સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનાં નિવૃત્ત અધ્યક્ષા અરુંધતી ભટ્ટાચાર્ય મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે જોડાયાં છે. અરુંધતી ભટ્ટાચાર્ય હોનહાર અને કર્તબગાર મહિલા છે, એટલે તેમની માંગ હોય એ સ્વાભાવિક છે. વળી, તબિયત પણ સાથ આપી રહી છે, એટલે અરુંધતી ભટ્ટાચાર્ય પણ હજુ કેટલાંક વરસ કામ કરી શકે એમ છે.
આધુનિક આયુર્વિજ્ઞાને માણસની જિંદગીની આયુષરેખા વધારી આપીને કેટલીક સમસ્યાઓ પેદા કરી છે. પહેલાં માણસ ૬૦ વરસ માંડ જીવતો, એટલે કામ કરનારી વ્યક્તિ ૬૦ની આસપાસ કાં પ્રભુને પ્યારી થઈ જતી, અને કાં નિવૃત્ત થઈને બાકીની નાનકડી જિંદગી ગુજારતી. આજે માણસ ૮૦-૮૫ વરસ તો સહેજે જીવે છે, એટલે સરકારી નિવૃત્તિ વય પછી ૨૦થી ૨૫ વરસ ગાળવાનાં હોય છે અને તે તે વ્યક્તિ માટે અને પરિવાર માટે એમ બન્નેને માટે વસમાં નીવડે છે.
નિવૃત્તિવય વધારી ન શકાય, કારણ કે નવી પેઢી માટે જગ્યા કરવાની હોય છે. આને કારણે પેલા નિવૃત્ત માણસને બે દાયકા વિતાવવા આકરા પડે છે. ઘરમાં ખટરાગ થાય છે અને જો વ્યવસાયિક હોય, તો વ્યવસાયમાં પિતા-પુત્ર વચ્ચે ધંધાના અભિગમની બાબતે મતભેદ થાય છે. આજે જનરેશન ગેપ એક જનરેશન જેટલો પહોળો થઈ ગયો છે. સરકાર નિવૃત્ત કર્મચારીઓને પેન્શન ચૂકવતાં લાંબી થઈ જાય છે. જેટલાં વરસ કામ કર્યું હોય લગભગ એટલી જ લાંબી અવધિ માટે પેન્શન આપવું પડે છે. જ્યારે પેન્શન સ્કિમ દાખલ થઈ ત્યારે આયુષ્યરેખા આટલી લાંબી નહોતી. આમાં લશ્કરી જવાનોની સમસ્યા વધારે પેચીદી છે. જવાનો માટેની નિવૃત્તિ વય વહેલી હોય છે, એટલે વીસ વરસની નોકરી સામે ૪૦ વરસ પેન્શન આપવું પડે છે. એટલે તો ઇન્દિરા ગાંધીએ સમજાવી બુજાવીને ૧૯૭૨માં વન રૅન્ક વન પેન્શન બંધ કર્યું હતું. પેન્શન ચૂકવીને સરકારની કમર તૂટી જતી હતી. જેનાથી ડાહ્યાઓ દૂર રહે ત્યાં સાહેબો કૂદી પડતા હોય છે, પણ જવા દો એ વાત.
અરુંધતી ભટ્ટાચાર્યને મુકેશ અંબાણીએ કર્તબગારીની કદર તરીકે લીધાં છે કે કોઈ બીજાં કારણે એવો સવાલ થવો સ્વાભાવિક છે. સવાલ ઉપસ્થિત થવા માટે કારણો છે. દરેક વખતે પુરાવાઓ નથી હોતાં, પણ સાદી સમજ કેટલાક સવાલો તો ઉપસ્થિત કરે જ છે. થોડા મહિના પહેલાં ભારતના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની તટસ્થતા વિશે સવાલો થતા હતા અને શંકાઓ પેદા કરવામાં આવતી હતી, ત્યારે જાણીતા ધારાશાસ્ત્રી ફલી નરીમાને દીપક મિશ્રાને સલાહ આપી હતી કે તેમણે નિવૃત્તિ પછી કોઈ સરકારી કે અર્ધ-સરકારી પદ નહીં લે એવી જાહેરાત કરી દેવી જોઈએ. જાહેરાતની સાથે એક ચપટી વગાડતા વિવાદ શમી જશે. તમારી પ્રામાણિકતા વિશે કોઈ શંકા નહીં કરે. કહેવાની જરૂર નથી કે ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ આવી જાહેરાત કરી નહોતી.
પાંચ વરસ પહેલાં અરુણ જેટલી જ્યારે વિરોધ પક્ષો માટેની બેંચ પર બેસતા હતા, ત્યારે તેઓ ખૂબ ડાહ્યા હતા. એવા એવા અમૃત વચનો તેમના મોઢેથી ત્યારે ઝરતાં હતાં કે ન પૂછો વાત. તેમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચારની ગંગોત્રીના જે મુખ્ય મુખ્ય સ્રોત છે, એમાં એક નિવૃત્તિ પછીની સક્રિયતાની છે. અર્થાત્ આવકના સાધનોની અને પદ તેમ જ પ્રતિષ્ઠાની છે. આને કારણે ભારત સરકારના ચીફ સેક્રેટરી, દેશના મુખ્ય ન્યાયમૂર્તિ અને લશ્કરી વડાથી લઈને પંચાયતના પટ્ટાવાળા સુધી નિવૃત્તિ પછીની તજવીજ કરવા લાગે છે. એ ક્યાં થઈ શકે? ત્યાં જ્યાં નિવૃત્તિ ફરજિયાત ન હોય અર્થાત્ ખાનગી કંપનીઓમાં. એ કેવી રીતે બની શકે? અમીદૃષ્ટિ રળીને અને સરકારી નોકરીના દિવસોમાં ખાનગી શેઠની અમીદૃષ્ટિ કેવી રીતે મળી શકે એ કહેવાની જરૂર નથી. અરુણ જેટલીએ તેમના દેશપ્રેમના દિવસોમાં આવું નિદાન કર્યું હતું અને આગ્રહ કર્યો હતો કે એક સ્તરથી ઉપરના સરકારી કર્મચારીઓ (એમાં લશ્કરી વડા કે મુખ્ય ન્યાયમૂર્તિ સહિત બધા જ આવી ગયા) માટે ઓછામાં ઓછા પાંચ વરસનો કૂલિંગ પીરિયડ ફરજિયાત કરવામાં આવે. નિવૃત્તિ પછીનાં પાંચ વરસ સરકારી કર્મચારી કોઈ જગ્યાએ નોકરી નહીં કરે, સરકારી નિમણૂકો નહીં મેળવે, રાજ્યપાલ કે જે તે પંચોના વડા જેવાં પદો નહીં ભોગવે, વગેરે. રસ્તા બંધ કરી દો તો આપોઆપ તજવીજ કરતા બંધ થઈ જશે. આ એ દિવસોના ઈલાજ છે જ્યારે અરુણ જેટલી વિરોધ પક્ષમાં હતા અને શાસકોએ શું કરવું જોઈએ એનું બ્રહ્મજ્ઞાન ધરાવતા હતા.
ખબર નહીં કેમ, ભારતમાં સત્તામાં આવતાની સાથે જ નેતાઓ બ્રહ્મજ્ઞાન ભૂલી જાય છે. પોતાનું આપેલું જ્ઞાન પોતે જ ભૂલી જાય છે. અરુણ જેટલીએ અને કેન્દ્ર સરકારે પાંચ વરસનો કૂલિંગ પીરિયડ લાગુ કરવા માટે કોઈ પ્રયાસ કર્યો નથી અને કરવાના પણ નથી. આવતા વરસે જો કોઈ બીજા પક્ષોની સરકાર આવશે તો એ પણ નથી કરવાના એ લખી રાખજો. બહુ મોટી ગેમ છે સરકારી તિજોરી ખાલી કરવાની. આજની જાગતિક મંદીના યુગમાં કમાવાનું સૌથી સદ્ધર અને નુકસાન નહીં થવાની ખાતરીવાળું સાધન સરકારી અર્થાત્ દેશના સંસાધનોની કરવામાં આવતી લૂંટ છે. એ ખાણ હોઈ શકે છે, સ્પેક્ટ્રમ હોઈ શકે છે, રાફેલ જેવો લશ્કરી કોન્ટ્રાક્ટ હોઈ શકે છે, વિકાસલક્ષી પ્રોજેક્ટના નામે જમીન હોઈ શકે છે કે પછી બેંકોની હજારો કરોડની લોન હોઈ શકે છે.
એક રૂપિયાનું નુકસાન નહીં અને અબજો રૂપિયાની બેઠી કમાણી. શાસકોને કહી દેવાનું કે પાંચ વરસનો કૂલિંગ પીરિયડ લાગુ કરવાનો નથી. ચૂંટણી જીતવી છે ને? સરકારી સાહેબોને કહી દેવાનું કે પાંચ વરસ પહેલાંથી વોર્મઅપ પીરિયડ લાગુ કરીને લાયકાત સાબિત કરો. પાંચ વરસનો વોર્મઅપ પીરિયડ કમ્પલસરી. જો એ પહેલાથી ક્યાં જવું છે એ નક્કી કરીને જ્યાં જવું હોય એને માટે હુંફ આપવાનું શરૂ કરી દો તો તમારી લાયકાતમાં વધારો થશે. વળતર લાયકાત મુજબ એ તો જગતનો સિદ્ધાંત છે.
પ્રારંભમાં શંકા જાય એવા સવાલોની વાત કરી હતી. પહેલો અને સૌથી મોટો સવાલ સરકારી કર્મચારીને નિવૃત્તિ પછી નોકરીએ રાખનાર અને લેનારને એ પૂછવો જોઈએ કે હોનહાર કર્તબગાર સરકારી સેવક પૂરો સમય (નિવૃત્તિ સુધી) સરકારી નોકરી શા માટે કરે છે? વધારાની મુદત (એક્સ્ટેન્શન) પણ છોડતા નથી? જ્યારે સરકારની અંદર એક દિવસ પણ વધુ રહેવું શક્ય ન હોય, ત્યારે અને માત્ર ત્યારે જ કર્તુત્વવાનોના કદરદારો કદર કરવા દોડી જાય છે. એક દિવસ માટે પણ વહેલી કદર કરવા તેઓ આગળ નથી આવતા. કર્તુત્વવાનોને ખબર છે કે તેઓ કેવા હોનહાર છે. તેમને એ પણ ખબર છે કે સરકારી પગાર કરતાં મોટી કોર્પોરેટ કંપનીઓમાં દસ ગણો વધારે પગાર મળે છે. શા માટે તેઓ પોતાનું કૌવત લઈને દસ ગણો પગાર કમાવા નથી જતા? દેશપ્રેમ એ જો તમારો જવાબ હોય તો તમે દેશઘેલા મૂર્ખ છો. હોનહાર સરકારી સેવકોની હોનહારી જોઇને શેઠિયાઓના મોંમાં પાણી આવતું હોવા છતાં તેઓ સંયમ જાળવે છે, અને હોનહારને છેક છેલ્લી ઘડી સુધી સરકારની સેવા કરવા દે છે. કર્તબગાર અને કદરદાન બન્ને સંયમ જાળવે છે. ઊલટું કદરદાનો કર્તબગારને સરકારી સેવામાં એક્સ્ટેન્શન મળે એ માટે પણ પ્રયાસ કરે છે.
તો પછી, તેઓ સરકારની અંદર છેલ્લી ઘડી સુધી રહીને કોની સેવા કરતા હતા? તેમનો બોસ સાથેનો વોર્મઅપ પીરિયડ કેટલો લાંબો હતો? દરેક અનૈતિક વ્યવહાર કૌભાંડના સ્વરૂપનો નથી હોતો, પરંતુ એનો અર્થ એવો પણ નથી હોતો કે શંકા કરવા માટે કોઈ જગ્યા નથી.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 24 અૉક્ટોબર 2018