Opinion Magazine
Number of visits: 9566625
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નારીરત્નોની દાબડી

કેતન રુપેરા|Gandhiana|2 March 2023

સંપાદકીય

“હું સ્ત્રી છું. સ્ત્રીઓને સારુ હું સ્ત્રી જેવો બન્યો છું ને તેનું હૃદય ઓળખું છું. પુરુષોએ પોતાની મર્યાદા સમજવાની છે અને જ્યાં લગી પતિપણું છૂટે નહીં ત્યાં સુધી સ્ત્રીને ઓળખાય જ નહીં. આવો પતિ હું મટ્યો એટલે જ બાને ઓળખવા પામ્યો ને બીજી બહેનોને ઓળખવા લાગ્યો.”

પૂતળીબાઈના ‘મોનિયા’થી લઈને સુભાષબાબુએ ઓળાખાવેલા ‘રાષ્ટ્રપિતા’ની આ વાત છે. મોનિયાથી લઈને રાષ્ટ્રપિતાની આ લાંબી મજલમાં અનેક પ્રયોગો કરતાં કરતાં ને અગણિત અનુભવો લેતાં લેતાં મોહન, મોહનદાસ, મિ. ગાંધી, મો.ક. ગાંધી, ગાંધીભાઈ, કર્મવીર ગાંધી, મહાત્મા, મહાત્મા ગાંધી, ગાંધીજી, ગાંધી, બાપુ, ગાંધીબાપુ … ઇત્યાદી નામે ઓળાખાયેલા-સંબોધાયેલા પુરુષ, મોહનદાસ કરમચંદ ગાંધીની આ વાત છે.

સ્વાતંત્ર્ય ચળવળમાં લાખો સ્ત્રીઓએ તેમની આગેવાનીમાં ભાગ લીધા પછી, હજારો સ્ત્રીઓએ જેલવાસ ભોગવ્યા પછી અને સેંકડો સ્ત્રીઓએ તેમની સાથે પત્રવ્યવહાર કર્યા પછી તો, તકલી ઝાટકીને કહી શકાય કે આ અનેક નામધારી પુરુષે સ્ત્રીના હૃદયને ઓળખ્યું નહિ હોય, એવું બન્યું નહિ હોય અને આત્મકથામાં ‘ધણીપણું’ શીર્ષક તળે નરી નિખાલસતા સાથે કાગળ પર ઉતરી આવ્યા પહેલાં, આ પુરુષે પોતે પતિપણું છોડ્યું નહિ હોય, એવું બન્યું નહિ હોય …

… અને એટલે જ પિતાના મૃત્યુથી એમને જે આઘાત લાગ્યો હતો તેના કરતાં માતાના મૃત્યુના સમાચારથી વધારે આઘાત પહોંચ્યો હતો, અને એટલે જ જીવનની છેલ્લી જેલ આગાખાન મહેલમાં સાથે નજરકેદ બાએ બાપુના ૭૪મા જન્મદિન(૧૯૪૨)ને વધાવતાં પોતાના ધોળા થઈ ગયેલા વાળમાં ફૂલ નાંખ્યાં હતાં.

આટલું જરી ઓછું હોય તો એ ય ઉમેરી શકાય કે એટલે જ કદાચ કુટુંબની દીકરી મનુબહેને એમની પાસેથી માનો પ્રેમ મેળવ્યો હશે; ‘બાપુ–મારી મા’ કહ્યું હશે. અને આશ્રમ બહાર ફીકી કહેવાતી રસોઈ પણ પ્રેમમાધુર્યથી જમાડવાને કારણે ગંગા‘બા’ કહેવાયેલાં ગંગાબહેન વૈદ્યે આમ કહ્યું હશે : “મૃત્યુ પછી બીજો જન્મ કેવો હશે, એમ આપણાં મનમાં થાય છે. પણ હું તો આ જિંદગીમાં જ બે જન્મો અનુભવી ચુકી છું. બાપુજી પહેલાનાં સંસારના રગડાઓમાં ભરાયેલું મારું જીવન, અને બાપુજીના સમાગમમાં આવ્યા પછીનું આ ધન્યજીવન. બાપુજીનો પવિત્ર પ્રેમ, સહાનુભૂતિ ને કરુણા મળતાં મને અમૃતસંજીવની મળી. મારા જીવનને હું સાર્થક કરી શકી. આ અનુભવ મારી એકલીનો નથી, મારા જેવી લાખો બહેનોનો, લાખો ભાઈઓનો, લાખો દીકરાઓનો છે.” પારસમણિના સ્પર્શે લોખંડ સોનું બની જતું હોય છે. આ તો ખુદ પંચધાતુ સમાં બહેનો હતાં. ગાંધીવિચારના સ્પર્શથી તેઓ રત્નમાં પરિણમ્યાં.

તો, ‘સ્ત્રી’ એવા પુરુષ અને ‘મા’ એવા બાપુની પાયારૂપ વાતથી હવે તે સંબંધિત પુસ્તક અને તેમાં સમાવાયેલી બહેનો, નારીરત્નો–પુસ્તકના વિશેષ સંદર્ભે ગાંધીવારસાનાં નારીરત્નો–પર ઉતરી આવીએ તો પુસ્તકમાં સમાવિષ્ટ અડધોઅડધ બહેનો, જીવનના બહુ નાજુક અને એટલા જ વિકટ સંજોગોમાં ગાંધીપ્રેરિત સ્વરાજની લડતમાં જોડાઈ હતી અથવા જોડાઈ પછી એવા સંજોગો સર્જાયા તો જીવનના ભાર તળે દબાઈ જવાને બદલે બમણા જૂસ્સાથી આ લડતમાં ઝુકાવ્યું-ઝંપલાવ્યું હતું. કોઈએ બાળ વયે જ માતા ગુમાવી હતી તો કોઈએ પિતા. કોઈએ પતિ તો કોઈએ ભાઈ-બહેન. કોઈએ તો એક પછી એક કુટુંબના બધા સભ્યો ગુમાવ્યા હતા. અને ભલે આંગળીના વેઢે તો આંગળીના વેઢે; એવા કિસ્સા ય ગણી શકાય એમ છે કે જેમાં કુટુંબનો વિરોધ છતાં, બાપુનો સાથ છોડ્યો ન હતો, સ્વરાજની લડત મૂકી ન હતી. ઊલટું, એમના જીવનમાં બાપુની પ્રત્યક્ષ હાજરી અને તેમનાં લખાયેલા અનેક પત્રોએ ઘણાં નારીરત્નોનાં જીવનની ધાર્મિક-આધ્યાત્મિક ઉન્નતિમાં પણ પ્રેરક ભૂમિકા ભજવી હતી.

આ અને આવાં બધાં – જમનાબાઈ સક્કઈ(૧૮૬ર)થી લઈને કોકિલાબહેન વ્યાસ – નિરંજનાબહેન કલાર્થી (૧૯૩૯) સુધી ૭૭ વરસના જન્મઅંતરાલ પટ સુધીનાં – નારીરત્નોનાં જન્મથી લઈને જીવનકાર્યને સંક્ષિપ્તમાં આલેખતા લેખોનો આ સંચય છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી-સુરતના સમાજશાસ્ત્ર વિભાગનાં અધ્યાપિકા મોસમ ત્રિવેદીએ ગાંધીની જ જન્મભૂમિ કાઠિયાવાડના ઐતિહાસિક અખબાર ‘ફૂલછાબ’માં ‘ગુર્જર નારી’ કૉલમ તળે લખાયેલા લેખોનો આ સંપાદિત સંચય છે. લેખિકા નિવેદનમાં લખે છે તેમ એમનાં પીએચ.ડી.ના સંશોધનકાર્ય દરમિયાન ગાંધીજી સાથે ખરા અર્થમાં સંપર્ક થયો ને ભવિષ્યમાં તક મળી ત્યારે સ્ત્રી હોવાના નાતે, સ્ત્રીશિક્ષણમાં રસ હોવાના નાતે ને સમાજશાસ્ત્રનાં અભ્યાસી હોવાના નાતે, આ સંપર્ક વધુ અભ્યાસ અને લેખન સ્વરૂપે ‘ગુર્જર નારી’ કૉલમ રૂપે ખીલ્યો. એક એક કરતાં સિત્તેરેક નારીઓ વિશે લખાયું. અગાઉથી આયોજનપૂર્વક લખાયું, કોઈ નારીનું સન્માન થતાં લખાયું, તો ક્યારેક કોઈની અણધારી વિદાય થતાં પણ લખાયું. આમ, અલગ અલગ સમયે અલગ અલગ પ્રાથમિકતાએ લખાયું. ચોક્કસ સાલવારી કે ભૌગોલિક પ્રદેશ કે બીજા કોઈ માપદંડ વગર આ લખાયું. એટલે વાચકને અહીં મહારાષ્ટ્રમાં જન્મેલાં લક્ષ્મીબહેન ખરે વિશે પણ વાંચવા મળે, કેમ કે આશ્રમમાં પંડિત નારાયણ મોરેશ્વર ખરેની સંગીત શિક્ષક તરીકે નિમણૂક થતાં તેમનાં પત્ની લક્ષ્મીબહેન પણ સાથે જ આશ્રમવાસી તરીકે જીવ્યાં ને આશ્રમ વિખેરાયો ત્યાં સુધીમાં તો ગૂર્જરનારી બની, ગુજરાતને જ પોતાની કર્મભૂમિ માનીને રહ્યાં; તો બીજી બાજુ મૂળ ગુજરાતનાં કેટલાંક નારીરત્નો વિશે લેખ ન પણ મળે. કેમ કે, ગાંધીવિચાર સાથે જોડાયેલાં નારીરત્નો સાથે સાથે સાહિત્ય-સમાજ-કળા ઇત્યાદી ક્ષેત્રની ગૂર્જરનારીઓ વિશે પણ લખાતું ગયું. લખતાં લખતાં જેમ જેમ નામો સામે આવતાં ગયાં એમ લખાતું ગયું. સાપ્તાહિક કૉલમની સમય, શબ્દ, અભ્યાસ, અભિવ્યક્તિ જેવી જે કોઈ પણ મર્યાદા રહેતી હોય એ બધાં વચ્ચે લખાતું ગયું – ને હવે વિજ્ઞાન ક્ષેત્રની બહેનો વિશે લખવું એવું નક્કી થયું તો આ મુકાઈ પણ ગયું.

એટલે પાઘડીનો વળ છેલ્લે વાળતાં, આ બધી મર્યાદાઓ વચ્ચે ને છતાં, ગાંધીવારસાનાં કુલ ચોસઠ નારીરત્નોનાં પ્રદાનને એક સાથે પ્રમાણસરની વિગતપૂર્ણ રીતે સમાવતું, ગુજરાતી ભાષાનું ને એથી કરીને કોઈ પણ ભાષાનું આ પહેલું પુસ્તક હશે?

ખેર! ગાંધીજીપ્રેરિત સ્વરાજની લડતમાં ભાગ લીધેલી માત્ર ગુજરાતી નારીઓનાં નામ પણ ગણવા બેસીએ તો કોને યાદ કરીએ ને કોને ભૂલીએ જેવો ઘાટ થાય. બહુ ઓછાં જાણીતાં ને સ્થાનિક સ્તરે સક્રિય એવાં ભાવનગરનાં સોનાબાઈ કાનજીભાઈ બારૈયાથી લઈને ‘ગુજરાતનું આંતરરાષ્ટ્રીય ગૌરવ’ કહેવાતાં હંસા મહેતા સુધીનાં, સૌના પ્રદાનને સમાવવા તો પાંચેક પુસ્તકોની શ્રેણી જ કરવી પડે. આ તો નારીરત્નોની દાબડી માત્ર છે. આશા રાખીએ કે ભવિષ્યમાં લેખિકા કે અન્યો દ્વારા આ આદરેલું પૂર્ણ થાય. કેમ કે, સંપાદક તરીકે આ લેખોમાંથી પસાર થતાં એવો અનુભવ રહ્યો છે કે આમાંનાં ઘણાં નારીરત્નોનાં જન્મ-અવસાનનાં વર્ષ અને છબી સહજપ્રાપ્ય નથી. તો કેટલાંકમાં તેમની સત્યાગ્રહ અને રચનાત્મક પ્રવૃત્તિની વિગત અલ્પમાત્રામાં મળી આવે છે. આ સંજોગોમાં, આવા કિસ્સામાં મુદ્રિત સામગ્રીથી આગળ વધીને પરિવાર-સંસ્થા સાથે સીધો સંપર્ક-સંવાદ અનિવાર્ય છે. થોડા વ્યક્તિગત અને સંસ્થાગત સહકાર થકી, એ ખોટને ઘણે અંશે પૂરી શકાઈ છે. તેમ છતાં, ભાગલા વખતે પુનર્વસનનું અસાધારણ કામ કરનાર કમળાબહેન પટેલ જેવાંની છબી, તો ગાંધીજીએ આત્મકથામાં જેને ‘મળ્યો’ જેવા સદાબહાર શીર્ષકે પોંખ્યો એવા એક નહીં, અભરાઈએ ચઢાવી દીધેલા અનેક રેંટિયા ઉતરાવનાર ગંગાબહેન મજમુદાર જેવાનું જન્મ-અવસાનનું વરસ પ્રાપ્ય થઈ શક્યું નથી.

આવા થોડા નાના-મોટા અફસોસ વચ્ચે, ઘણો આનંદ છે. ગુજરાતની “સામાજિક નિસબતની ઉજ્જવળ પરંપરાનો વારસો સંવર્ધિત કરવા” એવાં પુસ્તકો પ્રકાશિત થાય “જે માત્ર સમાજનો અરીસો ના બની રહે પણ સામાજિક-સાંસ્કૃતિક પરિવર્તનની દિશામાં રાહબર પણ બને” એવા સમાજશાસ્ત્રી-પ્રકાશક ગૌરાંગ જાની અને તેમના અણમોલ પ્રકાશનના આ બીજા પુસ્તકને સંપાદકનો આવકાર છે – વાચકો એને પોંખશે, એવો વિશ્વાસ છે.

Email: ketanrupera@gmail.com

Loading

ભારતની જેલો : કારાવાસ, કેદખાનું, સુધારગૃહ …

ચંદુ મહેરિયા|Opinion - Opinion|2 March 2023

ચંદુ મહેરિયા

ભારતની બેન્કોને કરોડોનો ચૂનો ચોપડી વિદેશમાં ભાગી ગયેલા લિકરકિંગ વિજ્ય માલ્યાએ તેમના પ્રત્યાર્પણ અંગે ભારતની જેલોની બદતર હાલતના મુદ્દે વિરોધ કર્યો હતો.. માલ્યાને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવાનું આયોજન હતું. ૧૯૨૬માં નિર્મિત અને બે એકરમાં ફેલાયેલી આર્થર રોડ જેલને ૧૯૯૪માં સેન્ટ્રલ જેલનો દરજ્જો મળ્યો હતો. તેની ક્ષમતા આઠસો કેદીઓને સમાવવાની છે, પરંતુ તેમાં બે હજાર કેદીઓ છે. એટલે દુનિયાની ખતરનાક દસ જેલોમાં તેની ગણના થાય છે. આર્થિક અપરાધી માલ્યાના ભારતની જેલોની હાલતના આરોપના પુરાવા  પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઓફ ઇન્ડિયા ૨૦૨૦માં પણ જોવા મળે છે.

ક્ષમતા કરતાં વધુ કેદીઓ અને તેને કારણે કેદીઓને રહેવા માટેની લઘુતમ જગ્યાનો અભાવ જેલોની મુખ્ય સમસ્યા છે. એક અંદાજ મુજબ ભારતની જેલોમાં સરેરાશ છત્રીસ ટકા વધુ કેદીઓ હોય છે. રાજધાની દિલ્હીની તિહાર જેલમાં ૬,૨૫૦ કેદીઓને સમાવી શકાય તેમ છે, પરંતુ તેમાં ૧૪,૦૦૦ કેદીઓ છે. કોવિડ મહામારીના ૨૦૨૦ના વરસમાં, તેના ગયા વરસ કરતાં, નવ લાખ વધુ લોકોની ધરપકડ થઈ હતી. એટલે ૨૦૧૯ કરતાં ૨૦૨૦માં કેદીઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ હતી. દેશના ૧૭ રાજ્યોની જેલોમાં ૨૦૧૯ કરતાં ૨૦૨૦માં સરેરાશ ૨૩ ટકા કેદીઓ વધ્યા હતા.

જગ્યાની સંકડાશ સાથે જ અપૂરતી આરોગ્ય સુવિધાઓ જેલોને કેદખાનું બનાવે છે. પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઓફ ઇન્ડિયા ૨૦૨૦ મુજબ જેલોમાં ડોકટરોની અછતની ટકાવારી નેશનલ લેવલે ૩૪ ટકા છે. પરંતુ કેટલાક રાજ્યોમાં તો નામ માત્રના ડોકટરો અને આરોગ્યકર્મીઓ છે. ઉત્તરાખંડની જેલોમાં ૯૦ ટકા અને ઝારખંડમાં ૭૭.૧ ટકા ડોકટરોની જગ્યાઓ ખાલી છે. કેદીઓ વધે છે પરંતુ ડોકટર્સ અને મેડિકલ – પેરા મેડિકલ સ્ટાફ ઘટે છે. ગોવાની જેલોમાં મંજૂર થયેલી જગ્યાઓમાંથી ૮૬.૬ ટકા, લદ્દાખમાં ૬૬.૭ ટકા, કર્ણાટકમાં ૬૬.૧ ટકા , ઝારખંડમાં ૫૯.૨ ટકા અને ઉત્તરાખંડમાં ૫૭.૬ ટકા આરોગ્ય કર્મચારીઓ ઓછા છે. અપર્યાપ્ત આરોગ્ય સગવડો અને સ્ટાફની અછતને લીધે કેદીઓને ઘણું વેઠવું પડે છે.

જેલોમાં કેદીઓને શારીરિક-માનસિક અત્યાચાર, ખરાબ અને અપર્યાપ્ત ભોજન, બહારની દુનિયા સાથે સંપર્ક પરના નિયંત્રણો, અપૂરતી આરોગ્ય સગવડોને કારણે થતા રોગ, વેઠ અને ગુલામી જેવી સમસ્યાઓ વેઠવી પડે છે.  જેલોમાં પોણા ભાગના કેદીઓ તો જે દોષિત છે કે નિર્દોષ તે અદાલતો દ્વારા નક્કી થવાનું બાકી છે તેવા કાચા કામના કેદીઓ છે. મહિલા કેદી માટે કોઈ ખાસ સગવડો હોતી નથી. તેઓ પોતાના છ વરસ સુધીના બાળકોને જેલમાં સાથે રાખી શકે છે. દેશની જેલોમાં ૨૦૨૦માં ૨૦,૦૦૦ મહિલા કેદીઓ હતાં. તેમાંથી ૧,૪૨૭ મહિલાઓ બાળકો સાથે હતાં. એટલે માતા અને બાળક બંનેની વિશેષ કાળજી જરૂરી છે. જેલોમાં આત્મહત્યા અને અકુદરતી મોત પણ થાય છે. અગાઉની તુલનામાં આવા મોતમાં ૭ ટકાનો વધારો થયો છે.

દેશનું બંધારણ તો કાયદા સમક્ષ સૌને સમાન માને છે. પરંતુ આપણા સમાજમાં જે અસમાનતા અને ભેદભાવ વ્યાપ્ત છે તે જેલોમાં પણ છે. ભારતીય સમાજમાં અમીર-ગરીબ અને વર્ણ-જ્ઞાતિના ભેદ છે તેમ જેલોમાં પણ છે. અમીર અને વગવાળા કેદીઓને જેલમાં પણ મહેલની સગવડો મળી રહે છે. પરંતુ ગરીબ અને કથિત નિમ્ન જ્ઞાતિના કેદીઓને વિશેષ સહેવું પડે છે. અંડર કે પ્રિ-ટ્રાયલ કેદીઓને જેલના શ્રમથી મુક્તિ મળે છે. જો કે વાસ્તવિકતા એ છે કે લાંબી સજા ભોગવતા રીઢા કેદીઓ કશું કામ કરતા નથી અને કાચા કામના કેદીઓને તેમનું પણ કામ કરવું પડે છે.

જેલોમાં સફાઈ કામદાર, રસોઈયા, વાળંદ અને આરોગ્ય સહાયક જેવાં કામોની વહેંચણી જ્ઞાતિના ધોરણે થાય છે. હદ તો એ વાતની છે કે આ બાબત કેટલાક રાજ્યોના જેલ મેન્યુઅલ્સમાં જ લખેલી છે. મધ્ય પ્રદેશના જેલ મેન્યુઅલમાં લખ્યું છે કે,” જાજરૂમાં માનવમળની સફાઈની જવાબદારી ‘મહેતર’ કેદીની છે.” રાજસ્થાન જેલ નિયમાવલીમાં તો વધુ સ્પષ્ટ કરીને કહ્યું છે કે જેલની બહાર જે સફાઈનું કામ કરતા ના હોય (અર્થાત સફાઈકામદાર જ્ઞાતિના ના હોય) તેવા કોઈપણ કેદીને સફાઈનું કામ ના આપવું. બિહારની જેલોનું મેન્યુઅલ ઉચ્ચ જ્ઞાતિના હિંદુ કેદીને જ રસોઈનું કામ સોંપવા જણાવે છે. તમિલનાડુના પલાયકોટ્ટાઈના મધ્યસ્થ કારાગારમાં જ્ઞાતિ પ્રમાણે જેલ કોટડીઓ હોવાનું અભ્યાસીઓએ નોંધ્યું છે.

૨૦૧૬માં કેન્દ્ર સરકારે બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા તૈયાર કરેલું મોડેલ જેલ મેન્યુઅલ રાજ્યોને મોકલ્યુ હતું. પરંતુ બંધારણ અન્વયે જેલ એ રાજ્ય યાદીનો વિષય હોવાથી ભારત સરકારની ભૂમિકા સલાહકારની જ હોય છે. એટલે ઘણા રાજ્યોએ તેમની જેલ નિયમાવલી સુધારી નથી. મોટા ભાગના જેલ મેન્યુઅલ્સ અંગ્રેજોના વારાના અને ૧૮૯૪ના જેલ મેન્યુઅલ પર આધારિત છે. જેમાં કેદીને રાજ્યનો ગુલામ માનવામાં આવતો હતો. જો કે ૨૦૧૬ની આદર્શ જેલ નિયમાવલીમાં સમાનતા અને ન્યાયની જિકર કરતાં જણાવ્યું છે કે જેલોમાં જ્ઞાતિ કે ધર્મના અધારે રસોડાંની વ્યવસ્થા કે ખાવાનું બનાવી શકાશે નહીં.  પરંતુ આ બાબતનો ભાગ્યે જ અમલ થાય છે. અરે, જેલોની લાઈબ્રેરીઓમાં પણ જેલ મેન્યુઅલની નકલ હોતી નથી. જેલોમાં જાણે કે ઘરની ધોરાજી જ હાંકે રખાય છે.

ગાંધીજી માનતા હતા કે દરેક કેદીનું એક ચોક્કસ ભવિષ્ય હોય છે. એટલે કારાવાસનું કામ સુધારગૃહનું હોવું જોઈએ. જેથી કેદી નવી જિંદગી જીવવા યોગ્ય બને. આ દિશામાં કેટલીક જેલોમાં મહત્ત્વનું કામ થયું છે. કિરણ બેદીએ દિલ્હીની તિહાર જેલને સુધારગૃહ બનાવવા મહત્ત્વનાં કાર્યો કર્યાં હતાં. અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં પણ કેદીઓના પુન:સ્થાપનનું કામ થઈ રહ્યું છે. જેલોમાં કેદીઓને રહેવા માટેની સંકડાશ નિવારવી, આરોગ્ય સુવિધા પૂરી પાડવી, તેમના અધિકારોથી વાકેફ કરવા, મફત કાનૂની સહાય, બહારની દુનિયા સાથે સંવાદની તક, શિક્ષણ અને વ્યવસાયલક્ષી શિક્ષણ, મહિલા કેદીઓની દેખભાળ જેવાં કાર્યો કરવાના રહે છે.

જેલો કેદખાનાના બદલે સંજોગોવશ ગુનો આચરી બેઠેલા કેદીને ભૂલનો અહેસાસ અને પસ્તાવો થાય તેવી બનવી જોઈએ. કેદી આત્મનિરીક્ષણ કરે, જેલમુક્તિ પછી તે સમજદાર અને કાનૂનનું પાલન કરનાર જવાબદાર નાગરિક બને તેમ કરવાની જરૂર છે. અદાલતોએ જેમ કેદીઓના અધિકારો તેમ તેમની ફરજો પણ નિશ્ચિત કરી છે, તેનું ઉભય પક્ષોએ પાલન કરવું જોઈએ. શંકાના અધારે કે ગરીબ અને કહેવાતી નીચલી જ્ઞાતિના હોવા માત્રથી ધરપકડ કરી જેલમાં ગોંધી રાખવાનું વલણ ખોટું છે. અદાલતોએ પણ જામીન પર મુક્તિની સુનાવણીમાં ઝડપ કરવા તો સરકારે ઘરમાં નજરકેદ માટે કાયદામાં સુધારા માટે વિચારવું રહ્યું. જેલ સુધારણા નવી જેલો બનાવવાથી નહીં, હયાત જેલોને વધુ સગવડદાયી બનાવવામાં છે. નવો, સ્વસ્થ અને ન્યાયી સમાજ ત્યારે જ નિર્માશે જ્યારે ગુનામાં અને સરવાળે જેલોમાં ઘટાડો થશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

બેટી નહીં, બેટી જૈસી “સુજાતા”

રાજ ગોસ્વામી|Opinion - Opinion|1 March 2023

રાજ ગોસ્વામી

મહાત્મા ગાંધીની ગમતી ફિલ્મ કઈ હતી એવું કોઈ પૂછે તો “રામ રાજ્ય”નું નામ ઘણાને યાદ આવે. મૂળ પાલિતાણાના બ્રાહ્મણ પરિવારના વિજય ભટ્ટે 1943માં બનાવેલી આ ફિલ્મનો એક ખાસ શો મહાત્મા માટે મુંબઈના જુહુમાં યોજાયો હતો. પણ તમને કોઈ એવું પૂછે કે પંડિત જવાહરલાલ નહેરુની ફેવરીટ ફિલ્મ કઈ હતી, તો ઝટ કોઈ નામ જીભે ન ચઢે. નહેરુ આધુનિક મોજશોખ કરવાવાળા હતા તે સાચું, પણ તે ફિલ્મોના શોખીન હોય તેવું બહુ ધ્યાનમાં નથી આવ્યું. એક ફિલ્મ તેમાં અપવાદ છે; બિમલ રોયની 1959માં આવેલી “સુજાતા.”

આંતરજ્ઞાતિય લગ્ન પર આધારિત આ ફિલ્મને બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ ડિરેકટર અને બેસ્ટ સ્ટોરીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતી અને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. “સુજાતા”ને ફ્રાન્સમાં યોજાતા આંતરરાષ્ટ્રીય કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. પંડિત નહેરુએ આ ફિલ્મ જોઈ હતી, અને તેઓ એટલા પ્રભાવિત થાય હતા કે 28 જૂન 1959ના રોજ, બિમલ રોયને લખેલા એક પત્રમાં કહ્યું હતું;

“ફિલ્મની ફોટોગ્રાફી અને વાર્તા સરસ છે. ફિલ્મો ઉપદેશ આપવા લાગે તો બોરિંગ બની જવાનું જોખમ હોય છે. મેં જોયું કે ‘સુજાતા’માં એ ભૂલ ટાળવામાં આવી છે, અને એક મહત્ત્વના સામાજિક વિષયને અત્યંત સંયમિત રીતે છેડવામાં આવ્યો છે.”

દો બીઘા જમીન, પરિણીતા, બિરાજ બહુ, દેવદાસ, મધુમતી, પરખ અને બંદિની જેવી ક્લાસિક ફિલ્મો આપનારા યથાર્થવાદી ફિલ્મ સર્જક બંગાળી બાબૂ બિમલ રોયની યશસ્વી કારકિર્દીમાં “સુજાતા” એક સીમાચિન્હ સમાન છે. ભારતની આઝાદીની લડત ચાલતી હતી, ત્યારે તેની સમાંતર સામાજિક સુધારની પણ લડાઈ ચાલુ હતી, કારણ તે વખતના સામાજિક-રાજકીય આગેવાનોએ એ સમજાયું હતું કે ભારતીયોની ગુલામીનું એક કારણ તેમનું પછાતપણું, નિરક્ષરતા, અંધશ્રદ્ધા અને નાત-જાતના ભેદભાવ પણ છે. એટલે સમાજમાં આધુનિક વિચારો અને જીવનશૈલી પ્રચલિત થાય તે માટે પણ જાગૃતિનું કામ થતું હતું. 

તે વખતના ફિલ્મ સર્જકોએ પણ તેમની ઘણી હિન્દી ફિલ્મોમાં સામાજિક મુદ્દાઓ વણી લીધા હતા. ખાસ કરીને બંગાળમાં સુધારાવાદી ચળવળ બહુ તીવ્ર હતી, એટલે ત્યાંના સાહિત્ય-સિનેમામાં તેની ઝલક બહુ જોવા મળતી હતી. સુબોધ ઘોષ નામના એક બંગાળી લેખક અને પત્રકારે “સુજાતા” નામની નવલકથા લખી હતી, જે બિમલ રોયની ફિલ્મનો આધાર બની હતી (ઘોષની જ “જાતુ ગૃહ” વાર્તા પરથી ગુલઝારે  “ઇજાજત” બનાવી હતી).

“સુજાતા” એ અર્થમાં માથે ચઢાવવા જેવી ફિલ્મ છે. ઉપર-ઉપરથી તો તે એક પ્રેમ કહાની હતી, પરંતુ એ લોલીપોપમાં બિમલા’દાએ ઊંચ-નીચના ભેદનો કડવો ઘૂંટ પીવડાવ્યો હતો, જે તત્કાલીન સમાજની એક વરવી વાસ્તવિકતા હતી, અને આજે ય છે. એ કારણથી આ ફિલ્મ આજે પણ એટલી જ પ્રાસંગિક લાગે છે. તેની વાર્તા કંઈક આવી હતી.

એક બ્રાહ્મણ યુગલ, ઉપેન્દ્ર ચૌધરી અને ચારુ (તરુણ બોઝ અને સુલોચના લતકર), મહામારીમાં અવસાન પામેલી તેમની કામવાળીની દીકરીને ઉછેરે છે અને તેને સુજાતા (નૂતન) આપે છે. ઉપેનને સુજાતા દીકરી જેવી લાગે છે, પણ ચારુ અને તેની ફોઈ (લલિતા પવાર) તેને અછૂત ગણીને છેટી રાખે છે. ફિલ્મનો પહેલો એક કલાક એ સ્થાપિત કરવામાં જાય છે કે સુજાતા “બેટી જેવી છે” પણ “બેટી” નથી, કારણ કે તે “નીચી જાતિ”ની છે. ચારુનો એક સંવાદ પણ છે, “વો હમારી બેટી નહીં, હમારી બેટી જૈસી હૈ.”

ફોઈનો દીકરો અધીર (સુનીલ દત્ત) સુજાતાના પ્રેમમાં પડે છે, પણ ફોઈની ઈચ્છા ચારુની અસલી દીકરી રમા (શશીકલા) સાથે તેનાં લગ્ન કરાવવાની છે. એક દિવસ ચારુ અને ફોઈ વચ્ચેની વાત સુજાતાના કાને પડે છે અને તેને ખબર પડે છે કે તે અછૂત છે. આ હકીકતને સ્વીકારીને તે અધીરને દૂર રાખવાની કોશિશ કરે છે, પરંતુ અધીર શહેરમાં ભણેલો-ગણેલો આધુનિક વિચારોનો માણસ છે. તે આવા ઊંચ-નીચના રિવાજોમાં માનતો નથી. 

એક દિવસ ચારુને અકસ્માત થાય છે અને તેને લોહીની જરૂર પડે છે. એવું લોહી માત્ર સુજાતા જ આપી શકે તેમ છે. સુજાતાની એ ઉદારતા જોઈને ચારુના દિલમાં પરિવર્તન આવે છે અને હવે તે સુજાતાને દીકરીની જેમ પ્રેમ કરવા લાગે છે. છેલ્લે ફોઈ પણ અધીર અને સુજાતાનો સંબંધ સ્વીકારી લે છે. 

પચાસના દાયકામાં જ્યારે ભારતીય સમાજમાં છુઆછૂતનું ચલણ ખૂબ હતું, ત્યારે બિમલ રોયે એક એવી સંયમી ફિલ્મ બનાવી હતી, જેમાં ન તો કોઈ ઉપદેશ આપવાની ભાવના હતી, ન તો લોકોને ઉશ્કેરવાનો આક્રોશ કે ન તો સહાનુભૂતિ મેળવવા માટેની રડારોડ. તેમણે તત્કાલીન સમાજની એક ક્રૂર વ્યવસ્થા અંગે કોઈ જજમેન્ટ પસાર કર્યા વગર, દરેક પાત્રની સંવેદનાને ધ્યાનમાં રાખીને હળવા હલેસે એક ગોદો માર્યો હતો. નહેરુને ફિલ્મની આ જ વાત પસંદ પડી હતી. 

છુઆછૂત સામે સૌથી વધુ જાગૃતિનું કામ મહાત્મા ગાંધી અને ડો. આંબેડકરે કર્યું હતું. ફિલ્મમાં એક દૃશ્યમાં ગાંધીજીનો પરોક્ષ સંદર્ભ પણ છે. અછૂત હોવાના અપમાનમાંથી છૂટવા માટે સુજાતા આત્મહત્યા કરવા માટે વરસતા વરસાદમાં નીકળી પડે છે, પણ તે ગાંધી ઘાટ પર પહોંચી જાય છે, જ્યાં મહાત્માની પ્રતિમા નીચે લખેલું હોય છે, “મરે કૈસે? આત્મહત્યા કરકે? કભી નહીં! આવશ્યકતા તો હો તો ઝિંદા રહને કે લિયે મરે.” એ વાંચીને સુજાતાનો ઉશ્કેરાટ શાંત થઇ જાય છે. 

આપણે કોરોના કાળમાં જોયું હતું કે ચેપી રોગમાં કેવી રીતે જાતિભેદ ઉભરીને બહાર આવે છે. બિમલ રોયે પચાસ વર્ષ પહેલાંના એ ભારતીય સમાજની વાત આ ફિલ્મમાં કરી હતી, જેમાં કોલેરા જેવો રોગ એક ચોક્કસ વર્ગમાં જ ફેલાય છે. એક દૃશ્યમાં ગામનો પંડિત અમુક લોકોને અડવાની ના પાડતાં “વૈજ્ઞાનિક કારણ” આપે છે કે એવા લોકો નશીલો ગેસ છોડે છે!

ફિલ્મની વિશેષતા નૂતન હતી, જેને સુજાતાના પાત્ર માટે બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો (બિમલ રોયને બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ડિરેકટરનો એવોર્ડ મળ્યો હતો). નૂતન હિન્દી સિનેમાની એ અભિનેત્રીઓમાંથી એક છે જેને “નેચરલ એકટર” કહેવાય છે. એ કોઇ પણ ભૂમિકામાં એટલી સહજ રીતે ઓતપ્રોત થઇ જતી કે એવું લાગે કે નૂતન ખુદ આવી જ હશે. “સુજાતા”માં એક કાળી અને અછૂત છોકરીનો તેનો અભિનય જોઇને લાગે કે જાણે નૂતન અસલમાં સામાજિક અન્યાયનો ભોગ બની હશે.

ફિલ્મનું અન્ય સશક્ત પાસું હતું તેનું સંગીત. મજરૂહ સુલતાનપૂરીના બોલ અને એસ.ડી. બર્મને સંગીતે તેમાં જાદુ ઊભો કર્યો હતો. કુલ સાત ગીતો હતાં અને પાંચ એટલાં સદાબહાર હતાં કે આજે ય લોકપ્રિય છે; સુનો મેરે બંધૂ રે, જલતે હૈ જિસકે લિયે, કાલી ઘટા છાયે મોરા જીયા તરસાયે, તુમ જીઓ હજારો સાલ અને બચપન કે ભી ક્યા દિન થે

1995માં નૂતને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “મારી બે ગમતી ભૂમિકા બંદિની અને સુજાતા હતી. બંને ફિલ્મોએ સ્ત્રીત્વના એવાં અજાણ્યાં પાસાંઓને એટલી તાકાતવર રીતે બતાવ્યાં હતાં, જે મારી બીજી ફિલ્મોમાં જોવા નથી મળ્યાં.”

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”, 01 માર્ચ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,1781,1791,1801,181...1,1901,2001,210...

Search by

Opinion

  • માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેમ આટલી વિકરાળ બની છે?
  • નામ બદલને સે ક્યા હોગા જબ તક નિયત નહિ બદલતી! 
  • હવે અખબારોને અખબાર ન માનો !
  • RSS દ્વારા સરદાર પટેલ અને ભારત સાથે વચનભંગ
  • નારી વિમર્શ અને એવું બધું … પર્સનલ ઈઝ પોલિટિકલ!

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved