[પાર્ટ-4]
વિક્ટિમને મદદ કરનાર તીસ્તા સેતલવાડ / આર.બી. શ્રીકુમાર / સંજીવ ભટ્ટ જેલમાં છે; આદિવાસીઓને મદદ કરનાર હિમાંશુકુમાર 5 લાખનો દંડ નહીં ભરે એટલે સુપ્રિમકોર્ટ તેને જેલમાં પૂરશે ! કોમી તોફાનોના 117 જેટલાં આરોપીઓને સજા કરાવનાર તીસ્તાને જ ઠમઠોરવાનું કોર્ટનું આ વલણ, માનવ અધિકારના ભંગ સમાન છે; ગેરબંધારણીય છે ! ‘રાજ્ય’ શક્તિશાળી હોય છે; તેની પાસે પોલીસ છે / લોકઅપ છે / જેલ છે / CBI-ED-NIA છે / પેગાસસ છે / પેરા મિલિટરી ફોર્સ છે / IT Cell છે / ગોદી મીડિયા છે / ચાટુકાર લેખકો-વિદ્વાનો છે / અઢળક ધન છે ! જ્યારે ફરિયાદી થાકેલો / હારેલો હોય છે ! આ સ્થિતિમાં, અદાલત જ્યારે નાગરિકને બદલે ‘રાજ્ય’ની તરફેણ કરે ત્યારે લોકતંત્ર તાનાશાહીમાં પરિવર્તિત થઈ જાય છે !
‘રાજ્ય’ પાસે ન્યાય માંગનાર ફરિયાદીને બદનામ કરવાની જબરજસ્ત શક્તિ હોય છે. તીસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ પોલીસે કર્યો તેમાં તીસ્તા સામે આરોપ મૂકેલ છે કે ‘તીસ્તાએ પોતાના NGOમાં ખોટી રીતે વિદેશી ફંડ મેળવ્યું હતું અને તેનો અંગત તથા સરકારને બદનામ કરવા દુરુપયોગ કર્યો હતો !’ આ બાબત ગોદી મીડિયા / સત્તાપક્ષના ભક્તો / સત્તાપક્ષના IT Cellએ સોશિયલ મીડિયામાં તીસ્તાને બદનામ કરવા વહેતી મૂકી ! તીસ્તાને બદનામ જ કરવા હોય તો તીસ્તાની રજૂઆત શું છે, તે જાણવાની દરકાર તેઓ શા માટે કરે? સત્તા સામે અવાજ ઊઠાવનારે; પોતાને મળેલ ફંડ ક્યાં વાપરવું તેનો નિર્ણય ‘સતા’ કરે? દલિતો / વંચિતો માટે કામ કરતી ગુજરાતની પ્રસિદ્ધ NGO – ‘નવસર્જન’ને વિદેશી ફંડ બાબતે હેરાન કરી છે. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ ઇન્ડિયાના પ્રમુખ આકાર પટેલની વિદેશી ફંડ બાબતે હેરાનગતિ ચાલુ છે. આવા તો અસંખ્ય દાખલા છે. બીજી તરફ સત્તાપક્ષ સાથે જોડાયેલ NGOને બધી છૂટછાટ છે ! 2014 બાદ, ગૃહ મંત્રીના પુત્ર જય શાહની કંપનીની આવક એક વર્ષમાં 50,000થી 80 કરોડ થઈ ગઈ; 16,000% વધી ગઈ; તેવો અહેવાલ પ્રસિદ્ધ કરનાર પત્રકાર રોહિણી સિંહ સામે માનહાનિનો દાવો અમદાવાદની કોર્ટમાં દાખલ થયો છે ! ‘સત્તા’ હંમેશાં સત્યને નિયંત્રિત કરવાની કોશિશ કરે છે. ‘સત્તા’ કઈ રીતે ન્યાયનું ગળું ઘોટે છે તેનું એક ઉદાહરણ જોઈએ : 2013માં ‘તહેલકા’એ સ્ટિંગ ઓપરેશનમાં શોધી કાઢ્યું હતું કે ‘બેસ્ટ બેકરી કેસની ફરિયાદી ઝાહીરા શેખને તેની જુબાની બદલવા માટે સત્તાપક્ષના મધુ શ્રીવાસ્તવે; ઝાહીરાને રૂપિયા 18 લાખની ચૂકવણી કેવી રીતે કરી હતી !’ તીસ્તા સેતલવાડના ભૂતપૂર્વ સહાયક રઈસખાન પઠાણે સુપ્રિમકોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું હતું કે ‘ગોધરાકાંડ પછીના પાંચ સંવેદનશીલ કેસોમાં સાક્ષીઓના નિવેદનોમાં પુરાવા સાથે છેડછાડ કરવામાં આવી છે !’ રઈસખાન પાછળ કોનો હાથ હશે, તે સમજી શકાય તેમ છે ! 68 લોકોની સામૂહિક હત્યા થઈ હતી તે ગુલબર્ગ સોસાયટીના 12 સભ્યોએ તીસ્તા ઉપર ફંડના દુરપયોગ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં 2013માં ફરિયાદ કરી હતી ! ‘સત્તા’ તરફથી રમખાણોના પીડિતોને તીસ્તા મદદ ન કરે તે માટે તેમની સામે ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ના ભંગ સબબ બીજા કેસો કરવામાં આવ્યા ! તિસ્તાને બદનામ કરવાના સતત ‘કારસા’ થયા; છતાં તીસ્તાએ હિંસાનો ભોગ બનેલ પરિવારોને ન્યાય અપાવવા અહિંસક અને કાનૂની સંઘર્ષ ચાલુ રાખ્યો છે ! ‘ભક્તો’ કહે છે કે તીસ્તાએ ગુજરાતને બદનામ કર્યું ! પરંતુ શું ‘સરકારની આલોચના’ એ ‘ગુજરાતની આલોચના’ છે?
તીસ્તા સેતલવાડ જેલમાં છે, તેનો અર્થ શું છે? ફરિયાદીને જ સજા; એનો અર્થ શો છે? માત્ર તીસ્તા સેતલવાડની વાત નથી; મારી તમારી અને ન્યાયના પક્ષે ઊભા રહેતા સૌ નાગરિકની વાત છે. કેટલાક પ્રશ્નો ચિંતામાં મૂકે છે :
[1] ફરિયાદ કરનારને જ ફટકારવાનું સુપ્રિમકોર્ટનું વલણ લોકશાહી વિરુદ્ધનું નથી? શું આ તાનાશાહીનું સમર્થન નથી? શું કોર્ટ અને ‘સત્તા’ એવું માને છે કે “લોકો ‘પ્રજા’ છે, ‘નાગરિક’ નહીં ! પ્રજાને ન્યાય માંગવાનો હક્ક ન હોય?”
[2] કેન્દ્રમાં ગોડસેવાદી સરકાર ન હોત તો હિમાંશુકુમારને 5 લાખનો દંડ ભરવા અદાલતે કહ્યું હોત? ઝાકિયા જાફરીની પીટિશન રદ્દ કરતી વેળાએ તીસ્તા સેતલવાડ / IPS અધિકારી આર.બી. શ્રીકુમાર / સંજીવ ભટ્ટ સામે કાર્યવાહી કરવાનું કહ્યું હોત?
[3] PM CARES Fundનો હિસાબ લોકોને આપવો નથી; પરંતુ NGO પોતાનું ફંડ ન્યાય મેળવવા વાપરે તો જેલમાં પૂરવાના?
[4] ‘સત્તા’નો વિરોધ કરે, તેને તો હેરાનગતિ કરવાની? સત્તાની તરફદારી કરો તો રાજ્યસભામાં નિમણૂંક / ગવર્નર તરીકે નિમણૂંક મળે? શું બંધારણ પ્રત્યે વફાદારી નહીં; પરંતુ ‘સતા’ પ્રત્યે વફાદારી મહત્ત્વની? મેઘા પાટકર વિરુદ્ધ ખોટા આક્ષેપ સબબ કેસનો સામનો કરનાર વિનયકુમાર સક્સેના, દિલ્હીના ઉપ-રાજ્યપાલના પદે આરૂઢ થયા, તે શું સૂચવે છે?
[5] શું ‘રાજ્ય’ને અદાલતની સ્વતંત્રતા પચતી નથી? શું ‘સત્તા’ કિસાન આંદોલનથી દાઝી ગઈ હોવાથી ડરી રહી છે? શું ‘સત્તા’ પોતાની ‘તપસ્યા’માં કોઈ ખામી ન રહે તે માટે સામાજિક કાર્યકરોને હેરાન કરી રહી છે?
[6] સત્તાને સવાલ કરનારને, કોઈ પણ જાતની તપાસ કર્યા વિના જેલમાં પૂરવાના? શું આ ‘due process of law’નો ઉલાળિયો નથી?
[7] મૂકાયેલ આરોપ સાબિત થાય તેમાં ‘સત્તા’ને રુચિ કેમ હોતી નથી? શું તેમને જેલમાં પૂરી સોશિયલ મીડિયાના ઉપયોગથી વંચિત કરવાનો જ હેતુ હોય છે? શું ડરાવવા / હેરાનગતિ માટે / બદનામ કરવા જ જેલમાં પૂરવામાં આવે છે?
[8] ‘સત્તા’ ટેક્સનાં નાણાંથી સારા વકીલો રોકી તમને જેલમાં રખાવે છે; જ્યારે તમારે જામીન ઉપર છૂટવા વકીલનો ખર્ચ ભોગવવો પડે ! આ કેવી યોજના?
[9] તમારી મહેનતના કારણે 117 આરોપીઓને સજા થઈ હોય તે મુદ્દો અગત્યનો નથી? શું તમે ‘સત્તા’ સામે કેમ છો; તે મુદ્દો કોર્ટે જોવાનો હોય છે?
[10] તીસ્તાને જેલમુક્ત કરવા; 92 જેટલા નિવૃત જજ / પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ / પૂર્વ વિદેશ સચિવ / પૂર્વ મુખ્ય સૂચના આયુક્ત / પૂર્વ IAS / IPS અધિકારીઓએ સુપ્રિમકોર્ટને ખૂલ્લો પત્ર લખ્યો છે; છતાં પણ સુપ્રિમકોર્ટની નિંદર કેમ ઉડતી નહીં હોય?
[11] ‘સત્તા’નો વિરોધ કરો તો તમે અર્બન નકસલવાદી છો / વામપંથી ચરમપંથી છો / ખાલિસ્તાની છો / રાષ્ટ્રવિરોધી છો / આંદોલનજીવી છો ! કાવતરાખોર છો ! વિદેશી ફંડનો દુરુપયોગ કરનાર છો ! ભલે તમને રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મળેલ હોય /પદ્મશ્રી મળેલ હોય તેની કોઈ કિંમત ‘સત્તા’ને કે સુપ્રિમકોર્ટને કેમ હોતી નથી?
[12] કોર્પોરેટ કંપનીઓ આદિવાસીઓનાં જંગલ પચાવી પાડે તેની સામે અવાજ ઊઠવો ન જોઈએ તેવું ‘સત્તા’ ઈચ્છતી હશે? વિકાસ લોકોનો કે કોર્પોરેટ મિત્રોનો? ‘વિપક્ષમુક્ત સત્તા’ પછી; ‘જનશક્તિ જગાડનાર’ હિમાંશુકુમાર / સુધા ભારદ્વાજ / મેઘા પાટકર / તીસ્તા સેતલવાડને હેરાન કરી કોર્પોરેટ મિત્રોની સેવા કરવાનો ઉદ્દેશ હશે? ‘ઈશ્વરીય-દિવ્યશક્તિ’ની નિષ્ફળતાને ઢાંકવાનો હશે? ભારતમાં દલિતો / વંચિતો / આદિવાસીઓ / લઘુમતીઓને ન્યાય અપાવવા સામાજિક નિસબત રાખનાર સામાજિક કાર્યકરો શું ગુનેગાર છે? તેમને જેલમાં પૂરવાથી રાષ્ટ્રહિત જળવાશે?
[પૂર્ણ]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર