસ્થાન સમા ‘ટેનિસ કોર્ટ ઑથ’નો બનાવ યાદ આપી જાય તેવો છે. એ દિવસ હતો 20મી જૂન, 1789નો. આપખુદ રાજાશાહી સામે ટેનિસ કોર્ટમાં ફ્રાન્સની જનતાનો ભવ્ય વિજય હતો. આ બનાવને ‘ફ્રાન્સની ક્રાન્તિનું લઘુ સ્વરૂપ’ (France Revolution in Miniature) કહેવાય છે. ફ્રાન્સની પાર્લમેન્ટ જેને એસ્ટેટ (Estate) કહેવાતી, તે ત્રણ વિભાગમાં વહેંચાયેલી હતી. પ્રથમ એસ્ટેટ પાદરીઓની, બીજી એસ્ટેટ ઉમરાવોની અને ત્રીજી એસ્ટેટમાં ખેડૂતો, મજૂરો, સામાન્ય જનતા હતી. ત્રણે વિભાગો જુદા જુદા મળતા પણ ત્રીજા એસ્ટેટે બધાએ ભેગા મળીને ટેનિસ કોર્ટમાં શપથ લીધા કે આ સભાને નેશનલ એસેમ્બ્લી જાહેર કરવી અને આપણે બધાએ એક થઈ રહેવું. આ ટેનિસ કોર્ટ ઑથ સમયે જનતાના નેતા મિરાબો[Mirabeau]એ ગર્જના કરતાં કહ્યું, ‘સાહેબ ! જાઓ તમારા માલિક(રાજા)ને જઈને કહો કે અમે અહીં જનતાની ઈચ્છાથી આવ્યા છીએ. તમારી ગમે તેટલી બૅયોનેટની અણી અમને ખસેડી નહીં શકે.’ ટેનિસ કોર્ટ ઑથે ફ્રાન્સની ક્રાન્તિને છેવટના અંજામ સુધી પહોંચાડી.

ગુજરાત કૉલેજના ટેનિસ કોર્ટે, વિદ્યાર્થીઓની શહાદતે દેશમાં જુવાળ પેદા કર્યો. 1942ની ‘હિંદ છોડો’ લડત એ ભારતની સ્વતંત્રતાપ્રાપ્તિનું આખરી યુદ્ધ હતું. ગાંધીજી કહે છે કે ટેનિસ કોર્ટ જેવા નાના બનાવો ટીપે ટીપે સ્વતંત્રતાની નજદીક લાવે છે. વિનોદ કિનારીવાળા, ઉમાકાન્ત કડિયા, રસિકલાલ જાની, ગુણવંત શાહ, પુષ્પવદન મહેતા, વસંતલાલ રાવલની શહાદતે દેશ આખામાં પડઘો પાડ્યો. ‘હિંદ છોડો’ આંદોલન લોકઆંદોલન બન્યું.

ક્યાં ગયા એ શહાદતો ને ક્યા ગયા એ સન્નિષ્ઠ, દેશભક્ત પ્રોફેસરો ? દેશદાઝ અને દેશપ્રેમથી ધબકતી એ આખી પેઢી ઐતિહાસિક કાળચક્રમાં સમાઈ ગઈ.

સૌજન્ય : ‘ગુજરાત વિશ્વકોશ ટૃસ્ટ’ સંચાલિત “વિશ્વવિહાર”, વર્ષ : 24; અંક : 5; ફેબ્રુઆરી 2022; પૃ.17-19   

Loading

મહાપુરુષોનો વારસો ટકાવી રાખવા અને સમૃદ્ધ કરવામાં તેમના અનુગામીઓની કસોટી થાય છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|20 February 2022

‘નેહરુના ભારતની અવદશા જુઓ! આજે નેહરુના ભારતની લોકસભામાં અડધોઅડધ સભ્યો ગુનાખોરીના આરોપી છે અને કેટલાક સામે તો ખૂન અને બળત્કાર જેવા ગંભીર ગુનાઓના આરોપ છે.’

કોણ કહે છે આમ? સિંગાપોરના વડા પ્રધાન લી હિસીન લૂંગ. પ્રસંગ એવો હતો કે સિંગાપોરની સંસદમાં વર્કર્સ પાર્ટીના નેતા રઈસા ખાને અસત્યકથન કર્યું હતું. તેમનું જૂઠ પકડાઈ ગયું અને નાછૂટકે તેમણે તેની કબૂલાત પણ કરવી પડી હતી. તેમની સામે સંસદમાં મર્યાદાભંગની નોટીસ આવી અને તેના પરની ચર્ચામાં વડા પ્રધાન લોકશાહી મૂલ્યો અને દાયિત્વ વિષે બોલી રહ્યા હતા. રઈસા ખાને પક્ષના નેતાપદેથી રાજીનામું આપ્યું છે અને કદાચ તેમને સંસદ પણ દંડશે. તો પ્રસંગ ઉપસ્થિત થતાં સિંગાપોરના વડા પ્રધાને ભારતના લોકતંત્રની વર્તમાનમાં અવદશાનો તેમ જ જવાહરલાલ નેહરુનો અને તેમની લોકતાંત્રિક મૂલ્યનિષ્ઠાનો હવાલો આપ્યો હતો. એક પ્રકારે રેફરન્સ તરીકે નેહરુને ટાંક્યા છે.

બોલો! સૂર્ય સામે ગમે એટલી ધૂળ ફેંકવામાં આવે, એ ક્યાંકને ક્યાંક તો ઝળક્યા વિના રહેતો નથી, કારણ કે એ સૂર્ય છે. જવાહરલાલ નેહરુ વિષે અંગ્રેજી ભાષામાં સો કરતાં વધારે પુસ્તકો લખાયાં છે અને હજુ લખાય છે. એમાંનું કોઈ પુસ્તક પૈસા આપીને લખાવવામાં આવ્યું નથી અને એવી જરૂર પણ નથી. ધૂળ ફેંકવાથી સૂર્ય ઝાંખો પડતો નથી અને આંખ વિંચી લેવાથી સુર્યાસ્ત થતો નથી. એની નોંધ લેવાતી જ રહે છે.

દેશ આઝાદ થયો ત્યારે કાઁગ્રેસના નેતાઓએ સંકલ્પ કર્યો હતો કે ભારત એક લોકશાહી દેશ હશે અને એ પણ ભારતની પ્રત્યેક વ્યક્તિને પુખ્ત મતદાનનો અધિકાર આપનારો લોકશાહી દેશ હશે. અને લોકતંત્રનો ઢાંચો કેવો હશે? તો કહે સંસદીય લોકતંત્રનો. પ્રમુખશાહી એક રીતે ઉફરું લોકતંત્ર છે, જ્યારે સંસદીય લોકશાહી પ્રમાણમાં વધારે સઘન લોકતંત્ર છે. એવું નથી કે સંસદીય લોકતંત્રમાં કોઈ મર્યાદા નથી. જો તેને સુધારવામાં ન આવે તો સંસદીય લોકતંત્ર નબળું પડે છે અને જો મર્યાદાઓનો સત્તાકીય લાભ લેવામાં આવે તો અધ:પતન થાય છે. ભારતમાં આ જ બની રહ્યું છે જેના તરફ સિંગાપોરના વડા પ્રધાન લીએ ઈશારો કર્યો છે.

વસ્તીની દૃષ્ટિએ ભારત ચીન પછીનો સૌથી મોટો દેશ. ગ્રામીણ, ગરીબ અને અભણ પ્રજા. આ ઉપરાંત અંધશ્રદ્ધા, ઊંચનીચના અધિકારભેદ અને સામંતશાહી અર્થવ્યવસ્થા તેમ જ સમાજવ્યવસ્થા. જગત આખાને ત્યારે એમ લાગ્યું હતું કે ભારત એક ઝાટકે શિવધનુષ ઉઠાવવાનું જરાક વધારે પડતું સાહસ કરી રહ્યું છે. સલાહ પણ આપવામાં આવી હતી કે પુખ્ત મતદાનનો અધિકાર ધીરેધીરે લાયકાત જોઇને અને લાયકાત વિકસાવીને આપવામાં આવે. ભારતે તેમની સલાહ જ્યારે કાને ન ધરી ત્યારે અનેક લોકોની એવી ધારણા હતી કે ૧૯૫૧-૫૨ની સામાન્ય ચૂંટણી ભારતની પહેલી અને છેલ્લી ચૂંટણી નીવડવાની છે.

જેમ વિદેશમાં ભારતની લોકતાંત્રિક છલાંગ વિષે કેટલાક લોકો શાસંક હતા એમ ભારતમાં પણ અનેક લોકો સાશંક હતા. પણ ભારતમાં બે વ્યક્તિ એવી હતી જે એમ માનતી હતી કે જો સાચી નિષ્ઠા હોય અને ઈમાનદારીપૂર્વક પ્રયત્ન કરવામાં આવે તો ભારતમાં સાર્વત્રિક પુખ્ત મતદાનવાળું લોકતંત્ર સફળ થઈ શકે છે. એ બે વ્યક્તિ એટલે જવાહરલાલ નેહરુ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર. આમાં નેહરુ વડા પ્રધાન અને દેશના લોકપ્રિય નેતા હતા એટલે નિષ્ઠા અને ઈમાનદારીની કસોટી તેમની થવાની હતી અને તેઓ તેમાં ખરા ઉતર્યા. સિંગાપોરના વડા પ્રધાન લીએ સિંગાપોરની સંસદમાં બોલતા નેહરુના આ યોગદાનની ખાસ નોંધ લીધી છે. તેમણે નેહરુની સાથે ઇઝરાયેલના પહેલા વડા પ્રધાન ડેવિડ બેન-ગુરિયનનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, ‘જે નેતાઓ પોતાના દેશની આઝાદી માટે લડ્યા હોય અને આઝાદી મેળવી આપી હોય એવા નેતાઓ મહાપુરુષની કોટિના હોય છે. તેઓ સંસ્કારી હોય છે, તેમનામાં ઊંડી સમજ હોય છે, અગાધ નિષ્ઠા હોય છે અને અસાધારણ ક્ષમતા હોય છે. તેઓ અગ્નિપરીક્ષામાંથી પસાર થાય છે અને તેમાં વિજયી થઈને સકળ માનવસમાજના અને જગતના રાષ્ટ્રોના નેતા તરીકેનું સ્થાન પામે છે. જવાહરલાલ નેહરુ અને ડેવિડ બેન-ગુરિયન આવા નેતા હતા.’

એ પછી તેમણે કહ્યું હતું કે મહાપુરુષોનો વારસો ટકાવી રાખવો અને તેને સમૃદ્ધ કરવો એમાં તેમના અનુગામીઓની કસોટી થતી હોય છે. આ બાબતે ભારત અને ઇઝરાયેલ બન્ને નિષ્ફળ નીવડ્યા છે અને આજે નેહરુના ભારતની સંસદમાં અડધોઅડધ સભ્યો ફોઝદારી ગુનાઓના આરોપી છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 ફેબ્રુઆરી 2022

Loading

ઉત્તેજનાથી આક્રમકતાઃ જીવનશૈલીની ઝડપી ગતિમાં ટૂંકુ થઇ રહેલું આ અંતર સમાજનું જોખમ વધારનારું

