તંત્રમાં રહીને તંત્ર બદલવાવાળા વાક્યની નિરર્થકતા ચૂંટણી પંચની દિશાહીન દશા જોઇને સમજી શકાય છે.
આપણા લોકશાહી દેશમાં ચૂંટણી પંચની કામગીરી, તેની પ્રતિષ્ઠા તેનો અભિપ્રાય બહુ જ કિંમતી ગણાય છે. વર્ષોથી અહીં એવા જ બ્યુરોક્રેટ્સ ચૂંટણી કમિશનર તરીકે નિમાતા હોય છે જેમનો ટ્રેક રેકોર્ડ એકદમ સાફસૂથરો હોય. વિશ્વમાં ઘણાં લોકશાહી રાષ્ટ્રો એવા છે જ્યાં કોઇ પણ પ્રકારની અંચઇ વગર ચૂંટણી કરવી બહુ અઘરી છે. ભારત તો આટલો મોટો દેશ હોવા છતાં, આટલી બધી વસ્તી હોવા છતાં દાયકાઓથી આપણે ત્યાં મહદંશે, પૂરેપરી 100 ટકા નહીં પણ 85-95 ટકા જેટલી ન્યાયી અને મુક્ત રીતે તથા સમયસર ચૂંટણીઓ થતી આવી છે. આપણી ચૂંટણીઓમાં અરાજકતા કે અંધાધૂંધી પ્રમાણમાં નહીં જેવી છે અથવા ઓછી છે તેનો પૂરો શ્રેય જાય છે ભારતના ચૂંટણી પંચને. આમ તો ચૂંટણી પંચમાં બે કમિશનર હોય અને મુખ્ય ચૂંટણી કમિશનર હોય. આ કમિશનર્સની નિમણૂકને રાજકીય ચંચુપાતથી દૂર રાખવાનો પૂરો પ્રયત્ન કરાય છે જેથી તે કોઇ સરકારી અધિકારી કે કોઇ પક્ષના હાથની કઠપૂતળી ન બની શકે. કમનસીબે આ સ્થિતિ બદલાઇ રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી એમ લાગે છે કે ચૂંટણી પંચ કોઇ જુદાં જ પ્રકારના દબાણમાં કામ કરી રહ્યું છે. એક સમયે ચૂંટણી પંચના કમિશનરના નામથી ભલભલાના હાંજા ગગડી જતા પણ માળું આપણે ત્યાં તો ચૂંટણી પંચના એક નહીં પણ બબ્બે અધિકારીઓએ રાજીનામું આપી દીધું છે. ભારતના ઇતિહાસમાં એવું ત્રણ જ વાર બન્યું છે કે ચૂંટણી પંચના કમિશનરની પદવી સંભાળનાર અધિકારીએ રાજીનામું આપ્યું હોય. આ ત્રણમાંથી બે ઘટના તો છેલ્લાં ચાર વર્ષમાં જ બની છે અને પાછું તેમના ચૂંટણી પંચમાંથી ચાલ્યા જવાનાં કારણો અંગે નકરી અસ્પષ્ટતા છે.
સૌથી પહેલાં ચૂંટણી પંચના કમિશનરની પદવી પરથી 1973માં ડૉ. નાગેન્દ્ર સિંઘે રાજીનામું આપ્યું હતું કારણ કે તેઓ ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસના જજ તરીકે નિમાયા હતા, તે ચૂંટણી પંચના ચોથા મુખ્ય કમિશનર હતા. આ પછી આવી ઘટના બની સીધી 2020ની સાલમાં જ્યારે અશોક લવાસાએ ચૂંટણી પંચના કમિશનરના પદેથી રાજીનામું આપ્યું અને ત્યારે તો ભારે વિવાદ થયો હતો. ત્રીજું રાજીનામું હમણાં તાજેતરમાં અરુણ ગોયલનું છે અને તે પણ ચૂંટણીના દિવસો ઢૂંકડા છે ત્યારે, અને માટે જ તેમના રાજીનામાની આસપાસ સવાલોનો વંટોળિયો ખડો થયો છે. કદાચ આ બે રાજીનામાં પાછળનાં સાચાં કારણો ક્યારે ય જાણવા નહીં મળે પણ ટી. એન. શેષન અને જે.એમ. લિંગ્ડોહ જેવા ધારદાર, નિષ્પક્ષ અને પ્રામાણિક અધિકારીઓએ જે ચૂંટણી પંચની પરિકલ્પના રચી હતી તે હવે પહેલાં જેવું રહ્યું નથી. ચૂંટણીનું પરિણામ ભલે જે પણ આવે પણ લોકશાહી રાષ્ટ્રના ચૂંટણી પંચની સ્વતંત્રતા હવે ધૂંધળી વાસ્તવિકતા બની જશે? ત્રણ સભ્યોના ચૂંટણી પંચમાં હવે એક માણસ રહી ગયો છે અને એ છે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને બીજી પદવી આમે ય ખાલી હતી કારણ કે ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્રા પાંડેનું ટેન્યોર ફેબ્રુઆરીમાં પતી ગયું હતું. વડા પ્રધાનના નેતૃત્વ હેઠળ બેઠક થશે અને બે નવા ચૂંટણી કમિશનર નિમાશે પણ ખરા, કદાચ તમે વાંચશો ત્યાં સુધીમાં એ નામો જાહેર પણ થઇ ગયા હોય એમ બને.
મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિમણૂક, સેવાની શરતો અને ટર્મ ઑફ ઑફિસ વિધેયક 2023) હવે કાયદો બની ચૂક્યો છે અને આ કાયદા અનુસાર વડા પ્રધાન પાસે ચૂંટણી કમિશનરની પસંદગી કરનારી સમિતિનું નેતૃત્વ કરવાની સત્તા છે. વળી સમિતિમાં હશે કોણ તો કહે, ‘હું બાવો અને મંગળદાસ’ એટલે કે વડા પ્રધાન પોતે, તેમણે નિયુક્ત કરેલા યુનિયન કેબિનેટ મિનિસ્ટર અને વિરોધ પક્ષ અથવા સૌથી મોટા પક્ષનો કોઇ નેતા. હવે આમાં તો વડા પ્રધાનની મરજી જ ચાલવાની છે કારણ કે કેબિનેટ મિનિસ્ટર તો એમની પસંદગીથી અલગ મત આપવાના જ નથી. સુપ્રીમ કોર્ટે એમ સૂચવ્યું કે ચૂંટણી પ્રક્રિયા ન્યાયી અને મુક્ત રહે એ માટે વડા પ્રધાન, ચિફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા અને વિરોધ પક્ષના એક નેતા – એ રીતે ત્રણ જણની સમિતિ ચૂંટણી પંચના કમિશનરની નિમણૂક માટે કામ કરે. જો કે મોદી સરકારે આ સૂચનને ડૂચો વાળીને નાખ્યો બારીની બહાર અને ચિફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાને પસંદગી સમિતિમાંથી સદંતર કાઢી જ નાખ્યા. ટૂંકમાં જે ચૂંટણીને ધારે વડા પ્રધાન નક્કી થવાના છે એ ચૂંટણીના સુપરવાઇઝર પણ સત્તા પર બેઠેલા વડા પ્રધાન નક્કી કરશે.
હવે શું થશે? ગણતરીના દિવસોમાં કાયદો અને ન્યાય મંત્રાલય ઉમેદવારો નક્કી કરશે, એને વડા પ્રધાન ચર્ચા કરીને ઓકે કરશે અને છેલ્લે રાષ્ટ્રપતિ મંજૂરીની મહોર મારશે. આટલી અગત્યની નિમણૂક ઇન્સ્ટન્ટ નૂડલ્સની જેમ કરવામાં આવશે. ગોયલ અને લવાસા બન્ને ચૂંટણી કમિશનરોએ એવા સમયે ચૂંટણી પંચને આવજો કહ્યું કે જ્યારે તેમની બઢતી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે થવાની હતી. ચૂંટણી કમિશનર ગોયલ અને મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર બંગાળમાં ચૂંટણી તૈયારીઓની તપાસ કરવા ગયા ત્યારે તેમની વચ્ચે માથાકૂટ થઇ હતી જેને કારણે રાજીવ કુમારે પોતાની મુલાકાત પછીની પ્રેસ કોન્ફરન્સ એકલા જ સંબોધી અને કહ્યું એમ કે ગોયલ સાહેબની તબિયત બગડતાં તે દિલ્હી ચાલ્યા ગયા છે. જો કે ગોયલની નજીકના સૂત્રોના મતે કોઇ બિમારી નહોતી, પણ છતાં ય રાજીનામું આપ્યું અને પળવારમાં મંજૂર પણ થઇ ગયું. પશ્ચિમ બંગાળમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર પછી સૌથી વધુ બેઠકો હોય છે એટલે ત્યાં કશું કાચું ન કપાય એ જરૂરી છે એવામાં બે ચૂંટણી અધિકારીઓમાં આ બાબતે શું સમસ્યા થઇ હશે?
ભા.જ.પ.ના સત્તાધીશ ચૂંટણી પંચને ગણકારતા નથી એવું કહેવું જોઇએ? 2019માં પૂર્વ ચૂંટણી પંચ કમિશનર અશોક લવાસાએ અમિત શાહ અને મોદીને એ કારણ ધરીને ક્લિન ચિટ નહોતી આપી કે ચૂંટણીની કામગીરીમાં નિયમ ભંગ કરાયા હતા. લવાસાની આ વાત સાથે બીજા બે ચૂંટણી કમિશનર સંમત નહોતા પણ લવાસાએ મોદી અને શાહ પાસે ચોખવટ માંગી હતી અને અંતે થયું શું? લવાસાને ટાર્ગેટ કરવામાં આવ્યા, સ્નૂપિંગ પણ કરાયું, આઇ.ટી. વિભાગ હાથ ધોઇને લવાસા પરિવારની પાછળ પડી ગયો, નોટિસો ફટકારાઇ, તેમના લેપટૉપમાંથી ખાનગી માહિતીઓ ચેક કરવામાં આવી અને જે લવાસા મુખ્ય ચૂંટણી અધિકારી બનવાના હતા તેમણે આખરે નોકરી છોડી અને એશિયન ડેવલપમેન્ટ બૅંકમાં જોડાઇ ગયા. લવાસા ગયા અને રાતોરાત ગોયલની નિમણૂક થઇ ગઇ, ન કોઇ મસલત થઇ ન કોઇ બેઠકો થઇ. ચૂંટણી પંચની પારદર્શિતા ગઇ પાણીમાં! તર્ક એમ અપાય કે પહેલાં ય એવું થતું કે ચૂંટણી પંચમાં એક જ અધિકારી નિમાતા તો હવે અત્યારે ત્રણને બદલે એક છે તો શું ફેર પડે છે? આ જ સમીકરણ લાગુ કરવું હોય નવી લાગુ કરેલી ઘણી બાબતો ન હોય તો ચાલે એવું આપણે કહી જ શકીએ છીએ. વળી ચૂંટણી માથે છે એટલે આ મુદ્દાને લઇને અલગ અલગ પક્ષના નેતાઓ ચૂંટણી પંચના અધિકારીઓની એક્ઝિટ અંગે ટિપ્પણી કરી રહ્યા છે, કોઇ ભા.જ.પ.ના વિરોધમાં તો કોઇ ગોયલના વિરોધમાં બોલી રહ્યા છે.
મોદી સરકારના કાર્યકાળમાં બબ્બે ઇલેક્શન કમિશનરે રાજીનામું આપ્યું. એક એવી સંસ્થા જેનું કામ જ નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે તે સત્તા પક્ષના ખુન્નસનો શિકાર બની ગઇ. તમે જાહેર જનતાના કલ્યાણ માટે કામ કરતા હો, લોકશાહીને સલામત રાખવા કામ કરતા હો પણ સત્તા પર બેઠેલાઓને તમે સવાલ ન કરી શકો તો તમારા એ પદનો કોઇ અર્થ નથી રહેતો. સત્તા પક્ષને સવાલ કરનારાઓની શી વલે થઇ શકે છે કે એ ચૂંટણી પંચની જે હાલત થઇ છે તે જોઇને સમજાઇ જાય છે. આ સરકારનું એમ માનવું છે કે તમે જો મારી સાથે નથી, મારી સામે છો તો પછી તમે છો જ નહીં. તંત્રમાં રહીને તંત્ર બદલવા વાળા વાક્યની નિરર્થકતા ચૂંટણી પંચની દિશાહીન દશા જોઇને સમજી શકાય છે.
આપણા બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરે યોગ્ય જોગવાઇની ગેરહાજરીમાં ચૂંટણી પંચમાં અયોગ્ય વ્યક્તિઓની નિમણૂક અને સરકારની દખલઅંદાજી અંગે વર્ષો પહેલાં ચિંતા જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટે 2023માં આ જ બાબત પર ભાર દેતા કહ્યું હતું કે ચૂંટણી પંચ સેવાપાત્ર (સરકાર તરફી સેવા આપનારું) કમિશન ન બની જાય એ જરૂરી છે. માળું મોદી સરકારનો સુપ્રીમ કોર્ટને પણ નથી ગાંઠતી ત્યારે આપણે લોકશાહી રાષ્ટ્રના નાગરિક તરીકે માત્ર ચિંતા નહીં પણ સવાલ કરી શકવાની કે ચર્ચા છેડવાની તસ્દી તો લેવી જ રહી.
બાય ધી વેઃ
ચૂંટણી પંચની કામગીરી જટિલ હોય છે, પંચના અધિકારી અને તેમાં ય મુખ્ય અધિકારી બદલવા, તેમને કાઢવા વગેરે કામ એવાં છે કે જાણે કોઇ ચીફ જસ્ટિસને બદલવાના હોય અને માટે જ સંતુલન જાળવવાના હેતુથી ત્રણ ચૂંટણી અધિકારી નિમાતા હતા પણ આ માળું એક રાષ્ટ્ર, એક નેતા, એક મુખ્ય ચૂંટણી અધિકારી, એક જ ચૂંટણી વાળો દાખલો લાગુ કર્યો છે અને કમનસીબે આ બધું કરીને આપણે એક જ પરિણામવાળી દિશામાં લોકશાહીનું લંગીસ નાખતા હોઇએ એમ લાગે છે. ઇ.વી.એ.મ, વી.વી.પૅટ મેચ, હેટ સ્પીચ, ઇલેક્ટોરલ બોન્ડ્ઝ જેવા મુદ્દાઓને મામલે ચૂંટણી પંચે કાનમાં વાગે એવી ચુપકીદી અથવા સરેયામ અવગણનાનો અભિગમ પાળ્યો છે જે લોકશાહી રાષ્ટ્રના ચૂંટણી પંચની નબળાઇ, તેના પતનના પુરાવા છે એમ કહેવામાં કંઇ ખોટું નથી. 2024ની ચૂંટણી પહેલાંની આ બધી ઘટનાઓ ભારતીય નાગરિકોના ભવિષ્ય પર ઘેરી અસર પાડનારી સાબિત થવાની છે. આપણે આંખો ખોલવાની, સાચું જોવાની અને સવાલ કરવાની જરૂર ખડી થઇ છે. ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી પંચનો રોલ જો ફિલ્મોમાં આવતા ‘રામુ કાકા’ જેવો જ થઇ જવાનો હોય તો લોકશાહીનું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે એ સ્વીકાર્યા સિવાય છૂટકો નથી.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 માર્ચ 2024