Opinion Magazine
Number of visits: 9961383
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આબરુ સાચવવાની બીકે બેઆબરુ થવામાં ડહાપણ નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 July 2022

એવું કોઈ છાપું નથી, એવી કોઈ સમાચારની ચેનલ નથી, જેમાં છેડતી, બળાત્કારની વાતો આવતી નહીં હોય. વારુ, એ તો એવી ઘટનાઓ છે જે મીડિયા સુધી પહોંચે છે, પણ એવી ઘટનાઓ ઓછી નથી, જે મીડિયા સુધી પહોંચતી જ નથી. મીડિયા સુધી વાતો પહોંચાડવામાં પણ લોકો બહુ રાજી નથી હોતા, પણ ઈલાજ જ નથી રહેતો ત્યારે વાત મીડિયા સુધી પહોંચે છે. કોઈ મીડિયા સુધી વાત પહોંચાડવા ઉત્સુક હોય એવું તો અપવાદ રૂપે જ બનતું હશે. કેમ એવું થાય છે કે કોઈ પોલીસ સુધી વાત પહોંચાડવા રાજી નથી થતું? બીજા કોઈ પણ ગુનામાં ગુનેગાર અપવાદરૂપે જ છાતી કાઢીને ફરતો હશે, પણ છેડતી, બળાત્કારના ગુનામાં ગુનેગાર બેશરમ થઈને ફરતો હોય તો નવાઈ નહીં. ગુનેગાર આટલો બેશરમ કોના જીવ પર થતો હોય છે? આ એવો ગુનો છે જેમાં પીડિતા વેઠે છે કે દબાઈ, ચંપાઈને શરમની જિંદગી જીવે છે ને ગુનેગાર છૂટો ફરતો હોય છે. બીજા ગુનામાં ગુનેગાર સંતાતો ફરતો હોય છે, જ્યારે છેડતી, બળાત્કારમાં પીડિતા સંતાતી ફરે છે અથવા તો તેને તેમ વર્તવાની ફરજ પાડવામાં આવે છે.

આમ થાય છે તે આબરુ જાળવવા માટે. આબરુ જવાની બીકે ઘણાં કુટુંબો ઘણું ઘણું વેઠે છે. છેડતી, બળાત્કારની ઘટનાઓ નાની બાળકીથી માંડીને 80 ઉપરની ડોશી સાથે પણ બનતી હોય છે. આ બધી જ સ્ત્રીઓ આબરુ જવાની બીકે ચૂપ રહે છે. સ્ત્રી ચૂપ ન પણ રહેવા માંગતી હોય, તો પણ તેનું કુટુંબ, વાત બહાર ન જાય એટલે ચૂપ રહે છે ને દીકરી-વહુને પણ ચૂપ રહેવાનું કહી દે છે. ધારો કે કોઈ બાળકીની છેડતી થાય છે. ઘણી વાર તો બાળકીને એ જ ખબર નથી પડતી કે તેની સાથે થઈ શું રહ્યું છે? કૈંક ખોટું થયાનું તેને લાગે છે, પણ તેનું નામ પાડતાં તેને મૂંઝવણ થાય છે. ઘણીવાર એવું બને છે કે બાળકીને પોતાને જ લાગે છે કે કોઈને કૈં નથી કહેવું ને એ કૈં ન કહેવાનું નક્કી કરે છે. તે મા કે બાપ, કોઈને કૈં કહેતી નથી. આમ થાય તો તેનો અર્થ એવો થાય કે બાળકીનું કુટુંબ એવું નથી કે દીકરી કશી પણ પૂર્વ તેયારી વિના સ્પષ્ટ વાત માને કે બાપને કરી શકે. બાળકીને એ ભરોસો નથી પડતો કે તેની વાત કુટુંબ માનશે. ખરેખર તો ઘરની સ્થિતિ એવી હોવી જોઈએ કે દીકરી સંકોચ વગર માને કે બાપને બધું કહી શકે, પણ ઘણાં ઘરોમાં એવું વાતાવરણ હોતું નથી.

ધારો કે બાળકી છેડતીની વાત માને કરે છે. મા સમજદાર હશે તો દીકરીને વહાલથી પાસે બેસાડીને તેની બધી વાત સાંભળશે ને ઘરનાં વડીલોને કાને વાત નાખશે. વડીલો ન્યાય મેળવવાની ઈચ્છા રાખતા હશે તો પોલીસ ફરિયાદ કરશે ને ગુનેગારને પકડશે, પણ આવું ઓછું જ બનતું હોય છે. છેડતીની કે બળાત્કારની ઘટના જે કુટુંબની બાળકી કે સ્ત્રી સાથે બને છે એ કુટુંબ આ વાતે એટલું સંકોચાઈ જાય છે કે તે કોઈ વાત ઘરની બહાર ન પહોંચે એ માટેની સખત તાકીદ ઘરનાં સભ્યોને કરે છે. ઘરની આબરુ જાય ને બહાર ચોળાચોળ થાય એ કુટુંબ નથી ઇચ્છતું. ઘીના ઠામમાં ઘી પડી રહે એવું કુટુંબ માનતું હોય છે. આનું પરિણામ એ આવે છે કે ગુનેગારને મોકળાશ મળી જાય છે. આમ તો ગુનેગારે પીડિતાને વાત કોઈને ન કહેવાની તાકીદ કરી જ હોય છે એટલે પણ પીડિતા ભયભીત હોય છે ને એ કોઈને વાત નથી કરતી. ન પીડિતા  કોઈને કહે છે, ન કુટુંબ મગનું નામ મરી પાડે છે. આનો લાભ ગુનેગાર ઉઠાવે છે. ફરિયાદ નથી થઈ એ વાત ગુનેગાર જાણે છે એટલે તે પીડિતાનો વધુ લાભ ઉઠાવે છે. એક વાર બન્યું તેની વાત પીડિતાએ કોઈને કરી નથી એટલે બીજી વાર પણ તે કોઈને નહિ કહે એની ખાતરી ગુનેગારને થઈ જાય છે ને એ વારંવાર શિકાર કરતો રહે છે. ઘરની આબરુ જવાની બીકે કુટુંબ ચૂપ રહે છે ને દીકરી કે વહુ બેઆબરુ થતી રહે છે.

ઘણીવાર તો આ રીતે બેઆબરુ કરનાર બહારની નહીં, પણ ઘરની જ વ્યક્તિ હોય છે. કુટુંબની દીકરી, વહુ ઘરનાં જ માણસથી પીંખાય એ તો વધારે શરમજનક છે. એટલે વાત બહાર પણ કોને કરવાની? કારણ ગુનેગાર બહારનો નથી, ઘરનો જ છે. અહીં પણ વેઠી લેવાની વાત જ કેન્દ્રમાં રહે છે. આ સ્થિતિ ગુનેગારને મોકળું મેદાન પૂરું પાડે છે. ઘરની આબરુ જવાની બીકે કુટુંબ મોઢે તાળાં મારી લે છે. એ ખરું કે લોકો વાતો કરશે એ ડરે કુટુંબ ચૂપ રહે છે, પણ આ ચૂપકીદી ગુનેગારને ઉત્તેજન આપે છે એનો વિચાર નહીં કરવાનો? આબરુ જવાની બીકે બેઆબરુ થતાં રહેવામાં ડહાપણ છે? ને આ આબરુ શું છે? જેનાથી આબરુ, આબરુ કહીને બચતાં રહીએ છીએ એ શું છે? એ પ્રતિષ્ઠા છે કે ભય? ઘરની કોઈ વ્યક્તિનું કોઈ સિદ્ધિ બદલ સન્માન થાય ને એની વાતો ચર્ચાય તો ઘરની આબરુ વધે છે. એનો આનંદ થાય છે. એની વાતો બહાર જેટલી ચર્ચાય છે તેટલો આનંદ વધે છે ને કુટુંબ ઈચ્છે છે કે એવી વાતો વધુને વધુ બહાર ચર્ચાય. અહીં જાહેરમાં થતી ચર્ચા આનંદ, આબરુ વધારે છે, પણ છેડતી, બળાત્કારની વાતો આબરુ ઘટાડે છે. તેનાથી પીડા થાય છે એટલે કુટુંબ ઈચ્છે છે કે ઘરની વાત ઘરમાં જ રહે. આ વલણ સહજ ગણાવું જોઈએ, પણ જે વેઠે છે અને ફરિયાદ ન થવાને કારણે વધારેને વધારે વેઠે છે. એનો વિચાર કરવાનો કે કેમ? ઘરની ચૂપકીદી ગુનેગારની હિંમત વધારે છે ને તે બીજા વધુ ગુના કરવા પ્રેરાય છે એનો વિચાર માત્ર એટલે નહીં કરવાનો, કારણ આબરુ જાય એમ છે? આ બરાબર છે? એનો અર્થ એવો પણ નહીં જ કે ઘરે બેશરમ થઈને રસ્તે ઊતરી પડવાનું, પણ, જે ગુનો થયો છે ને ઘરની ચૂપકીદી વધુ ગુનાની તક પૂરી પાડે છે એ વિષે શાંત અને સ્વસ્થ વિરોધ ન કરવો કે તે અંગે કાનૂની સલાહ ન લેવી એ પણ બરાબર નથી.

– ને એવું પણ ક્યાં છે કે પોલીસ પણ ફરિયાદ લેવા તૈયાર જ બેઠી છે? ઘણીવાર તો પોલીસ ફરિયાદ લેવા જ રાજી નથી હોતી, છતાં કોઈ ફરિયાદ નોંધાવે છે તો તે પહેલાં તો ફરિયાદીને એમ જ ખંખેરીને કાઢી મૂકે છે. પોલીસ જો ઠીકઠાક હશે તો આબરુ જવાનો ભય બતાવીને કુટુંબ પોતે જ ફરિયાદ કરવાનું ટાળે એ સ્થિતિ ઊભી કરશે. બહુ ઓછા કિસ્સાઓમાં પોલીસ આગળની કાર્યવાહી માટે તૈયાર થાય છે. જો ફરિયાદી સ્ત્રી એકલી જ પોલીસ ચોકીએ ગઈ હોય તો પોલીસ તેની સાથે દુષ્કર્મ કરવા સુધી પણ ગઈ હોય એવા કિસ્સાઓ પણ મીડિયામાં આવ્યા છે. આ સઘળું બને છે તે કેવળ આબરુ જવાની બીકે. ગુનેગાર, કુટુંબ અને પોલીસ જાણતી હોય છે કે બધાંને આબરુ જવાનો ભય છે એટલે વાત ઢાંકપિછોડા પર આવીને અટકી જાય છે. ફરિયાદ લેવાય પછી પણ ગુનેગારને સજા થાય જ એવું નક્કી નથી. કોર્ટમાં પણ ન્યાય મળે જ એવું દરેક વખતે બનતું નથી. વકીલોને પૈસા ખવડાવીને ઇચ્છિત ન્યાય સૌ કોઈ મેળવી લેતા હોય છે ને ગુનેગાર પુરાવાને અભાવે છૂટી પણ જતો હોય છે. આ બધું જાણતાં કુટુંબો ફરિયાદ કરવાથી દૂર રહે છે. દરેક વખતે આમ જ થાય છે એવું નથી, ઘણીવાર ગુનેગારને સજા થાય પણ છે, પણ આ બધા વિષે ખાતરીથી કૈં કહી શકાય એવું નથી. છતાં એનો ઈલાજ ચૂપ રહેવામાં જ છે એવું નથી. થોડાં કુટુંબો થોડી હિંમત દાખવીને ગુનેગારને ઉઘાડો પાડવા આગળ આવે તો ગુનાનું પ્રમાણ ઘટે એમ બને. આ કહેવું સહેલું છે, પણ વર્તવાનું અઘરું છે એ ખરું, પણ કોઈકે તો, આજે નહીં તો કાલે આગળ આવવું પડશેને? એમ નહીં થાય તો ગુનેગારને બચાવવા જેવું જ થશે. આ થવા દેવા જેવું છે?

0

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, “ગુજરાત ટુડે”, 17 જુલાઈ 2022

Loading

‘કુસુમાખ્યાન’ : પત્ની પ્રત્યે આભાર તેમ જ અપરાધભાવની વિરલ, વિસ્તૃત અભિવ્યક્તિ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Literature|18 July 2022

કુસુમાખ્યાન, પ્રકાશક : ‘રંગદ્વાર’, જી-15, યુનિવર્સિટી પ્લાઝા, દાદાસાહેબનાં પગલાં પાસે, નવરંગપુરા, અમદાવાદ, ફોન : 079-27913344, કિંમત રૂ.100/-

'કુસુમાખ્યાન' નામનાં નાનાં પુસ્તકમાં જાણીતા હાસ્યલેખક, અધ્યાપક અને વિવેચક મધુસૂદન પારેખે તેમનાં દિવંગત પત્ની કુસુમબહેનનું ટૂંકું ચરિત્ર આલેખ્યું છે. તેમાં તેમનાં ‘પાંસઠ વર્ષના પ્રસન્ન દામ્પત્યની યાત્રા’ પણ આવી જાય છે.

મધુસૂદનભાઈએ ગુરુવાર 14 જુલાઈએ 100માં વર્ષમાં પ્રવેશ કર્યો.

તેમનાં જીવનસંગિનીનું સાત વર્ષ પહેલાં એટલે કે ફેબ્રુઆરી 2015માં અવસાન થયું. મધુસૂદનભાઈએ 2017માં પોતાની ચોરાણું વર્ષની ઉંમરે, પુરુષોએ ખાસ વાંચવા જેવું ‘કુસુમાખ્યાન’ લખ્યું. તેમણે નોંધ્યું છે : 'મેં સદ્દગત કુસુમનું ચરિત્ર આરંભે ભીની આંખે લખવા માંડ્યું; પણ પછી હું જાણે એમાં એ જીવન ફરી જીવતો હોવાનો મને અનુભવ થયો.’

'કુસુમાખ્યાન' ગુજરાતી સાહિત્યમાં અને સમાજમાં વિરલ પુસ્તક છે. તેમાં મધુસૂદનભાઈ પત્ની  કુસુમબહેન તરફ  આભાર અને અપરાધનો ભાવ વારંવાર  વ્યક્ત કરે  છે. આવું આપણે ત્યાં જાહેરમાં તો જવા દો, અંગત રીતે પણ જોવા મળતું નથી, અને આ બાબત સામાન્ય લોકો અને જાણીતી વ્યક્તિઓ બંનેને લાગુ પડે છે.

એટલે 'કુસુમાખ્યાન'ને એક ભારતીય પુરુષે કોઈ પણ દંભ વિના, અનૌપચારિક અને અનલંકૃત રીતે, સાચકલાઈના સતત રણકા સાથે વારંવાર, વિગતવાર પોતાની પત્ની પ્રત્યે વ્યક્ત કરેલા આભાર અને અપરાધાભાવની મનભર અભિવ્યક્તિ તરીકે વાંચવું જોઈએ.

અનેક સન્માન – પુરસ્કાર મેળવી ચૂકેલાં મધુસૂદન પારેખ લખે છે :  'હું કુસુમને જ બધો યશ સાચી રીતે આપું. એની છાયામાં જ હું ધીમે ધીમે વિકસ્યો, સમાજમાં પ્રતિષ્ઠા પામ્યો. સમાજનો વિશાળ વર્ગ મને  ‘હું, શાણી અને શકરાભાઈ'ના લેખક તરીકે નવાજતો થયો. અરે, કુસુમને પણ  કેટલાકે 'શાણી' નામથી નવાજી !’

આ કટાર પરથી થયેલાં પુસ્તક માટેનો શ્રેય પણ કુસમબહેનને જ જાય છે. કેમ કે, પુસ્તક કરવાનું સૂચન કુબા(પુસ્તકમાં અનેક વખતે વપરાયેલું હુલામણું નામ)નું, અને તેના માટે છાપાંનાં લેખોનાં કતરણો પણ એમણે જ સાચવી રાખેલાં. મધુસૂદનભાઈ (ઘણાં માટે મધુકાકા) આગળ લખે છે : ‘મેં હાસ્યરસના એકાંકીના સંગ્રહને ‘નાટ્યકુસુમો’ નામ આપીને કુસુમનાં કાર્યને એક અંજલિ આપી.’

1961માં વ્યક્ત થયેલી આ લાગણીની પરાકાષ્ટા પંચાવન વર્ષ બાદ ‘કુસુમાખ્યાન’ને અંતે આ શબ્દોમાં મળે  છે : 'રોજેરોજ હું કુબાની છબિ પાસે ઊભો રહી પ્રાર્થના કરું છું કે ‘કુબા! તમે અંબામાના દિવ્ય અંશ છો. મારી ભૂલો માફ કરીને મને તમારી પાસે રાખો.’ કુબા પુણ્યશાળી હતાં. એમનું ઋણ હું કેમ ચૂકવી શકું ? હું માત્ર તેમને ભાવભરી અંજલિ આપી અહીં વિરમું છું.'

લેખક કુબાના સમર્પણનો જુદા જુદા પ્રસંગે / સંદર્ભે તે એકથી વધુ વખત કૃતજ્ઞતાથી ઉલ્લેખ કરે છે : ‘એણે જાણે એનું જીવન મને જ સમર્પી દીધું હતું. એનામાં સમર્પણ ભાવ હતો જ.’ તેઓ અન્યત્ર લખે છે : ‘એનામાં પ્રેમથી છલોછલ સમર્પણ ભાવના હતી. એની આ સમર્પણ વૃત્તિ સંસારના પ્રત્યેક વ્યવહારમાં હું અનુભવતો.’

કુબાની ન્યોછાવરીની ખૂબ હૃદયસ્પર્શી સ્વીકૃતિ સ્વાસ્થ્યના સંદર્ભે છે. લેખકને શ્વાસની તકલીફ, બીજી બાજુ વાનગીઓનો શોખ. છતાં એમને ભાગ્યે જ કોઈ રોગ થયો જ્યારે કુસુમબહેનમાં અનેક વ્યાધિ ઘર કરી ગયા. એટલે મધુભાઈ લખે છે : 'હું ક્યારેક મજાક કરતો કે કુબાએ મારા બધા રોગ પોતાનામાં  ટ્રાન્સફર કરી દીધા છે. જો કે હું ચોક્કસ માનું છું કે મારાં તમામ દુ:ખો એમણે ભોગવવાનાં હોય તો એ નિ:સંકોચ ભોગવે. મારા માટે એ સતીરૂપ હતાં.' મધુકાકા એમ પણ લખે છે : ‘એમણે મારી મર્યાદાઓની ક્યારે ય ટકોર સુધ્ધા કરી નથી. આર્ય નારીની જેમ એમણે મને હૃદયથી સ્વીકારી લીધો હતો.’  રઘુવંશનો અજ રાજા કહે  છે : ‘અપરાધી સદા હું , તો ય જો મુજ પે તું  ન અભાવ લાવતી …’

પત્નીના ઋણના સ્વીકારની જેમ આપણા સમાજમાં પત્ની પ્રત્યે ભાગ્યે જ વ્યક્ત થતી બીજી લાગણી છે તે અપરાધભાવની. તેની પહેલી નોંધ તો દામ્પત્ય જીવનના આરંભના વર્ણનમાં જ મળે છે. શિક્ષકના કામમાં દિલોદિમાગથી પરોવાયેલા મધુભાઈ લખે છે : '… મને એના  આશાતુર મનને પારખવાની સૂઝ  પણ એ ગાળામાં નહિ. પતિ  તરીકે મારી પત્ની તરફની ફરજો નિશાળના મોહમાં મારાથી વિસરાઈ ગઈ  હતી.’

સંયુક્ત કુટુંબ અને ઘરના નાનામોટા મનદુ:ખ અંગે તેઓ લખે છે : ‘અમારા પરિવારમાં કોઈના ય પ્રગતિશીલ વિચારો નહીં … વહુઓ વિશે ઊંચા ખયાલ ઘરમાં કોઈને નહીં … કુસુમનું સ્વમાન કેટલીક વાર હણાય. કુસુમ મને સુધ્ધા એ વિશે વાત  કર્યા વિના મૂંગે મોઢે એ અપમાનો સહન  કરી  લે .. એ તો બધી માનસિક  યાતનાઓ  વેઠનારી મારી મૂંગી પત્ની  હતી.’

મધુભાઈએ અલગ રહેવા માંડ્યું, એ વખતે તેઓ લખે  છે : ‘… એના પ્રત્યે મારો રાગ વધતો જતો હતો. અગાઉની મારાથી થયેલી એની ઉપેક્ષા હું ભૂલી ગયો હતો.’ પોતાના ઘરકૂકડા સ્વભાવનો ઉલ્લેખ કરીને લેખક નોંધે છે : 'કુસુમને ફરવાનો, પ્રવાસનો બહુ શોખ. એની ઇચ્છા મૂરઝાઈ જતી એણે કદી એ બાબતે બળાપો કે ક્લેશ કર્યો નથી. મનની કેટલીક ઈચ્છાઓ સુષુપ્ત જ રહી હશે. આજે આ લખતી વેળા મને એની સહિષ્ણુતા અને પતિ તરીકે મારી એની ઇચ્છાઓ પ્રત્યેની બેદરકારી માટે ખેદ થાય છે.’ સુંદરજી બેટાઈએ 1958માં અવસાન પામેલાં પત્નીને યાદ કરીને લખેલી સુંદર છાંદસ દીર્ઘ કરુણપ્રશસ્તિ ‘સદ્દગત ચન્દ્રશીલાને’ યાદ આવે : ‘કૂણાં કોડ હશે તારા છેડાયા જ અજાણતા / અનપ્રેક્ષ્યાં કદી હુંથી ઉપેક્ષાતીર પામતાં’.

મધુકાકાએ એક વખત કુબાને પૂછ્યું : ‘તમે બીજા જન્મમાં પતિ તરીકે મને સ્વીકારો ?’ જેનો જવાબ મૌનમાં મળ્યો. એટલે પતિનો ચિત્તસંવાદ ચાલ્યો : ‘તેં  એમના માટે એમને માટે સમગ્ર જીવન દરમિયાન એમને ગમે એવું કશું કર્યું છે ખરું ? એમના ઘવાતા સ્વમાન વખતે તું એમની પડખે ઊભો રહ્યો છું ?એમના બચાવ પક્ષે તે કશી કામગીરી કરી છે ? લગ્નના બંને પ્રસંગે (દીકરા અને દીકરીએ કુબાની ઇચ્છા વિરુદ્ધ અન્ય જ્ઞાતિના જીવનસાથી પસંદ કર્યાં હતાં) તેં વ્યક્તિસ્વાતંત્ર્યનો દંભ કરીને કુબાની ભાવનાને ઠેસ મારી છે. તું નીતિની વાતો કરીને તારી ભીરુતા છૂપાવતો રહ્યો. હા, પતિ તરીકે તેં એમના જીવનમાં થોડો ફાળો આપ્યો. પ્રવાસો કરાવ્યા પણ એમની ધરબાઈ રહેલી આકાંક્ષાઓ વિશે તેં જાણવાની ઇચ્છા કરી? એમના આંતરમનને સમજવા તેં પ્રયત્ન કર્યો ?’

આવા અપરાધભાવ અને ઓશિંગણભાવની મનભર અભિવ્યક્તિ તરીકે ‘કુસુમાખ્યાન’ને વાંચતાં લેખકના મનની વાત અને તેમનું દામ્પત્ય જીવન વધુ આહ્લાદક રીતે ઉજાગર થાય છે. પત્નીના ગુણો માટે આ ‘મુગ્ધ પતિ’ને અનુરાગ છે : ‘અમે એમના બહુમુખી અને પ્રેમાળ વ્યક્તિત્વ પ્રત્યે એટલો આદર થતો કે હું એમને વંદન પણ કરી લેતો.’

જો કે ભક્તિ સુધી પહોંચનારા આદર સાથે મધુકાકાનું મન બીજી અનેક લાગણીઓથી છલોછલ છે. કુબાની શ્રેષ્ઠતા એમણે સ્વીકારી છે : ‘મારાથી એ મૂઠી ઊંચેરા નહિ, ખાસ્સી ઊંચાઈ ધરાવતાં હતાં. એમનાં વ્યક્તિત્વ આગળ હું ઝાંખો હતો.’

લગ્ન, સંયુક્ત પરિવારમાં પતિપત્નીનો શરૂઆતનો ગાળો, કારર્કિર્દીનો તબક્કો, નોકરી, મિલકત અને પૈસાના વ્યવહાર, બાળકોના ઉછેર ઇત્યાદિનાં વાચનીય સંસારચિત્રો લેખક આપે છે છે; અને તેમાંથી લગભગ દરેકમાં કુબાની કાર્યકુશળતાને તેમણે કેન્દ્રમાં રાખી છે. અનેક બાબતો અંગે વાંચવા મળે છે : કુસુમબહેને કરકસરથી પતિના અજાણતા કરેલી બચતને કારણે થઈ શકેલી એક મોંઘી તિજોરીની ખરીદી, મકાન માટે તેમના પલ્લાનું કરેલું વેચાણ, છેક 1950ના દાયકાથી શેરોની બાબતે જાણકારી અને બૅન્કના કામકાજની સજ્જતા, રોજેરોજના હિસાબ, લેખકને ભાવતાં ફરસાણ સાથેની રસોઈ, તેમની બાની આખર સુધી સારસંભાળ, પતિની વિદ્યાર્થિનીઓ માટેનો સ્નેહ, એક દલિત વિદ્યાર્થિની માટેનો સમભાવ જેવી કેટલી ય વાતો અહીં લાઘવથી રસપ્રદ રીતે આલેખાઈ છે.

પુસ્તકના શરૂઆતના પાંચ પાનાંમાં મધુસૂદનભાઈને પત્નીના મૃત્યુ પછીના પોતાની વિદીર્ણ મનોદશાનું વર્ણન કર્યું છે. વળી, તેમણે શબ્દફેરે એકાધિક વખત તેમની જિંદગીનાં કુસમબહેન પરના પૂરેપૂરાં અવલંબનનો અને કુસુમબહેન વિના જીવવું અકલ્પનીય હોવાનું પણ  જણાવ્યું છે.

પુસ્તકમાં વિશિષ્ટ છે તે કુસુમબહેનની પ્રબુદ્ધતાનાં વિવિધ પાસાં. કુબાને કિશોરવયથી જ લાગેલા વાચનશોખને કારણે છાપાંની પૂર્તીઓ, સામયિકો અને પુસ્તકોમાંથી તેમને ખૂબ આનંદ મળતો. છાપાંની પૂર્તિમાં શબ્દોનાં ચોકઠાં ભરવાના ‘અપ્રતિમ શોખ’ને કારણે તેમનું શબ્દભંડોળ માતબર થયું હતું.

સહુથી રોચક છે તે કુસુમબહેનના ભણતરનું નિરૂપણ અને પતિ-પત્નીની તેમાં જોવા મળતી સંવાદિતા. કુબાનાં દેરાણી હંસાબા બી.એ. અને  શાળામાં શિક્ષક. પરિવારમાં તેમનાં ભણતર અને નોકરીનો મોભો સચવાતો. મધુકાકાએ કુબાને એક વખત વાતવાતમાં પૂછ્યું : ‘તને  મેટ્રિકમાં પ્રથમ વર્ગ મળ્યો છે. તું કૉલેજમાં આગળ અભ્યાસ કરે તો કેવું?’ આ સવાલથી કુબાના ‘મુખ પર આશ્ચર્યની સાથે પ્રસન્નતા ઝળકી ઊઠી.’

એ પછી ‘જાન્મજાત શિક્ષક’ પતિએ પત્નીને ગુજરાતી સાહિત્ય શીખવવાની શરૂઆત કરી. લેખક વિદ્યાબહેન અને રમણભાઈ નીલકંઠને સંભારે છે.પછી લખે છે : ‘શિક્ષણ  દરમિયાન એના મુખ પર પ્રસન્નતાનો જે અપૂર્વ પ્રકાશ પ્રગટતો તે મારામાં ખુશીની લહેરો પ્રગટાવતો હતો … અમારાં બંનેના હૃદયના તંતુ દૃઢપણે ગૂંથાતા ગયા.’ પરીક્ષાના દિવસોમાં ઘરેથી ઘોડાગાડીમાં કોલેજ જતી વખતે મધુકાકા કુબા પાસે અગત્યના સવાલોનું પુનરાવર્તન કરાવી દેતા. બાળકોનાં ઉછેર અને ઘરની તમામ જવાબદારીઓની વચ્ચે કુબા બી.એ. થયાં. લેખક કહે છે : ‘મારી ધન્યતાનો પાર ન હતો. હું પત્નીનો શિક્ષક બન્યો. એની ઉચ્ચ શિક્ષણ પામવાની અભિલાષા પોષવામાં અને એને કૃતાર્થ કરવામાં કામયાબ નીવડ્યો તેનો તો મને આનંદ હતો જ. પણ એના મુખ પર જે પરમ સંતોષ ઝળકવા માંડ્યો તે મારા માટે અવર્ણનીય હતો. હું ક્રમશ: કુસુમમય બનતો જતો હતો. એ પોતે મારા પર ઓળઘોળ હતી જ … અમારું દામ્પત્ય પરસ્પરના નિર્વ્યાજ સ્નેહથી વિભૂષિત થવા માંડ્યું.’

કુબા એમ.એ. કરતાં હતાં.મધુકાકા યાદ કરે છે :‘મારે ‘સરસ્વતીચન્દ્ર’ ભણાવવાનો હતો. હું વર્ગમાં સંખ્યાબંધ વિદ્યાર્થીઓની સામે વ્યાખ્યાન આપતો હોઉં અને સામે આગળની પાટલી પર બીજી વિદ્યાર્થિનીઓ સાથે કુસુમબહેન બિરાજ્યાં હોય. અમારાં બંનેને માટે એ અવર્ણનીય આનંદનો પ્રસંગ હતો. કુસુમ માટે જિંદગીનો અકથ્ય કે અકલ્પ્ય અનુભવ હતો. વિશાળ વર્ગમાં વિદ્યાર્થીઓ સાથે પતિનું વ્યાખ્યાન સાંભળવાનું હોય એનો અપૂર્વ ગૌરવ-આનંદ કેવો હોય!’

મૂળભૂત રીતે તેજસ્વી કુસુમબહેનની આંતરસમૃદ્ધિ વધતી ગઈ. ‘ગુજરાત સમાચાર’ની બાળકો માટેની ‘ઝગમગ’ પૂર્તિમાં તેઓ ઘણાં સમય સુધી અંગ્રેજી વાર્તાઓના અનુવાદ આપતાં રહ્યાં. મધુભાઈનાં પુસ્તકો કરવામાં તો તેમનો ફાળો હતો જ. પણ હવે પતિ જેના તંત્રી હતા તે ‘બુદ્ધિપ્રકાશ’ માસિકના પ્રૂફ જોવાનું કામ પણ એમણે સંભાળી લીધું. પછીનાં વર્ષોમાં ‘બુદ્ધિપ્રકાશ’ની વાર્ષિક સૂચિનું કામ તેમણે સ્વીકાર્યું તે આખર સુધી ચાલુ રાખ્યું. ‘રઘુવંશ’ના અજ-વિલાપનો જાણીતો શ્લોક યાદ આવે : गृहिणी सचिव: सखी  मिथ: / प्रियशिष्या ललिते कला विधौ.

આવી પતિપરાયણતાની સાથે ‘કુબાના મનમાં સમાજમાં સ્ત્રીપુરુષ સમાનતા માટે પ્રબળ ખ્યાલ હતો … સ્ત્રીઓની સંસ્થામાં એમને કશુંક કરવાની પણ ઇચ્છા કેટલીક વાર  થઈ આવતી.’

એમણે એક વાર મધુકાકાને ‘વેધક અને સમજની કસોટી કરે તેવો સવાલ’ કર્યો હતો : ‘એક જન્મે કોઈ સ્ત્રી બને એટલે પછી દરેક જન્મે એને સ્ત્રીનો જ અવતાર મળ્યા કરે એને પુરુષનો અવતાર મળે જ નહીં?’ આ સવાલ નોંધીને  મધુકાકા ટિપ્પણી કરે છે : ‘આ શબ્દો પાછળ મર્મ હતો. સ્ત્રીનો જન્મ હોવાને કારણે એના કેટલા ય મનોરથ સુષુપ્ત જ રહ્યા. એનો એને રંજ હશે. પુરુષ થઈને એ સ્વતંત્ર વ્યક્તિત્વ માંગતી હતી  એવું મને સમજાયું.’

ગુજરાતીમાં પતિએ પત્નીનું લખેલું પહેલું ચરિત્ર ‘પાર્વતીકુંવર આખ્યાન’ 1881માં લખાયું છે. તેના લેખક મહિપતરામ રૂપરામ (1829-1891) ગુજરાતના સુધારાયુગના અગ્રણી કેળવણીકાર, સાહિત્યકાર, સમાજચિંતક અને જાહેર જીવનના કાર્યકર હતા. આ પૂર્ણ પત્નીકેન્દ્રી અને પ્રગતિશીલ જીવનચરિત્રમાં લેખક ‘પત્નીવ્રત’ શબ્દ પ્રયોજે છે.

તેના પછી ગાંધીજી આત્મકથામાં 1927માં  ‘ધણીપણું’ નામનું અઢી પાનાનું પ્રકરણ લખે છે. પછી છેક  2017માં ‘કુસુમાખ્યાન’ આવે છે.

આ ત્રણ લખાણો પછીનાં વર્ષોમાં ‘પત્નીવ્રત’ અપનાવનાર કે ‘ધણીપણા’ને દૂર રાખનાર પતિ આપણા સમાજમાં અને તેની અભિવ્યક્તિ આપણી ભાષામાં આવી છે કેમ તે સમાજશાસ્ત્ર અને  સાહિત્ય બંને માટે સંશોધન ઉપરાંત ચિંતનનો વિષય  છે.

મધુકાકાના નજીકના મિત્ર, તેમની સાથે ‘બુદ્ધિપ્રકાશ’ના એક સમયના સહતંત્રી અને વરિષ્ઠ અર્થશાસ્ત્રી રમેશ બી. શાહ પુસ્તકના ચોથા આવરણ પરની નોંધને અંતે લખે છે : ‘ગૃહિણીની મૂક ગૃહસેવાની નોંધ લઈને ભાગ્યે જ એની જાહેરમાં કદર કરવામાં આવે  છે. કુસુમાખ્યાન કરીને મધુભાઈએ ગૃહસ્થોને એક દિશા ચીંધી છે.’

આ દિશામાં ડગ માંડતાં આપણા સદ્દગૃહસ્થોને કેટલો સમય  લાગે છે તે જોવાનું રહે …

(1700 શબ્દો)

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કોરાંભીનાં સ્મરણો (૨)

સુમન શાહ|Opinion - Opinion|18 July 2022

મને કપડાંનો, વસ્ત્રોનો, પ્હૅરવેશનો બહુ શોખ. હતો, હવે ખાસ રહ્યો નથી. પણ એ માટે ગમે એટલા પૈસા ખરચી જાણું. વાયદા પર વાયદા કર્યે જતો નરોતમ દરજી યાદ આવે છે. તો પણ, મારા ડભોઇમાં રેડીમેડ ગારમૅન્ટની દુકાન ખૂલી એ મને નહીં ગમેલું.

ત્યારે નાનપણમાં તો શર્ટને હાફપૅન્ટ પર ઝૂલતું છોડી દેવાનું. મોટપણે પૅન્ટ શરૂ થયા, એટલે ઇનસર્ટ શરૂ થયું અને એટલે બેલ્ટ બાંધવાનું પણ થયું. એ શર્ટ ત્રણેક બટનનું હોય, માથું ઘાલીને પ્હૅરવાનું. પછી અમેરિકન સ્ટાઇલનાં શર્ટ આવ્યાં – બે પડખાં સળંગ ખૂલે ને બંધ થાય, છ બટન હોય. આજે એ જ ચાલે છે. મને હાફ-સ્લીવ શર્ટ ન્હૉતાં ગમતાં, ફુલ્લ-સ્લીવ સિવડાવતો ને કફ-લિન્ક પણ લગાવતો. ભાષા-સાહિત્ય ભવનમાં જોડાયા પછી ટાઇ પ્હૅરવાનું છોડી દીધું કેમ કે એવું થાય કે આ બધા વિદ્વાનો ‘સારસ્વત’ લાગે ને એમની વચ્ચે હું કેવો લાગું ! એટલે ટાઇપિનો પણ ગઈ ને કફલિન્કો પણ ગઈ. હશે ઘરમાં કોઇ કબાટના ખૂણે ચૂપચાપ સૂતેલી ને નીરવે બબડતી. 

સ્મરણોનું પણ એવું જ છે, મગજના ખૂણે ખૂણે પડી રહ્યાં હોય છે. કઈ ઘડીએ ઊંચાંનીચાં થઈ કેવીક સહજતાથી બેઠાં થઈ જાય છે, નથી સમજાતું. “યુલિસિસ”-ના સર્જક જેમ્સ જૉય્યસનું ‘સ્ટ્રીમ ઑફ કૉન્સ્યસનેસ’ ક્ષણભર મને કૃત્રિમ લાગે. મને ‘મૅમરીલેન’ શબ્દ પણ નથી ગમતો, કેમ કે એમાં તો કલ્પના દાખલ થઈ જાય છે. અને હું કંઈ એ શેરીની લટારે નથી નીકળ્યો હોતો. હું તો ભૂલા પડેલા બાળકની જેમ સ-જીવ અને સાચ્ચાં સ્મરણોને ગોતતો ફરું છું. કોઇ વાર એ પણ પાલતુ પશુની જેમ સાંજે સાંજે પાછાં ફરે છે.

જૂનની ૧૫-મીએ કૉલેજમાં / ડિપાર્ટમૅન્ટમાં નવું સત્ર શરૂ થાય. મારો નિયમ કે તે દિવસે નવાં જ શર્ટ-પૅન્ટ જોઈએ. પૅન્ટનું કાપડ હું આજે પણ ‘રૅમણ્ડ’-નું જ ખરીદું છું. વડોદરામાં લ્હૅરીપુરા પાસે ‘રૅમણ્ડ’-ના એક રીટેઇલરની શૉપ. એની પાસે એક એવું સાધન કે કાપડ પર મૂકે એટલે સૂટ કેવો લાગશે તે નાની સાઈઝમાં જોઈ શકાય. મજા પડતી. અને હા, શૂઝ પણ નવા જ જોઇએ. એ જ વડોદરામાં દાંડિયાબજારમાં એક મોચી મૉંઘો પણ રીયલ લેધરના શૂઝ બનાવી આપે. એની પાસે હું ‘ઑક્સફર્ડ’ સ્ટાઇલના બનાવરાવતો. લાંબો વાયદો કરે પણ તે દિવસે શૂઝ મળે જ મળે. મેં રૂપિયા ૪૦ ખરચ્યા હોય પણ ઘરે કહું કે ૨૦-ના આવ્યા. આજે ૫૫-૫૭ વર્ષ પછી એવા જ શૂઝ અમેરિકામાં મને ૬૦ ડૉલરમાં, રૂપિયામાં ગણું તો લગભગ ૪૮૦૦-માં, તૈયાર મળે છે. એ દુકાન હજી હશે એમ ધારું છું.

મને રેડીમેડ શર્ટ થઈ રહે છે, બને ત્યાં લગી બ્રાન્ડેડ જ લઉં. રેડીમેડ પૅન્ટ નથી થતા, એટલે સિવરાવું છું. પણ આ કોરોનાકાળમાં અમદાવાદના મારા ટેલરની દુકાન ‘સ્ટાઇલો’ ઊઠી ગઇ. એ દુ:ખ સાથે મારે હવે નવો ટેલર શોધવાનો છે.

ત્યારે વડોદરામાં ‘કોઠી’ પાસે એક મૉંઘામાં મૉંઘો ટેલર; દુકાનનું નામ, ‘મૉડર્ન ટેલર્સ’. પોતે લન્ડનમાં ભણી આવ્યો છે એવું એણે સર્ટિફિકેટ લટકાવેલું. એ એટલો ‘મૉડર્ન’ તો ખરો જ. હું એની પાસે શર્ટ બનાવરાવતો. કૉલરને સ્ટેબિલાઈઝ્ડ કેવી રીતે કરાય છે તે બતાવે, પણ એ વિશેષતાના આઠ આના વધારે લે. હમણાં, બે-ત્રણ માસ પહેલાં, ત્યાંથી પસાર થવાનું બન્યું તે બહુ ગમેલું.

દરેક મૉડર્નિસ્ટને વેઠવું તો પડે જ, કાં તો પરમ્પરાગતોથી અથવા નવ્ય આગંતુકોથી. એ કોઠીવાળાને હંફાવવા મંગળબજારમાં ‘ન્યૂ મૉડર્ન ટેલર્સ’ ખૂલ્યું. એનો માલિક મગનભાઈ પેલા જેવો ઠાંસુ નહીં, તે મને ફાવી ગયેલું. બધાં કપડાં એને ત્યાં જ બનાવરાવતો, સૂટ પણ, અરે, મગનભાઈ ‘ન્યૂ’ મૉડર્ન અથવા ‘પોસ્ટ’ મૉડર્ન તે એ જ કાપડમાંથી ટાઈ પણ બનાવી આપતો ! એક હજી છે મારી પાસે. મારે મગનભાઈને મળવું છે, પણ એ હશે ખરો?

વસ્ત્ર સભ્યતાનું પ્રતીક છે. પણ નગ્નતા શું છે? મનુષ્ય સિવાયનાં પ્રાણીઓ વસ્ત્ર નથી પ્હૅરતાં, તેમ છતાં, નાગાં નથી લાગતાં. માણસ તો છતે વસ્ત્રે નાગો લાગી શકે છે. વસ્ત્ર દમ્ભ નથી તો શું છે? અમેરિકામાં વિન્ટરમાં પોતાના ડોગીને એની માકલણ બંડી પ્હૅરાવે છે, ત્યારે એ મને ગમતું હોતું નથી કેમ કે કુદરતી કુરકુરિયું માણસનું બચ્ચું લાગતું હોય છે – નીચી મૂંડીએ બચારું જતું હોય.

નગ્નતા પ્રાકૃતિક છે. ૧૯૮૯ના અરસામાં હું અસમના ગામડાંઓમાં ફરતો હતો. ત્યારે મેં શ્રમજીવી સ્ત્રીઓને વિના બ્લાઉઝ જોયેલી, સાડીછેડો બાંધી રાખ્યો હોય. ખેતરમાં નિંદામણ કરતી હોય. અમારા ફળિયામાં સ્ત્રીઓ બ્લાઉઝ નીચે કશું પ્હૅરતી નહીં, સિત્તરેક વર્ષ પરની વાત, પ્રસંગે પ્હૅરે, પણ બ્રા નહીં, કેમ કે ત્યારે એ નવી નવાઈની ચીજ હતી. બા અને બીજી પડોશણો એ માટે મોહન દરજી પાસે ‘બૉડિસ’ સિવરાવી લેતી. કોઈ કોઈ પ્રૌઢો ધોતિયા પર ગંજીફરાકમાં ફરતા, પણ બીજા તો હમેશાં માત્ર ધોતિયામાં જ હોય, ઉપર કશું જ ન હોય, જનોઈ હોય તો મૅલી, કાળી. એ અર્ધનગ્નો આમ તો નિર્દોષ હતા, પણ પ્હૅરવેશને વિશેની એમની વિભાવના – કન્સેપ્ટ – કુણ્ઠિત હતી. એ બધા અત્યારે પણ દેખાય છે, અહીંતહીં ભમતા.

પશ્ચિમના અનેક દેશોમાં ‘સોશ્યલ ન્યુડિટી’ એક મૂલ્ય છે, એટલું જ નહીં, ઝુંબેશ ચાલે છે કે એને માનવઅધિકારનો દરજ્જો અપાય. નગ્નતા સામુદાયિક વર્તન રૂપે સૅટ થઈ છે. એકલા યુ.ઍસ.એ.માં ૪૮-થી ૫૦ એવાં સ્થળો છે, જ્યાં જઈને સ્ત્રીઓ ને પુરુષો નિર્વસ્ત્ર હરીફરી શકે છે. ન્યુડ બીચીસ પર કે પ્રાઇવેટ રીસોર્ટમાં વસ્ત્રહીન જીવી શકે છે. ત્યાં લોકો ન્યૂડ સ્વીમિન્ગ કરે છે, સનબાથ માટે કલાકોના કલાકો નાગાં પડ્યાં રહે છે. આશય રીક્રીએશનનો બતાવાય છે. શરત એટલી છે કે કોઈને કનડગત ન થવી જોઈએ. જો કે એવો કોઈ બાપડો એ નગ્નોની વચ્ચે કયા લાડવા લેવા જવાનો’તો?

સમજવાનું એ છે કે મારા ફળિયાવાળા અરધા નાગા ફરે અને યુ.ઍસ.એ.વાળા આખ્ખા ફરે એટલે એ વાત રિવાજ થઈ જાય અને ખાસ તો એ કે કોઈને એમાં કશું અજૂગતું તો લાગે જ નહીં ! બુદ્ધિસત્તાધીશોના સમૂહે ભેગા થઈને નક્કી કર્યું હોય કે આમ જીવવાનું ને આમ નહીં જીવવાનું, એટલે એને ‘સમાજ’ કહેવાય ! દરેક વ્યક્તિએ એને અનુસરવાનું. બુદ્ધિસત્તાધીશોના સમૂહે નક્કી કર્યું હોય કે આ નીતિ, આ સદાચાર, એટલે એને ‘સંસ્કૃતિ’ કહેવાય ! દરેક વ્યક્તિએ એને અનુસરવાનું. ન અનુસરે તે આઉટસાઈડર ગણાય અને પેલા એને ધિક્કારે. નથી લાગતું કે સમાજ અને વ્યક્તિ વચ્ચે મસમોટાં પોલાણો છે?

જરા ઓળખીએ એ પોલાણોને …

= = =

(July 18, 2022: USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,5331,5341,5351,536...1,5401,5501,560...

Search by

Opinion

  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved