કેન્દ્ર સરકારે સી.બી.આઈ.ના બે ઝઘડતા વરિષ્ટ અધિકારીઓને એક સાથે રજા પર ઉતારી મુક્યા છે. આલોક વર્મા સી.બી.આઈ.ના ડાયરેક્ટર છે અને રાકેશ અસ્થાના સ્પેિશયલ ડાયરેક્ટર છે. આ ઉપરાંત બીજા પણ અધિકારીઓને ફરજિયાત રજા પર ઉતારવામાં આવ્યા છે. આશ્ચર્ય એ વાતનું છે કે દિલ્હીની વડી અદાલતે ૨૯મી ઓક્ટોબરે થનારી હવે પછીની સુનાવણી સુધી જૈસે થેની સ્થિતિ જાળવી રાખવાની અને કોઈ પણ નવું પગલું નહીં ભરવાની બને પક્ષને સલાહ આપી હોવા છતાં, કેન્દ્ર સરકારે દરમ્યાનગીરી કરવાની શું જરૂર પડી? જવાબ બહુ સ્પષ્ટ છે. સી.બી.આઈ.ના ડાયરેક્ટર આલોક વર્માએ રાકેશ અસ્થાનાની ધરપકડ કરવાની પરવાનગી માગી હતી એ તો જાણે ઠીક છે, પરંતુ તેમણે રફેલ વિમાનના સોદાની વિગતો પણ માગી હતી. એકલા આલોક વર્માને તો રજા પર ઉતારાય નહીં, એટલે લડાઈ શાંત કરવાના નામે દરેક લડનારાને ઘરે મોકલી આપવામાં આવ્યા છે. વળી, જો રાકેશ અસ્થાનાની ધરપકડ કરવામાં આવે, તો પૂછપરછ દરમ્યાન ઘણું બધું બહાર આવે અને બીજું, સી.બી.આઈ. અને એ પણ ડાયરેક્ટરના સ્તરની વ્યક્તિ વિવાદાસ્પદ સોદાની વિગતો માગે તો ના પણ કઈ રીતે પાડવી? અરુણ શૌરી અને પ્રશાંત ભૂષણની ફરિયાદ સી.બી.આઈ. પાસે પડી છે એટલે સી.બી.આઈ.નો સંબંધિત ડોક્યુમેન્ટ માગવાનો અધિકાર બને છે.
ગેમ જુઓ : રફેલ જેવા કૌભાંડોમાં રફેદફે કરવામાં મદદ કરે એવા કહ્યાગરા માણસની સી.બી.આઈ.માં ગોઠવણ કરવી જરૂરી હતી. આલોક વર્માના પુરોગામી ડાયરેક્ટર અનિલ સિંહાની ૨જી ડિસેમ્બર ૨૦૧૬ના રોજ મુદત પૂરી થવાની હતી. એ સમયે આર.કે. દત્ત નામના અધિકારી સ્પેિશયલ ડાયરેક્ટર અને નબર ટુનો દરજ્જો ધરાવતા હતા. તેઓ સી.બી.આઈ.ના ડાયરેક્ટર તરીકે અનિલ સિંહાના અનુગામી ન બને એ માટે અનિલ સિંહાની નિવૃત્તિના માત્ર બે દિવસ પહેલાં આર.કે. દત્તની ગૃહ ખાતામાં બદલી કરવામાં આવી હતી. એ ઘટના સ્વયં આઘાતજનક હતી, ત્યાં ખબર આવ્યા કે તેમની જગ્યાએ ગુજરાત કેડરના પોલીસ અધિકારી રાકેશ અસ્થાનાની સી.બી.આઈ.ના સ્પેશ્યલ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. બીજી ડિસેમ્બરે અનિલ સિંહા નિવૃત્ત થયા અને તેમની જગ્યાએ હજુ તાજા આવેલા અને સી.બી.આઈ.માં નબર ટુનું સ્થાન ધરાવતા રાકેશ અસ્થાનાને વચગાળાના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા. ગણતરી એવી હતી કે રાકેશ અસ્થાનાને પૂરા સમયના ડાયરેક્ટર બનાવવા. રાકેશ અસ્થાનાએ ગુજરાતમાં તેમની વફાદારી સાબિત કરી આપી હતી.
આમ તો પાળીતા પત્રકારો દેશપ્રેમનો દેકારો બોલાવીને દેશપ્રેમીઓને ઘેનમાં રાખવાના દરેક પ્રકારના યથાસંભવ પ્રયત્નો કરે છે, પરંતુ દેશમાં આઠ-દસ દેશદ્રોહીઓ એવા છે જે જંપવા દેતા નથી. ગણીને આઠ-દસ જણા છે અને સામે પાળીતાઓની મોટી ફોજ છે અને છતાં એ આઠ-દસ જણા ભારી પડે છે. સત્ય જ્યારે ચોરે આવી જાય ત્યારે પાળીતાઓએ બચાવ કરવા ઊતરવું પડે છે. ન્યુઝ તો છુપાવ્યા, પણ બચાવ કરવા ઊતરવું પડે છે. આવું પત્રકારત્વ ભારત સિવાય દુનિયાના કોઈ દેશમાં જોવા નહીં મળે. તો એ આઠ-દસ જણામાંના એક પ્રશાંત ભૂષણે રાકેશ અસ્થાનાની વચગાળાના ડાયરેક્ટર તરીકેની નિમણૂકને પાંચમી ડિસેમ્બર ૨૦૧૬ના રોજ સર્વોચ્ચ અદાલતમાં પડકારી હતી. પ્રશાંત ભૂષણે રાકેશ અસ્થાનાની ગુજરાતમાંની કામગીરીની આખી કુંડળી સર્વોચ્ચ અદાલતમાં રજૂ કરી હતી. તેઓ કેવા કહ્યાગરા છે અને સાહેબોના કેટલા વહાલા છે એની વિગતો પણ અદાલતમાં રજૂ કરવામાં આવી હતી.
પ્રશાંત ભૂષણના કારણે દૂધપાકમાં નમક પડી ગયું. એક તો સી.બી.આઈ.ના ડાયરેક્ટરની નિમણૂક વડા પ્રધાન, વિરોધ પક્ષના નેતા અને દેશના મુખ્ય ન્યાયમૂર્તિ અથવા તેઓ જેની નિમણૂક કરે એ સર્વોચ્ચ અદાલતના જજની બનેલી કોલેજિયમ કરે છે. એમાં પ્રશાંત ભૂષણ અદાલતમાં ગયા અને રાકેશ અસ્થાનાની કુંડળી ઉઘાડી પડી ગઈ. ઓછામાં પૂરું જેમની અચાનક અને કારણ વિના બદલી કરવામાં આવી હતી, એ આર.કે. દત્ત સેન્ટ્રલ વિજીલન્સ કમિશનર પાસે ફરિયાદ લઈને ગયા, એટલે હવે આંગળિયાત અધિકારી નામે રાકેશ અસ્થાનાને ધરાર સી.બી.આઈ.ના ડાયરેક્ટર તરીકે બઢતી આપી શકાય એમ નહોતું. ના છૂટકે પહેલી ફેબ્રુઆરી ૧૯૧૭ના રોજ આલોક વર્માની બે વરસ માટે સી.બી.આઈ.ના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવી પડી હતી. તેમની મુદત આવતા વરસની ૩૧મી જાન્યુઆરીએ પૂરી થશે, પરંતુ એ પહેલાં રફેલના સોદાને રફેદફે કરવો જરૂરી છે.
સી.બી.આઈ.ના ડાયરેક્ટર આલોક વર્મા તેમને રજા પર ઉતારી મુકવામાં આવ્યા, એની સામે સર્વોચ્ચ અદાલતમાં ગયા છે. તેમની નિમણૂક કોલેજિયમ દ્વારા થઈ છે એટલે સરકાર મનસ્વીપણે તેમને ટ્રાન્સફર તો કરી શકે એમ નથી. જો તેમને હટાવવા હોય તો લાંબી અને અટપટી પ્રક્રિયામાંથી પસાર થવું પડે. સરકારને ડર છે કે જો તેઓ ચાલુ રહેશે તો રફેલ સોદાની વિગતો માગવાનું ચાલુ રહેશે અને નહીં આપવા માટે કોઈ નક્કર કારણ નથી. સર્વોચ્ચ અદાલતે પણ બંધ કવરમાં રફેલ સોદાની વિગતો માગી છે. ફરિયાદી તરીકે પ્રશાંત ભૂષણ અને અરુણ શૌરી એ વિગતો માગી શકે છે. જોઈએ સર્વોચ્ચ અદાલત શું વલણ અપનાવે છે. જૈસે થેનો વડી અદાલતનો આદેશ હોવા છતાં તેમને રજા પર શા માટે ઉતારી મૂકવામાં આવ્યા, એવો પ્રશ્ન સર્વોચ્ચ અદાલત પૂછશે અને ઘણું કરીને સરકારનો આદેશ રદ્દ કરશે.
તમે એક વાત નોંધી? રાકેશ અસ્થાના સામે ગંભીર પ્રકારની ફરિયાદો આમ તો જૂની છે, અને તેમાં નવી પણ ઉમેરાઈ છે. અસ્થાના પોતાનો બચાવ કરતા હતા અને એ રીતે બીજા દરેક વિભાગમાં બને છે એમ બોસ અને નબર ટુ વચ્ચે સાઠમારી ચાલતી હતી. દરેક જગ્યાએ આવું બનતું હોય છે. દુનિયાને આની ખાસ જાણ નહોતી. અચાનક થોડા દિવસ પહેલાં રાકેશ અસ્થાના બોલતા થયા અને આલોક વર્મા સામે મોરચો ખોલ્યો. અસ્થાનાના પ્રલાપની અને અરુણ શૌરી-પ્રશાંત ભૂષણની રફેલ સોદાની દાખલ કરવામાં આવેલી ફરિયાદની તારીખ મેચ કરી જુઓ.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 25 અૉક્ટોબર 2018