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|20 February 2022

ગ્રિષ્મા વેકરિયા, આખા સુરતની દીકરી છે, અને આખા સુરતને જ નહીં પણ આ કેસને જાણનારા એકેએક જણને, પોતાની આસપાસની દીકરીઓની ચિંતા હવે રૂંવાડું ફરકાવી દેનારી સાબિત થશે. ક્યારે ય પણ કંઇ પણ થઇ શકે છે. ફેનિલ ગોયાણી, જેણે ગ્રિષ્માનું ગળું કાપીને હત્યા કરી તેને આસપાસ ઊભેલા લોકો, વીડિયો શૂટ કરી રહેલા માણસો, ગ્રિષ્માનાં સગાંઓની બૂમાબૂમ કશાથી કોઇ ફેર ન પડ્યો. એ જે નક્કી કરીને આવ્યો હતો તે જ તેણે કર્યું. આ લખાઇ રહ્યું છે ત્યારે ફેનિલના તેના દોસ્ત સાથેના કૉલ્સ વાઇરલ થઇ રહ્યા છે. આ ઘટના એટલી બધી આઘાતજનક છે કે તેને વિશે વિસ્તારથી લખવું પણ વિચલિત કરી દે તેવું છે. આ ઘટનાના સતત સમાચાર આવી રહ્યા છે, કોઇને કોઇ તપાસ થઇ રહી છે. એક સમાજ તરીકે આપણને સવાલ એ થવો જોઇએ કે આ ઘટના શા માટે? પ્રેમનું આ ઝનૂન કોઇ કાળે ગળે ઉતરે તેમ નથી.

ફિલ્મો, ઇન્ટરનેટ, વધુ પડતી માહિતી, ઉછેર જેવી બાબતો પર ચર્ચાઓ થઇ રહી છે અને થશે. વળી આવો કિસ્સો પહેલી વાર થયો છે એમ પણ નથી, અને આવા કિસ્સાઓ આજથી ૩૦ વર્ષ પહેલાં નહોતા થતા તેવું પણ નથી. ઝનૂન, પ્રેમ અને ગુનો આ ત્રિરાશી જોખમી છે અને એમાં કશું પણ અજુગતું કે નવું નથી. આખરે આવું શા માટે? માણસ જાતની સંવેદનાઓ સમયાંતરે, દાયકાઓ સાથે બદલાય – પણ એ બદલાવમાં, તેની તીવ્રતામાં વધારો કે ઘટાડો થાય બાકી પ્રેમમાં પડેલો માણસ હોય કે ગુસ્સે ભરાયેલો માણસ હોય કે પછી દુઃખી માણસ હોય તે આજથી અમુક દાયકા પહેલા જેવો હતો તેવો જ હોય છે, માત્ર તેની લાગણીની તીવ્રતામાં ફરક આવ્યો હોય છે. આ તીવ્રતા બદલાવા પાછળના કારણોની વાત કરીએ તે પહેલાં કેટલાક આંકડા અને તાજેતરની અમુક બીજી ઘટનાઓ પર નજર નાખીએ.

સમય અને સ્થળના આયામોને પાર નજર કરીએ તો ઘણાં ઘાતકી ગુનાનું મૂળ હોય છે પ્રેમ. પ્રેમ સંબંધો જેમાં લગ્ન, સજાતીય સંબંધો અને લગ્નેતર સંબંધો સહિતના તમામનો સમાવેશ કરીએ તો આખા દેશમાં થતી હત્યાઓમાંથી ૧૦ ટકા હત્યાઓ પ્રેમને ખાતર થાય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્ઝ બ્યુરોનો ક્રાઇમ ઇન ઇન્ડિયા વર્ષ ૨૦૨૦ના રિપોર્ટ અનુસાર ભારતમાં થયેલી ૨૯,૧૯૩ મર્ડર્સમાંથી ૩,૦૩૧ હત્યાઓનું કારણ પ્રેમ પ્રકરણ હતું. દાયકા પહેલા આ પ્રમાણ સાત કે આઠ ટકાએ હતું જે હવે દસથી અગિયાર ટકાએ પહોંચ્યું છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, તામિલનાડુ અને ગુજરાતમાં આ પ્રકારના કેસિઝ વધુ જોવા મળે છે. જાતિભેદ, સંકુચિત માનસિકતા વગેરે પણ આવા ગુનાઓમાં મોટો ફાળો ભજવે છે. પરંતુ સુરતમાં જે થયું તેમાં પ્રેમની ઘેલછા જે અંતે ઝનૂનમાં ફેરવાઇ તે બહુ મોટું કામ કરી ગઇ.

ગુજરાતના જાણીતા મનોવૈજ્ઞાનિક ડૉ. પ્રશાંત ભીમાણી સાથે જ્યારે આ કિસ્સાની ચર્ચા કરી ત્યારે તેમણે કહ્યું, “જે છોકરાએ આ ગુનો આચર્યો તેના મામલે મા-બાપ પણ ક્યાંક કદાચ કાચા પડ્યા. હોઇ શકે કે તે બાળક તરીકે બહુ જ જીદ્દી હોય. તેનો જીદ્દી સ્વભાવ આગળ જતા ઉગ્રતા-આક્રમકતામાં ફેરવાયો હોય. આપણે વેબસિરીઝ અને ફિલ્મોમાં હવે જે રીતે ક્રાઇમ બતાડાય છે, તેની વાત કરીએ તો એ સ્વીકારવું રહ્યું કે જે એક સમયે કોઇ એક ખૂણે ઘટતું હતું, અથવા અમુક સમાજમાં અમુક સ્તરે જ પ્રવર્તમાન હતું તે હવે વેબ સિરીઝ વગેરેને કારણે એક બહોળા વર્ગ સુધી પહોંચી રહ્યું છે. આવા હિંસક કોન્ટેન્ટનું જનરલાઇઝેશન મોટા સ્તરે થાય છે અને આ બધી બાબતોની અસર માનસિકતા પર એક યા બીજી રીતે પડતી જ હોય છે. ઇન્ફર્મેશન ઓવરલોડના જમાનામાં પેરન્ટિંગમાં પણ બદલાવ લાવવો પડશે. અને મેકર્સ જાણે કે તેઓ જે દર્શાવે છે તે સમાજનો આયનો જ છે પણ શું ખરેખર ગુનાને મામલે આવા આયના બતાડવાની જરૂર છે ખરી? પ્રેમમાં નિષ્ફળતા તો એક વાત છે પણ નિષ્ફળતા – એક સમાન્ય પરિણામ તરીકે કેવી રીતે સ્વીકારવી તે પણ શીખવવું જરૂરી છે. ફેલ્યોર મેનેજમેન્ટ એક અગત્યનું પાસું છે. હિંસા એક અજીબ પ્રકારનું એક્સાઇટમેન્ટ આપે છે, આ ઉગ્રતાને કાબૂમાં રાખવા માટે ધ્યાન અને વ્યાયામ સૌથી સારી પેઠે કામ કરી શકે છે.”

મુંબઇના પ્રતિષ્ઠિત મનોચિકિત્સક ડૉ. હરીશ શેટ્ટી પ્રેમના ભ્રમની વાત પર ભાર મૂકે છે. તેઓ કહે છે, “હું તેને પ્રેમ કરું છું એટલે એ પણ મને પ્રેમ કરે છેનો ભ્રમ કેટલો જોખમી હોઇ શકે છે તેનો પુરાવો છે સુરતની ઘટના. જાહેરમાં હત્યા કરવાની જે વાત છે તેમાં આ કૃત્ય કરનારાને માટે એ મોમેન્ટ ઑફ ગ્લોરી – વાહવાહીની ક્ષણ બની જાય છે. આવું કરનાર વ્યક્તિ દુનિયા સામે જાણે જાહેરાત કરી રહી છે કે તે આમ કરીને ગૌરવ મેળવે છે, હો હા કરીને, હંગામો કરીને તે સામી વ્યક્તિને પોતાનો પ્રેમ ન સ્વીકારવા બદલ ગુનાઇત લાગણી અનુભવવા પર જાણે મજબૂર કરે છે. તે દુનિયા સામે જાહેર કે છે કે, જુઓ મને પ્રેમમાં નાસીપાસ કરવામાં આવ્યો કે આવી અને હવે હું હતાશ છું એટલે હું આમ કરીશ. માલિકીભાવ ધરાવતો પ્રેમ, વળગાડ સમો પ્રેમ જોખમી જ હોય છે. કોઇ સાથી વાતવાતમાં તમારો પાસવર્ડ માંગી લે, તમારી બધી હિલચાલ પર નજર રાખે તો આવા રિલેશનશીપથી ચેતવું જરૂરી છે.”

ડૉ. શેટ્ટીએ એંશીના દાયકામાં થયેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો જેમાં એક ધોબીએ બૅંકમાં કામ કરતી એક મહિલાને ધોળે દિવસે જીવતી સળગાવી દીધી હતી કારણ કે તેણે તેના પ્રેમનો સ્વીકાર ન કર્યો. આ સાબિતી છે કે આ પહેલીવાર થયેલી બાબત નથી. વળી આજે સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટના જમાનામાં લોકોમાં બાય સ્ટેન્ડર સિન્ડ્રોમ વધ્યું છે, ઘટના ઘટી રહી છે તો કોઇ તેમાં ધસી જઇ રોકવાની કોશિશ નથી કરતા બલકે ફોન કેમેરાથી શૂટ કરવાનું શરૂ કરી દે છે. ડૉ. શેટ્ટીએ કહ્યું કે મુંબઈમાં પહેલીવાર બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારે લોકો અલગ અલગ વિસ્તારોના ફોટા લઇ પોતાની પાસે વધારે અરેરાટી ઉપજાવે તેવા ફોટોગ્રાફ્સ છે તેવી બડાશ હાંકતા. લોકોમાં સહાનુભૂતિ ઘટી છે, જિંદગીની ગતિ વધી છે. સાદું વિજ્ઞાન છે કે ગતિ વધે એટલે ગરમી વધે અને તેનું  જ પરિણામ આપણે સમાજમાં જોઇ રહ્યા છીએ.

બાય ધી વેઃ

આજે બધાને સતત એક્સાઇટમેન્ટ જોઇએ છે, ‘લિવીંગ ઓન ધી એજ’ પ્રકારની માનસિકતા કાં તો લોકો પાસે ખોટા કામ કરાવે છે, અથવા તો આવી ઘટનાઓના મૂક સાક્ષી બનાવે છે. ઉત્તેજના અને આવેશ ક્યારે આક્રમકતામાં ફેરવાઇ જાય છે તે સમજાતું નથી. સ્પેનમાં થતી બુલફાઇટ હોય કે, કોઇનું મૉબ લિન્ચિંગ હોય કે પછી શેરીનાં કૂતરાં સાથે થતી ક્રૂરતા હોય, લોકોને ગતિશીલ બનેલી જિંદગીમાં એક્સાઇટમેન્ટને નામે કંઇ પણ ચાલે છે. વળી જેન્ડર સેન્સિટિવીટીના પાઠ શીખવવામાં આપણી વ્યવસ્થા હજી પાછળ છે, પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીને પોતાની જાગીર સમજનારાઓનાં ટોળાં છે. જીવનમાં થોડો કંટાળો ક્યારે ય હાનિકારક નથી હોતો, સ્ક્રીનનું વળગણ હોય કે ડ્રગ્ઝનું કે પછી પૂરપાટ વાહન ચલાવવાનું – જલદી એક્સાઇટમેન્ટ મેળવવાના ખેલમાં જિંદગી ખતમ થઇ જાય છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  20 ફેબ્રુઆરી 2022

Loading

...102030...1,6261,6271,6281,629...1,6401,6501,660...

Search by

Opinion

  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved