એવું કોઈ છાપું નથી, એવી કોઈ સમાચારની ચેનલ નથી, જેમાં છેડતી, બળાત્કારની વાતો આવતી નહીં હોય. વારુ, એ તો એવી ઘટનાઓ છે જે મીડિયા સુધી પહોંચે છે, પણ એવી ઘટનાઓ ઓછી નથી, જે મીડિયા સુધી પહોંચતી જ નથી. મીડિયા સુધી વાતો પહોંચાડવામાં પણ લોકો બહુ રાજી નથી હોતા, પણ ઈલાજ જ નથી રહેતો ત્યારે વાત મીડિયા સુધી પહોંચે છે. કોઈ મીડિયા સુધી વાત પહોંચાડવા ઉત્સુક હોય એવું તો અપવાદ રૂપે જ બનતું હશે. કેમ એવું થાય છે કે કોઈ પોલીસ સુધી વાત પહોંચાડવા રાજી નથી થતું? બીજા કોઈ પણ ગુનામાં ગુનેગાર અપવાદરૂપે જ છાતી કાઢીને ફરતો હશે, પણ છેડતી, બળાત્કારના ગુનામાં ગુનેગાર બેશરમ થઈને ફરતો હોય તો નવાઈ નહીં. ગુનેગાર આટલો બેશરમ કોના જીવ પર થતો હોય છે? આ એવો ગુનો છે જેમાં પીડિતા વેઠે છે કે દબાઈ, ચંપાઈને શરમની જિંદગી જીવે છે ને ગુનેગાર છૂટો ફરતો હોય છે. બીજા ગુનામાં ગુનેગાર સંતાતો ફરતો હોય છે, જ્યારે છેડતી, બળાત્કારમાં પીડિતા સંતાતી ફરે છે અથવા તો તેને તેમ વર્તવાની ફરજ પાડવામાં આવે છે.
આમ થાય છે તે આબરુ જાળવવા માટે. આબરુ જવાની બીકે ઘણાં કુટુંબો ઘણું ઘણું વેઠે છે. છેડતી, બળાત્કારની ઘટનાઓ નાની બાળકીથી માંડીને 80 ઉપરની ડોશી સાથે પણ બનતી હોય છે. આ બધી જ સ્ત્રીઓ આબરુ જવાની બીકે ચૂપ રહે છે. સ્ત્રી ચૂપ ન પણ રહેવા માંગતી હોય, તો પણ તેનું કુટુંબ, વાત બહાર ન જાય એટલે ચૂપ રહે છે ને દીકરી-વહુને પણ ચૂપ રહેવાનું કહી દે છે. ધારો કે કોઈ બાળકીની છેડતી થાય છે. ઘણી વાર તો બાળકીને એ જ ખબર નથી પડતી કે તેની સાથે થઈ શું રહ્યું છે? કૈંક ખોટું થયાનું તેને લાગે છે, પણ તેનું નામ પાડતાં તેને મૂંઝવણ થાય છે. ઘણીવાર એવું બને છે કે બાળકીને પોતાને જ લાગે છે કે કોઈને કૈં નથી કહેવું ને એ કૈં ન કહેવાનું નક્કી કરે છે. તે મા કે બાપ, કોઈને કૈં કહેતી નથી. આમ થાય તો તેનો અર્થ એવો થાય કે બાળકીનું કુટુંબ એવું નથી કે દીકરી કશી પણ પૂર્વ તેયારી વિના સ્પષ્ટ વાત માને કે બાપને કરી શકે. બાળકીને એ ભરોસો નથી પડતો કે તેની વાત કુટુંબ માનશે. ખરેખર તો ઘરની સ્થિતિ એવી હોવી જોઈએ કે દીકરી સંકોચ વગર માને કે બાપને બધું કહી શકે, પણ ઘણાં ઘરોમાં એવું વાતાવરણ હોતું નથી.
ધારો કે બાળકી છેડતીની વાત માને કરે છે. મા સમજદાર હશે તો દીકરીને વહાલથી પાસે બેસાડીને તેની બધી વાત સાંભળશે ને ઘરનાં વડીલોને કાને વાત નાખશે. વડીલો ન્યાય મેળવવાની ઈચ્છા રાખતા હશે તો પોલીસ ફરિયાદ કરશે ને ગુનેગારને પકડશે, પણ આવું ઓછું જ બનતું હોય છે. છેડતીની કે બળાત્કારની ઘટના જે કુટુંબની બાળકી કે સ્ત્રી સાથે બને છે એ કુટુંબ આ વાતે એટલું સંકોચાઈ જાય છે કે તે કોઈ વાત ઘરની બહાર ન પહોંચે એ માટેની સખત તાકીદ ઘરનાં સભ્યોને કરે છે. ઘરની આબરુ જાય ને બહાર ચોળાચોળ થાય એ કુટુંબ નથી ઇચ્છતું. ઘીના ઠામમાં ઘી પડી રહે એવું કુટુંબ માનતું હોય છે. આનું પરિણામ એ આવે છે કે ગુનેગારને મોકળાશ મળી જાય છે. આમ તો ગુનેગારે પીડિતાને વાત કોઈને ન કહેવાની તાકીદ કરી જ હોય છે એટલે પણ પીડિતા ભયભીત હોય છે ને એ કોઈને વાત નથી કરતી. ન પીડિતા કોઈને કહે છે, ન કુટુંબ મગનું નામ મરી પાડે છે. આનો લાભ ગુનેગાર ઉઠાવે છે. ફરિયાદ નથી થઈ એ વાત ગુનેગાર જાણે છે એટલે તે પીડિતાનો વધુ લાભ ઉઠાવે છે. એક વાર બન્યું તેની વાત પીડિતાએ કોઈને કરી નથી એટલે બીજી વાર પણ તે કોઈને નહિ કહે એની ખાતરી ગુનેગારને થઈ જાય છે ને એ વારંવાર શિકાર કરતો રહે છે. ઘરની આબરુ જવાની બીકે કુટુંબ ચૂપ રહે છે ને દીકરી કે વહુ બેઆબરુ થતી રહે છે.
ઘણીવાર તો આ રીતે બેઆબરુ કરનાર બહારની નહીં, પણ ઘરની જ વ્યક્તિ હોય છે. કુટુંબની દીકરી, વહુ ઘરનાં જ માણસથી પીંખાય એ તો વધારે શરમજનક છે. એટલે વાત બહાર પણ કોને કરવાની? કારણ ગુનેગાર બહારનો નથી, ઘરનો જ છે. અહીં પણ વેઠી લેવાની વાત જ કેન્દ્રમાં રહે છે. આ સ્થિતિ ગુનેગારને મોકળું મેદાન પૂરું પાડે છે. ઘરની આબરુ જવાની બીકે કુટુંબ મોઢે તાળાં મારી લે છે. એ ખરું કે લોકો વાતો કરશે એ ડરે કુટુંબ ચૂપ રહે છે, પણ આ ચૂપકીદી ગુનેગારને ઉત્તેજન આપે છે એનો વિચાર નહીં કરવાનો? આબરુ જવાની બીકે બેઆબરુ થતાં રહેવામાં ડહાપણ છે? ને આ આબરુ શું છે? જેનાથી આબરુ, આબરુ કહીને બચતાં રહીએ છીએ એ શું છે? એ પ્રતિષ્ઠા છે કે ભય? ઘરની કોઈ વ્યક્તિનું કોઈ સિદ્ધિ બદલ સન્માન થાય ને એની વાતો ચર્ચાય તો ઘરની આબરુ વધે છે. એનો આનંદ થાય છે. એની વાતો બહાર જેટલી ચર્ચાય છે તેટલો આનંદ વધે છે ને કુટુંબ ઈચ્છે છે કે એવી વાતો વધુને વધુ બહાર ચર્ચાય. અહીં જાહેરમાં થતી ચર્ચા આનંદ, આબરુ વધારે છે, પણ છેડતી, બળાત્કારની વાતો આબરુ ઘટાડે છે. તેનાથી પીડા થાય છે એટલે કુટુંબ ઈચ્છે છે કે ઘરની વાત ઘરમાં જ રહે. આ વલણ સહજ ગણાવું જોઈએ, પણ જે વેઠે છે અને ફરિયાદ ન થવાને કારણે વધારેને વધારે વેઠે છે. એનો વિચાર કરવાનો કે કેમ? ઘરની ચૂપકીદી ગુનેગારની હિંમત વધારે છે ને તે બીજા વધુ ગુના કરવા પ્રેરાય છે એનો વિચાર માત્ર એટલે નહીં કરવાનો, કારણ આબરુ જાય એમ છે? આ બરાબર છે? એનો અર્થ એવો પણ નહીં જ કે ઘરે બેશરમ થઈને રસ્તે ઊતરી પડવાનું, પણ, જે ગુનો થયો છે ને ઘરની ચૂપકીદી વધુ ગુનાની તક પૂરી પાડે છે એ વિષે શાંત અને સ્વસ્થ વિરોધ ન કરવો કે તે અંગે કાનૂની સલાહ ન લેવી એ પણ બરાબર નથી.
– ને એવું પણ ક્યાં છે કે પોલીસ પણ ફરિયાદ લેવા તૈયાર જ બેઠી છે? ઘણીવાર તો પોલીસ ફરિયાદ લેવા જ રાજી નથી હોતી, છતાં કોઈ ફરિયાદ નોંધાવે છે તો તે પહેલાં તો ફરિયાદીને એમ જ ખંખેરીને કાઢી મૂકે છે. પોલીસ જો ઠીકઠાક હશે તો આબરુ જવાનો ભય બતાવીને કુટુંબ પોતે જ ફરિયાદ કરવાનું ટાળે એ સ્થિતિ ઊભી કરશે. બહુ ઓછા કિસ્સાઓમાં પોલીસ આગળની કાર્યવાહી માટે તૈયાર થાય છે. જો ફરિયાદી સ્ત્રી એકલી જ પોલીસ ચોકીએ ગઈ હોય તો પોલીસ તેની સાથે દુષ્કર્મ કરવા સુધી પણ ગઈ હોય એવા કિસ્સાઓ પણ મીડિયામાં આવ્યા છે. આ સઘળું બને છે તે કેવળ આબરુ જવાની બીકે. ગુનેગાર, કુટુંબ અને પોલીસ જાણતી હોય છે કે બધાંને આબરુ જવાનો ભય છે એટલે વાત ઢાંકપિછોડા પર આવીને અટકી જાય છે. ફરિયાદ લેવાય પછી પણ ગુનેગારને સજા થાય જ એવું નક્કી નથી. કોર્ટમાં પણ ન્યાય મળે જ એવું દરેક વખતે બનતું નથી. વકીલોને પૈસા ખવડાવીને ઇચ્છિત ન્યાય સૌ કોઈ મેળવી લેતા હોય છે ને ગુનેગાર પુરાવાને અભાવે છૂટી પણ જતો હોય છે. આ બધું જાણતાં કુટુંબો ફરિયાદ કરવાથી દૂર રહે છે. દરેક વખતે આમ જ થાય છે એવું નથી, ઘણીવાર ગુનેગારને સજા થાય પણ છે, પણ આ બધા વિષે ખાતરીથી કૈં કહી શકાય એવું નથી. છતાં એનો ઈલાજ ચૂપ રહેવામાં જ છે એવું નથી. થોડાં કુટુંબો થોડી હિંમત દાખવીને ગુનેગારને ઉઘાડો પાડવા આગળ આવે તો ગુનાનું પ્રમાણ ઘટે એમ બને. આ કહેવું સહેલું છે, પણ વર્તવાનું અઘરું છે એ ખરું, પણ કોઈકે તો, આજે નહીં તો કાલે આગળ આવવું પડશેને? એમ નહીં થાય તો ગુનેગારને બચાવવા જેવું જ થશે. આ થવા દેવા જેવું છે?
0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, “ગુજરાત ટુડે”, 17 જુલાઈ 2022